સ્વાગત

સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
સર્વે સન્તુ નિરામયાઃ ||
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||


સહનાવવતુ |
સહનૌ ભુનક્તુ |
સહવીર્યં કરવા વહૈ |
તેજસ્વિના વધિ તમસ્તુ |
મા વિદ્વિષા વહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

( ભજનામૃતવાણીમાં આપનું સ્વાગત છે )


ગામઠી જ્ઞાન માળા વાંચવા અહીં ક્લિક કરશો…


Categories: ઉદઘોષણા | 33 Comments

હાઈકુ

હાઈકુ

ન રાગ-દ્વેષ
ન અનિત્ય સુખેચ્છા
એ જ પ્રાર્થના

સુપ્રભાત

હે પ્રભુ મારી એ જ પ્રાર્થના છે કે મારા રાગ – દ્વેષ નષ્ટ થઈ જાય અને જે કંઈ અનિત્ય છે તેને માટેની સર્વ ઇચ્છાઓ મટી જાય.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

हाईकु

हाईकु

ऐसा क्युं कीया?
और कुछ न छोडा
जप को छोडा…

शुभ रात्री

नाम जपन क्यों छोड़ दिया,
क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड दिया,
तूने सत्य वचन क्यों छोड दिया,
तूने नाम जपन क्यों छोड़ दिया।।

झूठे जग में जी ललचा कर,
असल वतन क्यों छोड दिया,
क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड दिया,
तूने सत्य वचन क्यों छोड दिया,
तूने नाम जपन क्यों छोड़ दिया।।

कौड़ी को तो खूब सम्भाला,
लाल रतन क्यों छोड दिया,
क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड दिया,
तूने सत्य वचन क्यों छोड दिया,
तूने नाम जपन क्यों छोड़ दिया।।

जेहि सुमिरन ते अति सुख पावे,
सो सुमिरन क्यों छोड़ दिया,
क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड दिया,
तूने सत्य वचन क्यों छोड दिया,
तूने नाम जपन क्यों छोड़ दिया।।

खालिस इक भगवान भरोसे,
तन मन धन क्यों ना छोड़ दिया,
क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड दिया,
तूने सत्य वचन क्यों छोड दिया,
तूने नाम जपन क्यों छोड़ दिया।।

नाम जपन क्यों छोड़ दिया,
क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड दिया,
तूने सत्य वचन क्यों छोड दिया,
तूने नाम जपन क्यों छोड़ दिया।।

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

આજનું હાઈકુ

આજનું હાઈકુ

હર સમયે
પ્રભુના દ્વાર ખુલ્લા
સર્વને માટે

સુપ્રભાત

વાસ્તવમાં ઈશ્વરની મહત્તા એટલા માટે છે કે તેણે આજ સુધી કોઈને ય માટે પોતાના દ્વાર બંધ નથી કર્યા.

-સ્વામી સત્યમિત્રાનંદ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

Protected: આપણો પરિચય – યોગ શિબિર (અશા) – Nov-2021

This content is password protected. To view it please enter your password below:

Categories: Yog Shibir | Tags: , | Enter your password to view comments.

Protected: આપણો પરિચય (Jamnagar Diploma Engineering Group)

This content is password protected. To view it please enter your password below:

Categories: Jamnagar Group | Enter your password to view comments.

લેખ 41 ધ્યાનના ફાયદા વિશેષતઃ કોરોના સંદર્ભે – ભાગ 2 – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

જે સંદેહ ગયા સપ્તાહમાં દર્શાવેલો તે રીતે જ કોરોના દુનિયાભરમાં આગળ વધી રહ્યો છે. ઇટાલીની સરકારે તો હથિયાર નીચે મૂકી દીધા છે. રોમ, મિલાન અને ફ્લોરેન્સના જે રસ્તાઓ પર, જે બજારમાં, વેનિસની જે નહેરમાં યુરોપ પ્રવાસ દરમ્યાન ફરેલા,અભિભૂત થઈ ગયેલા, જે શિલ્પ અને બસ્ટ જોઈ વિચાર્યા કરતાં હતાં કે કેવા હશે આ નાના અમથા દેશના લોકોના જીન્સ કે જેમના દ્વારા દુનિયાને અપ્રતિમ વસ્તુઓની ભેટ મળી છે – તે દેશ આજે બરબાદ થવા બેઠો છે. અન્ય કારણો સિવાય મહદ અંશે લોકોની બેકાળજી કારણભૂત છે તેવું મીડિયા રિપોર્ટ પરથી સમજાય છે. ફરી એક વાર યાદ રાખીએ કે આ સમય અગાસીમાં ભેગા થવાનો, મિત્રોને ભેગા કરી કેરમ કે ક્રિકેટ રમવાનો નથી પરંતુ ઘરમાં રહી જાતને, કુટુંબને અને દેશને મદદ કરવાનો છે, નવું કંઈ શીખવાનો છે, કુદરત એ સંકેત આપી રહી છે કે થોડું થોભો, વિચારો, જીવન જીવવાની પદ્ધતિમાં જે કંઈ બદલાવ લાવવાનો હોય તે લાવો.

વાયરસ જતો રહેશે, સાર્વત્રિક માનસિક પ્રભાવ છોડતો જશે. ભયનો માહોલ બહુ જ ઝડપથી ડિપ્રેસનના માહોલમાં બદલાય તેવા સંકેત મળી રહ્યા છે.. હાલના સંજોગો એવા છે કે કોઈ ખુલ્લે આમ સ્વીકારી રહ્યું છે કે મને ભય લાગે છે, કોઈ સંતાડી રહ્યું છે. જેને પોતા માટે ભય ન હોય તેવા લોકો પણ કુટુંબીઓ અને મિત્રો માટે ચિંતિત છે.

સામાજિક જોડાણ:

સુખી અને સ્વસ્થ રહેવું છે તો શું જરૂરી છે? મોટા ભાગના લોકો જવાબમાં કહેશે કે પૂરતી ઊંઘ, પૌષ્ટિક ખોરાક અને વ્યાયામ આ માટે આવશ્યક છે. ઓછું ધ્યાન જાય છે તેવો એક મુદ્દો છે સામાજિક જોડાણ.

આપણે અંતમાં તો સામાજિક જીવ છીએ; ખુશીની પળોમાં પણ કોઈના સાથની આવશ્યકતા રહે છે અને દુઃખ-દર્દની પળોમાં પણ કોઈની જરૂર તો રહે જ છે. ન્યુક્લિઅર કુટુંબો વધ્યાં છે તેની સાથે-સાથે જ ડિપ્રેસનના કેઈસ પણ વધ્યા છે. અનેક વ્યક્તિઓને તો એ ખ્યાલ પણ નથી કે તેમના મૂડના ચડાવ-ઉતાર એ જ દર્શાવે છે કે તેઓ ડિપ્રેસનના તબક્કામાં પહોંચી ચુક્યા છે.*

આ વિષયમાં વિશ્વની ખ્યાતનામ સંસ્થાઓએ કરેલ અભ્યાસ એવું દર્શાવે છે કે અન્ય વ્યક્તિઓ સાથેના જોડાણની લાગણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ખુશી આપે છે અને આયુષ્ય વધારે છે; એકલા રહેવાથી ભૂતકાળમાં ડૂબવાની અને ભવિષ્ય વિશે ચિંતા કરવાની સહજ મનોવૃત્તિને કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કથળી શકે છે.

એકાંત શા માટે તકલીફ કરે અને ધ્યાન એ તકલીફ કઈ રીતે દૂર કરે તે ન્યુરો સાયન્સની આંખોથી સમજીએ.

મગજનો એક ભાગ છે ‘Parietal Lobe’ – પેરાયટલ લૉબ. જયારે ઍંકલવાયું પડી ગયાની લાગણી જન્મે ત્યારે આ ભાગ ગરમ થઈ જાય. મોટરકારનું રેડિએટર ગરમ થઈ જાય અને તેને પાણી નાખી ઠંડુ ન પાડીએ તો કારના એન્જીનમાં શું થાય? બરાબર આ જ રીતે આ મગજનો આ ભાગ ઠંડો ન પડે તો શરીરના એન્જીનને નુકશાન કરે.

ધ્યાન અહીં મદદે આવે. તિબેટી લામાઓ પર વૈજ્ઞાનિકોએ અસંખ્ય અભ્યાસ કર્યા છે, શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણોની મદદથી કર્યા છે. વૈજ્ઞાનિક ડો. એન્ડ્ર્યુ ન્યુબર્ગે ધ્યાન દરમ્યાન એકાંતમાં રહેતા તિબેટી સાધુઓના મગજ પર આવા અભ્યાસ કર્યા. અનેક આશ્ચર્યજનક વસ્તુઓ જોવા મળી. સૌધી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે આ સાધુઓના પેરાયટલ લોબ્સ અત્યંત ઠંડા હતા જે દર્શાવતા હતા કે એકાંતની કોઈ નકારાત્મક અસર તેમના પર થઈ ન હતી.

હિન્દુસ્તાનમાં તો આવા અભ્યાસ વગર પણ આપણે જાણીએ જ છીએ કે હિમાલય અને અન્ય સાધનાસ્થળોએ મહાત્માઓ વર્ષો સુધી એકલા જ રહે છે, ધ્યાન કરે છે અને કોઈ દિવસ સાંભળ્યું નથી કે ત્યાં એકલા રહ્યા માટે ડિપ્રેસનમાં ગયા કે આપઘાત કર્યો. એ જ પ્રમાણે હાલના લોક ડાઉનના સંજોગોને જ નજર સમક્ષ રાખીએ તો નિયમિત ધ્યાન કરનારા લોકોને આ રીતે ઘર બહાર ન નીકળવા મળે તો કોઈ તકલીફ પડતી હોય તેવું લાગતું નથી જયારે અન્ય ઘણા લોકો ૪ દિવસમાં જ કંટાળી ગયા છે અને વાયરસની ગંભીરતાને અવગણીને પણ સોસાયટીમાં અથવા મિત્રો સાથે ભેગા થઈ ગપ્પા મારવા બેસી જાય છે, ક્રિકેટ કે બેડમિન્ટન રમે છે.

ચિંતા:

જયારે નકારાત્મક સમાચારોનો તોપમારો ચાલતો હોય ત્યારે અર્ધજાગૃત મનને તેનાથી સુરક્ષિત રાખવું મુશ્કેલ તો છે જ. બહારથી આ તોપમારો અને અંદરથી દિવસના 60,000 વિચારોની મશીનગન. યાદ તો હોય કે ‘ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન”; છતાં ચિંતા થાય. ચિંતા થાય એટલે શારીરિક, માનસિક, સામાજિક ઘાતક પરિણામો પણ આવી શકે.

આ લખી રહ્યો છું ત્યારે જ એક દુઃખદ સમાચાર મળ્યા છે. શ્રીલંકાથી પાછા ફરેલ એક 35 વર્ષની વ્યક્તિને ‘હોમ ક્વોરેન્ટાઇન’ તરીકે 14 દિવસ માટે રહેવાનું હતું. તેણે ૨૦૧૦માં માનસિક સ્વાસ્થ્ય માટે સારવાર લીધેલી અને ત્યાર બાદ એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવતો હતો, શ્રીલંકામાં તેનો વ્યવસાય હતો. હાલના સંજોગોમાં ધંધામાં નુકસાન જશે તે વિચાર તેને સતત સતાવતો હતો. તેમાં એકાંતમાં રહેવાનું આવ્યું. કદાચ વિચારોનું બોમ્બાર્ડિંગ થયું. પરિણામ ઘાતક આવ્યું. તે દિગંબર અવસ્થામાં ઘરની બહાર દોડી આવ્યો અને પાડોશમાં રહેતાં, પોતાના ઘરના ઓટલા પર બેઠેલા 80 વર્ષના વૃદ્ધાને એટલી તાકાત સાથે બટકું ભરી લીધું કે તે વૃદ્ધાનું અવસાન થઈ ગયું. ચિંતાને કારણે તેનું ડિપ્રેસન ફરીથી જાગી ઉઠ્યું અને આ હદ સુધી પહોંચી ગયું.

ધ્યાન કરીએ તો ચિંતા ઘણી ઓછી થાય. શા માટે?

1) એમીગ્ડાલા:

લેખ ક્રમાંક ૪૦માં જણાવેલું કે “એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે જે વિવિધ વિચારોને લેબલ લગાવે, અલગ-અલગ લાગણીમાં રૂપાંતરિત કરે………………નિયમિત ધ્યાનની આદત વાળા મગજમાં કોઈ અતિ વિશેષ જરૂર પડે તો જ એમીગ્ડાલા કામે લાગે, નહીંતર શાંતિથી બેઠું રહે, વિચારોને જલ્દી-જલ્દી પ્રોસેસ કરી લાગણીમાં ફેરવવાની તસ્દી ન લે. પરિણામે કાલ્પનિક ભય અને ચિંતામાં ડૂબી જઈએ તેવી શક્યતા ઓછી રહે.’

2) મગજના તરંગો:

આ અંગે વિસ્તૃત ચર્ચા લેખ ક્રમાંક ૩૧માં કરી છે. વિચારો, મૂડ અને લાગણીઓ (ખાસ કરીને અસ્વસ્થતા) આ તરંગો દ્વારા માપી શકાય. EEG (ઇલેક્ટરોએન્સેફેલોગ્રાફ) દ્વારા આ ખ્યાલ આવે.

ચિંતાતુર છીએ, ભય અનુભવીએ છીએ તો સમજવાનું કે “બીટા” (13 – 40 hertz) તરંગોનું પ્રાધાન્ય છે. ધ્યાન કરીએ તેમ આ તરંગો અપગ્રેડ થાય. આગળના તરંગો છે આલ્ફા, થિટા, ડેલ્ટા. ધ્યાન દ્વારા આલ્ફામાં તો પહોંચી જ જવાશે, તેનાથી આગળ પણ ધ્યાનની નિયમિતતા અને સમયગાળો વધવા સાથે જઈ શકાશે. પરિણામે મગજ શાંત રહેશે, સર્જનાત્મકતા વધશે, આત્મવિશ્વાસ વધશે અને ફાયદાઓની હારમાળા શરુ થશે.

3)એંડોર્ફીન્સ (Endorphins):

આ એવા ન્યુરોટ્રાન્સમીટર છે જેનું ઉત્પાદન મગજ અને કરોડરજ્જુમાં થાય. મૂડ સારો રાખવો હોય, તણાવ ઘટાડવો હોય, શારીરિક-માનસિક પીડા ઓછી/દૂર કરવી હોય, ઊંઘ સારી જોતી હોય તો એંડોર્ફીન્સ પર્યાપ્ત હોવા જોઈએ.

ધ્યાનને કારણે એંડોર્ફિનનું લેવલ ઊંચું આવે છે તે અનેક પ્રકારના અભ્યાસોમાં ખ્યાલ આવ્યો છે. કોઈ વ્યક્તિ ધ્યાનનું સેશન પૂરું કરે પછી તેના ચહેરા પર એક અલગ ચમક ઘણી વખત જોઈએ હશે. તેના પરથી પણ આ સમજી શકાશે.

ડિપ્રેસન:

ભય અથવા ચિંતાના વિચારો મનુષ્યને અંતમાં ખેંચી જાય ડિપ્રેસન તરફ. ડાયાબિટીસની માફક જ ડિપ્રેસન બહુ જ જલ્દી ઘર-ઘરનો રોગ હોઈ શકે. WHO દ્વારા તો આ અંગે ચેતવણી મળી જ છે અને બાકી વધ્યું તો નવા મજબૂત કારણો મળ્યા. ઢાળ હતો અને કોઈએ ધક્કો માર્યો તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ ઢાળ પર પણ ગબડીએ નહિ તેવી ઢાલ એક સારી આભા-ઓરા દ્વારા મળી શકે; આવો ઓરા તૈયાર થઈ શકે ધ્યાન દ્વારા. કઈ રીતે?

મગજમાં બંને બાજુ હીપોકેમ્પસ (Hippocampus) નામનો એક ભાગ હોય. એટલો અગત્યનો છે કે તેને ‘મગજનું હૃદય’ કહી શકાય. ટૂંકા કે લાંબા ગાળાની યાદશક્તિ આ ભાગ પર આધારિત હોય. અહીં જે ગતિવિધિ થતી હોય તે દ્રષ્ટિ, શ્રવણશક્તિ અને સ્પર્શની ઇન્દ્રિયોને પણ અસર પહોંચાડે. અલ્ઝાઈમર્સનું લેવલ શું છે તે જાણવા માટે હીપોકેમ્પસનું કદ માપવામાં આવે. ડિપ્રેસનની સ્થિતિ હીપોકેમ્પસને 20% જેટલો સંકોચી શકે. સ્કિઝોફ્રેનિયા દરમ્યાન પણ અહીં ન્યુરૉન્સની સંખ્યા એકદમ ઓછી થઈ જાય.

ડીપ્રેશનમાંથી બહાર આવવું હોય અથવા ડિપ્રેશનની સ્થિતિ ઉત્પન્ન જ ન થાય તેવી બાહેંધરી જોતી હોય તો હીપોકેમ્પસના ન્યુરૉન્સને મજબૂત કરવા જોઈએ, ત્યાં પૂરતી સંખ્યામાં ન્યુરૉન્સ હોવા જોઈએ. કમનસીબે એના માટે કોઈ જિમ બન્યું નથી. સાઇકિયાટ્રિસ્ટ એન્ટી-ડિપ્રેસન્ટ દવા આપે જેનાથી ત્યાં નવા ન્યુરૉન્સ બને. આ દવાઓ ના છૂટકે જ લેવાની હોય કારણ કે તેની આડઅસરો ખતરનાક છે; એક તો તેના ગુલામ થઈ જવાય, વજન વધે, ભૂખ પર અસર પડે, કબજિયાત થઈ શકે, જાતીય ઉત્તેજના અને લાગણી બંને ખતમ થતા જાય, મોઢું સુકાય, મૂડમાં બ્રિટનની આબોહવા જેવા ફેરફારો આવે, થાક લાગે જેવી અનેક અસરો થાય.

અનેક લોકો પર થયેલ અભ્યાસ એ દર્શાવે છે કે બે મહિના જેટલા ટૂંકા ગાળા સુધી કરેલ ધ્યાન બાદ પણ હિપોકૅમ્પસ પરના ન્યુરૉન્સની ઘનતા(Density), જાડાઈ અને તે ભાગના કદમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.

જેમ વાયરસના હુમલાની આગાહી અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વિશિષ્ટ લોકોએ અને સંતોએ કરેલ તેમ ભવિષ્યમાં ડિપ્રેસનના વ્યાપની આગાહી સંતો અને WHO તરફથી થયેલી જ છે, નજર સમક્ષ અનેક કિસ્સાઓ આવી રહ્યા છે, 10-12 વર્ષના બાળકો પણ ‘મને ડિપ્રેસન આવે છે’ તેમ બોલતાં થઈ ગયા છે ત્યારે સમય આવી ગયો છે કે ધ્યાનને સ્નાન અને ભોજનથી પણ વધુ પ્રાથમિકતા આપીએ.

*બીટલ્સ ગ્રુપના સહસ્થાપક જ્હોન લેનન દ્વારા લિખિત લાગણીઓથી છલોછલ અને અપ્રતિમ માધુર્ય સાથે ગવાયેલ અતિ પ્રખ્યાત ‘Imagine’ ગીતના શરૂઆતના શબ્દો છે:

“Imagine there’s no heaven

It’s easy if you try

No hell below us

Above us only sky

Imagine all the people living for today”

(અહીં સાંભળી શકો છો).

છેલ્લું વાક્ય સાચું પડી શકે જો દરેક વ્યક્તિ ધ્યાન કરતી થાય અને ‘આજ’ કરતાં પણ વધુ ‘અત્યારની ઘડી’ માટે જીવવાનું શરુ કરે. ભય અને ચિંતા તો કાલ્પનિક છે, ભવિષ્યના વિચારોમાંથી ઉદ્ભવેલ છે.

*અંતમાં, આ સાથે એક લિંક મુકેલી છે જેમાં કોરોનાના સંદર્ભમાં ધ્યાન વિષે પ.પૂ. શ્રી શિવકૃપાનંદજીનો એક ઇન્ટરવ્યૂ છે જે ઘણું માર્ગદર્શન આપી શકશે.

,

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

વિક્રમ સંવંત – ૨૦૭૭

વિક્રમ સંવંત – ૨૦૭૭

નવું વર્ષ

નવો ઉલ્લાસ

પ્રત્યેક ક્ષણ નવી અને તાજી

પ્રત્યેક ક્ષણને આનંદથી જીવીએ..

પ્રત્યેક ક્ષણે સ્વના ચૈતન્ય સ્વરૂપને સ્મરણમાં રાખીએ..

બધા સાથે પ્રેમથી હળીએ મળીએ..

કોઈ પણ બાબતથી ઉદ્વેગ ન પામીએ..

કોઈ પણ વાતનો ધોખો ન કરીએ..

સહજ સ્વાભાવિક સતત પુરુષાર્થ કરીએ..

જગત સાથે અનુકુલન સાધીએ..

જગન્નિયંતાને હમ્મેશા હૈયામાં રાખીએ..

શુભમ ભવતુ

મંગલમ ભવતુ

ૐૐૐ

નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ..

Categories: ઉત્સવ | Tags: , | Leave a comment

લેખ 40 ધ્યાનના ફાયદા વિશેષતઃ કોરોના સંદર્ભે – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ધ્યાનના ફાયદા વિષે લેખ ક્રમાંક 2૩, 24 અને ૩5માં ચર્ચા થઈ છે. આમ છતાં અગણિત ફાયદાઓ પૈકી અમુક વિષે જ વાત થઈ શકી છે. હાલમાં વિશ્વભરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના વિશેષ સંદર્ભે થોડા અન્ય ફાયદાઓ, બીજા અર્થમાં આ વાયરસને અનુલક્ષીને ધ્યાનની આવશ્યકતા સમજવાનો પ્રયત્ન આજે કરીશું.

વિશ્વ આખું ચીસાચીસ કરી રહ્યું છે કોરોના… કોરોના…. કોરોના !!!! છે તો આખરે એક વાયરસ. પરંતુ તમામ આધુનિક વિજ્ઞાનની શોધ તેની સામે વામણી બની ગઈ છે. ફરી બધાને વૈદિક કાળ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ યાદ આવી ગઈ છે. એ જ પરંપરા હેઠળ ધ્યાન એક અનિવાર્ય વસ્તુ હતી. શા માટે? કોરોનાના પરિપેક્ષમાં સમજીશું.

કોરોના વિષે શા માટે સરકાર શા માટે આટલી ચિંતિત છે? ગુજરાતમાં ગઈ કાલે એક દિવસમાં આંકડો ડબલ થયો છે. ફક્ત એટલું સમજવાની જરૂર છે કે દરરોજ નહિ પરંતુ દરેક સપ્તાહમાં પણ જો આ આંકડો ડબલ થતો જાય તો 38 સપ્તાહમાં તો આખું ભારત આ વાયરસની લપેટમાં આવી જાય. 1ના આંકડાને ડબલ કરતા જઈએ તો ૩8માં દિવસે 1૩7કરોડનો જંગી આંકડો આવે. આ ખ્યાલમાં રાખીએ તો સાવચેતીના શું પગલાં લેવાં જોઈએ તેના વિષે થોડી વધુ ગંભીરતા આવશે. ધ્યાન આ પગલાંઓનો જ એક ભાગ બની શકે.

કોરોનાની થોડી જાણીતી અને થોડી કદાચ ધ્યાન ન પડ્યું હોય તેવી અસર પર એક નજર ફેરવીએ. ત્યાર બાદ એ અસરથી બચવામાં ધ્યાન કઈ રીતે મદદ કરે તે સમજીએ.

કોરોનાની સંભવિત શારીરિક અસર:

ખાંસી, તાવ, શરીર અને માથાનો દુઃખાવો, શ્વસનતંત્રમાં તકલીફ, પાચનતંત્રમાં ગરબડ, ન્યુમોનિયા વિગેરે. વાયરસ ફેફસામાં પગપેસારો કરે, થોડા સેલને બગાડે અને પછી આવા સેલ બાજુના સેલને પોતાની તરફેણમાં કરતા જાય, આવા દુષિત સેલનું આખું લશ્કર ઉભું થાય અને શરીરની અંદર ત્રાહિમામ મચાવી દે, કોઈ-કોઈ કિસ્સામાં જીવ લઈને જંપે. ચક્રોની ભાષામાં વાત કરીએ તો બધાં ચક્ર ઊંધાં -ચત્તાં કરી નાખે. દવાની શોધ તો હજી થઈ નથી, ક્યારે થશે તે કોઈને ખબર નથી.

માનસિક અસર

આ અસરો વધુ ઘાતક છે કારણ કે વાયરસ લાગુ ન પડ્યો હોય તેને પણ થઈ શકે; હકીકતમાં થઈ રહી છે તે ચારે બાજુ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. લોકો એક અજ્ઞાત ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવતા થઈ ગયા છે. ભયની સીધી અસર પાચનતંત્ર પર એટલે કે નાભિચક્ર પર છે. ત્યાર બાદ કિડની પર.

દિવસે-દિવસે તણાવ વધતો જાય છે. કોરોનાએ તેનું જડબું ફાડ્યું તે પહેલાં WHO દ્વારા અંદાજ મુકવામાં આવ્યો હતો કે દુનિયામાં દરેક 5 વ્યક્તિમાંથી એક 2020ના અંત સુધીમાં ડિપ્રેસનથી પીડાતી હશે. અંદાજ સુધારવો પડશે. શું મુકવો પડશે તે તો આવનારો સમય જ કહી શકશે. દિવસે પણ ભેંકાર રસ્તાઓ જોઈએ એવું લાગે છે કે પૌરાણિક કથાઓમાં વાંચતાં તેમ કોઈ રાક્ષસ કોઈ એક ગામ, શહેર, રાજ્ય કે દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વને ઓહિયાં કરવા નીકળી પડ્યો છે અને તેનાથી બચવા બધાં ઘરમાં ભરાઈ ગયાં છે. મારા એક સહકર્મી દ્વારા ગઈ કાલે બોલાયેલા શબ્દો છે: “ખબર નથી 2021 કેટલા લોકો જોશે?” ભલે આ શબ્દો નિરાશાજનક હોય, તે એ વાતના સૂચક તો છે જ કે ડર કેટલી હદે વધી રહ્યો છે. ચીનમાં 24 X 7મેન્ટલ હેલ્પલાઇન ઉભી કરવી પડી છે. માનસિક સ્વાસ્થ્ય અને ચિંતાના એટલા બધા કેઈસ હાલમાં ઉભા થઈ રહ્યા છે કે સમગ્ર ઉત્તર અમેરિકામાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ, USA દ્વારા હવન અને પ્રાર્થનાનાં આયોજન થઈ રહ્યા છે. લોકો એક-બીજા પરથી વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. અચાનક દરેક વ્યક્તિ અછૂત થઈ ચુકી છે. 14 કલાકના જનતા કર્ફ્યુમાં પરિવાર સાથે રહેવાનું હોવા છતાં કેટલાં બધાં લોકો મુંજાઈ ગયા છે કે સમય કેમ પસાર કરીશું! તો 14 દિવસ ક્વોરેન્ટાઇન થયેલ લોકોની માનસિક સ્થિતિ શું હશે? આવનારા દિવસોમાં લાંબા ગાળા સુધી ઘરની દીવાલો વચ્ચે બંધ રહેવાનું જો થાય તો તણાવનું લેવલ ક્યાં પહોંચશે! આ બધું ઓછું લાગતું હોય તેમ આર્થિક મંદી અને તેની માનસિક અસરો તો આવનારા દિવસોમાં ડાયનાસોર સાબિત થઈ શકે તેમ છે. તણાવ હેઠળ વડીલો ઘરમાં જે સંવાદો દ્વારા ભય વ્યક્ત કરી રહ્યા છે તેની બાળકો પર શું અસર થઈ રહી હશે અને તેઓ પુખ્ત થયા પછી પણ આ વાતોની અર્ધજાગૃત મન પર શું અસર રહેશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. અમર્યાદિત વસ્તી અને તેની સરખામણીમાં સીમિત આરોગ્ય સુવિધાઓને કારણે યુરોપ કરતાં પણ વધુ પડકાર ભારત સામે છે.

આ બધા પડકાર સામે જમા પાસાંમાં ભારત પાસે હજારો વર્ષોનો આધ્યાત્મિક વારસો અને અનેક સંત-મહાત્માઓના તપોતેજનું પીઠબળ છે જે અદ્રશ્ય રીતે હંમેશા દેશના ઉત્કર્ષમાં અને અનેક આફતોમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બને છે. ‘ભવિષ્યમાં વિષાણુઓનો હુમલો થશે’ તે આગાહી આવા એક મહાત્મા પ.પૂ. સ્વામી શિવકૃપાનંદજી દ્વારા છેક 2004માં થયેલી અને મધુચૈતન્ય નામના સમર્પણ ધ્યાન પરિવારના એક હાઉસ મેગેઝીનમાં છપાયેલી. ભારત પાસે વધુમાં આયુર્વેદ જેવી પ્રાચીન પદ્ધતિ છે જેમાં તમામ પ્રકારના રોગને જડમૂળથી કાઢવાની અને થતો અટકાવવાની કોઈ ને કોઈ રીત તો છે જ.

નિર્વિવાદ છે કે જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) સારી હોય તો કોઈ પણ વાયરસ અસર કરે નહિ અથવા ઓછી કરે.

આ શક્તિના લશ્કરમાં મનુષ્ય પાસે બે સેનાપતિ હોય. એક કહેવાય T સેલ અને બીજાને કહેવાય એન્ટિબોડી (AB). કોઈ પણ બેક્ટેરિયા, વાયરસ તેનું લાવલશ્કર લઈ શરીર પર ચડાઈ કરવા આવે એટલે શરીરના આ બંન્ને પરાક્રમી યોદ્ધા મિસાઈલ્સ છોડી તેનો ખાત્મો કરી નાખે. આ બંને સેનાપતિઓ અને તેમનું લશ્કર જ્યાં સુધી મજબૂત ત્યાં સુધી શરીરની ઇમ્યુનીટી અખંડિત.

ધ્યાનની અસર ઇમ્યુનીટી પર શું થાય?

T સેલ્સના લશ્કરમાં એક CD4 નામનો સૈનિક છે. તેનું કામ HIV વાયરસ સામે લડવાનું. જો આ સૈનિક થાકી જાય તો HIV વાયરસ તેનો ખાત્મો કરી નાખે. આ સંજોગોમાં વ્યક્તિને એઇડ્સ થાય.

યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા (UCLA) દ્વારા આ ધ્યાનની અસરો HIV વાયરસ પર કેવી થાય તેનો 50 HIV પોઝિટિવ વ્યક્તિ પર અભ્યાસ કરવામાં આવ્યો. તારણ નીકળ્યું કે 8 સપ્તાહના ૩0થી 45 મિનિટના દૈનિક ધ્યાનમાં જ CD4 T સેલ્સમાં થતો ઘટાડો નોંધપાત્ર રીતે રોકાઈ ગયો, રોગ આગળ વધતો પણ રોકાઈ ગયો. બીજા એક અભ્યાસમાં તારણ નીકળ્યું કે આ ફાયદો ડોઝ સેન્સિટિવ છે એટલે કે જેમ ધ્યાનની અવધિ વધુ અને દિવસો વધુ એટલે કે નિયમિત ધ્યાન, તેમ CD4 T સેલ પણ વધુ. સીધો અર્થ એ નીકળ્યો કે નિયમિત ધ્યાન કરીએ તો રોગ પ્રતિકારક શક્તિનું લશ્કર વધુ શક્તિશાળી.

આ પ્રકારે પ્રયોગ તંદુરસ્ત લોકો પર અમેરિકાની વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સીટીમાં થયા. 2 મહિનાના ધ્યાનમાં જ આશ્ચર્યજનક પરિણામો એન્ટિબોડી (AB) પર જોવા મળ્યા. ઇમ્યુનીટી સાથે સંબંધિત left-sided anterior નામનો મગજનો એક અત્યંત અગત્યનો ભાગ ખૂબ જ વધુ કાર્યરત થઈ ગયેલો જોવા મળ્યો.

બીજા અમુક અભ્યાસમાં મગજના ભાગો જેવા કે કે prefrontal cortex, right anterior insula, right hippocampus પર ધ્યાનની બહુ જ હકારાત્મક અસર જોવા મળી છે. આ બધા ભાગ એવા છે કે જે ઈમ્યુનીટીના ‘કમાન્ડ સેન્ટર’ કહી શકાય. જો આ ભાગ વધુ આંદોલિત થાય તો ઇમ્યુન સિસ્ટમની કાર્યક્ષમતા વધી જાય. વિવિધ અભ્યાસ દ્વારા એ જોવા મળ્યું કે ધ્યાન દ્વારા આ બધા જ ભાગમાં વિદ્યુત તરંગો નોંધપાત્ર રીતે વધી જાય છે.

ધ્યાન અને ભય:

ભયની લાગણી ક્યાંથી જન્મે? એમીગ્ડાલા નામનો મગજનો એક ભાગ છે જે વિવિધ વિચારોને લેબલ લગાવે, અલગ-અલગ લાગણીમાં રૂપાંતરિત કરે. આ રૂપાંતર વ્યક્તિના અર્ધજાગૃત મનમાં છુપાયેલ અનુભવોના આધારે થાય. કોઈ પ્રકારના વિચારોને આ ભાગ ભયમાં પણ રૂપાંતરિત કરે. ભય આખરે તો એક વિચાર જ છે ને ! આ ભાગમાં જો ગતિવિધિ ઓછી થાય તો વિચારોનું લાગણીમાં રૂપાંતર ઓછું થાય. ધ્યાનને કારણે એક તો વિચારો ઘટ્યા હોય અને વધુમાં એ વિચારોને લાગણીમાં તાત્કાલિક રૂપાંતર કરવાની ટેવ ઓછી થઈ ગઈ હોય, વિચારને લાગણીથી અલગ રાખવાની ક્ષમતા વધી ગઈ હોય. રોજબરોજની જિંદગીમાં જોઈએ તો નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિમાં લાગણીઓના ચડાવ-ઉતાર પ્રમાણમાં ઓછા અનુભવાશે. સ્વાભાવિક રીતે જ મગજ એ રીતે કાર્ય કરવા માંડ્યું હોય કે કોઈ તકલીફ કરે તેવી ઘટનામાં પણ ધ્યાન કરવાને ટેવાયેલું મગજ કોઈ સારી વાત શોધી કાઢે અથવા તો આ વિચારને સાક્ષીભાવથી જુએ, તેને કોઈ ભાવનામાં રૂપાંતરિત ન કરે. નિયમિત ધ્યાનની આદત વાળા મગજમાં કોઈ અતિ વિશેષ જરૂર પડે તો જ એમીગ્ડાલા કામે લાગે, નહીંતર શાંતિથી બેઠું રહે, વિચારોને જલ્દી-જલ્દી પ્રોસેસ કરી લાગણીમાં ફેરવવાની તસ્દી ન લે. પરિણામે કાલ્પનિક ભય અને ચિંતામાં ડૂબી જઈએ તેવી શક્યતા ઓછી રહે.

શ્વસનતંત્ર પર પ્રભાવ

જગજાહેર છે કે કોરોના હથેળી પરથી હુમલો કરે કે નાકમાંથી, અંતે તો પ્રભાવિત કરે છે ફેફસાંને. સ્વશનતંત્ર ડામાડોળ થઈ જાય છે. શરીરને આવશ્યક ઓક્સિજન મળતો નથી. તેના દર્દીને ઓક્સિજનના બાટલા ચડાવવા પડે છે, વેન્ટિલેટર પર રાખવા પડે છે. હવે તો વેન્ટિલેટર પણ ખૂટી પડ્યાં છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનનો સ્ટોક ખાલી થઈ ગયો તેવા સમાચારો કમનસીબે આવી રહ્યા છે. આ સંજોગોમાં શરીરમાં ઓક્સિજનની આવશ્યકતા જ જો ઓછી રહે તો કેવું સારું !

હાર્વર્ડ જેવી પ્રખ્યાત સંસ્થાઓ દ્વારા જે અભ્યાસ થયા છે તેમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે તે લોકોની પ્રાણવાયુની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઓછી રહે છે. સામાન્ય વ્યક્તિની એક મિનિટમાં આશરે 12થી 16 શ્વાસની આવશ્યકતા સામે ધ્યાન કરનાર વ્યક્તિની તે આવશ્યકતા 4થી 8 શ્વાસની જ રહે છે. ધ્યાન દરમ્યાન તો 1થી 2 શ્વાસ પણ થઈ શકે. બીજા શબ્દોમાં કહી શકાય કે આવી વ્યક્તિના કોષોને ઓછા પ્રાણવાયુથી પણ સંતોષ છે. પ્રાણવાયુની આવશ્યકતા ઓછી રહે તે વાતનું આથી મોટું પ્રમાણ ક્યુ હોઈ શકે !

આ ચર્ચાને આજે અહીં અટકાવીએ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા યાદ કરીએ.

1) કોરોના અનેક લોકોની ધારણા કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે. જો રોકી ન શકાય તો 6/8 મહિના જેવા ટૂંકા ગાળામાં જ સંપૂર્ણ દેશને પણ અસર કરી શકે.

2) શારીરિક અસરો તો વાયરસથી પ્રભાવિત દર્દી પર છે પરંતુ તેનાથી વિશેષ ઘાતક માનસિક અસરો સમગ્ર માનવજાત પર છે.

૩) જયારે દવા શોધાઈ નથી ત્યારે સાવચેતી રાખવી અને ઇમ્યુનીટી વધારવી તે જ એક ઉપાય છે.

4) ઇમ્યુનીટી વધારવા માટે અને માનસિક (પરિણામે શારીરિક પણ) ઘાતક અસરો પર અંકુશ મેળવવા માટે ધ્યાન અતિ ઉપયોગી સાબિત થઈ શકે.

ક્રમશઃ

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 39 – મૃત્યુનું ધ્યાન – ભાગ ૨ – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

મૃત્યુ કરતાં મૃત્યુનો ભય ખતરનાક છે. કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં ઉભું થયેલું ભૂતાવળ જેવું વાતાવરણ આ વાતની પુષ્ટિ કરી રહ્યું છે. ભયની અસર તો જુઓ – ખાલી પડેલા શહેરો ના શહેરો, ટોયલેટ પેપરની અછત ઉભી થશે તેવી માન્યતાથી પ્રેરાઈને તેના માટે વિશ્વના અનેક દેશોમાં થઈ રહેલી પડાપડી અને તેના માટે હોંગકોંગમાં પડેલી સશસ્ત્ર ધાડ; આવું તો બીજું ઘણું.

આજે મૃત્યુ ધ્યાન દ્વારા મૃત્યુનો જ ડર ખતમ કરી દઈએ. આ ધ્યાનના પહેલા તબક્કામાં શું કર્યું તે યાદ કરીએ.

વહેલી સવારનો સમય પસંદ કર્યો.

કપડાં ન પહેર્યાં અથવા બને તેટલાં ઓછાં પહેર્યાં

શરીર કડક સપાટી પર એ સ્થિતિમાં ગોઠવ્યું કે જે પ્રમાણે મૃત્યુ વખતે રાખવામાં આવે છે.

થોડા ધીરા શ્વાસ સાથે શરીરને શાંત કર્યું.

ઊંડા શ્વાસ લઈ સાથે-સાથે સ્નાયુઓ ખેંચ્યા, શ્વાસ રોકી ખેંચાણ અનુભવ્યું , શ્વાસ છોડતી વખતે સ્નાયુઓને ઢીલા કર્યા.

શબાસનની સ્થિતિમાં થોડી વાર રહ્યા.

*તબક્કો 2: *

હવે કલ્પનાશક્તિને ધાર કાઢીએ, હિંમતને દાવ પર લગાવીએ. આબેહૂબ કલ્પના કરીએ -‘મારું મૃત્યુ થઈ રહ્યું છે.’ જેટલી તીવ્ર કલ્પના તેટલું ધ્યાન ગહન.

શું થઈ રહ્યું છે?

બંધ આંખે સર્વ પ્રથમ શરીરના સૌથી નીચેના ભાગ પર ધ્યાન ગયું. જ્યાં ધ્યાન ગયું તે ભાગ જડ થઈ રહ્યો છે, થોડી ઊર્જા ત્યાંથી બહાર જઈ રહી છે, થોડી ઉપર ચડી રહી છે. ધીરે-ધીરે આ ભાગમાંથી ચૈતન્ય હણાઈ ગયું છે. વિચારોના કહ્યામાં આ ભાગ હવે નથી. ધારીએ તો પણ પગની આંગળી કે પંજો હલાવી શકતા નથી, એ ભાગ લાકડા જેવો થઈ ગયો છે, બાકીના શરીરથી જુદો છે, ચેતાતંત્રનો ભાગ જ નથી.

ધ્યાન થોડું ઉપર જઈ રહ્યું છે. આ ભાગ પણ ચેતના ગુમાવી રહ્યો છે, ત્યાં લોહી ફરતું બંધ થઈ ગયું છે. ગોઠણ સુધીનો ભાગ સંપૂર્ણ રીતે મૃત થઈ ગયો છે, બાકીના શરીર સાથે તેનો કોઈ સંપર્ક નથી, કોઈ આ ભાગ કાપી શરીરથી જુદો પાડી દે તો પણ કોઈ દર્દ થાય તેમ નથી.

ધ્યાન સાથળ સુધી આવ્યું. ઓહ, આ શું થઈ રહ્યું છે, આ ભાગ પણ મૃત છે. આ તો એવું થયું કે ‘જ્યાં જ્યાં નજર મારી પડે, મોત ડોકાય ત્યાં ત્યાં.’ ડર લાગી રહ્યો છે. અચાનક સ્વામી વિવેકાનંદના શબ્દો “ડરપોક કભી યોગી નહિ બન સકતા.” યાદ આવ્યા. ડર કુતુહલમાં ફેરવાઈ ગયો, એ જાણવા માટે કે હવે શું થવાનું છે.

શરીરના જે પણ ભાગમાં ધ્યાન જઈ રહ્યું છે તે ભાગ મૃત્યુ પામી રહ્યો છે, અચેતન થઈ રહ્યો છે, સંવેદનાવિહીન થઈ રહ્યો છે, હવે તેની પર મનનો કોઈ અંકુશ નથી, લાચાર થઈ જોઈ રહ્યા છીએ, ખાતરી થઈ છે કે આજે મૃત્યુને ભેટવાનું જ છે.

મેહસૂસ થઈ રહ્યું છે કે બધા આંતરિક અવયવો પણ પોતાની પ્રવૃત્તિઓ ધીમી પાડી રહ્યા છે, જાણે કે રાજીનામુ આપવાની તૈયારી. શરીરનું સંપૂર્ણ મેટાબોલિઝમ અટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નજર સામે મોત દેખાઈ ગયું છે. હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપ વગર સંભળાઈ રહ્યા છે.

ધ્યાન માથાની ટોચ પર લઈ ગયા. ઉફ્ફ્ફ, આ શું? ચહેરા અને માથાંમાંથી પણ ઊર્જા સંકોચાઈ રહી છે. હૃદય તરફ પહોંચી રહી છે. જાણે કે કોઈ સૈન્ય ચારે તરફથી કોઈ પ્રદેશને ઘેરી રહ્યું હોય તેમ શરીરના દરેક ભાગમાંથી – હાથ, પગ, પેટ, કિડની, લીવર, આંતરડાં, માથું, ગળું, આંગળીઓ, પીઠ, નાના-મોટા તમામ સ્નાયુઓ અને હાડકાં – પ્રત્યેક જગ્યાએથી ઊર્જા હૃદય તરફ આગળ વધી રહી છે, છાતીના પાટિયાં ભીંસાઈ રહ્યા છે.

શારીરિક રૂપે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા છીએ. *ખાતરી થઈ ગઈ છે કે ખરેખર મરી રહ્યા છીએ, જાતને કહીએ – “હા, હું હવે દેહ છોડી રહ્યો/રહી છું. ઘણી અપૂર્ણ ઇચ્છાઓ છે, સપનાં સાકાર કરવાના બાકી છે, જવાબદારીઓ નિભાવવાની બાકી છે; જયારે હવે હું જીવ છોડી જ રહ્યો/રહી છું ત્યારે આ ઇચ્છાઓ, ભાવનાઓ, સપનાં અને જવાબદારીઓનું કોઈ મહત્ત્વ નથી.” હવે કોઈ ભવિષ્ય નથી, કોઈ ભૂતકાળ નથી. પૃથ્વી પરની ઇનિંગ્સ સમાપ્ત થઈ રહી છે. *

બધા વિચારો દિમાગ પરથી અદૃશ્ય થવા લાગ્યા છે. સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે કે વિચારોનું આગવું અસ્તિત્વ ત્યાં સુધી જ હતું જ્યાં સુધી ભૌતિક અસ્તિત્વ રહ્યું.

સમગ્ર ચેતના બધી લાગણીઓના કેન્દ્ર એવા હૃદય પર હવે કેન્દ્રિત થઈ છે. પ્રેમ, દયા, ધિક્કાર, વાસના, ક્રોધ, ઉદારતા, કરુણા – બધું મિશ્રિત થઈ રહ્યું છે. લાગણીઓનું ઘોડાપુર ઉમટ્યું છે.

આ હવે છેલ્લી પાર્ટી છે. ઘણી અભિલાષાઓ બાકી રહી ગઈ છે, ઘણાને ઘણી વાતો કહેવાની રહી ગઈ છે, અનેક લાગણીઓ વ્યક્ત કરવાની બાકી રહી ગઈ છે, જીવનસાથીનો આભાર વ્યક્ત કરવાનો બાકી રહી ગયો છે, તેને જાણતાં-અજાણતાં પહોંચાડેલા દુઃખ માટે માફી માંગવાની બાકી રહી ગઈ છે, કોઈ પર ગુસ્સો કરવાનો હતો તે બાકી રહી ગયો છે, જે ફરજો બજાવવાની હતી તેમાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ તેનો અપરાધભાવ પણ સપાટી પર આવી ગયો છે.

આસપાસ એકત્રિત થયેલ લોકોના મત મુજબ તો મૃત્યુ થઈ ચૂક્યું છે, મગજ સંપૂર્ણ ઊર્જા ગુમાવી ચૂક્યું છે, ડોક્ટરોએ ‘ડેડ’ જાહેર કરી દીધેલ છે. એને શું ખબર પડે ! લાગણીઓ તો હજુ ભરી પડી છે.

ખુલ્લેઆમ બધી જ અવ્યક્ત લાગણીઓ વહેવા દઈએ. ત્યાર બાદ તો કોઈ અભિવ્યક્તિ શક્ય નહિ બને. આ જ સમય છે કે જયારે તમામ અભિવ્યક્તિ વિના સંકોચે કરી શકાશે કારણ કે ખુદ સિવાય કોઈ તેને જોઈ શકશે નહિ. અવ્યક્ત ગુસ્સો, પ્રેમ, નફરત, અપરાધભાવના – બધું જ આ મિનિટે જ જે તે વ્યક્તિ સુધી પહોંચાડી દઈએ, અશ્રુધારા થતી હોય તો તે પણ થવા દઈએ, તમામ કડવાશ આજે અનંત બ્રહ્માંડને સમર્પિત કરી દઈએ. કદાચ પુનર્જન્મ લેવાનો હોય તો તે કોઈ યાદો, કોઈ હકારાત્મક કે નકારાત્મક બંધનરહિત હોય તે વ્યવસ્થા આજે જ કરી લઈએ.

આ વિચાર સાથે જ બધી લાગણીઓ સામુહિક રીતે ધીમે – ધીમે હૃદયમાંથી બહાર આવી રહી છે. જયારે સમગ્ર ચેતના જ હૃદયમાંથી બહાર આવી રહી છે ત્યારે ભાવનાઓ શા માટે અંદર રહે? ધીરે-ધીરે ચેતનહીન તો થયા, લાગણીઓથી પણ રિક્ત થઈ ચુક્યા છીએ. હવે છે ફક્ત એક શૂન્યવકાશ.

અત્યાર સુધીમાં શું થયું?

શરીર સંપૂર્ણપણે હળવું બન્યું, વિચારો મગજમાંથી દૂર થયા, છેલ્લે બધી લાગણીઓ અને સંપૂર્ણ ચેતના હૃદયમાંથી બહાર વહી ગયા. હવે પ્રવેશીએ અંતિમ તબક્કામાં.

ત્રીજો તબક્કો.

શરીર પંચ મહાભૂતમાંથી બનેલું છે. પાંચ મૂળ તત્ત્વો એટલે કે જળ,વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. સમય આવી ગયો છે ફરી થી બ્રહાંડના આ તત્ત્વો સાથે ભળી જવાનો.

નજર સમક્ષ તાદ્રશ્ય થઈ રહ્યું છે કે શરીરમાંથી તમામ પાણી બહાર નીકળી રહ્યું છે, બ્રહાંડના જળતત્ત્વમાં, વિશાળ સમુદ્રમાં શરીરનું જળ તત્ત્વ પાછું ભળી રહ્યું છે.

શરીરમાંથી હવા બહાર આવી રહી છે, વાતાવરણમાં ભળી રહી છે, વાયુ તત્ત્વ તેના મૂળભૂત સ્રોત પર બ્રહ્માંડના વાયુ તત્ત્વમાં પાછું જઈ રહ્યું છે .

ઑસ્ટ્રેલિયાના દાવાનળ જેવી ગગનચુંબી અગ્નિજ્વાળાઓ નજર સમક્ષ દેખાઈ રહી છે. શરીરમાંથી અગ્નિનીજ્વાળાઓ બહાર નીકળી રહી છે અને આ વિશાળ અગ્નિમાં સમાઈ રહી છે.

પૃથ્વી તત્ત્વ પણ હવે છૂટું પડી રહ્યું છે , જમીનની અંદર ઉતરી રહ્યું છે.

હવે ફક્ત ધૂંધળું શરીર નજર સમક્ષ છે જે આકાશ તત્ત્વ દર્શાવે છે. એક સુસવાટા સાથે આ ભાગ પણ ઉડ્યો, અનંત આકાશમાં વિલીન થઈ ગયો.

આ સ્થિતિમાં જ થોડી વાર રહીએ. મૃત્યુ પામ્યા છીએ. શરીર પંચતત્ત્વમાં ભળી ગયું છે. વિચારો ચાલ્યા ગયા છે, ઊર્જા પણ જતી રહી છે, લાગણીઓથી પર થઈ ગયા છીએ, રહીસહી લાગણીઓ પણ વ્યક્ત કરી દીધી છે, કોઈ ઈચ્છા જ બાકી નથી, ભૌતિક અસ્તિત્વ દરમ્યાન આજે અહીં જ છૂટી ગયું છે, આત્મા બહાર નીકળી ગયો છે, ઉપર ચક્કર મારી રહ્યો છે, સાંભળેલી વાત યાદ આવે છે કે હજી ત્રણ દિવસ તો આત્મા અહીં જ ફરતો રહેવાનો છે.

શરીર નિષ્ક્રિય, નિર્જીવ, નકામું થઈ ગયું છે, અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે, . આત્મા મૂક પ્રેક્ષક તરીકે બધું જોઈ રહ્યો છે.

સમાપ્તિ

ધ્યાનસત્ર સમાપ્તિનો તબક્કો શરુ થઈ રહ્યો છે. જરા પણ ઉતાવળ કરવાની નથી. પહેલાં હિંમતની કસોટી હતી, હવે ધીરજના પારખાં થશે. જેમ બહુ ફાસ્ટ દોડ્યા હોઈએ તો ધીરે-ધીરે ઝડપ ઘટાડી સ્વાભાવિક થઈએ તેમ અહીં પણ ધ્યાનમાંથી ધીરે-ધીરે બહાર આવવાનું છે. જે કંઈ અત્યાર સુધી કર્યું તેનાથી ઉલટું કરવાનું છે. બહુ જ ટૂંકમાં જોઈએ.

અત્યારે હળવા ફૂલ થઈ ગયા છીએ. મૃત શરીર અહીં પડ્યું છે. અરે, આ શું? આ પ્રભાવશાળી મહાત્મા હાથમાં કમંડળ સાથે કોણ દેખાઈ રહ્યા છે? તેમના મોઢાં પર દૈવી સ્મિત છે, કહી રહ્યા છે, “વત્સ, તેં થોડા સત્કર્મો પણ કર્યા છે, માટે તને ફરી જીવવાની એક તક આપવાની છે.” પાણીની અંજલિ તેમણે જડ શરીર પર છાંટી. ઓહ્હ્હહહ, મૃત શરીરમાં ફરીથી પ્રાણ આવતા હોય તેવું લાગે છે. તાજગી, શાંતિ, ખુશી, સંતોષ, પ્રેમ, કરુણા શરીરના દરેક અંગમાં, સ્નાયુમાં, નસેનસમાં, સમગ્ર ચેતાતંત્રમાં, અણુ એ અણુમાં ફેલાઈ રહ્યા છે.

પંચ તત્ત્વ શરીરમાં એક પછી એક દાખલ થઈ રહ્યા છે જેના સાક્ષી બની રહ્યા છીએ.

શરીરમાં એક નવા જ પ્રકારની પારદર્શક ઊર્જા ધીરે-ધીરે પાછી આવી રહી છે. હૃદયથી શરૂઆત થઈ છે, હૃદય આ દૈવી ઊર્જાથી ભરાઈ ગયું છે. હવે ચહેરો અને માથું, ત્યાર બાદ પેટ, હાથ, પેટથી નીચેના અવયવો, સાથળ, ગોઠણ, તેના પછીનો પગનો ભાગ, છેલ્લે પગનો પંજો અને આંગળીઓ – દરેક જગ્યા પર આ ઊર્જા ફરી વળી છે.

શું થયું ખ્યાલ આવતો નથી. સ્તબ્ધ થઈ આ ગયા છીએ. પુનર્જીવન મળ્યું તે સ્વપ્ન જેવું લાગે છે. હવે એ સમજણ ચોક્કસ આવી ગઈ છે કે નવા જન્મમાં હંમેશા ખુશ રહીશું, બીજાને પણ ખુશી વહેંચીશું; જાતને પ્રેમ કરીશું અને બીજાને પણ. એ ભાન આવી ગયું છે “તમે આમ બોલ્યા હતાં” એમ કહેવાને બદલે “હું આમ સમજ્યો હતો” તે ભાષા જ સાચી છે. પુનર્જીવન મળ્યું છે તો બસ ‘ચાલ જીવી લઈએ.’

પુનર્જન્મ થયો છે કે નહિ તે ચકાસવા ધીરે-ધીરે પગથી શરૂ કરી છેક માથાં સુધીના દરેક અંગને વારાફરતી થોડું-થોડું હલાવીએ છીએ.

અત્યંત ધીરેથી, સાહજીકતાથી આંખો ખોલીએ છીએ. થોડો પણ ફોર્સ નહિ, કોઈ આંચકો નહિ. ડાબી તરફ પડખું ફર્યું, ધીરેથી બેઠાં થયા.

તાત્કાલિક દૈનિક ક્રિયાઓમાં પરોવાઈ જવાને બદલે શરીર અને મગજને શ્રમ ન પડે તે પ્રમાણેની કોઈ પ્રવૃત્તિમાં 5/10 મિનિટ સુધી રહીએ છીએ જેથી વિશેષ લાભ મળી શકે.

ધ્યાનસત્ર અહીં સમાપ્ત થયું. એક નમ્ર સૂચન. અહીં દર્શાવેલ પદ્ધતિ વ્યવસ્થિત સમજી એ પ્રમાણે ધ્યાન કરીશું તો એક અતિ ઉચ્ચ અનુભવ થઈ શકે છે. કોઈ મુદ્દો ચૂકાઈ ન જાય તે માટે એક વાર જે કઈ કરવાનું છે તે બધી સૂચનાઓ રેકોર્ડ કરી ધ્યાન કરીશું તો કદાચ વધુ ગહન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થઈ શકશે.

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

લેખ 38 : મૃત્યુનું ધ્યાન – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

કુંડલિની, ચક્રો, ધ્યાનના ફાયદાઓ, આ વિષેની ભ્રમણાઓ, ધ્યાનના અનુભવો વિગેરે વિષે ચર્ચા કર્યા પછી હવે વિવિધ ધ્યાન પદ્ધતિઓ વિષે ચર્ચા કરીશું.

દરેક વ્યક્તિને ખબર છે કે મૃત્યુ આવવાનું છે, આવ્યા છીએ તો જવાના પણ છીએ. ક્યારે જવાનું છે તેમાં અનિશ્ચિતતા હોઈ શકે. ફાંસીની સજા થઈ હોય તો પણ અનિશ્ચિતતા હોય તે નિર્ભયા કેઈસ દ્વારા જોવા મળી રહ્યું છે. અનેક સવાલો લોકોનાં મનમાં ઉઠતા હોય છે જેમ કે મારું મૃત્યુ ક્યારે આવશે, મૃત્યુ પછી શું થતું થશે વિગેરે. મૃત્યુનો ડર પણ મોટા ભાગના લોકોને હોય છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં ઉભું થયેલું વાતાવરણ તેની સાબિતી આપી રહ્યું છે. આ સંજોગોમાં મૃત્યુનો અનુભવ ખરેખર મૃત્યુ પામ્યા વગર લઈ શકાય તો કેવું સારૂં!!!

હવે જે પ્રકારનું ધ્યાન સમજવાના છીએ તેના દ્વારા શીખી શકાશે કે મૃત્યુ પહેલાં મૃત્યુનો અનુભવ કઈ રીતે લેવો.

એક વિશિષ્ટ ધ્યાન – મૃત્યુ પહેલાં મૃત્યુ.

એક અત્યંત સરળ પદ્ધતિ છે આ. ‘મૃત્યુ પહેલાં મૃત્યુ’ નામ કદાચ કોઈને ડરામણું લાગી શકે. પરંતુ ખરેખર તો શરીરનો સંપૂર્ણ કાયાકલ્પ કરી શકે તેવી શક્તિશાળી યોગિક પ્રક્રિયા છે આ. મૃત્યુ થયા વગર તેનો અનુભવ કરાવે તે ફાયદો તો અલગ.

મૃત્યુ સાથે જ શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ જશે, આત્મા ક્યાં ફરવા જશે તે વિષે ધારણાઓ જ કરવાની છે. આત્મા એટલે કે આંતરિક ચેતનાનું અસ્તિત્વ છે અને મૃત્યુ પછી શરીરમાંથી એ બહાર નીકળે છે તે તો રસિયાના ડો.કૉરોટકોવના GDV કેમેરા દ્વારા થયેલા પ્રયોગોમાં સાબિત થઈ ચૂક્યું છે. વિશેષ જાણકારી માટે

https://www.learning-mind.com/scientist-photographs-the-so…

પર જઈ શકો છો. ડૉ.કૉરોટકોવનો ઇન્ટરવ્યૂ પણ

પર જોઈ શકો છો. પરંતુ આત્મા બહાર નીકળ્યા બાદ ક્યાં ફરવા નીકળી પડે છે તે ફક્ત કલ્પનાનો વિષય છે. તે જ પ્રમાણે કલ્પના એટલે કે Visualization પ્રક્રિયા દ્વારા આ ધ્યાન કરવાનું રહેશે. કલ્પના જ ભવિષ્યની વાસ્તવિકતા બને છે. તમામ વર્તમાન વૈજ્ઞાનિક શોધ એક સમયે કલ્પના હતી, શેખચલ્લીના વિચારો જેવી હતી અને અંતમાં વાસ્તવિકતામાં પરિણમી. તે જ પ્રમાણે આજની અનેક કલ્પનાઓ એવી હોઈ શકે કે જે ભવિષ્યની વાસ્તવિકતા બને. ચંદ્ર કે મંગળ પર પગ મુકવો તે પણ એક સમયે કલ્પના જ હતી ને! આ ધ્યાનમાં જે કલ્પના અથવા ધારણા કરીશું તે પણ ભવિષ્યની વાસ્તવિકતા હશે, ભલે પછી તે અવાંછિત કે અણગમતી હોય.

કલ્પનામાં અપાર શક્તિ છે. વર્તમાન સમયમાં પ્રચલિત સારવારની અનેક પદ્ધતિઓમાં વિઝ્યુઅલાઈઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. હિપ્નોથેરાપીમાં પણ કલ્પનાશક્તિ પર જ આધારિત છે, અનેક બુદ્ધિસ્ટ ધ્યાન પદ્ધતિઓ પણ તેના પર આધારિત છે. આ પદ્ધતિઓ પર ભવિષ્યમાં ચર્ચા કરીશું. તે પહેલાં કલ્પનાશક્તિનો પ્રભાવ સમજવા માટે થોડી વિગતવાર વાત કરીએ.

એક નાનો પ્રયોગ ગંભીરતાપૂર્વક કરીને જોઈશું, પોતાની જાતને પૂર્ણ રીતે આ કલ્પનામાં વહેવા દઈ આ પ્રયોગ કરીશું.

આંખ બંધ કરી ધારણા કરીએ કે ભૂખ બહુ લાગી છે. આકુળવ્યાકુળ થઈ જઈએ તેવી ભૂખ લાગી છે. પેટમાં કૂતરાં-બિલાડાં બોલી રહ્યા છે. એક મિનિટ પણ રાહ જોઈએ શકાય તેમ નથી. અચાનક કોઈ ગેબી અવાજ સંભળાયો “હે વત્સ, સ્વિટ્ઝર્લેન્ડથી લાવેલી બધી ચોકલેટ્સ તો ફ્રીઝમાં જ ભરી છે.” તમે ફ્રીઝ પાસે પહોંચ્યા. ફ્રીઝ ખોલ્યું. Oh My God, તમને ભાવતી બધી જ બ્રાન્ડની અને સ્વાદની ચોકલેટ્સ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે. તમે તરત તમારી સૌથી માનીતી બ્લેક ચોકલેટનો બાર બહાર કાઢ્યો જેનું રેપર પણ તમને બહુ પસંદ છે. ફ્રીઝમાં ઠંડી થઈ ગયેલી ચોકલેટનો સ્પર્શ થયો, આંખો ચમકી ઉઠી અને અને શરીરમાં એક ‘આહ’ ઉઠી. રેપર એટલું સુંદર છે કે એ દૂર કરતી વખતે તમને હંમેશ મન થાય છે કે એ સાચવી રાખું. આ ચોકલેટની એક વિશિષ્ટ સુગંધ છે જે તમને બહુ જ ગમે છે. તમે રેપર ખોલ્યું. ચોકલેટનો બાર જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. અત્યંત ભૂખ લાગી હોવા છતાં પહેલાં તો એ સુગંધ લીધી. હવે એક નાનું બાઈટ લઈ ચોકલેટનો સ્વાદ લીધો. એવી મજા પડી ગઈ કે મોઢા પર પણ નાના બાળક જેવો જ આનંદ તરવરી ઉઠ્યો. ભૂખ અત્યંત લાગી હોવા છતાં આ સ્વાદ મમળાવવો છે. માટે ધીરે-ધીરે ખાઈ રહ્યા છો. જે ખાવામાં ૨/૩ મિનિટ લાગે તે ચોકલેટ ખાવામાં અત્યંત ભૂખ લાગી હોવા છતાં તમે ૧૦ મિનિટ લીધી.

આ ક્ષણે, જો તમે તમારી કલ્પનાનો સારી રીતે ઉપયોગ કર્યો હશે (અને ચોકલેટ ખરેખર તમને પસંદ હશે) તો તમારા મોંમાં પાણી આવું ગયું હશે. થોડી વાર માટે ખરેખર એ ચોકલેટ તમારી પાસે છે અને તમે ખાઈ રહ્યો છો તેવો અનુભવ થયો હશે. માત્ર શબ્દો પણ લાળ ગ્રંથીઓને અસર કરે છે, તે શબ્દો કે જે વાસ્તવિકતા ન પણ હોય. માત્ર કલ્પના જ હોય. જ્યારે ચોકલેટ વિશેના તે શબ્દો વાંચતાં હતાં ત્યારે તમે તમારાં મગજને કહેતા હતા કે તમારી પાસે એક ચોકલેટ છે. ખરેખર તમારી પાસે ચોકલેટ નથી. આમ છતાં મગજે તેની ગંભીરતાથી નોંધ લીધી અને તમારી લાળ ગ્રંથીઓને કહ્યું, “આ વ્યક્તિ ચોકલેટ ખાઈ રહી છે, તેને તેનો આનંદ લેવા દો.” શબ્દો અને વિચારોની ગાઢ અસર તન-મન પર છે જે વિષે અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ ઉલબ્ધ છે જેના વિષે લેખ ક્રમાંક ૧૧ દરમ્યાન ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

કલ્પના કરતી વખતે જેટલી વધુ જ્ઞાનેન્દ્રીયોને કામે લગાડી શકીએ તેટલી કલ્પના વધુ વાસ્તવિક બને. જેમ કે ઉપરોક્ત ઉદાહરણમાં આંખ, કાન, ત્વચા, જીભ,અને નાક એમ તમામનો ઉપયોગ થયો છે.

મૃત્યુ ધ્યાન (ડેથ મેડિટેશન):

યોગાસનોનો અભ્યાસ કર્યો હશે તે લોકો શબાસનથી જરૂર પરિચિત હશે જ. આ ધ્યાનનો શરૂઆતનો તબક્કો તેને મળતો આવે છે. શબાસન કોઈ દિવસ ન કર્યું હોય તો પણ અત્યંત સરળતાથી આ ધ્યાન શીખી શકાશે. કલ્પનાશક્તિ જેટલી સારી તેટલું વધારે સારી રીતે ધ્યાન થશે.

માનસિક શ્રમ કરતાં લોકો, વિદ્યાર્થી વિગેરેને આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક રહેશે. અનુભવ દ્વારા જાણવા મળશે કે કે તન-મનમાં નવી ઊર્જાનું રિચાર્જિંગ થાય છે. ૩૦ મિનિટ કે ૧ કલાક જે કંઈ સમય આ માટે ફાળવેલો હશે તે એક અત્યંત ફળદાયી રોકાણ રહેશે, સોનાની લગડી સાબિત થશે, તાજેતરમાં જ બંધ થઈ ગયેલી બેન્કમાં મુકેલી ડિપોઝિટ જેવું નહિ.

પ્રાથમિક તૈયારી:

સમય:

વહેલી સવાર આ માટેનો શ્રેષ્ઠ સમય છે. તે શક્ય ન જ હોય તો મોડી સાંજે કરવું હિતાવહ રહેશે. મોડી સાંજે કરવામાં કદાચ એવું બને કે દિવસભરના શ્રમ પછીનું થાકેલું શરીર નિદ્રાધીન (ચિરનિદ્રાધીન નહિ) થઈ જાય.

સ્થાન:

એક અલગ બંધ રૂમ આ માટેનું આદર્શ સ્થાન રહેશે. પરિવારજનો, મિત્રો, ફોન, – કોઈ પણ રીતે ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત કરીશું તો વ્યવસ્થિત રીતે ધ્યાન થઈ શકશે. જેમ-જેમ ધ્યાનમાં ઊંડા ઊતરીશું તેમ-તેમ નાનામાં નાનો અવાજ પણ ખલેલ પહોંચાડી શકે.

પોશાક:

દિગંબર અવસ્થા આ માટેનો આદર્શ પોશાક છે. દરેક કપડાંમાં વિચારોની ઊર્જા છે જેનાથી ધ્યાન સમયે દૂર રહી શકાય તો સારૂં. ઠંડી લાગતી હોય તો (અને તો જ) ચાદર ઓઢી શકાય. જો સંજોગો અનુકૂળ ન હોય અથવા તો આ અવસ્થા માટે ખુદનો જ માનસિક સંકોચ હોય તો રોબ અથવા ગાઉન જેવા અતિ આરામદાયક કપડાં પહેરી શકાય. તંગ કપડાં, આંતરવસ્ત્રો, બેલ્ટ વિગેરે ચોક્કસ રીતે ધ્યાન માટે બાધારૂપ છે.

આસન:

મૃત્યુ વખતની સ્થિતિ એટલે કે શબાસનની સ્થિતિમાં આ ધ્યાન કરવાનું રહેશે. જેટલી સખત સપાટી પર કે જમીન પર સુઈ શકાય તેટલું વધુ સારૂં. નરમ ગાદલું આ માટે યોગ્ય ન કહી શકાય. જમીન પર બ્લેન્કેટ પાથરીને સુઈ શકાય જેથી શરીરને તકલીફ ન પડે અને કડક સપાટીનો લાભ પણ મળે.

પ્રક્રિયા – તબક્કો ૧.

ઉપર દર્શાવ્યા મુજબ શબાસનમાં શરીરને ગોઠવવાનું છે એટલે કે પગને થોડા ઢીલા અને ખુલ્લા રાખવાના છે, પગના પંજા બહારની દિશામાં શિથિલ કરીને રાખવાના અને હથેળી આકાશ તરફ રહે તેમ શરીરની બંને બાજુ શરીરથી થોડી દૂર રહેશે. આંખો બંધ કરી થોડા ઊંડા શ્વાસ લઈશું. આ દરમ્યાન શ્વાસ કઈ રીતે આવ્યો અને કઈ રીતે બહાર નીકળ્યો, તે દરમ્યાન કેટલી વાર અંદર રોકાયો તે બધી વાતોનું માનસિક અવલોકન કરીશું.

શ્વાસ લઈશું ત્યારે એક પગના પંજાને દૂર સુધી લઈ જવાની કોશિશ કરીશું, જાણે કોઈ પગ પકડીને ખેંચતું હોય તે પ્રમાણે ખેંચાણ આપીશું, પંજાને વાળી ઉપર સુધી લઈશું, પંજાને નીચે તરફ પણ લઈ જઈશું. શ્વાસ થોડી વાર અંદર રોકી એ ખેંચાણનો પૂર્ણ અનુભવ લેવાનો છે. ત્યાર બાદ શ્વાસ બહાર કાઢીએ ત્યારે સ્નાયુઓને ઢીલા છોડીશું. પંજા પર તથા ગોઠણથી નીચેના ભાગમાં આરામ મેહસૂસ થશે. ત્યાર બાદ આ જ પ્રક્રિયા ગોઠણ પર અને સાથળ પર કરવાની છે. એક પગ પર આ પ્રક્રિયા કર્યા બાદ બીજા પગ પર પણ આ જ પ્રમાણે કરવાનું છે.

પગ બાદ શિવની(Perineum) એટલે કે બંને પગ જ્યાં જોઈન થાય છે તે ભાગના સ્નાયુઓ આ પ્રમાણે ખેંચી, થોડી વાર ખેંચાણ અનુભવ્યા બાદ છોડવાના છે. આ ક્રિયાને યોગશાસ્ત્રની ભાષામાં મૂલબંધ કહે છે.

આ પછી હાથનો વારો. એક પછી એક બંને હાથની આંગળીઓ, અંગૂઠા, મુઠ્ઠી, કાંડાં, કોણી, હાથનો ઉપરનો ભાગ અને ખભાને ક્રમશ: કડક કરીને ઢીલાં છોડીશું.

આ પ્રકારની જ પ્રક્રિયા નાભિથી નીચેના પેટના ભાગ પર કરીશું. ખેંચીશું અને ઢીલું મુકીશું. ત્યાર બાદ છાતીનો વારો. શ્વાસ ભરી છાતી પહોળી કરીશું અને પછી ઢીલી છોડીશું.

હવે પહોંચ્યા ચહેરા પર. એક પછી એક સ્નાયુઓને ખેંચાણ આપીને છોડવાનો પ્રયાસ કરીશું. ખ્યાલ આવશે કે અજાણતાં જ અને અર્થહીન રીતે આ સ્નાયુઓ કેટલા બધા કડક રાખીએ છીએ. દિવસ દરમ્યાન પણ જયારે યાદ આવે ત્યારે ચહેરાના સ્નાયુઓ પર ધ્યાન લઈ જઈશું તો ખ્યાલ આવશે કે અકારણ જ આ સ્નાયુઓને કેટલા તંગ રાખીએ છીએ.

આ સંપૂર્ણ પ્રક્રિયા બાદ શરીર અત્યંત રાહત અનુભવશે. મન પણ હળવું થઈ જશે. ધ્યાનનો આ માત્ર તૈયારીઓનો તબક્કો છે. સાચું ધ્યાન તો હવે શરૂ થશે. એક વખત પહેલા તબક્કાનો સાર અત્યંત ટૂંકમાં અહીં સમજી લઈએ.

આપણે શું કર્યું?

વહેલી સવારનો સમય પસંદ કર્યો.

કપડાં ન પહેર્યાં અથવા બને તેટલાં ઓછાં પહેર્યા,

કડક સપાટી પર શરીર એ સ્થિતિમાં ગોઠવ્યું કે જે પ્રમાણે મૃત્યુ વખતે શરીર રાખવામાં આવે છે.

થોડા ધીરા શ્વાસ સાથે શરીરને શાંત કર્યું.

ઊંડા શ્વાસ લઈ સાથે-સાથે વિવિધ સ્નાયુઓ ખેંચ્યા, શ્વાસ થોડી વાર રોકી ખેંચાણ અનુભવ્યું અને શ્વાસ છોડતી વખતે સ્નાયુઓને ઢીલા કર્યા.

* આ સ્થિતિમાં થોડી વાર રહ્યા.*

અહીં આજનો લેખ પૂરો કરું છું. બીજા તબક્કો થોડો વિગતે ચર્ચા માંગી લે તેવો છે જે

આ પછીના લેખમાં જોઈશું.

ક્રમશ:

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Blog at WordPress.com.