Posts Tagged With: આજનું ચિંતન

આજનું ચિંતન – મૂલ્યાંકન

મોટાભાગે આપણે અન્ય વ્યક્તિઓનું તેના બાહ્ય દેખાવ, વર્તણુંક, હાવભાવ તથા ચાલ ચલગત પરથી મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. ઈન્ટરનેટ પર અન્ય વ્યક્તિઓને તેના લખાણને આધારે કે તેના ભાવ પ્રતિભાવના આધારે મૂલવતા હોઈએ છીએ. ખરેખર એવું બને કે વ્યક્તિના લખાણો, વિચારો, બાહ્ય દેખાવ, વર્તણુંક કે હાવભાવ કરતાં તે વ્યક્તિ સર્વથા જુદી રીતે જીવતી હોય.

કોઈ પણ વ્યક્તિનું યથાર્થ મૂલ્યાંકન તે કેવી દેખાય છે તેને આધારે નહીં પણ તે કેવી રીતે જીવે છે તેને આધારે થવું જોઈએ.

એક કવિને કે લેખકને તમે વાંચો, સાંભળો અને ખરેખર જીવતા જુઓ તો તેના લખાણ, વાણી અને વ્યવહારમાં ઘણું અંતર હશે. લેખક કે કવિના વિચારો અને તેના જીવનને સર્વથા એકબીજા સાથે સાંકળી ન શકાય.

આત્મકથા જેવા પુસ્તકો હોય તો આપણને લેખકના વિચારો અને જીવનની એકરુપતા મળે. અન્ય લખાણોમાં તો કલ્પનાઓ, આદર્શો, દિવાસ્વપ્નો, આક્રોશ તેમ જાતજાતના ભાવો, વિચારો અને લાગણીઓનો શંભુમેળો હોય કે જે યથાર્થ જીવન સાથે ક્વચિત જ મેળ ખાતો હોય.

કલાકારો, હીરો વગેરનું યે તેવું જ હોય છે. પડદા ઉપર તેઓ જે દૃશ્ય ભજવે છે તેવા ખરેખર વાસ્તવિક જીવનમાં હોતા નથી.

સમાજ પર લખાણો, ફીલ્મો, વિચારો ની ઘણી અસર થતી હોય છે. આપણે તે સમજતા નથી હોતા કે આમાનું મોટાભાગનું વાસ્તવિક રીતે ચરીતાર્થ થાય તેવું હોતું નથી.

જેમણે સ્વનું જીવન ઘડતર કરવું હોય તેણે તો તેવી વ્યક્તિઓના તેવા જીવનચરીત્રો કે આત્મકથા વાંચવી જોઈએ કે જે તેઓ જીવ્યાં હોય તે જ તેમના પુસ્તકોમાં લખાયું હોય.

Categories: ચિંતન | Tags: , | 2 Comments

આજનું ચિંતન – સૃષ્ટિના નિયમો અને માન્યતા

સૃષ્ટિના નિયમો આપણી માન્યતા મુજબ કાર્ય કરતાં નથી. શાણા માણસો સૃષ્ટિના નિયમો પ્રમાણે માન્યતાઓ બદલે છે. અણઘડ અને મુર્ખાઓ પોતાની માન્યતાઓ મુજબ સૃષ્ટિ ચાલે તેવી ઈચ્છા રાખે છે. અન્ય લોકોએ પણ તેમની માન્યતા મુજબની માન્યતા ધરાવવી જોઈએ તેવી બાલીશ અભીલાષા રાખે છે. સાચી હોય કે ખોટી દરેકને પોતાની માન્યતાઓ ધરાવવાનો અબાધિત અધિકાર છે. આવી માન્યતાઓ રજુ કરવા માટેય સહુ કોઈ સ્વતંત્ર છે. અલબત્ત પોતાની માન્યતા અન્યો પર થોપી દેવાનો કોઈને લેશ માત્ર અધિકાર નથી.

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

આજનું ચિંતન – આપણે શું વિચારીએ છીએ?

પશુઓનું જીવન માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુન આટલી બાબતમાં જ પુર્ણ થઈ જાય છે. મનુષ્યનો જન્મ આવા ક્ષુલ્લક હેતુઓ માટે થયો નથી. જે મનુષ્યનું ચિત્તતંત્ર આ ચાર બાબતોથી ઉપર ઉઠીને વધારે ઉન્નત ભાવો વ્યક્ત કરી શકે તે જ મનુષ્ય કહેવરાવવાને લાયક છે.

Categories: ચિંતન | Tags: , , , , , , | Leave a comment

આજનું ચિંતન – ઉપસંહાર

જેનો આરંભ હોય તેનો અંત હોય.

જેનો જન્મ હોય તેનુ મૃત્યુ હોય.

અથ હોય તો ઈતિ યે હોવાનું.

જે અનાદિ હોય, અજન્મા હોય, વિભુ હોય, વ્યાપક હોય તેનો આરંભ કે અંત હોતા નથી તેનું અસ્તિત્વ સર્વદા રહે છે.

આપણો જન્મ થયો તે પહેલા આ સૃષ્ટિ ચાલતી હતી. આપણે અત્યારે આ સૃષ્ટિના વિરાટચક્રમાં એક તુચ્છ જંતુ કરતાં કશુંયે વિશેષ મહત્વ ધરાવતા નથી. આપણે નહીં હોઈએ તોયે આ સૃષ્ટિ ચાલતી રહેવાની છે.

જે ક્ષણે મનુષ્ય પોતાનો શુદ્ર અહમ અસ્તિત્વના મહાસાગરમાં વિલિન કરી શકે તે જ ક્ષણે તે વિશ્વનિયંતા સાથે એકાકાર થઈને ભૂમાને પ્રાપ્ત કરી સર્વ શોક અને મોહને તરી સ્વરુપાનંદમાં સ્થિત થઈ જાય છે.

સહુ કોઈને ભૂમા પ્રાપ્ત થાઓ તેવી શુભેચ્છા.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

આજનું ચિંતન – શૌચાલય

શૌચાલય હોય કે ન હોય કોઈ પણ પ્રાણીને શરીરમાં રહેલ વધારાનો કચરો શરીરની બહાર કાઢ્યાં વગર ન ચાલે. મનુષ્યના મનમાં દ્વેષ, ધૃણા, ઈર્ષા, અસુયા, પક્ષાપક્ષી વગેરે કચરાઓ નીરંતર એકત્રીત થયાં કરતા હોય છે. આપણાં દેશમાં તો જ્યાં સ્થુળ મળને દૂર કરવા માટે અડધો અડધ પ્રજા પાસે શૌચાલય નથી તેવે સમયે આવા માનસીક મળને દૂર કરવા માટેના શૌચાલયો કોણ બનાવશે?

Categories: ચિંતન | Tags: , | Leave a comment

આજનું ચિંતન – કોણે શું કરવું?

કોણે શું કરવું જોઈએ તે નક્કી કરવાને બદલે દરેક વ્યક્તિએ પોતે શું કરવું જોઈએ એટલું નક્કી કરતાં શીખે તો યે ઘણું.

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

આજનું ચિંતન – અધિકાર

સુર્યની ઉર્જાનો શું શું ઉપયોગ થઈ શકે તે હું સમજી લઉ તો તેના ગુણધર્મોનો હું લાભ લઈ શકું પરંતુ શું તેથી સુર્ય પર મારો અધિકાર થઈ જાય?

લીમડામાં ક્યા ક્યા ગુણ છે તે હું જાણી લઉ તો તેના ગુણોનો યોગ્ય ઉપયોગ કરી શકું પણ તેથી શું લીમડા પર મારો અધિકાર થઈ જાય?

ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ કરવાથી શું ગુરુત્વાકર્ષણ બળ ન્યુટન સાથે કોઈ પક્ષપાત કરે ખરું?

ઈશ્વરને કોઈ શોધે કે ન શોધે, કોઈને મળે કે ન મળે પણ તેના પર કોઈનો અધિકાર ન થઈ જાય. તેના નીયમો સર્વને માટે સમાન જ રહે.

જેવી રીતે સાધુ / સંતો / મૌલવીઓ / પાદરીઓ / ધધુપપુઓ વગેરે લોકોને ઈશ્વરે દલાલ તરીકે નીમ્યાં નથી તેવી રીતે પ્રકૃતિએ તેના ગુણધર્મોના શોધકોને તેના દલાલ તરીકે નીમ્યાં નથી. જે લોકો પ્રાકૃતિક તત્વોની પેટન્ટ મેળવીને તેમની પર વિશેષાધિકારનો દાવો કરે છે તે સઘળાં લોકોનો પણ સમગ્ર માનવ જાતના હિતમાં એટલો જ પ્રતિકાર કરવો આવશ્યક છે.

જે રીતે ઈશ્વરના દલાલોએ માનવોને ભયંકર નુકશાન કર્યું છે તેવી રીતે પ્રકૃતિના શોષકો પણ માનવજાત માટે એટલા જ ભયાવહ છે.

Categories: ચિંતન | Tags: , , | 1 Comment

આજનું ચિંતન – ગામને મોઢે ગળણું ન બંધાય

મૃત્યુલોકમાં ૭ અબજ કરતાંયે વધારે માનવીઓ વસે છે. સહુ પોત પોતાની રીતે વિચારે છે અને જે રીતે વર્તવું હોય તે રીતે વર્તવા માટે પોતાની જવાબદારીએ અને જોખમે સ્વતંત્ર હોય છે. આ બધા લોકો શું વિચારે છે અને શું બોલે છે તેને વિશે વિચારવા જઈએ અને તેમાંથી જે યોગ્ય ન લાગે તેનો તેમને જવાબ આપવા જઈએ તો પાગલખાનામાં ભરતી થવું પડે. જેને જેમ વિચારવું હોય તેમ વિચારે અને જેને જેમ બોલવું હોય તેમ બોલે.

આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આપણું જીવન ઘડવું જોઈએ. ગામના મોઢે ગળણું બાંધવા ન જવાય પણ આપણાં કાનમાં શ્રવણ ફિલ્ટર પહેરી લેવાય.


શ્રવણ ફિલ્ટર એટલે શ્રવણની એવી કળા કે સાંભળેલી વાતોમાંથી બીન જરુરી ભાગને કચરાની માફક ગાળીને ફેંકી દેવો.


Categories: ચિંતન | Tags: , , , , , , | Leave a comment

આજનું ચિંતન

નગ્નતા દેખાડવાનો આટલો બધો શોખ હોય તો માત્ર નગ્ન સ્ત્રીઓ જ શા માટે? નગ્ન પુરુષો શા માટે નહીં? કે પછી પુરુષ તો કપડાં પહેર્યા હોય તો યે નાગો જ હોય છે?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , , | Leave a comment

આજનું ચિંતન

પ્રત્યેક પ્રજાને એવા શાસકો જ મળે છે કે જેને માટે તે લાયક હોય.

જેવું ટોળું તેવો નેતા.

જેવી પ્રજા તેવો રાજા.

જેવી શ્રદ્ધા તેવા દેવ.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.