Posts Tagged With: સાતત્ય

સાતત્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૮)


ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય
માલી સીંચે કેવડા, ઋતુ આયે ફલ હોય

ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય

વૈજ્ઞાનિકો કહે છે કે અબજો વર્ષથી પ્રકૃતિમાં ચાલી આવતી વિકાસની પ્રક્રીયાને અંતે આજે જીવ આજના મનુષ્યત્વ સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થીઓ સતત અને રોજે રોજ અભ્યાસ કરતાં કરતાં એક દિવસ વિદ્યાભ્યાસમાં પારંગત બની જાય છે. બાળક રોજ રોજ વિકસે છે અને ક્યારે યુવાન બની જાય છે તે ખબર નથી પડતી. યુવાન ધીરે ધીરે આધેડ, આધેડ વૃદ્ધ અને છેવટે આ જગને અલવિદા કરી દે છે તે દરમ્યાન પ્રકૃતિ રોજે રોજ તેના શરીરના પરમાણુંઓમાં ફેરફાર કરે છે. પ્રકૃતિ નિરંતર પરિવર્તન પામતી રહે છે. તેના નિયમોમાં સાતત્ય છે.

જે વ્યક્તિ પ્રકૃતિ સાથે તાલમેલ મીલાવી શકે તે પ્રકૃતિ પાસેથી મહત્તમ મેળવી શકે છે. સુર્યોદયથી શરુ કરીને રાત્રીના ગાઢ અંધકાર સુધી પ્રકૃતિમાં કેટલા બધાં પરિવર્તનો આવે છે. સતત પરિવર્તન પામતી હોવા છતાં તેને આશરે રહેલા જીવોને કશીએ અગવડ ન પડે તેમ તે એકધારું કાર્ય કરતી રહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે. સુર્ય ઉર્જા વહાવતો રહે છે. ગ્રહો ઘુમતા રહે છે. તારલાઓ પોતાના અસ્તિત્વને સસ્મિત ચમકાવતા રહે છે. ઉષાથી લઈને સંધ્યા સુધીમાં પ્રુથ્વીના પરિવર્તનને લીધે સુર્ય જાણે કે અનેક રંગો બદલતો કાંચીડો હોય તેવો ભાસ ઉભો થાય છે. છેવટે ફરતી ફરતી પૃથ્વી સુર્યથી વિમુખ થઈ જાય છે ત્યારે ઘનઘોર રાત્રીમાં અંધકારની ગર્તામાં ડુબેલી ધરાને ચાંદો અને તારાઓ સ્મીત રેલાવતાં કહે છે કે પૃથ્વીબહેન આખા દિવસની તમારી આ ચમક દમક તો સુર્યને લીધે હતી તે સમજી ગયા કે નહીં?

જ્ઞાન મેળવવું હોય કે ધન, ઐશ્વર્ય જોઈતું હોય કે શાણપણ, પ્રતિષ્ઠા જોઈતી હોય કે નીષ્ઠા – કાઈ પણ પ્રાપ્ત કરવું હશે તો સતત એકધારું કાર્ય કરવું પડશે. રાતો રાત કોઈને સિદ્ધિ કે પ્રસિદ્ધિ મળતી નથી.

એક એક જન્મદિવસ ઉમેરાતા જાય તેમ તેમ જીવનમાં એક એક વર્ષ ઉમેરાય છે. જે બાળક નાનો હોય ત્યારે નાનક્ડો દડોયે ફેંકી શકવાની ક્ષમતા ન ધરાવતો હોય તે અભ્યાસથી મોટા વોલીબોલને ફંગોળી શકવાને શક્તિમાન થઈ જાય છે. અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ – અભ્યાસ એક જ સર્વ પ્રગતિનું રહસ્ય છે. કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ આવવું હશે તો એકધારા અને સતત અભ્યાસનો કોઈ વિકલ્પ નથી. અભ્યાસ કરતાં કરતાં સાધક સિદ્ધ બની જાય છે, નાનકડો વેપારી મોટો ધનપતિ બની જાય છે. સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલ વ્યક્તિ પોતાની નિષ્ઠા અને સાધનાથી રાજ્યનો મુખ્યમંત્રી કે દેશનો વડાપ્રધાન બની શકે છે. તેવી જ રીતે પદ કે પ્રતિષ્ઠા કે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી જે ગાફેલ રહે છે તેમની અધોગતી થતાંયે વાર નથી લાગતી.

શ્રી રામકૃષ્ણ પરમહંસ રોજ સાંજે ભગવદ ભજનમાં તરબોળ થઈને ભાવમાં લીન થઈ જતાં. તોતાપુરીજી પાસેથી તેમને બ્રહ્મની અદ્વૈત અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી. તેમ છતાં તેઓ સાંજે નિયમિત ભજન કરતાં. એક દિવસ તોતાપુરી કહે છે કે હવે તો તને સર્વોચ્ચ અનુભૂતી થઈ ગઈ છે પછી શા માટે આ તાળી પાડીને રોટલા શેકે છે? ત્યારે શ્રી રામકૃષ્ણ સસ્મિત કહેતા કે લોટાને રોજ રોજ માંજવો જોઈએ નહીં તો તેના પર મેલ જામી જાય. તેવી રીતે સર્વ સફળ મનુષ્યો સફળતા મળ્યાં પછીએ પોતાની સાધના અવિરત ચાલુ રાખતા હોય છે.

જગતમાં જેટલીએ સફળ વ્યક્તિઓ છે તેના જીવનનો અભ્યાસ કરશું તો જણાશે કે તેમણે કરેલો એકધારો સતત પુરુષાર્થ જ તેમને સિદ્ધિ અપાવવામાં સહાયરુપ બન્યો છે.

મિત્રો, આપણે પણ આ સાતત્યના ગુણને આપણાં જીવનમાં ઉતારીને સફળતાં પ્રાપ્ત કરશુંને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

સાતત્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૫)


હજારો માઈલોની મુસાફરી શરુ થાય છે માત્ર એક કદમથી.

સાતત્ય – સાતત્ય કેટલું જરૂરી છે જીવનમાં તે સમજાવવાની કોઈ જરૂર છે ખરી? શ્વાસ અને ઉચ્છવાસ જો સતત ન ચાલે તો? પૃથ્વી જો પોતાની ધરી ફરતે અને સુર્ય ફરતે સતત ન ફરે તો? શરીરની નસ-નાડીઓમાં લોહી સતત ન ધબકે તો? એક વખત વિમાન આકાશમાં ઉડ્યા પછી સતત ન ઉડે તો? આના જવાબો આપવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે જાણીએ છીએ કે જે પ્રક્રીયા સતત ચાલવી જોઈએ તે ન ચાલે તો પ્રણાલી અટકી જાય, વ્યવહાર થંભી જાય, ઉલ્કાપાત સર્જાઈ જાય.

જીવનના દરેક ક્ષેત્રમાં સાતત્ય જરૂરી છે. એક બાળક ભણવા બેસે પછી તેણે નીયમીત ભણવું જોઈએ – નહીં તો ઘર કામ ચડી જાય, પાકી નોટ પુરી કરવાની રહી જાય અને નાનકડું બાળક તણાવ જ તણાવ અનુભવે. વાહન ચાલક ગંતવ્ય સ્થાને પહોંચ્યા પહેલા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઉભો રહે, આમ તેમ ભટક્યા કરે તો તે ગંતવ્ય સ્થાને ક્યારે પહોંચે? ધ્યેય પ્રાપ્તિ માટે તો ચોક્ક્સ દિશા અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડી જ રહેવું પડે. મોટા ભાગના લોકો ઉઠે છે, જાગે છે અને પાછા સુઈ જાય છે. પરંતુ જો જાગત હે સો પાવત હે – જો સોવત હે સો ખોવત હે તે તો આપણે બધા કુદી કુદીને ગાઈએ છીએ અને છતાં ગાનારાઓમાંથી કેટલાયે પ્રાપ્તિ કરી તે યક્ષ પ્રશ્ન તો ઉભો જ રહે છે.

કોઈ એક દાદર ચડવો હોય તો તેના નાના નાના પગથીયાં એક પછી એક ચડતાં જઈએ અને પહોંચી જઈએ આપણે ઉપરના માળે – કુદકો મારીને દાદરો ન ચડી શકાય – એક એક પગથીયું જ ચડવું પડે. તેવી જ રીતે નોકરી કરનારે નીયમીત નોકરીએ જવું જોઈએ, વેપાર કરનારે નીયમીત વેપાર કરવો પડે, અભ્યાસ કરનારે સતત અભ્યાસ કરવો પડે, વૈજ્ઞાનિકે સતત પ્રયોગો કરવા જોઈએ, ડોક્ટરે નીયમીત સારવાર કરવી જોઈએ (કામના સમયે કવિતાઓ રચવા બેસે તે ન ચાલે), લેખકે નીયમીત લેખ લખવા જોઈએ, સોફ્ટવેર કન્સલ્ટન્ટે નીયમીત પોતાના ગ્રાહકોની સંભાળ લેવી જોઈએ (વચ્ચે વચ્ચે બ્લોગિંગ કરવા બેસી જાય તે ન ચાલે), ઓડીટરે નીયમીત ઓડીટ કરવું પડે (વચ્ચે વચ્ચે નૃત્ય કરવા લાગે તે ન ચાલે) . તેવી જ રીતે સફળ બ્લોગરે લગભગ રોજે રોજ પોસ્ટ મુકવી જોઈએ – અથવા તો ચોક્કસ સમયના અંતરે પોસ્ટ નીયમીત રીતે મુકવી જોઈએ. તો જ તે સફળ બ્લોગર થઈ શકે.

પ્રત્યેક ક્ષણે આપણાં જીવનની યાત્રા આગળ ચાલે છે – પરંતું જીવનની આ યાત્રાની સાથે જે સતત પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ છે તેની મંજીલ પર પહોંચવાની શક્યતા પુરે પુરી છે. જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તેવી રીતે પગલે પગલે પંથ કપાય. મંજીલ ઢુંકડી આવે અને એક દિવસ લક્ષ્ય પર પહોંચી જવાય. સફળતા માટે કોઈ જાદુઈ ચિરાગ નથી, કોઈ લોટરીની ટીકીટ નથી, કોઈ જેક્પોટ નથી, ગુલાબી સ્વપ્નાઓ કદી સફળતા ન અપાવે પણ યોગ્ય પુરુષાર્થ માત્ર મંજીલ સુધી લઈ જાય.

જો મનુષ્યને એટલી ખબર હોય કે મારું લક્ષ્ય શું છે? અને તે પાર કરવાનો રસ્તો ક્યો છે તો પછી હવે તેણે લક્ષ્યની ચિંતા કરવાની બદલે ચાલવા માંડવું જોઈએ અને લક્ષ્ય આપોઆપ વિંધાઈ જશે પણ જે માત્ર લક્ષ્યનું જ ચિંતન કર્યા કરે છે અને પગ પર પગ ચડાવીને કલ્પનાઓમાં, વિચારોમાં, દિવાસ્વપ્નોમાં રાચ્યા કરે છે પણ ચાલતો નથી, પુરુષાર્થ કરતો નથી તે ક્યારેય પોતાના ધ્યેય સુધી પહોંચી શકતો નથી.

એટલે જ સ્વામી વિવેકાનંદે આહ્વાન કર્યું કે – “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો” આ વાત માત્ર આળસુઓ માટે જ નથી કહેવામાં આવી – ઉદ્યમી પણ જો લક્ષ્ય પ્રાપ્તિ સુધી ન મંડ્યો રહે તો ખતા ખાઈ શકે છે.

તો મીત્રો મંજીલ સુધી પહોંચવાના ૩ પગથીયા નોંધી લેશુંને?
૧. લક્ષ્ય નક્કી કરો.
૨. લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો.
૩. ચાલવા માંડો.

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | 1 Comment

સાતત્યનો અભાવ પ્રતિભાવાનોની પ્રતિભા નીખરવા નથી દેતી.

મિત્રો,
આપણાં દેશમાં ઘણા વિદ્વાન પુરુષો અને વિદુષી નારીઓ થઈ ગઈ છે. તેમાના ઘણા તો એકબીજાના એટલા આત્મિય થઈ ગયા હોય છે કે જાણે એક જ ઘરમાં રહેતા હેતાળ ભાઈ-બહેન ન હોય. અને રોજ રોજ તેઓ નવી નવી ચર્ચા કરે, નવા નવા લેખ લખે, વાતો કરે, વાર્તાલાપ કરે, વાદ કરે અને મતભેદ થાય તો વિવાદ પણ કરે. પણ આવું તે રોજ સાતત્ય પુર્વક કરે તો ઘર કેટલું ભર્યુ ભર્યુ રહે. આડોશી પાડોશી કેટલા હરખાય. પત્નિ ને પણ આ નંણદ કેટલી વહાલી લાગે. તો શું આવા વાદ-વિવાદો રોજ રોજ સતત ન કરવા જોઈએ?

Categories: ટકોર | Tags: | 1 Comment

Create a free website or blog at WordPress.com.