Posts Tagged With: ભારત

ભારતને કઈ કેળવણીની જરુર છે – સ્વામી વિવેકાનંદ

તારીખ ૨૪ એપ્રિલ ૧૮૯૭માં દાર્જિલિંગથી શ્રીમતી સરલા ઘોષાલને લખાયેલ પત્રના અંશો અત્રે પ્રસ્તુત છે. પોસ્ટને અંતે આપેલ લિંક પર ક્લિક કરીને પુરો પત્ર વાંચી શકાશે.


કોઈ પણ પ્રજાની આમજનતામાં શિક્ષણ અને બુદ્ધિશક્તિનો જે પ્રમાણમાં ફેલાવો થયો હોય તે પ્રમાણમાં પ્રજા પ્રગતિશીલ હોય.

શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ જ ! યુરોપનાં ઘણાં શહેરોમાં મુસાફરી કરતાં કરતાં હું ત્યાંના ગરીબ માણસોનાં પણ સુખસાધનો અને શિક્ષણ નિહાળતો, અને ત્યારે આપણા પોતાના ગરીબ માણસોનો વિચાર મારા મનમાં આવતો અને હું આંસુ સારતો. આવો તફાવત શા કારણે થયો? ઉત્તર મળ્યો : શિક્ષણ ! શિક્ષણ અને પોતાની જાતમાં શ્રદ્ધાથી તેમનો અંતર્ગત બ્રહ્મ જાગ્રત થાય છે, જ્યારે આપણામાં રહેલો બ્રહ્મ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.

આપણા બાળકોને જે કેળવણી આપવામાં આવે છે તે પણ નિષેધક છે. નિશાળે જતો છોકરો કંઈ શીખતો તો નથી જ; પણ તેનું જે છે તે બધું જ ભાંગી પડે છે. પરિણામ એ આવે છે કે તેની આત્મશ્રદ્ધા ચાલી જાય છે. વેદ અને વેદાંતનો જે પ્રધાન સૂર છે તે શ્રદ્ધા – જેનાથી દુનિયા ચાલી રહી છે તે શ્રદ્ધાનો વિનાશ થાય છે.

અજ્ઞશ્ચાશ્રદધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ | શ્રદ્ધારહિત, અજ્ઞાની અને શંકાશીલ રહ્યાં કરતો મનુષ્ય વિનાશ પામે છે. માટે આપણે વિનાશની આટલા બધા નજીક પહોંચ્યા છીએ. હવે એનો ઉપાય કેળવણીનો પ્રચાર એ જ છે. પ્રથમ આત્મજ્ઞાન. બેશક, તે શબ્દમાં જે ભાવ ગર્ભિત છે, તે જટા, દંડ, કમંડળ અને પહાડોની ગુફા સૂચવવા હું નથી માગતો. ત્યારે હું શું કહેવા માગું છુ? સાંસારિક જીવનમાંથી મુક્તિ અપાવનાર જ્ઞાન શું સામાન્ય ભૌતિક સમૃદ્ધિ પણ ન લાવી શકે? જરૂર તે લાવી શકે જ. મુક્તિ, અનાસક્તિ, ત્યાગ આ બધા શ્રેષ્ઠ આદર્શો છે. પણ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત |

પશ્ચિમમાં સ્ત્રીઓનું ચલણ છે; સઘળી લાગવગ અને સત્તા તેમની છે. જો તમારા જેવી હિંમતવાળી અને બુદ્ધિશાળી સ્ત્રીઓ વેદાંતમાં નિષ્ણાત બનીને ઉપદેશ આપવા ઈંગ્લેન્ડ જાય, તો મને ખાતરી છે કે દર વર્ષે ભારતનો ધર્મ સ્વીકારી સેંકડો સ્ત્રીપુરુષો ધન્ય બને. આપણા દેશમાંથી બહાર જનાર રમાબાઈ એક જ સ્રી હતી; તે બહેનનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન તથા પાશ્ચાત્ય વિજ્ઞાન અને કલાનું જ્ઞાન મર્યાદિત હતું; છતાંય સહુને તેમણે આશ્ચર્યમાં નાખી દીધાં. તમારા જેવું કોઈ જાય તો તો ઈંગ્લેન્ડ ખળભળી ઊઠે; તો પછી અમેરિકાનું તો પુછવું જ શું? જો ભારતીય પોષાકમાં ભારતીય નારી, ભારતના ઋષિઓના મુખેથી સરી પડેલા ધર્મનો ઉપદેશ કરે – હું તો એક ભવિષ્યદર્શન કરી રહ્યો છું – તો એક એવો મહાન જુવાળ આવે, કે જે સમગ્ર પશ્ચિમ જગતને તરબોળ કરી મૂકે. મૈત્રેયી, ખના, લીલાવતી, સાવિત્રી અને ઉભયભારતીની ભૂમિમાં આવું સાહસ કરનારી શું કોઈ સ્ત્રી નહીં નીકળે?

જીવનનું ચિહ્ન છે વિકાસ; અને આપણા આધ્યાત્મિક આદર્શોથી આપણે જગતમાં પ્રસરવું જોઈએ.

શાકાહારી ખોરાક માટે : જેઓ શ્રમ કરીને પોતાની આજીવિકા મેળવતા નથી, તે ભલે માંસ ન ખાય. પણ રાતદિવસ મજૂરી કરીને જેમને પોતાનો રોટલો રળવો પડતો હોય તેવાઓના ઉપર ફરજિયાત શાકાહાર લાદવો, તે આપણી રાષ્ટ્રિય સ્વતંત્રતા ગુમાવવાનું એક કારણ છે. સારો અને પૌષ્ટિક ખોરાક શું કરી શકે તેનો દાખલો જાપાન છે.

સર્વ શક્તિમાન વિશ્વેશ્વરી તમારા હ્રદયમાં પ્રેરણા કરો !


ભારતને કઈ કેળવણીની જરુર છે – સ્વામી વિવેકાનંદ


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

ધર્મભૂમિ ભારત – સ્વામી વિવેકાનંદ

ખેતડીના મહારાજાના માનપત્રના જવાબના અંશો અત્રે પ્રસ્તુત છે. સમગ્ર જવાબ વાંચવા લેખને છેડે આપેલ લિંક પર ક્લિક કરશો.


ભારતની જીવનશક્તિ ધર્મમાં રહેલી છે, અને જ્યાં સુધી હિંદુ પ્રજા પોતાના પૂર્વજોનો મહાન વારસો ભૂલશે નહીં, ત્યાં સુધી પૃથ્વીના પટ પર એવી કોઈ પણ તાકાત નથી કે જે તેનો નાશ કરી શકે.

આજના જમાનામાં જેઓ સદાય પોતાના ભૂતકાળ તરફ જ જોયા કરે છે, તેમનો સૌ વાંક કાઢે છે. એમ પણ કહેવામાં આવે છે કે ભારતનાં સર્વ દુ:ખોનું કારણ ભૂતકાળ તરફ આટલી બધી નજર નાખ્યા કરાય છે તે છે. ઊલટાનું મને તો લાગે છે કે એથી વિપરીત વાત જ સાચી છે. જ્યાં સુધી હિંદુ પ્રજા પોતાના ભૂતકાળને ભૂલી ગઈ હતી ત્યાં સુધી એ મૂર્છિત અવસ્થામાં પડેલી હતી; પરંતુ જ્યારે તેણે પોતાની ભૂતકાળમાં દૃષ્ટિ દોડાવવા માંડી, ત્યારે તરત જ જીવનમાં ચોમેર એક નવી જ જાગૃતિ દેખાવા લાગી છે. ખરું તો આ ભૂતકાળમાંથી જ ભવિષ્યનું ઘડતર થવાનું છે. આ ભૂતકાળ જ ભાવિ થઈને ઊભો રહેવાનો છે.

ભારતનું અધ:પતન થયું તેનું કારણ તેના પૂર્વજોના કાયદા અને રિવાજો ખરાબ હતા તે નથી, પરંતુ તે કાયદા અને રિવાજોને તેમનાં સ્વાભાવિક પરિણામોએ પહોંચતા સુધી પકડી રાખવામાં ન આવ્યા તે છે.

પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાંઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું.

એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર રાજાઓના નિરંકુશ સામાજિક જુલમો આડે પુરોહિત વર્ગ ઊભો હતો. બીજી બાજુએ પુરોહિતવર્ગના આધ્યાત્મિક જુલમ અને લોકોને પકડમાં રાખવા માટે ઘડાતા ક્રિયાકાંડોમાં સતત થયા કરતા ફેરફારોની આડે કંઈક પણ સફળતાપૂર્વક ઝઝૂમનારું એક માત્ર બળ ક્ષત્રિયશક્તિ હતું.

જ્યારે ક્ષત્રિયશક્તિ અને જ્ઞાનના પક્ષના નેતા તરીકે શ્રીકૃષ્ણે સમાધાનનો માર્ગ બતાવ્યો ત્યારે ક્ષણિક યુદ્ધવિરામ આવેલો. પરિણામે તત્ત્વજ્ઞાન, ઉદારતા અને ધર્મના નિચોડ સમો ગીતાનો ઉપદેશ મળ્યો. છતાંય કારણો તો ઊભાં હતા જ, એટલે કાર્ય પણ પાછળ આવવું જોઈએ.

એ એક સૂચક હકીકત છે કે પ્રાચીન ભારતે પેદા કરેલા બે મહાનમાં મહાન માનવો – કૃષ્ણ અને બુદ્ધ – બંને ક્ષત્રિયો હતા; અને એથીયે વધુ સૂચક હકીકત તો એ છે કે આ બંને ઈશ્વરાવતારોએ જન્મ કે લિંગભેદ વિના સૌ કોઈને માટે જ્ઞાનના દરવાજા સાવ ખુલ્લા મૂકી દીધા.

બૌદ્ધ ધર્મમાં અદભુત નૈતિક તાકાત હોવા છતાં તે મૂર્તિપૂજાનો અત્યંત વિરોધી હતો; તેનું ઘણું બળ માત્ર નિષેધાત્મક પ્રયત્નોમાં ખેંચાઈ જવાને લીધે, એને પોતાની જન્મભૂમિમાં જ મરણને શરણ થવું પડ્યું. સૌથી વધુ તો આર્ય, મોંગોલો અને આદિવાસીઓનો શંભુમેળો તેણે ઊભો કર્યો તેમાં તેણે લોકોને કેટલાક ઘૃણાજનક વામાચારોને માર્ગે ચડાવી દીધા. એ મહાન અવતારના ઉપદેશોના આ હાસ્યજનક અવશેષોને શ્રી શંકરાચાર્ય અને તેમની સંન્યાસી મંડળીએ ભારતમાંથી તગડી મૂક્યાં તેનું કારણ ખાસ કરીને આ હતું.

આર્યાવર્તના બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું શું થયું હતું? પોતે બ્રાહ્મણો અને ક્ષત્રિય હોવાનો દાવો કરતી અહીં તહીની થોડીક વર્ણસંકર કોમો સિવાય એમનો તો સદંતર લોપ જ થઈ ગયો હતો. અને તેમના બડાઈ મારનારાં આત્મશ્લાઘાનાં વચનો, જેવા કે આખા વિશ્વે તેમની પાસેથી એટલે કે

એતદેશપ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મન:

’આ દેશમાં જન્મેલા બ્રાહ્મણો પાસેથી’ શીખવાનું છે વગેરે બધું હોવા છતાંય તેમને કપાળે તો ભભૂત ભૂંસી, અંગે અબોટીયાં પહેરી, બે હાથ જોડી દાક્ષિણાત્યોના ચરણે બેસીને ભણવાની વારી આવી. પરિણામ એ આવ્યું કે વેદો ભારતમાં પાછા આવ્યા. ભારતે કદીયે જોયું ન હતું એવું વેદાન્તનું પુનરુથાન થયું, અને ગૃહસ્થાશ્રમી લોકોએ સુદ્ધાં આરણ્યકોના અધ્યયનનો આરંભ કર્યો.

ખેતડી નરેશ ! એટલું સમજી લેજો, કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય – વિશ્વ એક છે – એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ માણસ બીજાને ઈજા પહોંચાડી શકે ખરો ? બ્રાહ્મણો અને ક્ષત્રિયોની જોહુકમી તેમના પોતાના જ માથા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પછડાઈ છે, અને કર્મનો નિયમ હજારો વર્ષ થયાં તેમના ઉપર ગુલામી અને અધ:પતન લાદી રહ્યો છે.

આપના એક પૂર્વજે જે કહ્યું હતું તે આ છે :

ઈહૈવ તૈર્હિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન: |

’જેમનું મન સમસ્વરૂપ પરમાત્મામાં સ્થિત થયું છે, તેઓ આ જીવનમાં જ જગ જીતી ગયા છે.’ આ પૂર્વજને ઈશ્વરના અવતાર માનવામાં આવે છે. આપણે સહુ એ માનીએ છીએ. તો શું તેમના શબ્દો વ્યર્થ અને નિરર્થક છે? જો ન હોય, અને આપણે જાણીએ છીએ કે એ નથી, તો જન્મ, જાતિ, અરે અધિકારની સુદ્ધાં ગણતરી વિના, આ આખી સૃષ્ટિના સંપૂર્ણ ઐક્યની વિરુદ્ધનો કોઈ પણ પ્રયાસ, એક ભયંકર ભૂલ છે. અને જ્યાં સુધી આ સામ્યની ભાવનાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થાય નહીં.

માટે ઉચ્ચવંશી રાજવી ! વેદાંતના ઉપદેશને અનુસરો. આ કે પેલા ભાષ્યકારે સમજાવ્યા છે તે મુજબ નહીં, પરંતુ તમારી અંદર રહેલ ઈશ્વર સમજે છે તે મુજબ અનુસરો. સૌથી વધારે તો સર્વ ભૂતોમાં, સર્વ વસ્તુઓમાં, સર્વ કંઈમાં એક ઈશ્વરને જોઈને સમત્વના આ મહાન સિદ્ધાંતને અનુસરો.

અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખના કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે.

અસમાનતા માનવ સ્વભાવનું હળાહળ વિષ છે, માનવજાત પરનો શાપ છે, સર્વ દુ:ખોનું મૂળ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, સર્વ બંધનોનું આ મૂળ છે.

સમં પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ |
ન હિનસ્ત્યાત્મનાત્મનં તતો યાતિ પરાં ગતિમ ||

’સર્વત્ર ઈશ્વરને સમભાવે રહેલો જોવાથી તે એક આત્માને આત્માથી હણતો નથી, અને તેથી પરા ગતિને પામે છે.’ આ એક જ વચનમાં, થોડા જ શબ્દોમાં, મુક્તિનો વિશ્વવ્યાપી માર્ગ સમાયેલો છે.

રજપૂતો ! તમે પ્રાચીન ભારતનો મહિમા હતા; તમારા અધ:પતનની સાથે જ પ્રજાનું પતન થયું. અને ભારતનો ઉદ્ધાર તો જ થાય જો ક્ષત્રિયોના વંશજો બ્રાહ્મણોના વંશજોને સહકાર આપે. આ સહકાર સત્તા અને સંપત્તિની લૂંટનો ભાગ પાડવામાં નહીં, પરંતુ નબળાને સહાય કરવામાં, અજ્ઞાનીઓને જ્ઞાન આપવામાં અને પોતાના પૂર્વજોની પવિત્ર ભૂમિની ગુમાવેલી કીર્તિ પાછી મેળવવામાં થવો જોઈએ.

અને કોણ કહે છે કે સમય સાનુકૂળ નથી? ફરી પાછું એક વાર ચક્ર ફરવા માંડ્યું છે. ફરી એક વાર ભારતમાંથી આંદોલનો ગતિમાન થયાં છે, અને બહુ નજીકના સમયમાં જ પૃથ્વીના દૂરમાં દૂરને છેડે પહોંચાડવાને એ નિર્માયેલાં છે. એક એવો અવાજ ઊઠ્યો છે કે જેના પડઘા લંબાતા લંબાતા, રોજ રોજ જોર પકડતા જાય છે; એક એવો અવાજ છે કે જે તેની પૂર્વેના બધા અવાજો કરતાં વધુ બળવાન છે, કારણ કે એ પૂર્વના બધા અવાજોની પૂર્ણાહુતિ છે. જે અવાજ સરસ્વતીના કિનારા પર ઋષિઓની સમક્ષ ઊઠ્યો હતો, જે અવાજના પડઘાઓ નગાધિરાજ હિમાલયના શિખરે શિખરે ગર્જી ઉઠ્યા હતા અને સર્વગ્રાહી મહાપૂરની પેઠે કૃષ્ણ, બુદ્ધ અને ચૈતન્ય દ્વારા ભારતનાં મેદાનો ઉપર ઊતરી આવ્યા હતા, તે અવાજ ફરી એક વાર ગર્જી ઊઠ્યો છે. ફરી એક વાર દ્વાર ખુલ્લાં થયાં છે. તમે સર્વે પ્રકાશના સામ્રાજ્યમાં પ્રવેશ કરો, કારણ કે ફરી એક વાર દરવાજા પૂરેપૂરા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.

– વિવેકાનંદ


ધર્મભૂમિ ભારત – સ્વામી વિવેકાનંદ


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

ભારતના કાર્યની યોજના – સ્વામી વિવેકાનંદ

ન્યાયમૂર્તિ સર સુબ્રમણ્યમ ઐયરને શિકાગોથી તારીખ ૩જી જાન્યુઆરી ૧૮૯૫ના રોજ લખેલ પત્રનો આ પ્રથમ ફકરો છે. પુરો પત્ર વાંચવા છેવાડે આપેલી લીંક પર ક્લિક કરશો.


સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું કેવી રીતે? સુધારકોની ખંડનાત્મક યોજનાઓ નિષ્ફળ ગઈ છે. મારી યોજના આ છે. ભૂતકાળમાં આપણે જે કાંઈ કર્યું છે તે ખરાબ નથી, બેશક ખરાબ નથી. આપણો સમાજ ખરાબ નહીં પણ સારો છે; માત્ર મારે તેને વધારે સારો બનાવવો છે. અસત્યમાંથી સત્યમાં નહીં, ખરાબમાંથી સારામાં નહીં, પણ સત્યમાંથી ઊંચા સત્યમાં, સારામાંથી વધારે સારામાં, શ્રેષ્ઠમાં જવાનું છે. મારા દેશબંધુઓને હું કહું છું કે તેમણે અત્યાર સુધી સારું કર્યું છે; હવે તેથીયે વધારે સારું કરવાનો સમય આવ્યો છે.

વધુ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :

ભારતના કાર્યની યોજના – સ્વામી વિવેકાનંદ

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

ભારતની અધોગતિનું કારણ – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં કરેલા કાર્યની પ્રશંસા અર્થે કલકત્તાના ટાઉનહોલમાં, તારીખ પમી સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ ભરાયેલી સભાના પ્રમુખ રાજા પ્યારીમોહન મુકરજી ઉપર તારીખ ૧૮મી નવેમ્બર ૧૮૯૪ના રોજ લખાયેલ પત્રના અંશ અત્રે પ્રસ્તુત છે. પુરો પત્ર વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.


કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનિકારક નીવડ્યું છે.

મારા ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઊભી કરવામાં આવેલી રૂઢિની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી.

જો ભારત ફરીથી પોતાને ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છૂટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ.

વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યું છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યું છે.

આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થના પોટલાં જેવા છે, અને જેમના જીવનનું એક માત્ર ધ્યેય ગમાણમાંના કુતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતાં જે દરેક હિંદુ પરદેશમાં મુસાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે.

રાષ્ટ્રીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઊભી કરી છે તે તેમના ચારિત્ર્યના મજબૂત થાંભલાઓને અધારે ઊભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા ન કરી શકીએ ત્યાં સુધી આ કે તે સત્તા સામે બખાળા કાઢવા નિરર્થક છે.

જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા ?

નિરર્થક બખાળા કાઢવામાં આપણી શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેને તે મેળવતાં દુનિયાની કોઈ પણ સત્તા રોકી શકે નહીં.

ભૂતકાળ જરૂર મહાન હતો, પણ હું અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જ્વળ બનશે.

ભગવાન શંકર આપણને પવિત્રતા, ધૈર્ય અને ખંતમાં અચળ રાખો.


ભારતની અધોગતિનું કારણ – સ્વામી વિવેકાનંદ


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

ભારત મરે ખરું ? – સ્વામી વિવેકાનંદ

મદ્રાસના માનપત્રનો પ્રત્યુત્તર

મદ્રાસના મિત્રો, દેશબંધુઓ અને સહધર્મીઓ !

ભારત મરે ખરું? જે બધું ઉદાત્ત કે નૈતિક કે આધ્યાત્મિક છે તેની આ વૃદ્ધ માતા, જેના પર ઋષિઓના ચરણ ચાલેલા છે તે આ ભૂમિ, જેમાં હજુ ઈશ્વરસમા માનવીઓ જીવંત બેઠેલા છે તે આ ભૂમિ, કદી મરે ખરી? ભાઈ ! હું પેલા કથામાના એથેન્સના ઋષિનું ફાનસ ઉછીનું માગી લાવીનેય આ વિશાળ વિશ્વનાં શહેરોમાં ને ગામડામાં, મેદાનોમાં ને અરણ્યોમાં તારી પાછળ પાછળ ભટકવા તૈયાર છુ; તારાથી બને તો બીજા દેશોમાં આવા મનુષ્યો શોધી બતાવ તો ખરો? અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે ઝાડનું પારખું તેના ફળથી થાય. ભારતના દરેકે દરેક આંબાના ઝાડ નીચે જાઓ અને જમીન પર પડેલી અને કીડાએ ખાધેલી કાચી કેરીઓના ગાડાં ભરીને લઈ આવો, તથા તેમાંની એકેએક ઉપર વધુમાં વધુ વિદ્વતાપૂર્ણ સેંકડો ગ્રંથો તમે ભલે લખો, છતાં હું કહીશ કે તમે એક પણ આમ્રફળનું વર્ણન નથી કર્યું. પરંતુ વૃક્ષ પરથી એક સુસ્વાદ, પૂર્ણપક્વ, રસભર્યું ફળ તોડો અને ચાખો, ત્યારે તમે આમ્રફળ શું છે તે વિષેનું બધું જ જાણી લીધું છે એમ કહીશ.

માનપત્રનો પ્રત્યુત્તર આ લેખ સંપૂર્ણ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :

ભારત મરે ખરું ? – સ્વામી વિવેકાનંદ

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , , , | Leave a comment

વિકસિત ભારત સર્જવું – એ.પી.જે. અબ્દુલ કલામ















નોંધ: આ લેખ “આતમ વીંઝે પાંખ” પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.


Categories: રાષ્ટ્રનો વિકાસ | Tags: , , , | 1 Comment

એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૨) – સ્વામી નિખિલેશ્વરાનંદ






“શ્રી રામકૃષ્ણ જ્યોત” – ડિસેમ્બર – ૨૦૧૦ અંકમાંથી સાભાર


Categories: ભારતિય સંસ્કૃતિ, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત (૧) – સ્વામી નિખિલેશ્વરાનંદ








સૌજન્ય:”શ્રી રામકૃષ્ણ જ્યોત – દીપોત્સવી અંક ૨૦૧૦”

Categories: પ્રેરણાદાયી સાહિત્ય, ભારતિય સંસ્કૃતિ, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

ભારત કેવી રીતે વિશ્વ વિજયી બને ? – સ્વામી વિવેકાનંદ








Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , , | Leave a comment

ભારતનું ભાવિ – સ્વામી વિવેકાનંદ
















Categories: ભારતિય સંસ્કૃતિ, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.