Posts Tagged With: નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

મિત્રો,

ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે એવું સ્થળ કે જ્યાં એક ગુજરાતી વસે છે. પૃથ્વીના કોઈ પણ પટ ઉપર કે જ્યાં એક પણ ગુજરાતી વસતો હોય તો ત્યાં ગુજરાત જય જય ગરવી ગુજરાતનો શંખ ધ્વની ફુંકીને ખડું થઈ જશે. ગાંધી હવે માત્ર ગુજરાતના નથી રહ્યાં તે વિશ્વમાનવી બની ચૂક્યાં છે. તેવી રીતે સરદારને ય માત્ર ગુજરાત સાથે બાંધી ન શકાય તે સમગ્ર ભારતના છે. મારે આજે વાત કરવી છે એક એવા ગુજરાતીની કે જે માત્ર ગુજરાતના નહી, ભારતના નહી, દુનીયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના છે. આપણે તેમનો રસાસ્વાદ તેમની એક રચના દ્વારા માણવાનો પ્રયાસ કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

આ ભક્ત કવિ નરસિંહ મહેતા વામનમાંથી વિરાટ બનેલા વામન અવતાર કરતાયે જાણે વિરાટ હોય તેમ તેમના પદની પ્રથમ પંક્તિની શરુઆતમાં જ આખાયે બ્રહ્માંડને આવરી લે છે.

જાણે કે ઈશોપનિશદનો મંત્ર ભણતાં હોય કે :

ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત

આ જે કાઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. એક માત્ર શ્રી હરિ અખીલ બ્રહ્માંડમાં વીલસી રહ્યો છે અને જુદા જુદા રુપે જાણે કે તેનો અંત જ ન હોય તેવો અનંત ભાસે છે. શ્રી હરિનો ભાસ દેહમાં બીરાજેલ દેવથી શરુ કરીને સુર્ય ચંદ્ર અને તારાઓમાં યે જે તેજ ભરે છે ત્યાં સુધી વિસ્તાર પામે છે અને છેવટે શુન્યમાં થી પ્રગટ થતાં પરમાત્માના નિ:શ્વાસ જેવી વેદની ઋચાઓમાં પ્રગટ થતો અનુભવે છે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

પંચ તત્વોમાં તેની તો સત્તા છે. પવન, પાણી, ભૂમિ, આકાશ અને સમગ્ર વનરાજી સર્વમાં તું જ તો છો. એકલા એકલાં તને મજા નહોતી આવતી તો થયું કે લાવને અનેક રુપે અનેક પાત્રોમાં વિભાજીત થઈને અનેક રસ માણું. તેથી તો તે પ્રકૃતિના ત્રણ ગુણોને લઈને તેમાં તારા સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડના જીવોની અને બ્રહ્માંડની રચના કરી. શિવમાંથી જીવ થવાનો તારો હેતું તો અનેક પ્રકારના રસનો આનંદ માણવાનો જ હતો ને? એટલે તો તને રસોવૈસ: કહે છે ને?

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

સોનાના દાગીનામાં સોનું ક્યાં છે તેવું જો કોઈ પુછે તો હસવું ન આવે? કોઈ કહે કે અરે આ તો કુંડળ છે, આ હાર છે, આ ઝાંઝર છે, આ નથડી છે, આ વાળી છે પણ આમાં સોનું ક્યાં છે? આવું કોઈ પુછે તો સોની શું કહે? કહે કે અરે ભાઈ આ બધું સોનું જ છે. આ તો સોનાને જુદા જુદા ઘાટ આપ્યાં છે. તેવી રીતે કોઈ કહે કે હું હિંદુ છું, મુસલમાન છું, ઈસાઈ છું, બુદ્ધ છું, જૈન છું, પારસી છું તો હવે મારે આ જગતમાં કેવી રીતે વર્તવું? તેને કહેવું પડે કે ભાઈ આ બધું ભુલી જા અને પહેલા તો સમજી લે કે તું માણસ છો. તારામાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. પાંચ પ્રાણ છે. તારી અંદર લાલ લોહી વહે છે તેવું જ બધાના શરીરમાં વહે છે. તું ખોરાકમાંથી શક્તિ મેળવે છો તેવી રીતે બધા ખોરાકમાંથી શક્તિ મેળવે છે. તું જેવી રીતે મનથી વિચારે છે તેવી રીતે બધા મનથી વિચારે છે. તું ઓક્સીજન શ્વાસમાં લે છે તેવી રીતે બધાં શ્વાસમાં ઓક્સીજન લે છે. તું જેમ પ્રાણોને ટકાવી રાખવા માટે પાણી પીવે છે તેમ બધાં પાણી પીવે છે. જેવી રીતે ઘરેણાના આકારને લીધે તને સોનાને બદલે ઘરેણાં દેખાય છે તેવી રીતે તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોવાને લીધે તને મનુષ્યોને બદલે હિંદુ, મુસલમાન, ઈસાઈ, બુદ્ધ, પારસી, જૈન અને બીજા અનેક પ્રકારથી વિભાજીત થયેલ મનુષ્ય દેખાય છે. સોની પાસે કોઈ ઘરેણાનું મુલ્ય કરાવો તો તે ઘરેણાનો ઘાટ જોઈને નહીં પણ સોનાનું વજન જોઈને મૂલ્ય કરશે તેવી રીતે માણસનું મુલ્ય કરવું હોય તો તેનો ધર્મ, જાતી, વેપાર, ઘન સંપત્તિ, પદવી કે સિદ્ધિઓ વગેરે જોઈને નહીં પણ તેનામાં કેટલી માણસાઈ છે તેને આધારે મૂલ્ય થાય.

કબીરા કુવા એક હૈ
પનિહારી અનેક
બરતન સબ ન્યારે ભયે
પાની એક કા એક

બ્રહ્માંડ રુપી કુવામાં ચૈતન્ય રુપી જળ એકનું એક છે. જુદા જુદા મનુષ્યો,પ્રાણીઓ અને વૃક્ષો પનિહારીની જેમ અનેક છે તેમના અંત:કરણ રુપી બરતન અલગ અલગ છે પણ તે સર્વની અંદર જીવરુપે વિલસી રહેલું ચૈતન્ય એકનું એક છે.

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

જુદા જુદા મહાપુરુષોને જુદા જુદા સમયે તે એક માત્ર ચૈતન્યનો અનુભવ થયો અને તે અનુભવની વાતો પછી ગ્રંથરુપે પ્રગટ થઈ. લોકો આ ગ્રંથને પ્રમાણ માનીને લડાઈ કરી રહ્યાં છે. હિંદુઓ કહેશે કે મારા વેદને માને તો જ તે આસ્તિક અને નહીં તો નાસ્તિક. મુસલમાનો કહેશે કે જે ઈસ્લામના સિદ્ધાંતો માનશે તે જ સાચો અલ્લાહનો બંદો અને નહીં તો તે કાફર છે. ઈસાઈઓ કહેશે કે ઈસુ ખ્રીસ્તને ન માનો તો તમારું કલ્યાણ નહીં થાય. તેવી રીતે સહુ કોઈ મહાપુરુષના અનુયાયીઓ પોત પોતાના ગ્રંથો લઈને વાદ વિવાદ કર્યાં કરશે. આમ ગ્રંથો સઘળા ગરબડ કરનારા છે. સહુ કોઈ પોતાના મન થી માની લે છે કે તેમના ગ્રંથો જ સાચા છે, તે જે કહે છે તે જ સાચું છે તે જે કાઈ કરે છે તે જ સાચું છે અને બીજા બધા જે કાઈ કરે છે તે ગપ ગોળા છે. ખરેખર તો જેને જે ગમે છે તેને પુજ્યાં કરતા હોય છે. વૈજ્ઞાનિકો કોઈ મહાન વૈજ્ઞાનિક ને આદર્શ બનાવશે, વેપારી કોઈ સફળ વેપારીને આદર્શ બનાવશે, યોદ્ધો કોઈ સેનાપતિને આદર્શ બનાવશે. જેને આદર્શ બનાવશે તેના વિચારો સમજીને જીવનમાં ઉતારે તો કલ્યાણ થાય પણ તે તો માત્ર તેની મુર્તીની કે છબીની પુજા કર્યા કરશે. આમ આદર્શો અને ગ્રંથો ગરબડ ઉભી કરે છે અને સર્વની અંદર જે એક માત્ર શ્રી હરિ વિલસી રહ્યાં છે તેની અનુભુતી થવામાં વિક્ષેપરુપ થાય છે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

હવે નરસૈંયો કહે છે કે જો આ પ્રભુને પામવા હોય તો ગ્રંથને પડતાં મુકો, તમારી માન્યતાઓને કોરાણે મુકો અને આ પ્રકૃતિનું અવલોકન કરો. વૃક્ષમાં બીજ રુપે અને બીજમાં વૃક્ષ રુપે તે જ તો સંતાકુકડી રમી રહ્યો છે. બાહ્ય પ્રકૃતિમાં અવલોકન કરવાથી સમગ્ર બ્રહ્માંડમાં તેનો રાસ અને વિલાસ અનુભવાશે અને પોતાના અંત:કરણમાં ધ્યાન દ્વારા પ્રેમપૂર્વક તેનો અભ્યાસ કરવાથી પોતાની અંદર પણ તે જ શ્રી હરિ બ્રહ્માનંદ રુપે પ્રગટ થશે.

તો આવા એક બ્રહ્માંડ માનવી ભક્ત કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરીને આપણાં મનમાં રહેલી સર્વ સંકુચિતતા અને કટ્ટરતાનો ત્યાગ કરીને, ભ્રષ્ટાચારથી દૂર રહીને, શિષ્ટાચાર અપનાવીને, વધુ ને વધુ કર્તવ્ય કર્મો કરતાં કરતાં આપણાં વ્યક્તિત્વના, કુટુંબના, સમાજના, ગુજરાતના, ભારતના અને સમગ્ર વિશ્વના વિકાસમાં અને આંતર જીવો પ્રત્યે પરસ્પર પ્રેમ અને સદભાવ ટકાવી રાખવામાં આપણો યથામતિ અને યથાશક્તિ ફાળો આપવાનો પ્રયાસ કરીએ.

Categories: ચિંતન, પ્રેરણાદાયી સાહિત્ય, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, રાષ્ટ્રનો વિકાસ, સાહિત્ય | Tags: , , , , , , | Leave a comment

વૈષ્ણવ જન તો તેને રે કહીયે – નરસિંહ મહેતા

મારા ભાભુમાને શ્રદ્ધાંજલી

સ્વ.અન્નપુર્ણાદેવી બાલકૃષ્ણભાઈ જાની (ભાભુમા)
સ્વર્ગવાસ: તા.૨૫.૮.૨૦૧૦

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

આ ભજન “જયશ્રી ભક્તા” ની વેબ સાઈટ “ટહુકો” પર સાંભળવા અહીં ક્લિક કરો…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 2 Comments

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર ! – નરસિંહ મહેતા

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમરસ…

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમરસ…

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમરસ…

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમરસ…

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમરસ…

સૌજન્ય: લયસ્તરો

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ – નરસિંહ મહેતા

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજલ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને – નરસિંહ મહેતા

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો – નરસિંહ મહેતા

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ
અહીંયા કો નથી કૃષ્ણ તોલે

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂળી

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં
હેમની કોર જ્યાં નીસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે
સોનાના પારણા માંહી ઝૂલે

બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દીવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણજિહ્વાએ રસ સરસ પીવો

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો
અરધ-ઊરધની માંહે મહાલે
નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ – નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તુ, પાણી તુ, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતી-સ્મૃતી સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા,
અંતે તો હેમનું હેમ હોયે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તુ, બીજમાં વૃક્ષ્ર તુ,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે… અખિલ બ્રહ્માંડમાં…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

વૈષ્ણવજન તો તેને રે કહીયે – નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી – નરસિંહ મહેતા

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

સુખદુઃખ મનમાં ન આણીએ – નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી … સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

Create a free website or blog at WordPress.com.