Posts Tagged With: આવશ્યક

મનનું ઘડતર ઘણું આવશ્યક છે

સૂત્ર ૧૩ : જેવી રીતે નબળી છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી જાય છે તેવી રીતે અવિકસિત મનમાં ઉત્તેજના પ્રવેશી જાય છે.

સૂત્ર ૧૪ : જેવી રીતે મજબૂત છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી શકતું નથી તેવી રીતે સુવિકસિત મનમાં ઉત્તેજના પ્રવેશી શકતી નથી.

એક દંપતિનો એકનો એક પુત્ર વિદેશ ભણવા ગયો. ત્યાં કશાક તોફાનોમાં તેની હત્યા થઈ ગઈ. હત્યા થઈ તે સમયે તેમના ઘરે તેમનો એક કૌંટુબિક મિત્ર મળવા આવ્યો હતો. તેઓ ખુબ આનંદ વ્યક્ત કરતાં કહેતા હતા કે અમારો પુત્ર વિદેશમાં ભણવા ગયો છે. આવી આનંદપૂર્વક જ્યારે વાત કરી રહ્યાં હતા તે વખતે તેમનો પુત્ર અંતિમ ઘડી ગણી રહ્યો હતો પણ તેઓ તે વાતથી અજાણ હતાં. બીજે દિવસે જ્યારે સમાચાર મળ્યાં ત્યારે તેઓ શોકમગ્ન થઈ ગયાં.

કહેવાનું તાત્પર્ય તે છે કે ઘટના ઘટવાથી મન પર કોઈ અસર થતી નથી પરંતુ કોઈ પણ ઘટનાનું મન જ્યારે વિશ્લેષણ કરે છે ત્યારે તેની પર અસર થશે. જેમણે મનને કેળવ્યું હશે તેઓ પ્રત્યેક પરિસ્થિતિમાં સમ રહી શકે પણ જેમણે મનને કેળવ્યું નહીં હોય તે બાહ્ય જગતમાં ઘટતી ઘટનાને આધારે મનમાં વારંવાર ઉત્તેજના અનુભવશે.

ધારોકે જુદા જુદા બ્લોગરોએ જુદા જુદા સમયે બ્લોગ પર પોસ્ટ મુકી. જે સમયે પોસ્ટ મુકાશે તે સમયે વાચકના મનમાં કશી ઉત્તેજના નહીં થાય પરંતુ જે સમયે વાચક પોસ્ટ વાંચશે અને પોસ્ટના વિષય પર વિચાર કરશે તે સમયે તેના મનમાં રાસાયણિક પ્રક્રીયા થશે. કાં તો તે Like પર ક્લિક કરશે, ક્યારેક ઉત્સાહમાં આવીને પ્રતિભાવ આપશે, ક્યારેક વિચારો સાથે અસહમત હશે તો તીખી પ્રતિક્રીયા આપશે. આમ જે નબળા મનના વાચક છે તેમના મન જુદી જુદી પોસ્ટ વાંચીને અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અનુભવશે પણ જે સબળ વાચક છે જેણે મનને કેળવ્યું છે તે પોસ્ટનો ગહનતાથી અભ્યાસ કરશે. તેના વિષય વસ્તુને સમજશે તેમાંથી સાર ગ્રહણ કરશે અને વધારાનો કચરો ફેંકી દેશે. જરુર લાગશે તો સ્વસ્થ ચિત્તે તેનો મત રજૂ કરશે.

આમ મહત્વની વાત મનને ઘડવાની છે.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

આવશ્યક અને અનાવશ્યક વચ્ચેનો ભેદ પારખી શકનાર આવશ્યકને પ્રાપ્ત કરે છે

સૂત્ર ૧૧ : જેઓ બીનજરુરી ને જરુરી સમજવાની ભૂલ કરે છે તેઓ ગલત વિચારોમાં વસે છે અને ક્યારેય જરુરી છે તેની પાસે પહોંચતા નથી.

સૂત્ર ૧૨ : જેઓ જરુરી ને જરુરી અને બીનજરુરી ને બીનજરુરી સમજે છે તેઓ સાચા વિચારોમાં વસે છે અને જરુરી છે તેની પાસે પહોંચે છે.

અહીં વિવેકબુદ્ધિ કેટલી આવશ્યક છે તે જણાઈ આવે છે. મનુષ્યને સહુથી મોટી ભેટ કોઈ હોય તો તે વિવેકબુદ્ધીની છે. મોટા ભાગના મનુષ્યો બીનજરુરી બાબતોમાં સમય અને શક્તિ વેડફી નાખતા હોય છે. જે લોકો શું જરુરી છે અને શું બીનજરુરી છે તે જાણે છે તેઓ જરુરી બાબતો પ્રાપ્ત કરે છે અને બીનજરૂરી બાબતોથી અળગા રહે છે.

ભગવદ ગીતામાં ૧૮માં અધ્યાયમાં બુદ્ધિના ત્રણ ભેદ કહ્યાં છે.

શું કરવું શું છોડવું, એને જાણે જે,
બંધ મોક્ષ જાણે વળી બુદ્ધિ સાત્વિક તે.

શું કરવું શું છોડવું, તેમ જ ધર્મ અધર્મ,
રાજસ બુદ્ધિ તેહનો જાણે પૂર્ણ ન મર્મ.

માને ધર્મ અધર્મને અજ્ઞાન થકી જે,
ઉલટું સમજે સર્વનું, બુદ્ધિ તામસ તે.

મનુષ્યે જે કોઈ ઉપાયથી થઈ શકે તે રીતે બુદ્ધિને સાત્વિક બનાવવી જોઈએ. અહીં ફરી અઘરો પ્રશ્ન તો છે કે : બુદ્ધિને સાત્વિક કેવી રીતે બનાવવી? કોઈ મદદ કરશો?

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.