Posts Tagged With: સજ્જનમીટર

સજ્જનમીટર કેવી રીતે બનાવશો?

મિત્રો,

શું તમે સજ્જન છો? તે પોસ્ટમાં આપણે સજ્જનમીટર વીશે વાત કરેલી. તેમાં કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા ઉત્તરો આપી શકાય તેને વીશે થોડી પૂર્વભુમિકા બાંધેલી. શ્રી અશોકભાઈએ આમાં વિકલ્પોને ભારાંક આપવાનું સૂચન કર્યું છે. સજ્જનમીટર દરેકે પોત પોતાનું બનાવવાનું છે. મારું સજ્જનમીટર તમને નહીં માપે અને તમારું સજ્જનમીટર મને નહીં માપે. જે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવતા હોય કે કાર્ય પદ્ધતિ ધરાવતા હોય તે પ્રમાણે સજ્જનમીટર બનાવવું જોઈએ.

સજ્જનમીટરમાં બે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ.

૧. કેવી કેવી બાબતોથી ધીક્કાર જન્મતો હોય છે.
૨. કેવી કેવી બાબતોથી વિસંગતતા જન્મતી હોય છે.

જેટલી જેટલી બાબતોએ આપણાં મનમાં ધિક્કાર જન્મતો હોય તેટલી બાબતોને નોંધીને તેના પ્રશ્નો બનાવો આ ઉપરાંત જેટલી જેટલી બાબતે સમાજમાં વિસંગતતા ફેલાતી જણાય તેવા પ્રશ્નો બનાવો.

આ પ્રશ્નોના શક્ય તેટલા વિકલ્પ આપો.

ઉત્તમ અથવા તો આદર્શ વિકલ્પને ૧ અને અન્ય દરેક વિકલ્પને ૦ ગુણ આપો.

૫, ૧૦, ૨૦, ૨૫, ૫૦ કે ૧૦૦ પ્રશ્નો રાખો.

પ્રત્યેક પ્રશ્નને ૧૦૦/પ્રશ્નોની સંખ્યા જેટલો ભારાંક આપો.

કુલ જેટલા ગુણ મળ્યાં હોય તેને ભારાંક વડે ગુણો.

જે જવાબ મળશે તે સજ્જનઆંક થશે.

જેટલા પ્રશ્નમાં ૦ ગુણ મળે તે ગુણ વધારવાનો પ્રયાસ કરવાનો છે.

આ ઉપરાંત નવા નવા પ્રશ્નો સમયાંતરે ઉમેરતા રહો.

સજ્જનમીટરમાં દર અઠવાડીએ સ્વ-મૂલ્યાંકન કરો.

જ્યારે સજ્જનઆંક ૧૦૦ થઈ જાય ત્યારે નવા વધારે જટીલ પ્રશ્નો ઉમેરીને સજ્જનમીટર અપડેટ કરો.

સ્વ-મૂલ્યાંકન કરવાનું હોવાથી પ્રશ્નોના જવાબ પ્રામાણીકતાથી સાચા આપો. તેને લીધે જે તે બાબતે ઉત્પન્ન થતો ધિક્કાર દૂર કરવામાં મદદ મળશે અન્યને જોવાના દૃષ્ટીકોણમાં સુધારો થશે.

જેમ જેમ સજ્જન આંક વધતો જશે તેમ તેમ આપણું મન ઘૃણારહિત થતું જશે અને અન્ય સજીવો પ્રત્યે આત્મિયતા વધતી જશે. આમ અંત:કરણ શુદ્ધ થવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.

તો બોલો.. ક્યારે તમારું સજ્જનમીટર બનાવો છો?

Categories: કેળવણી, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , | Leave a comment

શું તમે સજ્જન છો?

શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?

શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?

શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?

પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?

શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?

ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?

આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?

ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.

માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.

આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.

અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.

ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.

સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.

થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?

સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી

અથવા

સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો

સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી

સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય

સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય

સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય

સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું

સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય

આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂

Categories: અવનવું, ચિંતન, પ્રશ્નાર્થ, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હાસ્ય | Tags: , | 7 Comments

Create a free website or blog at WordPress.com.