Posts Tagged With: ધમ્મપદ

મરચું ખાધે તીખું ન લાગે?

સૂત્ર ૧૫ : અનૈતિક અને અશુભ કાર્યો અત્યારે અને ભવિષ્યમાં વિષાદ અર્પે છે, તે આ લોક અને પરલોક બંને લોકમાં પીડા અનુભવે છે. તે વિષાદગ્રસ્ત બનીને અપાર પીડા ભોગવતો, ફરી પાછા તેના દૂષિત કર્મો પ્રાપ્ત કરે છે.

સૂત્ર ૧૬ : નૈતિક અને શુભ કાર્યો અત્યારે અને ભવિષ્યમાં આનંદ અર્પે છે, તે આ લોક અને પરલોક બંને લોકમાં આનંદ અનુભવે છે. આનંદમય બનીને અપાર સુખ ભોગવતો ફરી પાછા તેના પૂણ્ય કર્મો પ્રાપ્ત કરે છે.

કર્મોનું ઘણું મહત્વ છે. જે લોકો દુન્યવી કાયદાને અવગણી શકતા હોય તે લોકોએ સૃષ્ટિ નિયંતાના કાયદામાંથી છટકી શકતાં નથી. કોઈ પણ કાર્યના સંસ્કાર ચિત્તમાં પડે છે. જેવા સંસ્કાર પડે છે તેવા કાર્યો ફરી ફરીને કરવાની ઈચ્છા થાય છે. ચોરને ચોરી કરવાની ટેવ પડે તો જ્યારે તે પકડાઈ જાય અને સજારુપે જેલવાસ, દંડ કે સજા થાય ત્યાર બાદ પણ ચોરી કરવાનું છોડી શકતો નથી. અનૈતિક કાર્યોને લીધે તેનો કર્તા આ લોકમાં યે હેરાન થાય છે અને મૃત્યું બાદ પરલોકમાંએ હેરાન થાય છે. તેવી જ રીતે સેવા, સત્કાર્ય, સમાજોપયોગી કાર્યો કરનાર આ લોક્માંએ આદર પામે છે અને પરલોકમાંએ સુવિધા મેળવે છે.

ઘણાં લોકો કર્મોના નિયમોને માનતા નથી કહેતા હોય છે કે “ખાવ, પીવો અને જલસા કરો. દેવું કરીને ય ઘી પીવો.” જ્યારે કેટલાંક લોકો કર્મો કરવામાં સાવધાન રહેતા હોય છે. સૃષ્ટિમાં સઘળું નિયમ પ્રમાણે ચાલતું હોય છે. નિયમને અનુસરનાર ઉન્નતિ અને નિયમોનુ ઉલ્લંઘન કરનાર અધોગતિ પામતો હોય છે.

શ્રીમદ ભગવદ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણને પ્રશ્ન પુછે છે :

અસંયમી શ્રદ્ધાભર્યો ચલિત યોગથી થાય,
યોગસિદ્ધિ ના પામતાં તેની શી ગતિ થાય?

છિન્નભિન્ન વાદળ સમો વિનાશ તેનો થાય?
બ્રહ્મપ્રતિષ્ઠાહીન તે વિમુઢનું શું થાય?

પૂર્ણપણે મારી તમે શંકા દૂર કરો,
અન્ય કોણ હરશે ન જો શંકા તમે હરો.

તેનો ઉત્તર આપતા શ્રી ભગવાન કહે છે :

આ લોકે પરલોકમાં નાશ ન તે પામે,
મંગલકર્તા ના કદી દુર્ગતિને પામે.

પુણ્ય ભરેલા લોકને તે યોગી પાવે,
પછી પવિત્ર ઘરોમહીં જન્મ લઈને આવે.

જ્ઞાની યોગીના કુળે અથવા જન્મ ધરે,
દુર્લભ જગમાં કો’કને આવો જન્મ મળે.

પૂર્વજન્મના જાગતાં ત્યાં પણ સૌ સંસ્કાર,
યત્ન કરે યોગી વળી ભવને કરવા પાર.

પૂર્વજન્મ સંસ્કારથી અવશ્ય યોગ કરે,
યોગેચ્છાથી તત્વ તે ઉત્તમ પ્રાપ્ત કરે.

પ્રયત્ન ખૂબ કર્યા પછી મેલ હ્રદયના જાય,
એમ ઘણાં જન્મે પછી સિદ્ધ યોગમાં થાય.

શ્રીમદ ભગવદ ગીતાના ૧૪માં અધ્યાયમાં આ પ્રમાણે કહ્યું છે :

સત્વગુણમહીં મોત જો કોઈ જનનું થાય,
તો તે ઉત્તમ લોકમાં શુદ્ધ લોકમાં જાય.

રજોગુણમહીં જો મરે, કર્મીજનમાં જાય,
મૂઢ યોનિમાં જાય જો મોત તમમહીં થાય.

સત્કર્મ તણું સાત્વિક તેમજ
નિર્મલ ફલ સાચે જ મળે,

રજનું ફલ છે દુ:ખ તેમ,
તમનું ફલ છે અજ્ઞાન ખરે.

સત્વગુણ થકી જ્ઞાનને લોભે રજ થકી થાય,
મોહ તેમ અજ્ઞાનને પ્રમાદ તમથી થાય.

સાત્વિક ગતિ ઉત્તમ લભે, રાજસ મધ્યમને,
તમોગુણી લોકો લભે સદા અધમ ગતિને.

કર્મતણો કર્તા નથી ગુણો વિના કોઈ,
આત્મા ગુણથી પર સદા સમજે એ કોઈ.

ત્યારે તે મુજ ભાવને પ્રાપ્ત થઈ જાયે,
નિર્વિકાર બનતાં મને પ્રાપ્ત થઈ જાયે.

આ ત્રણ ગુણને જીતતા જે તેથી પર થાય,
જન્મજરાથી તે છૂટી અમૃતરસમાં ન્હાય.

ટુંકમાં

સત્કર્મે રત
ઉન્નતિ, અધોગતિ
કુકર્મ થકી

Categories: ચિંતન | Tags: , , , , | Leave a comment

મનનું ઘડતર ઘણું આવશ્યક છે

સૂત્ર ૧૩ : જેવી રીતે નબળી છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી જાય છે તેવી રીતે અવિકસિત મનમાં ઉત્તેજના પ્રવેશી જાય છે.

સૂત્ર ૧૪ : જેવી રીતે મજબૂત છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી શકતું નથી તેવી રીતે સુવિકસિત મનમાં ઉત્તેજના પ્રવેશી શકતી નથી.

એક દંપતિનો એકનો એક પુત્ર વિદેશ ભણવા ગયો. ત્યાં કશાક તોફાનોમાં તેની હત્યા થઈ ગઈ. હત્યા થઈ તે સમયે તેમના ઘરે તેમનો એક કૌંટુબિક મિત્ર મળવા આવ્યો હતો. તેઓ ખુબ આનંદ વ્યક્ત કરતાં કહેતા હતા કે અમારો પુત્ર વિદેશમાં ભણવા ગયો છે. આવી આનંદપૂર્વક જ્યારે વાત કરી રહ્યાં હતા તે વખતે તેમનો પુત્ર અંતિમ ઘડી ગણી રહ્યો હતો પણ તેઓ તે વાતથી અજાણ હતાં. બીજે દિવસે જ્યારે સમાચાર મળ્યાં ત્યારે તેઓ શોકમગ્ન થઈ ગયાં.

કહેવાનું તાત્પર્ય તે છે કે ઘટના ઘટવાથી મન પર કોઈ અસર થતી નથી પરંતુ કોઈ પણ ઘટનાનું મન જ્યારે વિશ્લેષણ કરે છે ત્યારે તેની પર અસર થશે. જેમણે મનને કેળવ્યું હશે તેઓ પ્રત્યેક પરિસ્થિતિમાં સમ રહી શકે પણ જેમણે મનને કેળવ્યું નહીં હોય તે બાહ્ય જગતમાં ઘટતી ઘટનાને આધારે મનમાં વારંવાર ઉત્તેજના અનુભવશે.

ધારોકે જુદા જુદા બ્લોગરોએ જુદા જુદા સમયે બ્લોગ પર પોસ્ટ મુકી. જે સમયે પોસ્ટ મુકાશે તે સમયે વાચકના મનમાં કશી ઉત્તેજના નહીં થાય પરંતુ જે સમયે વાચક પોસ્ટ વાંચશે અને પોસ્ટના વિષય પર વિચાર કરશે તે સમયે તેના મનમાં રાસાયણિક પ્રક્રીયા થશે. કાં તો તે Like પર ક્લિક કરશે, ક્યારેક ઉત્સાહમાં આવીને પ્રતિભાવ આપશે, ક્યારેક વિચારો સાથે અસહમત હશે તો તીખી પ્રતિક્રીયા આપશે. આમ જે નબળા મનના વાચક છે તેમના મન જુદી જુદી પોસ્ટ વાંચીને અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અનુભવશે પણ જે સબળ વાચક છે જેણે મનને કેળવ્યું છે તે પોસ્ટનો ગહનતાથી અભ્યાસ કરશે. તેના વિષય વસ્તુને સમજશે તેમાંથી સાર ગ્રહણ કરશે અને વધારાનો કચરો ફેંકી દેશે. જરુર લાગશે તો સ્વસ્થ ચિત્તે તેનો મત રજૂ કરશે.

આમ મહત્વની વાત મનને ઘડવાની છે.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

આવશ્યક અને અનાવશ્યક વચ્ચેનો ભેદ પારખી શકનાર આવશ્યકને પ્રાપ્ત કરે છે

સૂત્ર ૧૧ : જેઓ બીનજરુરી ને જરુરી સમજવાની ભૂલ કરે છે તેઓ ગલત વિચારોમાં વસે છે અને ક્યારેય જરુરી છે તેની પાસે પહોંચતા નથી.

સૂત્ર ૧૨ : જેઓ જરુરી ને જરુરી અને બીનજરુરી ને બીનજરુરી સમજે છે તેઓ સાચા વિચારોમાં વસે છે અને જરુરી છે તેની પાસે પહોંચે છે.

અહીં વિવેકબુદ્ધિ કેટલી આવશ્યક છે તે જણાઈ આવે છે. મનુષ્યને સહુથી મોટી ભેટ કોઈ હોય તો તે વિવેકબુદ્ધીની છે. મોટા ભાગના મનુષ્યો બીનજરુરી બાબતોમાં સમય અને શક્તિ વેડફી નાખતા હોય છે. જે લોકો શું જરુરી છે અને શું બીનજરુરી છે તે જાણે છે તેઓ જરુરી બાબતો પ્રાપ્ત કરે છે અને બીનજરૂરી બાબતોથી અળગા રહે છે.

ભગવદ ગીતામાં ૧૮માં અધ્યાયમાં બુદ્ધિના ત્રણ ભેદ કહ્યાં છે.

શું કરવું શું છોડવું, એને જાણે જે,
બંધ મોક્ષ જાણે વળી બુદ્ધિ સાત્વિક તે.

શું કરવું શું છોડવું, તેમ જ ધર્મ અધર્મ,
રાજસ બુદ્ધિ તેહનો જાણે પૂર્ણ ન મર્મ.

માને ધર્મ અધર્મને અજ્ઞાન થકી જે,
ઉલટું સમજે સર્વનું, બુદ્ધિ તામસ તે.

મનુષ્યે જે કોઈ ઉપાયથી થઈ શકે તે રીતે બુદ્ધિને સાત્વિક બનાવવી જોઈએ. અહીં ફરી અઘરો પ્રશ્ન તો છે કે : બુદ્ધિને સાત્વિક કેવી રીતે બનાવવી? કોઈ મદદ કરશો?

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

સદગુણીને જ સંન્યાસ લેવાનો અધિકાર છે

સૂત્ર ૯ : જેઓ અનૈતિક અને ભ્રષ્ટ છે, સ્વનિયંત્રણ અને વિશ્વસનિયતા વગરના છે, તેણે પરિવ્રાજકના પિત વસ્ત્રોને છોડી દેવા જોઈએ, ચોક્કસ જ તે આ પરિવેશને લાયક નથી.

સૂત્ર ૧૦ : જેમણે અપવિત્રતાને ધોઈ નાખી છે, સદગુણોથી વિભૂષિત છે અને સ્વનિયંત્રીત તથા વિશ્વસનીય છે, તે ખરેખર સંન્યાસીના પીળા વસ્ત્રો પહેરવાને લાયક છે.

બૌદ્ધ ધર્મએ સંન્યાસ ઉપર ઘણો ભાર મુકેલો. દૈવી સદગુણ પ્રાપ્ત કરવા ઈછતી વ્યક્તિ સતત જગતના કોલાહલ વચ્ચે સાધનામાં પ્રગતિ ન કરી શકે. અહીં જણાવ્યું છે કે જેમણે પોતાની ઈંદ્રિયો અને મન પર કાબુ મેળવ્યો છે અને જે ખરેખર દૈવી સદગુણો અને દિવ્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ સંન્યાસ ધારણ કરે તો તેમને તે શોભે છે. જેઓ ભ્રષ્ટ છે, જેમની ઈંદ્રિયો અનિયંત્રિત છે તેવી વ્યક્તિઓએ સંન્યાસ ન લેવો જોઈએ અને કદાચ લીધો હોય તો યે સંન્યાસીનો પરિવેશ છોડીને ફરી પાછા જન સામાન્ય પહેરતા હોય તેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

પ્રકૃતિ પર નિયંત્રણ કે પ્રકૃતિથી નિયંત્રીત?

સાતમું સૂત્ર : જેવી રીતે વાવાઝોડું નબળા વૃક્ષને તોડી પાડે છે તેવી રીતે ઈંદ્રિયોમાં વિષયાસક્ત, ઈંદ્રિયો પર કાબુ વગરની, આહાર વિહાર અને આચરણમાં અંકુશરહિત વ્યક્તિ પર ’માર’ સત્તા ચલાવે છે.

આઠમું સૂત્ર : જેવી રીતે દૃઢ પર્વત સાથે અથડાઈને વાવાઝોડું હારી જાય છે તેવી રીતે જેમનો ઈંદ્રિયો પર કાબુ છે, ઈંદ્રિયોના વિષયોમાં આસક્તિરહિત છે, ધ્યાન દ્વારા જેમણે સ્વનિયંત્રણ મેળવ્યું છે, જેમના આહાર વિહાર અને આચરણ નિયંત્રીત છે તેવી વ્યક્તિ સામે ’માર’ હારી જાય છે.

લગભગ પ્રત્યેક ધર્મમાં મનુષ્યના દુશ્મન તરીકે શેતાન, અસૂર, માર, માયા વગેરે કોઈ એક અનિષ્ટકારી તત્વને રજૂ કરવામાં આવે છે. વાસ્તવમાં આ સૂત્રો જણાવે છે કે જો આપણે આપણી પ્રકૃતિ પર કાબુ મેળવીએ તો દિવ્ય બનીએ છીએ અને જો આપણી પ્રકૃતિ આપણી પર કાબુ મેળવી લે તો આપણે પાશવી બની જઈએ છીએ.

આવશ્યકતા તે છે કે આપણી ઈંદ્રિયો, મન અને બુદ્ધિ પર આપણે પ્રબળ પુરુષાર્થ દ્વારા કાબુ મેળવીએ. જો તેમ કરવામાં સફળ થઈએ તો આપણી ઉર્ધ્વગતિ થાય છે અને જો ઈંદ્રિય, મન અને બુદ્ધિના પ્રવાહમાં તણાઈ જઈએ તો અધોગતિ થાય.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

મૃત્યુંને નજર સમક્ષ રાખનારા લડાઈનો અંત આણે છે

છઠ્ઠું સૂત્ર કહે છે કે : એવા લોકોએ છે કે જેમને ખ્યાલ નથી કે એક દિવસ આપણે ચોક્કસ મૃત્યું પામવાના છીએ. જો કે એવા લોકોએ છે કે જેઓ ને ખ્યાલ છે કે તેઓ એક દિવસ ચોક્કસ મૃત્યું પામવાના છે તેવા લોકો પોતાની લડાઈ બંધ કરે છે.

મહાભારતમાં યક્ષ યુધિષ્ઠીરને પ્રશ્ન પુછે છે કે હે યુધિષ્ઠીર આ જગતમાં સહુથી મોટું આશ્ચર્ય ક્યું છે?

યુધિષ્ઠીર ઉત્તર આપતા કહે છે કે રોજે રોજ નજર સમક્ષ અનેક લોકોને મૃત્યું પામતા જોવા છતાં પ્રત્યેક મનુષ્ય તેવી રીતે વર્તે છે જાણે તે કદી મરવાનો ન હોય અને આ જ બાબત સહુથી વધુ આશ્ચર્યકારક છે.

છઠ્ઠા સૂત્રમાં આ વાતને સહજતાથી કહી છે કે જે લોકો મૃત્યુંને નજર સમક્ષ રાખીને જીવે છે તે બીન જરુરી સંઘર્ષ કરતાં નથી અને અનાવશ્યક લડાઈઓનો અંત આણે છે.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

શમે ના વેરથી વેર

પાંચમુ સૂત્ર ઘણું જાણીતું છે : વેરથી ક્યારેય વેર શમતું નથી. અવેર થી વેર શમે છે. આ સનાતન કાયદો છે.

આપણે જોઈએ છીએ કે કેટલાક કુટુંબોમાં પેઢીઓથી વેર ચાલતું હોય છે. કેટલાક દેશો વર્ષોથી એકેબીજા પ્રત્યે દ્વેષ રાખીને યુદ્ધ કરતાં હોય છે. વેરનો બદલો લેવાથી વેર શમવાને બદલે વધે છે. કેટલીક કંપનીઓ પરંપરાગત હરીફ હોય છે. કેટલાક બ્લોગરોએ આવો નિષ્કારણ વેરભાવ ધરાવતા હોય છે. આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે વૈચારિક વૈરભાવ કે યુદ્ધ જોવા મળતા હોય છે. એક બીજાની માન્યતાનું ખંડન કરવાથી, એકબીજાને પરાસ્ત કરવાથી, અન્યને ઈજા પહોંચાડવાથી કે અન્ય પર વિજય પ્રાપ્ત કરવાથી વેર શમતું નથી પણ આગળ વધે છે. જ્યારે ધિક્કારને શમાવી દેવામાં આવે ત્યારે જ વેરનો અંત આવે છે.

શમે ના વેરથી વેર, ટળે ના પાપથી પાપ
ઔષધ સર્વ દુ:ખોનું, મૈત્રીભાવ સનાતન

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

ગઈ કાલે આપણે ધમ્મપદના પ્રથમ બે સૂત્રો વિશે જોયું. શ્રી રાજેશભાઈએ સુચવ્યું કે પરમાત્માને માનવાથી અને તેમની સર્વશક્તિમત્તા સ્વીકારવાથી તથા તેમને આપણાં માતા પિતા માનવાથી સમસ્યા ઉકેલાશે.

જે પરમાત્મા મનસાગોચર હોય તેનો બુદ્ધિ વડે સ્વીકાર કેવી રીતે થઈ શકે? પરમાત્મા આપણી સમક્ષ પ્રગટ થઈને કશું કહેતા નથી અને પ્રગટ થઈને કહે તો આપણી બુદ્ધિ તેમને પરમાત્મા તરીકે સ્વીકારવા તૈયાર નથી થતી.

શ્રી દિપકભાઈ કહે છે કે જે પોતે ખાડામાં પડ્યો હોય તે બીજાને શી રીતે ખાડામાંથી બહાર કાઢી શકે? અથવા તો ખાડાની બહાર રહેલો ખાડામાં પડેલાને બહાર કાઢવાને બદલે પોતે જ ખાડામાં જઈને સુઈ જાય તો કેવી રીતે કોઈનું કલ્યાણ થાય?

આજે હવે આપણે ત્રીજુ અને ચોથું સુત્ર જોઈએ :

ત્રીજું સૂત્ર કહે છે કે : “તેણે મને અપશબ્દો કહ્યાં, તેણે મને ઈજા પહોંચાડી, તેણે મારી ઉપર હકુમત ચલાવી, તેણે મને લુંટી લીધો” જે આવા વિચારોને આશ્રય આપે છે તેનામાંથી ધિક્કાર જતો નથી.

ચોથું સૂત્ર કહે છે કે : “તેણે મને અપશબ્દો કહ્યાં, તેણે મને ઈજા પહોંચાડી, તેણે મારી ઉપર હકુમત ચલાવી, તેણે મને લુંટી લીધો” જે આવા વિચારોને આશ્રય આપતો નથી તેનામાંથી ધિક્કાર ચાલ્યો જાય છે.

આપણાં મનને અશુદ્ધ કરવામાં બીજા લોકોનો વ્યવહાર આપણે કારણરુપ માનતા હોઈએ છીએ. બીજાના વ્યવહારને જો આપણે વધુ પડતું મહત્વ આપી દઈએ તો આપણાં મનની સ્થીરતા ચાલી જાય છે. મન અશુદ્ધ બની જાય છે અને તેમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે.

હવે આપ જ કહો કે આપણાં મનની શાંતિ ટકાવી રાખવા માટે બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

Categories: ચિંતન | Tags: | 4 Comments

શુદ્ધ અને અશુદ્ધ મન

આજે ધમ્મપદના સૂત્રોનો અંગ્રેજી અનુવાદ વાંચી રહ્યો હતો. પ્રથમ બે સૂત્રો વાંચ્યા. વાંચ્યા પછી જો વિચારવામાં ન આવે તો વાંચન શા કામનું?

પ્રથમ  સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો અશુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે બળદ સાથે જોડાયેલું ગાડું બળદની પાછળ પાછળ ચાલે છે તેમ દુ:ખ તે માનવીની પાછળ પાછળ ચાલે છે.

બીજું સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો શુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે મનુષ્યની સાથે તેનો પડછાયો હંમેશા સાથે રહે છે તેવી રીતે સુખ તે માનવીની સાથે સાથે રહે છે.

આ સૂત્રો પર વિચાર કરીએ તો જણાઈ આવે છે કે સુખ અને દુ:ખ માટે કોઈ બાહ્ય પરીબળ કારણરુપ નથી. આપણું શુદ્ધ કે અશુદ્ધ મન જવાબદાર છે.

યક્ષ પ્રશ્ન તે છે કે મનને અશુદ્ધ થતાં કેવી રીતે અટકાવવું અને શુદ્ધ કેવી રીતે કરવું? કોઈ આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે મદદ કરશો?

Categories: ચિંતન | Tags: , , , , | 3 Comments

Blog at WordPress.com.