Posts Tagged With: જિતેદ્ર પટવારી

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૨૦) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખ 19 અને 20માં સહસ્રારચક્ર સંતુલિત/સશક્ત કરવા માટેના વિવિધ (15) રસ્તા જોયા. થોડા વધુ ઉપાય જોઈએ.

16) ઉપવાસ ખૂબ મદદ કરે. કુદરતી પ્રક્રિયા છે કે મોટાભાગના લોકો જયારે હતાશા, ગભરાટ અથવા મૂંઝવણની સ્થિતિમાં સરી પડે ત્યારે ભૂખ તેમની મરી જાય. કોઈ પ્રાણી બિમારીની સ્થિતિમાં હોય તો તે ખોરાક લેવાનું બંધ કરી દે, શરીરને ‘Reboot’ કે ‘Reset’ થવા દે. આ સમયે બ્રહ્માંડની ઊર્જા જરૂરી એડજસ્ટમેન્ટ ક્રાઉનચક્ર સાથે કરી લે અને ફરી એ પ્રાણી દોડવા માંડે. મનુષ્ય કદાચ એ એડજસ્ટમેન્ટ ન થવા દે, ખોરાક લેવાનું ચાલુ રાખે અને પરિણામે તકલીફ પણ ચાલુ રહે.

જયારે ક્રાઉનચક્ર સંતુલિત કરવા માટેના એક માત્ર હેતુથી ઉપવાસ કરીએ તો વ્યવસ્થિત રીતે કરવાના રહે – પહેલાં તો શરીરને તૈયાર કરવું જોઈએ. ઉપવાસની આદત ન હોય તો પહેલા છ/આઠ/બાર કલાકના ઉપવાસથી શરૂઆત કરવાની, શ્રાવણ મહિનાના ફરાળ સાથેના ઉપવાસ નહિ. મહિને અથવા ૧૫ દિવસે એક વખત નિયમિત રીતે ચાલુ રાખીએ તો વધુ ફાયદો થશે.

17) સબલીમિનલ (Subliminal) રેકોર્ડિંગ્સ: નાનપણથી જ જૂદી-જૂદી વ્યક્તિઓ પાસેથી અલગ-અલગ વાતો આપણે સાંભળી હોય જેમ કે, “પૈસાના ઝાડ ન ઉગે”, “આ તારું કામ નહિ”, “કરકસરથી રહેવું જોઈએ”, “ભાઈ, હવે તો 50 થયા, કંઈ ને કંઈ માંદગી તો આવે ને”, “સીધી રીતે પૈસા ભેગા થતા હશે કોઈ દિવસ?” આવા સંદેશને સબલીમિનલ સંદેશ કહેવાય જે અર્ધજાગૃત (Subconscious) મનમાં કાયમી રીતે અડ્ડો અને જાગૃત મન પર અધિકાર જમાવીને બેઠા હોય, અનેક રીતે વ્યક્તિની પ્રગતિ રોકે અને ચક્રોમાં અવરોધ ઉત્પન્ન કરે કારણ કે વ્યક્તિની વિચારધારા અર્ધજાગૃત મનને આધીન છે. જેવા વિચાર તેવા કર્મ અને તેવું જ પરિણામ. નબળાં વિચાર પરિણામ પણ નબળાં જ લાવે ને ! જાગૃત મન તો અર્ધજાગૃત મનનું ગુલામ છે.

જૂના ભાડુઆતને કાઢવા માટે જેમ શામ-દામ-દંડ-ભેદ બધું વાપરવું પડે તેમ આ અર્ધજાગૃત મનના રહેવાસીઓને કાઢવા ન્યુરોલિન્ગ્વીસ્ટિક પ્રોગ્રામિંગ(NLP)ની વિવિધ ટેક્નિક છે જેમાંથી વિઝ્યુઅલાઈઝેશન અને એફર્મેશન્સ આપણે જોયા છે. હવે સબલીમિનલ રેકોર્ડિંગ્સ પણ ઉપલબ્ધ થયા છે જેમાં અમુક પ્રકારના અવાજના તરંગો અથવા સંગીત સાથે જરૂરી સબલીમિનલ સંદેશ (જે મૂળભૂત રીતે એફર્મેશન્સ છે) ગૂંથી લેવામાં આવ્યા હોય. આ રેકોર્ડિંગ્સ ઊંઘ દરમ્યાન કે કોઈ પણ કાર્ય કરતી વખતે બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે, અર્ધજાગૃત મનમાં નવા વિચારો રોપે, જૂના ભાડુઆતોને બહાર ધકેલી દે. આ રેકોર્ડિંગ્સ એક હળવા હિપ્નોસીસ જેવા હોય, નવા સંદેશ મોકલે, વ્યક્તિની માન્યતાઓ, વિચારશૈલી અને વર્તણુકમાં ધીરે-ધીરે બદલાવ લાવે. એફર્મેશન કે વિઝ્યુઅલાઈઝેશન માટે તાર્કિક (Logical) મગજ ને તૈયાર કરવું પડે, સબલીમિનલ સંદેશ લોજીકલ માઈન્ડને બાયપાસ કરી દે.

સહસ્ત્રારચક્રના સંતુલન માટે જરૂરી સબલીમિનલ રેકોર્ડિંગ્સ ની લિંક અહીં મુકું છું. બાઈનોરલ બિટ્સ તેમાં સમાવેલ છે. માટે હેડફોન વાપરવો વધુ ઉપયોગી છે, ઊંઘ દરમ્યાન નહિ.

18) સ્વઅહંકારદર્શન અતિ જરૂરી. અરીસામાં મોઢું દરરોજ જોઈએ એમ આ દર્શન પણ કરવા જોઈએ. થોડું મુશ્કેલ હશે, અશક્ય તો નથી જ. જૂની આદત છૂટે તેને વાર લાગે, પહેલા તબક્કામાં ખુદનું નિરીક્ષણ જરૂરી. થોડી સભાનતા સાથે જોઈએ કે ક્યારે મારા અહંકારે મને કોઈ કાર્ય કરાવ્યું કે કોઈ કાર્ય કરતા રોક્યો/રોકી. તેની નિયમિત નોંધ કરીએ. ક્રાઉનચક્રની સ્થિતિ બધા ચક્રની સ્થિતિ ને અસર કરે પરંતુ મૂળભૂત રીતે તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનું આ ચક્ર અને અહંકાર તો આ ઉન્નતિના રસ્તા વચ્ચેનો સૌથી મોટો પથ્થર નહિ પણ ખડક છે. તેને ખસેડવો તો પડે. આમ પણ હસવા કે રડવા બંને માટે કોઈની જરૂર પડે. ઈસરોના સર્વોચ્ચ વૈજ્ઞાનિકને પ્રધાનમંત્રીના ખભાની રડવા માટે જરૂર પડી ગયેલી તે હમણાં જ TV પર જોયેલું છે અને એકલા-એકલા હસતા રહીએ તો કઈ હોસ્પિટલમાં દાખલ કરે એ કહેવાની જરૂર છે ખરી? ફક્ત એટલું યાદ રાખીએ કે અંતિમ યાત્રામાં ચાલીને જવાનું નથી, કોઈની જરૂર પડશે અને એ પછી મારા અંગત લોકો પણ સ્નાન કરીને શુદ્ધ થવા માટે દોડશે કારણ કે તેઓએ મારા આત્મા વગરના શરીરનો સ્પર્શ કર્યો હશે.

19) કુદરત સાથે વધુ જીવવાની વાત પહેલાં કરી. તેમાં થોડી વધુ વાત. દરેક વ્યક્તિની ઊર્જાને કુદરતના જૂદાં-જૂદાં સ્વરૂપ સાથે ઓછો-વધતો લગાવ હોય. કોઈ ને પર્વત ગમે તો કોઈને સમુદ્ર તો કોઈને જંગલ તો કોઈને પંખીજગત. જ્યાં આપણી ઊર્જા વધુ મેચ થતી હોય ત્યાં શક્ય તેટલો સમય ગાળવો જોઈએ. આપણને જ ખ્યાલ આવશે કે એ સમયે આપણા ચેતાતંત્રમાં અને સમગ્ર અસ્તિત્વમાં કેવો સકારાત્મક બદલાવ આવે છે.

20) ગુલાબ, સુખડ઼, લવંડર, ચમેલી, લોબાન વિગેરે સુંગધ ઉપયોગી છે – કેમિકલયુક્ત નહિ પરંતુ કુદરતી. જે પણ પ્રકારે આ સુગંધ લઈ શકાય તે રીતે લેવી જોઈએ, જો એલર્જી ન હોય તો.

21) ફક્ત આ ચક્ર માટે જ નહિ પરંતુ કોઈ પણ ચક્ર માટે અને પૂરાં ઘરની ઊર્જા શુદ્ધ કરવા માટે ધૂપ અતિ ફાયદાકારક છે. ધુપિયામાં છાણાં મૂકી તેના પર અજમો, કપૂર અને ઘી નાખી અગ્નિ પ્રગટાવવાનો, અગ્નિની જ્વાળા બંધ થાય અને ધુમાડો નીકળે ત્યારે ધૂપ પૂરાં ઘરમાં અને ખાસ કરીને દરેક ખૂણાઓમાં, દીવાલ પાછળ, બારણા પાછળ ફેરવવાનો. દુષિત ઊર્જાને રહેવા માટે આ ખૂણાઓ બહુ ગમે. ત્યાં ધૂપ કરી એ ઊર્જા ભગાડવાની. 15/20 દિવસ આ પ્રયોગ કરીશું તો બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે ઘરની ઊર્જામાં અને વાતાવરણમાં કેટલો બદલાવ આવે છે.

22) ઘણા સંકેત સ્વપ્ન દ્વારા અથવા ધ્યાન દરમયાન આવે. સાપ દેખાય, પીંછા દેખાય, કોઈ ખાસ પંખી દેખાય, કોઈ મકાન દેખાય વિગેરે. મૃત્યુના પણ સંકેત આવે. થોડા સંકેત યાદ રહે, થોડા ભુલાય જાય. થોડા સમય પછી બધા ભુલાય જાય. રોજિંદી આદત તરીકે એક ડાયરી પલંગ પાસે રાખીએ અને એક ધ્યાનખંડમાં. ઊંઘ ઉડે ત્યારે કે ધ્યાનમાંથી બહાર આવીએ ત્યારે જ જે કંઈ યાદ હોય, અધૂરું તો અધૂરું, તેની નોંધ કરી લઈએ. દરેક વ્યક્તિને આધ્યાત્મિક પથદર્શક (Spiritual Guides) હોય જે સતત કોઈ ને કોઈ રીતે મદદ કરતા હોય, સંકેત આપતા હોય – કોઈ દ્રશ્ય બતાવીને, કોઈ ખાસ સુગંધ દ્વારા, કોઈ વિશેષ અવાજ સંભળાવીને, કોઈ પુસ્તક પહોંચાડીને, કોઈ વ્યક્તિને આપણા સુધી પહોંચાડીને. આંખ-કાન-નાક સતર્ક હોય અને મન જાગૃત હોય તો એ સંકેત પકડી શકાય.

23) દરેક સમયે ધ્યાન માથાના તાળવાં પર રાખવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ દ્રષ્ટિએ અઘરું અથવા અશક્ય લાગે . તેવું છે નહિ. થોડો સમય જરૂર લાગશે, અમુક મહિનાઓ કે એકાદ વર્ષ. ત્યાર બાદની સ્થિતિ ‘આહા’ જેવી આહલાદક હશે. લોકો પૂછશે કે આટલા સ્થિતિપ્રજ્ઞ કઈ રીતે રહી શકો છો, શું તમે એ જ વ્યક્તિ છો કે જેને અમે વર્ષોથી જાણતા હતા?

લખતાં, વાંચતાં, વાતો કરતાં, TV જોતાં – ટૂંકમાં દરેક સમયે ધ્યાન સહસ્ત્રાર પર રાખીએ. ક્રાઉનચક્ર એટલી હદે સંવેદનશીલ થઈ શકશે કે કોઈ પણ ખોરાક કે પીણાંનો સ્વાદ પણ ત્યાં ખ્યાલ આવશે અને આબોહવાનો બદલાવ પણ ત્યાં અનુભવાશે. તીખું ખાઈએ તો ત્યાં ખ્યાલ આવશે, ગરમ કે ઠંડુ પીણાંનો ખ્યાલ ત્યાં આવી શકશે અને વાતાવરણમાં ઉષ્ણતામાનનો ફેરફાર પણ ત્યાં ખ્યાલ આવી શકશે. એક જૂદી જ જાતનો આ અનુભવ રહેશે. આ અનુભવની સાથે-સાથે આંતરિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે.

જયારે શ્વાસ લઈએ ત્યારે પણ સભાનપણે એવી કલ્પના કરીએ કે શ્વાસ છેક સહસ્ત્રાર સુધી પહોંચી રહ્યો છે, ત્યાં શુદ્ધ જાંબલી રંગની ઊર્જા જઈ રહી છે અને ત્યાંના બધા અવરોધો દૂર કરી રહી છે.

24) એફર્મેશન્સ: NLP ટેક્નિક્સમાંની આ એક અતિ અગત્યની ટેક્નિક જે અર્ધજાગૃત મનને અસર કરી જબરદસ્ત બદલાવ લાવે, શરત એક જ કે નિયમિત રીતે અને વિશ્વાસ સાથે અમલમાં મુકવી જોઈએ. આ ચક્ર માટે નીચેના એફર્મેશન્સ કરી શકાય.

A) મારા આધ્યાત્મિક અસ્તિત્વનો મને ખ્યાલ છે.

B) હું મારા અંતર્મન સાથે સંપૂર્ણ સંકળાયેલ છું.

C) મારુ અસ્તિત્વ બીજા તમામ લોકોનાં અસ્તિત્વ સાથે સંકળાયેલ છે, અમે સર્વે બ્રહ્માંડની એક જ ઊર્જામાંથી બનેલા છીએ.

D)દિવ્ય ઊર્જા મારી આસપાસ અને મારામાંથી વહી રહી છે.

E) મારા અનુભવો અને જે વ્યક્તિઓને હું મળું છું તેનાથી મારો સતત વિકાસ થઈ રહ્યો છે.

F) દરેક ઘટના કોઈ ખાસ કારણોસર બની રહી છે, તમામ પ્રકારના બદલાવોને હું આવકારું છું.

G) મારા અંતરાત્મા સાથે મારો ઊંડો આધ્યાત્મિક સંપર્ક છે.

H) હું તદ્દન હળવાશ અને શાંતિ અનુભવું છું.

I) બ્રહ્માંડ મને જે કઈ ભેટ આપવા ઇચ્છતું હોય તેનો સ્વીકાર કરવા માટે હું સંપૂર્ણ તૈયાર છું.

25) ગુરુકૃપા : કોઈ પણ ચક્રશુદ્ધિ, કુંડલિની જાગૃતિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટેનો સૌથી સરળ અને ઝડપી માર્ગ હોય તો તે ગુરુકૃપા – કોઈ એવા મહાપુરુષની કૃપા કે જે પોતે આ દિશામાં ખૂબ જ આગળ વધી ચૂકેલ હોય. આપણો દેશ ભાગ્યશાળી છે કે આવા સંત-મહાત્માઓ ભારત દેશની ભૂમિ પર વિદ્યમાન છે. માટે જ વિશ્વરભરમાંથી અધ્યાત્મ પિપાસુઓની ઈચ્છા હંમેશા એ રહે છે કે ભારતયાત્રા કરવી. સાચા ગુરુ સુધી પહોંચવા માટેનો સૌથી સરળ ઉપાય છે ‘પ્રાર્થના”. કોઈ પણ સમાધિષ્ટ ગુરુની સમાધિ પાસે પહોંચી ખરા દિલથી પ્રાર્થના કરવાની રહે કે મારે માટે જે નિર્મિત છે તે ગુરુ સુધી મને પહોંચાડો, રસ્તો આપોઆપ મળી આવશે.

૨6) સહસ્રારચક્રનું ધ્યાન: આજ્ઞાચક્ર વિષે ચર્ચા કરતી વખતે વાત થઈ કે સમાજમાં પ્રચલિત લગભગ તમામ ધ્યાનપદ્ધતિ આજ્ઞાચક્ર પાસે અટકી જાય છે, ભાગ્યે જ ક્રાઉનચક્રનું ધ્યાન જોવા મળે છે. મારા સદ્દનસીબે અનેક ધ્યાનપદ્ધતિઓનો અનુભવ કર્યા પછી હું ક્રાઉનચક્રના ધ્યાન સુધી પહોંચી શક્યો છું અને ગુરુકૃપા પણ મારી પર વરસી છે જેના પરિણામે જ કદાચ અતિ વ્યસ્ત દિનચર્યામાં પણ આજે હું આ બધા લેખ લખી શકું છું. તે ધ્યાન માટેની લિંક પણ આ સાથે મુકું છું. જેને અનુકૂળ આવે તે આ ધ્યાનકરી શકે. આધ્યાત્મિક જગતમાં એવું કહેવાય કે દરેક વ્યક્તિના ગુરુ પહેલેથી નક્કી જ હોય. સદ્દગુરુ તો બધા મહાન જ હોય છતાં એ જરૂરી નથી કે એક વ્યક્તિને જે ગુરુ અપીલ કરી ગયા તે બીજાને પણ કરે.

અત્યારના સમયમાં જયારે લોકોને સાચા ગુરુ વિષે ઘણી દ્વિધા અનુભવાતી હોય છે ત્યારે હવે વૈજ્ઞાનિક ઉપકરણો ઉપલબ્ધ છે કે જેનાથી નક્કી થઈ શકે કે કોઈ પણ વ્યક્તિ કે મહાત્માનું આધ્યાત્મિક સ્તર શું છે. આ પછી કોઈ લેખમાં એ વિષે વિગતે ચર્ચા કરીશું.

આ લેખમાળાના પ્રથમ તબક્કામાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, અને 7 મુખ્ય ચક્રો વિષે માહિતી મેળવી. હવે તહેવારોની અને સાધનાની સીઝન આવી ગઈ છે. તમામ મિત્રોને મારી શુભકામનાઓ, વડીલોને પ્રણામ. તમામની સર્વાંગી ઉન્નતિ માટે દૈવી શક્તિઓને પ્રાર્થના.

જિતેન્દ્ર પટવારી


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૬) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજ્ઞાચક્ર સંતુલિત કરવાના થોડા ઉપાયોની ચર્ચા લેખ 16માં કરી. જેમ પહેલાં વાત થઈ તેમ અતિ અગત્યનું ચક્ર છે અને લગભગ તમામ ધ્યાન પદ્ધતિઓ અહીં અટકી જાય છે. વધારામાં દરેક વ્યક્તિઓનું આજ્ઞાચક્ર થોડેઘણે અંશે અસંતુલિત અથવા અવરોધિત જોવા મળે છે. પરિણામે ‘આંતરિક અવાજ’ અનુસરવાને બદલે વ્યક્તિ આસપાસના માહોલ મુજબ, પોતાના કંડિશનિંગ મુજબ, કુટુંબ-મિત્રો અથવા માની લીધેલી સામાજિક મર્યાદાઓ મુજબ નિર્ણય લે છે અને અંતે ઘણી વખત પસ્તાય છે. જો આત્માના અવાજને અનુસરીને નિર્ણય લીધેલો હોય તો ગમે તે પરિણામ તે નિર્ણયના આવે, એક આત્મસંતોષ અને પરિણામે માનસિક શાંતિ રહે છે. એ સિવાય આધ્યાત્મિક કારણોસર તો આજ્ઞાચક્રનું એક ખાસ સ્થાન છે જ. આ સંજોગોમાં આજ્ઞાચક્રને સંતુલિત કરવાના થોડા વધુ ઉપાયો વિસ્તૃત રીતે જોઈએ.

આજ્ઞાચક્રને સૌધી વધુ દુષિત કરનારું પરિબળ હોય તો તે ‘મનોવ્યાપાર’ છે. ધારણાઓ, માન્યતાઓ અને પરિણામે અભિપ્રાયો એટલા રિજિડ બની જાય છે કે આપણે તદ્દન બિનજરૂરી અને પાયાવિહીન મનોવ્યાપાર તરફ દોરવાઈ જઈએ.

ધારણા: થોડી નોંધ, થોડા દિવસ માટે રાખીએ કે આપણી ધારણાઓ સામે હકીકત શું હતી. દાખલા તરીકે, કોઈ વ્યક્તિએ મને ફોન કરવો જોઈતો હતો પરંતુ નથી કર્યો. આ સંજોગોમાં મેં શું વિચાર્યું છે અને પછી હકીકત શું હતી તે નોંધીએ. કોઈ કુટુંબીજન મોડું આવ્યું. મેં તે સમયે શું વિચારેલું અને ખરેખર શું હતું. પત્ની આજે કોપાયમાન છે. ધારણા મૂકી હોય (અને ગભરામણ થઈ હોય) કે મારી કંઈ ભૂલ થઈ. પછી ખબર પડે કે આજે કામવાળી નથી આવી અને 4 દિવસ હજી નથી આવવાની તેનું ટેન્શન છે. પતિ ચૂપ છે, મેં કદાચ ધાર્યું છે કે મારાથી નારાજ છે. ધીરેથી વાત જાણીએ કે સાચું કારણ શું હતું. ઓફિસમાં કંઈ તકલીફ હતી?  બહુ જલ્દી ખ્યાલ આવશે કે મોટા ભાગની ધારણાઓ ખોટી પડે છે.

એક્સેસ કોન્સીયસનેસ (Access Consciousness) નામની એક હીલિંગ પદ્ધતિના અમુક સિદ્ધાંતો અત્યંત અગત્યના છે. ફક્ત એ અનુસરવાથી પણ ઘણાબધા બિનજરૂરી મનોવ્યાપારથી બચી શકીએ અને આજ્ઞાચક્રને એટલું સુરક્ષિત રાખી શકીએ.

‘દરેક વસ્તુ માત્ર એક ‘મત’ છે.’ દરેક વ્યક્તિને પોતાના કંડિશનિંગ હોય છે અને તે મુજબ જે તે વ્યક્તિ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. કોઈ વાર એ અભિપ્રાય સાંભળનારને પસંદ ન પણ હોય. તરત જ તે વ્યક્તિ માટે થોડો પૂર્વગ્રહ અથવા અભાવ ઉત્પન્ન થઈ શકે. જો એ યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય એ તેમનો વ્યુ પોઇન્ટ છે અને બીજી વ્યક્તિનો મત અલગ હોઈ શકે, તો આવો પૂર્વગ્રહ કે અભાવ થતો અટકાવી શકાય, આજ્ઞાચક્રને અવરોધિત થતું અટકાવી શકાય.

‘કોઈ સ્પર્ધા નહિ.’ એકબીજાથી આગળ નીકળી જવાની, હંમેશા દરેક વસ્તુમાં પહેલો નંબર મેળવીને વાહવાહ મેળવવાની આંતરિક અદમ્ય ઇચ્છા કોઈ પણ મનુષ્યને શારીરિક અને માનસિક રીતે દોડતો રાખે છે. આગળ નીકળી શકાય કે નહિ તે તો નક્કી નથી પણ માનસિક તાણ વધી જાય અને તેની સાથે વણાયેલ રોગોની ભેટ જલ્દી મળી જાય તે શક્યતા વધારે. પોતાનાથી આગળ નીકળતી વ્યક્તિ પર કોઈ વાર ચીડ ચડે એવું પણ બને. સાચું એ છે કે ‘શાંતિ’ તો કોઈ પણ કિંમત આપી ખરીદવાની વસ્તુ છે, અને તે માટે સ્પર્ધાથી દૂર રહેવાથી ફાયદો જ થશે.

‘કોઈ પણ જાતનાં જજમેન્ટ નહિ.’ આ સારું, આ ખરાબ; આ સાચું, આ ખોટું – આવા બધાં જજમેન્ટ અંતે કોઈ ને કોઈ રીતે પૂર્વગ્રહ બાંધવા તરફ દોરી જાય. જો યાદ કરીએ તો આપણો ખુદનો અભિપ્રાય જ બદલતો રહે છે, કાલે જે વસ્તુ સ્વીકાર્ય ન હોય તે આજે સંપૂર્ણ સ્વીકાર્ય હોય તેવું અનેક વખત બની શકે. જિંદગીમાં ‘બદલાવ’ એ એક માત્ર ‘સ્થિર’ વસ્તુ છે. તે સંજોગોમાં કોઈ પણ જાતના જજમેન્ટ લેવાં યોગ્ય ગણી શકાય? નિર્ણય આપણે જ લેવાનો રહ્યો.

લાઇટ લેન્ગવેઇજ (Light Language) : એક નવી જ વસ્તુ. એવી ભાષા છે કે જે કોઈ દેશની કે પ્રજાની ભાષા નથી. પરલોકની ભાષા કહી શકાય. અનેક લોકો અધ્યાત્મમાં ઘણા આગળ નીકળી ગયા છે, અને અંતરિક્ષમાંથી આવતા અવાજો પણ સાંભળી શકે છે. આવા લોકોના માધ્યમથી આ ભાષા દ્વારા આ પ્રકારનું હીલિંગ થઈરહ્યું છે. આ પ્રક્રિયાને ‘Channeling’ કહે છે. આ સાથે બે લિંક આપું છું. જે ફાવે તેનો ઉપયોગ કરી શકો છો. શાંત થઈ, એકાંતમાં બેસી, થોડા ઊંડા શ્વાસ લઈ સાંભળશો. ભાષા સમજવાની કોશિશ કરશો નહિ. એક નવો અનુભવ કરવા માટે જ સમય આપવાનો છે અને ‘આપણા માટે જ આપવાનો છે.’ સાંભળતી વખતે ઊંઘ આવી જાય તો ઊંઘી જવાનું. તે હીલિંગ પ્રક્રિયાનો જ ભાગ હશે. મેં આવી એક હીલર પાસેથી આ અનુભવ રૂબરૂમાં મેળવેલો છે અને તે અત્યંત સારો રહ્યો છે.

Light language healing for the third eye:

https://www.lightasafeatherenergy.com/…/third-eye…

સાંભળ્યું હશે કે ‘પૃથ્વીનું ડીમેન્સન બદલાઈ રહ્યું છે.’ સાદી ભાષામાં એનો મતલબ એ છે કે સંપૂર્ણ વિશ્વનું આધ્યાત્મિક સ્તર ઊંચું જઈ રહ્યું છે. આસપાસ નજર નાખીશું તો જોવા મળશે કે નાની ઉંમરની અનેક વ્યક્તિઓ અધ્યાત્મ તરફ દોરાઈ રહી છે, યોગ અને ધ્યાન પ્રત્યે કોઈ દિવસ ન હતી તેવી જાગૃતિ આજકાલ જોવા મળે છે. એ જ પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ ડીમેન્સન ઉપર જવાની પ્રક્રિયામાં સહાયક થવા માટે જે વિવિધ વસ્તુઓ થઈરહી છે, લાઇટ લેન્ગવેઇજ તેનો એક ભાગ છે.

આજ્ઞાચક્ર પર ચુંબન: આ એક અલગ જ અનુભવ છે. પીનીઅલ અને પિટ્યુટરી બંને ગ્લેન્ડ્સ પર આ ચુંબનની સીધી અસર થાય, બંને ગ્લેન્ડ્સ ઉત્તેજિત થાય, મેલાટોનિનનું વધુ ઉત્પાદન થાય. હવે સમજી શકાશે કે શા માટે ‘ગુડ નાઈટ કિસ’ કપાળ પર કરવામાં આવે છે. એક પ્રકારની સુખાકારી (Well Being) અને સલામતીની ભાવના જે વ્યક્તિને ચુંબન થયું તેને આપમેળે જન્મે. કદાચ એટલે જ વડીલો ભાવનાત્મક રીતે નાની ઉંમરની વ્યક્તિઓને કપાળ પર ચુંબન કરતા હોય છે. એક અર્થમાં વ્યક્તિના આત્માને ચુંબન કરવા જેવું છે. અન્ય લોકો સામાન્ય રીતે આપણા કપાળને સ્પર્શતા નથી. આપણે પોતે પણ આ ભાગને ઓછો સ્પર્શ કરીએ છીએ. ઉચ્ચ ચેતનાયુક્ત જગ્યા છે આ. અહીં કરવામાં આવેલ ચુંબનની સીધી અસર આજ્ઞાચક્ર પર છે.

ધ્યાન: જયારે લગભગ તમામ ધ્યાન પદ્ધતિઓ આજ્ઞાચક્ર માટેની અથવા આજ્ઞાચક્ર સુધી હોય ત્યારે હવે ‘ધ્યાન’ અતિ મહત્ત્વનું બની રહે છે. કોઈ પણ વાત નવી હોય ત્યારે મનમાં એવો ખ્યાલ સહેજે આવે કે મારાથી આ થશે કે નહિ. પરંતુ એક વખત શરુ કાર્ય પછી બહુ સરળ પ્રક્રિયા છે અને ખાસ કરીને ત્યારે કે જયારે અનેક પ્રકારની ફ્રીક્વન્સી, સંગીત વગેરે આ માટે પ્રાપ્ય છે.

એક સરળ રીત.

શાંતિથી, આરામદાયક રીતે આંખ બંધ કરીને બેસીએ.

ધ્યાન રાખીએ કે ફોન કે અન્ય કોઈ વ્યક્તિ થોડો સમય ખલેલ ન પહોંચાડે.

5/10 ઊંડા શ્વાસ ધીરેથી લઈએ અને છોડીએ. ધ્યાન આજ્ઞાચક્ર પર લઈ જઈએ.

કપાળની વચ્ચે ઘાટા વાદળી (ઈન્ડિગો બ્લ્યુ) રંગની ઊર્જા આવતી હોય, એક દડો બનાવતી હોય તેવી ધારણા કરીએ.

ધીરે ધીરે જોઈએ કે એ દડો મોટો થઈ રહ્યો છે, થોડો ગરમ થઈ રહ્યો છે અને શરીરમાંથી અશુદ્ધ ઊર્જા ખેંચી રહ્યો છે.

શરૂઆતની ઉષ્ણતા પછી થોડા સમયમાં એ દડો સામાન્ય થશે અથવા થોડી ઠંડક અનુભવાશે. એ સમયે ધારણા કરીએ કે આ ઊર્જા આખા શરીરમાં પહોંચી રહી છે.

કદાચ લમણાંમાં થોડું દર્દ થશે. નિશાની છે કે ઊર્જા ઉપર ઊઠી રહી છે અને આજ્ઞાચક્રના અવરોધોને તોડવાની કોશિશ કરી રહી છે. થોડા દિવસોમાં આ દર્દની અનુભૂતિ બંધ થઈ જશે.

શરીરમાં આ દરમ્યાન જે કઈ પ્રક્રિયા થાય તે થવા દઈએ. કોઈને ધ્યાન દરમ્યાન શરીરનું હલનચલન અને અન્ય ક્રિયાઓ થાય છે, થાય તો થવા દઈએ. રોકીશું તો તેના પછીના તબક્કાથી વંચિત રહીશું. કોઈ પણ પ્રકારની લાગણીઓ પણ બહાર આવતી હોય તો આવવા દઈએ (જો અન્યને પ્રભાવિત ન કરતી હોય તો. આજ્ઞાચક્રની લાગણીઓ થોડા જોખમવાળી. ગુસ્સો પણ બહાર આવે. તો એ વ્યક્ત કરવામાં સાચવવું પડે).

અનુકૂળ હોય ત્યાં સુધી ધ્યાન કરી બાદમાં આંખો ધીરેથી ખોલીએ. ત્યાર બાદ પણ અન્ય ગતિવિધિ કરતાં પહેલાં થોડી મિનિટો શાંતિથી બેસી રહીએ.

બાઈનોરલ ફ્રીક્વન્સી સાથે ધ્યાન કરવું હોય તો અહીં એક લિંક આપું છું. બાઈનોરલ બિટ્સ સાંભળવા માટે હેડ ફોન અથવા ઈયર ફોન વાપરવા જરૂરી છે.

Third Eye Opening Binaural Beat Subliminal Visualization

આજ્ઞાચક્રના અવરોધને કારણે ઘણી વખત જોવા મળે કે વ્યક્તિ પોતાની માન્યતાઓમાં અત્યંત ચુસ્ત રહે, બીજાની વાત તેને ગળે ઊતરે નહિ. અતિશયોક્તિ અલંકારમાં એવું કહી શકાય કે આવી વ્યક્તિ કહે કે એક રૂપિયામાં ત્રણ આઠ આની આવે તો પછી એને કોઈ કાળે મનાવી શકાય નહિ કે ત્રણ નહિ પણ બે જ આઠ આની આવે. આ પ્રકારની મનોવૃત્તિને કારણે લોકો એમનાથી દૂર રહેવું પસંદ કરે. જો હું આ પ્રકારની વ્યક્તિ હોઉં અને બદલાવ લાવવાની ઇચ્છા હોય તો મારે નવા પુસ્તકો વાંચવા જોઈએ, સામાન્ય રીતે જોતો હોઉં તે સિવાયના TV કાર્યક્રમો જોવા જોઈએ, કોઈ નવા પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ, નવા ક્ષેત્રના મિત્ર બનાવવા જોઈએ, મારી ચીલાચાલુ ઘરેડમાંથી બહાર આવવું જોઈએ; ટૂંકમાં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઈએ. ફાયદો મારો જ રહેશે.

એફર્મેશન્સ: અહીં દર્શાવેલ એફર્મેશન નિયમિત રીતે કરી શકાય. લખીને કરીએ તો વધુ ફાયદો થાય.

“હું મારા આત્માના અવાજને અનુસરું છું.’

“યોગ્ય નિર્ણય કેમ લઈ શકાય તે મને ખ્યાલ છે, હું સરળતાથી તે લઈ શકું છું.”

“મારી જિંદગીનો એક ખાસ મકસદ છે, તેના માટે મને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે.”

“મારા આજ્ઞાચક્ર દ્વારા મળી રહેલા માર્ગદર્શનને હું અનુસરું છું”

“મારી પાસે અપાર શકયતાઓ છે જેમાંથી હું શ્રેષ્ઠ પસંદ કરું છું.”

“મારું આજ્ઞાચક્ર સંતુલિત અને વિકસિત છે.”

“હું ક્રિયાત્મક કલ્પનાઓ કરી શકું છું.”

વિઝ્યુઅલાઈઝેશન બહુ જ ફાયદાકારક રહેશે. મન શાંત અને સ્થિર કરી જીવનનાં જૂદાં-જૂદાં પાસાં નિહાળો. વિચારો કે ક્યાં બદલાવ જરૂરી છે. કઈ પરિસ્થિતિ આદર્શ અથવા ઇચ્છિત છે. બંધ આંખે એ પરિસ્થિતિ નિહાળો. નજર સમક્ષ એ ચિત્ર બની શકે તેટલી વિગત સાથે લાવો. (જાણે કે: નયનને બંધ રાખીને મેં તમને જોયાં છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.) ધારો કે મર્સીડીસ કાર જોવી છે. તો તેનો રંગ, નવી કારની ફીલ, સ્ટાર્ટ કરીએ ત્યારનો અવાજ, તેના હોર્નનો અવાજ – બધું જ વિઝ્યુઅલાઈઝ કરો, દરરોજ કરો. આ NLP ટેક્નિક આજ્ઞાચક્ર માટે અતિ ઉપયોગી છે.

વિષય ઘણો વિસ્તૃત છે. પરંતુ લેખ 15, 16 અને 17માં આજ્ઞાચક્ર વિષેની તમામ પ્રાથમિક અને ઉપયોગી માહિતીની આપણે ચર્ચા કરી છે. હવે આવતા લેખમાં સહસ્ત્રારચક્ર વિષે જાણીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૫) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજ્ઞાચક્ર વિષે થોડું આ પહેલાંના હપ્તામાં સમજ્યા. તેને સંતુલિત કરવાના ઉપાયોમાં માનસિક વ્યાયામ અત્યંત જરૂરી રહેશે. તે વિષે જાણીએ તે પહેલાં આજ્ઞાચક્ર અને પીનીઅલ ગ્લેન્ડ વિષે થોડું વધુ. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર. અધ્યાત્મમાં રસ હોય તેને તો હંમેશા આ નેત્રમાં રસ રહેવાનો જ. પરંતુ અધ્યાત્મમાં ઓછો રસ હોય તો પણ એ સમજવું જરૂરી કે આ ચક્રની તન, મન અને તેને કારણે અંતે ધન પર પણ અસર થાય.

આજ્ઞાચક્રનો સંબંધ છે પીનીઅલ ગ્રંથિ સાથે. માટે થોડું આ ગ્લેન્ડ વિષે. દિવસમાં આશરે ૬૦૦૦૦ વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. મોબાઈલમાં એક સાથે અનેક એપ ખોલી નાખીએ અને પછી મોબાઈલ હેંગ થઈ જાય તેવી દશા મગજની અનેક વખત થઈ જાય. આને માટે જવાબદાર છે આ ટચુકડી પીનીઅલ ગ્લેન્ડ. એક અત્યંત અગત્યનું હોર્મોન છે, નામે “મેલાટોનિન”. ઉત્પન્ન કરે તેને પીનીઅલ ગ્લેન્ડ. જેટલું સારી રીતે ઉત્પન્ન કરે, ઊંઘ એટલી ગાઢ અને પર્યાપ્ત અવધિની. અજવાળું અને અંધારું – બંને આ હોર્મોનને અસર કરે. આ હોર્મોન ઊંઘને, ચિંતાના સ્તરને, શારીરિક ક્ષમતાને પણ અસર કરે. રેટિના જયારે વધુ પ્રકાશ મેળવે ત્યારે આ હોર્મોન ઓછું ઉત્પન્ન થાય અને અંધારામાં વધુ. ખ્યાલ આવે છે આના પરથી કે વધારે પ્રકાશ હોય તો ઘણાને કેમ રાત્રે ઊંઘ ન આવે? શા માટે રાત્રે ઊંઘવાના થોડા સમય પહેલાં ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર વિગેરે બંધ રાખવાનું કહેવામાં આવે છે? સારી ઊંઘ જોતી હોય તો બંધ કરવાનાં, નહીંતર………..સ્વૈચ્છા બલીયસી.

પીનીઅલ ગ્રંથિ પાસેથી બરાબર કામ લેવું હોય તો થોડા ઉપાય છે.

૧) ફ્લોરાઈડયુક્ત બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ, ટૂથપેસ્ટથી પણ અને પાણીથી પણ. તેને કારણે પીનીઅલ ગ્રંથિ પર ક્ષાર જલ્દી જામી જાય. ફ્લોરાઈડના ઘણાં નુકસાન બીજાં પણ છે. નાની ઉંમરે, ખાસ કરીને છોકરીઓમાં, જાતીય લાગણીઓ જલ્દી જાગૃત થવા માટે ફ્લોરાઈડ પણ એક કારણ છે.

૨) કલોરીન અને બ્રોમીન પણ પીનીઅલ ગ્લેન્ડ પર ખરાબ અસર કરે. દૂર રહેવું સારું.

3) વિટામિન D ઓછું થઈ જાય ત્યારે પણ પીનીઅલ ગ્લેન્ડ અને બીજા અમુક ટીસ્યુઝ પર ક્ષાર જામી જાય.

૪) કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવાને બદલે કુદરતી રીતે કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જરૂરી.

૫) સૂર્યસ્નાન: રાત્રે અંધારું કરી દેવાનું પણ તેનાથી ઉલટું, સવારે સૂર્યનો કુમળો પ્રકાશ જેટલો મળે તેટલી આ ગ્રંથિ વધારે સારી રીતે કાર્ય કરે. વધુમાં વિટામિન D તો મળે જ. મૂડ સારો કરી દે અને ઊર્જા વધારી દે તેવું એક હોર્મોન ‘સિરોટોનિન’ આ સમયે વધુ કાર્યરત થાય.

૬) ઘનઘોર અંધારું કરી ઊંઘવાની આદત પાડવી. નાઈટ લેમ્પ પણ નહિ.

7) સૂર્યદર્શન: આ પહેલાંની જે વાત હતી તે સુર્યસ્નાનની હતી. હવે જે વાત કરીએ છીએ તે સૂર્યના કુમળા પ્રકાશ સામે થોડી સેકંડો માટે જોવાની વાત છે. ફક્ત ૨/૩ સેકન્ડ માટે જ. ‘કુમળો’ શબ્દ અને સમયાવધિ બંને અહીં અગત્યના છે.

હવે મન પર આવીએ. આજ્ઞાચક્રને સંતુલિત કરવા માટે મન શાંત કરવું જરૂરી. ધ્યાન કરીએ, કુદરતના ખોળે પહોંચી જઈએ, આપણી માનીતી કોઈ કળાનો કે રમતોનો સહારો લઈએ. જાતે જ નક્કી કરવાનું રહે કે મનને શાંત રાખવા માટે કઈ રીત મને ફાવશે. મનમાં વિચારોનું તોફાન મચેલું હોય, કોલાહલ હોય તો ‘આંતરિક અવાજ’ કરી રીતે સાંભળી શકાય? એ અવાજ તો કાનમાં કોઈ વાત કહેતું હોય તેનાથી પણ ધીમો હોય ને ! મૉટે ભાગે તો આડકતરી રીતે, ચિહ્નાત્મક રૂપે, સ્વપ્ન દ્વારા બધાં માર્ગદર્શન મળે.

મન શાંત કરવા માટે આજ્ઞાચક્રમાં ભરેલો ગુસ્સો એટલે કે ભારેલા અગ્નિને ઠંડો કરી નાખવો અત્યંત જરૂરી. એમ ન થાય તો જે તે વ્યક્તિ પોતે જ જલતી રહે. શરીરમાં એસિડ પણ વધે. એ સિવાય અનેક રોગ કે તકલીફ થઇ શકે જેના વિષે લેખ ૧૫માં ચર્ચા કરી છે. નર્વસ સિસ્ટમના રોગ આજ્ઞાચક્રના દોષને આભારી છે. અહીં થોડું વિસ્તારથી અને શાંતિથી વિચારી નીચેના પ્રશ્નોના જવાબ જાત પાસેથી મેળવીએ.

૧) એક વસ્તુ નક્કી છે કે આજ્ઞાચક્રમાં ભરેલો ગુસ્સો નજીકની વ્યક્તિ પર હોય અને વિવિધ કારણોસર એ ગુસ્સો વ્યક્ત કરી શકાય તેમ ન હોય. નહીંતર તો એ ગુસ્સો ભૂલી ગયા હોઈએ અથવા કોઈ પણ રીતે વ્યક્ત કરી દીધો હોય. આવા સંજોગોમાં શાંત ચિત્તે નક્કી કરીએ કે આખી જિંદગી સળગતો કોલસો હાથમાં રાખીને હાથ અને હૈયું જલતા જ રાખવા છે?

૨) જો ભૂલીશું નહિ તો સ્થિતિ એવી બનશે કે કોઈને કારણે દર્દ મળ્યું, ગુસ્સે થયા, ત્યાં વ્યક્ત ન કરી શક્યા ને ભૂલ્યા પણ નહિ. તો ક્યાંક ને ક્યાંક ભોગ બીજા બનશે. ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવી સ્થિતિ થઈ. કોઈ ને કોઈ જગ્યાએ એ ગુસ્સાનો અગ્નિ લબકારા મારશે.

૩) જો ગુસ્સાની ઊર્જા સાથે ભોજન બનાવવાનું હોય તો શું થઈ શકે તે લેખ ક્રમાંક ૧૫માં ચર્ચા થઈ. આખા ઘર પર એ ઊર્જા ગઈ, નુકસાન કુટુંબના તમામ સભ્યોને થયું, સંતાનોને અને વડીલોને પણ. વિચારીએ કે શું આ પરિસ્થિતિ ચાલુ રાખવી છે? જેના માટે આટલી ચિંતા કરીએ છીએ તેમને જ નુકસાન કરવામાં પણ કારણભૂત બનવું છે?

૪) એ વિચારીએ કે કેટલા સમયથી/વર્ષથી ભરેલો ગુસ્સો છે. ફરી એ સભાન ખ્યાલ લાવીએ કે આટલા સમયથી/વર્ષોથી નુકસાન કોને થયું? ખુદને? સામેની વ્યક્તિને? કે બીજા કોઈને?

૫) પુરુષ-સ્ત્રીની શારીરિક રચનામાં જેટલો ફેર છે તેટલો જ અથવા તો તેનાથી પણ વધારે ફેર માનસિક પ્રકૃતિમાં છે. માટે પતિ-પત્ની વચ્ચે પણ ઘણી વખત અનેક ગેરસમજણ રહે, પરિણામે આજ્ઞાચક્રનો અવરોધ એટલે કે ગુસ્સો ભરાયેલો રહે અને શાબ્દિક તણખા પણ ઝરે, આગ પણ લાગે. વિષય લાંબી ચર્ચા માંગી લેવો તેમ છે પરંતુ ફક્ત એક દાખલો. સૌથી સામાન્ય અવ્યક્ત કે વ્યક્ત ફરિયાદ કે મારા એ તો ભાગ્યે જ બોલે (અથવા તો મારી પત્ની બોલ-બોલ જ કરે). આ ફરિયાદ કદાચ ઉત્પન્ન ન થાય જો ખ્યાલ હોય કે પુરુષો જયારે માનસિક દબાણમાં હોય ત્યારે મૌન તેમના માટે સ્ટ્રેસ બસ્ટર છે અને એ સમયે તેમને કોઈ ખલેલ પહોંચાડે એ તેમને જરા પણ પસંદ નથી. આનાથી તદ્દન વિપરીત, વધુ બોલીને સ્ટ્રેસમાંથી બહાર આવવું તે સ્ત્રીની પ્રકૃતિ છે. ફક્ત એટલું યાદ રાખીએ “હું જેમ ઇચ્છુ છું તે રીતે જ મારા પત્ની/પતિ વર્તન કરશે / લાગણી અભિવ્યક્ત કરશે તેવું માનવું ખોટું છે, કારણ કે એ જૂદી પ્રકૃતિની વ્યક્તિ છે.” બસ આટલું બરાબર યાદ રહે તો પણ ગુસ્સો ઘણા અંશે શમી જશે. પાડોશીઓને આપણા ઘરની ભીંત તરફ કાન ધરી રાખવાની ઈચ્છા નહિ થાય !!!

૬) સ્વાભિમાન અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. થોડો માનસિક તટસ્થ પરિશ્રમ કરી વિચારવાનું કે શું મારું ઈગો લેવલ થોડું વધારે હતું, તેથી હૈયાને ઠેસ જલ્દી લાગી ગઈ અને માટે ગુસ્સો આજ્ઞાચક્રમાં સચવાઈ રહ્યો તેવું તો નથી ને? આ સંજોગોમાં થોડું ફિલોસોફિકલ થઇ જવાનું કે જે વસ્તુને કારણે અભિમાન હોય તેવી કોઈ પણ વસ્તુ સદા સાથ આપતી નથી. તાજા જ દાખલાઓ છે કે એક સમયના અત્યંત તવંગર અથવા સત્તાધારી લોકો જેલમાં છે કે દેશ છોડીને ભાગતા ફરે છે જયારે સ્ટેશન પર ભીખ માંગતી એક સ્ત્રી (રાનુ માંડલ) હવે ફિલ્મોમાં એક ગીત ગાવા માટે લાખો રૂપિયા મેળવે છે.

૭) ગુસ્સો ભરી રાખેલો હોય તેનાં કારણોમાં મોટા ભાગે બીજી કોઈ વ્યક્તિના કોઈ શબ્દો કે કાર્યને કારણભૂત ગણતા હોઈએ છીએ. ‘વાંક તો તારો જ. એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક સત્ય એ છે કે સામેવાળી વ્યક્તિનાં કાર્યો કે શબ્દો હૈયે ચોંટી ગયા હોય છે અને પોતે એ જ વ્યક્તિને શું કહ્યું હોય, તેની સાથે શું કર્યું હોય તે સામાન્ય રીતે ભુલાઈ ગયું હોય. થોડી મહેનત કરી એ યાદ કરવાની કોશિશ કરીએ “મેં જે તે સમયે (કે પછી) શું કહ્યું હતું / કર્યું હતું?” શક્ય છે કે યાદ આવશે કે મેં ત્યારે જ હિસાબ ચૂકતે કરી નાખ્યો હતો ! જો એવું હોય તો ગુસ્સો કરવાનો કે ભરી રાખવાનો કોઈ અધિકાર ખરો?

૮) ગુસ્સાના કારણો ઘણી વખત બેબુનિયાદ હોય છે. આશરે ૬૦ વર્ષનાએક વિદેશી સાધ્વી અમારા મહેમાન થયેલા. તેમના માતા-પિતા બંને ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે. સાધ્વી અમારા મિત્ર જ છે અને તેમની સાથેની હળવી વાતો દરમ્યાન તેમણે કહેલું કે તેમની માતાના મગજમાં કોઈ જૂની યાદો હશે જેને કારણે તે હજી તેમના પતિ (સાધ્વીના પિતા) પર ઘણી વાર શંકા કરીને ગુસ્સો કરે છે કે તમે બાલ્કનીમાં શા માટે ગયા, પાડોશણને જોવા !!! ગુસ્સો એ બહેનના મગજ પર એ હદે હાવી થાય છે કે તેમને એ પણ ધ્યાન નથી રહેતું કે તેમના પતિ ૮૪ વર્ષના થયા અને કદાચ એ પાડોશણને જુએ તો પણ શું થઈ ગયું? ગુસ્સાના બીજ કદાચ ૫૦ વર્ષ પહેલાંથી તેમણે સાચવી રાખેલા છે અને આખી જિંદગી તેને કારણે પરેશાન થયા છે. દરેકે એ વિચારવાનું કે મારી મહામૂલી જિંદગીમાં મેં કોઈ પણ કારણોસર આવી પરેશાની સ્વીકારી છે; જો જવાબ હકારમાં હોય તો હવે તેમાંથી બહાર આવવું છે?

મન શાંત કરવાના, ગુસ્સાનો નિકાલ કરવાના ઉપરોક્ત પ્રયત્નો સિવાય આજ્ઞાચક્રને મજબૂત કરવા માટે બીજું પણ ઘણું કરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે પ્રયત્નોમાં વિશ્વાસ સાથે સાતત્ય જરૂરી છે.

૧) સભાન પ્રયત્નથી દિવ્ય શક્તિને/ કુદરતને કોઈ સવાલ પૂછવો અને તેના જવાબની રાહ જોવી. જવાબ હંમેશા કોઈ પ્રતીકાત્મક રૂપે અથવા સ્વપ્ન દ્વારા આવશે.

૨) એક આદત તરીકે સવારે ઉઠી તરત જ રાત્રે જોયેલા સ્વપ્નમાંથી જે કઈ યાદ આવે તે નોંધવું.

3) વિચારદર્શન. જયારે વિચારોને ફક્ત દ્રષ્ટાભાવથી જોઈએ અને તેની સાથે વહી ન જઈએ તો તેનો પ્રવાહ લાગણી સુધી પહોંચે નહિ/ઓછો પહોંચે. વિચારોને ફક્ત જોયા કરવાથી ખ્યાલ આવશે કે વિચાર જૂદા અને આપણે જૂદા.

૪) મંત્ર: આ ચક્રનો બીજ મંત્ર ૐ છે. તેના નિયમિત જાપ કરી શકાય.

૫) ત્રાટક: મોટા ભાગના લોકો આ શબ્દથી પરિચિત હશે. આંખને સમાંતર દીવાની જ્યોત રાખી તેની સામે એકધારું જોવું કે જ્યાં સુધી આંખ સ્વયં બંધ ન થઇ જાય. એ સમયે એવી ધારણા કરવી કે એ જ્યોતમાંથી ઊર્જા પ્રવાહિત થઈ શરીરમાં આવી રહી છે, પહેલાં આજ્ઞાચક્રમાં પ્રવેશી રહી છે અને ત્યાર બાદ સમગ્ર શરીરમાં ફરી રહી છે.

૬) જે કલાનો શોખ હોય તેને વિકસાવીએ, તેને માટે સમય આપીઍ. આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર બંને ચક્ર માટે આ કામનું છે.

૭) સ્પર્ધામુક્ત જીવન જીવવાની કોશિશ કરીએ. નિજાનંદ અને સ્વઉન્નતિ માટેના પ્રયત્નો કરીએ, નહિ કે કોઈને બતાવી દેવા માટે.

આજ્ઞાચક્ર અત્યંત અગત્યનું ચક્ર છે, ઘણી બધી સંબંધિત વસ્તુઓની ચર્ચા બાકી છે. આજે અહીં વિરામ લઈએ. વધુ આવતા હપ્તે. નમ્ર સૂચન એ છે કે જે કઈં મનોમંથન થઈ શકે, પ્રયત્નો થઈ શકે તે કરીએ. ફાયદામાં રહીશું .

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૩) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

વિશુદ્ધિચક્રને સંતુલિત કરવાના થોડા વધુ ઉપાયો જોઈએ. ફરી યાદ કરાવી દઉં કે વાંચવાથી માહિતી મળશે, કરવાથી ફાયદો થશે. માનસિક પરિશ્રમનો સમય હવે આવી ગયો છે, લાગણીઓ અને વિચારોને નિહાળવાની, સમજવાની અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં પ્રયત્ન સાથે તેમને ફેરવવાની જરૂર રહેશે. શારીરિક સ્નાન વિના ચેન પડતું નથી, સાંજે બીજી વખત પણ કરીએ છીએ. પણ માનસિક સ્નાન??? એ કરીશું તો જ સાચી ચક્રશુદ્ધિ, સંતુલન કે સશક્તિકરણ થશે.

ઉપાયોમાં આગળ વધીએ.

૧૫. ચક્રનો રંગ આસમાની છે. આ રંગનાં કપડાં, રૂમાલ, સ્કાર્ફ, પેન, મોજાં, વિગેરેનો વધુ ઉપયોગ કરી શકાય. ઘરમાં/ઓફિસમાં નજરે પડે તે રીતે મુખ્ય રંગ આસમાની હોય તેવા પેઈન્ટિંગ્સ રાખી શકાય. આ રંગની બોટલમાં ભરેલું પાણી પીવામાં વાપરી શકાય. લેપટોપ સ્ક્રીનમાં આ રંગનું પ્રાધાન્ય હોય તેવું ચિત્ર મૂકી શકાય. ટૂંકમાં, જ્યાં શક્ય હોય ત્યાં આ રંગ અત્ર-તત્ર-સર્વત્ર ગોઠવી શકાય.

૧૬. ગાયન વિષે લેખ ૧૩માં વાત કરી. તેમાં થોડું વિશેષ. ગીત ગાવું અથવા ગણગણવું તે તો લાભદાયક છે જ, પરંતુ જો એમ લાગતું હોય કે ‘મને જરા પણ નથી ફાવતું, આ મારું કામ નહિ’ તો ‘સા રે ગ મ પ ધ ની સાં’ એટલે કે સાત સૂરની સરગમનો અભ્યાસ હાર્મોનિયમ પર અથવા તો યુ ટ્યુબના સહારે કરવો જોઈએ. વિશુદ્ધિચક્ર સુધરવાની ગેરંટી. સંગીત સાંભળવાની મજા પણ ત્યાર બાદ અનેરી હશે. નીચે બે લિંક્સ આપી છે. તે અથવા બીજી ઘણી લિંક્સ જાણકાર મિત્રો આપી શકશે. (રિયાઝ કરતી વખતે પાડોશીઓનો ખ્યાલ રાખવો જરૂરી !!!)

૧૭. આકાશ: આ ચક્રનું તત્ત્વ આકાશ છે. ‘આસમાન સે આયા ફરિસ્તા (અથવા પરી)’ એમ માની આકાશ સામે થોડો સમય નિયમિત જોવાની આદત કેળવવી જોઈએ. આ ચક્ર તો સંતુલિત થશે જ પરંતુ સાથેસાથે વિચારોની તીવ્રતા પણ ઘટશે. (બધી બલા આ વિચારોએ જ ઊભી કરી છે ને !) જો સૂર્યના કોમળ તડકા સમયે આ કાર્ય કરીએ તો આંખોને પણ ખૂબ લાભ થશે. મારી એક અમેરિકન ડૉક્ટર મિત્રને ૬૧ વર્ષની ઉંમરે આ પ્રમાણે કરવાથી નબળી આંખોમાં સંપૂર્ણ સુધારો આવી ૨૦/૨૦ વિઝન આવી ગઈ છે. (સાવચેતી: ઘરમાં બધાને કારણ કહી પછી આકાશદર્શનની પ્રેક્ટિસ કરવી, જેથી આપણી માનસિક તંદુરસ્તી વિષે કોઈને શંકા ન જાય !!!)

૧૮. સંવાદ સાથે જોડાયેલું ચક્ર છે. સાંભળવાની – બોલવાની ક્રિયા બાળક એક ઉંમર સાથે સ્વયંભૂ કરવા માંડે છે. આ કારણે સંવાદ (બોલવું – સાંભળવું બંને) એક કળા છે તે વાત કદાચ ધ્યાનમાં આવતી નથી અને તેથી જ મોટે ભાગે લોકો આ કળા સુધારવા માટે કોઈ સભાન પ્રયત્ન કરતા નથી. પરિણામે યોગ્ય રીતે વિચારો વ્યક્ત કરવામાં તકલીફ પડે છે, કાં તો બફાટ કરીએ છીએ અથવા ચુપકીદીનો સહારો લેવો પડે છે (અથવા બીજા કોઈ કહી દે છે કે “હવે ચૂપ રહો”) કે પછી અભિવ્યક્તિ ખોટી રીતે થાય છે. ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, શું બોલવું, કેટલું બોલવું, – આ બધું સમજવા માટે એ આવશ્યક છે કે સંવાદની કળા યોગ્ય રીતે વિકસિત કરવી અને સાથેસાથે સામેવાળી વ્યક્તિને સાંભળવા માટે પણ સભાન પ્રયત્નો કરવા. મોટે ભાગે પૂરી વાત સાંભળ્યા પહેલા જ મનમાં તૈયાર હોય છે કે હવે મારે શું બોલવું. જવાબ આપવા માટે સાંભળવાને બદલે સમજવા માટે સાંભળવું જરૂરી છે. યોગ્ય સંવાદોના અભાવે ઘણી વખત મિત્રો, ધંધા/નોકરીના સાથીદારો કે કુટુંબીઓ પાસે – સર્વત્ર હાહાકાર મચાવી દઈએ, લોકો આપણી હાજરી માણે નહિ, ફક્ત અણગમા સાથે સહન કરે. મોઢે તો વિવેક ખાતર પૂછે કે “કેમ છો?’. મનમાં એક કહે કે “છો કેમ (અહીં)?”

શ્વાસ લીધા વગર બોલવાની ઘણા લોકોને આદત હોય છે. યાદ રાખવું જોઈએ કે સામેની વ્યક્તિને પણ બોલવું હોય. આ પહેલાંના લેખમાં વાત થઈ એમ દીર્ઘ શ્વાસ લેવાની આદત અહીં ફાયદો કરે છે. શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે, બાદમાં સ્વાભાવિક રીતે થાય. છેક પેટ સુધી ઊંડા શ્વાસ લેવાની આદત કેળવવાથી શારીરિક ફાયદા તો અનેક થાય અને શાંતિ મળે. (ખુદને અને બીજાને પણ !!!)

દિવસ દરમ્યાન શ્વાસની ઝડપ જે તે વખતની લાગણી મુજબ બદલ્યા કરે. એક આદત તરીકે સવારે ઊઠયા પછી ૫/૧૦ મિનિટમાં જ બે વસ્તુ નોંધવી જોઈએ – ૧ મિનિટમાં કેટલા શ્વાસ થાય છે અને અને ૧ મિનિટમાં નાડીના ધબકારા કેટલા છે. આથી પહેલાં તો આ વિષયમાં સભાનતા આવશે અને બીજું, દરરોજ કરતાં કોઈ દિવસ મોટો ફેરફાર હોય તો ખ્યાલ આવી જશે કે શારીરિક/માનસિક સ્વાસ્થ્યમાં કઈં ગડબડ છે; એ પ્રમાણે કાળજી લઈ શકાશે.

૧૯. વિચારોનું અવલોકન અને નોંધ: અન્ય લોકોની હાજરીમાં જે વિચારો આવે તે જરૂરી નથી કે આપણા જ હોય. આસપાસના લોકોના વિચારોનાં આંદોલનનો પ્રભાવ તેમાં પડે. ખુદના સાચા વિચાર જાણવા માટે એકાંતમાં વિચારોનું અવલોકન અને તેની નોંધથી ખ્યાલ આવશે કે ‘હું ક્યાં ફરું છું (અને મૉટે ભાગે ક્યાં ફર્યા કરું છું)’. અને એ ખ્યાલ આવ્યા બાદ જ પોતાની લાગણીઓને અને તેની પાછળનાં કારણોને પણ સાચી રીતે સમજી શકાશે. કોમ્પ્યુટર કી બોર્ડ વાપરવું વધારે પસંદ હોય તો અમુક પ્રોગ્રામ પણ પ્રાપ્ય છે ( જેમ કે Evernote ) જ્યાં વિચારોને મુક્ત રીતે વહેતા કરી શકાશે, નોંધી શકાશે અને રોજબરોજની કાર્યસૂચિ પણ રાખી શકાશે.

૨૦. આભાર માનીએ જિંદગીનો. ઘણી વખત ચિંતાઓ ઘેરી વળે, નિરાશા જન્મે, લોકો અને જિંદગી પ્રત્યે પણ ફરિયાદ ઉભી થાય. ‘મારી સાથે જ આવું કેમ’ તેવી લાગણી ઉભી થાય. આવા સમયે વિશુદ્ધિચક્રને બહુ ખરાબ લાગે ! બરાબર કામ ન કરે.

યાદ રાખીએ કે દરેક ફરિયાદની સામે કોઈ ને કોઈ આભારનું કારણ હોઈ શકે. જેમ કે ટેક્સ બહુ ભરવાનો આવ્યો; ફરિયાદને બદલે એમ વિચાર આવે “આહા, કેટલી બધી આવક થઇ આ વર્ષે”, તો સંતાપ ખુશીમાં ફેરવાઈ જાય. જિંદગીમાં બહુ તકલીફ છે એવી ફરિયાદ કરીએ, ૫૦ કારણ ફરિયાદના શોધી કાઢીએ અને ભગવાન કહે “જિંદગી તો આવી જ રહેવાની છે, આવી જા ઉપર” તો મને તો જવાનું ન ગમે. તમને પણ આમ કહે તો શું કરો? જાતને પૂછવાનું. જો ‘ન ગમે’ એવો જવાબ મળે તો જિંદગીનો, પરિસ્થિતિઓનો, વ્યક્તિઓનો આભાર માનવાનું શીખવું જરૂરી. ફરિયાદના બદલે ફરી ફરીને યાદ કરી, દરરોજ કોઈ ને કોઈ રીતે આભાર માનવા માટેનાં કારણો શોધી ડાયરીમાં નોંધીએ. ફક્ત આ આદત કેળવવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો, લોકો સાથેના સંબંધોમાં સુધારો, નવા સંબંધોનો વિકાસ, વધુ સારી ઊંઘ, સ્વાભિમાન (self-esteem)માં વધારો, માનસિક તાણમાં ઘટાડો અને બીજા અનેક ફાયદા થાય છે જે અનેક પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે. વિવિધ દેશોમાં આ વિષયનું મહત્ત્વ સમજીને વાર્ષિક Thanks Giving Day ની ઉજવણી થાય છે. ભારતમાં પણ હવે ગોવામાં આ દિવસ ઉજવવાનું શરૂ થયું છે.

૨૧. વિઝ્યુઅલાઈઝેશન: ન્યુરો-લિંગ્વિસ્ટીક પ્રોગ્રામિંગ (NLP)ની આ એક મહત્વની તરકીબ છે જે અર્ધજાગૃત મન પર ઊંડી અસર કરે. હવે તો સર્વવિદિત છે કે મનુષ્યની વર્તણુક પર ૯૦%થી પણ વિશેષ અસર અર્ધજાગૃત મનની હોય છે.

એકાંતમાં બેસી, થોડા દીર્ઘ શ્વાસ લઈ સ્થિર થયા બાદ એવી ધારણા કરીએ કે આસમાની રંગના કિરણો પહેલાં તો શરીર પર અને પછી ગળા પર આવી રહ્યાં છે, વિશુદ્ધિચક્રને શુદ્ધ કરી રહ્યાં છે, તમામ અવરોધો દૂર કરી રહ્યાં છે, વધુ પડતી ઊર્જા આવતી હોય તો તેના પ્રવાહને સંતુલિત કરી રહ્યાં છે, શ્વાસોચ્છ્વાસ સાથે ધીરેધીરે એ જ રંગની ઊર્જાનો એક ફુગ્ગો બની ગળા અને ગળા પાછળ એટલે કે ડોકમાં ગોઠવાઈ ગયો છે, બધું સ્વચ્છ કરી રહ્યો છે, અશુદ્ધિઓ કાળા રંગની વરાળ બનીને બહાર નીકળી રહી છે અને થોડી વાર પછી આ ભાગ એકદમ પારદર્શક અને નિર્મળ બની ગયો છે. આ પ્રક્રિયા કરતી વખતે ‘હં’ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો.

ગળાની પાછળના ભાગ પર પણ ધ્યાન આપવું બહુ જરૂરી છે. Medulla oblongata નામનો મગજનો એક અતિ મહત્ત્વનો ભાગ છે જે કરોડરજ્જુ સુધી નર્વસ સિસ્ટમના સંદેશ પહોંચાડે છે; શ્વાસોચ્છ્વાસ અને રુધિરાભિસરણ પ્રક્રિયા પણ તેના અંકુશમાં છે. પ્રાણશરીરની રીતે જોઈએ તો અહીંથી ઊર્જા ઉપર લઈ જવામાં થોડો સમય લાગે છે કારણ કે ઊર્જાની સર્કિટ આ ભાગ પાસે તૂટે છે. ધ્યાન વિષે ભવિષ્યમાં વાત કરીશું ત્યારે તે વિગતવાર સમજીશું

૨૨. નીચે મુજબના એફર્મેશન્સ કરવા જોઈએ.

o હું અત્યંત સરળતાથી વાતચીત કરું છું.

o હું મારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે જણાવી શકું છું.

o હું હંમેશા યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરું છું.

o હું અન્ય લોકો સાથે આત્મવિશ્વાસથી વાતચીત કરું છું.

o હું હંમેશા સત્ય બોલું છું, સરળતાથી બોલું છું.

o મારી વાતો લોકો ધ્યાન દઈ સાંભળે છે.

o મને મૌનમાં પણ આનંદ આવે છે.

o ક્યાં બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કઈ રીતે બોલવું – આ બધાં જ પર મારો સંપૂર્ણ અંકુશ છે.

o હું બહુ સારો શ્રોતા છું.

o હું મારી લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરી શકું છું.

o હું બહુ પ્રભાવી રીતે જાહેર વ્યક્તવ્ય આપી શકું છું.

o મારા વિચારો સકારાત્મક છે.

o બધા જ કંડિશનિંગથી હું મુક્ત છું.

૨૩. હવે થોડી હિંમત સાથેનું એક કાર્ય. પહેલાં તો નોંધ કરી લઈએ કે કઈ કઈ વસ્તુ મારી અંદર મેં છેક ઊંડે સુંધી ધરબી દીધી છે કે જેને હું કોઈ દિવસ બહાર કાઢતી/કાઢતો નથી. યાદ કરી નાનામાં નાની વસ્તુ નોંધીએ. ઇન્દ્રિયજન્ય ભૂખતરસ પણ નિઃસંકોચ નોંધીએ. આપણી જાત સમક્ષ જ પહેલાં તબક્કામાં તો તમામ આવરણો હટાવી દેવાનાં છે. દેખાય છે તેટલી સામાન્ય પ્રક્રિયા નથી. ભાવનાઓનું ઘોડાપૂર ધસી આવે તેવું પણ બને, એ ભાવનાઓ રડાવે, હસાવે, ગુસ્સાથી મગજની નસો ખેંચી નાખે, આત્મગ્લાનિ સપાટી પર લઈ આવે, પોતાની જાતને જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકે એવું પણ બને. બધું જ થવા દઈએ, પાટાપિંડી કરતાં પહેલાં ડોક્ટર ગુમડાને દબાવી પસ બહાર કાઢે છે તેમ.

કોઈ એવી વ્યક્તિ/મિત્રને યાદ કરીએ જે નિ:સ્પૃહ રીતે આ સાંભળી શકે કે વાંચી શકે. એવું કોઈ યાદ આવે તો અતિ ઉત્તમ. તેની પાસે જઈ આ વાતો વાંચીએ/કહીએ. યાદ આવે નહિ અથવા હિંમત સાથ છોડી દે તો આ લખાણ ચીરા કરી અગ્નિને સમર્પિત કરી દઈએ. દરેક અનુભવોની, લાગણીઓની, વિચારોની, શારીરિક કામનાઓની એક ઊર્જા હોય છે. તેનું રૂપાંતર આ પ્રક્રિયા દ્વારા અલગ પ્રકારની ઊર્જામાં થઈ જશે અને આપણી સાથે જોડાયેલી આ ઊર્જા વિઘટિત થઈ જશે. લાગણીઓની તીવ્રતા મુજબ જરૂર પડે તો આ પ્રકારનું જ લખાણ/પ્રક્રિયાનું પુનરાવર્તન પણ કરીએ.

અંતમાં, એક વાત યાદ રાખીએ કે મૃત્યુનો અનુભવ તો લેવાનો જ છે, થોડો અનુભવ જિંદગીનો પણ લઈએ; મુક્ત બનીને – ન ચિંતા , ન ભય, ન ગુસ્સો, ન શરમ, ન સંકોચ અને વિગેરે વિગેરે. વિશુદ્ધિચક્ર સંપૂર્ણ સંતુલિત કરવા માટેનો આ રામબાણ ઉપાય.

આવતાં સપ્તાહમાં આજ્ઞાચક્ર વિષે જાણીશું.

ક્રમશઃ


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૨) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજે વાત કરીશું વિશુદ્ધિચક્રને સશક્ત કરવાના ઉપાયોની. એ પહેલાં એક વાત: મારું વિશુદ્ધિચક્ર કદાચ ખુલવાનો પ્રયત્ન કરી રહ્યું છે, લગભગ એક મહિનાથી ગળામાં અટકેલા શબ્દો બહાર આવવા કૂદાકૂદ કરી રહ્યા છે. આજે માર્ગ આપી દઉં છું. શબ્દો છે; “હે સુજ્ઞ વાચકો, આપ લેખમાળા વાંચો છો, પ્રોત્સાહક પ્રતિભાવ પણ આપો છો ત્યારે એક વાત કહેવી છે. ઉપાયો વાંચવાથી માહિતી મળશે પરંતુ અમલમાં મૂકવાથી ફાયદો થશે, ફાયદાઓની હારમાળા થશે. આ સ્વઅનુભવસિદ્ધ વાત છે. છેલ્લા ૨૧ વર્ષ દરમ્યાન આશરે ૭૦૦૦ કલાકનું ધ્યાન, તેનાથી ત્રણ ગણા સમયનું અધ્યયન, હજારો માણસોનો પ્રત્યક્ષ સંપર્ક, અનેક લોકોના કાઉન્સેલિંગથી મળેલો જીવંત અનુભવ, એ બધાથી ઉપર અમારા ગુરુદેવ અને હિમાલયના પરમસિધ્ધ યોગી (સમર્પણ ધ્યાનના પ્રણેતા) એવા પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના આશીર્વાદ – આ બધાનો આ લેખમાળામાં સમન્વય છે તેવું મારું નમ્ર પરંતુ દ્રઢ્ઢપણે માનવું છે. ‘સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય.’ અને હવે અહીં પરસેવો પાડવાનો સમય આવી ગયો છે – શારીરિક કરતાં પણ વધુ તો માનસિક. ‘કરે તે ચરે’ એમ માનીને પોતાની પ્રકૃતિને ફાવે તે ઉપાય શરુ કરવા માટે મારુ નમ્ર સૂચન છે.” (ચક્ર શુદ્ધ થઈ ગયું, ગળામાં ભરાયેલ શબ્દો અંતે બહાર આવી ગયા !!!)

આપણી વૈચારિક ચક્રયાત્રા હવે અત્યંત અગત્યના તબક્કામાં પ્રવેશી ચુકી છે. વિશુદ્ધિચક્રમાં તકલીફ એ આમજનતાની કહાની છે. કોઈ પણ પ્રકારની આત્મગ્લાનિ (Guilt) આ ચક્રને નબળું પાડી દે અને આ આત્મગ્લાનિ ભારત જેવા દેશમાં, જ્યાં પાપ-પુણ્યના ખ્યાલો ગળથુંથીમાંથી મળેલા હોય ત્યાં વધારે જોવા મળે છે. શરીર અને મનને ગમ્યું હોય / ન ગમ્યું હોય અથવા કૌટુંબિક, સામાજિક કે અન્ય – કોઈ ને કોઈ કારણોસર કાર્ય કર્યું હોય / કરવું પડ્યું હોય કે ન કરી શક્યા હોઈએ અને અર્ધજાગૃત કે જાગૃત મનમાં ખ્યાલ હોય કે ‘આ તો ખોટું છે, પાપ છે’ એટલે આત્મગ્લાનિ ઉદ્ભવે તે સ્વાભાવિક છે. પરિણામરૂપે વિશુદ્ધિચક્રની ખરાબી અને પીઠના મધ્ય ભાગમાં દુખાવો ભેટમાં મળે.

ઉપાયો વિષે હવે વાત કરીએ. શરૂઆતમાં એવા સરળ ઉપાયો લઈએ જે કરવા માટે ફક્ત ઇચ્છાશક્તિની અને થોડો સમય આપવાની જરૂર પડે. એ પછી આગળ એવા ઉપાયો પણ ચર્ચીશું જેમાં મનોમંથનની, આત્મનિરીક્ષણની અને કદાચ એક બંધ કોચલામાંથી બહાર આવવા માટે થોડી હિંમતની પણ જરૂર પડી શકે.

૧) મંત્ર: સર્વસરળ ઉપાય. મંત્ર પવિત્ર શબ્દો અથવા અવાજોથી બનેલા છે જે ચેતનાની ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવામાં સહાય કરે છે. આ ચક્રનો મંત્ર છે ‘હં’. તેના જાપ કરી શકાય.

આ લિંકનો ઉપયોગ કરી શકો છો. આ બીજમંત્રનું લંબાણપૂર્વક ઉચ્ચારણ કરવાની પ્રેક્ટિસ કરવાથી વધુ ફાયદો થશે. દા.ત. “હ્હહાઅઆહમ્મમ્મમમ.” એક અતિ પ્રાચીન બૌદ્ધમંત્ર ‘ओं मणिपद्मे हूं’ છે. જેના માટે આ લિંક જોઈ શકો છો.

૨) આહારમાં કિવિફ્રૂટ, સફરજન, લીંબુ, નાશપતી, પ્લમ, પીચ, અંજીર અને જરદાળુ લાભદાયી.

૩) સાઉન્ડ હીલિંગ થેરાપી આ ચક્રને શુદ્ધ કરવા માટે મહત્ત્વની છે. તિબેટના સિંગિંગ બાઉલ્સ (Singing Bowls) , હજારો વર્ષ જૂનું અને મૂળભૂત રૂપે ઇન્ડોનેશિયાનું વાજીંત્ર નામે ગોન્ગ્સ (Gongs) અને આશરે ૩૦૦ વર્ષ પહેલાં જ બ્રિટનમાં વિક્સાવેલું ટ્યૂનિંગ ફોર્ક્સ (Tuning Forks) એક વિશેષ પ્રકારના અવાજનાં આવર્તનો ઉત્પન્ન કરે છે જે વિશુદ્ધિ ચક્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વાજીંત્રોનાં ચિત્ર તથા ઉપયોગી લિંક્સ અહીં મુકેલ છે.

સિંગિંગ બાઉલ્સ :  https://www.youtube.com/watch?v=9rNfKW1hARY

ગોન્ગ્સ:  https://www.youtube.com/watch?v=kXRuiSC4gqM

ટ્યૂનિંગ ફોર્ક્સ:  https://www.youtube.com/watch?v=kirNGxzedKc

૪) ગાયન: બહુ નજાકતથી, પ્રેમથી વિશુદ્ધિચક્ર ખોલવાનો ઉત્તમ માર્ગ છે ગાયન. જરૂરી નથી કે ગળું રફીસાહેબ કે લતાજી જેવું હોય. જેવું હોય તેને વિકસિત તો કરી જ શકાય. જાહેરમાં ગાવામાં સંકોચ થતો હોય તો એકલા એકલા ગવાય. આમ પણ સામાન્ય રીતે બધા ‘બાથરૂમ સિંગર’ તો હોય જ છે. દબાયેલો અવાજ તો બહાર આવશે પણ સાથે આત્માનો દબાયેલો અવાજ પણ બહાર આવશે.

5) મસાજ: ગળા પાસે યોગ્ય રીતે કરાયેલ મસાજથી એ જગ્યાએ અવરોધિત ઊર્જા છુટ્ટી પડે. ‘યોગ્ય રીતે’ શબ્દ અહીં મહત્ત્વનો છે. જો એવી વ્યક્તિ ન મળે તેમ હોય તો વૈકલ્પિક રીતે હેન્ડ મસાજરનો ઉપયોગ થઈ શકે જેથી ઉચિત માત્રામાં અને યોગ્ય જગ્યાએ મસાજ થાય. (જીવનસાથી પાસે આ કાર્ય ન કરાવવું હિતાવહ !!!)

6) બહુ ઝડપથી બોલવું કે લાગણીઓના આવેશથી બોલવું – તે બંને અસંતુલિત વિશુદ્ધિચક્રની નિશાની છે. સંતુલિત કરવા માટે ઊંડા શ્વાસની આદત કેળવવી જોઈએ. શ્વાસ પેટ સુધી અંદર જવો જોઈએ, નહિ કે ફક્ત છાતી સુધી. આ આદત કેળવાશે તો ચક્ર શુદ્ધ થશે, આત્મવિશ્વાસ પણ વધશે અને બીજા અનેક ફાયદા થશે. સામાન્ય રીતે લોકો મિનિટમાં ૧૨ થી ૨૦ શ્વાસ લે છે જયારે નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિના શ્વાસ મિનિટના ૩ થી ૪ સુધી અને ધ્યાન દરમ્યાન તો મિનિટના ફક્ત એક જેટલા ધીમા પડી શકે છે. અને જેટલાં શ્વાછોસ્વાસ ઓછાં એટલાં વિચારો પણ ઓછાં.

7) યોગ: મત્સયાસન, સિંહાસન, સર્વાંગાસન, ભુજંગાસન, ઉષ્ટ્રાસન, સેતુબંધાસન જેવા આસનથી વિશુદ્ધિ ચક્ર વધુ કાર્યશીલ થાય છે, જયારે શીર્ષાસન, વિપરીતકર્ણીઆસન, યોગમુદ્રા, શશાંકાસન અને હલાસન આ ચક્રને સંતુલિત કરે છે. કોઈ જાણકાર પાસેથી શીખીને યોગ્ય રીતે કરવા જરૂરી છે. નહીંતર ‘લેવાને બદલે દેવા’ થઇ શકે. ગળું ઉપરનીચે, ડાબેજમણે અને બંને દિશામાં ગોળ ફેરવવાથી પણ લાભ છે. આ ક્રિયા અત્યંત ધીરે કરવાની છે (શમ્મી કપૂરની જેમ ઝાટકા માર્યા વગર). જાલંધરબંધ (એક યોગિક ક્રિયા) અને ઉજ્જાયી પ્રાણાયામ ખાસ ફાયદો કરે છે.

8) એકાંતમાં સમય વિતાવવો ફાયદાકારક. એકાંતમાં બધી જ વસ્તુ બાજુએ મૂકીને પોતાનો અંતરનો અવાજ સાંભળવાનો છે. સાંભળીશું તો વ્યક્ત કરીશું ને ! ફક્ત એ સાંભળવાથી પણ આ ચક્રને ફાયદો થાય. કેવી રીતે? જયારે ભીડભાડમાં હોઈએ ત્યારે બીજાના વિચારોનાં આંદોલન આપણને પ્રભાવિત કરે અને એ વિચારો દ્વારા દોરવાઈ જઈએ, ભીતરી અવાજ તો સંભળાય જ નહિ. એક દાખલો. કદાચ બધાએ નોંધ લીધી હશે કે જયારે મુંબઈ જેવા મહાનગરમાં જઈએ જ્યાં બધાં દોડતાં જ હોય ત્યાં કઈં ઉતાવળ ન હોય તો પણ આપણે ઝડપથી ચાલવા માંડીએ. એ બતાવે છે કે સામૂહિકતાનો પ્રભાવ કેટલો પડે. અને આ કારણથી જ દરેક સાધનામાં સામુહિક અભ્યાસ પર વિશેષ ભાર મુકવામાં આવે છે કે જેથી, બધાંનાં સયુંકત આંદોલન એકબીજાને મદદ કરે અને ધાર્યાં પરિણામ સુધી પહોંચાડે.

9) જે કારણોથી ચક્રમાં ખરાબી થાય છે તેને દૂર કરવાની કોશિશ કરીએ, જેમ કે:

– ભાઈબહેનના આંતરિક સંબંધો સુધારવાની જરૂર હોય તો તે.

– કોઈની ખોટી ચાંપલૂશી ના કરીએ અને સારું હોય તેના ચોક્કસ વખાણ કરીએ.

– બની શકે ત્યાં સુધી જૂઠું બોલવાનું ટાળીએ.

– આદત ક્યારેક એવી હોય કે કોઈ જ કારણ વગર ઘણી વાત છુપાવતાં હોઈએ. એવી આદત હોય તો તે દૂર કરવા પર ધ્યાન આપીયે.

૧૦) શક્ય હોય તો ઇજિપ્તના પિરામિડની યાત્રા કરીએ. તેને વિશ્વનું વિશુદ્ધિ ચક્ર ગણવામાં આવે છે અને ત્યાંથી પસાર થતી લે લાઇન્સ (Lay Lines) આ ચક્રને ખોલવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

11) ટીકા કરવાની આદત હોય તો છોડીએ. તે માટે અમુક વિચારો લાભદાયી થશે. ધારો કે ટીકા કરવી હોય કે ‘જે તે વ્યક્તિ જૂઠું બોલે છે’ તો તરત વિચાર કરીએ કે ‘શું હું કોઈ દિવસ જૂઠું બોલી/બોલ્યો જ નથી?’ બીજો વિચાર એ પણ કરીએ કે ‘મારી કોઈ પ્રિય વ્યક્તિએ આ જ રીતે, આ જ કામ કર્યું હોય તો શું હું એની ટીકા કરીશ?’ દરેક ટીકાત્મક વિચાર સાથે આ પ્રકારની વિચારધારાને જોડવાથી ધીરેધીરે ટીકા કરવાની આદત છૂટી શકે.

૧૨) ‘જજમેન્ટ લેવાની ટેવ છોડીએ. આદત મુજબ કોઈ વિષે જજમેન્ટ લેવાની ઈચ્છા થઇ જાય તો તરત જાગૃત રીતે વિચારીએ કે “શું હું દરેક વિષયમાં દુધે ધોયેલ છું?’ ધીરેધીરે જેવી આ પ્રકારની વિચારધારાની આદત પડશે તો જજમેન્ટ લેવાની ટેવમાંથી (તેના નુકસાન જોતાં કુટેવ કહેવું કદાચ વધારે યોગ્ય રહેશે) કોઈ ને કોઈ દિવસે છૂટકારો મળી જશે.

૧૩) આત્મગ્લાનિ દૂર કેમ કરવી? ક્રિશ્ચિઆનિટીમાં વિચારોની અસર વિષે સારો એવો અભ્યાસ સદીઓથી છે. માટે જ કેથોલિક ચર્ચમાં ‘કન્ફેશન બોક્સ’ રાખવામાં આવે છે જ્યાં જઈ વ્યક્તિ આત્મગ્લાનિ ઉત્પન્ન કરતાં પોતાના વિચારો/કૃત્ય વ્યક્ત કરી માનસિક સંતાપમાંથી મુક્તિ મેળવી શકે.

ગયા લેખમાં વાત થઈ તે મુજબ ઘણીબધી વાતો લોકો શરમેધરમે પાતાળમાં ધરબી રાખે છે અને પરિણામે અનેક દૂરોગામી ઘાતક પરિણામો આવે છે. આવી દરેક વસ્તુ ચહેરા પર છાપ છોડતી જાય અને મુખારવિંદ (!) જોઈને જ ઘણું બધું વાંચી શકાય. ઘણી વાર તો જે લાગણી/કામના છેક અંદર રાખી હોય તે સ્પ્રિંગની જેમ બહાર આવવા મથતી હોય, મોટી ઉંમરે હાર્ટ એટેક આવેલા હૃદયને પણ અવગણીને મોતિયાનાં ઓપેરેશન કરાવેલી આંખોમાંથી બહાર ઢોળાઈને વ્યક્તિની ચકળવકળ થતી નજરને કારણે વધુ હાંસીપાત્ર બનાવે અને જે ‘ધારેલી ઇમેજ’ સાચવવા વ્યક્તિ મથતી હોય તે ઇમેજના તો ચૂરેચૂરા કરી નાખે. થોડી હિંમત દાખવી કોઈએ ચર્ચની જેમ આવા ખુલ્લા દિલનાં મિત્રમંડળો બનાવવાની જરૂર છે જ્યાં લોકો આવી શકે અને પોતાની જાતને મનથી દિગંબર કરી શકે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ચર્ચનાં કન્ફેશન બોક્સનો લાભ લઇ શકાય. થોડી સવલત ઈન્ટરનેટને કારણે લોકોને મળી શકે છે જેથી પોતાની ઓળખાણ આપ્યા વગર વ્યક્તિ ભીતરનો ખાનગી ખૂણો ખાલી કરી શકે. અહીં આવી બે સાઇટ્સની લિંક આપી છે.

https://www.secret-confessions.com/

http://www.confessions4u.com/

૧૪) કેથાર્સીસ: સ્પષ્ટ વાતચીત કરી શકીએ નહીં ત્યારે આપણા શરીરમાં ઘણી બધી જગ્યાએ ઊર્જા અવરોધિત થાય. હાસ્ય કે ચીસો દ્વારા આ બ્લોક થયેલી ઊર્જાને છુટ્ટી કરી શકાય. લાફિંગ ક્લબમાં પણ જઈ શકાય, પેટ પકડીને હસાવે એવી ફિલ્મ કે નાટક પણ જોઈ શકાય અને ઓશીકામાં મોઢું દબાવીને ચીસો પણ પાડી શકાય. પરિણામ લાભદાયી જ રહેશે. ધ્યાન દરમયાન આ પ્રક્રિયા ઘણી વખત કુદરતી રીતે જ થાય છે. એક ધ્યાનશિબિર દરમ્યાન ગુજરાતના એક ખ્યાતનામ પત્રકાર તેમના પિતાશ્રીને લઇ મારી પાસે આવ્યા અને કહયું કે મારા પિતાશ્રીને કઈ કહેવું છે. તેમના પિતાશ્રીએ કહ્યું કે શિબિરમાં વિશુદ્ધિચક્રના દિવસથી જ તેમનો અવાજ બંધ થઈ ગયેલો અને છતાં તેમને ખૂબ જ આંતરિક આનંદ આવતો હતો તેમ જ છેલ્લે દિવસે તે ફરીથી બોલવા લાગ્યા. એટલે કે કોઈ એવી પ્રક્રિયા થઈ ગઈ કે જેને કારણે તેમના વિશુદ્ધિચક્રમાંની ઊર્જા શિબિર દરમ્યાન જ શુદ્ધ થઇ ગઈ.

આ ચક્ર આધ્યાત્મિક રીતે તો મહત્વનું ખરું જ પણ વ્યક્તિની રોજબરોજની જિંદગીના દરેક પાસાંઓને અસરકર્તા છે, તેથી તેને શુદ્ધ કરવાના ઉપાયોની થોડી વિસ્તૃત ચર્ચા રચનાત્મક વિચારો સાથે જરૂરી લાગે છે અને માટે વિશુદ્ધિચક્ર અહીં અધૂરું મુકું છું, આવતા રવિવારે તેને શુદ્ધ કરવાના, સંતુલિત કરવાના અને સશક્ત કરવાના બાકીના ઉપાયોની ચર્ચા કરીશું.

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૧) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

એક નજર લેખમાળા દરમિયાનની આ પહેલાંની ચર્ચા ઉપર. મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ એમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર મણિપુરચક્ર, હૃદયચક્ર, બાઈનોરલ બિટ્સ, સોલ્ફ્રેજીઓ ફ્રિકવંસી, વિચારો અને શબ્દોની શરીર પર અસર વિગેરે સમજ્યા બાદ હવે આપણે આવીએ પાંચમા ચક્ર એટલે કે વિશુદ્ધિચક્ર પર – નીચેથી પાંચમું અને ઉપરથી ત્રીજું ચક્ર.

વિશુદ્ધિચક્ર (થ્રોટચક્ર)નું સ્થાન છે ગળા પાસે, સંબંધ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ સાથે, રંગ સ્વચ્છ આકાશ જેવો એટલે કે ભૂરો, તત્ત્વ તેનું ‘આકાશ’ અને અસર તથા હકુમત છે તેની જડબાં, ગળું, ડોક, અવાજ, ફેફસાંનો ઉપરનો ભાગ, ડોકની પાછળનો ભાગ એટલે કે ગરદન, ખભા, કાન અને કાંડા સુધી. સ્વરનળી સાથે તો જીગરજાન દોસ્તી. એટલે અવાજનું માધુર્ય અને પ્રભાવ સંપૂર્ણપણે તેને આભારી. ગાયકો માટે, વક્તાઓ માટે અત્યંત અગત્યનું ચક્ર. જિંદગીમાં જૂદાં જૂદાં ક્ષેત્રમાં સફળતા પણ આ ચક્રની સ્થિતિ પર આધારિત. મુક્ત અને સર્જનાત્મક અભિવ્યક્તિ, સંવાદની કળા, આત્મવિશ્વાસ, ડહાપણ, સત્ય કહેવાની હિંમત – આ બધું જ સંકળાયેલ છે આ ચક્ર સાથે. સંદેશાવ્યવહાર એટલે કે કોમ્યુનિકેશનનું કેન્દ્ર છે આ. મંત્ર છે તેનો ‘હં’. અનુરૂપ તત્ત્વ ‘આકાશ’ છે જે સૂચવે છે કે આ જગ્યા ઊર્જાથી ભરેલી હોવી જોઈએ. વિશુદ્ધિચક્ર ઉદાનવાયુનું પ્રારંભિક બિંદુ છે. શ્વાસ લેતી વખતે શરીરને ઝેરી વાયુથી શુદ્ધિકરણ દ્વારા બચાવવું તે આ પ્રાણનું એક કાર્ય છે. ચક્રનું નામ આ વિશિષ્ટ કાર્યમાંથી લેવામાં આવ્યું છે. શુદ્ધિકરણ ફક્ત શારીરિક સ્તરે જ નહીં, પણ મનના સ્તર પર પણ થાય છે.

જીવનમાં યશપ્રાપ્તિ માટે, કરેલા કામની અન્ય લોકો કદર કરે તેના માટે પણ આ ચક્રની સારી સ્થિતિ હોવી જરૂરી છે.

વૈશ્વિક વિશુદ્ધિ ચક્રનું સ્થાન ઈજીપ્તના પિરામિડ પાસે માનવામાં આવે છે. કોમ્યુનિકેશનનું કેન્દ્ર છે આ ચક્ર અને માટે જ કદાચ ચર્ચામાં હંમેશ હોય છે ઈજીપ્તના આ પિરામિડો. પિરામિડમાં શક્તિનો સંચય પ્રચુર માત્રામાં થાય છે જેના વિષે કોઈ એક લેખમાં પછીથી વિગતે વાત કરીશું.

તમે બહુ સારા વક્તા છો, અવાજમાં માધુર્ય અને પ્રભાવ છે, સારા ગાયક છો, વિચારોમાં સ્થિરતા છે , તમારી કથની અને કરણી એકસમાન છે, તમારું વ્યક્તિત્વ ચુંબકીય છે, તમારા શબ્દો, ટોન અને બોડી લેન્ગવેઇજ એકબીજા સાથે એકરૂપ હોય છે, વિચારો અને લાગણીઓ તમે ખુલ્લા મનથી અને અસરકારક રીતે વ્યક્ત કરી શકો છો, અસ્ખલિત રીતે વાત કરી શકો છો અને બીજાને પૂરા ધ્યાનથી સાંભળી પણ શકો છો, સામેની વ્યક્તિનું પૂરું માન રાખીને પોતાના વિરોધાભાષી મંતવ્ય પણ વ્યક્ત કરી શકો છો, આત્માના અવાજને જાહેરમાં મૂકી શકો છો, આત્મવિશ્વાસ પણ અનેરો છે, રચનાત્મકતા છલોછલ ભરેલી છે તો જરૂરથી તમારું વિશુદ્ધિ ચક્ર બહુ વિકસિત છે. આમ હોય તો ચોક્કસ તમારી વિચારશક્તિ તીવ્ર હશે, વિચારો સ્પષ્ટ હશે અને પરિણામે અભિવ્યક્તિ પણ એવી જ હશે, તમારી વાતોમાં એક ‘વજન’ હશે કારણ કે જેને તમે સત્ય માનો છો તે બોલવાની હિંમત પણ ધરાવો છો. તમે અભિનંદનના અધિકારી છો કારણ કે આ બધી ક્ષમતા સામાન્ય નથી.

ઉપર દર્શાવી તેવી આદર્શ સ્થિતિ ઓછી જોવા મળે છે. માટે જ સારા ગાયકો કે સારા વક્તાઓ પ્રમાણમાં ઓછા હોવાના. મૃત્યુથી પણ મોટો ડર લોકોને હોય તો તે જાહેર વ્યક્તવ્ય આપવાનો છે. લોકો સમજે છે કે મૃત્યુ અટલ છે, જાહેરમાં બોલવાનું કદાચ છટકાવી શકાય. આદર્શ સ્થિતિ ન હોવાના કારણો વિવિધ છે. ‘મન કી બાત’ વડાપ્રધાન ભલે કરે, સામાજિક અને કૌટુંબિક કારણોને લીધે સામાન્ય મનુષ્યને તો પોતાના મનની ઘણી વાત મનમાં જ દબાવવી પડે છે. બધી મનની વાત કરી દઈએ તો કદાચ નોકરી ખોવાનો વારો આવે, ધંધામાં નુકસાન જાય, કુટુંબમાં મહાભારત સર્જાય, પાડોશી સાથે પણ ઝઘડો થઈ જાય અને એવું ઘણું બધું. અને જેવી વાત ગળા સુધી આવી અને અટકી એટલે વિશુદ્ધિ ચક્ર નારાજ. જીવન દરમ્યાન જે દબાવી રાખેલું છે અને ગળી ગયા છીએ તે બધું ગળે અટકેલું છે, અર્ધજાગૃત મનમાં અસ્તિત્વમાં રહે છે, નિવારણ તેનું જરૂરી છે. બહુ રિસામણું ચક્ર છે આ, જૂઠથી પણ એને નફરત, કોઈની ખોટી ચાંપલૂશી કરો તો પણ એને ગમે નહિ, કઈં ને કઈં વાંધો પાડીને ઊભું રહે.

દુકાળમાં અધિક માસ. ઉપરનાં કારણો ઓછા હોય તેમ દરેક વ્યક્તિ, પુરુષ હોય કે સ્ત્રી, પોતાની અંદર એક ‘ગુપ્ત’ ખૂણો રાખીને બેઠી હોય છે. કોઈનો ખૂણો મોટો તો કોઈનો નાનો, પણ હોય તો ખરો જ. એમાં જાતજાતની અને ભાતભાતની લાગણીઓ, ઈચ્છાઓ અને આસક્તિઓ ભરી હોય – ગુસ્સો હોઈ શકે, નિરાશા હોઈ શકે, અદેખાઈ હોઈ શકે, છૂપી આસક્તિ (Crush) હોઈ શકે અને રુઢિચૂસ્ત સમાજમાં ખાનગીથી પણ ખાનગી ખૂણામાં લોકરમાં સંતાડીને રાખેલ હોય તો તે હોય જાતીય જીવનને/ઈચ્છાઓને લગતા વિચારો. ભય હોય કે ભૂલથી બોલાઈ જાય તો ઇમ્પ્રેસનનું તો સત્યાનાશ થઈ જાય ને ! જેટલો ખાનગી ખૂણો મોટો એટલી તકલીફ હૃદયચક્રને તો ખરી જ પરંતુ વિશુદ્ધિ ચક્ર પણ એટલું જ ઘાયલ. કોઈ એવી વ્યક્તિ મિત્ર હોય જે કોઈ જજમેન્ટ લીધા વગર તમને સાંભળી શકે અને તમારામાં હિમ્મત હોય તેની પાસે આ ગુપ્ત ખૂણો ખોલવાની તો તમે અત્યંત નસીબદાર. ચક્ર એટલું ઓછું ઇજાગ્રસ્ત. પરંપરાગત સમાજ બદલી રહ્યો છે, આજની યુવા પેઢી ખુલ્લા મનની થઈ રહી છે અને પરિણામે દેખાઈ રહ્યું છે કે થોડા વર્ષો પહેલાં કરતાં હાલમાં નાની ઉંમરના સારા ગાયકો, કલાકારો અને યુવા વક્તાઓ બહાર આવી રહ્યા છે.

ખૂબ સંવેદનશીલ ચક્ર છે આ. બ્રોન્કાઇટીસ, ટોન્સીલાઇટીસ, નાકને લગતા રોગ, સાઈનસને લગતી તકલીફો, ગળું લાલ થઈ જવું, થાઇરોઈડ, કાનમાં તકલીફ – આ બધું જ આ ચક્રને આભારી. બાળકોને વારેઘડીએ ગળાની તકલીફ થાય, કારણ છે આ ચક્રની સંવેદનશીલતા.

બ્લેક મેજીકની પણ તાત્કાલિક અને ગાઢ અસર થઈ શકે આ ચક્ર પર. નાનાં બાળકો પર અને પુખ્ત ઉંમરની વ્યક્તિ પર પણ. મારી અત્યંત નજીકની એક વ્યક્તિ – આશરે ૪૦ વર્ષના બેન્ક અધિકારી સાથે આવી ઘટના ઘટી ગઈ છે. રસ્તામાં ફક્ત ૧ મિનિટ માટે મળેલા સાધુએ તેમની પર જે કઈ કર્યું તેના પરિણામે તેમને તરત જ તાવ આવ્યો, અવાજ બગડવાનો શરૂ થયો અને અંતે એક વર્ષ પછી મુંબઈની એક ખ્યાતનામ હોસ્પિટલમાં સિસ્ટનું ઓપરેશન કરાવ્યા ત્યાર બાદ એમનો અવાજ નોર્મલ થયો.

પોતાના વિશુદ્ધિચક્રને તપાસવું હોય તો જાત પાસેથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના રહ્યા.

મને મારી લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરવામાં હિચકિચાટ છે?

મારા વિચારોને શું હું યોગ્ય શબ્દોમાં ઢાળી શકતો/શકતી નથી?

મારો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે હું નર્વસ થઇ જાઉં છું?

મારા સંબંધોમાં અનેક વખત ગેરસમજણને કારણે તકલીફ ઉભી થાય છે?

મને સતત એવું લાગે છે કે લોકો મને સમજી શકતા નથી, મારી અવગણના કરે છે?

શું હું મોટા ભાગે મારી વાતો અથવા મનોભાવો ગુપ્ત રાખ્યા કરું છું?

લોકો સાથે વાતચીત દરમિયાન હું ક્ષોભ અનુભવું છું અથવા ચિંતાતુર થઇ જાઉં છું?

શું હું શરમાળ છું?

શું મારી જાતને પ્રામાણિક રીતે ખુલ્લી મૂકી શકતો/શકતી નથી?

બીજા લોકો માટે શું હું અનેક ધારણાઓ બાંધી લઉં છું?

મારી વાત લોકોને કહેવામાં સંકોચ અનુભવું છું?

જાહેર વ્યક્તવ્ય આપવાનું આવે તો મારા પગ બ્રેક ડાન્સ કરે છે? હૃદયના ધબકારા સુપરફાસ્ટ દોડે છે?

જયાર ને ત્યારે એવા સંબંધો બનાવી લઉં છું કે જેમાં સામેની વ્યક્તિ સતત મારી આલોચના કર્યા કરે?

શું હું મારી જાત સાથે કે અન્ય સાથે પ્રામાણિક નથી?

શું મારી વાતો અને વર્તન જૂદાં છે?

શું જયારે હોય ત્યારે મારો અવાજ ધીમો પડી જાય છે? ગળું બેસી જાય છે?

શું મને હાઇપો અથવા હાઇપર થાઇરોડિઝ્મ છે?

શું મને કાનમાં કઈ તકલીફ છે?

શું મને વારંવાર સાઈનસ, ગળામાં ઇન્ફેક્શન જેવી શારીરિક સમસ્યાઓ રહે છે?

મારામાં રચનાત્મકતાની કમી છે?

ચર્ચા દરમિયાન હું બીજા પર હાવી થવાની કોશિશ કરું છું?

કોઈની વાતને તોડી પાડીને હું છૂપો આનંદ અનુભવું છું/

મારાથી વિરુદ્ધ અભિપ્રાય આપનારી વ્યક્તિને હું માનસિક રીતે ધુત્કારી કાઢું છું?

મારી છાપ અહંકારીની હોઈ શકે?

મને દરેક લોકોની ટીકા કરવાનું મન થાય કરે છે?

મોટા ભાગના જવાબ ‘હા’ હોય તો પછી ચક્રમાં સુધારાની જરૂર તો ખરી. બે પ્રકારની તકલીફ હોઈ શકે. ચક્રને ઓછી ઊર્જા મળે અથવા તો વધુ ઊર્જા મળે. ઓછી ઊર્જા મળે તો સ્વાભાવિક રીતે જ ચક્ર અવરોધ અનુભવતું હોય. આવા સમયે વ્યક્તિ અંતર્મુખી, ડરપોક, શરમાળ થઈ જાય, પોતાનો ‘અવાજ’ વ્યક્ત કરવામાં હિચકિચાટ અનુભવે. ચક્ર વધુ ઊર્જા મેળવતું હોય તો પણ અસંતુલન કહેવાય. વ્યક્તિ પોતાની વાણી પરથી નિયંત્રણ ગુમાવી દે, અન્ય લોકોની ટીકાકાર થઈ જાય. કોઈની વાત સાંભળે નહિ, ઘમંડી થઈ જાય. બહુ સારી વક્તા હોઈ શકે પણ તેની ભાષામાંથી ઘમંડ અને આક્રોશ ભભૂકે, લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે. આપણી આસપાસ નજર ફેરવીશું તો આવા ઉદાહરણો ઘણા હશે અને જાહેર જીવનમાં તો આજકાલ આવા દ્રષ્ટાંત ચોમેર જોવા મળે છે.

આધ્યાત્મિક રીતે જોઈએ વિશુદ્ધિચક્ર સાથે અતીન્દ્રિય શક્તિઓ ( Psychic Powers) જોડાયેલી છે. આ ચક્રની શક્તિઓ વિશેષ જાગૃત થયા પછી Clairaudience એટલે કે દૂરથી અવાજ સાંભળી શકવાની શક્તિઓ વિકસે છે, દૂરથી એટલે દુનિયાના કોઈ અતિ દૂરના છેડે થી અથવા તો કોઈ બીજા જ લોકમાંથી આવતા અવાજો.

ભાઇબહેન વચ્ચે સારા સંબંધો આ ચક્રની સારી સ્થિતિ બનાવવા માટે આવશ્યક છે.

અંતમાં, મુક્ત સંવાદ દરેક સંબંધોનો મૂળભૂત પાયો છે, સંપૂર્ણ પ્રામાણિકતા, વિશ્વાસ, પ્રેમ, આદર સાથે. અને તેના માટે જરૂરી છે વાતચીતની કળા અને પ્રકાર – જાત સાથે કે બીજા સાથે (એટલે કે વિચારો અને અભિવ્યક્તિ) – જે જીવનના દરેક પાસાંને અસર કરે છે. ક્યારે બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું અને ક્યારે બંને હોઠ ભીડી દેવા તે સમજવું અત્યંત આવશ્યક છે તથા સામાજિક સંબંધો, સફળતા, પ્રભાવ, શારીરિક તંદુરસ્તી અને અંતમાં વિશુદ્ધિ ચક્રની સ્થિતિ – દરેક વસ્તુ તેના પર આધારિત છે.

વિશુદ્ધિ ચક્રને સંતુલિત કરવાના ઉપાયો આ પછીના લેખમાં સમજીશું.

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૦) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

અત્યાર સુધીમાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર મણિપુરચક્ર, હૃદયચક્ર, બાઈનોરલ બિટ્સ, સોલ્ફ્રેજીઓ ફ્રિકવંસી વિગેરે વિષે ચર્ચા કરી. ચક્રયાત્રામાં વધુ ચઢાણ કરતાં પહેલાં થોડો વિરામ લઈએ અને વિચારોના વિશ્વમાં એક વૈજ્ઞાનિક વિહાર કરીએ કારણ કે હવેના ચક્રોમાં વિચારો અને લાગણીઓને વધુ સંબંધ છે. દરેક ચક્ર પર વિચારોની અસર છે પરંતુ હૃદયચક્ર અને તેનાથી ઉપરના ચક્રોમાં તો ખાસ. આ સિવાય જયારે આપણે એફર્મેશન્સ, NLP (NEURO LINGUISTIC PROGRAMMING) વિગેરે વિષે વાત કરીએ ત્યારે આપણા તાર્કિક મગજને થોડો વૈજ્ઞાનિક ખોરાક આપી દઈએ જેથી વિચારોની અને લાગણીઓની ચક્રો અને પરિણામે તનમન પર થતી અસર આપણે વધારે સારી રીતે સમજી શકીએ.

આ વિષે વધુ છણાવટ કરીએ તે પહેલાં ‘પાણી’ વિષે વાત કરીએ. જાપાનના ડો.મસારુ ઈમોટો ‘પાણીમાં ઘણા ઊંડા’ ઉતરી ગયા હતા. ૨૦૧૪માં દુનિયા છોડતાં પહેલાં એક અતિ મહત્ત્વની વાત તેઓ વિશ્વને સમજાવતા ગયા, દુનિયાભરના વૈજ્ઞાનિકોના ગળે ઉતારતા ગયા અને આત્મશાંતિ તેમ જ વિશ્વશાંતિના પ્રયાસોને માટે એક દિશા આપતા ગયા. પાણી પર શબ્દો અને વિચારોની ગહન અસર છે તે વાત તેમણે હજારો પ્રયોગો દ્વારા દુનિયાને સમજાવી. ‘H2O એટલે પાણી’ એવી આપણી સાદી સમજણને એમણે એક નવું જ પરિમાણ આપ્યું. ૨૦ વર્ષથી પણ વધુ એમણે એ પ્રયોગો કર્યા કે પાણીને જૂદાજૂદા પ્રકારના શબ્દો, વિચારો, અવાજ કે લાગણી આપવામાં આવે તો તેના પરમાણુ બંધારણ (Molecular Structure)માં શું ફેરફાર થાય છે. Magnetic Resonance Analysis Technology અને અત્યંત ઝડપી ફોટોગ્રાફ્સ દ્વારા તેમણે આ પ્રયોગો કર્યાં. સરળ ભાષામાં કહીએ તો એક જ સરખાં પાણીને તેમણે જૂદાજૂદા વિચારો/અવાજ/લાગણી વિગેરેથી પ્રભાવિત કર્યું, જેમ કે કોઈ પાણી પર અનેક લોકોએ ‘આભાર, હું તને પ્રેમ કરું છું’ વિગેરે વિચાર આપ્યા જયારે બીજા પાણી પર એવા વિચાર અપાવ્યા કે ‘ગેટ લોસ્ટ, હું તને મારી નાખીશ’ વિગેરે. આ પાણીને તેમની પ્રયોગશાળામાં એક ખાસ પ્રક્રિયા દ્વારા -૭ ઉષ્ણતામાન સુધી લઈ ગયા અને તેના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા. આ પ્રકારના વિરોધાભાષી મનોભાવ દર્શાવતા શબ્દો પાણીની બોટલ પર ફક્ત ચીપકાવ્યા અને ત્યાર બાદના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા, સાદા પાણીના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા અને તે પછી તે જ પાણી પર પ્રાર્થના/ધ્યાન કરીને ફોટો પાડ્યા. એક પાણી પાસે બિથોવનનું પેસ્ટોરલ સંગીત વગાડ્યું, મોઝાર્ટની ૪૦ નંબરની સિમ્ફની (જે હૃદય પર સીધી અસર કરે છે) વગાડી અને તે પ્રકારનું જ પાણી બીજે મૂકીને ઘોંઘાટિયું સંગીત વગાડ્યું. મક્કાના પવિત્ર કૂવાનું ઝમઝમ પાણીના અને જ્યાં ધ્યાનશિબિરો ચાલતી હોય તેવી જગ્યા પરથી પણ પાણી લીધું અને તેના ક્રિસ્ટલ્સના ફોટો પાડ્યા. બધા ક્રિસ્ટલ્સના ફોટોસ આશ્ચર્યચકિત કરી દે તેટલા જૂદા આવ્યા. આ સાથેની તસ્વીરોમાં જોઈ શકાશે તેમ જ્યાં હકારાત્મક વિચારો હતા ત્યાં અત્યંત નયનરમ્ય અને સુરેખ, હીરા જેવા પાસાદાર ક્રિસ્ટલ્સ બન્યા. જ્યાં નકારાત્મક વિચારો આપવામાં આવેલા, ગુસ્સો/નફરત જેવી ભાવનાઓ આપવામાં આવેલી ત્યાં જોવા પણ ન ગમે તેવા ક્રિસ્ટલ્સ બન્યા. આવા અસંખ્ય પ્રયોગો દ્વારા ડો.ઈમોટોએ સાબિત કરી દીધુંકે શબ્દો, લાગણીઓ, વિચારો, સંગીત વિગેરેથી પાણી પ્રચુર માત્રામાં પ્રભાવિત થાય છે.

જો પાણી પર આટલી અસર થાય તો આપણા શરીર પર વિચારો અને શબ્દો કઈ રીતે અસર કરે તે વિષે વિચાર કરીએ. પૃથ્વીના ૭૦% ભાગમાં પાણી છે અને આપણા શરીરમાં પણ. એક બ્રાન્ડ ન્યુ બાળક જન્મે ત્યારે એક બટાકા જેટલું એટલે કે ૭૫% ભીનું હોય છે, ઉમર વધે તેમ સુકાતું જાય છે અને છતાં શરીરમાં ૭૦% તો પાણી જ છે. ભગવાનને આપણી જરુર થોડી ઓછી હોય ને પુષ્પક વિમાન મોડું મોકલે, દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હોય તો પ્રમાણ થોડું ઘટ્યું હોય પરંતુ ૬૦%થી તો ન જ ઘટે. હૃદય અને મગજમાં ૭૩% અને ફેફસાંમાં ૮૩% પાણી છે. શરીરમાં જે અબજો કોષો છે તેમાં પાણી ભરેલું છે. ઘણી બધી પાણીની કોથળીઓ ભેગી કરીને રાખી હોય તેવું આપણું શરીર છે. તો સાથે જે ચિત્રો મૂક્યાં તેમાં ધ્યાનથી જોઈ ઓળખવાના કે મારા વિચારો, શબ્દો, લાગણીઓ સામાન્ય રીતે કેવા છે અને મારા શરીરમાં કેવા ક્રિસ્ટલ બનાવશે. જો ચિત્તાકર્ષક ક્રિસ્ટલ્સ બનતા હોય તો આપણા વિચારો, શબ્દો, લાગણીઓ સાચા ટ્રેક પર છે. કોઈ જરૂર નથી આગળ વાંચવાની પણ. એમ ન હોય તો નક્કી મારે જ કરવાનું રહે કે મારે આવા ક્રિસ્ટલ્સ બનાવીને મારું આખું શારીરિક બંધારણ બગાડવા દેવું છે કે કાંઈ ફેરફાર કરવો છે. જો ફેરફાર કરવાની ઈચ્છા થાય તો શું કરી શકાય તે આગળ જોઈશું.

કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનો વિચાર આવ્યો હોય – જાગૃત રીતે કે અજાગૃત રીતે. યુદ્ધ કરવું હોય તો પહેલાં વિચાર્યું હોય કે આપણે યુદ્ધ કરીએ, બતાવી દઈએ, દુશ્મનના દાંત ખાટા કરી નાખીએ. જો દુનિયાના મોટા ભાગના લોકોમાં એ સમજણ હોય કે આ વિચાર માત્રથી પહેલાં તો પોતાના જ દાંત ખાટા થઇ ગયા તો તે યુદ્ધનો નિર્ણય કદાચ બાજુ પર મૂકી દે. કોઈનું અપમાન કરીએ તો તેના શરીરના જળતત્વને તો નુકશાન થાય પણ પહેલાં પોતાના જ જળતત્વને.

આ તર્કના આધારે ડો.ઈમોટોએ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરુ કર્યો જે છે Emoto Peace Project. હેતુ એ છે કે દુનિયાભરના લોકો અને ખાસ કરીને બાળકો શબ્દો અને વિચારોની કિંમત સમજે. એમના પ્રયોગોનું એક સચિત્ર પુસ્તક THE MESSAGE FROM WATER દુનિયાના તમામ બાળકો સુધી પહોંચે તેવા તેમના પ્રયત્નો હતા, ધ્યેય હતું કે આવનારી પેઢી, ભવિષ્યનો સમાજ પોતાના વિચારોને યોગ્ય દિશા આપે અને સમગ્ર વિશ્વ એક શાંતિપૂર્ણ સ્થળ કોઈ દિવસે – ૧૦ વર્ષે, ૨૦ વર્ષે, ૫૦ વર્ષે પણ – ભવિષ્યમાં બને. આ પ્રોજેક્ટ એમના મૃત્યુ પછી પણ પૂરજોષથી ચાલુ રહ્યો છે, લાખો લોકો તેમના કાર્યને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંગે વધુ વિગત માટે

http://www.emotopeaceproject.net/

જોઈ શકો છો. તેમની પુસ્તિકા પણ

http://www.emotopeaceproject.net/picture-books/4584092537

પરથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકો છો અને મારું નમ્ર સૂચન છે કે આ પુસ્તિકા જરૂરથી મેળવી લેશો અને બીજાને પણ કહેશો. ૩૦ ભાષામાં ઉપલબ્ધ છે.

શબ્દો અને વિચારોનું માનસશાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વ છે અને હિપ્નોસીસ, એફર્મેશન, વિઝ્યુઅલાઈઝેશન, NLP વિગેરે જેવી સારવારની પદ્ધતિઓ શબ્દો અને વિચારોની મન અને શરીર પર થતી અસરોને ધ્યાનમાં રાખીને જ વિકસેલી છે. વિચાર આપણી જાત સાથે કરેલો સંવાદ જ છે ને?

હવે એ જોઈએ કે આપણા વિચારો અને શબ્દોને કઈ રીતે બદલી શકાય. વર્ષોની આદત એક પ્રકારની હોય તો તે બદલતાં થોડો સમય લાગે, સ્વાભાવિક છે. પરંતુ નીર્ધાર અને યોગ્ય પ્રયત્નનો સમન્વય થાય તો દિલ્હી દૂર નથી. ઈંગ્લીશમાં કહેવાય છે કે You can teach an old dog new tricks. શરીરમાંના દરેક કોષ આશરે બે મહિને બદલી જાય છે. એટલે વિચારોની દિશા અને પ્રકાર બદલાય તો આ કોષોનું ‘રિપ્રોગ્રામીંગ’ ચોક્કસ રીતે શક્ય છે.

૧) સૌથી પહેલાં જરૂરી છે વિચારોનું નિરીક્ષણ. એક ત્રાહિત વ્યક્તિની જેમ બહારથી વિચારો જોવાના – તેની સાથે જોડાયા વગર, કોઈ લાગણીઓના તંતુથી બંધાયા વગર. એક એલાર્મ ગોઠવી શકાય. દર એક કલાકે/ ૨ કલાકે જોવા માટે કે મારા વિચારો ક્યાં ચક્કર મારતાં હતાં. જેવી આ આદત કેળવાતી જશે તેમ સભાનતા વધતી જશે.

૨) દરરોજ રાત્રે શાંતિથી બેસી યાદ કરવાનું અને નોંધ કરવાની કે આજે દિવસમાં કેટલી વાર મેં મારા શરીરના જળતત્ત્વને નુકશાન કર્યું એટલે કે કેટલી વાર ગુસ્સો કર્યો, કેટલી વાર કોઈનું અપમાન કર્યું, કેટલી વાર વૈચારિક હિંસા કરી, કેટલી વાર જૂની જૂની વાતો યાદ કરી ને જાતને દુઃખ પહોંચાડ્યું વિગેરે. સીધો ફાયદો એ થશે કે આ વિષયની જાગૃતિ આવશે, આજે દિવસમાં ૧૦ વખત મારા જળતત્ત્વને નુકશાન કર્યું હશે તો કદાચ અઠવાડિયામાં એ આદત બદલીને ૬/૭ વખત નુકશાન પહોંચે તેવું થઈ શકે, એકાદ મહિનામાં એવું પણ બની શકે કે આ નુકશાન દિવસમાં ૧/૨ વખત જેટલું મર્યાદિત થઈ જાય અને કાળક્રમે આ નુકશાન કવચિત જ બની જાય.

૩) કહેવાય છે કે ‘મન મર્કટ છે’. ગમે ત્યાં કૂદાકૂદ કરે. કામના અને વ્યર્થ હજારો વિચાર લઇ આવે. ઘણી બધી ધારણાઓ કરાવે, વાર્તાઓ બનાવી કાઢે, કાલ્પનિક દુનિયામાં કૂદાકૂદ કરાવે. સંપૂર્ણ અંકુશ લેવો થોડો અઘરો પડે પણ તેને મેનેજ કરવાનું શીખી શકાય. ધ્યાન કરતા ન હોઈએ તો પણ ઝેન મેડિટેશનની એક ટ્રીક વાપરી શકીએ. જ્યારે આવી કાલ્પનિક દુનિયામાં એન્ટ્રી મારી દઈએ ત્યારે તેની સાથે વહેવાને બદલે સ્વને કહેવાનું કે ‘આ ફક્ત વિચાર છે’.

૪) વિચારો બદલી શકીએ તો મગજના જ્ઞાનતંતુઓ જુદી જ રીતે એક બીજા સાથે જોડાઈ શકે તે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી વાત છે. આ થીઅરીને ‘Rewriting of Brain’ કહેવામાં આવે છે. ન્યુરો વૈજ્ઞાનિકો એવું કહે છે કે “Neurons that fire together, wire together.” બીજા શબ્દોમાં કહીએ તો નિર્દેશિત માનસિક ગતિવિધિઓ બહુ જ વ્યવસ્થિત રીતે મગજના કોષોને બદલે છે. હિપ્નોસીસ, વિઝ્યુઅલાઈઝેશન, NLP એ બધું આ જ થીઅરી પર આધારિત છે. આપણી જાત સાથેનો સંવાદ અત્યંત મહત્વપૂર્ણ છે. દા.ત. આપણી ભૂલ થાય તો કોઈ વાર જાત પર જ ગુસ્સો આવે. તેને બદલે એવું વિચારવું પડે કે “ભૂલ જિંદગીનો હિસ્સો છે, હવે હું આ ભૂલમાંથી શીખીશ અને તે ન ધાય તેનું ધ્યાન રાખીશ.”

૫) મનની પ્રકૃતિ છે કે ન ગમતા અનુભવો વધુ યાદ રાખે. હમણાં કોઈને કહીએ કે જિંદગીની દુઃખદ ઘટનાઓ વર્ણવો તો એક લાબું લિસ્ટ બની જાય. એમ કહીએ કે સુખદ ઘટનાઓ વર્ણવો તો મગજને કેટલું કષ્ટ આપ્યા બાદ થોડી યાદ આવે. મનોવિજ્ઞાનની ભાષામાં આને ‘Negative Bias’ કહે છે. દરેક સુખદ ઘટનાઓને નોંધી રાખવાની આદત આવા સમયે કામ આવે. નોંધ કરી, મતલબ એ ઘટના સાથે વધારે જીવ્યા. માટે જેવી દુઃખદ લાગણી બહાર આવે ત્યારે તે સુખદ ઘટના નજર સમક્ષ લાવવાની રહે અને બની શકે તો એ ડાયરી પણ વાંચી શકાય. આ આદત મગજના કોષોને બદલવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવી શકે.

અંતમાં; વિચારવાયુ, વિચારવમળ, વિચારવિહાર, વિચારવૃન્દાવન વિગેરે બધું જ બાજુએ મૂકી ચાલો આ શ્રાવણ પૂરો થાય તે પહેલા વિચારનિરીક્ષણની સાધના કરીએ અને એક પ્રયત્ન કરીએ કે પૃથ્વી પરથી વિચારપ્રદૂષણ ઓછું થાય.(વિચારોની અધિકતા – જે દિનબદિન વધી રહી છે – લીવરને ગરમી આપે છે જે પણ પૃથ્વીનું ઉષ્ણતામાન વધી રહ્યું છે તે માટેનું એક અતિ મોટું પરિબળ છે.)

હવેના રવિવારે ચક્રયાત્રા ફરી શરુ કરીશું, વિશુદ્ધિચક્ર વિષે સમજીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૯) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

છેલ્લા લેખમાં હૃદયચક્રનાં લક્ષણો અને તેના અસંતુલન વિગેરે ચર્ચા આપણે કરી. હવે હૃદયચક્રની સંભાળ રાખવાના/સશક્ત કરવાના રસ્તા જોઈએ. ઊર્જા બગડે નહિ તેના પ્રયાસો અને સુધારા માટે જે કંઈ થઈ શકે તે. હવે એ તબક્કો છે કે શારીરિક કરતાં માનસિક પ્રયત્નો વધુ કામ કરશે.

આ ચક્રની ઊર્જા દૂષિત થવા માટેનું એક મોટું કારણ છે વિચારોનો પ્રકાર. બોસ પાસે રજા માંગવી છે, પહેલેથી મનમાં નક્કી હોય ‘રજા મળવી મુશ્કેલ છે, નહિ જ મળે’; ઇન્ટર્વ્યુ આપવા એ વિચાર સાથે જ જઈએ કે બીજા મજબૂત ઉમેદવારો છે, આપણો વારો ક્યાંથી આવશે? બહાર ગયેલું કુટુંબીજન ઘરે પાછું ફરવામાં મોડું કરે અને વિચાર શરુ થાય કે ટ્રાફિક બહુ હોય છે, શું થયું હશે? શરીરમાં એક નાની ગાંઠ થાય ને તરત બીક પેસે ‘કેન્સર તો નહિ હોય ને?’ (અરે યાર, એમ કંઈ કેન્સર રેઢું પડ્યું છે? કેટલાં પુણ્ય કર્યાં હોય ત્યારે મોટા ડોક્ટર પાસે જઈ શકાય!) આ પ્રકારના વિચારોની આદત હૃદયચક્રને નબળું પાડે અને નબળું પડેલું હૃદયચક્ર ફરીથી આવા વિચારો કરાવે. અંતે અભિમન્યુના કોઠા જેવું વિષચક્ર બને. અમસ્તું નથી કહ્યું કે ‘રોતો જાય ને મૂવાના ખબર લાવે.’ જેમ Law of Gravity છે તેમ Law of Attraction પણ છે, એટલો વિસ્તૃત વિષય જેના પર PHD પણ થઈ શકાય. એનો પાયાનો સિદ્ધાંત એ છે કે ‘જે વિચારને ઊર્જા આપીએ તે ઘટના અંતે ઘટીને રહે’. (અને પછી કહીએ કે જો હું કહેતો’તો/કહેતી’તી ને, એમ જ થયું ને). અહીં જરૂર રહેશે વિચારોનું સભાન અવલોકન અને જાગૃતિપૂર્વક અનાવશ્યક વિચારોથી દૂર રહેવા માટેનો અડગ નિર્ધાર અને પ્રયત્ન.

ગયા લેખમાં આપણે ચર્ચા કરી કે સામાન્ય રીતે સ્ત્રીઓનું હૃદયચક્ર વધારે અસંતુલિત હોય છે. વિરોધાભાસ એ છે કે હાર્ટ એટેક સામાન્ય રીતે પુરુષોને વધારે આવે. એમ કેમ? દિપક ચોપરાજી કહે છે “The less you open your heart to others, the more your heart suffers.” બસ તકલીફ અહીં છે. સ્ત્રી પોતાનું હૃદય પિયરમાં ખાલી કરે, પાડોશમાં ખાલી કરે, બહેનપણીઓ પાસે ખાલી કરે, છેલ્લે આંખથી ખાલી કરે (કોઈ વાર મોટી અને લાલ કરીને, કોઈ વાર ગંગાજમુના દ્વારા) – ક્યાંક રસ્તો કાઢે. પુરુષો? ‘ન બોલવામાં નવ ગુણ’ એમ માનીને ચૂપ રહે, ચૂપ રહ્યા અને જવાબ ન આપ્યો તેના માટેનો ગુસ્સો ફરીથી સહન કરે અને છેલ્લે આવું શબ્દબાણોથી ચારણી થયેલું અને છતાં તાળું મારેલું હૃદય સર્જન ખોલે. નાનપણના મિત્રો સાચવી રાખેલા હોય તો જરૂર પડે હૃદય ખોલવામાં કામ લાગે, આપણી છઠ્ઠી જાણતા હોય; ત્યાં ખોલવામાં અચકાટ ઓછો થાય. આમ ખૂલે તો હૃદયચક્ર ઓછું બગડશે ને બગડેલું હશે તો સુધરશે. હૃદયચક્રમાં તાત્કાલિક પાટાપિંડી થઈ જાય આવા સમયે.

સ્ત્રીઓના સંદર્ભમાં એક બીજી વાત. માતા સંતાનની કાળજી લે ત્યાં સુધી બરાબર છે પણ સતત તેના વિષે જ વિચાર્યા કરે અને ચિંતા કર્યા કરે તો માતા-સંતાન બંનેનું હૃદયચક્ર દૂષિત થાય છે. અમારા ગુરુદેવ બહુ વિસ્તાર સાથે આ વાત સમજાવીને કહે છે કે “આવા સંજોગોમાં માતા સંતાનને અજાણતાં જ ‘લલ્લુ’ અથવા ‘લલવણ’ બનાવે છે. પગમાં લાકડું બાંધેલી ગાય જે રીતે ધીરેધીરે ચાલતી હોય તે રીતે આ સંતાન જીવનમાં ધીરેધીરે વિકાસ કરે છે.”

સ્ત્રીવર્ગ. એમનું હૃદયચક્ર સામાન્ય રીતે થોડું વધારે માવજત માંગે તેવું હોય અને માટે જ કદાચ આપણા પૂર્વજોએ ગોઠવણ કરેલી હશે કે હૃદયચક્રના સ્થાન પાસે સ્પર્શ થાય તે રીતે સુવર્ણ રાખવું એટલે કે મંગળસૂત્ર અથવા સોનાની ચેઇન પહેરવી. સુવર્ણનો સ્પર્શ ચક્ર પર થાય તેના ચોક્કસ ફાયદાઓ છે. માટે ચેઇન એટલી લાંબી પહેરવી જોઈએ( આ ગમશે). બહાર દેખાય તેમ નહિ પણ શરીરને સ્પર્શ થાય તેમ પહેરવાની હોય (આ નહિ ગમે, થોડો વટ ઓછો પડે). ફાયદો એ થાય કે કોઈ ખેંચી જાય તેવી શક્યતા ઘટે. હૃદયચક્રને ફાયદો તો ખરો જ.

Solfeggio Frequency નામનું એક ખાસ પ્રકારનું સંગીત રોમન કેથોલિક દેવળોમાં લગભગ ૮૦૦ વર્ષ પહેલાંથી વગાડવામાં આવતું. ચર્ચમાં સંગીતને એક ખાસ સ્થાન છે અને ગોવાના, યુરોપના દેવળોમાં ઊંચા ઝરુખાઓ જોયા હશે જેમા ઊભા રહીને ગિટાર વિગેરે વાજિંત્રો વગાડવામાં આવતાં. આ સંગીતની નોટ્સ જુદી જુદી ફ્રીક્વન્સી પર વગાડવાથી વિવિધ ફાયદા થાય. ૬૩૯ HZ ફ્રીક્વન્સી હોય તો હૃદયચક્ર પર અત્યંત સારી અસર થાય. પરસ્પર સંબંધો અને વાતચીત એટલે કે કૉમ્યૂનિકેશન સુધારવામાં, પ્રેમ, ધીરજ, સમજણ વધારવામાં આ ફ્રીક્વન્સી ઘણી ઉપયોગી છે. વૈજ્ઞાનિક રીતે શરીરના કોષો અને વાતાવરણ વચ્ચે તાદાત્મ્ય લાવવામાં આ ફ્રીક્વન્સી લાભદાયી સાબિત થઈ છે. આ ફ્રીક્વન્સીની એક લિંક અહીં મૂકું છું.

‘યં’ મંત્રોચ્ચાર શારીરિક હૃદયને અને હૃદયચક્ર – બન્ને માટે ફાયદાકારક. આ લિંક ચેક કરી શકો છો.

પતંજલિ કે રામદેવબાબા નજર સામે તરવરે તો અમુક આસાન કરી શકાય જેમ કે ઊષ્ટાસન, ચક્રાસન, સેતુબંધાસન, વીરભદ્રાસન, ભુજંગાસન, ધનુરાસન, મત્સયસન, ઉર્ધ્વમુખશ્વાનાસન.

ખોરાકમાં કોઈ પણ પ્રકારના લીલોતરીવાળા શાકભાજી લાભદાયક રહેશે. આંખો સમક્ષ લીલોતરી એટલે કે ઘરમાં/ઓફિસમા છોડ રાખવાથી, બારીમાંથી ઝાડપાન દેખાતા હોય તે વારેવારે જોવાથી, હરિયાળીમિશ્રિત કુદરતી દૃશ્યોના વોલ પેપર/ફોટો રાખવાથી પણ હૃદયચક્રને મઝા પડી જશે.

કુદરતના ખોળે ફરવા નીકળી પડીએ. “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા” એવું લખવા કે વિચારવાની સાથેસાથે એ કાર્ય કરી પણ લઈએ.

ફરી આંતરિક બદલાવ પર આવીએ. લાગણીઓને મુક્ત રીતે વહેવા દેવી જરૂરી છે. આ વાતનું મહત્ત્વ સમજીને યેલ /ઈલિનોઈસ જેવી વિશ્વની ખ્યાતનામ યુનિવર્સીટીઓમાં ખાસ કોર્સ શરૂ થયા છે.

કોઈ પણ લાગણી વ્યક્ત કરવાના અનેક રસ્તા છે – શબ્દો, સ્પર્શ, આંખ કે સંજોગો મુજબ યોગ્ય હોય તેવી કોઈ પણ રીત. ઓશીકું રડવા માટે પણ કામ આવી શકે, મુક્કા મારવા માટે પણ અને એમાં મોઢું (પોતાનું) ફસાવીને ચીસો પાડવા માટે પણ. અત્યંત શક્તિશાળી સારવાર છે આ. કોઈ પણ લાગણી દબાવી રાખવાથી નુકસાન આપણું જ છે.

‘પ્રેમ’ આ ચક્રના પાયામાં છે. બીજા પ્રત્યે પ્રેમ તો જ ઉદ્ભવે જો સ્વ પર પ્રેમ હોય. કપમાં ચા ભરી હોય તો ચા ઢોળાય અને કોફી ભરી હોય તો કોફી ઢોળાય. અંદર પ્રેમ ભર્યો હોય તો એ બહાર આવે અને ગુસ્સો કે નફરત હોય તો એ. એક કામ કરીએ. દરરોજ સવારે અરીસા સામે ઊભા રહી પોતાની જ આંખમાં આંખ પરોવી વારંવાર કહીએ કે “I love you, I accept you as you are, I love your whole being”. આ ધારીએ છીએ તેટલું સહેલું ન પણ હોય. મારી પાસે કાઉન્સેલિંગ કરાવેલી એક યુવતીએ ખૂલ્લે મને કબૂલેલું કે તેના માટે આ અત્યંત મુશ્કેલ હતું અને આ પ્રક્રિયા દરમ્યાન એ ખૂબ જ રડેલી.

એક બીજી રીત. પોતાની જાતને પ્રેમપત્ર લખવાનો. કોઈને પત્ર લખવા કરતાં આ કદાચ થોડું અઘરું છે. આ માટે એક અથવા વધુ વાર શાંતિથી બેસવું પડે. પોતાને લગતી બધી જ સારી વાતોને યાદ કરી નોંધ કરવાની રહે. જરૂર પડે તો બીજાની મદદ પણ લઇ શકાય – એ જાણવા માટે કે ‘મારામાં શું શું સારું’ છે. આ નોંધ થઈ જાય બાદ મારે મને જ પ્રેમપત્ર લખવાનો રહે અને તેમાં આ બધા મુદ્દા આવરી લેવાના રહે. અને પછી એ પત્ર કોઈ નજીકની વ્યક્તિ પાસે (અથવા કોઈને કહેવામાં અચકાટ અનુભવાતો હોય તો પોતે જ) પોતાને દરરોજ પોસ્ટ/મેઈલ કરવાનો રહે. અર્ધજાગૃત મન થોડા સમયમાં જ જાદુ કરશે, ભીતરની લાગણીઓ ફેરવી નાખશે.

એક ડાયરી રાખીએ. દરરોજ એમાં થોડાં નામ ટપકાવીએ કે જેનો આભાર માની શકાય. આ નામો વ્યક્તિના/ઋતુના/વસ્તુના/અંગના એમ કોઈ પણ હોઈ શકે. બની શકે તો શરમાયા વગર કોઈને આભારનો સંદેશ મોકલીએ. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે. છેક ૧૭૮૯થી અમેરિકામાં નવેમ્બરના ચોથા ગુરૂવારને ‘Thanks Giving Day’ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.

માફી માંગવામાં અચકાઈએ નહિ. ઘણી વખત એવું બન્યું હોય કે વાંક આપણો હોય તેવું જે તે પ્રસંગ વખતે નહિ તો પછી લાગ્યું પણ હોય પણ વટના કટકા થઈને ચૂપ રહ્યા હોઈએ. એ યાદ કરી ફોન કરીને કે SMS દ્વારા પણ માફી માંગી લઈએ. આમાં ફાયદો આપણો જ છે. આ પણ વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદિત વાત છે.

બીજું શું થઈ શકે?

સંગીત: ખુશી ફેલાવે તેવાં ગીતસંગીત સાંભળવાં જોઈએ. ગાવાનો શોખ હોય તો અતિ ઉત્તમ. થોડું ધ્યાન એ રાખવાનું કે વિષાદભર્યું ગાયન અને સંગીત ઉદાસીનતા જન્માવે જે હૃદયચક્માં તકલીફ ઊભી કરી શકે. કરુણરસથી શક્ય તેટલા દૂર રહીએ તો સારું. મીનાકુમારી અને દિલીપકુમાર વિષાદભર્યા રોલ કરીને ડિપ્રેસનમાં જતાં રહ્યાં હતાં તે વાત તો જગજાહેર છે.

હગ થેરાપી, મુન્નાભાઈ MBBS વાળી જાદુ કી જપ્પી – જ્યાં શક્ય અને યોગ્ય હોય ત્યાં (અને પોતાની વિવેકબુદ્ધિ અનુસાર). હકારાત્મક કેમિકલ બદલાવ આવે, તાત્કાલિક રીતે ઓક્સિટોસિનનું લેવલ વધી જાય જે ગુસ્સા અને એકલતાની લાગણી દૂર કરે અને અને થોડી લાંબી જપ્પી સિરોટોનિનનું લેવલ વધારે કે જે મૂડ સારો કરી દે.

સુખાંતવાળી પ્રેમકથાઓ વાંચીએ ને એવા ચલચિત્રો જોઈએ.

લીલાં કપડાં પહેરીએ. રંગ બહુ પસંદ ન હોય તો આ રંગના રૂમાલ અથવા આંતરવસ્ત્રોમાં તેનો ઉપયોગ કરીએ.

જાતને અને બીજાને માફ કરતા શીખીએ. ‘અંદરનું’ વજન ઓછું થઈ જશે, હળવા થઇ જવાશે. If your heart is a volcano, how shall you expect flowers to bloom? આવું ખલિલ જીબ્રાને કહેલું.

કઈં પણ ‘દાન’ કરીએ, જરૂરી નહિ કે આર્થિક. સમયદાન, શ્રમદાન, વિદ્યાદાન કે અન્ય કંઈ પણ – કોઈ પણ પ્રકારની ચેરિટી. કોઈને શાંતિથી સાંભળીએ તો એ પણ એક પ્રકારે કરેલી મદદ છે જેને કારણે સામેની વ્યક્તિ હળવી થઈ.

એફર્મેશન ખૂબ જ ફાયદો કરશે. બાથરૂમના અરીસા પરચોંટાડીને રાખી શકાય અને લેપટોપના સ્ક્રીન પર પણ, જેથી વારંવાર નજર પડે. સાથેના ચિત્રમાં આ ચક્રને લગતાં એફર્મેશન આપેલાં છે.

પેઈન્ટિંગ્સ દ્વારા પણ હૃદયચક્ર પર વાઈબ્રેશન મળી શકે. આ સાથે એવું એક ચિત્ર છે જે જેકલીન રીપ્સ્ટેઇનનું અતિ પ્રસિદ્ધ આર્ટ ‘Heaven to Earth’ છે જેની રેપ્લિકા અમેરિકાની વિવિધ હોસ્પિટલ્સમાં પણ જોવા મળે છે.

રોઝ ક્વાર્ટઝ જેવા ક્રિસ્ટલથી ફાયદો થાય છે.

અને અંતે ધ્યાન. નિર્વિવાદ રીતે સર્વોપરી રસ્તો. આધુનિક ચિકિત્સા પદ્ધતિ પણ વર્ષોથી સ્વીકારે છે કે ધ્યાનના ફાયદોઓ અનેક છે. મારા બૉસે જયારે ૨૦૦૬માં બાયપાસ સર્જરી કરાવી ત્યારે એપોલો હોસ્પિટલમાં તેમના પ્રિસ્ક્રિપશનમાં દવાઓ સાથે ‘રેગ્યુલર મેડિટેશન’ પણ લખાઈને આવેલું. ધ્યાન માટે થોડાં સૂચનો છે.

આરામદાયક અને બને તેટલાં ઓછાં કપડાં પહેરવાં જોઈએ. ઓછાં એટલા માટે કે કપડામાં આપણા વિચારોની ઊર્જા રહેલી હોય છે.

‘ફાવે તેમ’ બેસવાનું. પદ્માસન કરીને બેઠાં પછી ૫ મિનિટમાં તકલીફ પડી જાય તો ધ્યાન બાજુએ રહી જાય.

સ્થાન એવું કે જ્યાં કોઈ ખલેલ ના પહોંચાડે.

જ્યાં સુધી ટેવાઈએ નહિ ત્યાં સુધી સંગીત સાથે ધ્યાન કરવામાં સરળતા રહેશે.

શક્ય હોય તો સમય અને સ્થળ એક જ રાખીએ.

અને અંતમાં ઓશોને યાદ કરીએ તો ”Meditation is the ultimate in luxury.”

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૮) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આ પહેલાંની ચર્ચા થોડી યાદ કરીએ તો અત્યાર સુધીમાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર તથા મણિપુરચક્ર, બાઈનોરલ બિટ્સ વિગેરે વિષે ચર્ચા કરી. આપણી ચક્રયાત્રા હવે મઝધારે પહોંચી. એવું ચક્ર આવ્યું હવે કે જે નીચેનાં ૩ અને ઉપરનાં ૩ ચક્રોને જોડે છે.

કવિઓ અને બૉલીવુડ જે ચક્રની આસપાસ બહુ ફર્યા કરે છે તેવા ચક્ર એટલે કે હૃદયચક્ર / અનાહતચક્ર / હાર્ટ ચક્રની વાત હવે કરીએ. કોઈ વાર એવું લાગે કે બૉલીવુડ આખું આ ચક્રથી જ મોહિત થઇ ગયું છે. “દિલ ચીઝ ક્યા હૈ” તે રેખા સમજાવે અને અમિતાભ કહે કે “કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ”; દિલીપકુમાર દુઃખી હૃદય (ચક્ર)થી કહે કે “દિલ તડપ તડપ કે કહ રહા હૈ આ ભી જા” તો નવા જમાનાનો દિલીપકુમાર પાછો એમ કહે કે “દિલ તો પાગલ હૈ”, બ્રહ્મચારીમાં શમ્મીકપૂર તો દિલમાં ઝરૂખો રાખીને પાછો રાજશ્રીની યાદોને એમાં બેસાડવાની ખ્વાહિશ ધરાવે – સાલું ગૂંચવાઈ જઈએ આ બધામાં. એક અર્થ નીકળે જો કે. કયો? એમ જ કે સારી અને નરસી, કડવી અને મીઠી બધી લાગણીઓનું સ્ટોર હાઉસ અહીં જ છે. બીજો અર્થ એ પણ નીકળે કે આ ચક્ર થોડું તકલાદી હશે, તૂટી જાય વારેઘડીએ. હૃદયભંગ થાય, એક કરતાં વધું વાર પણ થઈ શકે, હાર્ટ એટેક પણ આવી જાય. એક અર્થ એ પણ નીકળે કે આ ચક્રની કેપેસીટી અપાર, ગમે તેટલી યાદો અને વ્યક્તિઓને ભરી શકે એમાં. જો સારી ભરી હોય તો વ્યક્તિ પ્રેમાળ ને નહીંતર કડવી ઝેર. અને જે ભરેલું હોય એમાં એ જ પાછું બહાર આવે ને! એટલે તે વ્યક્તિની સામાજિક સ્વીકૃતિ પણ એ મુજબ. જે આપીએ તે મેળવીએ. કોઈ વાર લોકો જીવનસાથીની ઓળખાણ ‘બિટર હાફ’ તરીકે કરાવે. બેન્કના એક ઓફિસરે પોતાના પત્નીની ઓળખાણ મારી સાથે આ રીતે કરાવેલી અને કમનસીબે એ સાચું હતું ને પરિણામ એ હતું કે એ કડવીબાઈને બિચારાને ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડેલી. હાલમાં જો કે એ બહેન હયાત નથી. સમજવાનું એ કે કડવી યાદો ભરી રાખવાથી હૃદય ચક્ર દૂષિત થાય છે.

નામ મુજબ જ આ ચક્રનું સ્થાન હૃદય એટલે છાતી પાસે છે. વાયુ તત્ત્વ સાથે સંકળાયેલું ચક્ર. શરીરમાં સૌથી વધુ વાયુ/હવા ક્યાં હોય? ફેફસામાં એટલે કે છાતીની આસપાસ. વરસાદ પડી ગયા પછી ધરતીએ જે લીલીછમ ઓઢણી ઓઢી હોય તેવો લીલો રંગ આ ચક્રનો. બીજ મંત્ર છે ‘યં’. શારીરિક રીતે થાયમસ ગ્રંથિ સાથેનું ચક્ર. એવી ગ્રંથિ જેનું કદ નાનપણમાં મોટું હોય અને પછી નાનું. રોગપ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલ આ ગ્રંથિ.

પહેલા લેખમાં આપણે જોયેલું કે પૃથ્વીનાં પણ ચક્રો છે. બ્રિટનમાં આવેલ ગ્લાસનબરી (ચિત્ર જુઓ) નામના સ્થળ પરથી જે અત્યંત શક્તિશાળી લે લાઇન્સ પસાર થાય છે તેને કારણે આ સ્થળને પૃથ્વીનું હૃદયચક્ર ગણવામાં આવે છે. દુનિયાભરના કોસ્મિક ઊર્જા સમજનારા અને રસ લેતા લોકો તથા હિલર્સ અહીં એકત્રિત થાય છે.

જો આગળનાં ચક્રો ઠીકઠાક થઈ ગયાં હોય તો શું થયું હોય? મૂલાધારનું તત્ત્વ ‘ભૂમિ’ છે તે સ્થિર અને ‘ગ્રાઉન્ડેડ’ હોય, સ્વાધિસ્થાન ચક્રનું જલતત્ત્વ રચનાત્મકતા લાવ્યું હોય અને મણિપુરચક્રના અગ્નિએ તે રચનાત્મકતાને સકારાત્મક કાર્ય કરીને દિશા આપી હોય. Fire in the belly રંગ લાવ્યો હોય તો હવે અહીં વાયુ તત્ત્વ છે જે આ બધી જ વસ્તુઓને પ્રેમ, કરુણા, આનંદ જેવી આધ્યાત્મિક લાગણીઓમાં મિશ્રિત કરીને આગળ ધકેલે. વાયુ તો અત્ર-તત્ર-સર્વત્ર છે, પ્રેમની જેમ જ.

હૃદયચક્રનાં લક્ષણો જરા વિસ્તૃત રીતે જોઈએ.

૧) અન્યો પ્રત્યે પ્રેમ -રોમાન્ટિક કે પ્લેટોનિક – જન્મે આ ચક્રમાંથી. સેલ્ફ લવ એટલે કે પોતાની જાત પ્રત્યેનો પ્રેમ પણ અહીંથી જ ઉદ્ભવે.

૨) કરુણા, સહાનુભૂતિ, પોતાને સામેની વ્યક્તિની જગ્યાએ મૂકીને તે પ્રમાણે તેની સાથે વ્યવહાર કરવાની ક્ષમતા અને આદત આ ચક્રને આભારી. અને જો એમ હોય તો ચોક્કસ એ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ ચુંબકીય હોય.

૩) આ ચક્રની યોગ્ય સ્થિતિ પોતાની જાત માટે અને અન્ય લોકો માટે માન જન્માવે છે.

૪) આ ચક્રને એક હીલિંગ સેન્ટર કહી શકાય કારણ કે ક્ષમાની ભાવના અહીંથી વિકસે છે.

હૃદયચક્ર અસંતુલિત હોય ત્યારે શારીરિક અસર તો થાય જ પણ સાથેસાથે લાગણીઓમાં ઉથલપાથલ થઈ જાય. જો પોતાની જાત અને અન્ય સાથે પણ સંબંધ સુધારવાની થોડી પણ અભિલાષા હોય તો આ ચક્ર સુધારવું અને સંતુલિત કરવું ફરજીયાત છે.

એલર્જી, દમ, સ્તન કેન્સર, બ્લડ સર્ક્યુલેશન, બ્લડ પ્રેસર, હૃદયને લગતી બીમારીઓ, ઓછી રોગપ્રતિકારક શક્તિ એટલે કે Immunity , શ્વાસનળીનો સોજો એટલે કે બ્રોન્કાઇટીસ, કફ, થાક, ઇન્ફ્લૂએન્ઝા , ન્યુમોનિયા, શ્વાસોચ્છવાસની સમસ્યાઓ કે ફેફસાને લગતા અન્ય રોગો,નીચેના હાથમાં દુઃખાવો, ધ્રુજારી, ઊંઘને લગતી સમસ્યાઓ, ધુમ્રપાનની આદત, ટૂંકા શ્વાસ, નખ કરડવા – આ બધું જ હૃદયચક્રના વાંધાવચકાઓને આભારી. આયુર્વેદમાં પણ હૃદયને લગતી બીમારીઓને વાયુજન્ય રોગ ગણેલ છે.

કોઈ પણ ચક્ર ઓછું કાર્ય કરતું હોય તો તેનો અર્થ થયો કે ત્યાં અવરોધ છે અથવા તો ઊર્જાનો પ્રવાહ ત્યાંથી બરાબર આગળ વધતો નથી. જો હૃદયચક્રમાં આવું થતું હોય તો આપણી Overall Well Being એટલે કે એકંદર સુખાકારી જોખમાય; શારીરિક તકલીફો તો ખરી પણ સાથેસાથે લાગણીઓ પણ તકલીફ કરે. કોઈ વાર ‘દુઃખી મન મેરે’ જેવી સ્થિતિ રહે, મનોમન આપણી જાતને અને બીજાને પણ કોસતાં રહીએ, ‘કોઈ મને બોલાવશો નહિ’ એવો અવાજ મનમાંથી ઊઠ્યા કરે. જિંદગીમાં સૌથી મહત્ત્વની લાગણી એટલે કે પ્રેમનું બેન્ક બેલેન્સ ઓછું થઈ જાય – બીજા પ્રત્યેનો પ્રેમ તથા મૂળભૂત રીતે તો પોતા પ્રત્યેનો. પરિણામ એ આવે કે વ્યક્તિ ન તો બીજા પર વિશ્વાસ કરી શકે, ના ખુદ પર. કોઈ બીજાના વર્તન સાથે પોતાની ખુશી/નાખુશી ને જોડી લે, બીજા પર અંકુશ લેવાની કોશિશ પણ કરે અને માલિકીહક્ક જતાવે એટલે કે Possessive બની જાય.

ત્રણ પ્રકારની લાગણીઓ સાથે આ ચક્ર બહુ રમ્યા કરે. પ્રેમ, ભય અને નફરત. બધું એક સાથે અસ્તિત્વ ધરાવે તેમ પણ હોય. પરંતુ જે લાગણી આગળ થઈ જાય તે બીજીને દબાવી દે. પ્રેમ આગળ થાય તો ભયને અને નફરતને પાછળ ફેંકી દે. નફરત વધી જાય તો પ્રેમ અને ભય ને પાછળ ધક્કો મારી દે. અને જો ભય હૃદયને ઘેરી વળે તો પ્રેમ અને નફરત બંને સંતાઈ જાય. શું આગળ હોવું જોઈએ તે આપણે નક્કી કરવાનું.

વધારે પડતાં કાર્યરત હૃદયચક્રનાં લક્ષણો શું?

  • બીજા પર આધારિત
  • પોતાની લાગણીઓને ભોગે બીજાનું ધ્યાન રાખવાની આદત
  • સ્વ-અસ્તિત્વને બાજુએ મૂકવાની ટેવ
  • સંબંધોમાં યોગ્ય હદ ન જાળવી શકે.
  • પોતાના શારીરિક/માનસિક કે અન્ય કોઈ પણ પ્રકારના નુકસાનના ભોગે અને અનિચ્છાએ પણ ‘હા’ કહેવાની આદત.
  • તમામ હદ પાર કરીને મદદ કરવાની ટેવ.

આપણી સ્થિતિ જાણવી હોય તો એકાંતમાં જઈ એકદમ શાંત થઈ, થોડા ઊંડા શ્વાસ લઈ નીચેના પ્રશ્નોના પ્રામાણિક જવાબ ‘અંદરથી’ જાણવાની કોશિશ કરી શકાય

૧) શું હું ભૂતકાળના (હવે પૂરા થઈ ગયેલા) સંબંધો સતત યાદ કાર્ય કરું છું?

૨) શું હું જૂની અદાવતો અને જૂના ઘા ગળે વળગાડીને ફર્યા કરું છું?

૩) કોઈનો પણ વિશ્વાસ કરવાનું મારે માટે બહુ અઘરું છે?

૪) શું હું બહુ શરમાળ છું?

૫) મારી લાગણીઓને એક બંધ પટારામાં તાળું મારીને સદા રાખી મૂકું છું? કોઈ સાથે એ વિષે વાત કરવામાં મને તકલીફ પડે છે?

૬) બહુ ફૂંકી ફૂંકીને હું સંબંધ બાંધું છું? નવા સંબંધ બનાવવામાં મને ખચકાટ થાય છે?

૭) શું ચિંતા / માનસિક તાણ મારા વ્યક્તિત્વનું અવિભાજ્ય અંગ બની ગયા છે?

૧૦) શું મને ટેવ પડી છે કે મારી ઘવાતી લાગણીઓને ભોગે પણ બીજાને જ આગળ જવા દઉં અને હું છેલ્લે જ રહું?

મોટાભાગે જવાબ ‘હા’ હોય તો સમજવાનું કે હૃદયચક્રમાં સુધારાની જરૂર તો ખરી.

એક સામાન્ય અવલોકન છે. બધાને નહિ પણ કદાચ મોટા ભાગનાં ને લાગુ પડી શકે. સ્ત્રીઓનું હૃદયચક્ર સામાન્ય રીતે થોડું વધારે અસંતુલિત જોવા મળે છે. ઘા’ તો બધાને લગતા હોય પણ લાગણીશીલ સ્વભાવને કારણે સ્ત્રીઓમાં વધુ ઊંડે સુઘી ઊતરી ગયા હોય અને પછી વર્ષો જૂના ભાડુઆતની જેમ ઘર ખાલી કરતાં ન હોય તેવું કદાચ હોય છે. માટે જયારે આ ચક્રનું ધ્યાન દ્વારા અથવા બીજી કોઈ પણ રીતે હીલિંગ થાય ત્યારે ’સુખમાં એ આંસુ , દુઃખમાં એ આંસુ’ વાળી સ્થિતિ સ્ત્રીઓમાં વધુ ઉદ્ભવે છે તેવું જોવા મળ્યું છે. પરંતુ જે થાય તે સારા માટે. આ આંસુ તો શુદ્ધિકરણની પ્રક્રિયાના હોય છે. આયુર્વેદમાં જેમ પંચકર્મ દરમ્યાન શરીરની અશુદ્ધિઓ બહાર આવે તેમ.

આનાથી વિરુદ્ધ, કોઈ વાર હાસ્ય અને અટ્ટહાસ્ય પણ બહાર આવે છે. એક દાખલો. ભાવનગરમાં એક ધ્યાનશિબિર બાદ એક બહેન ૨/૩ દિવસ સુધી હસતાં જ રહ્યાં અને એમના પતિ મૂંઝાઈ ગયા. મને વાત કરી. મેં જયારે એ બહેન સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યંત રૂઢિચુસ્ત રીતે તેમનો નાનપણમાં ઉછેર થયેલો જ્યાં એમને કહેવામાં આવેલું કે “છોકરીઓએ બહુ હસાય નહિ, મર્યાદામાં રહેવાય”. વિગેરે. જિંદગીભરની હાસ્યની લાગણીઓ એમણે મનમાં કોઈ અગોચર ખૂણે દબાવી રાખેલી કે જે ધ્યાન દરમ્યાન કૂદીને બહાર આવી. હૃદયચક્રના શુદ્ધિકરણ દરમ્યાન લાગણીઓ એ રીતે બહાર આવે જેમ આપણા અંકુશ બહાર છીંક અને ઉધરસ આવે. આ વિષે પછી ચર્ચા કરીશું.

બીજા ચક્રોની જેમ હૃદયચક્રની શુદ્ધિના પણ અનેક રસ્તાઓ છે જે આ પછીના લેખમાં આવરી લઈશું.


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૭) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ, મૂલાધારચક્ર અને સ્વાધિષ્ઠાનચક્ર વિષે થોડી વિગતવાર ચર્ચા વિગેરે આપણે આ લેખમાળાના પહેલા ૬ ભાગમાં કરી અને ૭માં ભાગમાં મણિપુર ચક્રનું સ્થાન, કાર્ય, મહત્ત્વ પોતાનું ચક્ર સંતુલિત છે કે નહિ તે જાણવાની રીત, બાઈનોરલ બિટ્સ ફ્રિકવંસી વિગેરે જોયું. ધારો કે એમ લાગ્યું કે મારું ચક્ર થોડું સંતુલિત કરવાની જરૂર તો છે તો શું કરવું તે હવે સમજીએ. અને મન હોય તો જરૂરથી માળવે જવાય.

૧) રોજબરોજની ઘરેડમાં થોડો બદલાવ લાવીએ. ચર્ચિલજી તો ક્યારના કહેતા હતા કે “To improve is to change; to be perfect is to change often.” અને જે બદલાવ નથી લાવી શક્યા તેવા કોડાક, નોકિયા, HMT વિગેરેનું શું થયું તે આપણે જાણીએ જ છીએ. આપણે પણ કંઈ નવું કરીએ. એકદમ સામાન્ય લગતી વસ્તુ પણ કરી શકાય. દરરોજનો રસ્તો બદલીએ, નવી જગ્યાએથી ખરીદી કરીએ, જૂદું સંગીત સાંભળીએ; ટૂંકમાં કંઈક નવું અથવા જૂદું જે નવી ઊર્જાનો સંચાર કરશે.

૨) આળસ થોડી ખંખેરીએ. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. કમ સે કમ ૧૦ કામની યાદી બનાવીએ અને એક નક્કી કરેલી સમય મર્યાદામાં પૂરા કરીએ. જે કામ હાથમાં લીધું તે પૂરું કરીને જ રહીએ. આરંભે શૂરા અને પછી બેસૂરા એવું થતું હોય તો સભાનતાપૂર્વક એ ટાળીએ. સામાન્ય જણાતાં કાર્યથી પણ આ થઈ શકે જેમ કે કોઈ પુસ્તક વાંચવું, વહેલાં ઊંઘવું કે જાગવું, શારીરિક વ્યાયામ કરવો, લિફ્ટને બદલે દાદરો વાપરવો, ચાલવાની ઝડપ થોડી વધારવી, જમવાના સમયમાં નિયમિતતા લાવવી, સાંજે વહેલું જમી લેવું. યાદી ઘણી લાંબી થઇ શકે છે. ‘Doing nothing is hard, you never know when you’re done.’

3) પેટને ઓછો ભારે પડે એવો હળવો ખોરાક; હળદર, આદુ, તજ, જીરુંનો વધુ ઉપયોગ; લીંબુ, કેળાં, પીળાં કેપ્સિકમ, અનાનસ વિગેરે પીળા રંગના ફળો વિગેરે ફાયદો કરશે. યાદ રાખીએ કે ‘જેને કોઇ ન પહોંચે તેને તેનું (આ) પેટ પહોંચે.’

4) સૂર્યપ્રકાશ શરીરને મળે તે અત્યંત લાભદાયક રહેશે. સૂર્યના કોમળ તડકામાં ચાલવું કે બાલ્કની અથવા અગાસીમાં સૂર્યપ્રકાશ મળે તે રીતે બેસવું તેનો કોઈ વિકલ્પ નથી. વિટામિન ડી તો મળશે જ પણ સાથે સાથે આ ચક્રનું તત્ત્વ એટલે કે અગ્નિ તત્ત્વ પણ સંતુલિત થશે. ઓછા અગ્નિથી રસોઈ ન થાય અને વધારે અગ્નિ બધું જલાવી દે. બધું સંતુલિત સારું.

૫) ઊંડા શ્વાસની આદત કેળવીએ. ભલે થોડા ઓછા લેવાય. શ્વાસ ગણેલા છે, જલ્દી લઈશું તો જલ્દી જઈશું.

6) ભરી રાખેલો ગુસ્સો એટલે કે ભારેલો અગ્નિ બહાર કાઢી નાખીએ અને એ પણ તાત્કાલિક. આ ગુસ્સાની સીધી અસર લીવર પર છે અને ઘાતક છે. હાથમાં ગરમ કોલસો રાખીને બેસીએ તો શું થાય? ગુસ્સો બહાર કાઢવાનો કદાપિ અર્થ એ નથી કે જેના માટે ગુસ્સો ભરી રાખ્યો હોય તેની સાથે ઝઘડો કરવો. એ આપઘાતનો (કે સંબંધઘાતનો) રસ્તો છે. અનેક રસ્તા બીજા છે. શક્ય હોય તો નૃત્ય, એરોબિક કસરત, સંગીત, લેખન, રુદન, એકલાં એકલાં બંધ ઓરડામાં ચીસો પાડીને, ઓશિકા પર મુક્કા મારીને – એમ કોઈ પણ રીતે કાઢી શકાય છે. કાગળ પર બધા ગુસ્સામિશ્રિત વિચારોને લખી એ કાગળ બાળી નાખવો એ પણ એક અસરકારક રીત છે. આ પ્રકારે ગુસ્સો બહાર નીકળતાં જ નવી ઊર્જા ગ્રહણ કરવાના દ્વાર ખુલી જશે. મન મોટું રાખીએ તો મગજ ઠંડું રહેશે.

7). હવે થોડું અઘરું, માનસિક કસરત છે એટલે. કરીએ તો ફાયદો થશે. ઓસ્કાર વાઈલ્ડ જરા પણ ખોટા નહોતા જયારે કહેતા હતા કે “I am the only person in the world I should like to know thoroughly.” વિચારીએ કે કઈ વસ્તુ માટે/સાથે જીવનમાં સદા સંઘર્ષ રહે છે? શેનો સદા ડર રહે છે? ક્યા અણગમતા સંજોગો વારંવાર સામે આવે છે? થોડું વિચારીએ તો ખ્યાલ આવશે કે આપણી ઊર્જામાં લીકેજ ક્યાંથી છે. એક વાર એ ખ્યાલ આવે પછી નક્કી કરવાનું રહેશે કે મારે શું જતું કરવું જોઈએ? શેનો વિરોધ બંધ કરવો જોઈએ? શું સમજવું જોઈએ કે જેનાથી મારી રૂંધાયેલી ઊર્જાના દ્વાર ખુલ્લા થાય?

8) એક બીજા પ્રકારની માનસિકતા હોય છે. શહાદતની માનસિકતા. ખુદની જરૂરિયાતોને અવગણીને એવા માણસો માટે હંમેશા દોડતા રહેવું કે જેમને એ મદદની કોઈ કિંમત નથી અને પછી એવું વિચારવું કે ‘મેં કેટલું બધું કર્યું તેના માટે, તેને કોઈ કિંમત નથી’ અને આવો વિચાર કરીને દુઃખી થવું તે આ માનસિકતા છે, નાભિચક્ર માટે નુકશાનકારક જ છે. શહાદતનો માર્ગ શૂરાનો ખરો પણ આમ નહિ.

૯) કોઈ પણ પ્રકારના માનસિક જોડાણ એટલે કે એટેચમેન્ટ ઘણી વખત ઊર્જાના પ્રવાહને બ્લોક કરે છે. જોડાણો વ્યક્તિ સાથેના, ખ્યાલો/માન્યતાઓ, યાદો, ભય, અપેક્ષાઓ,જગ્યાઓ, વસ્તુઓ કે ઈચ્છાઓ સાથેના. ઘણી વખત આપણે જૂનું ઘર છોડી શકતા નથી, જૂના કાગળોનો સંગ્રહ કરીએ છીએ, જૂનું વાહન જાનથી પણ પ્યારું હોય છે, જૂનું રાચરચીલું બદલવાની હિંમત કરતા નથી, સ્વર્ગવાસી સ્નેહીજનની યાદ ભૂલી શકતા નથી, જૂનાં કપડાં પણ કબાટમાં ભરી રાખીએ છીએ. આ દરેક સંજોગોમાં નાભિચક્ર કોઈ ને કોઈ રીતે દુષિત થાય છે, ઊર્જા અટકે છે. થોડી જ હિમ્મતની જરૂર છે, એક વખત ફક્ત જૂના કાગળો ફાડીને કે કબાટમાંથી ૧/૨ વર્ષથી પહેર્યા ન હોય તેવા કપડાંનો નિકાલ કરીને પણ જોઈએ તો ખ્યાલ આવશે કે કેવી તાજગી અનુભવાય છે. આવા એટેચમેન્ટ ઊર્જાને શરીરમાં અને મનમાં અવરોધે છે, ઘણી વાર એટલા મોટા અવરોધો ઉત્પન્ન કરે છે જે વ્યસન અથવા તો કુંઠિત વિચારધારામાં કે આદતમાં પરિણામે છે. સંઘર્યો સાપ ક્યાંક બીજે કામ આવતો હશે, અહીં તો કરડી જાય. પૂછીએ ખુદને જ કે “આ માન્યતા/ યાદ/ ઈચ્છા/ વસ્તુ ખરેખર મારા માટે જરૂરી છે?” બસ જેવો આ પ્રશ્નનો જવાબ મળશે, બાકીની પ્રક્રિયા સ્વયંભૂ શરુ થશે.

૧0) સ્વાભિમાન (અભિમાન નહિ) આ ચક્રની આધારશિલા છે. જયારે આપણે પોતાના તન, મન, આત્માની કાળજી લેતા થઈશું ત્યારે કુદરતી રીતે જ ઊર્જા સંતુલિત થઇ જશે. ફરી એક વાર આત્મમંથન કરવું આવશ્યક છે કે મારા જીવનમાં શું બદલાવ લાવવો જરૂરી છે? શું મારે મારી વધુ સંભાળ રાખવાની જરુરુ છે? શારીરિક/માનસિક/સામાજિક કે આધ્યાત્મિક રૂપે. બધું જ જરૂરી છે. મુકેશભાઈ અંબાણીને બીજા નંબરે ઉતારી દઈએ એટલા પૈસા ભેગા કરી લઈએ અને પછી દરરોજ દવાખાનાનાં ચક્કર કાપતાં હોઈએ તો? અબજો રૂપિયા હોય, ઘોડા જેવી તબિયત હોય અને ડિપ્રેશનમાં ઉતરી ગયા હોઈએ, જીવન ઝેર જેવું લાગતું હોય તો? આ બધું જ બરાબર હોય ને સમાજમાં વિજયભાઈ માલીયાની જેમ આબરૂના ચીંથરાં ઉડતાં હોય તો? આ બધું પરરરરરરરફેક્ટ હોય અને એવા વિચાર ઝબકે કે સાલું કંઈખૂટે છે, પરભવનું ભાથું તો કઈ બાંધ્યું જ નહિ તો ? બધું જ સંતુલિત હોવું જોઈએ ને? રુંધાયેલી ઊર્જા કોઈ ને કોઈ રીતે પરેશાન કરશે, ક્યાંક દુઃખાવો કરશે, ક્યાંક જીવન ઢસડાતું હોય તેવી લાગણી આપશે, કાયમ થાકની ફરિયાદ કરાવશે, દુઃખદ ઘટનાઓને ફરી ફરીને નજર સમક્ષ ને મનમાં લાવશે – જાતે જ શોધવાનું રહેશે કે ક્યાં બદલાવ લાવવો જરૂરી છે. આ થઇ જાય તો બીજો તબક્કો નિર્ધારનો છે – જરૂરી પગલાં ભરવા માટેના. એ પણ થઇ ગયો તો ૯૦% કાર્ય થઈ ગયું, હવે તો સાચે જ પગલાં ભરવાના અને એક સુખદ બદલાવ રાહ જોતો હશે. આ પગલાંઓ આપણી જાત પ્રત્યેનો પ્રેમ અને સન્માન દર્શાવે છે અને સ્વયંથી વધુ સ્વયંનું કોઈ ધ્યાન રાખી શકે નહિ તે નિર્વિવાદ છે.

૧૧) ભુજંગાસન, સલભાસન, ધનુરાસન, નૌકાસન, ચક્રાસન, શ્વાનાસન જેવા યોગાસન કરીએ. ભલે થોડો પરસેવો પડે કે વહે.

૧૨) એફર્મેશન: ‘હું કરી શકું છું, હું કરીશ, મારામાં એ શક્તિ છે, હું હિંમતવાન અને મજબૂત છું, હું મારી જાતને પ્રેમ કરું છું, મારી જિંદગીની જવાબદારી મારી છે.’ આ એફર્મેશન જેટલાં રિપીટ થશે એટલાં આ વિચારો અર્ધજાગૃત મનમાં રોપાશે અને અંતે અંકુરિત થશે. અને આ વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદિત વાત છે.

૧૩) વિઝ્યુઅલાઈઝેશન એટલે કે ધારણા: શાંતિ થી બેસીએ. સૂતાં સૂતાં પણ કરી શકાય (ઊંઘતાં ઊંઘતાં નહિ). થોડા શાંત થઈએ. ઊંડા શ્વાસ લઈએ થોડા. આંખ બંધ અને આ પહેલાના લેખમાં આપેલ ટ્રેક સાંભળતાં સાંભળતાં નાભિચક્ર પર ધ્યાન લઇ જઈએ. ઊર્જાનો અનુભવ અલગ અલગ રીતે થઇ શકે. ઉષ્ણતાનો અનુભવ થાય, કઈ સળવળાટ થતો હોય, પેટના સ્નાયુઓ અંદર ખેંચાતા હોય એવું કઈ પણ થઇ થાકે. માનસિક નોંધ લઈએ કે શું થઇ રહ્યું છે. ધારણા કરીએ કે નાભિચક્ર મોટું ને મોટું થઇ રહ્યું છે, સોનેરી પીળા કલરથી આવૃત થઇ રહ્યું છે. ધીરે ધીરે આ અનુભવ પીઠ પાછળ પણ થશે, માનસિક રીતે આ ઊર્જાને શરીરમાં ફેરવવાની કોશિશ કરીએ. બે-ચાર વખતના પ્રયાસમાં જ થોડી સફળતા મળશે જે વધુ પ્રયાસ કરવા માટે પ્રેરણા આપશે, અને જો તેનાથી પ્રેરણા લીધી તો પછી બેડો પાર.

૧૪) ‘રં’ મંત્રનો જાપ કરી શકાય. એક લિંક મુકું છું. એકાંતમાં સાંભળતાં સાંભળતાં તેની સાથે ધ્યાન થઈ શકે. https://youtu.be/QXAxn4iMnnU

૧૫) આ સિવાય પણ ઘણા રસ્તાઓ સર્જનાત્મક રીતે વિચારીને લોકો લે છે, જેમ કે સૂર્યનું ટેટુ નાભિચક્ર પર કરાવીને, ઘરમાં કોઈ નાનુંમોટું ફર્નિચર આ ચક્રના મંત્ર સાથે કરાવીને, બીજમંત્રનું ચિત્ર તરત નજરમાં આવે તેમ રાખીને. આ સાથેના ચિત્રોમાં એ જોઈ શકશો.

આ બધામાંથી જે ફાવે અને ગમે તે પગલાં લઈ શકાય. અને તો જ કામનું. કોઈ દિવસ ના કર્યું હોય તો પણ કરાય. Better late than never બધે લાગું પડે (ખાલી આપણા બોસને ન કહેવાય, નહીંતર એ ભડકે.) કોઈ પણ  જ્ઞાનની સાચી કિંમત તો ત્યારે જ છે ને કે જે જાણીએ તેમાંથી થોડોઘણો પણ અમલ થાય.

હવે પછીના લેખમાં અનાહત/હૃદય ચક્ર અંગે આપણી ચર્ચા રહેશે.


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.