Posts Tagged With: અવતરણ

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૨. નારાયણ હેમચંદ્ર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નેશનલ ઈન્ડિયન એસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો.

તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.

નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઈ કે કોલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે ફૂમતાંવાળી ઊનની ગૂંથેલી ટોપી હતી. તેમણે લાંબી દાઢી રાખી હતી. કદ એકવડિયું ઠીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડાઘ હતા. ચહેરો ગોળ. નાક નહીં અણીદાર, નહીં ચીબું. દાઢી ઉપર હાથ ફર્યા કરે. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.

‘આપનું નામ મેં બહુ સાંભળ્યું છે. આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?’

નારાયણ હેમચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યો:

‘તમે ક્યાં રહો છો?’

‘સ્ટોર સ્ટ્રિટમાં.’

‘ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?’

મેં જવાબ આપ્યો, ‘જો આપને કંઈ મદદ દઈ શકું તો હું રાજી થાઉં. મારાથી બનતી મહેનત જરૂર કરીશ. આપ કહેશો તો હું આપને ત્યાં આવીશ.’

‘ના ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠશાળા છે તે હું લેતો આવીશ.’

અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ.

નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું, તેથી તે જોઈ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુમો ન હતો પણ કેવળ ભાવાર્થ હતો.

છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારુ ‘અસભ્ય પોશાક પહેર્યા’ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૧. निर्बल के बल राम

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.


Mohandas K. Gandhi


આ પ્રકરણના થોડા અંશો :

ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનુ કંઇક ભાન તો થયું, પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારુ પૂરતું નથી નીવડતું. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા નથી ભાન હોતું, નથી જ્ઞાન હોતું. નાસ્તિક જયારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માતથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો, ધર્મોના અભ્યાસથી, સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રકટ થાય છે એવું અનુમાન પરિણામ પછી તે કરી લે છે. એવું અનુમાન કરવાનો તેને અધિકાર છે. પણ બચતી વેળા તે જાણતો નથી કે તેને તેનો સંયમ બચાવે છે કે કોણ બચાવે છે. જે પોતાના સંયમબળનું અભિમાન રાખે છે તેનો સંયમ રોળાઈ ગયેલો કોણે નથી અનુભવ્યો ? શાસ્ત્રજ્ઞાન તો એવે સમયે થોથાં સમાન લાગે છે.

ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેંલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું, તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બંને ત્યાં ગયા. અમને બંનેને એક બાઈને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો.

પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્રીઓનાં હોય છે. તે સ્રીઓ વેશ્યા નહીં તેમ નિર્દોષ પણ નહીં. આવા જ એક ઘરમાં અમારો ઉતારો હતો.

રાત પડી. અમે સભામાંથી ઘેર આવ્યા. જમીને પાનાં રમવા બેઠા. વિલાયતમાં સારાં ઘરોમાં પણ આમ મહેમાનોની સાથે ગૃહિણી પાનાં રમવા બેસે. પાનાં રમતાં નિર્દોષ વિનોદ સહુ કરે. અહીં બીભત્સ વિનોદ શરૂ થયો. મારા સાથી તેમાં નિપુણ હતો એ હું નહોતો જાણતો. મને આ વિનોદમાં રસ પડયો, હું પણ ભળ્યો. વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની તૈયારી હતી. પાનાં એક કોરે રહેવાની તૈયારીમાં હતાં. પણ મારા ભલા સાથીના મનમાં રામ વસ્યા, તે બોલ્યા, ‘અલ્યા, તારામાં આ કળજુગ કેવો ! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી. ‘

હું શરમાયો, ચેત્યો. હૃદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો, મારી કોટડીમાં ધ્રૂજતો ધ્રૂજતો પહોંચ્યો. છાતી થડકતી હતી. કાતિલના હાથમાંથી બચીને કોઈ શિકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.

ધર્મ શું છે, ઇશ્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે, તે કંઈ હું તે વખતે જાણતો નહોતો. ઈશ્વરે મને બચાવ્યો એમ લૌકિક રીતે હું તે વખતે સમજ્યો. પણ મને વિવિધ ક્ષેત્રોના એવા અનુભવો થયા છે. ‘ઇશ્વરે ઉગાર્યો’ એ વાક્યનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું એમ જાણું છું.

સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથીં, પણ આપણે ખાઇએ છીએ, પીએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઇ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવે જ અદ્‌ભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિષે મને શંકા જ નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઇએ.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૦. ધાર્મિક પરિચયો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયોસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ. બંને સગા ભાઇ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. આ ભાઇઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાંના

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ @

@ વિષયોનું ચિંતવન કરનારો પ્રથમ તેને વિષે સંગ ઊપજે છે, સંગથી કામના જન્મે છે, કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહમાંથી સ્મૃતિભ્રમ અને સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશ થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થાય છે.

એ શ્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદ્ગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ઘીમે ધીમે વધતી ગઈ અને આજે તત્ત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોત્તમ ગ્રંથ ગણું છું. મારા નિરાશાના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે.

આ જ ભાઇઓએ મને આર્નલ્ડનું બુદ્ધિચરિત્ર વાંચવા ભલામણ કરી.

આ ભાઇઓ મને એક વખત બ્લૅવૅટ્સ્કી લૉજમાં પણ લઈ ગયા. ત્યાં મને મૅડમ બ્લૅવૅટ્સ્કીનાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં.

આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટરના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, ‘હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું પણ બેમાંથી એકે વસ્તુ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું.

જ્યારે ‘નવા કરાર’ ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઊતર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે સરખામણી કરી. ‘તારું પહેરણ માગે તેને અંગરખું આપજે,’ ‘તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે,’ એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળભટ્ટનો છપ્પો યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડકૃત બુદ્ધચરિત, અને ઈશુનાં વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.

કાર્લાઇલનું ‘વિભૂતિઓ અને વિભૂતિપૂજા’ વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિષે વાંચી ગયો ને તેમની મહત્તાનો વીરતાનો ને તેમની તપશ્ચર્યાનો ખ્યાલ આવ્યો.

નાસ્તિકતા વિષે પણ કાઈંક જાણ્યા વિના કેમ ચાલે? બ્રૅડલોનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલો નાસ્તિક ગણાય. તેથી તેમને વિષેનું કઈંક પુસ્તક વાંચ્યું. નામનું મને સ્મરણ નથી રહ્યું. તેની મારા પર કઈં છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો.

બ્રૅડલોનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એકપણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરી પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળાંમાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી:

‘કેમ સાહેબ, તમે કહો છો ના કે ઈશ્વર છે?’

પેલા ભલા માણસે ધીમા સાદે જવાબ આપ્યો: ‘હા, હું કહું છું ખરો.’

પેલો હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: ‘વારુ, પૃથ્વીનો પરિઘ ૨૮,૦૦૦ માઈલ છે એ તો કબૂલ કરો છો ને?’

‘અવશ્ય’

‘ત્યારે કહો જોઇએ ઈશ્વરનું કદ કેવડુંક હશે ને તે ક્યાં હશે?’

‘આપણે સમજીએ તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે.’

‘બાળકોને ફોસલાવો બાળકોને,’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું.

પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું.

આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૯. અસત્યરૂપી ઝેર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

ચાળીસ વર્ષ પૂર્વે વિલાયત જનારા પ્રમાણમાં થોડા હતા. તેમનામાં એવો રિવાજ પડી ગયો હતો કે પોતે પરણેલા હોય તોપણ કુંવારા ગણાવું. તે મુલકમાં નિશાળમાં કે કૉલેજમાં ભણનારા કોઈ પરણેલા ન હોય. વિવાહિતને વિદ્યાર્થીજીવન ન હોય. આપણામાં તો પ્રાચીન કાલમાં વિદ્યાર્થી બ્રહ્મચારીને નામે જ ઓળખાતો. આ જમાનામાં જ બાળવિવાહનો ચાલ પડ્યો છે. વિલાયતમાં બાળવિવાહ જેવી વસ્તુ છે જ નહીં એમ કહી શકાય. તેથી હિંદી જુવાનોને પોતે પરણેલા છે એમ કબૂલ કરતાં શરમ થાય. વિવાહ છુપાવવાનું બીજું એક કારણ એ કે, જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે ફરવા-હરવા અને ગેલ કરવા ન મળે. આ ગેલ ઘણે ભાગે નિર્દોષ હોય છે.

હું પણ પાંચ છ વર્ષ થયા પરણેલો હોવા છતાં અને એક દીકરાનો બાપ છતાં, મને કુંવારા તરીકે ગણાવતાં ન ડર્યો ! એમ ગણાવ્યાનો સ્વાદ તો મેં થોડો જ ચાખ્યો. મારા શરમાળ સ્વભાવે, મારા મૌને મને ખૂબ બચાવ્યો. હું વાત ન કરી શકું છતાં મારી સાથે વાત કરવાને કઈ છોકરી નવરી હોય ? મારી સાથે ફરવા પણ કોઈ છોકરી ભાગ્યે જ નીકળે.

જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઈ જાય. આ વિવેકને વશ થઈ આ ઘરધણી બાઈની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઈ ગઈ.

એક ટેકરીની ટોચે અમે આવી ઊભાં. પણ ઊતરવું કેમ ? પોતાના ઊંચી એડીના બૂટ છતાં આ વીસપચીસ વર્ષની રમણી વીજળીની જેમ ઉપરથી ઊતરી ગઈ. હું તો હજી શરમિંદો થઈ ઢોળાવ કેમ ઊતરાય એ વિચારી રહ્યો છું. પેલી નીચે ઊભી હસે છે; મને હિંમત આપે છે; ઉપર આવી હાથ ઝાલી ઘસડી જવાનું કહે છે ! હું એવો નમાલો કેમ બનું ! માંડમાંડ પગ ઘસડતો, કાંઈક બેસતો ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ’શા…બ્બા…શ’ કહી મને શરમાયેલાને વધુ શરમાવ્યો. આવી મશ્કરીથી મને શરમાવવાનો તેને હક હતો.

તમે અજાણ્યા લાગો છો. તમે કાંઈક મૂંઝવણમાં છો. તમે કંઈ ખાવાનું હજી નથી મંગાવ્યું !’

હું પેલો વાનીઓનો ખરડો વાંચી રહ્યો હતો ને પીરસનારને પૂછવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે મેં આ ભલી બાઈનો ઉપકાર માન્યો અને કહ્યું, ’આ ખરડો હું સમજતો નથી ને હું અન્નાહારી હોઈ કઈ વસ્તુઓ નિર્દોષ છે એ મારે જાણવું રહ્યું.’

પેલી બાઈ બોલી, ’ત્યારે લો તમને મદદ કરું ને ખરડો હું સમજાવું. તમારાથી ખાઈ શકાય એવી વસ્તુઓ હું તમને બતાવી શકીશ.’

મેં તેની મદદ સાભાર સ્વીકારી. અહીંથી અમારો સંબંધ થયો તે હું જ્યાં સુધી વિલાયતમાં રહ્યો ત્યાં સુધી અને ત્યાર બાદ પણ વરસો લગી નભ્યો. તેણે લંડનનું પોતાનું ઠેકાણું આપ્યું ને મને દર રવિવારે પોતાને ત્યાં ખાવા જવાને નોતર્યો. પોતાને ત્યાં બીજા અવસર આવે ત્યારે પણ મને બોલાવે, ચાહીને મારી શરમ મુકાવે, જુવાન સ્ત્રીઓની ઓળખાણ કરાવે ને તેમની સાથે વાતો કરવા લલચાવે. એક બાઈ તેને ત્યાં જ રહેતી. તેની સાથે બહુ વાતો કરાવે. કોઈ વેળા અમને એકલાં પણ છોડે.

પ્રથમ મને આ બધું વસમું લાગ્યું. વાતો કરવાનું ન સૂઝે. વિનોદ પણ શું કરાય ? પણ પેલી બાઈ મને પાવરધો કરતી રહે. હું ઘડાવા લાગ્યો. દર રવિવારની રાહ જોઉં. પેલી બાઈની સાથે વાતો પણ ગમવા લાગી.

હવે હું શું કરું ? મેં વિચાર્યું : ’જો મેં આ ભલી બાઈને મારા વિવાહની વાત કરી દીધી હોત તો કેવું સારું ? તો તે મારા કોઈની સાથે પરણવાની વાત ઇચ્છત ? હજુ પણ મોડું નથી. હું સત્ય કહી દઉં તો વધારે સંકટમાંથી ઊગરી જઈશ.’ આમ ધારી મેં તેને કાગળ લખ્યો. મને યાદ છે તે પ્રમાણે તેનો સાર આપું છું :

’આપણે બ્રાઈટનમાં મળ્યાં ત્યારહ્તી તમે મારા પર પ્રેમ રાખતાં આવ્યાં છો. જેમ મા પોતાના દીકરાની સંભાળ રાખે તેમ તમે મારી સંભાળ રાખો છો. તમે તો એમ પણ માનો છો કે મારે પરણવું જોઈએ અને તેથી તમે મારો પરિચય યુવતીઓની સાથે કરાવો છો. આવો સંબંધ વધારે આગળ જાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે હું તમારા પ્રેમને લાયક નથી. તમારે ઘેર આવતો થયો ત્યારે જ મારે તમને કહેવું જોઈતું હતું કે હું પરણેલો છું. હિંદુસ્તાનના વિદ્યાર્થીઓ જે પરણેલા હોય છે તે આ દેશમાં પોતાના વિવાહની વાત પ્રગટ નથી કરતા એમ હું જાણું છું. તેથી મેં પણ એ રિવાજનું અનુકરણ કર્યું. હવે જોઉં છું કે મારે મારા વિવાહની વાત મુદ્દલ છુપાવવી નહોતી જોઈતી. મારે એક દીકરો પણ છે. આ વાત તમારી પાસે ઢાંક્યાને સારુ મને હવે બહુ દુઃખ થાય છે. પણ સત્ય કહી દેવાની હવે મને ઈશ્વરે હિંમત આપી, તેથી મને આનંદ થાય છે. મને તમે માફ કરશો ? જે બહેનની સાથે તમે મારો પરિચય કરાવ્યો છે તેની સાથે મેં કશી અયોગ્ય છૂટ લીધી નથી તેની ખાતરી આપું છું. મારાથી છૂટ ન જ લેવાય એનું મને સંપૂર્ણ ભાન છે. પણ તમારી ઈચ્છા તો સ્વાભાવિકપણે જ મારો કોઈની સાથે સંબંધ બંધાયેલો જોવાની હોય. તમારા મનમાં આ વસ્તુ આગળ ન વધે તે ખાતર પણ મારે તમારી પાસે સત્ય પ્રગટ કરવું જોઈએ.

લગભગ વળતી ટપાલે પેલી વિધવા મિત્રનો જવાબ આવ્યો. તેમાં તેણે જણાવ્યું :

’તમારો ખુલ્લા દિલનો કાગળ મળ્યો. અમે બંને રાજી થયાં ને ખૂબ હસ્યાં. તમારા જેવું અસત્ય તો ક્ષંતવ્ય જ હોય. પણ તમે તમારી હકીકત જણાવી એ ઠીક જ થયું. મારું નોતરું કાયમ છે. આવતે રવિવારે તમારી રાહ અમે જોઈશું જ, ને તમારા બાળવિવાહની વાતો સાંભળીશું, ને તમારા ઠઠ્ઠા કરવાનો આનંદ પણ મેલવીશું. આપણી મિત્રતા તો જેવી હતી તીવી જ રહેશે એ ખાતરી રાખજો.’

આમ મારામાં અસત્યનું ઝેર ભરાઈ ગયું હતું તે મેં કાઢ્યું અને પછી તો ક્યાંયે મારા વિવાહ વગેરેની વાતો કરતાં હું મૂંઝાતો નહીં.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૮. શરમાળપણું—મારી ઢાલ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચૂંટાયો તો ખરો, અને ત્યાં દરેખ વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઊપડે. મને દા. ઓલ્ડફિલ્ડ કહે, ‘તું મારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજ્યો. માખીઓ નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતો પીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા સૌ પોતપોતાના અભિપ્રાય દર્શાવે ત્યારે હું મૂંગો જ બેસી રહું એ કેવું? મને બોલવાનું મન ન હતું એમ નહીં, પણ શું બોલવું?

આમ બહુ વખત ચાલ્યું. તેવામાં સમિતિમાં એક ગંભીર વિષય નીકળ્યો. તેમાં ભાગ ન લેવો એ મને અન્યાય થવા દીધા બરોબર લાગ્યું. મૂંગે મોઢે મત આપી ને શાંત રહેવું એ નામર્દાઈ લાગી.

આ વખતે પ્રજોત્પત્તિ ઉપર કૃત્રિમ ઉપાયોથી અંકુશ મૂકવાની હિલચાલ ચાલતી હતી. દા. ઍલિન્સન તે ઉપાયોના હિમાયતી હતા ને મજૂરોમાં તેનો પ્રચાર કરતા. મિ. હિલ્સને આ ઉપાયો નીતિનાશ કરનારા લાગ્યા. તેમને મન અન્નાહારી મંડળ કેવળ ખોરાકના જ સુધારાને સારુ નહોતું, પણ તે એક નીતિવર્ધક મંડળ પણ હતું. અને તેથી દા. ઍલિન્સનના જેવા સમાજઘાતક વિચારો ધરાવનારા તે મંડળમાં ન હોવા જોઇએ એવો તેમનો અભિપ્રાય હતો.

મને લાગ્યું કે અન્નાહારી મંડળના સ્ત્રીપુરુષસંબધ વિષેના મિ. હિલ્સના વિચાર તેમના અંગત હતા. તેને મંડળના સિદ્ધાંત સાથે કશો સંબંધ નહોતો. મંડળનો હેતુ કેવળ અન્નાહારનો પ્રચાર કરવાનો હતો, અન્ય નીતિનો નહીં. તેથી બીજી અનેક નીતિનો અનાદર કરનારાને પણ મંડળમાં સ્થાને હોઇ શકે એવો મારો અભિપ્રાય હતો.

દા. ઍલિન્સનનો પક્ષ હારી ગયો. એટલે આવા પ્રકારના મારે સારુ આ પહેલા યુદ્ધમાં હું હારનાર પક્ષમાં રહ્યો. પણ તે પક્ષ સાચો હતો એવી મને ખાતરી હતી, તેથી મને સંપૂર્ણ સંતોષ હતો. મારો કઈંક ખ્યાલ એવો છે કે મેં ત્યાર પછી સમિતિમાંથી રાજીનામું આપેલું.

મારું શરમાળપણું વિલાયતમાં છેવટ સુધી રહ્યું. કોઇને મળવા જતાંયે જ્યાં પાંચ સાત માણસનું મંડળ એકઠું થાય ત્યાં હું મૂંગો બની જાઉં.

આ શરમ છેક દક્ષિણ આફ્રિકામાં છૂટી એમ કહેવાય. તદ્દન છૂટી છે એમ તો હજુયે ન કહેવાય. બોલતાં વિચાર તો થાય જ. નવા સમાજમાં બોલતાં સંકોચાઉં. બોલવામાં છટકાય તો જરૂર છટકી જાઉં. અને મંડળમાં બેઠો હોઉં તો ખાસ વાત કરી જ ન શકું અથવા વાત કરવાની ઈચ્છા થાય એવું તો આજે પણ નથી જ.

પણ આવી શરમાળ પ્રકૃતિથી મારી ફજેતી થવા ઉપરાંત મને નુક્સાન થયું નથી. ફાયદો થયો છે, એમ હવે જોઇ શકું છું. બોલવાનો સંકોચ મને પ્રથમ દુ:ખકર હતો તે હવે સુખકર છે. મોટો ફાયદો તો એ થયો કે, હું શબ્દોની કરકસર શીખ્યો. માર વિચારો ઉપર કાબૂ મેળવવાની ટેવ સહેજે પડી. મને હું એવું પ્રમાણપત્ર સહેજે આપી શકું છું કે, મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યે જ કોઇ શબ્દ નીકળે છે. મારાં ભાષણ કે લખાણમાંના કોઇ ભાગને સારુ મને શરમ કે પશ્ચાતાપ કરવાપણું છે એવું મને સ્મરણ નથી, અનેક ભયોમાંથી હું બચી ગયો છું, ને મારો ઘણો વખત બચી ગયો છે એ વળી અદકો લાભ.

અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગરવિચારે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે.

એટલે, જોકે આરંભમાં મારું શરમાળપણું મને ડંખતું છતાં આજે તેનું સ્મરણ મને આનંદ આપે છે. એ શરમાળપણું મારી ઢાલ હતી. તેનાથી મને પરિપક્વ થવાનો લાભ મળ્યો. મારી સત્યની પૂજામાં મને તેથી સહાય મળી.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૭. ખોરાકના પ્રયોગો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

જેમ જેમ હું જીવનમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ મને બહારના અને અંતરના આચારમાં ફેરફારો કરવાની જરૂર પડતી જણાઈ. અન્નાહાર વિષેના અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા.

અન્નાહારને તેઓએ ધાર્મિક , વૈજ્ઞાનિક, વ્યવહારિક, ને વૈદક દ્રષ્ટિથી તપાસ્યો હતો, નૈતિક દ્રષ્ટિએ તેઓએ વિચાર્યું કે મનુષ્યને પશુ પંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે તે તેઓને મારી ખાવાને અર્થે નહીં, પણ તેઓની રક્ષા અર્થે; અથવા, કેમ મનુષ્ય એકબીજાનો ઉપયોગ કરે છે પણ એકબીજાને ખાતા નથી, તેમ પશુ-પંખી પણ તેવા ઉપયોગ અર્થે છે, ખાવાને અર્થે નહીં. ખાવું તે ભોગને અર્થે નહીં પણ જીવવાને અર્થે જ છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ ને મનુષ્યની શરીરરચના જોઈને કેટલાકે એવું અનુમાન કાઢ્યું કે, મનુષ્યને રાંધવાની આવશ્યકતા જ નથી; તે વનપક ફળો જ ખાવા સરજાયેલ છે. દૂધ પીએ તે કેવળ માતાનું જ; દાંત આવ્યાં પછી તેણે ચાવી શકાય એવો જ ખોરાક લેવો જોઈએ.

વૈદક દ્રષ્ટિએ તેઓએ મરીમસાલાનો ત્યાગ સૂચવ્યો.

વહેવારની અથવા આર્થિક દ્રષ્ટિએ તેઓએ બતાવ્યું કે ઓછામાં ઓછા ખર્ચવાળો ખોરાક અન્નાહાર જ હોઈ શકે.

સ્ટાર્ચ વિનાના ખોરાકનું સમર્થન કરનારે ઈંડાની ખૂબ સ્તુતિ કરી હતી, અને ઈંડાં માંસ નથી એમ પુરવાર કર્યું હતું. તે લેવામાં જીવતા જીવને દુઃખ નથી એ તો હતું જ. આ દલીલથી ભોળવાઈ મેં માને આપેલી પ્રતિજ્ઞા છતાં ઈંડા લીધાં. પણ મારી મૂર્છા ક્ષણિક હતી. પ્રતિજ્ઞાનો નવો અર્થ કરવાનો મને અધિકાર નહોતો. અર્થ તો પ્રતિજ્ઞા દેનારનો જ લેવાય. માંસ ન લેવાની પ્રતિજ્ઞા દેનારી માતાને ઈંડાંનો ખ્યાલ જ ન હોય એમ હું જાણતો હતો. તેથી મને પ્રતિજ્ઞાના રહસ્યનું ભાન આવતાં જ ઈંડાં છોડ્યાં ને તે અખતરો પણ છોડ્યો.

આ રહસ્ય સૂક્ષ્મ છે ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિલાયતમાં માંસની ત્રણ વ્યાખ્યા મેં વાંચેલી. એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખ્યાકારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય ઈંડા તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને સામાન્ય મનુષ્ય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય. એટલે માછલી ત્યાજ્ય પણ ઈંડા ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યામાં સામાન્ય પણે મનાતા જીવ માત્ર તેને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ.

દુનિયામાં ઘણાં ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તો પણ ભાષાશાસ્ત્રી કાગનો વાઘ કરી આપશે. સ્વાર્થ સહુને આંધળાભીંત કરી મૂકે છે. રાયથી માંડીને રંક કરારોના પોતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયાને , પોતાને અનુકૂળ આવે એવા અર્થ પક્ષકારો કરે છે તેને ન્યાય શાસ્ત્ર દ્વીઅર્થી મધ્યમ પદ કહે છે. સુવર્ણન્યાય તો એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત છે હોય ત્યાં નબળો પક્ષ જે અર્થ કરે તે ખરો માનવો જોઈએ.

જે નવો ધર્મ સ્વીકારે છે તેની તે ધર્મના પ્રચારને લાગતી ધગશ તે ધર્મમાં જન્મેલાંના કરતાં વધારે જોવામાં આવે છે.

જે લત્તામાં તે વેળા હું રહેતો હતો તે લત્તામાં અન્નાહારી મંડળની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો. એ લત્તો બેઝવોટરનો હતો. તે લત્તામાં સર એડવિન આર્નલ્ડ રહેતા હતા. તેમને ઉપપ્રમુખ થવા નોતર્યા; તે થયા. દાક્તર ઓલ્ડફીલ્ડ પ્રમુખ થયા. હું મંત્રી બન્યો. થોડો વખત તો આ સંસ્થા કંઈક ચાલી; પણ કેટલાક માસ પછી તેનો અંત આવ્યો, કેમ કે મેં મારા દસ્તૂર મુજબ તે લત્તો અમુક મુદતે છોડ્યો. પણ આ નાનો અને ટૂંકી મુદતના અનુભવથી મને સંસ્થાઓ રચવાનો ને ચલાવવાનો કંઈક અનુભવ મળ્યો.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૬. ફેરફારો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

કોઈ એમ ન માને કે નાચ આદિના મારા અખતરા મારો સ્વચ્છંદનો કાળ સૂચવે છે. તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ મૂર્છાના કાળમાંયે હું અમુક અંશે સાવધાન હતો. પાઈએ પાઈનો હિસાબ રાખતો.

દરેક નવયુવક પોતાને મળતા થોડા રૂપિયાનો પણ હિસાબ કાળજીપૂર્વક રાખશે તો તેનો લાભ જેમ ભવિષ્યમાં મને અને પ્રજાને મળ્યો તેમ તે પણ અનુભવશે.

મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઈ શક્યો કે મારે કેટલું ખર્ચ કરવું જોઈએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો.

શરમથી જ કેટલું ખર્ચ કરવું પડતું હતું તે પણ બચે એમ સમજાયું.

અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઈને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યાં કે જ્યાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઈ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હમેશાં, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઈ જાય એવી ગોઠવણ થઈ અને આ ગોઠવણથી હમેશાં આઠદસ માઈલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડ્યો હોઈશ. શરીર ઠીક કસાયું.

મુશ્કેલ હો કે ન હો, પણ લૅટિન તો શીખવું જ. ફ્રેંચ લીધેલું પૂરું કરવું. એટલે બીજી ભાષા ફ્રેંચ એમ નિશ્ચય કર્યો. એક ખાનગી મૅટ્રિક્યુલેશન વર્ગ ચાલતો હતો તેમાં જોડાયો, પરીક્ષા દર છ માસે થાય, મને ભાગ્યે પાંચ માસનો વખત હતો. આ કામ મારા ગજા ઉપરાંત હતું. પરિણામ એ આવ્યું કે સભ્ય બનવામાંથી હું તો અત્યંત ઉદ્યમી વિદ્યાર્થી બન્યો.

મારા કરતાં વધારે સાદાઈથી રહેનારને પણ હું જોતો હતો. મારા પ્રસંગમાં આવા ગરીબ વિદ્યાર્થીઓ ઠીક પ્રમાણમાં આવ્યા હતા. એક વિદ્યાર્થી લંડનના કંગાળ ભાગમાં અઠવાડિયાના બે શિલિંગ ભરી એક કોટડીમાં રહેતો હતો, અને લોકાર્ટની સસ્તી કોકોની દુકાનમાં બે પેનીનાં કોકો અને રોટી ખાઈને ગુજારો કરતો હતો. તેની હરીફાઈ કરવાની તો મારી શક્તિ નહોતી, પણ હું અવશ્ય બેને બદલે એક કોટડીમાં રહી શકું અને અરધી રસોઈ હાથે પણ પકાવી શકું એમ લાગ્યું. આમ કરવાથી હું દર માસે ચાર કે પાંચ પાઉંડમાં રહી શકું. સાદી રહેણીનાં પુસ્તકો પણ વાંચવામાં આવ્યાં હતાં. બે કોટડી કાઢી નાખી અઠવાડિયાના આઠ શિલિંગની એક કોટડી ભાડે લીધી. એક સગડી ખરીદી ને સવારનું હાથે પકાવવાનું શરૂ કર્યું.

જીવન સાદું થવાથી વખત વધારે બચ્યો. બીજી વેળા પરીક્ષામાં બેઠો ને પાસ થયો.

વાંચનાર, પણ એમ ન માને કે સાદાઈથી જીવન રસહીન થયું. ઊલટું, ફેરફારોથી મારી આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી; કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો; જીવન વધારે સારમય બન્યું; મારા આત્માનંદનો પાર ન રહ્યો.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૫. ’સભ્ય’ વેશે

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી સોલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલા પુસ્તકો મળ્યાં તે ખરીધ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું ‘આહારનીતિ’ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિષેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાઈથાગોરસ, ઈશુ ઈત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. દા. મિસિસ ઍના કિંગ્સફર્ડનું ‘ઉતમ આહારની રીત’ નું પુસ્તક પણ આકર્ષક હતું. વળી આરોગ્ય ઉપરના દા. ઍલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દરદીને સારો કરવાની પદ્ધતિનું તે સમર્થન કરે છે. દા. ઍલિસન્સ પોતે અન્નાહારી હતા અને દરદીઓને સારુ કેવળ અન્નાહારની સલાહ આપતા. આ બધાં પુસ્તકોના વાચનનું પરિણામ એ આવ્યું કે મારી જિંદગીમાં ખોરાકના અખતરાઓએ મહત્વનું સ્થાન લીધું. તે અખતરામાં પ્રથમ આરોગ્યની દ્રષ્ટિને પ્રધાન સ્થાન હતું. પાછળથી ધાર્મિક દ્રષ્ટિ સર્વોપરી બની.

દરમ્યાન પેલા મિત્રની મારે વિષેની ચિંતા દૂર નહોતી થઈ. તેમણે પ્રેમને વશ થઈને માન્યું કે, હું જો માંસાહાર નહિં કરું તો નબળો થઈશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો,કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું.

અમે બે મિત્રોએ એક ટેબલ રોક્યું. મિત્રે પહેલું પિરસણ મંગાવ્યું. તે ‘સૂપ’ હોય. હું મૂંઝાયો. મિત્રને શું પૂછું મેં તો પીરસનારને પાસે બોલાવ્યો.

મિત્ર સમજ્યા.ચિડાઈને મને પૂછયું :

‘શું છે?’

મેં ધીમેથી સંકોચપૂર્વક કહ્યું:

‘મારે પૂછવું છે, આમાં માંસ છે કે?’

‘આવું જંગલીપણું આવા ગૃહમાં નહીં ચાલે. જો તારે હજુ પણ એમ કચકચ કરવી હોય તો તું બહાર જઈ કોઈ નાનકડા ભોજનગૃહમાં ખાઇ લે ને બહાર મારી વાટ જોજે.’

હું આ ઠરાવથી રાજી થઈ ઊઠ્યો ને બીજી વીશી શોધી. પાસે એક અન્નાહાર આપનારું ભોજનગૃહ હતું, પણ તે તો બંધ થઈ ગયું હતું. હવે શું કરવું એ મને સમજ ન પડી. હું ભૂખ્યો રહ્યો. અમે નાટકમાં ગયા. મિત્રે પેલા બનાવ વિષે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. મારે તો કંઈ બોલવાનું હોય જ શેનું?

પણ આ અમારી વચ્ચે છેલ્લું મિત્રયુદ્ધ હતું. અમારો સંબંધ ન તૂટ્યો, ન કડવો બન્યો. હું તેમના બધા પ્રયાસોની પાછળ રહેલો પ્રેમ વરતી શક્યો હતો, તેથી વિચારની અને આચારની ભીન્નતા છતાં મારો તેમના પ્રત્યેનો આદર વધ્યો.

પણ મારે તેમની ભીતિ ભાંગવી જોઈએ એમ મને લાગ્યું. મેં નિશ્ચય કર્યો કે જંગલી નહીં રહું, સભ્યના લક્ષણો કેળવીશ, ને બીજી રીતે સમાજમાં ભળવાને લાયક બની મારી અન્નાહારની વિચિત્રતા ઢાંકીશ.

મેં ‘સભ્યતા’ કેળવવાનો ગજા ઉપરવટનો ને છીછરો માર્ગ લીધો.

સભ્ય પુરુષે નાચી જાણવું જોઈએ. તેણે ફ્રીંચ ઠીક ઠીક જાણવું જોઈએ. કે અકે ફ્રેંચ ઈંગ્લેંડના પાડોશી ફ્રાંસની ભાષા હતી, અને આખા યુરોપની રાષ્ટ્ર ભાષા પણ હતી, ને મને યુરોપમાં ભમવાની ઈચ્છા હતી. વળી સભ્ય પુરુષને છટાદાર ભાષણ કરત પણ આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના ત્રણેક પાઉંડ ભર્યા. ત્રણેક અઠવાડીયામાં છ એક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે, પણ તે શું કહી રહેલ છેતે ખબર ન પડે. ‘એક, બે, ત્રણ’ ચાલે પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે. ત્યારે હવે? હવે તો બાવાજીની બિલાડીવાળુ થયું. ઉંદરને દૂર રાખવા બિલાડી, બિલાડીને સારુ ગાય, એમ બાવાજીનો પરિવાર વધ્યો; તેમ મારા લોભનો પરિવાર પણ વધ્યો.

બેલ સાહેબે મારા કાનમાં ઘંટ વગાડ્યો. હું જાગ્યો.

મારે ક્યાં ઇંગ્લંડમાં જન્મારો કાઢવો છે? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનો હતો? નાચનાચીને હું સભ્ય કેમ બનીશ? વાયોલિન શીખવાનું તો દેશમાં ય બને. હું તો વિદ્યાર્થી છું. મારે વિદ્યાધન વધારવું જોઈએ મારે મારા ધંધાને લગતી તૈયરી કરવી જોઈએ. મારા સદ્વર્તનથી હું સભ્ય ગણાઉં તો ઠીક જ છે, નહીં તો મારી લોભ છોડવો જોઈએ.

સભ્ય બનવાની મારી ઘેલછા ત્રણેક માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી. પણ હું વિદ્યાર્થી બન્યો.

Categories: સત્યના પ્રયોગો | Tags: | 1 Comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૪. મારી પસંદગી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મારી મુર્ખાઈને લીધે મને સ્ટીમરમાં દાદર થઈ હતી. સ્ટીમરમાં ખારા પાણીમાં નાહવાનું રહેતું. તેમાં સાબુ ન ભળે અને મેં તો સાબુ વાપરવામાં સભ્યતા માનેલી, એટલે શરીર સાફ થવાને બદલે ચીકણું થયું. એમાંથી દાદર થઈ.

મારા ખોરાકનો પ્રશ્ન બહુ મોટો થઈ પડ્યો. મીઠુંમસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઈ મારે સારુ શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઈક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશાં ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું.

મિત્રને એક દિવસ ખીજ ચડી તે બોલ્યા : ‘જો તું માનો જણ્યો ભાઈ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. નિરક્ષર માને, અહીંની પરિસ્થિતિ જાણ્યા વિના, આપેલી પ્રતિજ્ઞાની કિંમત શી ? એ પ્રતિજ્ઞા જ ન કહેવાય. હું તને કહું છું કે આને કાયદો પ્રતિજ્ઞા નહીં ગણે. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. અને આવા વહેમને વળગી રહી તું આ મુલકમાંથી કંઈ જ દેશ નહીં લઈ જાય તુંતો કહે છે કે તેં માંસ ખાધું છે. તને ભાવ્યું પણ ખરું, જ્યાં ખાવાની કશી જરૂર નહોતી ત્યાં ખાધું. જ્યાં ખાવાની ખાસ જરૂર ત્યાં ત્યાગ ! આ કેવું આશ્ચર્ય !’

હું એક ટળી બે ન થયો.

આવી દલીલો રોજ ચાલે. છત્રીસ રોગનો હરનાર એક નન્નો જ મારી પાસે હતો. મિત્ર જેમ મને સમજાવે તેમ મારી દૃઢતા વધે. રોજ ઈશ્વરની રક્ષા યાચું તે મને મળે. ઈશ્વર કોણ તે હું ન જાણું. પણ પેલી રંભાએ આપેલી શ્રદ્ધા પોતાનું કામ કરી રહી હતી.

એક દિવસ મિત્રે મારી પાસે બેંથમનો ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગિતાવાદ વિષે વાંચ્યું, હું ગભરાયો. ભાષા ઊંચી, હું માંડ સમજું. તેનું તેમણે વિવેચન કર્યું. મેં ઉત્તર આપ્યો :

‘મને માફ કરો એમ ઈચ્છું છું. હું આવી ઝીણી વાતો નહીં સમજું. માંસ ખાવું જોઈએ એ હું કબૂલ કરું છું. પણ મારી પ્રતિજ્ઞાનું બંધન હું નહીં તોડી શકું. એને વિષે દલીલ હું નહીં કરી શકું. દલીલમાં તમને હું ન જ જીતું એવી મારી ખાતરી છે, પણ મને મૂરખ માનીને અથવા હઠીલો માનીને આ બાબતમાં મને છોડી દો. તમારો પ્રેમ હું સમજું છું. તમારો હેતુ સમજું છું. તમને હું મારા પરમ હિતેચ્છુ માનું છું. તમને દુ:ખ થાય છે તેથી તમે મને આગ્રહ કરો છો એ પણ હું જોઈ રહ્યો છું, પણ હું લાચાર છું. પ્રતિજ્ઞા નહીં તૂટે.’

ભાઈ શુક્લે વેસ્ટ કેન્સિગ્ટનમાં એક ઍગ્લૉઈંડિયનનું ઘર શોધ્યું ને ત્યાં મને મૂક્યો. ઘરધણી બાઈ વિધવા હતી. તેને મારા માંસત્યાગની વાત કરી. ડોસીએ મારી દેખરેખ રાખવાનું કબૂલ્યું. હું ત્યાં રહ્યો. અહીં પણ ભૂખે દિવસ જાય. મેં ઘેરથી મીઠાઈ વગેરે ખાવાનું મંગાવ્યું હતું તે હજુ આવ્યું નહોતું. બધું મોળું લાગે.

પણ હવે મને પાંખ આવવા લાગી હતી. હજુ અભ્યાસ તો શરૂ નહોતો થયો. માંડ વર્તમાનપત્ર વાંચતો થયો હતો.

મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું.

એક દિવસ હું ફૅરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને ‘વેજિટેરિયન રેસ્ટોરાં’ (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું, બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું ‘અન્નાહારની હિમાયત’ નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.

સૉલ્ટનું પુસ્તક વાંચ્યું. મારા પર તેની છાપ સરસ પડી. આ પુસ્તક વાંચ્યાની તારીખથી હું મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતો થયો. માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા હવે મને વિશેષ આનંદદાયી થઇ પડી; અને જેમ અત્યાર સુધીમાં બધા માંસાહારી થાય તો સારું એમ માનતો હતો, અને પ્રથમ કેવળ સત્યને જાળવવા ખાતર અને પાછળથી પ્રતિજ્ઞા જાળવવાને ખાતર જ માંસત્યાગ કરતો હતો, ને ભવિષ્યમાં કોઈ દહાડો પોતે છૂટથી ઉઘાડી રીતે માંસ ખાઈ બીજાને ખાનારની ટોળીમાં ભેળવવાની હોંશ રાખતો હતો, તેમ હવે જાતે અન્નાહારી રહી બીજાને તેવા બનાવવાનો લોભ જાગ્યો.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૩. આખરે વિલાયતમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી.

મજમુદાર મને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવે; વકીલની જીભ છૂટી હોવી જોઇએ એમ પણ મને કહે; પોતાના વકીલ તરીકેના અનુભવો વર્ણવે; અંગ્રેજી આપણી ભાષા ન કહેવાય, તેમાં ભૂલ તો પડે જ, છતાં બોલવાની છૂટ રાખવી જોઇએ વગેરે કહે. પણ હું મારી ભીરુતા ન છોડી શકું.

માંસ ન ખાવાના મારા આગ્રહ વિષે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા: “અહીં તો(પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લંડમાં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે.”

મેં કહ્યું, “મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે.”

તેઓ બોલ્યા, “એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઇને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઇએ એમ મને લાગે છે.”

મેં કહ્યું, “તમારી સલાહને સારુ હું આભાર માનું છું. પણ તે ન લેવા હું મારા માતુશ્રીની સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઈશ, પણ માંસ તો નહીં જ ખાઉં.”

બિસ્કેનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઇ માંસની કે ન જણાઇ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણપત્રો એકઠાં કરવાની મને ભલામણ થઈ હતી. તેથી આ અગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલોક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો તો માંસ ખાતા છતાંય મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્વાશ (કે વિશ્વાસ?) ન હોય તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય?

દાક્તર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઇની વસ્તુને ન અડકાય; જે પ્રશ્નો કોઇ જોડે ઓળખાણ થતાં હિંદુસ્તાનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્નો અહીં ન પુછાય; વાતો કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબોની સાથે વાત કરતાં ‘સર’ કહેવાનો રિવાજ છે એ અનાવશ્યક છે, ‘સર’ તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે.

પેલી કોટડીમાં પણ હું તો ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઇથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુ:ખની વાત કોઇને કરાય પણ નહીં. કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે ક્યા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઇ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.