સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે યોગીના તર્પણનું વર્ણન કરે છે:
તર્પણં સ્વસુખેનૈવ સ્વેન્દ્રિયાણાં પ્રતર્પણમ |
મનસા મન આલોક્ય સ્વયમાત્મા પ્રકાશતે || ૧૧ ||
શ્લોકાર્થ: આત્માના આનંદ વડે જ પોતાની ઈંદ્રિયોને સારી રીતે તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. મન વડે મનને જોઈને આત્મા પોતે પ્રકાશે છે.
ટીકા: આત્માના પરમાનંદ સ્વાભાવ વડે જ પોતાની શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોને પરિપૂર્ણ તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. પોતાના પવિત્ર ને એકાગ્ર અંત:કરણ વડે અંત:કરણના અધિષ્ઠાનરૂપ આત્માનો સાક્ષાત્કાર કરીને તેને તે પરમાનંદ વડે પરિતૃપ્ત કરવું તે પણ તર્પણ છે. આ તર્પણ વડે આત્મા પોતે પ્રકાશે છે. ઈંદ્રિયોને તથા અંત:કરણને બહારના વિષયોના સેવનથી કદી પણ તૃપ્તિ થતી નથી, પણ આત્માના આનંદનો અનુભવ થવાથી જ તેમને તૃપ્તિ થાય છે, માટે મુમુક્ષુ યોગીને આ તર્પણ કર્તવ્ય છે.