Posts Tagged With: આગંતુક

આજનું ચિંતન – આગંતુક

અર્જીત કરેલી સંપતીનું યોગ્ય રીતે રક્ષણ કરવામાં ન આવે તો તે નષ્ટ થતા વાર નથી લાગતી.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૪)

तं विद्याद् दुःखसंयोगवियोगं योगसञ्ज्ञितम्।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥ ભ.ગી.૬.૨૩ ||

जो दुःखरूप संसार के संयोग से रहित है तथा जिसका नाम योग है, उसको जानना चाहिए। वह योग न उकताए हुए अर्थात धैर्य और उत्साहयुक्त चित्त से निश्चयपूर्वक करना कर्तव्य है॥

જેમાં દુ:ખોના સંયોગનો જ વિયોગ છે, એને ’યોગ’ નામથી જાણવો જોઈએ. તે યોગ જે ધ્યાન-યોગનું લક્ષ્ય છે. તે ધ્યાનયોગનો અભ્યાસ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ.

પ્રાણીમાત્ર સુખ ઈચ્છે છે. સુખની સાથે દુ:ખ એકની સાથે એક મફતની જેમ ચાલ્યું આવે છે. જીવ સુખનો સંયોગ કરવાની સાથે સાથે અનાયાસે જ દુ:ખનો સંયોગ પણ કરી લે છે. સુખ અને દુ:ખ બંનેની અનુભૂતી મનમાં થાય છે. આધુનિક વિજ્ઞાને પ્રયોગો દ્વારા જાણ્યું છે કે અમુક પ્રકારના સ્ત્રાવો ઝરે તો સુખાનુભૂતિ અને અમુક પ્રકારના સ્ત્રાવો ઝરવાથી દુ:ખની અનુભૂતી થાય છે. જો કે સુખ દુ:ખ અનુભવવાને લીધે આ સ્ત્રાવ ઝરે છે કે સ્ત્રાવ ઝરવાને લીધે સુખ દુ:ખ અનુભવાય છે તે તો વિજ્ઞાન જ જાણે. અહીં દુ:ખનો મનની અંદર જ્યાં સંયોગ થાય છે તેને દૂર કરવા અથવા તો દુ:ખની ગ્રંથી જે મનમાં બરાબર ગંઠાઈ ગઈ હોય છે તેને છુટી પાડવા માટે અથવા તો દુ:ખગાંઠનો વિયોગ કરવા માટે આ યોગ છે. ત્રીગુણાત્મક પ્રકૃતિ અને તેના કાર્ય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ અને શરીર સાથે ચૈતન્ય જે સંયોગ કરી લે છે તે સઘળા દુ:ખનું મુળ કારણ છે અને તેને જ અવિદ્યા કહે છે. આ યોગનો નીરંતર, ધૈર્યપૂર્વક અને નિષ્ઠાથી અભ્યાસ કરવાથી ધીરે ધીરે ચૈતન્યનો આ પ્રકૃતિ સાથે માની લીધેલ સંયોગ છુટવા લાગે છે. રોજે રોજ ઉત્સાહથી નીશ્ચયપૂર્વક આ યોગ કરનાર એક દીવસ પછી આ દુ:ખરુપ અવિદ્યા સાથે માની લીધેલા સંયોગથી સંપૂર્ણપણે વિયોગ પામે છે અને ત્યારે ચૈતન્યની બ્રહ્મ સાથે એકતા સિદ્ધ થઈ જાય છે કે જે હંમેશા હોય જ છે અને તે જ આ ધ્યાનયોગનું લક્ષ્ય છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે મુળ કારણ દૂર કર્યા વગર દુ:ખ નીવારવાના જેટલા ઉપાયો કરવામાં આવે તે માત્ર થોડા કાળ પુરતા ઉપયોગી થઈને ફરી પાછા માથું ઉંચકે છે. ભૂખનું દુ:ખ દુર કરવા માટે ભોજન કરવામાં આવે તો ફરી પાછું પેટ ખાલી થતાં ભૂખનું દુ:ખ ઉત્પન્ન થાય છે. કોઈ પણ અભાવરુપી દૂ:ખને પુરુષાર્થ કરીને દૂર કરવામાં આવે તો ફરી પાછો કોઈ બાબતનો અભાવ ઉત્પન્ન થતા દુ:ખ ઉત્પન્ન થશે. આ અભાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે તેને શોધી કાઢવામાં આવે અને સ્વભાવને અભાવ કે પ્રભાવથી મુક્ત રાખતાં શીખીએ તો આઠે પ્રહર આનંદ જ રહે. આ યોગ સાધકને સર્વ પ્રકારના દૂ:ખના સંયોગથી વિયોગ કરાવીને સ્વરુપ સાથે યોગ કરાવવાનું સામર્થ્ય રાખતો હોવાથી દુ:ખનો આત્યંતિક વિયોગ ઈચ્છનારે આ યોગ નીરંતર, ઉત્સાહપૂર્વક ધૈર્ય રાખીને કરવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૧)

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥ ભ.ગી.૬.૨૦ ||

योग के अभ्यास से निरुद्ध चित्त जिस अवस्था में उपराम हो जाता है और जिस अवस्था में परमात्मा के ध्यान से शुद्ध हुई सूक्ष्म बुद्धि द्वारा परमात्मा को साक्षात करता हुआ सच्चिदानन्दघन परमात्मा में ही सन्तुष्ट रहता है॥

યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં સ્વયં પોતે-પોતાથી પોતે-પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે-પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે.

આ શ્લોકની ટીકા શ્રી રામસુખદાસજી પાસેથી જ જાણીએ :

ટીકા – ’યત્રોપરમતે ચિત્તં… પશ્યન્નાત્મનિ તુષ્યતિ’ – ધ્યાનયોગમાં પહેલાં ’મનને કેવળ સ્વરૂપમાં જ જોડવાનું છે’ એ ધારણા કહેવામાં આવે છે. આવી ધારણા થયા પછી સ્વરૂપ સિવાય બીજી કોઈ વૃત્તિ પેદા થઈ પણ જાય, તો તેની ઉપેક્ષા કરીને તેને હઠાવી દેવાથી અને ચિત્તને કેવળ સ્વરૂપમાં જ જોડવાથી જ્યારે મનનો પ્રવાહ કેવળ સ્વરૂપમાં જ લાગી જાય છે, ત્યારે તેને ધ્યાન કહે છે. ધ્યાનને સમયે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – આ ત્રિપુટી રહે છે અર્થાત સાધક ધ્યાનને સમયે પોતાને ધ્યાતા (ધ્યાન કરવાવાળો) માને છે, સ્વરૂપમાં તદ્રૂપ થવાવાળી વૃત્તિને ધ્યાન માને છે અને સાધ્યરૂપ સ્વરૂપને ધ્યેય માને છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આ ત્રણેનું અલગ-અલગ જ્ઞાન રહે છે, ત્યાં સુધી તે ’ધ્યાન’ કહેવાય છે. ધ્યાનમાં ધ્યેયનું પ્રાધાન્ય હોવાને કારણે સાધક પહેલાં પોતાનામાં ધ્યાતાપણું ભૂલી જાય છે. પછી ધ્યાનની વૃત્તિ પણ ભૂલી જાય છે. અંતમાં કેવળ ધ્યેય જ જાગ્રત રહે છે એને ’સમાધિ’ કહે છે. આ ’સંપ્રજ્ઞાત-સમાધિ’ થાય છે. આ બેઉ સમાધિઓમાં ભેદ એ છે કે જ્યાં સુધી ધ્યેય, ધ્યેયનું નામ અને નામ-નામીનો સંબંધ – આ ત્રણે ચીજો રહે છે, ત્યાં સુધી તે ’સંપ્રજ્ઞાત સમાધિ’ હોય છે. આને જ ચિત્તની ’એકાગ્ર’ અવસ્થા કહે છે. પરંતુ જ્યારે નામની સ્મૃતિ ન રહીને કેવળ નામી (ધ્યેય) રહી જાય છે, ત્યારે તે ’અસંપ્રજ્ઞાત સમાધિ’ હોય છે. આને જ ચિત્તની ’નિરુદ્ધ’ અવસ્થા કહે છે.

નિરુદ્ધ અવસ્થાની સમાધિ બે પ્રકારની હોય છે – સબીજ અને નિર્બીજ. જેમાં સંસારની સૂક્ષ્મ વાસના રહે છે, તે ’સબીજ સમાધિ’ કહેવાય છે. સૂક્ષ્મ વાસનાને કારણે સબીજ સમાધિમાં સિદ્ધિઓ પ્રગટ થઈ જાય છે. એ સિદ્ધિઓ સાંસારિક દૃષ્ટિએ તો ઐશ્વર્ય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ (ચેતનતત્વની પ્રાપ્તિમાં) વિઘ્નો છે. ધ્યાનયોગી જ્યારે એ સિદ્ધિઓને નિસ્તત્વ સમજીને તેમનાથી ઉપરામ થઈ જાય છે, ત્યારે તેની ’નિર્બીજ સમાધિ’ થાય છે, જેનો અહીં (આ શ્લોકમાં) ’નિરુદ્ધમ’ પદથી સંકેત કરવામાં આવ્યો છે.

ધ્યાનમાં સંસારના સંબંધથી વિમુખ થતાં એક અદ્વિતીય શાંતિ અને સુખ મળે છે, કે જે સંસારનો સંબંધ રહેતાં કદી નથી મળતું. સંપ્રજ્ઞાત-સમાધિમાં તેનાથી પણ વિલક્ષણ સુખનો અનુભવ થાય છે. આ સંપ્રજ્ઞાત-સમાધિથી પણ અસંપ્રજ્ઞાત-સમાધિમાં વિલક્ષણ સુખ મળે છે. જ્યારે સાધક નિર્બીજ સમાધિમાં પહોંચે છે, ત્યારે તેમાં બહુ જ વિલક્ષણ સુખ કે આનંદની પ્રાપ્તિ છે. યોગનો અભ્યાસ કરતાં-કરતાં ચિત્ત નિરુદ્ધ-અવસ્થા નિર્બીજ સમાધિથી પણ ઉપરામ થઈ જાય છે અર્થાત યોગી, એ નિર્બીજ સમાધિનું પણ સુખ નથી લેતો કે તેના સુખનો ભોક્તા નથી બનતો. તે સમયે તે પોતાના સ્વરૂપમાં પોતાની જાતનો અનુભવ કરતો રહીને પોતાની જાતમાં સંતુષ્ટ થાય છે.

’ઉપરમતે’ પદનું તાત્પર્ય એ છે કે ચિત્તનું સંસાર સાથે તો પ્રયોજન રહ્યું નહિ અને સ્વરૂપને પકડી શકતું નથી. કારણ કે ચિત્ત પ્રકૃતિનું કાર્ય હોવાથી જડ છે અને સ્વરૂપ ચેતન છે. જડ ચિત્ત ચેતન સ્વરૂપને કેવી રીતે પકડી શકે? નથી પકડી શકતું. એટલા માટે તે ઉપરામ થઈ જાય છે. ચિત્ત ઉપરામ થતાં યોગીનો ચિત્ત સાથે સર્વથા સંબંધ-વિચ્છેદ થઈ જાય છે.

’તુષ્યતિ’ કહેવાનું તાત્પર્ય એ છે કે તેના સંતોષનું બીજું કોઈ કિંચિતમાત્ર પણ કારણ નથી રહેતું. કેવળ પોતાનું સ્વરૂપ જ તેના સંતોષનું કારણ રહે છે.

આ શ્લોકનો સાર એ છે કે પોતાના દ્વારા પોતાનામાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે. તે તત્વ પોતાની અંદર જેવું છે તેવું છે. કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે ચિત્તની વૃત્તિઓ સંસારમાં લાગે છે, જેથી એ તત્વની અનુભૂતિ નથી થતી. જ્યારે ધ્યાનયોગ દ્વારા ચિત્ત સંસારથી ઉપરામ થઈ જાય છે, ત્યારે યોગીનો ચિત્તથી તથા સંસારથી સર્વથા સંબંધ-વિચ્છેદ થઈ જાય છે. સંસારથી સર્વથા સંબંધ-વિચ્છેદ થતાં જ તેને પોતાની જાતમાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે.

વિશેષ વાત: જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી થાય છે તે જ તત્વની પ્રાપ્તિ કર્મયોગથી થાય છે. પરંતુ આ બે સાધનોમાં થોડું અંતર છે. ધ્યાનયોગમાં જ્યારે સાધક્નું ચિત્ત સમાધિના સુખથી પણ ઉપરામ થઈ જાય છે, ત્યારે તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થઈ જાય છે. કર્મયોગમાં જ્યારે સાધક મનમાં રહેલી સઘળી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દે છે, ત્યારે તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થાય છે (ગીતા ૨/૫૫)

ધ્યાનયોગમાં પોતાના સ્વરૂપમાં મન લાગવાથી જ્યારે મન સ્વરૂપમાં તદાકાર થઈ જાય છે, ત્યારે સમાધિ લાગે છે. તે સમાધિથી પણ જ્યારે મન ઉપરામ થઈ જાય છે, ત્યારે યોગીનો ચિત્ત સાથે સંબંધ-વિચ્છેદ થઈ જાય છે અને તે પોતાની જાતમાં સંતુષ્ટ થઈ જાય છે.

કર્મયોગમાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર વગેરે પદાર્થોનો અને સઘળી ક્રિયાઓનો પ્રવાહ કેવળ બીજાઓના હિતની તરફ થઈ જાય છે, ત્યારે મનમાં રહેલી સઘળી કામનાઓ છૂટી જાય છે. કામનાઓનો ત્યાગ થતાં જ મનથી સંબંધ-વિચ્છેદ થઈ જાય છે અને તે આપોઆપ સંતુષ્ટ થઈ જાય છે.

પરિશિષ્ટ ભાવ : મન આત્મામાં લાગતું નથી, બલ્કે ઉપરામ થઈ જાય છે. કારણ કે મનની જાતિ અલગ છે અને આત્માની જાતિ અલગ છે. મન અપરા પ્રકૃતિ (જડ) છે અને આત્મા પરા પ્રકૃતિ (ચેતન) છે. તેથી આત્મા જ આત્મા સાથે જોડાય છે – ’આત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ.’

પોતે-પોતાનામાં પોતે-પોતાને જોવો એનું તાત્પર્ય છે કે આત્મતત્વ પરસંવેદ્ય (બીજાથી જાણી શકાય તેવો) નથી બલ્કે સ્વસંવેદ્ય છે. મનથી જે ચિંતન કરવામાં આવે છે, તે મનના વિષય (અનાત્મા)નું જ ચિંતન થાય છે, પરમાત્માનું નહીં. બુદ્ધિથી જે નિશ્ચય કરવામાં આવે છે, તે બુદ્ધિના વિષયનો જ નિશ્ચય હોય છે, પરમાત્માનો નહીં. વાણીથી જે વર્ણન કરવામં આવે છે, તે વાણીના વિષયનું જ વર્ણન થાય છે, પરમાત્માનું નહીં. તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, વાણીથી પ્રકૃતિનાં કાર્ય (અનાત્મા)નું જ ચિંતન, નિશ્ચય અને વર્ણન કરવામાં આવે છે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ મન-બુદ્ધિ-વાણીથી સર્વથા વિમુખ (સંબંધ-વિચ્છેદ) થવાથી જ થાય છે.

અહીં જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી બતાવવામાં આવી છે, તે જ તત્વની પ્રાપ્તિ બીજા અધ્યાયના પંચાવનના શ્લોકમાં કર્મયોગથી પણ બતાવવામાં આવી છે. ફરક માત્ર એટલો જ છે કે ધ્યાનયોગ કરણ-સાપેક્ષ છે, પરંતુ કર્મયોગ કરણ-નિરપેક્ષ સાધન છે. કરણ-સાપેક્ષ સાધનમાં જડતાથી સંબંધ-વિચ્છેદ થતાં વાર લાગે છે અને એમાં યોગભ્રષ્ટ થવાની સંભાવના રહે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૦)

यथा दीपो निवातस्थो नेंगते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥ ભ.ગી.૬.૧૯ ||

भावार्थ : जिस प्रकार वायुरहित स्थान में स्थित दीपक चलायमान नहीं होता, वैसी ही उपमा परमात्मा के ध्यान में लगे हुए योगी के जीते हुए चित्त की कही गई है॥

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, યોગનો અભ્યાસ કરતાં વશ કરેલા ચિત્તવાળા યોગીના ચિત્તની એવી જ ઉપમા કહેવાઈ છે.

વશ કરેલ યોગીનું ચિત્ત કેવું હોય છે તે અહીં હવા વિનાના સ્થાનમાં રહેલ દીવાની જ્યોતના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે.

દીવાની જ્યોત પ્રકાશ રેલાવવાનું કાર્ય કરે છે. જ્યારે હવા આવતી હોય ત્યારે દીવાની જ્યોત હાલક ડોલક થતી હોય છે તેથી તે સમયે રેલાતો પ્રકાશ પણ હાલક ડોલક થતો હોય છે. વધારે હવા આવે તો દીવાની જ્યોત બુઝાઈ પણ જતી હોય છે. યોગીનું ચિત્ત હવા વગરના સ્થાનમાં રહેલ દીવાની જ્યોત જેવું હોય છે. કર્મયોગીનું ચિત્ત થોડી હવા આવતી હોય તેવી દીવાની જ્યોત જેવું હોય છે. સંસારીઓનું ચિત્ત હવાથી હાલક ડોલક થતી દીવાની જ્યોત જેવું હોય છે. અને મૂઢ લોકોનું ચિત્ત હવાના જોરદાર પ્રહારથી લગભગ બુઝાઈ ગયેલી દીવાની જ્યોત જેવું હોય છે.

દરેકના ચિત્તમાં ચૈતન્ય તો પરમાત્માનું છે. મૂઢ, સંસારી, કર્મયોગીઓ તે ચૈતન્યનો ઉપયોગ બાહ્ય બાબતોને પ્રકાશવા માટે કરે છે. યોગીનું ચિત્ત તે ચૈતન્યનો ઉપયોગ મહાચૈતન્ય અથવા તો પરમાત્માને પામવા માટે કરે છે. અયોગીના ચિત્ત જ્યારે વિષયોરુપી હવાથી હાલક ડોલક થઈને અસ્થીર રહે છે તેવે સમયે યોગીનું ચિત્ત વિષયરહિત રહીને સ્થિર રહે છે.

કોઈએ કહ્યું છે કે :
જો તિલમાંહી તેલ હૈ, જો ચકમકમે આગ;
તેરા સાંઈ તુજમે હૈ, ઝાંક સકે તો ઝાંક.

તેવી રીતે સર્વના ચિત્તમાં ચૈતન્ય તે પરમાત્માનું છે. યોગી તેને અનુભવે છે જ્યારે સામાન્યજન પ્રયાસ કર્યા વગર જ પોતાને સત્તા કોણ આપે છે તે જાણ્યાં વગર જ તે સત્તાનો ઈન્કાર કરીને વિષયોરુપી હવાનો આશ્રય લઈને થોડો વખત આમ તેમ હાલીને છેવટે તે હવાના પ્રહારથી જ બુઝાઈ જાય છે. દિવોતો બધાનો પ્રગટેલો જ છે. યોગી માત્ર હવારુપી વિષયોથી ચિત્તને રક્ષીને તે પરમતત્વ સાથે એકાકાર થઈ જાય છે જ્યારે સામાન્યજનો હવારુપી વિષયોથી સ્વને રક્ષી શકતાં નથી અને ઘણાં તો તે રક્ષવાનું આવશ્યક છે તે ય જાણ્યા વગર હવા સાથે હાલક ડોલક થવું તેને જ જીવનનું તારતમ્ય માનતા હોય છે.

જેવી રીતે ગંગાસતીએ સાધકના ચિત્તની અડગતા દર્શાવવા પદ રચ્યું છે કે :
મેરુ તો ડગે પણ જેના મનનો ડગે રે પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે . . .

તેવું અડગતાનું દૃષ્ટાંત આપવાને બદલે યોગીના અને અન્યના ચિત્તની વચ્ચે કેવો તફાવત હોય છે તે દર્શાવવા હવા વગરના સ્થાનમાં રહેલા દીવાની જ્યોતનું દૃષ્ટાંત આપ્યું છે. દિવાની જ્યોત તૈલધારાવત ચાલતી હોય છે. તેવી રીતે યોગીના ચિત્તમાંયે સતત ચિંતન ચાલતું હોય છે તેમાં સહેજ પણ વિષયનું ચિંતન ન રહેતા માત્ર ને માત્ર પરમાત્માનું એકધારુ ચિંતન હોય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૯)

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥ ભ.ગી.૬.૧૮ ||

अत्यन्त वश में किया हुआ चित्त जिस काल में परमात्मा में ही भलीभाँति स्थित हो जाता है, उस काल में सम्पूर्ण भोगों से स्पृहारहित पुरुष योगयुक्त है, ऐसा कहा जाता है॥

વશમાં કરેલું ચિત્ત જે વખતે પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે અને સ્વયં સમસ્ત પદાર્થોથી નિ:સ્પૃહ થઈ જાય છે તે વખતે તે યોગી છે એમ કહેવાય છે.

વિનિયતં ચિત્તમ : વશમાં કરેલું ચિત્ત. ચિત્તની પાંચ અવસ્થા છે. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ.

મૂઢ અવસ્થા: આ અવસ્થામાં નિદ્રા, તંદ્રા, ભય, મોહ, આળસ અને દિનતા અનુભવે છે. આ અવસ્થામાં તમસ ગુણ પ્રધાન હોય છે. નિમ્ન કે અધમ કક્ષાના મનુષ્યોના ચિત્તની આવી અવસ્થા હોય છે.

ક્ષિપ્ત અવસ્થા: આ અવસ્થામાં ચિત્ત ધર્મ-અધર્મ, રાગ-વૈરાગ્ય, જ્ઞાન-અજ્ઞાન વચ્ચે જોલા ખાધા કરે છે. આ અવસ્થામાં રજોગુણ પ્રધાન હોય છે. વ્યક્તિ રાગ-દ્વેષના દ્વંદ્વોમાં ફસાયેલી રહે છે. સામાન્ય સંસારી મનુષ્યોના ચિત્તની આવી અવસ્થા હોય છે.

વિક્ષિપ્ત અવસ્થા: આ અવસ્થામાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મમાં ચિત્ત સ્થિત થાય છે. ચહેરા પર પ્રસન્નતા, ક્ષમા, ધૈર્ય, શ્રદ્ધા, દાન, દયા અને ઓજસ્વીતા જોવા મળે છે. આ અવસ્થામાં ચિત્ત સત્વગુણ પ્રધાન હોય છે પણ સાથે સાથે થોડો રજોગુણ પણ રહેતો હોવાથી ચિત્ત વિક્ષિપ્તતા અનુભવે છે. કર્મયોગીનું ચિત્ત વિક્ષિપ્ત પ્રકારનું હોય છે. તે અદ્યાત્મ માર્ગનો જિજ્ઞાસુ હોય છે અને પરમ પદને પંથે પ્રયાણ કરવાની ઈચ્છાવાળો હોય છે.

એકાગ્ર અવસ્થા: આ અવસ્થામાં તમોગુણ અને રજોગુણની નિવૃત્તિ થઈને સત્વગુણ પ્રધાન બને છે. ચિત્ત સ્ફટીકમણી જેવું નિર્મળ અને શુદ્ધ બની જાય છે. આ અવસ્થામાં પૂર્વના રજોગુણ તથા તમોગુણના સંસ્કારોની ઝલક ક્યારેક જોવા મળે છે પણ તે તેમને કશી અસર ઉપજાવી શકતાં નથી. આવી અવસ્થા યોગીઓની હોય છે. ચિત્તની આવી અવસ્થાને સંપ્રજ્ઞાત યોગ અથવા સંપ્રજ્ઞાત સમાધિ કહે છે.

નિરુદ્ધ અવસ્થા: એકાગ્ર અવસ્થામાં સાધકને ચિત્ત અને આત્માના ભેદનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. યોગીની આ સ્થિતિને વિવેકખ્યાતિ કહે છે. જો કે એકાગ્ર અવસ્થા પણ ત્રિગુણનું પરીણામ હોવાથી આ અવસ્થા પણ યોગીને સુખ-દુ:ખ રુપ લાગે છે અને તે એકાગ્ર અવસ્થામાંથીયે આગળ જવા ઈચ્છે છે. એકાગ્ર અવસ્થાથીયે આગળ વધીને સત્વગુણનોયે ત્યાગ કરીને ચિત્ત જ્યારે માત્ર આત્માનો જ અનુભવ કરે છે ત્યારે તેની નિરુદ્ધ અવસ્થા થઈ જાય છે. આ અવસ્થામાં યોગી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ તે પાંચેય ક્લેશોથી મુક્ત થઈ જાય છે. અહીં જ્ઞાનાગ્નિથી કર્માશયના બીજ પણ બળીને નષ્ટ થઈ જાય છે. આ અવસ્થાને અસંપ્રજ્ઞાતયોગ , અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્બિજ સમાધિ કહે છે.

આત્મન્યેવાવતિષ્ઠતે : આમ સારી રીતે વશમાં કરેલું ચિત્ત આત્મામાં સ્થિત થઈ જાય છે.

સર્વકામેભ્ય: નિ:સ્પૃહ: જ્યાં સુધી રજોગુણ, તમોગુણ છે ત્યાં સુધી વિષયોની કામનાઓ અને પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની ભાવના રહે છે. શુદ્ધ સાત્વિક ચિત્ત કામનાઓથી રહિત થઈ જાય છે. આત્મામાં સ્થિત રહેનારને સ્વરુપનો જ એટલો આનંદ રહે છે કે પછી પદાર્થોનો ક્ષુલ્લક આનંદ તુચ્છ બની જાય છે. પછી તેને પદાર્થો દ્વારા સુખ મેળવવાની કશી કામના રહેતી નથી.

આમ જ્યારે સાધકનું ચિત્ત સારી રીતે વશ થઈને આત્મામાં સ્થિત થઈ જાય છે તથા સમસ્ત પદાર્થો પ્રત્યે સ્પૃહા રહિત થઈ જાય છે ત્યારે તે યોગી છે એમ કહેવાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૮)

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ ભ.ગી.૬.૧૭ ||

दुःखों का नाश करने वाला योग तो यथायोग्य आहार-विहार करने वाले का, कर्मों में यथायोग्य चेष्टा करने वाले का और यथायोग्य सोने तथा जागने वाले का ही सिद्ध होता है ॥17॥

દુ:ખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે.

યુક્તાહારવિહારસ્ય: આયુર્વેદમાં કહ્યું છે કે આહાર તે જ ઔષધ. ભોજન સત્ય અને ન્યાયપૂર્વક કમાયેલા ધનનું, સાત્વિક હોવું જોઈએ. અપવિત્ર ન હોવું જોઈએ. સ્વાદબુદ્ધિથી કે પુષ્ટબુદ્ધિથી નહીં પણ સાધનબુદ્ધિથી કરવું જોઈએ. આયુર્વેદની દૃષ્ટિથી સુગમતાથી પચી શકે તેવું હોવું જોઈએ. ભોજન શરીરને અનુકૂળ, હળવું, સુપાચ્ય અને જેટલી ભૂખ હોય તેના કરતાં થોડું ઓછું હોવું જોઈએ. વળી તે યોગ્ય સમયે લેવાવું જોઈએ. આવું ભોજન કરવાવાળો જ યુક્તાહારી છે.

વિહાર પણ યથાયોગ્ય હોવો જોઈએ. વધારે કે ઓછું નહીં પણ પ્રમાણસર હરવા ફરવાનું હોવુ જોઈએ, સ્વાસ્થ્યને હિતકારી હોય તેવો વિહાર હોવો જોઈએ. વ્યાયામ, આસનો, પ્રાણાયામ પણ પ્રમાણસર હોવા જોઈએ.

યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ: પોતાની પ્રકૃતિ અને કર્તવ્યો અનુસાર સ્થળ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે શરીર-નિર્વાહ તથા કુટુંબીઓની અને સમાજની હિતબુદ્ધિથી સેવા કરવાના ભાવથી કર્મો કરવા જોઈએ. આવેલ કર્તવ્યો પ્રસન્નતાપૂર્વક કરનાર યુક્તચેષ્ટ છે.

યુક્તસ્વપ્નાવબોધસ્ય : શરીરને પુરતો આરામ મળી રહે અને જાગ્રત અવસ્થાના કાર્યો પ્રસન્નતાપૂર્વક સ્ફુર્તીથી કરી શકાય તેટલી માત્રામાં ઊંઘ હોવી જોઈએ. વધુ પડતી ઊંઘ કે વધુ પડતું જાગરણ ન હોવું જોઈએ.

યોગો ભવતિ દુ:ખહા: આવી રીતે જે યોગ્યમાત્રામાં ખાય છે, વિહાર કરે છે, જાગે છે અને ઊંઘે છે તેવા સાધકને માટે યોગ દુ:ખને હરનાર બને છે.

પ્રત્યેક મનુષ્યને દિવસમાં ૨૪ કલાક મળે છે. સાધક તેને ચાર વિભાગમાં વહેંચી શકે.

૧. આહાર-વિહાર
૨. જીવનનિર્વાહ માટેનો પુરુષાર્થ
૩. ઊંઘ
૪. સાધન, ભજન અને ધ્યાન

કહેવાય છે કે ઊંઘ અને આહાર જેટલા વધારીએ તેટલા વધે અને ઘટાડીએ તેટલા ઘટે. યોગી થવા ઈચ્છનારે ઊંઘ અને આહાર ના સમયમાં ઘટાડો કરીને જીવનનિર્વાહના પુરુષાર્થ તથા સાધન ભજનનો સમય વધારવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૭)

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥

हे अर्जुन! यह योग न तो बहुत खाने वाले का, न बिलकुल न खाने वाले का, न बहुत शयन करने के स्वभाव वाले का और न सदा जागने वाले का ही सिद्ध होता है॥ ભ.ગી.૬.૧૬ ॥

હે અર્જુન ! આ યોગ ન તો ખૂબ ખાનારનો અને ન બિલકુલ ખાનારનો તથા ન ઘણું ઊંઘનારનો અને ન સતત જાગનારનો જ સિદ્ધ થાય છે.

અધિક ખાવાથી પેટ ભારે થઈ જાય. કાયમ વધારે ખાનારની ચરબી વધી જાય અને અદોદળા થઈ જાય. તેવા લોકોને ધ્યાનમાં બેસવું કઠીન થઈ પડે.

બિલકુલ ન ખાય તો શરીરની શક્તિ ઘટી જાય. નબળા શરીરવાળાથી સાંસારીક કાર્યોયે સરખાં ન થાય તો ધ્યાનમાં પણ બેસવું દૂષ્કર બને.

વધુ પડતા ઉંઘ્યા કરનાર આળસ, પ્રમાદ અને જડતાથી ઘેરાઈ જઈને ધ્યાનનો યોગ્ય અભ્યાસ કરી શકતા નથી.

સતત જાગનારા પણ શરીરના અવયવોને પુરતો આરામ ન મળ્યો હોવાથી ધ્યાનનો યોગ્ય અભ્યાસ કરી શકતાં નથી.

ભગવાન બુદ્ધે સાધનાકાળે ખોરાક લેવાનું છોડી દીધું અને સતત પરમતત્વની આરાધનામાં લાગી રહેતા પણ તેમને પરમતત્વની ઝાંખી ન થઈ. જ્યારે ભોળા ગ્રામ્યજનોએ આપેલો થોડોક ખોરાક ગ્રહણ કર્યો ત્યાર બાદ ધ્યાનમાં તેમને પરમ તત્વની અનુભૂતી થઈ. ઉપદેશકાળે તેમણે લોકોને મધ્યમ માર્ગનો ઉપદેશ કરેલો અને કહેલું કે “વીણાના તાર એટલા ન ખેંચો કે તે તુટી જાય અને વીણાના તાર એટલા ઢીલા ન રાખો કે તેમાંથી સંગીત જ ન નીકળે.”

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૬)

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥ ભ.ગી.૬.૧૫ ||

वश में किए हुए मनवाला योगी इस प्रकार आत्मा को निरंतर मुझ परमेश्वर के स्वरूप में लगाता हुआ मुझमें रहने वाली परमानन्द की पराकाष्ठारूप शान्ति को प्राप्त होता है ॥

વશ કરેલા મનનો યોગી મનને આ રીતે નિરંતર પરમાત્મામાં જોડીને મારામાં સમ્યક સ્થિતિવાળી જે નિર્વાણ પરમા શાન્તિ છે, તેને પ્રાપ્ત થઈ જાય છે.

યોગી નિયતમાનસ: – જેનો મન ઉપર અધિકાર છે, તે નિયતમાનસ છે. સાધક નિયતમાનસ ત્યારે થઈ શકે છે, જ્યારે તેના ઉદ્દેશ્યમાં કેવળ પરમાત્મા જ રહે છે.

કબીરજી કહે છે કે:
ચીંટી ચાવલ લે ચલી, બીચમેં મીલ ગઈ દાલ;
કહત કબીર દોઉ ના મીલે, એક લે દૂજી ડાલ.

કબીરજી વ્યવહારીક દૃષ્ટાંતો દ્વારા આધ્યાત્મિક બોધ બહુ સરળતાથી આપી દેનારા ઓલીયા છે. કહે છે કે એક કીડી ચોખાનો દાણો લઈને જતી હતી ત્યાં તેને રસ્તામાં દાળનો દાણો દેખાયો. તેથી તેને થયું કે લાવને આ દાળનો દાણોયે લેતી જાઉ. જેવો દાળનો દાણો લેવા જાય તો ચોખાનો દાણો પડી જાય. જેવો ચોખાનો દાણો લેવા જાય તેવો દાળનો દાણો પડી જાય. કબીરજી આ જોઈને હસી પડ્યાં અને તેમને દોહરો સુઝ્યો હશે કે બંને એક સાથે ન મળે કાં તો ચોખા લે અને કાં તો દાળ લે.

શરુઆતના સાધકનુંયે આવું જ છે ને? ઘડીક તેનું મન સંસારના વિષયોમાં રમણ કરે છે અને ઘડીક તેનું મન પરમાત્માનું ધ્યાન કરે છે. કબીરજી જેવા પરમતત્વને પામનાર કહે છે કે મન એક છે તો બંને બાબત પર એકસાથે કેવી રીતે ચિંતન થશે? કાં તો પરમાત્માનું ચિંતન કર અને કાં તો સંસારમાં પુરુષાર્થ કર.

જેમનું મન નિયતમાનસ નથી તેનું મન ધ્યાન કરતી વખતે સંસારનું ચિંતન ક્યારે કરવા લાગે છે તે ખ્યાલ રહેતો નથી. તેવા સાધકે જેવો ખ્યાલ આવે કે મન ધ્યાન વખતે સાંસારીક બાબત ચિંતવવા લાગ્યું છે તો તરત સાવધાન થઈને ફરી મનને કાબુમાં લઈને પરમાત્મામાં જોડવું જોઈએ.

યુગ્જનૈવં આત્માનમ: નો અર્થ છે કે મન જેવું સંસારનું ચિંતન શરુ કરે તો ફરી પાછું તેને પરમાત્મામાં જોડવું જોઈએ.

સદા એટલે રોજ નીયમીત રીતે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ.

શાંતિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ : શાંતિ બે પ્રકારની હોય છે – શાંતિ અને પરમશાંતિ. સંસારના વિષયોના ચિંતનના ત્યાગથી શાંતિ થાય છે અને પરમાત્મતત્વની પ્રાપ્તિ થતાં પરમશાંતિ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૫)

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥

ब्रह्मचारी के व्रत में स्थित, भयरहित तथा भलीभाँति शांत अन्तःकरण वाला सावधान योगी मन को रोककर मुझमें चित्तवाला और मेरे परायण होकर स्थित होए॥ ભ.ગી.૬.૧૪॥

સમ્યક રીતે શાંત અન્ત:કરણનો, નિર્ભય તથા જે બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત છે એવો સાવધાન ધ્યાનયોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે.

રાગદ્વેષથી જેનું અંત:કરણ મુક્ત છે તે પ્રશાન્તાત્મા છે. જેનું ચિત્ત પરમાત્મામાં લાગેલું છે તેનું મન સંસારની રીદ્ધિ સિદ્ધિથી ઉપરામ થઈ ગયું હોય છે. સંસારથી સંબધિત રહેવાને લીધે જ રાગ દ્વેષ, હર્ષ શોક, માન અપમાન વગેરે દ્વંદ્વો અનુભવાય છે. પરમાત્માં સાથે ચિત્ત જોડાતા આપો આપ મન શાંત થઈ જાય છે.

વિગતભી: એટલે નિર્ભય. ભય શેને લીધે થાય છે? શરીરમાં હું પણું કરવાથી અને શરીર સાથે સંબંધિત પ્રાણી પદાર્થોમાં મારાપણું કરવાથી જ્યારે જ્યારે શરીર કે શરીરને અનુકુળ પ્રાણી પદાર્થોની હાની થાય ત્યારે ભય થાય છે. પ્રાણીમાત્રને સહુથી મોટો ભય મૃત્યુનો હોય છે. યોગી કે જે પોતાને પરમાત્માના અંશરુપ આત્મા સમજે છે તેનું શરીર સાથે તાદાત્મ્ય છુટી ગયું હોય છે તેથી તે સર્વદા ભયમુક્ત રહે છે.

સીકંદર જ્યારે દુનિયા જીતવા નીકળ્યો ત્યારે તેનો ડંડામીસ સાથેનો સંવાદ ઘણો અદભુત છે. ડંડામીસનું શરીર સાથેનું તાદાત્મ્ય છુટી ગયું હતું અને તે અનંત સાથે એકતાર થયેલા મહાપુરુષ હતા તેથી સીકંદર જેવો રાજવી પણ તેને લેશમાત્ર ભય ઉપજાવી શક્યો નહીં.

બ્રહ્મચારિવ્રતે સ્થિત: – જેનું ચિત્ત સદૈવ બ્રહ્મમાં ચરે છે તે બ્રહ્મચારી છે. ત્રિગુણાત્મક પ્રકૃતિને સદૈવ સત્તા સમર્થ્ય આપનાર બ્રહ્મમાં જેનું ચિત્ત વિચર્યા કરતું હોય તે જ સાચો બ્રહ્મચારી છે. જેમ શહેનશાહને મન તુચ્છ વસ્તુની મહતા હોતી નથી તેમ બ્રહ્મમાં વિચરણ કરનારને સંસારના તુચ્છ ભોગો અને ઈન્દ્રિયોના ક્ષુલ્લક વિષયોમાં આસક્તિ નથી હોતી.

મન: સંયમ્ય મચ્ચિત: – પરમાત્મામાં ચિત્ત રાખવું. જો સંસારમાં ચિત્ત હશે તો સંસારનું ચિંતન થશે અને તો ધ્યાનમાં બેસે ત્યારે પણ સંસારની પળોજણના જ વિચારો આવશે પણ પરમાત્મામાં ચિત્તને જોડ્યું હશે તો મન શાંત થઈ ને સહજ ધ્યાનાવસ્થા તરફ ગતી કરશે.

યુક્ત: – મન હંમેશા પરમાત્મામાં જ લાગેલું રહે અને સંસાર તરફ ન જાય તે માટે જાગ્રત રહેનાર.

આસીત મત્પર: – કેવળ ભગવત્પરાયણ થઈને બેસવું અર્થાત ઉદ્દેશ્ય, લક્ષ્ય કે ધ્યેય કેવળ ભગવાનનું જ રહે. ભગવાનના સિવાય કોઈ પણ સાંસારિક વાસના, આસક્તિ, કામના, સ્પૃહા, મમતા ન રહે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | 1 Comment

ધ્યાનના પ્રયોગો (૧૪)

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्‌ ॥ ભ.ગી.૬.૧૩ ||

काया, सिर और गले को समान एवं अचल धारण करके और स्थिर होकर, अपनी नासिका के अग्रभाग पर दृष्टि जमाकर, अन्य दिशाओं को न देखता हुआ ॥

કાયા, મસ્તક અને ડોકને સીધાં અચળ રાખીને અને અન્ય દિશાઓમાં ન જોતો પોતાની નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને સ્થિર થઈ બેસે.

ધ્યાન દરમ્યાન શરીર કેવી રીતે રાખવું તથા ચિત્તવૃત્તિ તથા દૃષ્ટિ ક્યાં રાખવી તે સારી રીતે સમજાવ્યું છે. ભગવદગીતામાં કોઈ આસન સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન તેવા નામ નથી આપ્યાં પણ તેવું આસન હોવું જોઈએ કે જેમાં ધડ, ડોક અને માથું સીધાં રહે. શરીર આગળ, પાછળ કે આજુ બાજુ ક્યાંય જુકેલું ન હોવું જોઈએ. શરીર આગળ જુકે તો નિદ્રા આવે અને પાછળ જુકે તો જડતા આવે. આજુબાજુમાં જુકે તો ચંચળતા આવે તેથી તે સહેજ પણ જુકેલું ન રહે પણ સીધું ટટ્ટાર રહે તેમ રાખવું જોઈએ.

શરીરને સ્થીર રાખ્યાં પછી દશે દિશાઓમાં ક્યાંય ન જોતા નાસીકાગ્ર તરફ દૃષ્ટી રાખવી. નાસીકાગ્રે દૃષ્ટી રાખવાનું તારત્મય તે છે કે આંખો અર્ધનિમીલિત રાખવી. આંખોને અર્ધ મીંચેલી રાખવાનું કહેવા પાછળનો હેતુ તે છે કે જો આંખો ખુલ્લી હશે તો બહારના દૃશ્યો દેખાશે જે ધ્યાનમાં વિક્ષેપ કરશે અને આંખો બંધ રાખવાથી નિદ્રા આવવાની શક્યતા રહે છે.

આવી રીતે આસન પર બેસીને જેટલો વધુ સમય બેસી શકાય તેટલો સમય ધ્યાન કરવું જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ આસનમાં ત્રણ કલાક બેસવાથી તે આસન સિદ્ધ થઈ જાય છે. તેથી સાધકે ત્રણ કલાક સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ.

નોંધ: ધ્યાન બને તો બ્રાહ્મમુહુર્તમાં કરવું જોઈએ જેથી મોબાઈલ ફોન, આગંતુકોની ડોરબેલ કે અન્ય કોઈ સાંસારીક બાબતોથી વિક્ષેપ ન થાય. ધ્યાનમાં બેસતી વખતે ચિત્ત પ્રસન્ન હોય તો તે વિશેષ યોગ્યતા જાણવી.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.