Posts Tagged With: સ્નેહ

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૪

વિધ વિધ રંગો


વિવિધ રંગો જ્યારે જુદા જુદા પડ્યા હોય ત્યારે તેમનું અસ્તિત્વ તો હોય છે પણ તેમાંથી રંગોળી નથી બનતી. તેવી રીતે પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજસ અને તમ ત્રણે ગુણો જ્યારે તેમની સામ્ય અવસ્થામાં હોય છે ત્યારે પ્રકૃતિ અવ્યક્ત દશામાં છે તેમ કહેવાય. તેવે વખતે સૃષ્ટિનો આવિર્ભાવ નથી હોતો.


રંગોળી સૂર્યપ્રકાશમાં


આસ્થાને રંગોળી કરવાની ઈચ્છા થઈ તો તેણે એક સરસ રંગોળી બનાવી. તેવી રીતે સૃષ્ટિ કર્તા ઈશ્વરને જ્યારે સૃષ્ટિ રચના કરવાની ઈચ્છા થાય ત્યારે તે પ્રકૃતિના ગુણોમાંથી સૃષ્ટિનું સર્જન કરે. આસ્થાએ આ રંગોળી મહેમાનો અને દર્શકોના મનોરંજન માટે બનાવી છે તેવી રીતે ઈશ્વર જીવોના ભોગને માટે આ સૃષ્ટિની રચના કરે છે.

રંગો મેળે મેળે ગોઠવાઈને રંગોળી બની શકતાં નથી તેમ પ્રકૃતિના ગુણો આપમેળે સંયોજાઈને સૃષ્ટિની રચના કરી શકતાં નથી. આસ્થાની ઈચ્છા, ક્રીયા અને જ્ઞાનથી રંગોળી બની તેવી રીતે ઈશ્વરની ઈચ્છા, ક્રીયા અને જ્ઞાનથી સૃષ્ટિ બને છે.


તેની તે રંગોળી દિપકના અજવાસમાં


પરમેશ્વરની આ અદભુત રચના સમ સૃષ્ટિનું આપણે સુપેરે જતન કરીએ..

પરસ્પર પ્રેમ અને સદભાવથી જીવીએ…

દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..


Categories: ઉત્સવ | Tags: , , , , | 4 Comments

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૩

મિત્રો,

બ્લોગજગતમાં ચારે તરફ દિવાળીનું માહોલ છવાઈ ગયું છે. ક્યાંક વીરરસ છલકાઈ રહ્યો છે. ક્યાંક વેપારીઓની બોલબાલા છે. કેટલાક લોકો લેખ કે કાવ્યો લખીને ફટાકડા ફોડી રહ્યાં છે. લેખ ન લખી શકે તે મેગેઝીન બહાર પાડીને તેમનીય આસપાસ લેખકોની હયાતી છે તેવું આવેશ પૂર્વક જણાવી રહ્યાં છે. આમાં બીચારા પરાણે કે જોરજુલમથી સ્વચ્છ્તા જાળવતા શૂદ્રોને તો આપણાં દેશમાં કોણ પુછે? તેઓ બીચારા દિવાળી પછી બોણી માગવા આવશે તોયે મોટા ઘરના શેઠીયાઓ તેમને હડધૂત કરશે.

નવરાત્રીમાં ઘાઘરા પહેરીને ઝુમી લીધું હોય તો હવે ઘુઘરા ખાવાનો સમય આવી ગયો કે નહીં?

પહેલા પુરી વણો


તેમાં પૂરણ ભરો (રેસીપી માટે પ્રજ્ઞામા ને પુછવું)


હવે કાંગરી વાળો


કાચા ઘુઘરા તૈયાર


એ આતા – હાલો ઘુઘરા ખાવા


ઘુઘરાની મજા – ખાઓ તો જાનો

Categories: ઉત્સવ | Tags: , , , , | Leave a comment

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૨


લ્યો રંગોળી તૈયાર

પપ્પા આ શું? હજુ તો અડધી રંગોળી બનાવી છે અને તમે બ્લોગ પર મુકી દિધી?

બેટા મને એમ કે તે આટલી રંગોળી જ બનાવી છે.

ના પપ્પા હજુ તો તેમાં રંગો પુરવાના બાકી છે.

સારુ તો તું રંગો પુરી દે પછી પાછા બ્લોગ પર અપડેટ મુકી દેશું.

કવિની મોટી બહેનના દિકરા કવનને CAની પરીક્ષા આપવાની છે તેથી મા-દિકરો ભાવનગર આવી ગયાં છે. મોટા સેન્ટરોમાં પરીક્ષા કેન્દ્ર દૂર હોય વળી ટ્રાફીકની સમસ્યાને લીધે પરીક્ષાના સ્થળે પહોંચતા ખુબ સમય લાગે. હવે મોટા સેન્ટરોના વિદ્યાર્થીઓ નાના સેન્ટરોમાં પરીક્ષા આપવાનું પસંદ કરે છે. એક તો પરીક્ષા કેન્દ્ર નજીક હોય અને વાહનોની ભીડ પ્રમાણમાં ઓછી હોય.

દિવાળીમાં ફરશી પુરી, સેવ, ચેવડો બનાવવા માટે કવિને તેના કીરણબહેનની મદદ મળી ગઈ. મેં મજાક કરતાં કહ્યું કે ૨૧મી સદીમાં યે શું આ બધું ઘરે બનાવવાનુ? ત્યાં તો બા તાડૂક્યા – હવે જોઈ તારી ૨૧મી સદી. ઈસ્વીસન કે વિક્રમ સંવત નહોતી ઈ પહેલાના આપણે દિવાળી ઉજવતા આવ્યાં છીએ. ઘરે જે બને તે ચોક્ખુ બને. બહારથી ભેળસેળીયું લાવીએ તો તમેય માંદા પડો અને મહેમાનની તબીયત પણ બગડે. બાનો પુણ્ય પ્રકોપ જોઈને હું ધીરે રહીને ત્યાંથી સરકી ગયો.


આ રહી અપડેટેડ રંગોળી


મધ્યમ વર્ગને પોસાય તેવી મધ્યમ રોશની


Categories: ઉત્સવ | Tags: , , , , | 2 Comments

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૧

મીત્રો,

વિક્રમ સંવત ૨૦૬૮ વિદાય લેવાની તૈયારીમાં છે. આપણે ત્યાં તો જાય ત્યારેય આવજો અને આવે ત્યારેય આવજો – કેમ ખરુંને? આપણાં દેશના સહુથી મોટા પર્વને ઉજવવાનો ઉલ્લાસ નાના મોટા સહુને હોય છે. આસ્થાને આ વર્ષે દસમા ધોરણના અભ્યાસની જવાબદારી એટલે મોટી રંગોળી કરવાનો સમય મેળવવો અઘરો તોયે રંગોળી કર્યા વગર તો કેમ ચાલે?

ઝાડુ આપો તો અમે વાળીએ


ગેરુ આપો તો ભોંય રંગીએ


રંગો આપો તો રંગ પુરીએ


લ્યો રંગોળી તૈયાર


પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સ્નેહ અને ઉલ્લાસનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ…..

Categories: ઉત્સવ | Tags: , , , , | 4 Comments

શુભ દીપાવલી

મીત્રો,

વિક્રમ સંવત ૨૦૬૭ જ્યારે વિદાય લઈ રહ્યું છે અને આ સંવતના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સહુને માટે આ પ્રકાશનો તહેવાર ઉત્સાહ, આનંદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ વર્ષે આપણે ઘણું ઘણું નવું શીખ્યા. એક બાબતને અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જોતા શીખ્યા. એક ઘટના કેટલાક લોકો માટે સારી હોય તો તેની તે ઘટના અન્ય લોકો માટે વજ્રઘાત સમાન બની હોય તેવું યે બને.

વાસ્તવમાં કુદરતની કુલ શક્તિનો સરવાળો હંમેશા અચળ રહે છે. દ્રવ્ય અને શક્તિનું માત્ર એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતર થાય છે. આપણે જેટલા વધારે સંકુચિત હોઈએ તેટલું આપણને આ સ્થળાંતર વધારે અસર કરે અને જેટલા વિશાળ હ્રદયના તેટલું આ સ્થળાંતર આપણી પર ઓછી અસર કરશે.

આજે શ્રી રામકૃષ્ણ આશ્રમના પ્રવર્તમાન અધ્યક્ષ સ્વામી શ્રી ધૃવેશાનંદજી મહારાજ ભાવનગરના ભક્તોને મળવા આવ્યા હતા. તેઓ આવતી ૯મી તારીખે બાંગ્લાદેશ શ્રી રામકૃષ્ણ આશ્રમનું અધ્યક્ષ પદ સંભાળવા જશે અને રાજકોટમાં નવા અધ્યક્ષ આવશે. જે લોકો માત્ર પોતાને રાજકોટના માને છે તેમને માટે ધ્રુવેશાનંદજીની ખોટ અને બાંગ્લાદેશના ભક્તોને ધ્રુવેશાનંદજીની હાજરી અનુભવાશે. જે લોકો પોતાને સમગ્ર વિશ્વના સમજે છે તેમને માટે સ્વામી શ્રી નું સ્થળાંતર કશી અસર નહી ઉપજાવે કારણકે તેમને માટે સ્વામીજી કોઈ આશ્રમના નથી પરંતુ પોતાના દિલના એક ટુકડા છે.

આપણા બ્લોગ જગતમાં આપણે કેટ કેટલી વિવિધ પૃષ્ઠભુમીમાંથી આવીએ છીએ. જુદા દેશ, જુદા સમય, જુદી રહેણી કરણી અને અનેક પ્રકારની ભીન્નતા આપણી વચ્ચે હોવા છતાં આપણે અહીં સહુ એક પરિવારના બની ગયા છીએ. આપણે સહુ એક બીજાની લાગણી સમજીએ છીએ, એક બીજાના ભાવને અનુભવીએ છીએ. જેવું વાસ્તવિક જગત હોય તેવું જ જાણે કે એક બ્લોગ જગત બની ગયું હોય તેમ નથી લાગતું?

ગુજરાતી બ્લોગ જગત અહીં સુધી પહોંચતા ઘણી કઠીનાઈઓમાંથી પસાર થયું છે. ક્યારેક સંઘર્ષ થયા છે, ક્યારેક મન દુ:ખ થયા છે, ક્યારેક ગેર સમજ થઈ છે તેમ છતાં એકંદરે આપણે સહુ સુમેળથી હળી મળીને રહ્યાં છીએ અને આનંદ અને ઉત્સાહથી બ્લોગ જગતને માણ્યું છે.

આવનારા દિવસોમાં આપણે બ્લોગ-જગતને એક નવી ઉંચાઈએ લઈ જઈએ, એક બીજા સાથે સૌહાર્દતાપૂર્ણ રીતે વર્તીએ, એક બીજાને મુશ્કેલીમાં સહાયરુપ થઈએ અને એક સ્વસ્થ અને સક્ષમ બ્લોગ-જગત વિકસાવીએ તેવી અભ્યર્થના સાથે વીરમું છું.

આપનો સહ્રદયી,

સસ્નેહ

અતુલ જાની – આગંતુક

Categories: ઉત્સવ, ઉદઘોષણા, ઊજવણી | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.