સ્વામી વિવેકાનંદે ૨૭મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ તે વખતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદની છેલ્લી બેઠકમાં આ ભાષણ આપ્યું હતું.
વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે: પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હ્રદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ’સહાય;પરસ્પર વેર નહીં.’ ’સમન્વય;વિનાશ નહીં.’ ’સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’