Posts Tagged With: નાડી

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૨૦) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખ 19 અને 20માં સહસ્રારચક્ર સંતુલિત/સશક્ત કરવા માટેના વિવિધ (15) રસ્તા જોયા. થોડા વધુ ઉપાય જોઈએ.

16) ઉપવાસ ખૂબ મદદ કરે. કુદરતી પ્રક્રિયા છે કે મોટાભાગના લોકો જયારે હતાશા, ગભરાટ અથવા મૂંઝવણની સ્થિતિમાં સરી પડે ત્યારે ભૂખ તેમની મરી જાય. કોઈ પ્રાણી બિમારીની સ્થિતિમાં હોય તો તે ખોરાક લેવાનું બંધ કરી દે, શરીરને ‘Reboot’ કે ‘Reset’ થવા દે. આ સમયે બ્રહ્માંડની ઊર્જા જરૂરી એડજસ્ટમેન્ટ ક્રાઉનચક્ર સાથે કરી લે અને ફરી એ પ્રાણી દોડવા માંડે. મનુષ્ય કદાચ એ એડજસ્ટમેન્ટ ન થવા દે, ખોરાક લેવાનું ચાલુ રાખે અને પરિણામે તકલીફ પણ ચાલુ રહે.

જયારે ક્રાઉનચક્ર સંતુલિત કરવા માટેના એક માત્ર હેતુથી ઉપવાસ કરીએ તો વ્યવસ્થિત રીતે કરવાના રહે – પહેલાં તો શરીરને તૈયાર કરવું જોઈએ. ઉપવાસની આદત ન હોય તો પહેલા છ/આઠ/બાર કલાકના ઉપવાસથી શરૂઆત કરવાની, શ્રાવણ મહિનાના ફરાળ સાથેના ઉપવાસ નહિ. મહિને અથવા ૧૫ દિવસે એક વખત નિયમિત રીતે ચાલુ રાખીએ તો વધુ ફાયદો થશે.

17) સબલીમિનલ (Subliminal) રેકોર્ડિંગ્સ: નાનપણથી જ જૂદી-જૂદી વ્યક્તિઓ પાસેથી અલગ-અલગ વાતો આપણે સાંભળી હોય જેમ કે, “પૈસાના ઝાડ ન ઉગે”, “આ તારું કામ નહિ”, “કરકસરથી રહેવું જોઈએ”, “ભાઈ, હવે તો 50 થયા, કંઈ ને કંઈ માંદગી તો આવે ને”, “સીધી રીતે પૈસા ભેગા થતા હશે કોઈ દિવસ?” આવા સંદેશને સબલીમિનલ સંદેશ કહેવાય જે અર્ધજાગૃત (Subconscious) મનમાં કાયમી રીતે અડ્ડો અને જાગૃત મન પર અધિકાર જમાવીને બેઠા હોય, અનેક રીતે વ્યક્તિની પ્રગતિ રોકે અને ચક્રોમાં અવરોધ ઉત્પન્ન કરે કારણ કે વ્યક્તિની વિચારધારા અર્ધજાગૃત મનને આધીન છે. જેવા વિચાર તેવા કર્મ અને તેવું જ પરિણામ. નબળાં વિચાર પરિણામ પણ નબળાં જ લાવે ને ! જાગૃત મન તો અર્ધજાગૃત મનનું ગુલામ છે.

જૂના ભાડુઆતને કાઢવા માટે જેમ શામ-દામ-દંડ-ભેદ બધું વાપરવું પડે તેમ આ અર્ધજાગૃત મનના રહેવાસીઓને કાઢવા ન્યુરોલિન્ગ્વીસ્ટિક પ્રોગ્રામિંગ(NLP)ની વિવિધ ટેક્નિક છે જેમાંથી વિઝ્યુઅલાઈઝેશન અને એફર્મેશન્સ આપણે જોયા છે. હવે સબલીમિનલ રેકોર્ડિંગ્સ પણ ઉપલબ્ધ થયા છે જેમાં અમુક પ્રકારના અવાજના તરંગો અથવા સંગીત સાથે જરૂરી સબલીમિનલ સંદેશ (જે મૂળભૂત રીતે એફર્મેશન્સ છે) ગૂંથી લેવામાં આવ્યા હોય. આ રેકોર્ડિંગ્સ ઊંઘ દરમ્યાન કે કોઈ પણ કાર્ય કરતી વખતે બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે, અર્ધજાગૃત મનમાં નવા વિચારો રોપે, જૂના ભાડુઆતોને બહાર ધકેલી દે. આ રેકોર્ડિંગ્સ એક હળવા હિપ્નોસીસ જેવા હોય, નવા સંદેશ મોકલે, વ્યક્તિની માન્યતાઓ, વિચારશૈલી અને વર્તણુકમાં ધીરે-ધીરે બદલાવ લાવે. એફર્મેશન કે વિઝ્યુઅલાઈઝેશન માટે તાર્કિક (Logical) મગજ ને તૈયાર કરવું પડે, સબલીમિનલ સંદેશ લોજીકલ માઈન્ડને બાયપાસ કરી દે.

સહસ્ત્રારચક્રના સંતુલન માટે જરૂરી સબલીમિનલ રેકોર્ડિંગ્સ ની લિંક અહીં મુકું છું. બાઈનોરલ બિટ્સ તેમાં સમાવેલ છે. માટે હેડફોન વાપરવો વધુ ઉપયોગી છે, ઊંઘ દરમ્યાન નહિ.

18) સ્વઅહંકારદર્શન અતિ જરૂરી. અરીસામાં મોઢું દરરોજ જોઈએ એમ આ દર્શન પણ કરવા જોઈએ. થોડું મુશ્કેલ હશે, અશક્ય તો નથી જ. જૂની આદત છૂટે તેને વાર લાગે, પહેલા તબક્કામાં ખુદનું નિરીક્ષણ જરૂરી. થોડી સભાનતા સાથે જોઈએ કે ક્યારે મારા અહંકારે મને કોઈ કાર્ય કરાવ્યું કે કોઈ કાર્ય કરતા રોક્યો/રોકી. તેની નિયમિત નોંધ કરીએ. ક્રાઉનચક્રની સ્થિતિ બધા ચક્રની સ્થિતિ ને અસર કરે પરંતુ મૂળભૂત રીતે તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનું આ ચક્ર અને અહંકાર તો આ ઉન્નતિના રસ્તા વચ્ચેનો સૌથી મોટો પથ્થર નહિ પણ ખડક છે. તેને ખસેડવો તો પડે. આમ પણ હસવા કે રડવા બંને માટે કોઈની જરૂર પડે. ઈસરોના સર્વોચ્ચ વૈજ્ઞાનિકને પ્રધાનમંત્રીના ખભાની રડવા માટે જરૂર પડી ગયેલી તે હમણાં જ TV પર જોયેલું છે અને એકલા-એકલા હસતા રહીએ તો કઈ હોસ્પિટલમાં દાખલ કરે એ કહેવાની જરૂર છે ખરી? ફક્ત એટલું યાદ રાખીએ કે અંતિમ યાત્રામાં ચાલીને જવાનું નથી, કોઈની જરૂર પડશે અને એ પછી મારા અંગત લોકો પણ સ્નાન કરીને શુદ્ધ થવા માટે દોડશે કારણ કે તેઓએ મારા આત્મા વગરના શરીરનો સ્પર્શ કર્યો હશે.

19) કુદરત સાથે વધુ જીવવાની વાત પહેલાં કરી. તેમાં થોડી વધુ વાત. દરેક વ્યક્તિની ઊર્જાને કુદરતના જૂદાં-જૂદાં સ્વરૂપ સાથે ઓછો-વધતો લગાવ હોય. કોઈ ને પર્વત ગમે તો કોઈને સમુદ્ર તો કોઈને જંગલ તો કોઈને પંખીજગત. જ્યાં આપણી ઊર્જા વધુ મેચ થતી હોય ત્યાં શક્ય તેટલો સમય ગાળવો જોઈએ. આપણને જ ખ્યાલ આવશે કે એ સમયે આપણા ચેતાતંત્રમાં અને સમગ્ર અસ્તિત્વમાં કેવો સકારાત્મક બદલાવ આવે છે.

20) ગુલાબ, સુખડ઼, લવંડર, ચમેલી, લોબાન વિગેરે સુંગધ ઉપયોગી છે – કેમિકલયુક્ત નહિ પરંતુ કુદરતી. જે પણ પ્રકારે આ સુગંધ લઈ શકાય તે રીતે લેવી જોઈએ, જો એલર્જી ન હોય તો.

21) ફક્ત આ ચક્ર માટે જ નહિ પરંતુ કોઈ પણ ચક્ર માટે અને પૂરાં ઘરની ઊર્જા શુદ્ધ કરવા માટે ધૂપ અતિ ફાયદાકારક છે. ધુપિયામાં છાણાં મૂકી તેના પર અજમો, કપૂર અને ઘી નાખી અગ્નિ પ્રગટાવવાનો, અગ્નિની જ્વાળા બંધ થાય અને ધુમાડો નીકળે ત્યારે ધૂપ પૂરાં ઘરમાં અને ખાસ કરીને દરેક ખૂણાઓમાં, દીવાલ પાછળ, બારણા પાછળ ફેરવવાનો. દુષિત ઊર્જાને રહેવા માટે આ ખૂણાઓ બહુ ગમે. ત્યાં ધૂપ કરી એ ઊર્જા ભગાડવાની. 15/20 દિવસ આ પ્રયોગ કરીશું તો બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે ઘરની ઊર્જામાં અને વાતાવરણમાં કેટલો બદલાવ આવે છે.

22) ઘણા સંકેત સ્વપ્ન દ્વારા અથવા ધ્યાન દરમયાન આવે. સાપ દેખાય, પીંછા દેખાય, કોઈ ખાસ પંખી દેખાય, કોઈ મકાન દેખાય વિગેરે. મૃત્યુના પણ સંકેત આવે. થોડા સંકેત યાદ રહે, થોડા ભુલાય જાય. થોડા સમય પછી બધા ભુલાય જાય. રોજિંદી આદત તરીકે એક ડાયરી પલંગ પાસે રાખીએ અને એક ધ્યાનખંડમાં. ઊંઘ ઉડે ત્યારે કે ધ્યાનમાંથી બહાર આવીએ ત્યારે જ જે કંઈ યાદ હોય, અધૂરું તો અધૂરું, તેની નોંધ કરી લઈએ. દરેક વ્યક્તિને આધ્યાત્મિક પથદર્શક (Spiritual Guides) હોય જે સતત કોઈ ને કોઈ રીતે મદદ કરતા હોય, સંકેત આપતા હોય – કોઈ દ્રશ્ય બતાવીને, કોઈ ખાસ સુગંધ દ્વારા, કોઈ વિશેષ અવાજ સંભળાવીને, કોઈ પુસ્તક પહોંચાડીને, કોઈ વ્યક્તિને આપણા સુધી પહોંચાડીને. આંખ-કાન-નાક સતર્ક હોય અને મન જાગૃત હોય તો એ સંકેત પકડી શકાય.

23) દરેક સમયે ધ્યાન માથાના તાળવાં પર રાખવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ દ્રષ્ટિએ અઘરું અથવા અશક્ય લાગે . તેવું છે નહિ. થોડો સમય જરૂર લાગશે, અમુક મહિનાઓ કે એકાદ વર્ષ. ત્યાર બાદની સ્થિતિ ‘આહા’ જેવી આહલાદક હશે. લોકો પૂછશે કે આટલા સ્થિતિપ્રજ્ઞ કઈ રીતે રહી શકો છો, શું તમે એ જ વ્યક્તિ છો કે જેને અમે વર્ષોથી જાણતા હતા?

લખતાં, વાંચતાં, વાતો કરતાં, TV જોતાં – ટૂંકમાં દરેક સમયે ધ્યાન સહસ્ત્રાર પર રાખીએ. ક્રાઉનચક્ર એટલી હદે સંવેદનશીલ થઈ શકશે કે કોઈ પણ ખોરાક કે પીણાંનો સ્વાદ પણ ત્યાં ખ્યાલ આવશે અને આબોહવાનો બદલાવ પણ ત્યાં અનુભવાશે. તીખું ખાઈએ તો ત્યાં ખ્યાલ આવશે, ગરમ કે ઠંડુ પીણાંનો ખ્યાલ ત્યાં આવી શકશે અને વાતાવરણમાં ઉષ્ણતામાનનો ફેરફાર પણ ત્યાં ખ્યાલ આવી શકશે. એક જૂદી જ જાતનો આ અનુભવ રહેશે. આ અનુભવની સાથે-સાથે આંતરિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે.

જયારે શ્વાસ લઈએ ત્યારે પણ સભાનપણે એવી કલ્પના કરીએ કે શ્વાસ છેક સહસ્ત્રાર સુધી પહોંચી રહ્યો છે, ત્યાં શુદ્ધ જાંબલી રંગની ઊર્જા જઈ રહી છે અને ત્યાંના બધા અવરોધો દૂર કરી રહી છે.

24) એફર્મેશન્સ: NLP ટેક્નિક્સમાંની આ એક અતિ અગત્યની ટેક્નિક જે અર્ધજાગૃત મનને અસર કરી જબરદસ્ત બદલાવ લાવે, શરત એક જ કે નિયમિત રીતે અને વિશ્વાસ સાથે અમલમાં મુકવી જોઈએ. આ ચક્ર માટે નીચેના એફર્મેશન્સ કરી શકાય.

A) મારા આધ્યાત્મિક અસ્તિત્વનો મને ખ્યાલ છે.

B) હું મારા અંતર્મન સાથે સંપૂર્ણ સંકળાયેલ છું.

C) મારુ અસ્તિત્વ બીજા તમામ લોકોનાં અસ્તિત્વ સાથે સંકળાયેલ છે, અમે સર્વે બ્રહ્માંડની એક જ ઊર્જામાંથી બનેલા છીએ.

D)દિવ્ય ઊર્જા મારી આસપાસ અને મારામાંથી વહી રહી છે.

E) મારા અનુભવો અને જે વ્યક્તિઓને હું મળું છું તેનાથી મારો સતત વિકાસ થઈ રહ્યો છે.

F) દરેક ઘટના કોઈ ખાસ કારણોસર બની રહી છે, તમામ પ્રકારના બદલાવોને હું આવકારું છું.

G) મારા અંતરાત્મા સાથે મારો ઊંડો આધ્યાત્મિક સંપર્ક છે.

H) હું તદ્દન હળવાશ અને શાંતિ અનુભવું છું.

I) બ્રહ્માંડ મને જે કઈ ભેટ આપવા ઇચ્છતું હોય તેનો સ્વીકાર કરવા માટે હું સંપૂર્ણ તૈયાર છું.

25) ગુરુકૃપા : કોઈ પણ ચક્રશુદ્ધિ, કુંડલિની જાગૃતિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટેનો સૌથી સરળ અને ઝડપી માર્ગ હોય તો તે ગુરુકૃપા – કોઈ એવા મહાપુરુષની કૃપા કે જે પોતે આ દિશામાં ખૂબ જ આગળ વધી ચૂકેલ હોય. આપણો દેશ ભાગ્યશાળી છે કે આવા સંત-મહાત્માઓ ભારત દેશની ભૂમિ પર વિદ્યમાન છે. માટે જ વિશ્વરભરમાંથી અધ્યાત્મ પિપાસુઓની ઈચ્છા હંમેશા એ રહે છે કે ભારતયાત્રા કરવી. સાચા ગુરુ સુધી પહોંચવા માટેનો સૌથી સરળ ઉપાય છે ‘પ્રાર્થના”. કોઈ પણ સમાધિષ્ટ ગુરુની સમાધિ પાસે પહોંચી ખરા દિલથી પ્રાર્થના કરવાની રહે કે મારે માટે જે નિર્મિત છે તે ગુરુ સુધી મને પહોંચાડો, રસ્તો આપોઆપ મળી આવશે.

૨6) સહસ્રારચક્રનું ધ્યાન: આજ્ઞાચક્ર વિષે ચર્ચા કરતી વખતે વાત થઈ કે સમાજમાં પ્રચલિત લગભગ તમામ ધ્યાનપદ્ધતિ આજ્ઞાચક્ર પાસે અટકી જાય છે, ભાગ્યે જ ક્રાઉનચક્રનું ધ્યાન જોવા મળે છે. મારા સદ્દનસીબે અનેક ધ્યાનપદ્ધતિઓનો અનુભવ કર્યા પછી હું ક્રાઉનચક્રના ધ્યાન સુધી પહોંચી શક્યો છું અને ગુરુકૃપા પણ મારી પર વરસી છે જેના પરિણામે જ કદાચ અતિ વ્યસ્ત દિનચર્યામાં પણ આજે હું આ બધા લેખ લખી શકું છું. તે ધ્યાન માટેની લિંક પણ આ સાથે મુકું છું. જેને અનુકૂળ આવે તે આ ધ્યાનકરી શકે. આધ્યાત્મિક જગતમાં એવું કહેવાય કે દરેક વ્યક્તિના ગુરુ પહેલેથી નક્કી જ હોય. સદ્દગુરુ તો બધા મહાન જ હોય છતાં એ જરૂરી નથી કે એક વ્યક્તિને જે ગુરુ અપીલ કરી ગયા તે બીજાને પણ કરે.

અત્યારના સમયમાં જયારે લોકોને સાચા ગુરુ વિષે ઘણી દ્વિધા અનુભવાતી હોય છે ત્યારે હવે વૈજ્ઞાનિક ઉપકરણો ઉપલબ્ધ છે કે જેનાથી નક્કી થઈ શકે કે કોઈ પણ વ્યક્તિ કે મહાત્માનું આધ્યાત્મિક સ્તર શું છે. આ પછી કોઈ લેખમાં એ વિષે વિગતે ચર્ચા કરીશું.

આ લેખમાળાના પ્રથમ તબક્કામાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, અને 7 મુખ્ય ચક્રો વિષે માહિતી મેળવી. હવે તહેવારોની અને સાધનાની સીઝન આવી ગઈ છે. તમામ મિત્રોને મારી શુભકામનાઓ, વડીલોને પ્રણામ. તમામની સર્વાંગી ઉન્નતિ માટે દૈવી શક્તિઓને પ્રાર્થના.

જિતેન્દ્ર પટવારી


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૯) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આ લેખश्रृंખલામાં ઓરા. કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે વિસ્તૃત ચર્ચા થઈ. વિશેષ ચર્ચા પહેલાં એક વાત. માહિતીસંગ્રહ તો ઘણો કર્યો. પરંતુ વારંવાર કહ્યું છે તેમ ફાયદો તો અને તો જ થાય કે જો કંઈ અમલમાં મૂકી શકીએ. બાકી તો ‘પોથીમાંનાં રીંગણાં’. મહાન ચીની ફિલોસોફર લાઓ તઁઝૂએ 1500 વર્ષ પહેલાં કહેલું “The journey of a thousand miles begins with one step.” આવો, આપણે પણ એક બેબી સ્ટેપ લઈએ. 21 દિવસની એક ચેલેન્જ ઉઠાવીએ જેમાં પોતાના વિચારો અને લાગણીઓ સાથે ચોક્કસ માર્ગદર્શન અનુસાર રમીશું, અમુક ટૂંકા (આશરે 10 મિનિટનાં) ધ્યાન કરીશું અને પરિણામ જાતે જ જોઈશું. ડો. દિપક ચોપરા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ આ કેપ્સ્યુલ કોર્સની પ્રક્રિયા સરળ છે. નિષ્ઠાપૂર્વક આ પ્રક્રિયા કરીએ તો વિવિધ ચક્રોનું સંતુલન સ્વયંભૂ થશે. એક વૉટ્સ અપ ગ્રુપ (21 Days of Abundance) આ માટે બનાવું છું. Abundance મતલબ ‘તમામ પ્રકારની સુખાકારી’ એમ સમજવાનું છે. જે કોઈને ખરેખર જાતને સમજવામાં અને સુધારવામાં રસ હોય તે જોડાઈ શકે છે. ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે: https://chat.whatsapp.com/HxwrrwhoUrZFSFRk2H9VEC

લિંક રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને મોકલી શકો છો, ગ્રુપમાં જોડાવા માટે કોઈ ચાર્જ નથી. અત્યંત કોમપેક્ટ અને છતાં અનેક વસ્તુઓને આવરી લેતી આ પ્રક્રિયા રહેશે અને જોડાયેલાં બધાં સભ્યો સાથે જ આ પ્રક્રિયા કરશે. 21 દિવસ સુધી પ્રતિબધ્ધ થઈ એ નાની-નાની માનસિક એક્સરસાઇઝ કરીશું તો આ કદાચ જિંદગીનો એક મોટો બદલાવ સાબિત થઈ શકે. જે લોકોને આ 21 દિવસની વિષયવસ્તુ (contents) જાણવામાં રસ હોય તે +91-7984581614 પર વોટ્સ અપ કરી શકે છે.

ખાસ નોંધ: ગ્રુપમાં જોડાવા માટે અંતિમ તારીખ 14 ઓક્ટોબર, 2019 સોમવાર રહેશે. 15 તારીખ સવારથી આપણે ગ્રુપની પ્રવૃત્તિ ચાલુ કરીશું. ત્યાર બાદ ગ્રુપમાં નવા સભ્યો લઇ શકાશે નહિ.

આવીએ સહસ્ત્રારચક્ર સંતુલન માટેના ઉપાયો પર. 8 ઉપાય લેખ 19માં જોયા. હવે આગળ વધીએ.

9. આરામ – કદાચ સૌથી સરળ ઉપાય. પૂરતો આરામ અને ઊંઘ લઈએ. (કદાચ શબ્દ એટલા માટે કે ઘણા લોકો પાસે સમય અને અનુકૂળતા હોય તો પણ આરામ કે ઊંઘ લઇ શકતા નથી). ઊંઘમાં શરીરના કોષોમાં જરૂરી પ્રક્રિયા થઈ બધાં ચક્રોનું સંતુલન થતું હોય છે અને વિશેષતઃ તો ક્રાઉનચક્રનું. એ સિવાય: જરૂરી ઈશ્વરીય સંકેત સ્વપ્ન દ્વારા પણ ડાઉનલોડ થતા હોય છે. અનેક કિસ્સાઓ રેકોર્ડ પર છે કે જેમાં કોઈ ને કોઈ રૂપે સ્વપ્નમાં માહિતી પહોંચી હોય. એક દાખલો મારા એક નજીકના સંબંધી નો જ છે જેમના પિતાશ્રીનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. ઘરનો બધો આર્થિક રોકાણનો વહીવટ અને રેકોર્ડ તેમની પાસે હતો. ઘરમાં કોઈને પૂરી માહિતી ન હતી. અવસાનના આશરે એક મહિના પછી પિતાજીએ સ્વપ્નમાં આવી તેમના પુત્રને બધી જ માહિતી આપી કે ક્યાં રોકાણ છે, તેનો રેકોર્ડ ક્યાં છે વિગેરે. આ તો થઇ એક સામાન્ય વાત. એ સિવાયની અનેક મહત્ત્વની માહિતી આ સમયે મળે છે કારણ કે ઊંઘ દરમ્યાન શરીરના કોષો તો પુનર્જીવિત થાય છે પરંતુ ચેતના પણ સૂક્ષ્મ જગતમાં વિહાર કરી પરત આવે છે, સાથે ઘણી માહિતી ખેંચી લાવે છે.

10 કલર થેરાપી – સીધું ને સટ. આ ચક્રનો રંગ જાંબલી-વાયોલેટ. એટલે આ રંગનો વધુ માં વધુ ઉપયોગ કરીએ. આ કલરના કપડાં પહેરીએ અથવા રૂમાલ/મોજાંમાં આ કલરનો ઉપયોગ કરીએ. ઘર/ઑફિસની સજાવટમાં બની શકે તેટલો ઉપયોગ કરીએ, ખોરાકમાં પણ વધુ ઉપયોગ કરીએ, જાંબલી રંગનું પ્રાધાન્ય હોય તેવા પેઈન્ટિંગ્સ નજરે પડે તેમ રાખીએ,

એક સંબંધિત વાત. સામાન્ય રીતે જે રંગ વધુ પસંદ આવે તે રંગ જે ચક્રનો હોય ત્યાં થોડું વધુ ધ્યાન આપવું જરૂરી.

11, પ્રાર્થના: ખૂબ જ સરળ ઉપાય. જે પણ શક્તિને માનતા હોઈએ તેને અને જેના માટે કરવી હોય તે કોઈ પણ વ્યક્તિ કે ઘટના (પૂર, ધરતીકંપ વિગેરે) માટે પ્રાર્થના કરવી જોઈએ. જ્યાં ખુદનો સ્વાર્થ ન હોય તેવી પ્રાર્થના તો વિશેષ લાભદાયી છે. જેના માટે પ્રાર્થના થાય તેના કરતાં પણ વિશેષ પ્રાર્થના કરનારને લાભદાયી છે. વિવિધ વિચારો અને લાગણીઓને કારણે બહુ મોટી માત્રામાં ઊર્જા ગુમાવીએ છીએ. પ્રાર્થના આ ઘસારાને ખાળે છે. પ્રાર્થનાના અસંખ્ય લાભ હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું જ છે, અનેક સ્ટડી થયેલા છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો પ્રાર્થના કરીએ છીએ તેનો મતલબ જ એ થયો કે એટલો તો ઈગો ઓછો છે કે કોઈ બીજી, ખુદથી વધુ શક્તિશાળી કોઈ સત્તા છે તેવું તો માનીએ છીએ. અજાણી વ્યક્તિ માટે કરીએ તો તેનો અર્થ એ થયો કે કરુણાનો ભાવ જાગૃત થયો છે. અંતરથી પાર્થના કરતી વખતે બ્રહ્માંડની શક્તિઓનું સીધું જોડાણ ક્રાઉનચક્ર સાથે થાય અને સ્વાભાવિક રીતે જ ક્રાઉનચક્ર સંતુલિત પણ થાય.

પ્રાર્થનાની શક્તિને જાણીને વિશ્વરભરમાં અનેક પ્રાર્થનાધામ કાર્યરત છે. સભાન લોકો એક નાના સમૂહમાં પણ વિદેશોમાં Prayer Circles બનાવે છે અને અલગ-અલગ જગ્યાએ હોય તો પણ એક સાથે પ્રાર્થના કરે છે.

આ સાથે એક પ્રાર્થનાધામની લિંક મુકું છું. આ પ્રાર્થનાધામમાં થયેલી પ્રાર્થનાઓના અત્યંત સારા પરિણામો હજારો લોકોએ અનુભવેલાં છે. ઓન-લાઈન પ્રાર્થના નોંધાવવાની હોય છે. નિઃશુલ્ક સેવા છે. એક ફોન નંબર પણ લિંકમાં આપેલો છે જે ફક્ત અને ફક્ત અકસ્માત, ઓપેરેશન જેવી ઇમર્જન્સી પરિસ્થિતિ માટે જ છે. ઇચ્છુક લોકો આ પ્રાર્થનાધામનો લાભ લઇ શકે છે.

https://en.samarpanmeditation.org/ashram/prayer_centre/index

વિવિધ સંજોગોમાં અને વિવિધ સમયે કેવી પ્રાર્થના થઈ શકે તે માટેની એક નાની ઇંગલિશ પુસ્તિકા આ સાથે જોડું છું.

12. ખુદને વધુ ને વધુ શિક્ષિત કરીએ. મર્યાદિત દ્રષ્ટિકોણથી બહાર નીકળવું હોય તો નવી-નવી જાણકારી મેળવવી જ રહી. હવે તો ઇન્ટરનેટને કારણે માહિતીનો મહાસાગર પ્રાપ્ત છે. એ સિવાય પણ પુસ્તકો વાંચીએ, વિડિઓઝ જોઈએ, અલગ-અલગ વિષયો પર પોડકાસ્ટ સાંભળીએ, સેમિનારમાં ભાગ લઈએ; ટૂંકમાં અલગ-અલગ માહિતી જૂદા-જૂદા વિષયની મેળવીએ, આપણી માન્યતોથી તદ્દન વિરુદ્ધ કંઈ જાણવા મળે તો એ પણ ખુલ્લા હૃદયથી સ્વીકારીએ. મહાન ફિલસૂફ સોક્રેટીસને આદર્શ બનાવીએ જેમણે કહ્યું હતું કે The more I know, the more I realize I know nothing. આ માટે પૈસા ખર્ચવા પડે તો એ પણ કરીએ, એ જ સાચું રોકાણ છે. એક ઊંડે ઘર કરી ગયેલી પેટર્ન મોટા ભાગના લોકોમાં એ છે કે બીજે બધે આપણે ખર્ચ કરીએ જેમ કે કપડામાં, નવી ગાડીમાં, ગોગલ્સમાં, મોજશોખમાં. લેપટોપને તરત અપગ્રેડ કરીએ પરંતુ જયારે ખુદને પૈસા ખર્ચ કરીને અપગ્રેડ કરવાની વાત આવે ત્યારે ધીરા પડી જઈએ. આ માનસિક ઘરેડમાંથી બહાર આવીશું તો ચોક્કસ ફાયદામાં જ રહેશું.

13. એનર્જી મેડિસિન: રેકી, પ્રાણીક હીલિંગ, કી ગોંગ, ફાલૂન ગોંગ, યોગ, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, મસાજ, EFT (Emotional Freedom Technique), સાઉન્ડ થેરાપી, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થેરાપી વિગેરે અનેક પદ્ધતિઓ હવે પ્રચલિત થઈ છે જે શરીરની એનર્જી સિસ્ટમને પ્રભાવિત કરે છે. જે અનુકૂળ હોય તે પદ્ધતિ અપનાવીએ.

14. નિસ્વાર્થ સેવા (Volunteering): નિસ્વાર્થ પ્રવૃત્તિ જેવી કે જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય, સેવાભાવી સંસ્થાઓમાં સ્વયંસેવક તરીકે સેવા આપવી વિગેરે પ્રવૃત્તિ સહસ્ત્રારચક્રની સ્થિતિ સુધારવામાં મદદરૂપ બને છે. અન્ય લોકો સાથેનું નિસ્વાર્થ જોડાણ મજબૂત બને છે, એક સંતોષની લાગણી આપે છે, મનોવિજ્ઞાનની રીતે જોઈએ તો માર્સલૉના પિરામિડનો સિદ્ધાંત અત્યંત પ્રચલિત છે. તે મુજબ બાકીની બધી જ જરૂરિયાત પૂર્ણ થઈ જાય ત્યાર બાદ સૌથી ઉપર Self Actualizationની ખુદની જ જરૂરિયાત છે જેમાં અન્ય માટે કંઈ નિસ્વાર્થ રીતે કરવાથી એક અનેરો સંતોષ મળે છે. માર્સલૉના પિરામિડનું આ સૌથી ઉપરનું શિખર છે, જે રીતે ક્રાઉનચક્ર ચક્રમાળામાં સૌથી ઉપરનું શિખર છે. માર્સલૉ પિરામિડનું ચિત્ર આ સાથે આપેલ છે.

15. ઘરમાં જ મંદિર: જો શક્ય હોય તો અલાયદો રૂમ અને જગ્યા ઓછી હોય તો એક એવો ખૂણો રાખીએ કે જ્યાં આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિ શાંતિથી કરી શકીએ. 2/3 દિવસ બહારગામ જવું હોય તો પણ તૈયારી કરીએ છીએ, કયા કપડાં જોઈશે, બીજું શું જોઈશે, કયા વાહનથી જઈશું અને આવીશું વિગેરે. તો પછી એક લાંબી યાત્રા તો બધાએ કરવાની છે જ. ‘વારા ફરતી વારો, આજે તારો તો કાલે મારો’. એ યાદ રાખીને થોડી તૈયારી કરીએ. ધ્યાન/પૂજાપાઠ/આધ્યાત્મિક વાંચન વિગેરે આ જગ્યામાં કરીએ. આ રૂમ કે જગ્યાનો ઉપયોગ આ સિવાયના કાર્ય માટે શક્ય તેટલો ઓછો કરીએ. પવિત્ર જગ્યાએ જઈએ ત્યારે વાઈબ્રેશન્સનો અથવા શાંતિનો અનુભવ થાય છે તેવો જ અનુભવ થોડા જ સમયમાં આ જગ્યા/રૂમમાં થવા લાગશે. આ રૂમ/જગ્યાની સજાવટ એવી રીતે કરીએ કે ત્યાં જતાં જ અનેરી શાંતિનો અનુભવ થાય. આ એવી વાત છે જ્યાં આપણું ધ્યાન કદાચ ઓછું છે. ધ્યાન કે પૂજા માટે અલગ રૂમ હોય પણ એને વિશિષ્ઠ રીતે સજાવેલો ન હોય તેવું મોટા ભાગે બને છે. આ સાથેના સૂચન કામ આવશે.

– ઘરની એવી જગ્યા પસંદ કરીએ કે જ્યાં સ્વાભાવિક રીતે ‘ફીલ ગુડ’ ફેક્ટર હોય.

– અહીં ઓછામાં ઓછો સામાન રાખીએ. ‘No Clutter’ સિદ્ધાંત.

– કુદરતની અનુભૂતિ થાય, બારી-બારણાંમાંથી લીલોતરી દેખાય અથવા થોડા કુદરતી પ્લાન્ટ્સ રાખીને કુદરતનો એહસાસ કરી શકાય તો અતિ ઉત્તમ.

– ધ્યાનમાં સરી પડીએ તેવું હળવું સંગીત વાગતું રહે તેવી વ્યવસ્થા કરી શકાય.

– લવંડર કે સુખડ જેવી કુદરતી સુગંધ આ જગ્યાએ ફેલાવી શકીએ. ધૂપ-અગરબત્તીનો ઉપયોગ કરીએ.

– આ જગ્યાને આપણી પસંદ અનુસાર એક ‘પર્સનલ ટચ’ આપીએ. બેલ્સ, ક્રિસ્ટલ્સ, આર્ટવર્ક, બુદ્ધની મૂર્તિ, એફર્મેશન્સના પથ્થર આવે છે તે – કંઈ પણ વિચારી શકીએ.

– કલરની શરીર અને મન પર અસર થાય તે બધા હવે જાણીએ જ છીએ. માટે આ જગ્યાની દીવાલો પર મનને શાંતિ આપે તેવો રંગ હોવો જોઈએ.

– ડિસ્કો ક્લબમાં જેમ એક અલગ જ પ્રકાશ વ્યવસ્થા હોય છે તેમ આ રૂમમાં એક અલગ જ દિવ્ય વાતાવરણ ઉભું કરે તેવી પ્રકાશ વ્યવસ્થા ગોઠવી શકાય.

– મ્યુઝિક પ્લેયર સિવાયના કોઈ ઇલેકટ્રોનિક ગેઝેટ્સ આ રૂમમાં ન રહેવા દઈએ. TV અને ફોન/મોબાઈલ તો નહિ જ.

– જો શક્ય હોય તો ધ્યાનખંડની છત પિરામિડ આકારમાં બનાવી શકાય. નહીંતર ફોલ્ડિંગ પિરામિડ ઓન-લાઈન સ્ટોર પર મળે છે તે વસાવી શકાય.

– લેબ્રન્થ (Labyrinth) : જે ઘરમાં લોન અથવા મોટી ખુલ્લી જગ્યા હોય ત્યાં આ થઈ શકે. એક અત્યંત પ્રાચીન, ઈસ્વીસન પૂર્વેથી યુરોપમાં પ્રચલિત આ વ્યવસ્થા છે. વિશિષ્ટ પ્રકારે વોક વે તૈયાર કરેલો હોય છે. તેમાં ચાલવાથી ધ્યાનમાં સરી પડાય છે એટલે કે ‘Walking Meditation’ છે. સાથેનું બ્રોશર જોવાથી વધુ ખ્યાલ આવશે. http://www.holytrinitygnv.org/…/Labyrinth-tri-fold…

હવે વિરામ લઈએ. તમામ ચક્રોને સાર્વત્રિક અસર કરે તેવા આ ચક્રોના મુકુટ એટલે કે ક્રાઉનચક્રને સશક્ત/સંતુલિત કરવાના બાકીના થોડા રસ્તા હવે પછીના લેખમાં જોઈશું. સહસ્ત્રરચક્રની ધ્યાનપદ્ધતિ વિષે પણ તેમાં જ સમજીશું. શક્ય હશે તો અત્યાર સુધીનાં લેખોનો સારાંશ પણ એ લેખમાં સમાવવાની કોશિશ કરીશું. લેખમાળાનો પ્રથમ તબક્કો એ સાથે પૂર્ણ થશે. અનેક સંલગ્ન રોચક વાતો છે જે ત્યાર બાદ કરીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૮) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખ 18માં સહસ્ત્રાર એટલે કે ક્રાઉનચક્ર વિષે જાણ્યું, એ પણ જોયું કે અસંતુલિત ક્રાઉનચક્ર ક્યા પ્રકારના રોગ/સમસ્યા ઉત્પન્ન કરી શકે. હવે થોડું એ સમજીએ કે આ ચક્રને સંતુલિત કેમ કરવું. એ પહેલાં એક પાયાનો પ્રશ્ન. ક્રાઉનચક્ર શા માટે સંતુલિત કરવું જોઈએ? ચાલો એ જોઈએ. એક તો દેખીતો જ ફાયદો છે કે અસંતુલિત સહસ્ત્રારચક્રને કારણે થતા રોગ/તકલીફથી બચી શકાય. એ સિવાય શું? ઘણી વખત એવું બને કે જિંદગીમાં એક પ્રકારનો કંટાળો આવી ગયો હોય – ‘fed up with life’ જેવી પરિસ્થિતિ. ક્રાઉનચક્ર સંતુલિત થાય તો આ પરિસ્થિતિ દૂર થાય, નવો ઉત્સાહ જન્મે, કુદરતની દરેક રચનાનું સૌંદર્ય માણતાં થઇ જઈએ; ખુદના અભિમાની કે જક્કી વ્યક્તિત્વ સાથે કુસ્તી કરતાં હોઈએ તો તે દૂર થાય; દરેક ઘટનાઓને હળવાશથી લેતા થઈ જઈએ, પહેલાં જે ઘટના સમગ્ર અસ્તિત્વને હચમચાવી દેતી તે જ ઘટના માટેનો પ્રતિભાવ હવે એવો હોય કે ‘ચાલ્યા કરે એવું તો’; જિંદગીના દરેક પાસાંને એક વિસ્તૃત પરિપેક્ષમાં લેતા થઈ જઈએ; ‘અત્યારની’ ઘડીમાં જીવવા લાગીએ; ન ભૂતકાળની ઘટનાઓને યાદ કરી દુઃખી થઈએ, ન ભવિષ્યનું વિચારી ચિંતા કરીએ; એક પ્રકારની અજીબ શાંતિ આપણા સમગ્ર અસ્તિત્વને ઘેરી વળે; એક એવું ઈન્જેકશન લાગે કે શાંતિનું સામ્રાજ્ય સ્થપાય જાય, ડહાપણ પણ આવી જાય, એવી શાંતિ અને ડહાપણ કે જે મૂંઝવણ દૂર કરે, ઉત્સાહ સીંચે અને પ્રેરણા પણ આપે, જાતને અને અન્યને સમજવામાં મદદ કરે, બ્રહાંડની શક્તિમાં વિશ્વાસ જગાવે; “પ્રાણ જાય પણ પ્રકૃતિ ન જાય” એ કહેવત ખોટી પાડે અને આશ્ચર્ય થાય કે શું હું એ જ વ્યક્તિ છું (જે આજ સુધી હતી?). ટૂંકમાં, સમગ્ર વ્યક્તિત્વ અને માનસિક ગતિવિધિઓમાં આમૂલ પરિવર્તન આવી જાય. આમ આધ્યાત્મિક પ્રગતિ તો છે જ પરંતુ બાયપ્રોડક્ટ તરીકે બીજું ઘણું બધું; કોમ્બો પેકેજ છે.

ઉપરનું ચિત્ર બહુ ગુલાબી લાગે છે ને? થોડું ધ્યાનમાં લાવું કે એ સ્થિતિમાં પહોંચવામાં થોડો સમય અને મહેનત તો લાગે. એ પણ ચોક્કસ છે કે ગંતવ્ય સ્થાન – Destination જેટલું આનંદદાયક હશે તેટલી જ પ્રયાસોની યાત્રા પણ આહલાદક હશે. યુરોપમાં ફરવા જઈએ તો બે શહેર વચ્ચે કે બે દેશ વચ્ચેની યાત્રા પણ મંત્રમુગ્ધ થઈને માણીએ છીએ ને! બસ આવું જ અહીં પણ. પહોંચવામાં સમય લાગે તો એ દરમયાન પણ જલસો. જાત-જાતની અને ભાત-ભાતની અનુભૂતિઓ એ પ્રવાસમાં સાથે રહેશે – પુસ્તકો લખી શકાય તેટલી. ફક્ત પ્રતિબધ્ધતા, ધીરજ અને ‘યોગ્ય’ દિશાના પ્રયાસ આવશ્યક છે.

આ યાત્રાની દિશા કઈ હોવી જોઈએ, ક્રાઉન ચક્ર કેવી રીતે ખોલી શકાય કે સંતુલિત કરી શકાય.

1. સૌથી ઉપર રહેશે ‘ધ્યાન’. બીજા રસ્તાઓ છે પરંતુ ક્રાઉનચક્ર સંતુલન માટેનો સર્વોત્તમ રસ્તો ‘ધ્યાન’ છે કારણ કે આ ચક્રનો મૂળભૂત સંબંધ તો આધ્યાત્મિકતા સાથે છે. ધ્યાનમાં આંખ બંધ કરીએ છીએ પરંતુ ખરેખર તો એ આંખ ખોલવાનો પ્રયાસ છે, અંતર્ચક્ષુ ખોલવાનો પ્રયાસ છે, એક નવી જ દુનિયા તરફ જવાનો રસ્તો છે.

અસંખ્ય ધ્યાન પદ્ધતિ છે જેમાંથી ફાવે તે અને ગમે તે પદ્ધતિ અપનાવી શકાય. ઓશોનું એક પુસ્તક ‘112 Meditations to Discover the Mystery Within’ જોઈ શકો છો. નામ પ્રમાણે જ તેમાં અનેક ધ્યાન પદ્ધતિઓ દર્શાવેલ છે, પસંદ તે આપણી. તે જ રીતે ઘણી મોબાઈલ એપ પણ છે, મોટા ભાગની નિઃશુલ્ક છે. નીચે થોડાં નામ આપ્યા છે. અહીં પણ ફાવે તે અને ગમે તે ડાઉનલોડ કરી શકો છો.

• The Mindfulness

• Headspace

• Calm

• Buddhify.

• Sattva.

• Stop, Breathe & Think. …

• Insight Timer.

• 10% Happier

• Breathe

• Omvana

• Simple Habit

• Meditation and Relaxation Pro

યોગ્ય માર્ગદર્શન મુજબ સહસ્રારચક્રનું ધ્યાન કરી શકીએ તો અતિ ઉત્તમ.

2 આપણી આસપાસના વાતાવરણને શક્ય તેટલું સરળ બનાવીએ. નકામી/જૂજ વપરાતી વસ્તુઓનો નિકાલ કરીએ. જે વધારાનો કચરો આસપાસમાં ભર્યો છે તે માનસિક તકલીફ કરી શકે અને નકારાત્મક લાગણીઓ પણ જન્માવી શકે. ઘર/ઓફિસમાંની બધી વસ્તુઓના ૩ ભાગ પાડીએ; વસ્તુઓ કે જે રાખવાની છે, વસ્તુઓ કે જે દાનમાં આપી શકાય અને છેલ્લે વસ્તુઓ કે જે ફેંકી દેવાની છે કે કોઈ પણ રીતે તેનો નિકાલ કરવાનો છે. આજુબાજુનું વાતાવરણ સાફ કરીએ ત્યાં નવી ઊર્જા માટે જગ્યા બનાવીએ તેની સાથે જ મનમાં પણ નવી જગ્યા બનશે, નવી ઊર્જા આવશે જે ક્રાઉનચક્ર સંતુલિત કરવા માટે અતિ લાભદાયક સાબિત થશે.

3. સહસ્ત્રરચક્રનો બીજ મંત્ર છે ‘ૐ’. તેનું ઉચ્ચારણ તો ફાયદો કરે જ. એ સિવાય અમુક ખાસ પ્રકારના ધ્વનિની બહુ જ લાભદાયક અસર છે. બાઈનોરલ બિટ્સ અને સોલફ્રેજીઓ ફ્રિક્વન્સીનું સંગીત મદદરૂપ બની શકે. આ સાથેની બંને લિંક ચેક કરી શકો છો.

963 Hz ❯ Activate Pineal Gland ❯ Heal Crown Chakra ❯ Solfeggio Sleep Music

Binaural Beat Crown Chakra Meditation: Healing Meditation Music Relax Mind Body, Sleep Meditation:

4. નિયમિત રીતે થોડો સમય મૌનમાં વિતાવીએ. મૌનની સૌથી વધુ હકારાત્મક અસર ક્રાઉનચક્ર પર છે. મૌન મતલબ વોટ્સ અપ જોવામાંથી પણ મૌન.

5. . ખુદના વિચારોને માનવાનું છોડી દઈએ. થોડું અટપટું વાક્ય લાગતું હશે કદાચ આ. પરંતુ લગભગ તમામ લોકોએ અનુભવેલી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે આસપાસના વાતાવરણની અને વ્યક્તિઓની ગાઢ અસર આપણા વિચારો પર થાય છે. વ્યક્તિ જેટલી વધુ ઊર્જા સંવેદનશીલ તેટલી આ અસર વધારે. બહુ ભીડભાડમાં ઘણી વખત કોઈ નાનો નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડે છે. કોઈ મોલમાં ઘુસ્યા અને ભીડ બહુ છે. તો કપડાં ખરીદવાં જેટલી સામાન્ય વસ્તુમાં પણ ગૂંચવાઈ જઈએ. કારણ એ છે કે ત્યાં હાજર દરેક વ્યક્તિના વિચારો આપણા વિચારો સાથે ભળી જાય અને અંતે ગૂંચવણ ઉભી થાય. સારો સેલ્સમેન આપણા વિચારોને પ્રભાવિત કરી દે અને જે ન ખરીદવું હોય તે પણ ભટકાડી દે. દિવસમાં સરેરાશ 60000 વિચાર આવે. બધા કંઈ ખુદના જ હોય તેવું જરા પણ જરૂરી નથી. એક વોટ્સ અપ મેસેજ વાંચીએ તો એમ લાગે કે કોઈ એક નેતા જ દેશની પ્રગતિ કરશે, બીજો વાંચીએ તો ત્યારે એમ લાગે કે આ નેતા તો દેશને અધોગતિના ખાડામાં નાખી દેશે. આમ વિચારો બીજાના વિચારોથી બહુ જલ્દી પ્રભાવિત થાય છે. માટે ખુદની વિચારધારાને જ પડકારીએ. અન્યોના વિચારોને તો ઘણી વખત ચેલેન્જ કર્યા હશે. હવે આપણા વિચારોનો વારો. પ્રયાસ કરીએ સમજવાની કે હું જે માનું છું તેનાથી વિરુદ્ધ સાચું હોઈ શકે? કેટલું સાચું હોઈ શકે? એક નવા જ દ્રષ્ટિકોણની શોધ થશે. મન અને હૃદય આ સાથે વિશાળ થશે. જક્કીપણું ઓછું થશે. અભિમાન ઓછું થશે. બાયરન કેટી નામના એક અત્યંત પ્રસિદ્ધ અમેરિકન લેખિકાના શબ્દો છે: “I discovered that when I believed my thoughts, I suffered, but that when I didn’t believe them, I didn’t suffer, and that this is true for every human being. Freedom is as simple as that.” આ પ્રબુદ્ધ લેખિકાની સાઈટ https://thework.com/ રસ ધરાવતા લોકોએ ચેક કરવા જેવી છે.

એવું માનવામાં આવે છે કે આપણા 98% વિચારો ખરેખર તો બીજા કોઈના હોય છે. એક આદત તરીકે દરેક વિચાર સાથે પ્રશ્ન ઉઠવો જોઈએ કે આ વિચાર કોનો છે. ‘Who Does This Belong To’ નામની એક મોબાઈલ એપનો ઉપયોગ આ આદત કેળવવા માટે કરી શકાય.

6. મનને ‘સતત આભાર’ માનતું (Gratitude Mode) કરી દઈએ – આભાર પરિસ્થિતિનો, આસપાસની વ્યક્તિઓનો, સંજોગોનો, દરેક વસ્તુનો. દરરોજ એક ડાયરીમાં 10થી શરુ કરી શક્ય તેટલી વધુ વ્યક્તિઓ/વસ્તુઓ નોંધીએ અને તે તમામનો આભાર માનીએ. આ બનશે આપણું ‘Gratitude Journal’. જો શાંતિથી વિચારીએ તો ગણી ગણાય નહિ તેટલી વ્યક્તિ અને વસ્તુઓ આ માટે મળી રહેશે. પાવરકટ પછી જયારે વીજળી પાછી આવે ત્યારે ખ્યાલ આવે છે કે વીજળીનું કેટલું મહત્ત્વ છે, આભાર માનીએ વીજળીની શોધ કરનારનો; શરીરના પ્રત્યેક અંગની કામગીરી વિચારી તે તમામ અંગનું મહત્ત્વ સમજી એક પછી એક બધાનો આભાર માનીએ; પતિ/પત્ની વિષે જે કંઈ ફરિયાદ હોય તેને બાજુએ મૂકીને એ યાદ કરીએ કે તેનું આપણી જિંદગીમાં કેટલું મહત્ત્વ છે અને તેણે આપણે માટે આજ સુધીમાં શું કર્યું છે. બધી ફરિયાદ ઓગળી જશે અને આભાર માનવાના અનેક કારણો મળી જશે; કુટુંબીજનો, મિત્રોને માટે પણ આ જ વાત લાગુ પડશે. એક વાર આભારની મનોસ્થિતિની આદત પડશે પછી દરેક વસ્તુમાં બધું હકારાત્મક જ દેખાશે જે બ્રહ્માંડની ઊર્જાને સહસ્ત્રારચક્ર દ્વારા પુરા શરીરમાં ઉતારવામાં અત્યંત મદદરૂપ બનશે.

7. એવી વસ્તુઓ શોધી કાઢીએ જેનાથી પ્રેરણા પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિને જૂદી-જૂદી વસ્તુઓથી પ્રેરણા મળે – કોઈને સંગીતથી તો કોઈને મૂવીઝથી તો કોઈને કુદરતના ખોલે પહોંચી જવાથી. કોઈને ટેલિવિઝનનાં કોઈ કાર્યક્રમ દ્વારા તો કોઈને કોઈ વ્યક્તિ દ્વારા. આપણું પ્રેરણાસ્ત્રોત્ર આપણે જ શોધવાનું. તેનો મહત્તમ લાભ લેવાનો.

8. કુદરત સાથે સમય પસાર કરીએ. ખાસ કરીને પર્વતો ખુંદીએ. વાતાવરણ આપણા વિચારોને પ્રભાવિત કરે, વિચારોને એવા આંદોલનો સાથે મેળવે જે સહસ્ત્રારચક્રને સંતુલિત કરી શકે. તાજી હવા અને સૂર્યપ્રકાશ લાભકારક જ રહેશે, તંદુરસ્તી માટે પણ અને સહસ્ત્રારચક્ર માટે પણ.

ચક્રોમાં કૈલાશ એવા ક્રાઉનચક્રની વાત આપણે કરી રહ્યા છીએ. કૈલાસ પર્વત પર એકધારું તો ચડી ન શકાય, વચ્ચે વિરામ જરૂરી. આપણી વાતને પણ અહીં વિરામ આપીએ. ક્રાઉનચક્રને સંતુલિત કરવા માટેના બીજા ઉપાયો હવે પછીના હપ્તામાં. તે દરમ્યાન એક નમ્ર સૂચન. જિંદગી મૉટે ભાગે ‘હજી અને હવે’ વચ્ચે પૂરી થાય છે. ‘હજી તારી ઉંમર નથી’ અથવા તો ‘હવે તારી ઉંમર નથી’. આવી વાત કોઈ આપણને કહે અથવા આપણે ખુદને કહીએ. પરિણામે ‘ઘણું જાણતા હોવા છતાં કરી કંઈ ના શકીએ’ એમ પણ બને. તે પરિસ્થિતિ આવે તેના કરતાં જે સારું લાગે તેવી કોઈ એકાદ વસ્તુનો પણ અમલ કરી શકાય તો સાચો ફાયદો છે.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૭) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

 મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, તેના આંશિક ઉપયોગની જ આપણી ક્ષમતા, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ, બાઈનોરલ બિટ્સ, સોલફ્રેજીઓ ફ્રીક્વન્સી વિગેરે અને મૂલાધારથી આજ્ઞાચક્ર સુધીના 6 ચક્રો વિષેની વિગતવાર ચર્ચા બાદ હવે આપણે આવી પહોંચ્યા છીએ ચક્રશૃંખલાની ટોચ પર, ચક્રોના કૈલાશ શિખર પર, સહસ્ત્રારચક્ર પર.

 ‘માઉન્ટ કૈલાશ’ – એક એવું શિખર કે જેની યાત્રા કરવા માટે, ત્યાં પહોંચવા માટે ફક્ત ભારતના જ નહિ, પરંતુ દુનિયાભરના અધ્યાત્મપ્રેમીઓ તરસતા હોય છે. એક નાયગ્રા ધોધ ત્યાંની હવામાં જ સતત ઊર્જા વહાવતો હોય, જેનું એક ટીપું પણ ઊર્જાથી તરબતર કરી દેતું હોય, એક અનેરી શાંતિ પ્રદાન કરતું હોય કે જેના માટે મનુષ્ય જિંદગીભર તડપ્યો હોય – તેવું આ શિખર જે છે સમગ્ર પૃથ્વીનું સહસ્ત્રારચક્ર. વિશ્વભરમાં સૌધી વધુ ઊર્જાવાન લે લાઇન્સ જ્યાંથી પસાર થાય છે તે છે આ પોઇન્ટ. પહોંચી શકે છે ત્યાં ફક્ત અમુક વીરલાઓ જ જેમની પાસે છે અડગ નીર્ધાર , યોગ્ય દિશાના પ્રયત્નો તથા શારીરિક અને માનસિક તંદુરસ્તીનો સમન્વય. આ બધું જ લાગુ પડે છે મનુષ્યના સહસ્ત્રરચક્રને પણ.

 ચક્રોમાં શિરમોર એવું ચક્ર, સૌથી ઉપરનું, નીચેથી સાતમું એવું આ ચક્ર. સહસ્ત્રારચક્ર, ક્રાઉનચક્ર, શૂન્યચક્ર – આ બધા એના નામ. ચક્રોના મુગટ એટલે કે ક્રાઉન રૂપે સૌથી ઉપર સ્થિત આ ચક્ર જ્યાં વ્યક્તિગત ચેતના મળે વૈશ્વિક ચેતનાને. તેનું સ્થાન જોવું છે? સરળ છે. હાથના અંગુઠા બંને કાનની ટોચ પર મૂકીએ. એ પછી પહેલી આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરને ત્યાંથી એવી રીતે ગોઠવીએ કે માથા પર બંને આંગળી એક બીજાને અડે. એ પોઇન્ટને હવે જરા દબાવીએ. બસ એ જ છે સહસ્ત્રારચક્ર, માથાનાં તાળવાં પર. આધ્યાત્મિક વિકાસનો અનુભવ કરવા, ભૌતિકવાદી જરૂરિયાતોથી આગળ વધવા અને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડાવા માટે સક્ષમ બનાવે આ ચક્ર. એટલું મહત્ત્વનું ચક્ર કે વ્યક્તિની બધી જ મર્યાદાઓને પાર કરાવી શકે. એક વખત એ ચક્રની ઊર્જામાં ડૂબ્યા તો અનુભવી શકીએ આજુબાજુની દરેક વસ્તુ સાથે પરમ આનંદદાયક સાયુજ્ય (state of blissful unity), સંપૂર્ણ સ્પષ્ટતા અને પ્રબુદ્ધ ડહાપણ (enlightened wisdom) આપે આ જ ચક્ર. જો હોય સંતુલિત આ ચક્ર તો પ્રાપ્ત થાય અપાર શાંતિ, આંતરિક ખુશી અને પરમાનંદ . જોઈએ શું બીજું જિંદગીમાં ! જિંદગીની દરેક પ્રવૃત્તિનું અંતિમ ધ્યેય તો આ જ છે ને?

 વાંચીને કદાચ થાય કે જલ્દી સહસ્ત્રારચક્ર સંતુલિત, સશક્ત કરી લઈએ. યાદ રાખવાનું કે કૈલાશ પર્વત પર પહોંચવા માટે જરૂરી છે અડગ નીર્ધાર, યોગ્ય દિશાના પ્રયત્નો, શારીરિક અને માનસિક તંદુરસ્તી અને બીજું ઘણું બધું, અહીં વાત કરીએ છીએ ચક્ર વ્યવસ્થાના કૈલાશની; બધું જ લાગુ પડે અહીં પણ – ડિટ્ટો. જો પહોંચી ગયા અહીં તો કૈલાશ પર્વતથી પણ અનેરી અનુભૂતિ થાય. કૈલાશ પર્વત પરથી તો પાછા આવીશું એક અનેરી અનુભૂતિ અને શાંતિ તથા ખુશી લઈને, દુનિયાના કોલાહલમાં થોડા સમય પછી એ શાંતિ અને ખુશી હણાઈ પણ શકે, ફક્ત યાદો રહી જાય. અહીં એવું નથી, આ તો આપણો ખુદનો કૈલાશ છે, આપણી સાથે જ સદા રહેશે. 24 x 7. જ્યાં જઈએ ત્યાં બધે સાથે ને સાથે. પડછાયો પણ અમુક સમયે સાથ છોડી દે. આ અનુભૂતિ અને શાંતિ તથા ખુશી એમ નહિ કરે, સાથે જ રહેશે.

 અગણ્ય લોકોની ખ્વાહિશ કૈલાશ પહોંચવાની હોય અને છતાં ત્યાં પહોંચી શકે બહુ અલ્પ ભાગ્યશાળીઓ. એ જ કાયદો લાગુ પડે અહીં. સાધનામાર્ગના મોટા ભાગના પ્રવાસીઓ અટકી જાય છે આજ્ઞાચક્ર પાસે. માટે જ જેટલી ચર્ચા આજ્ઞાચક્રની જોવા મળે છે તેટલી સહસ્ત્રારચક્રની નથી હોતી. ધ્યાનની પણ લગભગ તમામ કહી શકાય તેટલી પદ્ધતિઓ આજ્ઞાચક્ર પાસે અટકી જાય. પરંતુ સહસ્ત્રારચક્ર તો બધા ચક્રોનો તાજ છે. તેને જો અવગણવામાં આવે તો તે એક મહાભૂલ – blunder જ છે. આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ તો ખરું જ, પણ બીજા તમામ પરિમાણથી આ ચક્રનું અતિ મહત્વ છે, દરેક ચક્ર સાથે તેનો સંબંધ છે, દુન્યવી વસ્તુઓ અને સૂક્ષ્મ શરીર (subtle body) સાથે સૌથી વધારે સંબંધિત એવા મૂલાધારચક્ર સાથે તો સહસ્ત્રરચક્રનો સૌથી વધુ નાતો છે, એક છે પાયો તો એક છે તાજ.

 ક્રાઉનચક્ર મુખ્યત્વે તો પિચ્યુટરી ગ્લેન્ડ સાથે સંકળાયેલું છે, એ સિવાય તેનો સંબંધ પીનીઅલ અને હાઇપોથેલેમસ સાથે પણ છે. હાયપોથેલેમસ અને પિચ્યુટરી બંને સંયુક્ત રીતે સંપૂર્ણ અંતર્સ્ત્રાવી ગ્રંથિઓ પર નિયંત્રણ કરે. પોતાના સ્થાનની વિશેષતાને કારણે આ ચક્ર મગજ અને સમગ્ર નર્વસ સિસ્ટમ સાથે અત્યંત પ્રભાવી રીતે સંકળાયેલું છે. મેડિકલ સમુદાયમાં શરીરના આટલાં બધાં મહત્વનાં અંગ એટલે કે મગજના ડોક્ટર્સ ઓછા જોવા મળે છે કારણ કે મગજની રચના વધુ જટિલ છે, થોડી વધુ મહેનત કરવી પડે ન્યુરોલોજીમાં. એ જ પ્રમાણે સહસ્ત્રારચક્ર સૌથી વધુ મહત્વનું હોવા છતાં તેના વિષે ચર્ચા પણ ઓછી જોવા મળે અને તેની સાધના કરનારા પણ કવચિત જ જોવા મળે.

 સહસ્ત્રારચક્રનો રંગ જાંબલી – વાયોલેટ છે પરંતુ કોઈ કોઈ જગ્યાએ સફેદ રંગ તરીકે પણ તેનો ઉલ્લેખ થાય છે. કોઈ વખત સોનેરી, સફેદ અથવા પારદર્શક પ્રકાશ તરીકે પણ આ ચક્ર દેખાતું હોય છે. ચક્રના રંગ આમ તો સામાન્ય સમજણ માટે હોય છે, થોડેઘણે અંશે અલગ-અલગ વ્યક્તિઓમાં રંગ અલગ પણ જોવા મળે છે. જ્યારે ક્રાઉનચક્ર પૂર્ણ વિકસિત હોય ત્યારે ઘણી વાર પારદર્શક આભામંડળ જેવું દેખાય. એટલે જ ભગવાનનાં, સંતોનાં ચિત્રોમાં માથા પાછળ એ આભા બતાવવાની પ્રથા છે.

 દરેક ચક્રનો એક બીજ મંત્ર હોય છે. આજ્ઞાચક્રની જેમ સહસ્ત્રારચક્રનો મંત્ર પણ ‘ૐ’ છે.

 ઊર્જાના પ્રવાહનું નિયંત્રણ કરવામાં આ ચક્રની વિશેષ ભૂમિકા છે. બધા જ ચક્રો એકબીજા સાથે જોડાયેલા છે; જ્યારે એક ચક્ર અવરોધ અથવા અસંતુલનનો અનુભવ કરે, , ત્યારે તે બીજા બધાને પણ અસર કરે. તેમાં પણ સહસ્ત્રારચક્રની અસર તો બીજા ચક્રો પર વિશેષ.

 હવે એ જોઈએ કે સંતુલિત સહસ્ત્રારચક્ર શું કરી શકે.

>>> બધી બાબતોમાં સૌંદર્ય અને દૈવત્વ જોવા માટે સમર્થ બનાવે.

>>> બ્રહ્માંડ સાથેનું જોડાણ મજબૂત કરે. વ્યક્તિને દરેક વ્યક્તિ સાથે અને પોતાની આસપાસની દરેક વસ્તુ સાથે એકતા અનુભવવા માટે સક્ષમ બનાવે.

>>> મનુષ્યની ચેતનાને ઉચ્ચ સ્તર પર લાવે.

>>> સંપૂર્ણ સ્પષ્ટતા અને પ્રબુદ્ધ ડહાપણ/જ્ઞાનની ક્ષમતા આપે.

>>> સાતત્ય સાથેની પરમ શાંતિ અને નિજાનંદ આપે.

 એ પણ જોઈએ કે સહસ્ત્રારચક્ર અસંતુલિત હોય તો શું થાય?

ઊર્જા સહસ્ત્રાર ચક્રમાં ઓછી પહોંચતી હોય (underactive chakra) તો વિવિધ શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉભી થઇ શકે, જેમ કે:

>>> ભૌતિકવાદી આવશ્યકતાઓને છોડી દેવાની ક્ષમતામાં અવરોધ

>>> ‘સંતોષ’ અનુભવી ન શકાય જેનાથી નાભિચક્ર પણ દૂષિત થાય અને તેની સાથે સંબંધિત રોગ પણ થાય, આંતરિક પ્રેરણા અને સ્ફુર્ણાનો અભાવ રહે, વ્યક્તિ માનસિક અવઢવમાં રહે.

>>> એકલતા; અન્ય લોકો સાથે સંપર્ક કરવા અથવા સંબંધ બનાવી રાખવા માટે અક્ષમતા

>>> દિશા અભાવ

>>> લક્ષ્યો નક્કી કરવામાં અથવા જાળવવામાં અસમર્થતા

 શારીરિક સમસ્યાઓ:

>>> ન્યુરોલોજીકલ ડિસઓર્ડર

>>> થાઇરોઇડ અને પીનીઅલ ગ્રંથિની વિકૃતિઓ

>>> અલ્ઝાઇમર

>>> માથાનો તીવ્ર દુખાવો, માઇગ્રેઇન્સ

>>> સ્કિઝોફ્રેનિઆ

>>> ભ્રામક વિકારો

>>> અનિદ્રા

>>> આજકાલ કૂદકે ને ભૂસકે વધતી બીમારી એટલે કે હતાશા – ડિપ્રેસન.

>>> અતિશય થાકની લાગણી.

>>> મગજનું કેન્સર

>>> હાડકાંનું કેન્સર

>>> મલ્ટીપલ સ્ક્લેરોસિસ

>>> વાઈ – epilepsy

>>> કોમા

>>> બ્રેઈન સ્ટ્રોક,

>>> અલ્ઝાઇમર્સ,

>>> ઉન્માદ

>>> પાર્કિન્સન

 ક્રાઉન ચક્ર ઓવરએક્ટિવ હોય એટલે કે અતિ વિશેષ પ્રમાણમાં ઊર્જા ગ્રહણ કરતું હોય તો પણ બરાબર નહિ. શું થાય તો?

>>> વ્યક્તિ શારીરિક અને દુન્યવી વસ્તુઓથી/ વાતોથી સંબંધ છોડવા લાગે,

>>> ડિપ્રેસનમાં જઈ શકે,

>>> પોતાની જાતને વિશેષ માનવા લાગે.

>>> શું પવિત્ર છે અને શું અપવિત્ર – તેના વિષે જ વિચાર્યા કરે, ટીકા-ટિપ્પણી કાર્ય કરે.

>>> વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે એટલી બધી જોડાય જાય કે તે વિષે જ વાતો કાર્ય કરે, વિચાર્યા કરે અને એક મનોવૈજ્ઞાનિક કેઈસ બની જાય. સાયકોલોજીની ભાષામાં આ સ્થિતિને ‘spiritual emergency’ તરીકે ઓળખવામાં આવે છે.

>>> કોઈ પણ નવી વસ્તુ સ્વીકારવા માટે વ્યક્તિનું મન બંધ થઈ જાય એટલે કે ‘closed mindedness’ આવી જાય.

>>> પ્રકાશ અને અવાજ પ્રત્યે વધુ પડતી સંવેદનશીલતા આવી જાય, વધુ પ્રકાશ કે અવાજ સહન ન થઈ શકે.

આવા અગત્યના ચક્રને સંતુલિત કરવાના અનેક ઉપાયો છે. સરળ ઉપાયો પણ છે અને કોઈ કોઈ થોડા મહેનત માંગી લે તેવા પણ છે. સાતત્ય સાથે કરવા આવશ્યક. કૈલાશયાત્રા માટે થોડી મહેનત તો કરવી જોઈએ ને ! એ ઉપાયો વિષે ચર્ચા કરશું આ પછીના હપ્તામાં.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૬) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજ્ઞાચક્ર સંતુલિત કરવાના થોડા ઉપાયોની ચર્ચા લેખ 16માં કરી. જેમ પહેલાં વાત થઈ તેમ અતિ અગત્યનું ચક્ર છે અને લગભગ તમામ ધ્યાન પદ્ધતિઓ અહીં અટકી જાય છે. વધારામાં દરેક વ્યક્તિઓનું આજ્ઞાચક્ર થોડેઘણે અંશે અસંતુલિત અથવા અવરોધિત જોવા મળે છે. પરિણામે ‘આંતરિક અવાજ’ અનુસરવાને બદલે વ્યક્તિ આસપાસના માહોલ મુજબ, પોતાના કંડિશનિંગ મુજબ, કુટુંબ-મિત્રો અથવા માની લીધેલી સામાજિક મર્યાદાઓ મુજબ નિર્ણય લે છે અને અંતે ઘણી વખત પસ્તાય છે. જો આત્માના અવાજને અનુસરીને નિર્ણય લીધેલો હોય તો ગમે તે પરિણામ તે નિર્ણયના આવે, એક આત્મસંતોષ અને પરિણામે માનસિક શાંતિ રહે છે. એ સિવાય આધ્યાત્મિક કારણોસર તો આજ્ઞાચક્રનું એક ખાસ સ્થાન છે જ. આ સંજોગોમાં આજ્ઞાચક્રને સંતુલિત કરવાના થોડા વધુ ઉપાયો વિસ્તૃત રીતે જોઈએ.

આજ્ઞાચક્રને સૌધી વધુ દુષિત કરનારું પરિબળ હોય તો તે ‘મનોવ્યાપાર’ છે. ધારણાઓ, માન્યતાઓ અને પરિણામે અભિપ્રાયો એટલા રિજિડ બની જાય છે કે આપણે તદ્દન બિનજરૂરી અને પાયાવિહીન મનોવ્યાપાર તરફ દોરવાઈ જઈએ.

ધારણા: થોડી નોંધ, થોડા દિવસ માટે રાખીએ કે આપણી ધારણાઓ સામે હકીકત શું હતી. દાખલા તરીકે, કોઈ વ્યક્તિએ મને ફોન કરવો જોઈતો હતો પરંતુ નથી કર્યો. આ સંજોગોમાં મેં શું વિચાર્યું છે અને પછી હકીકત શું હતી તે નોંધીએ. કોઈ કુટુંબીજન મોડું આવ્યું. મેં તે સમયે શું વિચારેલું અને ખરેખર શું હતું. પત્ની આજે કોપાયમાન છે. ધારણા મૂકી હોય (અને ગભરામણ થઈ હોય) કે મારી કંઈ ભૂલ થઈ. પછી ખબર પડે કે આજે કામવાળી નથી આવી અને 4 દિવસ હજી નથી આવવાની તેનું ટેન્શન છે. પતિ ચૂપ છે, મેં કદાચ ધાર્યું છે કે મારાથી નારાજ છે. ધીરેથી વાત જાણીએ કે સાચું કારણ શું હતું. ઓફિસમાં કંઈ તકલીફ હતી?  બહુ જલ્દી ખ્યાલ આવશે કે મોટા ભાગની ધારણાઓ ખોટી પડે છે.

એક્સેસ કોન્સીયસનેસ (Access Consciousness) નામની એક હીલિંગ પદ્ધતિના અમુક સિદ્ધાંતો અત્યંત અગત્યના છે. ફક્ત એ અનુસરવાથી પણ ઘણાબધા બિનજરૂરી મનોવ્યાપારથી બચી શકીએ અને આજ્ઞાચક્રને એટલું સુરક્ષિત રાખી શકીએ.

‘દરેક વસ્તુ માત્ર એક ‘મત’ છે.’ દરેક વ્યક્તિને પોતાના કંડિશનિંગ હોય છે અને તે મુજબ જે તે વ્યક્તિ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. કોઈ વાર એ અભિપ્રાય સાંભળનારને પસંદ ન પણ હોય. તરત જ તે વ્યક્તિ માટે થોડો પૂર્વગ્રહ અથવા અભાવ ઉત્પન્ન થઈ શકે. જો એ યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય એ તેમનો વ્યુ પોઇન્ટ છે અને બીજી વ્યક્તિનો મત અલગ હોઈ શકે, તો આવો પૂર્વગ્રહ કે અભાવ થતો અટકાવી શકાય, આજ્ઞાચક્રને અવરોધિત થતું અટકાવી શકાય.

‘કોઈ સ્પર્ધા નહિ.’ એકબીજાથી આગળ નીકળી જવાની, હંમેશા દરેક વસ્તુમાં પહેલો નંબર મેળવીને વાહવાહ મેળવવાની આંતરિક અદમ્ય ઇચ્છા કોઈ પણ મનુષ્યને શારીરિક અને માનસિક રીતે દોડતો રાખે છે. આગળ નીકળી શકાય કે નહિ તે તો નક્કી નથી પણ માનસિક તાણ વધી જાય અને તેની સાથે વણાયેલ રોગોની ભેટ જલ્દી મળી જાય તે શક્યતા વધારે. પોતાનાથી આગળ નીકળતી વ્યક્તિ પર કોઈ વાર ચીડ ચડે એવું પણ બને. સાચું એ છે કે ‘શાંતિ’ તો કોઈ પણ કિંમત આપી ખરીદવાની વસ્તુ છે, અને તે માટે સ્પર્ધાથી દૂર રહેવાથી ફાયદો જ થશે.

‘કોઈ પણ જાતનાં જજમેન્ટ નહિ.’ આ સારું, આ ખરાબ; આ સાચું, આ ખોટું – આવા બધાં જજમેન્ટ અંતે કોઈ ને કોઈ રીતે પૂર્વગ્રહ બાંધવા તરફ દોરી જાય. જો યાદ કરીએ તો આપણો ખુદનો અભિપ્રાય જ બદલતો રહે છે, કાલે જે વસ્તુ સ્વીકાર્ય ન હોય તે આજે સંપૂર્ણ સ્વીકાર્ય હોય તેવું અનેક વખત બની શકે. જિંદગીમાં ‘બદલાવ’ એ એક માત્ર ‘સ્થિર’ વસ્તુ છે. તે સંજોગોમાં કોઈ પણ જાતના જજમેન્ટ લેવાં યોગ્ય ગણી શકાય? નિર્ણય આપણે જ લેવાનો રહ્યો.

લાઇટ લેન્ગવેઇજ (Light Language) : એક નવી જ વસ્તુ. એવી ભાષા છે કે જે કોઈ દેશની કે પ્રજાની ભાષા નથી. પરલોકની ભાષા કહી શકાય. અનેક લોકો અધ્યાત્મમાં ઘણા આગળ નીકળી ગયા છે, અને અંતરિક્ષમાંથી આવતા અવાજો પણ સાંભળી શકે છે. આવા લોકોના માધ્યમથી આ ભાષા દ્વારા આ પ્રકારનું હીલિંગ થઈરહ્યું છે. આ પ્રક્રિયાને ‘Channeling’ કહે છે. આ સાથે બે લિંક આપું છું. જે ફાવે તેનો ઉપયોગ કરી શકો છો. શાંત થઈ, એકાંતમાં બેસી, થોડા ઊંડા શ્વાસ લઈ સાંભળશો. ભાષા સમજવાની કોશિશ કરશો નહિ. એક નવો અનુભવ કરવા માટે જ સમય આપવાનો છે અને ‘આપણા માટે જ આપવાનો છે.’ સાંભળતી વખતે ઊંઘ આવી જાય તો ઊંઘી જવાનું. તે હીલિંગ પ્રક્રિયાનો જ ભાગ હશે. મેં આવી એક હીલર પાસેથી આ અનુભવ રૂબરૂમાં મેળવેલો છે અને તે અત્યંત સારો રહ્યો છે.

Light language healing for the third eye:

https://www.lightasafeatherenergy.com/…/third-eye…

સાંભળ્યું હશે કે ‘પૃથ્વીનું ડીમેન્સન બદલાઈ રહ્યું છે.’ સાદી ભાષામાં એનો મતલબ એ છે કે સંપૂર્ણ વિશ્વનું આધ્યાત્મિક સ્તર ઊંચું જઈ રહ્યું છે. આસપાસ નજર નાખીશું તો જોવા મળશે કે નાની ઉંમરની અનેક વ્યક્તિઓ અધ્યાત્મ તરફ દોરાઈ રહી છે, યોગ અને ધ્યાન પ્રત્યે કોઈ દિવસ ન હતી તેવી જાગૃતિ આજકાલ જોવા મળે છે. એ જ પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ ડીમેન્સન ઉપર જવાની પ્રક્રિયામાં સહાયક થવા માટે જે વિવિધ વસ્તુઓ થઈરહી છે, લાઇટ લેન્ગવેઇજ તેનો એક ભાગ છે.

આજ્ઞાચક્ર પર ચુંબન: આ એક અલગ જ અનુભવ છે. પીનીઅલ અને પિટ્યુટરી બંને ગ્લેન્ડ્સ પર આ ચુંબનની સીધી અસર થાય, બંને ગ્લેન્ડ્સ ઉત્તેજિત થાય, મેલાટોનિનનું વધુ ઉત્પાદન થાય. હવે સમજી શકાશે કે શા માટે ‘ગુડ નાઈટ કિસ’ કપાળ પર કરવામાં આવે છે. એક પ્રકારની સુખાકારી (Well Being) અને સલામતીની ભાવના જે વ્યક્તિને ચુંબન થયું તેને આપમેળે જન્મે. કદાચ એટલે જ વડીલો ભાવનાત્મક રીતે નાની ઉંમરની વ્યક્તિઓને કપાળ પર ચુંબન કરતા હોય છે. એક અર્થમાં વ્યક્તિના આત્માને ચુંબન કરવા જેવું છે. અન્ય લોકો સામાન્ય રીતે આપણા કપાળને સ્પર્શતા નથી. આપણે પોતે પણ આ ભાગને ઓછો સ્પર્શ કરીએ છીએ. ઉચ્ચ ચેતનાયુક્ત જગ્યા છે આ. અહીં કરવામાં આવેલ ચુંબનની સીધી અસર આજ્ઞાચક્ર પર છે.

ધ્યાન: જયારે લગભગ તમામ ધ્યાન પદ્ધતિઓ આજ્ઞાચક્ર માટેની અથવા આજ્ઞાચક્ર સુધી હોય ત્યારે હવે ‘ધ્યાન’ અતિ મહત્ત્વનું બની રહે છે. કોઈ પણ વાત નવી હોય ત્યારે મનમાં એવો ખ્યાલ સહેજે આવે કે મારાથી આ થશે કે નહિ. પરંતુ એક વખત શરુ કાર્ય પછી બહુ સરળ પ્રક્રિયા છે અને ખાસ કરીને ત્યારે કે જયારે અનેક પ્રકારની ફ્રીક્વન્સી, સંગીત વગેરે આ માટે પ્રાપ્ય છે.

એક સરળ રીત.

શાંતિથી, આરામદાયક રીતે આંખ બંધ કરીને બેસીએ.

ધ્યાન રાખીએ કે ફોન કે અન્ય કોઈ વ્યક્તિ થોડો સમય ખલેલ ન પહોંચાડે.

5/10 ઊંડા શ્વાસ ધીરેથી લઈએ અને છોડીએ. ધ્યાન આજ્ઞાચક્ર પર લઈ જઈએ.

કપાળની વચ્ચે ઘાટા વાદળી (ઈન્ડિગો બ્લ્યુ) રંગની ઊર્જા આવતી હોય, એક દડો બનાવતી હોય તેવી ધારણા કરીએ.

ધીરે ધીરે જોઈએ કે એ દડો મોટો થઈ રહ્યો છે, થોડો ગરમ થઈ રહ્યો છે અને શરીરમાંથી અશુદ્ધ ઊર્જા ખેંચી રહ્યો છે.

શરૂઆતની ઉષ્ણતા પછી થોડા સમયમાં એ દડો સામાન્ય થશે અથવા થોડી ઠંડક અનુભવાશે. એ સમયે ધારણા કરીએ કે આ ઊર્જા આખા શરીરમાં પહોંચી રહી છે.

કદાચ લમણાંમાં થોડું દર્દ થશે. નિશાની છે કે ઊર્જા ઉપર ઊઠી રહી છે અને આજ્ઞાચક્રના અવરોધોને તોડવાની કોશિશ કરી રહી છે. થોડા દિવસોમાં આ દર્દની અનુભૂતિ બંધ થઈ જશે.

શરીરમાં આ દરમ્યાન જે કઈ પ્રક્રિયા થાય તે થવા દઈએ. કોઈને ધ્યાન દરમ્યાન શરીરનું હલનચલન અને અન્ય ક્રિયાઓ થાય છે, થાય તો થવા દઈએ. રોકીશું તો તેના પછીના તબક્કાથી વંચિત રહીશું. કોઈ પણ પ્રકારની લાગણીઓ પણ બહાર આવતી હોય તો આવવા દઈએ (જો અન્યને પ્રભાવિત ન કરતી હોય તો. આજ્ઞાચક્રની લાગણીઓ થોડા જોખમવાળી. ગુસ્સો પણ બહાર આવે. તો એ વ્યક્ત કરવામાં સાચવવું પડે).

અનુકૂળ હોય ત્યાં સુધી ધ્યાન કરી બાદમાં આંખો ધીરેથી ખોલીએ. ત્યાર બાદ પણ અન્ય ગતિવિધિ કરતાં પહેલાં થોડી મિનિટો શાંતિથી બેસી રહીએ.

બાઈનોરલ ફ્રીક્વન્સી સાથે ધ્યાન કરવું હોય તો અહીં એક લિંક આપું છું. બાઈનોરલ બિટ્સ સાંભળવા માટે હેડ ફોન અથવા ઈયર ફોન વાપરવા જરૂરી છે.

Third Eye Opening Binaural Beat Subliminal Visualization

આજ્ઞાચક્રના અવરોધને કારણે ઘણી વખત જોવા મળે કે વ્યક્તિ પોતાની માન્યતાઓમાં અત્યંત ચુસ્ત રહે, બીજાની વાત તેને ગળે ઊતરે નહિ. અતિશયોક્તિ અલંકારમાં એવું કહી શકાય કે આવી વ્યક્તિ કહે કે એક રૂપિયામાં ત્રણ આઠ આની આવે તો પછી એને કોઈ કાળે મનાવી શકાય નહિ કે ત્રણ નહિ પણ બે જ આઠ આની આવે. આ પ્રકારની મનોવૃત્તિને કારણે લોકો એમનાથી દૂર રહેવું પસંદ કરે. જો હું આ પ્રકારની વ્યક્તિ હોઉં અને બદલાવ લાવવાની ઇચ્છા હોય તો મારે નવા પુસ્તકો વાંચવા જોઈએ, સામાન્ય રીતે જોતો હોઉં તે સિવાયના TV કાર્યક્રમો જોવા જોઈએ, કોઈ નવા પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ, નવા ક્ષેત્રના મિત્ર બનાવવા જોઈએ, મારી ચીલાચાલુ ઘરેડમાંથી બહાર આવવું જોઈએ; ટૂંકમાં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઈએ. ફાયદો મારો જ રહેશે.

એફર્મેશન્સ: અહીં દર્શાવેલ એફર્મેશન નિયમિત રીતે કરી શકાય. લખીને કરીએ તો વધુ ફાયદો થાય.

“હું મારા આત્માના અવાજને અનુસરું છું.’

“યોગ્ય નિર્ણય કેમ લઈ શકાય તે મને ખ્યાલ છે, હું સરળતાથી તે લઈ શકું છું.”

“મારી જિંદગીનો એક ખાસ મકસદ છે, તેના માટે મને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે.”

“મારા આજ્ઞાચક્ર દ્વારા મળી રહેલા માર્ગદર્શનને હું અનુસરું છું”

“મારી પાસે અપાર શકયતાઓ છે જેમાંથી હું શ્રેષ્ઠ પસંદ કરું છું.”

“મારું આજ્ઞાચક્ર સંતુલિત અને વિકસિત છે.”

“હું ક્રિયાત્મક કલ્પનાઓ કરી શકું છું.”

વિઝ્યુઅલાઈઝેશન બહુ જ ફાયદાકારક રહેશે. મન શાંત અને સ્થિર કરી જીવનનાં જૂદાં-જૂદાં પાસાં નિહાળો. વિચારો કે ક્યાં બદલાવ જરૂરી છે. કઈ પરિસ્થિતિ આદર્શ અથવા ઇચ્છિત છે. બંધ આંખે એ પરિસ્થિતિ નિહાળો. નજર સમક્ષ એ ચિત્ર બની શકે તેટલી વિગત સાથે લાવો. (જાણે કે: નયનને બંધ રાખીને મેં તમને જોયાં છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.) ધારો કે મર્સીડીસ કાર જોવી છે. તો તેનો રંગ, નવી કારની ફીલ, સ્ટાર્ટ કરીએ ત્યારનો અવાજ, તેના હોર્નનો અવાજ – બધું જ વિઝ્યુઅલાઈઝ કરો, દરરોજ કરો. આ NLP ટેક્નિક આજ્ઞાચક્ર માટે અતિ ઉપયોગી છે.

વિષય ઘણો વિસ્તૃત છે. પરંતુ લેખ 15, 16 અને 17માં આજ્ઞાચક્ર વિષેની તમામ પ્રાથમિક અને ઉપયોગી માહિતીની આપણે ચર્ચા કરી છે. હવે આવતા લેખમાં સહસ્ત્રારચક્ર વિષે જાણીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૫) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજ્ઞાચક્ર વિષે થોડું આ પહેલાંના હપ્તામાં સમજ્યા. તેને સંતુલિત કરવાના ઉપાયોમાં માનસિક વ્યાયામ અત્યંત જરૂરી રહેશે. તે વિષે જાણીએ તે પહેલાં આજ્ઞાચક્ર અને પીનીઅલ ગ્લેન્ડ વિષે થોડું વધુ. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર. અધ્યાત્મમાં રસ હોય તેને તો હંમેશા આ નેત્રમાં રસ રહેવાનો જ. પરંતુ અધ્યાત્મમાં ઓછો રસ હોય તો પણ એ સમજવું જરૂરી કે આ ચક્રની તન, મન અને તેને કારણે અંતે ધન પર પણ અસર થાય.

આજ્ઞાચક્રનો સંબંધ છે પીનીઅલ ગ્રંથિ સાથે. માટે થોડું આ ગ્લેન્ડ વિષે. દિવસમાં આશરે ૬૦૦૦૦ વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. મોબાઈલમાં એક સાથે અનેક એપ ખોલી નાખીએ અને પછી મોબાઈલ હેંગ થઈ જાય તેવી દશા મગજની અનેક વખત થઈ જાય. આને માટે જવાબદાર છે આ ટચુકડી પીનીઅલ ગ્લેન્ડ. એક અત્યંત અગત્યનું હોર્મોન છે, નામે “મેલાટોનિન”. ઉત્પન્ન કરે તેને પીનીઅલ ગ્લેન્ડ. જેટલું સારી રીતે ઉત્પન્ન કરે, ઊંઘ એટલી ગાઢ અને પર્યાપ્ત અવધિની. અજવાળું અને અંધારું – બંને આ હોર્મોનને અસર કરે. આ હોર્મોન ઊંઘને, ચિંતાના સ્તરને, શારીરિક ક્ષમતાને પણ અસર કરે. રેટિના જયારે વધુ પ્રકાશ મેળવે ત્યારે આ હોર્મોન ઓછું ઉત્પન્ન થાય અને અંધારામાં વધુ. ખ્યાલ આવે છે આના પરથી કે વધારે પ્રકાશ હોય તો ઘણાને કેમ રાત્રે ઊંઘ ન આવે? શા માટે રાત્રે ઊંઘવાના થોડા સમય પહેલાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર વિગેરે બંધ રાખવાનું કહેવામાં આવે છે? સારી ઊંઘ જોતી હોય તો બંધ કરવાનાં, નહીંતર………..સ્વૈચ્છા બલીયસી.

પીનીઅલ ગ્રંથિ પાસેથી બરાબર કામ લેવું હોય તો થોડા ઉપાય છે.

૧) ફ્લોરાઈડયુક્ત બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ, ટૂથપેસ્ટથી પણ અને પાણીથી પણ. તેને કારણે પીનીઅલ ગ્રંથિ પર ક્ષાર જલ્દી જામી જાય. ફ્લોરાઈડના ઘણાં નુકસાન બીજાં પણ છે. નાની ઉંમરે, ખાસ કરીને છોકરીઓમાં, જાતીય લાગણીઓ જલ્દી જાગૃત થવા માટે ફ્લોરાઈડ પણ એક કારણ છે.

૨) કલોરીન અને બ્રોમીન પણ પીનીઅલ ગ્લેન્ડ પર ખરાબ અસર કરે. દૂર રહેવું સારું.

3) વિટામિન D ઓછું થઈ જાય ત્યારે પણ પીનીઅલ ગ્લેન્ડ અને બીજા અમુક ટીસ્યુઝ પર ક્ષાર જામી જાય.

૪) કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવાને બદલે કુદરતી રીતે કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જરૂરી.

૫) સૂર્યસ્નાન: રાત્રે અંધારું કરી દેવાનું પણ તેનાથી ઉલટું, સવારે સૂર્યનો કુમળો પ્રકાશ જેટલો મળે તેટલી આ ગ્રંથિ વધારે સારી રીતે કાર્ય કરે. વધુમાં વિટામિન D તો મળે જ. મૂડ સારો કરી દે અને ઊર્જા વધારી દે તેવું એક હોર્મોન ‘સિરોટોનિન’ આ સમયે વધુ કાર્યરત થાય.

૬) ઘનઘોર અંધારું કરી ઊંઘવાની આદત પાડવી. નાઈટ લેમ્પ પણ નહિ.

7) સૂર્યદર્શન: આ પહેલાંની જે વાત હતી તે સુર્યસ્નાનની હતી. હવે જે વાત કરીએ છીએ તે સૂર્યના કુમળા પ્રકાશ સામે થોડી સેકંડો માટે જોવાની વાત છે. ફક્ત ૨/૩ સેકન્ડ માટે જ. ‘કુમળો’ શબ્દ અને સમયાવધિ બંને અહીં અગત્યના છે.

હવે મન પર આવીએ. આજ્ઞાચક્રને સંતુલિત કરવા માટે મન શાંત કરવું જરૂરી. ધ્યાન કરીએ, કુદરતના ખોળે પહોંચી જઈએ, આપણી માનીતી કોઈ કળાનો કે રમતોનો સહારો લઈએ. જાતે જ નક્કી કરવાનું રહે કે મનને શાંત રાખવા માટે કઈ રીત મને ફાવશે. મનમાં વિચારોનું તોફાન મચેલું હોય, કોલાહલ હોય તો ‘આંતરિક અવાજ’ કરી રીતે સાંભળી શકાય? એ અવાજ તો કાનમાં કોઈ વાત કહેતું હોય તેનાથી પણ ધીમો હોય ને ! મૉટે ભાગે તો આડકતરી રીતે, ચિહ્નાત્મક રૂપે, સ્વપ્ન દ્વારા બધાં માર્ગદર્શન મળે.

મન શાંત કરવા માટે આજ્ઞાચક્રમાં ભરેલો ગુસ્સો એટલે કે ભારેલા અગ્નિને ઠંડો કરી નાખવો અત્યંત જરૂરી. એમ ન થાય તો જે તે વ્યક્તિ પોતે જ જલતી રહે. શરીરમાં એસિડ પણ વધે. એ સિવાય અનેક રોગ કે તકલીફ થઇ શકે જેના વિષે લેખ ૧૫માં ચર્ચા કરી છે. નર્વસ સિસ્ટમના રોગ આજ્ઞાચક્રના દોષને આભારી છે. અહીં થોડું વિસ્તારથી અને શાંતિથી વિચારી નીચેના પ્રશ્નોના જવાબ જાત પાસેથી મેળવીએ.

૧) એક વસ્તુ નક્કી છે કે આજ્ઞાચક્રમાં ભરેલો ગુસ્સો નજીકની વ્યક્તિ પર હોય અને વિવિધ કારણોસર એ ગુસ્સો વ્યક્ત કરી શકાય તેમ ન હોય. નહીંતર તો એ ગુસ્સો ભૂલી ગયા હોઈએ અથવા કોઈ પણ રીતે વ્યક્ત કરી દીધો હોય. આવા સંજોગોમાં શાંત ચિત્તે નક્કી કરીએ કે આખી જિંદગી સળગતો કોલસો હાથમાં રાખીને હાથ અને હૈયું જલતા જ રાખવા છે?

૨) જો ભૂલીશું નહિ તો સ્થિતિ એવી બનશે કે કોઈને કારણે દર્દ મળ્યું, ગુસ્સે થયા, ત્યાં વ્યક્ત ન કરી શક્યા ને ભૂલ્યા પણ નહિ. તો ક્યાંક ને ક્યાંક ભોગ બીજા બનશે. ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવી સ્થિતિ થઈ. કોઈ ને કોઈ જગ્યાએ એ ગુસ્સાનો અગ્નિ લબકારા મારશે.

૩) જો ગુસ્સાની ઊર્જા સાથે ભોજન બનાવવાનું હોય તો શું થઈ શકે તે લેખ ક્રમાંક ૧૫માં ચર્ચા થઈ. આખા ઘર પર એ ઊર્જા ગઈ, નુકસાન કુટુંબના તમામ સભ્યોને થયું, સંતાનોને અને વડીલોને પણ. વિચારીએ કે શું આ પરિસ્થિતિ ચાલુ રાખવી છે? જેના માટે આટલી ચિંતા કરીએ છીએ તેમને જ નુકસાન કરવામાં પણ કારણભૂત બનવું છે?

૪) એ વિચારીએ કે કેટલા સમયથી/વર્ષથી ભરેલો ગુસ્સો છે. ફરી એ સભાન ખ્યાલ લાવીએ કે આટલા સમયથી/વર્ષોથી નુકસાન કોને થયું? ખુદને? સામેની વ્યક્તિને? કે બીજા કોઈને?

૫) પુરુષ-સ્ત્રીની શારીરિક રચનામાં જેટલો ફેર છે તેટલો જ અથવા તો તેનાથી પણ વધારે ફેર માનસિક પ્રકૃતિમાં છે. માટે પતિ-પત્ની વચ્ચે પણ ઘણી વખત અનેક ગેરસમજણ રહે, પરિણામે આજ્ઞાચક્રનો અવરોધ એટલે કે ગુસ્સો ભરાયેલો રહે અને શાબ્દિક તણખા પણ ઝરે, આગ પણ લાગે. વિષય લાંબી ચર્ચા માંગી લેવો તેમ છે પરંતુ ફક્ત એક દાખલો. સૌથી સામાન્ય અવ્યક્ત કે વ્યક્ત ફરિયાદ કે મારા એ તો ભાગ્યે જ બોલે (અથવા તો મારી પત્ની બોલ-બોલ જ કરે). આ ફરિયાદ કદાચ ઉત્પન્ન ન થાય જો ખ્યાલ હોય કે પુરુષો જયારે માનસિક દબાણમાં હોય ત્યારે મૌન તેમના માટે સ્ટ્રેસ બસ્ટર છે અને એ સમયે તેમને કોઈ ખલેલ પહોંચાડે એ તેમને જરા પણ પસંદ નથી. આનાથી તદ્દન વિપરીત, વધુ બોલીને સ્ટ્રેસમાંથી બહાર આવવું તે સ્ત્રીની પ્રકૃતિ છે. ફક્ત એટલું યાદ રાખીએ “હું જેમ ઇચ્છુ છું તે રીતે જ મારા પત્ની/પતિ વર્તન કરશે / લાગણી અભિવ્યક્ત કરશે તેવું માનવું ખોટું છે, કારણ કે એ જૂદી પ્રકૃતિની વ્યક્તિ છે.” બસ આટલું બરાબર યાદ રહે તો પણ ગુસ્સો ઘણા અંશે શમી જશે. પાડોશીઓને આપણા ઘરની ભીંત તરફ કાન ધરી રાખવાની ઈચ્છા નહિ થાય !!!

૬) સ્વાભિમાન અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. થોડો માનસિક તટસ્થ પરિશ્રમ કરી વિચારવાનું કે શું મારું ઈગો લેવલ થોડું વધારે હતું, તેથી હૈયાને ઠેસ જલ્દી લાગી ગઈ અને માટે ગુસ્સો આજ્ઞાચક્રમાં સચવાઈ રહ્યો તેવું તો નથી ને? આ સંજોગોમાં થોડું ફિલોસોફિકલ થઇ જવાનું કે જે વસ્તુને કારણે અભિમાન હોય તેવી કોઈ પણ વસ્તુ સદા સાથ આપતી નથી. તાજા જ દાખલાઓ છે કે એક સમયના અત્યંત તવંગર અથવા સત્તાધારી લોકો જેલમાં છે કે દેશ છોડીને ભાગતા ફરે છે જયારે સ્ટેશન પર ભીખ માંગતી એક સ્ત્રી (રાનુ માંડલ) હવે ફિલ્મોમાં એક ગીત ગાવા માટે લાખો રૂપિયા મેળવે છે.

૭) ગુસ્સો ભરી રાખેલો હોય તેનાં કારણોમાં મોટા ભાગે બીજી કોઈ વ્યક્તિના કોઈ શબ્દો કે કાર્યને કારણભૂત ગણતા હોઈએ છીએ. ‘વાંક તો તારો જ. એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક સત્ય એ છે કે સામેવાળી વ્યક્તિનાં કાર્યો કે શબ્દો હૈયે ચોંટી ગયા હોય છે અને પોતે એ જ વ્યક્તિને શું કહ્યું હોય, તેની સાથે શું કર્યું હોય તે સામાન્ય રીતે ભુલાઈ ગયું હોય. થોડી મહેનત કરી એ યાદ કરવાની કોશિશ કરીએ “મેં જે તે સમયે (કે પછી) શું કહ્યું હતું / કર્યું હતું?” શક્ય છે કે યાદ આવશે કે મેં ત્યારે જ હિસાબ ચૂકતે કરી નાખ્યો હતો ! જો એવું હોય તો ગુસ્સો કરવાનો કે ભરી રાખવાનો કોઈ અધિકાર ખરો?

૮) ગુસ્સાના કારણો ઘણી વખત બેબુનિયાદ હોય છે. આશરે ૬૦ વર્ષનાએક વિદેશી સાધ્વી અમારા મહેમાન થયેલા. તેમના માતા-પિતા બંને ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે. સાધ્વી અમારા મિત્ર જ છે અને તેમની સાથેની હળવી વાતો દરમ્યાન તેમણે કહેલું કે તેમની માતાના મગજમાં કોઈ જૂની યાદો હશે જેને કારણે તે હજી તેમના પતિ (સાધ્વીના પિતા) પર ઘણી વાર શંકા કરીને ગુસ્સો કરે છે કે તમે બાલ્કનીમાં શા માટે ગયા, પાડોશણને જોવા !!! ગુસ્સો એ બહેનના મગજ પર એ હદે હાવી થાય છે કે તેમને એ પણ ધ્યાન નથી રહેતું કે તેમના પતિ ૮૪ વર્ષના થયા અને કદાચ એ પાડોશણને જુએ તો પણ શું થઈ ગયું? ગુસ્સાના બીજ કદાચ ૫૦ વર્ષ પહેલાંથી તેમણે સાચવી રાખેલા છે અને આખી જિંદગી તેને કારણે પરેશાન થયા છે. દરેકે એ વિચારવાનું કે મારી મહામૂલી જિંદગીમાં મેં કોઈ પણ કારણોસર આવી પરેશાની સ્વીકારી છે; જો જવાબ હકારમાં હોય તો હવે તેમાંથી બહાર આવવું છે?

મન શાંત કરવાના, ગુસ્સાનો નિકાલ કરવાના ઉપરોક્ત પ્રયત્નો સિવાય આજ્ઞાચક્રને મજબૂત કરવા માટે બીજું પણ ઘણું કરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે પ્રયત્નોમાં વિશ્વાસ સાથે સાતત્ય જરૂરી છે.

૧) સભાન પ્રયત્નથી દિવ્ય શક્તિને/ કુદરતને કોઈ સવાલ પૂછવો અને તેના જવાબની રાહ જોવી. જવાબ હંમેશા કોઈ પ્રતીકાત્મક રૂપે અથવા સ્વપ્ન દ્વારા આવશે.

૨) એક આદત તરીકે સવારે ઉઠી તરત જ રાત્રે જોયેલા સ્વપ્નમાંથી જે કઈ યાદ આવે તે નોંધવું.

3) વિચારદર્શન. જયારે વિચારોને ફક્ત દ્રષ્ટાભાવથી જોઈએ અને તેની સાથે વહી ન જઈએ તો તેનો પ્રવાહ લાગણી સુધી પહોંચે નહિ/ઓછો પહોંચે. વિચારોને ફક્ત જોયા કરવાથી ખ્યાલ આવશે કે વિચાર જૂદા અને આપણે જૂદા.

૪) મંત્ર: આ ચક્રનો બીજ મંત્ર ૐ છે. તેના નિયમિત જાપ કરી શકાય.

૫) ત્રાટક: મોટા ભાગના લોકો આ શબ્દથી પરિચિત હશે. આંખને સમાંતર દીવાની જ્યોત રાખી તેની સામે એકધારું જોવું કે જ્યાં સુધી આંખ સ્વયં બંધ ન થઇ જાય. એ સમયે એવી ધારણા કરવી કે એ જ્યોતમાંથી ઊર્જા પ્રવાહિત થઈ શરીરમાં આવી રહી છે, પહેલાં આજ્ઞાચક્રમાં પ્રવેશી રહી છે અને ત્યાર બાદ સમગ્ર શરીરમાં ફરી રહી છે.

૬) જે કલાનો શોખ હોય તેને વિકસાવીએ, તેને માટે સમય આપીઍ. આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર બંને ચક્ર માટે આ કામનું છે.

૭) સ્પર્ધામુક્ત જીવન જીવવાની કોશિશ કરીએ. નિજાનંદ અને સ્વઉન્નતિ માટેના પ્રયત્નો કરીએ, નહિ કે કોઈને બતાવી દેવા માટે.

આજ્ઞાચક્ર અત્યંત અગત્યનું ચક્ર છે, ઘણી બધી સંબંધિત વસ્તુઓની ચર્ચા બાકી છે. આજે અહીં વિરામ લઈએ. વધુ આવતા હપ્તે. નમ્ર સૂચન એ છે કે જે કઈં મનોમંથન થઈ શકે, પ્રયત્નો થઈ શકે તે કરીએ. ફાયદામાં રહીશું .

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૪) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ચક્રયાત્રામાં ઘણા ઉપર, છેક છઠ્ઠા ચક્ર સુધી હવે પહોંચ્યા. પર્વત પર શરૂઆતમાં ઝડપથી ચડીએ, જેમ ઉપર જઈએ તેમ આજુબાજુનો નજારો માણતાં-માણતાં ધીરે-ધીરે ચડીએ અને અંતે જયારે ચઢાણ પૂરું થાય ત્યારે એક અનેરો આનંદ અને સંતોષ થાય. તેમ હવેનાં બંને ચક્રો અત્યંત શાંતિથી સમજવાની જરૂર છે. વિશુદ્ધિચક્ર સમયે જોયું કે હવેનાં ચક્રોમાં વિચારો અને લાગણીઓને વધુ સંબંધ છે. દરેક વિચારોની દૂરગામી અસર છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર તો ખરી જ પરંતુ બીજા જન્મમાં પણ.

ધારણા કરીએ કે કેટલું સારું હોય જો દૂર દૂર સુધી, દુન્યવી આંખોથી ન જોઈ શકાય તેવું જોઈ શકીએ (Clairvoyance), શારીરિક કાનથી ન સાંભળી શકાય તેવા, દુનિયાના બીજા છેડેથી પણ આવતા અવાજો સાંભળી શકીએ(Clairaudience), બીજાની અવ્યક્ત લાગણીઓ અને શારીરિક/માનસિક સ્પંદનો અનુભવી શકીએ (Clairempathy) અને આવું ઘણું કરી શકીએ જેને સામાન્ય રીતે ચમત્કાર કે સિદ્ધિ ગણવામાં આવે છે. (ખરેખર ચમત્કાર નથી, સાઈકિક શક્તિઓ છે) આપણી પાસે અલ્લાઉદ્દીનનો કોઈ જાદુઈ ચિરાગ થોડો છે કે આવું બધું શક્ય બને ! ખરેખર તો જાદુઈ ચિરાગ દરેક પાસે છે જ. પરંતુ ચિરાગ કામ તો જ કરે જો એને નિયમિત સાધનાથી ચમકાવીએ. સામાન્ય રીતે તો એવું જોવા મળે છે કે આ ચિરાગને ચમકાવવાની વાત તો દૂર રહી, બધા એ ચિરાગનો ઉપયોગ કચરો ભરવામાં કરે છે, ત્યાં ઉકરડો બની જાય. એવી જગ્યામાં જે રહેતા હોય તે માંદા તો પડે જ ને, આજે નહિ તો કાલે. (આ કચરા વિષે આ લેખમાં જ આગળ વાત કરીશું). આ ચિરાગનું નામ છે ‘આજ્ઞાચક્ર’. ઇંગ્લીશમાં કહીએ તો ‘Third Eye Chakra’ અથવા ‘Braw Chakra’.

જેને શિવનેત્ર અથવા ત્રીજી આંખ કહીએ તે સ્થાન એટલે કે બંને આંખોની વચ્ચે આજ્ઞાચક્રનું સ્થાન છે. એવું સ્થાન છે આ કે જે આંતરિક ખોજ તો કરાવે પરંતુ સાથેસાથે ઉચ્ચ ચેતનાના સ્થાનો તરફ દોરી જાય. માટે એને ‘બીજી દુનિયાનો દરવાજો’ પણ કહેવાય છે. ચિકિત્સા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો અહીં પીનીઅલ ગ્રંથિ આવેલ છે જેના વિષે હજી આધુનિક વિજ્ઞાન થોડું જ જાણે છે, વધુ જાણવાના પ્રયત્નો કરી રહ્યું છે; આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો એટલે કે ઋષિમુનિઓને હજારો વર્ષ પહેલાં પણ આ સ્થાન એટલે કે આજ્ઞાચક્ર વિષે તલસ્પર્શી જ્ઞાન હતું.

આજ્ઞાચક્ર એટલે એવું સ્થાન કે જ્યાં લગભગ તમામ સાધનાપદ્ધતિ અટકી જાય. વિશ્વભરની લગભગ બધી જ ધ્યાનપદ્ધતિઓ આજ્ઞાચક્ર સુધીનાં અથવા આજ્ઞાચક્રનાં ધ્યાન વિષે છે. જવલ્લે જ કોઈ ધ્યાન પદ્ધતિ તેનાથી ઉપરના ચક્ર એટલે કે સહસ્રારચક્ર વિષે હોય. એવું કહેવાય છે કે સહસ્ત્રારચક્રનું ધ્યાન એ જ કરાવી શકે કે જે તેનાથી પણ ઉપર જઈ ચુક્યા હોય અને જેમને પોતાના ગુરુની આ પ્રકારનું ધ્યાન કરાવવા માટે આજ્ઞા હોય. સામાન્ય રીતે આવા મહાસિઘ્ધ ગુરુઓ સમાજમાં નહિ પણ હિમાલય જેવી જગ્યાએ હોય અને તેથી સમાજમાં પ્રચલિત ધ્યાનપદ્ધતિઓ મોટા ભાગે આજ્ઞાચક્ર પાસે થોભી જાય છે.

જયારે આજ્ઞાચક્ર પૂરું કાર્યરત હોય ત્યારે મગજનો ડાબો અને જમણો બંને ભાગ એક સાથે કાર્ય કરે. એટલે કે યીન અને યાંગ, શિવ અને શક્તિ બંને પૂર્ણ સંયોજન સાથે કાર્ય કરે. ડાબા મગજની તર્કશક્તિ અને વિશ્લેષણશક્તિ સાથે જમણા મગજની રચનાત્મકતા અને લાગણીઓના ઝરણામાં દરેક વસ્તુને ભીંજાવવાની આદતનો સમન્વય થાય. આવી વ્યક્તિ આત્માના અવાજ મુજબ કાર્ય કરે, ટેલિપથી અને બીજી અનેક અતીન્દ્રિય શક્તિઓ પણ મેળવી શકે અને તેનાથી નીચેના ચક્રોની શુદ્ધિ અને સંતુલન આપમેળે થાય. માટે જ આજ્ઞાચક્રનું ધ્યાન અન્ય ચક્રોની (સહસ્ત્રારચક્ર સિવાયનાં) તુલનામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આત્મનિરીક્ષણ માટે નીચેના પ્રશ્નોના જવાબ જાતે જ મેળવીએ.

૧) કાનમાં તકલીફ, ડિપ્રેશન, આંચકી, બ્રેઈન ટ્યુમર, કમરની તકલીફો, નર્વસ સિસ્ટમને લગતા કોઈ પણ રોગો, એલર્જી, સતત ચિંતા, મસ્તકમાં લોહીનું અસંતુલિત પરિભ્રમણ, મોતિયો, અતિ થકાન, ત્રાંસી આંખ, દાંતનો દુખાવો, હોર્મોન્સમાં અસંતુલન, અનિદ્રા, નર્વસ બ્રેકડાઉન, સાઈનસ, શરીરના અંગોમાં ધ્રુજારી, ચિંતાને કારણે થતો માથાનો દુઃખાવો, સ્મૃતિભ્રંશ એટલે કે Amnesia, ચક્કર, ડિસ્લેક્સિયા એટલે કે વાંચવા-લખવામાં થતી તકલીફ – આમાંથી મને શું લાગુ પડે છે?

૨) કોઈ પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની મારી ક્ષમતા ઓછી છે?

૨) વિપરીત સંજોગોમાં માનસિક શાંતિ જાળવવી મારે માટે મુશ્કેલ છે?

૩) હું બહુ જલ્દી અપસેટ થઈ જાઉં છું?

૪) કોઈ પણ વાત પર બહુ જ જલ્દી લાગણીઓથી દોરવાઈને હું પ્રતિભાવ આપું છું?

૫) વાસ્તવિકતાથી ભાગી, દીવાસ્વપ્નોમાં રાચું છું?

૬) સતત વિચારોમાં ખોવાયેલ રહું છું?

આજ્ઞાચક્રની ઊર્જામાં અવરોધ હોય ત્યારે આવું બધું બની શકે. વધારામાં અંતરાત્માનો અવાજ ન સાંભળી શકીએ.

સૌથી વધુ અસંતુલિત ચક્ર જોવા મળતું હોય તો તે આજ્ઞાચક્ર. શુદ્ધ કરવા માટે ખરા દિલના પ્રયત્નો માંગી લે. જે ગુસ્સો આપણે વ્યક્ત ન કરી શક્યા હોઈએ અને ભૂલ્યા પણ ન હોઈએ તે ગુસ્સો આજ્ઞાચક્રમાં સંગ્રહિત થાય. ગુસ્સો વધતીઓછી માત્રામાં કોઈ સંજોગોમાં આવ્યો હોય. દુર્વાસા ઋષિ ગમે ત્યાં ગુસ્સો કરી શકતા. બધા માટે એ શક્ય નથી. ઘણી વાર ગુસ્સો ગળી જઈએ. પછી એ વાત ભૂલી જવી જોઈએ, તેમ ન કરીએ તો લાગ્યા ભોગ. એ બધો ગુસ્સારૂપી કચરો ભેગો થાય આજ્ઞાચક્રમાં, અવરોધ ઉભો કરે ચક્રને ઊર્જા મેળવવામાં. અને પછી વારો આવે પરિણામો ભોગવવાનો. જૈન ધર્મમાં ‘મિચ્છામિ દુક્કડમ’ વ્યવસ્થા આ માટે એક અતિ ઉત્તમ પ્રથા છે. માફી આપો અને માફ કરી દો. વર્ષમાં એક વાર તો કચરો સાફ થાય. ખરેખર તો આ દરરોજ કરવાની પ્રક્રિયા છે.

ગુસ્સો મનમાં ભરી રાખવાથી કઈ હદે નુકશાન થઈ શકે તે સમજવા એક સત્ય ઘટના જોઈએ. એક આધ્યાત્મિક સંપ્રદાયના એક રાજ્યના મુખ્ય પદાધિકારી સંન્યાસીને છાતીમાં અત્યંત દુ:ખાવો થતો હતો. સંપ્રદાયની પોતાની જ હોસ્પિટલ, અસંખ્ય ડોક્ટર્સ અને આધુનિક સાધનો હોવાં છતાં કંઈ નિદાન થઈ શકતું ન હતું. અંતે બીજા એક મહાસિદ્ધ મહાત્માશ્રીની મદદ લીધી. એ મહાત્માશ્રીએ વાતચીત દ્વારા જાણ્યું કે આ સંન્યાસીના મનમાં એક વિશેષ વ્યક્તિ પ્રત્યે અમુક કારણોસર ખૂબ જ ક્રોધ ભરેલો હતો. મહાત્માશ્રીએ પોતાની અતીન્દ્રિય શક્તિથી એ જાણ્યું કે જે વ્યક્તિ પર સંન્યાસીને ક્રોધ હતો તે વ્યક્તિને તે સમયે હાર્ટ એટેક આવેલો. જે તે જગ્યાએ ફોન કરી તપાસ કરતાં એ વાત સાચી નીકળી. ક્રોધને કારણે જે વ્યક્તિથી આ સંન્યાસી માનસિક રીતે જોડાયેલા હતા તે વ્યક્તિની શારીરિક પીડા/તકલીફ આસંન્યાસીને ૧૦૦૦ માઈલ દૂર થતી હતી. તાત્પર્ય એ છે કે માફી આપવાનું શીખવાથી ફાયદો સ્વયંનો છે. ઘણા લોકો ગર્વથી એમ કહેતા હોય છે, “હું તો એને (કોઈ પણ હોઈ શકે) છોડીશ નહિ.” જો આવી મનોવૃત્તિ હોય તો સમજી શકીશું કે આજ્ઞાચક્રની દશા (અને પછી આ વ્યક્તિની અવદશા) શું થાય !

જેમ સ્ત્રી અને પુરુષનું શારીરિક રૂપ જૂદું છે તેમ તેમની માનસિકતા પણ જૂદી છે. પ્રકૃતિ જ અલગ છે ત્યારે ચક્રમાં અસંતુલનના પ્રકાર પણ થોડા અલગ છે. અપવાદો ચોક્કસ હોઈ શકે પરંતુ મહદ અંશે આ લાગુ પડે. પુરુષોમાં બીજું ચક્ર એટલે કે સ્વાધિષ્ઠાનચક્ર અસંતુલિત હોવાની સંભાવના વધારે. સ્ત્રીઓમાં હૃદયચક્ર અને આજ્ઞાચક્ર. (મને અભયવચન આપવા પ્રાર્થના !!!) તેના કારણો પણ છે. આપણી સામાજિક વ્યવસ્થા મુજબ પોતાનું ઘર એટલે કે પિયર છોડીને નવી જ જગ્યા અને લોકો અપનાવવાના હોય, ત્યાં સુમેળ સાધવાનો હોય. લાગણીશીલ સ્વભાવને કારણે હૃદયચક્ર ચારણી થયેલું હોય, સંજોગો ધારણા મુજબના ન પણ હોય. પછી મનમાં ગુસ્સાનો જ્વાળામુખી ભભૂકે, ગુસ્સો નજીકની વ્યક્તિઓ પર હોય ત્યારે ‘ન કહી શકાય, ન સહી શકાય’ તેવી પરિસ્થિતિ હોય ત્યારે દાવાનળ અંદર જ ભડકે, ભડકતો રહે અને મૂળભૂત પ્રેમની લાગણીઓને ધીરેધીરે જલાવીને રાખમાં પરિવર્તિત કરે, એ રાખનો કચરો આજ્ઞાચક્રમાં ભરાય. આવું અવારનવાર પણ બને. કડવી વાતો વારંવાર યાદ કરી આ કચરાને ખાતર અને પાણી અપાય. આજ્ઞાચક્ર કચરો ભરવાની ગાડી હોય તેમ બધેથી કચરો ઠલવાય. બહેનપણીઓ ભેગી થાય – કિટ્ટી પાર્ટીમાં કે ઓટલા પાર્ટીમાં, ફોનમાં વાત કરીને પણ પોતપોતાનો કચરો ઠાલવે. આ કચરાની ખાસિયત એ કે તે ફુગની જેમ વધે. એકબીજાને આપવાથી ઓછો થવાને બદલે પોતાનો પોતાની પાસે જ રહે અને બીજાનો મળે જેથી પોતાનો કચરો ઘાટો થાય. (ઊર્જાનો નિયમ છે કે જ્યાં ધ્યાન જાય ત્યાંથી અને તે પ્રકારની ઊર્જા આવે.) અમદાવાદમાં પીરાણાનો ડુંગર ઉભો થઈ ગયો આમ ને આમ કચરા ભરીને. એવું જ કાંઈક થાય. પછી ઘાટા થઇ ગયેલા અવરોધો તોડવા બહુ અઘરા. સુદર્શનચક્ર મોકલ્યું હોય તો તે પણ કદાચ પાછું આવે. અંતે ઘનઘોર વાદળ છવાયાં હોય અને કાળું ડિબાંગ આકાશ થઈ જાય તેવું જ આજ્ઞાચક્ર થઈ જાય, જયારે વરસી પડે ત્યારે વાદળ ફાટ્યું હોય તેવી તબાહી મચે, ૩ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડી જાય. શક્તિસ્વરૂપા તાંડવનૃત્ય કરે અને સહનશક્તિનું સ્વરૂપ ધ્રુજતા અને દબાયેલા અવાજે જવાબ આપે. (જાણે રાગ ધ્રુજારી !!!) અથવા ગહન મૌનમાં સરી પડે. સોક્રેટિસ મહાશય મહાન ફિલોસોફર આમ જ થયેલા. એક ખાસ યાદ રાખવાનું કે આ ભારેલો અગ્નિ શરીરમાં એસિડિટી ઉભી કરે.

સ્ત્રી કુટુંબની ધરી છે, કુટુંબની સ્થિતિનો આધાર જ એના હાથમાં છે. સ્ત્રીઓએ ધ્યાન કરવું અત્યંત જરૂરી છે એવું સાંભળ્યું હશે. શા માટે? સમજવાની કોશિશ કરીએ. હથેળીમાંથી અને ખાસ તો આંગળીઓનાં ટેરવાંમાંથી સતત ઊર્જાનો પ્રવાહ વહેતો હોય. એ ઊર્જાનો પ્રવાહ સ્પર્શ કરીએ તે દરેક વ્યક્તિ અથવા વસ્તુને સ્વાભાવિક રીતે જ અસર કરે? રસોઈને પણ અસર કરે? લોટ બાંધતી વખતે તો વધારે અસર કરે ને? કારણ કે સૌથી વધુ સ્પર્શ આ સમયે થાય. ઘરમાં જે કોઈ રસોઈ બનાવતું હોય તેના આજ્ઞાચક્રનાં ઘનઘોર વાદળાં મનમાં ને મનમાં અથવા બહાર વરસતાં હોય તો આંગળીઓનાં ટેરવાં પણ એ જ ઊર્જા વહાવે ને? એ જ ઊર્જા રસોઈમાં પણ જાય? આખા ઘરને પ્રસાદ મળે!!! પરિણામ બહુ સરળતાથી સમજી શકાય તેવું છે. આઘા ઘરમાં આ જ ઊર્જા પ્રવાહિત થાય. પછી જે કંઈ થાય તે વિચારવાનું કે ધારવાનું આપ પર છોડું છું. તે સ્ત્રીને ગુસ્સો હોઈ શકે પરંતુ એવી ઇચ્છા જરા પણ ન હોય કે કુટુંબના સભ્યોને નુકસાન પહોંચે. પરંતુ તેની જાણ બહાર નુકસાન તો પહોંચે.

અમુક અપવાદો બાદ કરતાં હજી સુધી તો રસોડાની સામ્રાજ્ઞિ સ્ત્રી જ રહી છે. મસાલાની એક બ્રાન્ડનું નામ ‘કિચન સમ્રાટ’ છે. ખરેખર એ ‘કિચન સામ્રાજ્ઞી ‘ હોવું જોઈએ, કારણ કે તમામ પ્રકારના મસાલા, રસોઈના કે લાગણીના, છાંટવાનો ઈજારો ૯૯% કિસ્સાઓમાં તો સામ્રાજ્ઞિઓ પાસે જ આજે પણ છે. આ સામ્રાજ્ઞિ જો ધ્યાન કરે તો આજ્ઞાચક્ર શુદ્ધ અને સંતુલિત થાય, આંગળીઓના ટેરવાની ઊર્જા બદલી જાય, એ ઊર્જા આખા ઘરમાં અને ઘરના સભ્યોમાં પ્રવાહિત થાય અને કુટુંબના દરેક સભ્યોની અંતમાં પ્રગતિ થાય.

અહીં અટકીએ. આજ્ઞાચક્રને સંતુલિત કરવાના ઉપાયો આવતે રવિવારે જોઈશું. તે દરમ્યાન એક સૂચન. જો શક્ય હોય તો એ મનોમંથન અને આત્મનિરીક્ષણ કરીશું કે મારા આજ્ઞાચક્રમાં કોઈ બેઠું છે? જો બેઠું છે તો એ વ્યક્તિને માફ કરવી છે? ચાલો નથી કરવી, તો પછી તેનાં પરિણામો ભોગવવાં છે?

ક્રમશઃ


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૩) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

વિશુદ્ધિચક્રને સંતુલિત કરવાના થોડા વધુ ઉપાયો જોઈએ. ફરી યાદ કરાવી દઉં કે વાંચવાથી માહિતી મળશે, કરવાથી ફાયદો થશે. માનસિક પરિશ્રમનો સમય હવે આવી ગયો છે, લાગણીઓ અને વિચારોને નિહાળવાની, સમજવાની અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં પ્રયત્ન સાથે તેમને ફેરવવાની જરૂર રહેશે. શારીરિક સ્નાન વિના ચેન પડતું નથી, સાંજે બીજી વખત પણ કરીએ છીએ. પણ માનસિક સ્નાન??? એ કરીશું તો જ સાચી ચક્રશુદ્ધિ, સંતુલન કે સશક્તિકરણ થશે.

ઉપાયોમાં આગળ વધીએ.

૧૫. ચક્રનો રંગ આસમાની છે. આ રંગનાં કપડાં, રૂમાલ, સ્કાર્ફ, પેન, મોજાં, વિગેરેનો વધુ ઉપયોગ કરી શકાય. ઘરમાં/ઓફિસમાં નજરે પડે તે રીતે મુખ્ય રંગ આસમાની હોય તેવા પેઈન્ટિંગ્સ રાખી શકાય. આ રંગની બોટલમાં ભરેલું પાણી પીવામાં વાપરી શકાય. લેપટોપ સ્ક્રીનમાં આ રંગનું પ્રાધાન્ય હોય તેવું ચિત્ર મૂકી શકાય. ટૂંકમાં, જ્યાં શક્ય હોય ત્યાં આ રંગ અત્ર-તત્ર-સર્વત્ર ગોઠવી શકાય.

૧૬. ગાયન વિષે લેખ ૧૩માં વાત કરી. તેમાં થોડું વિશેષ. ગીત ગાવું અથવા ગણગણવું તે તો લાભદાયક છે જ, પરંતુ જો એમ લાગતું હોય કે ‘મને જરા પણ નથી ફાવતું, આ મારું કામ નહિ’ તો ‘સા રે ગ મ પ ધ ની સાં’ એટલે કે સાત સૂરની સરગમનો અભ્યાસ હાર્મોનિયમ પર અથવા તો યુ ટ્યુબના સહારે કરવો જોઈએ. વિશુદ્ધિચક્ર સુધરવાની ગેરંટી. સંગીત સાંભળવાની મજા પણ ત્યાર બાદ અનેરી હશે. નીચે બે લિંક્સ આપી છે. તે અથવા બીજી ઘણી લિંક્સ જાણકાર મિત્રો આપી શકશે. (રિયાઝ કરતી વખતે પાડોશીઓનો ખ્યાલ રાખવો જરૂરી !!!)

૧૭. આકાશ: આ ચક્રનું તત્ત્વ આકાશ છે. ‘આસમાન સે આયા ફરિસ્તા (અથવા પરી)’ એમ માની આકાશ સામે થોડો સમય નિયમિત જોવાની આદત કેળવવી જોઈએ. આ ચક્ર તો સંતુલિત થશે જ પરંતુ સાથેસાથે વિચારોની તીવ્રતા પણ ઘટશે. (બધી બલા આ વિચારોએ જ ઊભી કરી છે ને !) જો સૂર્યના કોમળ તડકા સમયે આ કાર્ય કરીએ તો આંખોને પણ ખૂબ લાભ થશે. મારી એક અમેરિકન ડૉક્ટર મિત્રને ૬૧ વર્ષની ઉંમરે આ પ્રમાણે કરવાથી નબળી આંખોમાં સંપૂર્ણ સુધારો આવી ૨૦/૨૦ વિઝન આવી ગઈ છે. (સાવચેતી: ઘરમાં બધાને કારણ કહી પછી આકાશદર્શનની પ્રેક્ટિસ કરવી, જેથી આપણી માનસિક તંદુરસ્તી વિષે કોઈને શંકા ન જાય !!!)

૧૮. સંવાદ સાથે જોડાયેલું ચક્ર છે. સાંભળવાની – બોલવાની ક્રિયા બાળક એક ઉંમર સાથે સ્વયંભૂ કરવા માંડે છે. આ કારણે સંવાદ (બોલવું – સાંભળવું બંને) એક કળા છે તે વાત કદાચ ધ્યાનમાં આવતી નથી અને તેથી જ મોટે ભાગે લોકો આ કળા સુધારવા માટે કોઈ સભાન પ્રયત્ન કરતા નથી. પરિણામે યોગ્ય રીતે વિચારો વ્યક્ત કરવામાં તકલીફ પડે છે, કાં તો બફાટ કરીએ છીએ અથવા ચુપકીદીનો સહારો લેવો પડે છે (અથવા બીજા કોઈ કહી દે છે કે “હવે ચૂપ રહો”) કે પછી અભિવ્યક્તિ ખોટી રીતે થાય છે. ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, શું બોલવું, કેટલું બોલવું, – આ બધું સમજવા માટે એ આવશ્યક છે કે સંવાદની કળા યોગ્ય રીતે વિકસિત કરવી અને સાથેસાથે સામેવાળી વ્યક્તિને સાંભળવા માટે પણ સભાન પ્રયત્નો કરવા. મોટે ભાગે પૂરી વાત સાંભળ્યા પહેલા જ મનમાં તૈયાર હોય છે કે હવે મારે શું બોલવું. જવાબ આપવા માટે સાંભળવાને બદલે સમજવા માટે સાંભળવું જરૂરી છે. યોગ્ય સંવાદોના અભાવે ઘણી વખત મિત્રો, ધંધા/નોકરીના સાથીદારો કે કુટુંબીઓ પાસે – સર્વત્ર હાહાકાર મચાવી દઈએ, લોકો આપણી હાજરી માણે નહિ, ફક્ત અણગમા સાથે સહન કરે. મોઢે તો વિવેક ખાતર પૂછે કે “કેમ છો?’. મનમાં એક કહે કે “છો કેમ (અહીં)?”

શ્વાસ લીધા વગર બોલવાની ઘણા લોકોને આદત હોય છે. યાદ રાખવું જોઈએ કે સામેની વ્યક્તિને પણ બોલવું હોય. આ પહેલાંના લેખમાં વાત થઈ એમ દીર્ઘ શ્વાસ લેવાની આદત અહીં ફાયદો કરે છે. શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે, બાદમાં સ્વાભાવિક રીતે થાય. છેક પેટ સુધી ઊંડા શ્વાસ લેવાની આદત કેળવવાથી શારીરિક ફાયદા તો અનેક થાય અને શાંતિ મળે. (ખુદને અને બીજાને પણ !!!)

દિવસ દરમ્યાન શ્વાસની ઝડપ જે તે વખતની લાગણી મુજબ બદલ્યા કરે. એક આદત તરીકે સવારે ઊઠયા પછી ૫/૧૦ મિનિટમાં જ બે વસ્તુ નોંધવી જોઈએ – ૧ મિનિટમાં કેટલા શ્વાસ થાય છે અને અને ૧ મિનિટમાં નાડીના ધબકારા કેટલા છે. આથી પહેલાં તો આ વિષયમાં સભાનતા આવશે અને બીજું, દરરોજ કરતાં કોઈ દિવસ મોટો ફેરફાર હોય તો ખ્યાલ આવી જશે કે શારીરિક/માનસિક સ્વાસ્થ્યમાં કઈં ગડબડ છે; એ પ્રમાણે કાળજી લઈ શકાશે.

૧૯. વિચારોનું અવલોકન અને નોંધ: અન્ય લોકોની હાજરીમાં જે વિચારો આવે તે જરૂરી નથી કે આપણા જ હોય. આસપાસના લોકોના વિચારોનાં આંદોલનનો પ્રભાવ તેમાં પડે. ખુદના સાચા વિચાર જાણવા માટે એકાંતમાં વિચારોનું અવલોકન અને તેની નોંધથી ખ્યાલ આવશે કે ‘હું ક્યાં ફરું છું (અને મૉટે ભાગે ક્યાં ફર્યા કરું છું)’. અને એ ખ્યાલ આવ્યા બાદ જ પોતાની લાગણીઓને અને તેની પાછળનાં કારણોને પણ સાચી રીતે સમજી શકાશે. કોમ્પ્યુટર કી બોર્ડ વાપરવું વધારે પસંદ હોય તો અમુક પ્રોગ્રામ પણ પ્રાપ્ય છે ( જેમ કે Evernote ) જ્યાં વિચારોને મુક્ત રીતે વહેતા કરી શકાશે, નોંધી શકાશે અને રોજબરોજની કાર્યસૂચિ પણ રાખી શકાશે.

૨૦. આભાર માનીએ જિંદગીનો. ઘણી વખત ચિંતાઓ ઘેરી વળે, નિરાશા જન્મે, લોકો અને જિંદગી પ્રત્યે પણ ફરિયાદ ઉભી થાય. ‘મારી સાથે જ આવું કેમ’ તેવી લાગણી ઉભી થાય. આવા સમયે વિશુદ્ધિચક્રને બહુ ખરાબ લાગે ! બરાબર કામ ન કરે.

યાદ રાખીએ કે દરેક ફરિયાદની સામે કોઈ ને કોઈ આભારનું કારણ હોઈ શકે. જેમ કે ટેક્સ બહુ ભરવાનો આવ્યો; ફરિયાદને બદલે એમ વિચાર આવે “આહા, કેટલી બધી આવક થઇ આ વર્ષે”, તો સંતાપ ખુશીમાં ફેરવાઈ જાય. જિંદગીમાં બહુ તકલીફ છે એવી ફરિયાદ કરીએ, ૫૦ કારણ ફરિયાદના શોધી કાઢીએ અને ભગવાન કહે “જિંદગી તો આવી જ રહેવાની છે, આવી જા ઉપર” તો મને તો જવાનું ન ગમે. તમને પણ આમ કહે તો શું કરો? જાતને પૂછવાનું. જો ‘ન ગમે’ એવો જવાબ મળે તો જિંદગીનો, પરિસ્થિતિઓનો, વ્યક્તિઓનો આભાર માનવાનું શીખવું જરૂરી. ફરિયાદના બદલે ફરી ફરીને યાદ કરી, દરરોજ કોઈ ને કોઈ રીતે આભાર માનવા માટેનાં કારણો શોધી ડાયરીમાં નોંધીએ. ફક્ત આ આદત કેળવવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો, લોકો સાથેના સંબંધોમાં સુધારો, નવા સંબંધોનો વિકાસ, વધુ સારી ઊંઘ, સ્વાભિમાન (self-esteem)માં વધારો, માનસિક તાણમાં ઘટાડો અને બીજા અનેક ફાયદા થાય છે જે અનેક પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે. વિવિધ દેશોમાં આ વિષયનું મહત્ત્વ સમજીને વાર્ષિક Thanks Giving Day ની ઉજવણી થાય છે. ભારતમાં પણ હવે ગોવામાં આ દિવસ ઉજવવાનું શરૂ થયું છે.

૨૧. વિઝ્યુઅલાઈઝેશન: ન્યુરો-લિંગ્વિસ્ટીક પ્રોગ્રામિંગ (NLP)ની આ એક મહત્વની તરકીબ છે જે અર્ધજાગૃત મન પર ઊંડી અસર કરે. હવે તો સર્વવિદિત છે કે મનુષ્યની વર્તણુક પર ૯૦%થી પણ વિશેષ અસર અર્ધજાગૃત મનની હોય છે.

એકાંતમાં બેસી, થોડા દીર્ઘ શ્વાસ લઈ સ્થિર થયા બાદ એવી ધારણા કરીએ કે આસમાની રંગના કિરણો પહેલાં તો શરીર પર અને પછી ગળા પર આવી રહ્યાં છે, વિશુદ્ધિચક્રને શુદ્ધ કરી રહ્યાં છે, તમામ અવરોધો દૂર કરી રહ્યાં છે, વધુ પડતી ઊર્જા આવતી હોય તો તેના પ્રવાહને સંતુલિત કરી રહ્યાં છે, શ્વાસોચ્છ્વાસ સાથે ધીરેધીરે એ જ રંગની ઊર્જાનો એક ફુગ્ગો બની ગળા અને ગળા પાછળ એટલે કે ડોકમાં ગોઠવાઈ ગયો છે, બધું સ્વચ્છ કરી રહ્યો છે, અશુદ્ધિઓ કાળા રંગની વરાળ બનીને બહાર નીકળી રહી છે અને થોડી વાર પછી આ ભાગ એકદમ પારદર્શક અને નિર્મળ બની ગયો છે. આ પ્રક્રિયા કરતી વખતે ‘હં’ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો.

ગળાની પાછળના ભાગ પર પણ ધ્યાન આપવું બહુ જરૂરી છે. Medulla oblongata નામનો મગજનો એક અતિ મહત્ત્વનો ભાગ છે જે કરોડરજ્જુ સુધી નર્વસ સિસ્ટમના સંદેશ પહોંચાડે છે; શ્વાસોચ્છ્વાસ અને રુધિરાભિસરણ પ્રક્રિયા પણ તેના અંકુશમાં છે. પ્રાણશરીરની રીતે જોઈએ તો અહીંથી ઊર્જા ઉપર લઈ જવામાં થોડો સમય લાગે છે કારણ કે ઊર્જાની સર્કિટ આ ભાગ પાસે તૂટે છે. ધ્યાન વિષે ભવિષ્યમાં વાત કરીશું ત્યારે તે વિગતવાર સમજીશું

૨૨. નીચે મુજબના એફર્મેશન્સ કરવા જોઈએ.

o હું અત્યંત સરળતાથી વાતચીત કરું છું.

o હું મારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે જણાવી શકું છું.

o હું હંમેશા યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરું છું.

o હું અન્ય લોકો સાથે આત્મવિશ્વાસથી વાતચીત કરું છું.

o હું હંમેશા સત્ય બોલું છું, સરળતાથી બોલું છું.

o મારી વાતો લોકો ધ્યાન દઈ સાંભળે છે.

o મને મૌનમાં પણ આનંદ આવે છે.

o ક્યાં બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કઈ રીતે બોલવું – આ બધાં જ પર મારો સંપૂર્ણ અંકુશ છે.

o હું બહુ સારો શ્રોતા છું.

o હું મારી લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરી શકું છું.

o હું બહુ પ્રભાવી રીતે જાહેર વ્યક્તવ્ય આપી શકું છું.

o મારા વિચારો સકારાત્મક છે.

o બધા જ કંડિશનિંગથી હું મુક્ત છું.

૨૩. હવે થોડી હિંમત સાથેનું એક કાર્ય. પહેલાં તો નોંધ કરી લઈએ કે કઈ કઈ વસ્તુ મારી અંદર મેં છેક ઊંડે સુંધી ધરબી દીધી છે કે જેને હું કોઈ દિવસ બહાર કાઢતી/કાઢતો નથી. યાદ કરી નાનામાં નાની વસ્તુ નોંધીએ. ઇન્દ્રિયજન્ય ભૂખતરસ પણ નિઃસંકોચ નોંધીએ. આપણી જાત સમક્ષ જ પહેલાં તબક્કામાં તો તમામ આવરણો હટાવી દેવાનાં છે. દેખાય છે તેટલી સામાન્ય પ્રક્રિયા નથી. ભાવનાઓનું ઘોડાપૂર ધસી આવે તેવું પણ બને, એ ભાવનાઓ રડાવે, હસાવે, ગુસ્સાથી મગજની નસો ખેંચી નાખે, આત્મગ્લાનિ સપાટી પર લઈ આવે, પોતાની જાતને જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકે એવું પણ બને. બધું જ થવા દઈએ, પાટાપિંડી કરતાં પહેલાં ડોક્ટર ગુમડાને દબાવી પસ બહાર કાઢે છે તેમ.

કોઈ એવી વ્યક્તિ/મિત્રને યાદ કરીએ જે નિ:સ્પૃહ રીતે આ સાંભળી શકે કે વાંચી શકે. એવું કોઈ યાદ આવે તો અતિ ઉત્તમ. તેની પાસે જઈ આ વાતો વાંચીએ/કહીએ. યાદ આવે નહિ અથવા હિંમત સાથ છોડી દે તો આ લખાણ ચીરા કરી અગ્નિને સમર્પિત કરી દઈએ. દરેક અનુભવોની, લાગણીઓની, વિચારોની, શારીરિક કામનાઓની એક ઊર્જા હોય છે. તેનું રૂપાંતર આ પ્રક્રિયા દ્વારા અલગ પ્રકારની ઊર્જામાં થઈ જશે અને આપણી સાથે જોડાયેલી આ ઊર્જા વિઘટિત થઈ જશે. લાગણીઓની તીવ્રતા મુજબ જરૂર પડે તો આ પ્રકારનું જ લખાણ/પ્રક્રિયાનું પુનરાવર્તન પણ કરીએ.

અંતમાં, એક વાત યાદ રાખીએ કે મૃત્યુનો અનુભવ તો લેવાનો જ છે, થોડો અનુભવ જિંદગીનો પણ લઈએ; મુક્ત બનીને – ન ચિંતા , ન ભય, ન ગુસ્સો, ન શરમ, ન સંકોચ અને વિગેરે વિગેરે. વિશુદ્ધિચક્ર સંપૂર્ણ સંતુલિત કરવા માટેનો આ રામબાણ ઉપાય.

આવતાં સપ્તાહમાં આજ્ઞાચક્ર વિષે જાણીશું.

ક્રમશઃ


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૨) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજે વાત કરીશું વિશુદ્ધિચક્રને સશક્ત કરવાના ઉપાયોની. એ પહેલાં એક વાત: મારું વિશુદ્ધિચક્ર કદાચ ખુલવાનો પ્રયત્ન કરી રહ્યું છે, લગભગ એક મહિનાથી ગળામાં અટકેલા શબ્દો બહાર આવવા કૂદાકૂદ કરી રહ્યા છે. આજે માર્ગ આપી દઉં છું. શબ્દો છે; “હે સુજ્ઞ વાચકો, આપ લેખમાળા વાંચો છો, પ્રોત્સાહક પ્રતિભાવ પણ આપો છો ત્યારે એક વાત કહેવી છે. ઉપાયો વાંચવાથી માહિતી મળશે પરંતુ અમલમાં મૂકવાથી ફાયદો થશે, ફાયદાઓની હારમાળા થશે. આ સ્વઅનુભવસિદ્ધ વાત છે. છેલ્લા ૨૧ વર્ષ દરમ્યાન આશરે ૭૦૦૦ કલાકનું ધ્યાન, તેનાથી ત્રણ ગણા સમયનું અધ્યયન, હજારો માણસોનો પ્રત્યક્ષ સંપર્ક, અનેક લોકોના કાઉન્સેલિંગથી મળેલો જીવંત અનુભવ, એ બધાથી ઉપર અમારા ગુરુદેવ અને હિમાલયના પરમસિધ્ધ યોગી (સમર્પણ ધ્યાનના પ્રણેતા) એવા પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના આશીર્વાદ – આ બધાનો આ લેખમાળામાં સમન્વય છે તેવું મારું નમ્ર પરંતુ દ્રઢ્ઢપણે માનવું છે. ‘સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય.’ અને હવે અહીં પરસેવો પાડવાનો સમય આવી ગયો છે – શારીરિક કરતાં પણ વધુ તો માનસિક. ‘કરે તે ચરે’ એમ માનીને પોતાની પ્રકૃતિને ફાવે તે ઉપાય શરુ કરવા માટે મારુ નમ્ર સૂચન છે.” (ચક્ર શુદ્ધ થઈ ગયું, ગળામાં ભરાયેલ શબ્દો અંતે બહાર આવી ગયા !!!)

આપણી વૈચારિક ચક્રયાત્રા હવે અત્યંત અગત્યના તબક્કામાં પ્રવેશી ચુકી છે. વિશુદ્ધિચક્રમાં તકલીફ એ આમજનતાની કહાની છે. કોઈ પણ પ્રકારની આત્મગ્લાનિ (Guilt) આ ચક્રને નબળું પાડી દે અને આ આત્મગ્લાનિ ભારત જેવા દેશમાં, જ્યાં પાપ-પુણ્યના ખ્યાલો ગળથુંથીમાંથી મળેલા હોય ત્યાં વધારે જોવા મળે છે. શરીર અને મનને ગમ્યું હોય / ન ગમ્યું હોય અથવા કૌટુંબિક, સામાજિક કે અન્ય – કોઈ ને કોઈ કારણોસર કાર્ય કર્યું હોય / કરવું પડ્યું હોય કે ન કરી શક્યા હોઈએ અને અર્ધજાગૃત કે જાગૃત મનમાં ખ્યાલ હોય કે ‘આ તો ખોટું છે, પાપ છે’ એટલે આત્મગ્લાનિ ઉદ્ભવે તે સ્વાભાવિક છે. પરિણામરૂપે વિશુદ્ધિચક્રની ખરાબી અને પીઠના મધ્ય ભાગમાં દુખાવો ભેટમાં મળે.

ઉપાયો વિષે હવે વાત કરીએ. શરૂઆતમાં એવા સરળ ઉપાયો લઈએ જે કરવા માટે ફક્ત ઇચ્છાશક્તિની અને થોડો સમય આપવાની જરૂર પડે. એ પછી આગળ એવા ઉપાયો પણ ચર્ચીશું જેમાં મનોમંથનની, આત્મનિરીક્ષણની અને કદાચ એક બંધ કોચલામાંથી બહાર આવવા માટે થોડી હિંમતની પણ જરૂર પડી શકે.

૧) મંત્ર: સર્વસરળ ઉપાય. મંત્ર પવિત્ર શબ્દો અથવા અવાજોથી બનેલા છે જે ચેતનાની ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવામાં સહાય કરે છે. આ ચક્રનો મંત્ર છે ‘હં’. તેના જાપ કરી શકાય.

આ લિંકનો ઉપયોગ કરી શકો છો. આ બીજમંત્રનું લંબાણપૂર્વક ઉચ્ચારણ કરવાની પ્રેક્ટિસ કરવાથી વધુ ફાયદો થશે. દા.ત. “હ્હહાઅઆહમ્મમ્મમમ.” એક અતિ પ્રાચીન બૌદ્ધમંત્ર ‘ओं मणिपद्मे हूं’ છે. જેના માટે આ લિંક જોઈ શકો છો.

૨) આહારમાં કિવિફ્રૂટ, સફરજન, લીંબુ, નાશપતી, પ્લમ, પીચ, અંજીર અને જરદાળુ લાભદાયી.

૩) સાઉન્ડ હીલિંગ થેરાપી આ ચક્રને શુદ્ધ કરવા માટે મહત્ત્વની છે. તિબેટના સિંગિંગ બાઉલ્સ (Singing Bowls) , હજારો વર્ષ જૂનું અને મૂળભૂત રૂપે ઇન્ડોનેશિયાનું વાજીંત્ર નામે ગોન્ગ્સ (Gongs) અને આશરે ૩૦૦ વર્ષ પહેલાં જ બ્રિટનમાં વિક્સાવેલું ટ્યૂનિંગ ફોર્ક્સ (Tuning Forks) એક વિશેષ પ્રકારના અવાજનાં આવર્તનો ઉત્પન્ન કરે છે જે વિશુદ્ધિ ચક્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વાજીંત્રોનાં ચિત્ર તથા ઉપયોગી લિંક્સ અહીં મુકેલ છે.

સિંગિંગ બાઉલ્સ :  https://www.youtube.com/watch?v=9rNfKW1hARY

ગોન્ગ્સ:  https://www.youtube.com/watch?v=kXRuiSC4gqM

ટ્યૂનિંગ ફોર્ક્સ:  https://www.youtube.com/watch?v=kirNGxzedKc

૪) ગાયન: બહુ નજાકતથી, પ્રેમથી વિશુદ્ધિચક્ર ખોલવાનો ઉત્તમ માર્ગ છે ગાયન. જરૂરી નથી કે ગળું રફીસાહેબ કે લતાજી જેવું હોય. જેવું હોય તેને વિકસિત તો કરી જ શકાય. જાહેરમાં ગાવામાં સંકોચ થતો હોય તો એકલા એકલા ગવાય. આમ પણ સામાન્ય રીતે બધા ‘બાથરૂમ સિંગર’ તો હોય જ છે. દબાયેલો અવાજ તો બહાર આવશે પણ સાથે આત્માનો દબાયેલો અવાજ પણ બહાર આવશે.

5) મસાજ: ગળા પાસે યોગ્ય રીતે કરાયેલ મસાજથી એ જગ્યાએ અવરોધિત ઊર્જા છુટ્ટી પડે. ‘યોગ્ય રીતે’ શબ્દ અહીં મહત્ત્વનો છે. જો એવી વ્યક્તિ ન મળે તેમ હોય તો વૈકલ્પિક રીતે હેન્ડ મસાજરનો ઉપયોગ થઈ શકે જેથી ઉચિત માત્રામાં અને યોગ્ય જગ્યાએ મસાજ થાય. (જીવનસાથી પાસે આ કાર્ય ન કરાવવું હિતાવહ !!!)

6) બહુ ઝડપથી બોલવું કે લાગણીઓના આવેશથી બોલવું – તે બંને અસંતુલિત વિશુદ્ધિચક્રની નિશાની છે. સંતુલિત કરવા માટે ઊંડા શ્વાસની આદત કેળવવી જોઈએ. શ્વાસ પેટ સુધી અંદર જવો જોઈએ, નહિ કે ફક્ત છાતી સુધી. આ આદત કેળવાશે તો ચક્ર શુદ્ધ થશે, આત્મવિશ્વાસ પણ વધશે અને બીજા અનેક ફાયદા થશે. સામાન્ય રીતે લોકો મિનિટમાં ૧૨ થી ૨૦ શ્વાસ લે છે જયારે નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિના શ્વાસ મિનિટના ૩ થી ૪ સુધી અને ધ્યાન દરમ્યાન તો મિનિટના ફક્ત એક જેટલા ધીમા પડી શકે છે. અને જેટલાં શ્વાછોસ્વાસ ઓછાં એટલાં વિચારો પણ ઓછાં.

7) યોગ: મત્સયાસન, સિંહાસન, સર્વાંગાસન, ભુજંગાસન, ઉષ્ટ્રાસન, સેતુબંધાસન જેવા આસનથી વિશુદ્ધિ ચક્ર વધુ કાર્યશીલ થાય છે, જયારે શીર્ષાસન, વિપરીતકર્ણીઆસન, યોગમુદ્રા, શશાંકાસન અને હલાસન આ ચક્રને સંતુલિત કરે છે. કોઈ જાણકાર પાસેથી શીખીને યોગ્ય રીતે કરવા જરૂરી છે. નહીંતર ‘લેવાને બદલે દેવા’ થઇ શકે. ગળું ઉપરનીચે, ડાબેજમણે અને બંને દિશામાં ગોળ ફેરવવાથી પણ લાભ છે. આ ક્રિયા અત્યંત ધીરે કરવાની છે (શમ્મી કપૂરની જેમ ઝાટકા માર્યા વગર). જાલંધરબંધ (એક યોગિક ક્રિયા) અને ઉજ્જાયી પ્રાણાયામ ખાસ ફાયદો કરે છે.

8) એકાંતમાં સમય વિતાવવો ફાયદાકારક. એકાંતમાં બધી જ વસ્તુ બાજુએ મૂકીને પોતાનો અંતરનો અવાજ સાંભળવાનો છે. સાંભળીશું તો વ્યક્ત કરીશું ને ! ફક્ત એ સાંભળવાથી પણ આ ચક્રને ફાયદો થાય. કેવી રીતે? જયારે ભીડભાડમાં હોઈએ ત્યારે બીજાના વિચારોનાં આંદોલન આપણને પ્રભાવિત કરે અને એ વિચારો દ્વારા દોરવાઈ જઈએ, ભીતરી અવાજ તો સંભળાય જ નહિ. એક દાખલો. કદાચ બધાએ નોંધ લીધી હશે કે જયારે મુંબઈ જેવા મહાનગરમાં જઈએ જ્યાં બધાં દોડતાં જ હોય ત્યાં કઈં ઉતાવળ ન હોય તો પણ આપણે ઝડપથી ચાલવા માંડીએ. એ બતાવે છે કે સામૂહિકતાનો પ્રભાવ કેટલો પડે. અને આ કારણથી જ દરેક સાધનામાં સામુહિક અભ્યાસ પર વિશેષ ભાર મુકવામાં આવે છે કે જેથી, બધાંનાં સયુંકત આંદોલન એકબીજાને મદદ કરે અને ધાર્યાં પરિણામ સુધી પહોંચાડે.

9) જે કારણોથી ચક્રમાં ખરાબી થાય છે તેને દૂર કરવાની કોશિશ કરીએ, જેમ કે:

– ભાઈબહેનના આંતરિક સંબંધો સુધારવાની જરૂર હોય તો તે.

– કોઈની ખોટી ચાંપલૂશી ના કરીએ અને સારું હોય તેના ચોક્કસ વખાણ કરીએ.

– બની શકે ત્યાં સુધી જૂઠું બોલવાનું ટાળીએ.

– આદત ક્યારેક એવી હોય કે કોઈ જ કારણ વગર ઘણી વાત છુપાવતાં હોઈએ. એવી આદત હોય તો તે દૂર કરવા પર ધ્યાન આપીયે.

૧૦) શક્ય હોય તો ઇજિપ્તના પિરામિડની યાત્રા કરીએ. તેને વિશ્વનું વિશુદ્ધિ ચક્ર ગણવામાં આવે છે અને ત્યાંથી પસાર થતી લે લાઇન્સ (Lay Lines) આ ચક્રને ખોલવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

11) ટીકા કરવાની આદત હોય તો છોડીએ. તે માટે અમુક વિચારો લાભદાયી થશે. ધારો કે ટીકા કરવી હોય કે ‘જે તે વ્યક્તિ જૂઠું બોલે છે’ તો તરત વિચાર કરીએ કે ‘શું હું કોઈ દિવસ જૂઠું બોલી/બોલ્યો જ નથી?’ બીજો વિચાર એ પણ કરીએ કે ‘મારી કોઈ પ્રિય વ્યક્તિએ આ જ રીતે, આ જ કામ કર્યું હોય તો શું હું એની ટીકા કરીશ?’ દરેક ટીકાત્મક વિચાર સાથે આ પ્રકારની વિચારધારાને જોડવાથી ધીરેધીરે ટીકા કરવાની આદત છૂટી શકે.

૧૨) ‘જજમેન્ટ લેવાની ટેવ છોડીએ. આદત મુજબ કોઈ વિષે જજમેન્ટ લેવાની ઈચ્છા થઇ જાય તો તરત જાગૃત રીતે વિચારીએ કે “શું હું દરેક વિષયમાં દુધે ધોયેલ છું?’ ધીરેધીરે જેવી આ પ્રકારની વિચારધારાની આદત પડશે તો જજમેન્ટ લેવાની ટેવમાંથી (તેના નુકસાન જોતાં કુટેવ કહેવું કદાચ વધારે યોગ્ય રહેશે) કોઈ ને કોઈ દિવસે છૂટકારો મળી જશે.

૧૩) આત્મગ્લાનિ દૂર કેમ કરવી? ક્રિશ્ચિઆનિટીમાં વિચારોની અસર વિષે સારો એવો અભ્યાસ સદીઓથી છે. માટે જ કેથોલિક ચર્ચમાં ‘કન્ફેશન બોક્સ’ રાખવામાં આવે છે જ્યાં જઈ વ્યક્તિ આત્મગ્લાનિ ઉત્પન્ન કરતાં પોતાના વિચારો/કૃત્ય વ્યક્ત કરી માનસિક સંતાપમાંથી મુક્તિ મેળવી શકે.

ગયા લેખમાં વાત થઈ તે મુજબ ઘણીબધી વાતો લોકો શરમેધરમે પાતાળમાં ધરબી રાખે છે અને પરિણામે અનેક દૂરોગામી ઘાતક પરિણામો આવે છે. આવી દરેક વસ્તુ ચહેરા પર છાપ છોડતી જાય અને મુખારવિંદ (!) જોઈને જ ઘણું બધું વાંચી શકાય. ઘણી વાર તો જે લાગણી/કામના છેક અંદર રાખી હોય તે સ્પ્રિંગની જેમ બહાર આવવા મથતી હોય, મોટી ઉંમરે હાર્ટ એટેક આવેલા હૃદયને પણ અવગણીને મોતિયાનાં ઓપેરેશન કરાવેલી આંખોમાંથી બહાર ઢોળાઈને વ્યક્તિની ચકળવકળ થતી નજરને કારણે વધુ હાંસીપાત્ર બનાવે અને જે ‘ધારેલી ઇમેજ’ સાચવવા વ્યક્તિ મથતી હોય તે ઇમેજના તો ચૂરેચૂરા કરી નાખે. થોડી હિંમત દાખવી કોઈએ ચર્ચની જેમ આવા ખુલ્લા દિલનાં મિત્રમંડળો બનાવવાની જરૂર છે જ્યાં લોકો આવી શકે અને પોતાની જાતને મનથી દિગંબર કરી શકે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ચર્ચનાં કન્ફેશન બોક્સનો લાભ લઇ શકાય. થોડી સવલત ઈન્ટરનેટને કારણે લોકોને મળી શકે છે જેથી પોતાની ઓળખાણ આપ્યા વગર વ્યક્તિ ભીતરનો ખાનગી ખૂણો ખાલી કરી શકે. અહીં આવી બે સાઇટ્સની લિંક આપી છે.

https://www.secret-confessions.com/

http://www.confessions4u.com/

૧૪) કેથાર્સીસ: સ્પષ્ટ વાતચીત કરી શકીએ નહીં ત્યારે આપણા શરીરમાં ઘણી બધી જગ્યાએ ઊર્જા અવરોધિત થાય. હાસ્ય કે ચીસો દ્વારા આ બ્લોક થયેલી ઊર્જાને છુટ્ટી કરી શકાય. લાફિંગ ક્લબમાં પણ જઈ શકાય, પેટ પકડીને હસાવે એવી ફિલ્મ કે નાટક પણ જોઈ શકાય અને ઓશીકામાં મોઢું દબાવીને ચીસો પણ પાડી શકાય. પરિણામ લાભદાયી જ રહેશે. ધ્યાન દરમયાન આ પ્રક્રિયા ઘણી વખત કુદરતી રીતે જ થાય છે. એક ધ્યાનશિબિર દરમ્યાન ગુજરાતના એક ખ્યાતનામ પત્રકાર તેમના પિતાશ્રીને લઇ મારી પાસે આવ્યા અને કહયું કે મારા પિતાશ્રીને કઈ કહેવું છે. તેમના પિતાશ્રીએ કહ્યું કે શિબિરમાં વિશુદ્ધિચક્રના દિવસથી જ તેમનો અવાજ બંધ થઈ ગયેલો અને છતાં તેમને ખૂબ જ આંતરિક આનંદ આવતો હતો તેમ જ છેલ્લે દિવસે તે ફરીથી બોલવા લાગ્યા. એટલે કે કોઈ એવી પ્રક્રિયા થઈ ગઈ કે જેને કારણે તેમના વિશુદ્ધિચક્રમાંની ઊર્જા શિબિર દરમ્યાન જ શુદ્ધ થઇ ગઈ.

આ ચક્ર આધ્યાત્મિક રીતે તો મહત્વનું ખરું જ પણ વ્યક્તિની રોજબરોજની જિંદગીના દરેક પાસાંઓને અસરકર્તા છે, તેથી તેને શુદ્ધ કરવાના ઉપાયોની થોડી વિસ્તૃત ચર્ચા રચનાત્મક વિચારો સાથે જરૂરી લાગે છે અને માટે વિશુદ્ધિચક્ર અહીં અધૂરું મુકું છું, આવતા રવિવારે તેને શુદ્ધ કરવાના, સંતુલિત કરવાના અને સશક્ત કરવાના બાકીના ઉપાયોની ચર્ચા કરીશું.

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૧) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

એક નજર લેખમાળા દરમિયાનની આ પહેલાંની ચર્ચા ઉપર. મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ એમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર મણિપુરચક્ર, હૃદયચક્ર, બાઈનોરલ બિટ્સ, સોલ્ફ્રેજીઓ ફ્રિકવંસી, વિચારો અને શબ્દોની શરીર પર અસર વિગેરે સમજ્યા બાદ હવે આપણે આવીએ પાંચમા ચક્ર એટલે કે વિશુદ્ધિચક્ર પર – નીચેથી પાંચમું અને ઉપરથી ત્રીજું ચક્ર.

વિશુદ્ધિચક્ર (થ્રોટચક્ર)નું સ્થાન છે ગળા પાસે, સંબંધ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ સાથે, રંગ સ્વચ્છ આકાશ જેવો એટલે કે ભૂરો, તત્ત્વ તેનું ‘આકાશ’ અને અસર તથા હકુમત છે તેની જડબાં, ગળું, ડોક, અવાજ, ફેફસાંનો ઉપરનો ભાગ, ડોકની પાછળનો ભાગ એટલે કે ગરદન, ખભા, કાન અને કાંડા સુધી. સ્વરનળી સાથે તો જીગરજાન દોસ્તી. એટલે અવાજનું માધુર્ય અને પ્રભાવ સંપૂર્ણપણે તેને આભારી. ગાયકો માટે, વક્તાઓ માટે અત્યંત અગત્યનું ચક્ર. જિંદગીમાં જૂદાં જૂદાં ક્ષેત્રમાં સફળતા પણ આ ચક્રની સ્થિતિ પર આધારિત. મુક્ત અને સર્જનાત્મક અભિવ્યક્તિ, સંવાદની કળા, આત્મવિશ્વાસ, ડહાપણ, સત્ય કહેવાની હિંમત – આ બધું જ સંકળાયેલ છે આ ચક્ર સાથે. સંદેશાવ્યવહાર એટલે કે કોમ્યુનિકેશનનું કેન્દ્ર છે આ. મંત્ર છે તેનો ‘હં’. અનુરૂપ તત્ત્વ ‘આકાશ’ છે જે સૂચવે છે કે આ જગ્યા ઊર્જાથી ભરેલી હોવી જોઈએ. વિશુદ્ધિચક્ર ઉદાનવાયુનું પ્રારંભિક બિંદુ છે. શ્વાસ લેતી વખતે શરીરને ઝેરી વાયુથી શુદ્ધિકરણ દ્વારા બચાવવું તે આ પ્રાણનું એક કાર્ય છે. ચક્રનું નામ આ વિશિષ્ટ કાર્યમાંથી લેવામાં આવ્યું છે. શુદ્ધિકરણ ફક્ત શારીરિક સ્તરે જ નહીં, પણ મનના સ્તર પર પણ થાય છે.

જીવનમાં યશપ્રાપ્તિ માટે, કરેલા કામની અન્ય લોકો કદર કરે તેના માટે પણ આ ચક્રની સારી સ્થિતિ હોવી જરૂરી છે.

વૈશ્વિક વિશુદ્ધિ ચક્રનું સ્થાન ઈજીપ્તના પિરામિડ પાસે માનવામાં આવે છે. કોમ્યુનિકેશનનું કેન્દ્ર છે આ ચક્ર અને માટે જ કદાચ ચર્ચામાં હંમેશ હોય છે ઈજીપ્તના આ પિરામિડો. પિરામિડમાં શક્તિનો સંચય પ્રચુર માત્રામાં થાય છે જેના વિષે કોઈ એક લેખમાં પછીથી વિગતે વાત કરીશું.

તમે બહુ સારા વક્તા છો, અવાજમાં માધુર્ય અને પ્રભાવ છે, સારા ગાયક છો, વિચારોમાં સ્થિરતા છે , તમારી કથની અને કરણી એકસમાન છે, તમારું વ્યક્તિત્વ ચુંબકીય છે, તમારા શબ્દો, ટોન અને બોડી લેન્ગવેઇજ એકબીજા સાથે એકરૂપ હોય છે, વિચારો અને લાગણીઓ તમે ખુલ્લા મનથી અને અસરકારક રીતે વ્યક્ત કરી શકો છો, અસ્ખલિત રીતે વાત કરી શકો છો અને બીજાને પૂરા ધ્યાનથી સાંભળી પણ શકો છો, સામેની વ્યક્તિનું પૂરું માન રાખીને પોતાના વિરોધાભાષી મંતવ્ય પણ વ્યક્ત કરી શકો છો, આત્માના અવાજને જાહેરમાં મૂકી શકો છો, આત્મવિશ્વાસ પણ અનેરો છે, રચનાત્મકતા છલોછલ ભરેલી છે તો જરૂરથી તમારું વિશુદ્ધિ ચક્ર બહુ વિકસિત છે. આમ હોય તો ચોક્કસ તમારી વિચારશક્તિ તીવ્ર હશે, વિચારો સ્પષ્ટ હશે અને પરિણામે અભિવ્યક્તિ પણ એવી જ હશે, તમારી વાતોમાં એક ‘વજન’ હશે કારણ કે જેને તમે સત્ય માનો છો તે બોલવાની હિંમત પણ ધરાવો છો. તમે અભિનંદનના અધિકારી છો કારણ કે આ બધી ક્ષમતા સામાન્ય નથી.

ઉપર દર્શાવી તેવી આદર્શ સ્થિતિ ઓછી જોવા મળે છે. માટે જ સારા ગાયકો કે સારા વક્તાઓ પ્રમાણમાં ઓછા હોવાના. મૃત્યુથી પણ મોટો ડર લોકોને હોય તો તે જાહેર વ્યક્તવ્ય આપવાનો છે. લોકો સમજે છે કે મૃત્યુ અટલ છે, જાહેરમાં બોલવાનું કદાચ છટકાવી શકાય. આદર્શ સ્થિતિ ન હોવાના કારણો વિવિધ છે. ‘મન કી બાત’ વડાપ્રધાન ભલે કરે, સામાજિક અને કૌટુંબિક કારણોને લીધે સામાન્ય મનુષ્યને તો પોતાના મનની ઘણી વાત મનમાં જ દબાવવી પડે છે. બધી મનની વાત કરી દઈએ તો કદાચ નોકરી ખોવાનો વારો આવે, ધંધામાં નુકસાન જાય, કુટુંબમાં મહાભારત સર્જાય, પાડોશી સાથે પણ ઝઘડો થઈ જાય અને એવું ઘણું બધું. અને જેવી વાત ગળા સુધી આવી અને અટકી એટલે વિશુદ્ધિ ચક્ર નારાજ. જીવન દરમ્યાન જે દબાવી રાખેલું છે અને ગળી ગયા છીએ તે બધું ગળે અટકેલું છે, અર્ધજાગૃત મનમાં અસ્તિત્વમાં રહે છે, નિવારણ તેનું જરૂરી છે. બહુ રિસામણું ચક્ર છે આ, જૂઠથી પણ એને નફરત, કોઈની ખોટી ચાંપલૂશી કરો તો પણ એને ગમે નહિ, કઈં ને કઈં વાંધો પાડીને ઊભું રહે.

દુકાળમાં અધિક માસ. ઉપરનાં કારણો ઓછા હોય તેમ દરેક વ્યક્તિ, પુરુષ હોય કે સ્ત્રી, પોતાની અંદર એક ‘ગુપ્ત’ ખૂણો રાખીને બેઠી હોય છે. કોઈનો ખૂણો મોટો તો કોઈનો નાનો, પણ હોય તો ખરો જ. એમાં જાતજાતની અને ભાતભાતની લાગણીઓ, ઈચ્છાઓ અને આસક્તિઓ ભરી હોય – ગુસ્સો હોઈ શકે, નિરાશા હોઈ શકે, અદેખાઈ હોઈ શકે, છૂપી આસક્તિ (Crush) હોઈ શકે અને રુઢિચૂસ્ત સમાજમાં ખાનગીથી પણ ખાનગી ખૂણામાં લોકરમાં સંતાડીને રાખેલ હોય તો તે હોય જાતીય જીવનને/ઈચ્છાઓને લગતા વિચારો. ભય હોય કે ભૂલથી બોલાઈ જાય તો ઇમ્પ્રેસનનું તો સત્યાનાશ થઈ જાય ને ! જેટલો ખાનગી ખૂણો મોટો એટલી તકલીફ હૃદયચક્રને તો ખરી જ પરંતુ વિશુદ્ધિ ચક્ર પણ એટલું જ ઘાયલ. કોઈ એવી વ્યક્તિ મિત્ર હોય જે કોઈ જજમેન્ટ લીધા વગર તમને સાંભળી શકે અને તમારામાં હિમ્મત હોય તેની પાસે આ ગુપ્ત ખૂણો ખોલવાની તો તમે અત્યંત નસીબદાર. ચક્ર એટલું ઓછું ઇજાગ્રસ્ત. પરંપરાગત સમાજ બદલી રહ્યો છે, આજની યુવા પેઢી ખુલ્લા મનની થઈ રહી છે અને પરિણામે દેખાઈ રહ્યું છે કે થોડા વર્ષો પહેલાં કરતાં હાલમાં નાની ઉંમરના સારા ગાયકો, કલાકારો અને યુવા વક્તાઓ બહાર આવી રહ્યા છે.

ખૂબ સંવેદનશીલ ચક્ર છે આ. બ્રોન્કાઇટીસ, ટોન્સીલાઇટીસ, નાકને લગતા રોગ, સાઈનસને લગતી તકલીફો, ગળું લાલ થઈ જવું, થાઇરોઈડ, કાનમાં તકલીફ – આ બધું જ આ ચક્રને આભારી. બાળકોને વારેઘડીએ ગળાની તકલીફ થાય, કારણ છે આ ચક્રની સંવેદનશીલતા.

બ્લેક મેજીકની પણ તાત્કાલિક અને ગાઢ અસર થઈ શકે આ ચક્ર પર. નાનાં બાળકો પર અને પુખ્ત ઉંમરની વ્યક્તિ પર પણ. મારી અત્યંત નજીકની એક વ્યક્તિ – આશરે ૪૦ વર્ષના બેન્ક અધિકારી સાથે આવી ઘટના ઘટી ગઈ છે. રસ્તામાં ફક્ત ૧ મિનિટ માટે મળેલા સાધુએ તેમની પર જે કઈ કર્યું તેના પરિણામે તેમને તરત જ તાવ આવ્યો, અવાજ બગડવાનો શરૂ થયો અને અંતે એક વર્ષ પછી મુંબઈની એક ખ્યાતનામ હોસ્પિટલમાં સિસ્ટનું ઓપરેશન કરાવ્યા ત્યાર બાદ એમનો અવાજ નોર્મલ થયો.

પોતાના વિશુદ્ધિચક્રને તપાસવું હોય તો જાત પાસેથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના રહ્યા.

મને મારી લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરવામાં હિચકિચાટ છે?

મારા વિચારોને શું હું યોગ્ય શબ્દોમાં ઢાળી શકતો/શકતી નથી?

મારો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે હું નર્વસ થઇ જાઉં છું?

મારા સંબંધોમાં અનેક વખત ગેરસમજણને કારણે તકલીફ ઉભી થાય છે?

મને સતત એવું લાગે છે કે લોકો મને સમજી શકતા નથી, મારી અવગણના કરે છે?

શું હું મોટા ભાગે મારી વાતો અથવા મનોભાવો ગુપ્ત રાખ્યા કરું છું?

લોકો સાથે વાતચીત દરમિયાન હું ક્ષોભ અનુભવું છું અથવા ચિંતાતુર થઇ જાઉં છું?

શું હું શરમાળ છું?

શું મારી જાતને પ્રામાણિક રીતે ખુલ્લી મૂકી શકતો/શકતી નથી?

બીજા લોકો માટે શું હું અનેક ધારણાઓ બાંધી લઉં છું?

મારી વાત લોકોને કહેવામાં સંકોચ અનુભવું છું?

જાહેર વ્યક્તવ્ય આપવાનું આવે તો મારા પગ બ્રેક ડાન્સ કરે છે? હૃદયના ધબકારા સુપરફાસ્ટ દોડે છે?

જયાર ને ત્યારે એવા સંબંધો બનાવી લઉં છું કે જેમાં સામેની વ્યક્તિ સતત મારી આલોચના કર્યા કરે?

શું હું મારી જાત સાથે કે અન્ય સાથે પ્રામાણિક નથી?

શું મારી વાતો અને વર્તન જૂદાં છે?

શું જયારે હોય ત્યારે મારો અવાજ ધીમો પડી જાય છે? ગળું બેસી જાય છે?

શું મને હાઇપો અથવા હાઇપર થાઇરોડિઝ્મ છે?

શું મને કાનમાં કઈ તકલીફ છે?

શું મને વારંવાર સાઈનસ, ગળામાં ઇન્ફેક્શન જેવી શારીરિક સમસ્યાઓ રહે છે?

મારામાં રચનાત્મકતાની કમી છે?

ચર્ચા દરમિયાન હું બીજા પર હાવી થવાની કોશિશ કરું છું?

કોઈની વાતને તોડી પાડીને હું છૂપો આનંદ અનુભવું છું/

મારાથી વિરુદ્ધ અભિપ્રાય આપનારી વ્યક્તિને હું માનસિક રીતે ધુત્કારી કાઢું છું?

મારી છાપ અહંકારીની હોઈ શકે?

મને દરેક લોકોની ટીકા કરવાનું મન થાય કરે છે?

મોટા ભાગના જવાબ ‘હા’ હોય તો પછી ચક્રમાં સુધારાની જરૂર તો ખરી. બે પ્રકારની તકલીફ હોઈ શકે. ચક્રને ઓછી ઊર્જા મળે અથવા તો વધુ ઊર્જા મળે. ઓછી ઊર્જા મળે તો સ્વાભાવિક રીતે જ ચક્ર અવરોધ અનુભવતું હોય. આવા સમયે વ્યક્તિ અંતર્મુખી, ડરપોક, શરમાળ થઈ જાય, પોતાનો ‘અવાજ’ વ્યક્ત કરવામાં હિચકિચાટ અનુભવે. ચક્ર વધુ ઊર્જા મેળવતું હોય તો પણ અસંતુલન કહેવાય. વ્યક્તિ પોતાની વાણી પરથી નિયંત્રણ ગુમાવી દે, અન્ય લોકોની ટીકાકાર થઈ જાય. કોઈની વાત સાંભળે નહિ, ઘમંડી થઈ જાય. બહુ સારી વક્તા હોઈ શકે પણ તેની ભાષામાંથી ઘમંડ અને આક્રોશ ભભૂકે, લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે. આપણી આસપાસ નજર ફેરવીશું તો આવા ઉદાહરણો ઘણા હશે અને જાહેર જીવનમાં તો આજકાલ આવા દ્રષ્ટાંત ચોમેર જોવા મળે છે.

આધ્યાત્મિક રીતે જોઈએ વિશુદ્ધિચક્ર સાથે અતીન્દ્રિય શક્તિઓ ( Psychic Powers) જોડાયેલી છે. આ ચક્રની શક્તિઓ વિશેષ જાગૃત થયા પછી Clairaudience એટલે કે દૂરથી અવાજ સાંભળી શકવાની શક્તિઓ વિકસે છે, દૂરથી એટલે દુનિયાના કોઈ અતિ દૂરના છેડે થી અથવા તો કોઈ બીજા જ લોકમાંથી આવતા અવાજો.

ભાઇબહેન વચ્ચે સારા સંબંધો આ ચક્રની સારી સ્થિતિ બનાવવા માટે આવશ્યક છે.

અંતમાં, મુક્ત સંવાદ દરેક સંબંધોનો મૂળભૂત પાયો છે, સંપૂર્ણ પ્રામાણિકતા, વિશ્વાસ, પ્રેમ, આદર સાથે. અને તેના માટે જરૂરી છે વાતચીતની કળા અને પ્રકાર – જાત સાથે કે બીજા સાથે (એટલે કે વિચારો અને અભિવ્યક્તિ) – જે જીવનના દરેક પાસાંને અસર કરે છે. ક્યારે બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું અને ક્યારે બંને હોઠ ભીડી દેવા તે સમજવું અત્યંત આવશ્યક છે તથા સામાજિક સંબંધો, સફળતા, પ્રભાવ, શારીરિક તંદુરસ્તી અને અંતમાં વિશુદ્ધિ ચક્રની સ્થિતિ – દરેક વસ્તુ તેના પર આધારિત છે.

વિશુદ્ધિ ચક્રને સંતુલિત કરવાના ઉપાયો આ પછીના લેખમાં સમજીશું.

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.