અવચ્છિન્ન જીવનું પારમાર્થિકપણું કેવી રીતે છે તે કહે છે:
અવચ્છેદ: કલ્પિત: સ્યાદવચ્છેદ્યં તુ વાસ્તવં |
તસ્મિન જીવત્વમારોપાદબ્રહ્મત્વં તુ સ્વભાવત: || ૩૩ ||
શ્લોકાર્થ:
અવચ્છેદ કલ્પિત છે, પણ અવચ્છેદ પામેલ વાસ્તવિક છે, તેમાં જીવપણું આરોપથી છે, પણ બ્રહ્મપણું સ્વભાવથી છે.
ટીકા:
વ્યાપક ચેતનરૂપ બ્રહ્મથી આત્માનો વિભાગ કરનાર સૂક્ષ્મ શરીર તો કલ્પિત છે, પણ જેનો વિભાગ થાય છે તે બ્રહ્મથી અભિન્ન આત્મા તો સત્ય છે.
આરોપથી બ્રહ્મમાં જીવપણું કહેવાય છે, પણ તેનું બ્રહ્મપણું તો સ્વભાવથી છે.
ઘટરૂપ ઉપાધિથી ઘટાકાશ મહાકાશથી ભિન્ન નથી, તેમ અંત:કરણરૂપ ઉપાધિથી આત્મા બ્રહ્મથી ભિન્ન હોય તેમ જણાય છે, પણ વસ્તુતાએ તે બ્રહ્મથી ભિન્ન નથી.