પ્રેરણા / પ્રોત્સાહન

ક્રીયાશક્તિ – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૦)


મીત્રો,

એકાએક ઠેસ આવે અને હું ગડથોલીયું ખાઈને પડી જાઉ – આજુબાજુના લોકો હસવા લાગે, કોઈક તો વળી કહે પણ ખરા કે જોઈને ચાલતો હોય તો, કેટલાક જોયું ન જોયું કરીને મુંછમાં હસતા હસતા ચાલ્યા જાય, કોઈક બુમ પાડે અને કહે કે અરે અરે કાઈ વાગ્યું તો નથીને?

તેવામાં એક વ્યક્તિ આવે મારો હાથ પકડીને મને બેઠો કરે, ધીરે ધીરે હાથનો ટેકો આપીને ઘર સુધી લઈ જાય, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને મને પાણી પાય, દવાના કબાટમાંથી સેવલોન કે ડેટોલ કાઢીને મારા છોલાયેલા ગોઠણ પર જામેલું લોહી સાફ કરે. ધીરેથી ટીંચર બેન્જોઈન લગાવે, ફુંક મારીને બળતા ગોઠણની બળતરા સહ્ય બનાવે. ધીરેથી પુછે કે હવે કેમ છો?

અનેક લોકોના તે ટોળામાંથી મને સહુથી વધુ કોણ પસંદ હશે?

યાદ કરો પેલી બગીચાના બે માળી અને શેઠની વાર્તા. એક માળી બગીચાનું ધ્યાન રાખતો અને બીજો શેઠની વાહ વાહ કર્યા કરતો. શેઠને ક્યો માળી પસંદ હશે? સ્વાભાવિક છે કે કામ કરતો માળી પસંદ હશે.

મારા બા એટલે કહેવતોની ખાણ (આજે તેમનો જન્મ દિવસ છે). વાત વાતમાં કહેવત કહ્યાં કરે. ઘણી વખત તેઓ કહે કે – ઝાઝા હાથ રળીયામણા. કહેવત સાંભળ્યા પછી જેના અર્થ ન સમજાય તે હું તરત પુછું કે બા તે વળી શું? તો હસીને સમજાવે – દિકરા, હાથ કામ કરવા માટે છે અને જો સમુહમાં જોડાઈને હાથ કાર્ય કરતા હોય તો બધું રળીયામણું થઈ જાય.

શબ્દોની પોતાની એક તાકાત છે તે વાત સાચી પણ ક્રીયા તે તો જીવનનું ચાલક બળ છે. શું માત્ર શબ્દોથી કાર્ય થાય? કોઈ એમ કહે કે શબ્દો તો મારા શ્વાસ છે પણ પેટ ભરવા માટે શબ્દો કામ લાગે કે ક્રીયા? કોઈના વાંસે ફેરવેલો પ્રેમભર્યો હાથ હજ્જારો શબ્દોની કવિતા કરતા વધારે અસર કરશે.

સ્વામી વિવેકાનંદ કહેતા તમારા મસ્તિષ્કને ઉચ્ચ વિચારો અને સર્વોચ્ચ આદર્શોથી ભરી દો. શું કામ? લેખ લખવા માટે કામ લાગે એટલે? ના, પરંતુ તે વિચારો અને આદર્શોમાંથી મહાન કાર્યનો જન્મ થશે માટે. આજે રામકૃષ્ણ મીશન લોક કલ્યાણના આટ આટલા કાર્યો કરી શક્યું તેનું કારણ તેમની પાછળ રહેલા શુદ્ધ વિચારો અને પછી તેને વ્યવહારમાં મુકવાની પુરુષાર્થભરી ક્રીયા છે.

ખરાબીને દુર કરવા માટે નસ્તર મુકવું પડે, દુષ્કૃત્યોને અનુમોદન ન આપી શકાય જરુર પડે તેને વખોડવાયે પડે – સાથે સાથે તે પણ જોવું પડે કે પાપડી ભેગી ઈયળ ન બફાઇ જાય. દુષ્કૃત્યો, બદીઓને વખોડવામાં એવું ન બને કે સમાજ પોતાની અંદર રહેલી શક્તિઓ ભુલી જાય. મને વિચાર પ્રેરક ફીલ્મો ગમે છે. યાદ કરો – તારે ઝમી પર – બાળક મુરઝાઈ જાય છે, બાપને કશી ગતાગમ નથી કે બાળકને શું મુશ્કેલી છે, બધું બે બે દેખાય છે, બોર્ડ પર શું લખે છે તે સમજાતું નથી. મા બીચારી પીડાય છે બાળકના દુ:ખે અને બાપ બાળકને રેસના ઘોડાની જેમ દોડાવવા ઈચ્છે છે. બાપ સમજવાને બદલે છોકરાને હોસ્ટેલમાં મુકી આવે છે. આ તો ભલું થજો ચિત્ર શિક્ષકનું કે તે બાળકને સમજી શકે છે નહીં તો શું થાત બાળકનું? નકારાત્મકતા અને ટીકાથી તે બાળક જીવતે જીવ ન મરી ગયો હોત? ટીકાકારોમાં પણ ટીકા કરતી વખતે વિવેકભાન હોવું જોઈએ.

એક વ્યક્તિ ટીકા કર્યા કરે કે આ ખરાબ છે, તે ખરાબ છે, આમ ન હોવું જોઈએ અને તેમ ન હોવું જોઈએ – પણ ઉકેલ દર્શાવવા માટે કેમ વિચારણા નથી થતી? કારણ કે કોઈને કાર્ય નથી કરવું પોકળ શબ્દો બોલ્યા કરવા છે. તેના બદલે તે ઉપાયો દર્શાવશે, ખરેખર કાર્ય કરવા માટે પોતાનો હાથ લંબાવશે તો કોઈ ભાષણબાજી ની જરુર નહીં રહે.

નેટ પર આખો દિવસ ગીતડા ગાયા કરતી સ્ત્રી વધારે સમાજ સેવા કરે છે કે પોતાના સંતાનના આરોગ્ય અને અભ્યાસની ખેવના રાખતી માતા?

સાત્વિકતાનું મહોરું પહેરીને તમોગુણી ગધેડો અત્યારે ભારત વર્ષને ઘમરોળી રહ્યો છે તેવે વખતે સ્વામી વિવેકાનંદના આ શબ્દો યાદ રાખવા જેવા છે :

અત્યારે જરુર છે પ્રબળ કર્મયોગની અને સાથો સાથ હૈયામાં અખૂટ હિંમત અને અદમ્ય બળની.

મીત્રો, તો આજે વિજયાદશમીના દિવસે આસુરી શક્તિ પર દૈવિ શક્તિનો પુરુષાર્થ દ્વારા વિજય થયો હતો તેની પાવન સ્મૃતિમાં આપણે સહુ ઉત્તમ વિચારો અને ઉત્તમ કાર્યોથી આપણાં લાગણી સભર બાગને હર્યો ભર્યો અને સુગંધિત બનાવવા માટે કમર કસશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

અશક્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૯)


મીત્રો,

ઘણી વખત આપણે અશક્ય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. જેમ કે :-

* તે માણસમાં સમજણ આવે તે વાત અશક્ય છે.
* મરેલો માણસ પુન:જીવીત થાય તે અશક્ય છે.
* માણસ સુર્ય પર જઈ શકે તે અશકય છે.
* માછલીઓ તરવાને બદલે ઝાડ પર ચડી જાય તે અશક્ય છે.
* ટુથપેસ્ટના પાઉચમાંથી નીકળી ગયેલી ટુથપેસ્ટ પાછી તેમાં ભરી દેવી તે અશક્ય છે.

એટલે કે જે વાત વ્યવહારીક રીતે સત્ય થઈ શકે તેવી ન હોય તેને આપણે અશક્ય છે તેમ કહેતા હોઈએ છીએ.

આપણે સમજવું જરુરી છે કે કોઈ પણ બાબત શક્ય છે કે અશક્ય છે તે એટલું અગત્યનું નથી પરંતુ કોઈ પણ બાબત જરુરી છે કે નહીં તે જાણવું અગત્યનું છે.

વિદ્યાર્થીને માટે વિદ્યાભ્યાસ, ગૃહસ્થને માટે ધન, કુટુંબના સભ્યોને એકબીજાની હુંફ, મીત્રને દોસ્તની સાથે હળવું મળવું અને સંવાદ દ્વારા વધુ પરિપક્વ થવું વગેરે બાબત આવશ્યક હોય છે. હા ઘણી વખત તે શક્ય નથી હોતું છતાં જે કાઈ બાબત જરુરી હોય તે જો યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો શક્ય થઈ શકે તેમ હોય છે.

એવું ક્યાંક વાચ્યું છે કે નેપોલીયન બોનાપાર્ટ (નેપોલીયન હીલ નહીં) કહેતા કે મારી ડીક્ષનેરીમાં Impossible નામનો કોઈ શબ્દ જ નથી – એટલે તેનો અર્થ તેમ નથી કે દરેક બાબત તેના માટે શક્ય હતી પણ તેનો અર્થ તેમ થતો કે તેણે કરવા ધારેલા કઠીન કાર્યો પણ તે પોતાના પુરુષાર્થ અને સામર્થ્યના જોરે કરી શકતા.

૩ ઈડીયટ્સનું દૃશ્ય યાદ કરો – અકળાઈ ગયેલો રાજુ ટુથપેસ્ટ દબાવીને બધી બહાર કાઢીને ફરહાનને કહે છે કે લે બધું શક્ય હોય તો આ પાછી આમાં ભરી દે. આ દૃશ્ય મનમાં અનેક વિચારો જન્માવે છે – કોણ સાચું?

રાજુ, ફરહાન કે રાન્ચો?

રાન્ચો કહે છે કે બધું શક્ય છે, ફરહાન તેને રાન્ચોની વાત સમજાવવાનો પ્રયાસ કરે છે અને રાજુ ક્રોધાવેશમાં વિચિત્ર વર્તન કરીને પુછે છે કે જો બધું શક્ય છે તો આમ કરી શકીશ?

જવાબ બધાનો જુદો હશે, વિશ્લેષણ કરવું પડે તેવી ઘટના છે. પહેલી વાત તો ટુથપેસ્ટ જરૂર નહોતી તો આટલી બધી બહાર શું કામ કાઢી? આ પાછી નથી જઈ શકતી તેમ બતાવવા? તેવી જ રીતે નાના છોકરા ગુસ્સે થાય ત્યારે પુસ્તકના પાને પાના ફાડી નાખે, પત્નિ ગુસે થાય તો છાપાના ટુકડે ટુકડા કરી નાખે. પીતા કે પતી તેને ફરીથી જોડી ન શકે – નવું પુસ્તક લાવી શકે, તે દિવસનું છાપું વાંચવાનું જતું કરી શકે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શક્ય છે – પરિસ્થિતિને પહેલા જેવી કરી દેવાનું હમ્મેશા શક્ય નથી હોતું.

પ્રકૃતિ નીરંતર પરિવર્તન પામતી રહે છે. હું ગઈકાલ ના જેવો આજે ન થઈ શકું. પરંતુ આજે કેમ સારી રીતે જીવવું તેનું સમાધાન ચોક્ક્સ મેળવી શકું.

બુદ્ધ કલિંગના યુદ્ધમાં મરાઈ ગયેલા અસંખ્ય સૈનિકોને ફરી જીવીત ન કરી શકે પરંતુ અશોકની બુદ્ધિ ઠેકાણે લાવી શકે અને તેને તલવાર મ્યાન કરાવીને ઘોડા પરથી હેઠે ઉતરાવીને ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રવૃત્ત કરી શકે.

કહેવાનું તાત્પર્ય તે છે કે કોઈ પણ બાબત શક્ય છે તેમ કહી ન શકાય પરંતુ જરુરી હોય તેવી કોઈ પણ બાબતનું સમાધાન શક્ય છે – તેમ કહી શકાય.

આ વિચાર પર અનેક વમળ મારા મનમાં ઉઠ્યા છે – આજે આ વિચાર પર વધુ લખવાનું મારા માટે શક્ય નથી પરંતુ તેનો અર્થ તેમ નથી કે આ વિચાર પર લખવાનું મારા માટે અશક્ય છે.

મીત્રો, તો આજથી જ કોઈ બાબત અશક્ય છે તેમ કહી દેવાને બદલે કોઈ પણ બાબતનો સમાધાનકારી ઉકેલ કેવી રીતે શક્ય છે તે શોધી કાઢવાનું અને તે પ્રમાણે જીવનને યોગ્ય દિશા આપવાનું શરુ કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

લક્ષ્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૮)


મીત્રો,

ગાંધીજી અને મારી વચ્ચે કોઈ સામ્યતા નથી. માત્ર એક બાબતમાં હું તેમનાથી ચડીયાતો છું – અને તે છે મારા ગરબડીયા અક્ષર.

હું નાનો હતો ત્યારે નોટબુકના પ્રથમ પાને ગરબડીયા અક્ષરે પ્રથમ બે ચરણ આ પ્રમાણે લખતો.

વૃક્ષ વીનાની વેલડી, ચંદ્ર વીનાની રાત;
ભણતર વીનાની જીંદગી, થઈ જશે બરબાદ.

વિદ્યાર્થી જીવનનું જો કોઈ લક્ષ્ય પુછે તો આંખો ખુલ્લી રાખીને એક શબ્દમાં જવાબ આપી શકાય – વિદ્યા. વિદ્યા પ્રાપ્તિ માટે વૈદિક સંસ્કૃતિના ઉપાસકો હંમેશા સરસ્વતી માની ઉપાસના કરતા આવ્યા છે. મારા અભ્યાસના ટેબલ સામે સરસ્વતી માની હંમેશા છબી રહેતી અને અભ્યાસ શરુ કરતા પહેલા હું આ શ્લોકનું પઠન કરતો.

या कुन्देन्दु- तुषारहार- धवला या शुभ्र- वस्त्रावृता
या वीणावरदण्डमन्डितकरा या श्वेतपद्मासना |
या ब्रह्माच्युत- शंकर- प्रभृतिभिर्देवैः सदा पूजिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ||

જુદા જુદા સમય માટે વૈદિક સંસ્કૃતિએ જુદા જુદા પ્રકારના લક્ષ્ય આપ્યાં છે તેને પુરુષાર્થ પણ કહ્યાં છે. વૈદિક સંસ્કૃતિમાં ક્યાય કશું પ્રારબ્ધ પર છોડી દેવાની વાત નથી દરેક બાબતે પુરુષાર્થ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જીવનને ચાર અવસ્થા અથવા તો આશ્રમમાં વીભાજીત કરીને એક સુ-વ્યવસ્થિત જીવન-વ્યવસ્થાનું નીર્માણ કરવામાં આવેલું.

જેમાં વિદ્યાર્થી અવસ્થામાં ચિત્તને માત્ર અભ્યાસમાં પરોવવાનું જરૂરી બનાવવામાં આવેલ. વિદ્યાભ્યાસ માટે ગુરુકુળો અલગ રખાતા જેથી સંસારની ધાંધલ – ધમાલથી અલગ રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતાં. આ સમય દરમ્યાન સાથે સાથે તેમને શસ્ત્ર અને શાસ્ત્રની તથા શરીરને અને મનને મજબુત બનાવવાની તાલીમ પણ મળતી રહેતી. આમ વિદ્યાર્થી જીવન અથવા તો પ્રથમ આશ્રમ કે જેને બ્રહ્મચર્યાશ્રમ તરીકે પણ ઓળખવામાં આવતો તેમાં માનવ બાળનું લક્ષ્ય વિવિધ વિદ્યાઓ પ્રાપ્ત કરવાનું, શરીર, મન અને બુદ્ધિને વિકસીત કરવાનું રહેતું. તે દરમ્યાન ધર્મ પુરુષાર્થના બીજ પણ રોપાઈ જતાં.

ત્યારબાદ બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ આવતો. તેમાં અભ્યાસ અને બ્રહ્મચર્યથી તેજસ્વી થયેલ વિદ્યાર્થી યોગ્ય કન્યા સાથે વિવાહ સંબધથી જોડાઈને ગૃહસ્થ જીવનની યાત્રાનો આરંભ કરતાં. જીવનનો આનંદ માણવાની સાથે સાથે તેઓ કશોક વ્યવસાય કરીને અર્થ કમાતા અને આમ અર્થ પુરુષાર્થ તથા ગૃહસ્થાશ્રમ એકબીજા સાથે તાલ મીલાવીને જીવનને હર્યું ભર્યું બનાવતાં. આ સમયે ગૃહસ્થો નવા નવા હુન્નરો વિકસાવવાનું અને સાથે સાથે માતા પીતા બનીને સંતાનોને કેળવણી આપવાનું તેમ દ્વિવિધ કામગીરી સારી રીતે બજાવતા. ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ધર્મ દ્વારા અર્થ ઉપાર્જન કરીને કામ પુરુષાર્થ દ્વારા સંસારના આનંદો માણવાનું અને સાથે સાથે જવાબદારીઓ નીભાવતા જવાનું રહેતું.

ત્યારબાદ જીવનના સર્વ આનંદોનો અનુભવ લીધા પછી વયની પાકટતાએ તેઓ ગૃહનો ભાર સંતાનોને સોંપીને વધુને વધુ સમય પ્રકૃતિના સાનિધ્યમાં ગાળતાં. આ સમયે તેઓ પર્યાવરણની કાળજી લેવા ઉપરાંત પર્યાવરણની તાજગીથી જીવનને સ્વસ્થ રાખતાં. ગૃહમાં પણ સંતાનો સક્ષમ બની જાય એટલે દખલગીરી કરવાને બદલે ગૃહનો ભાર ધીરે ધીરે પોતાના શિરેથી ઉતારીને હળવા બનતાં. જગત અને જગદીશ્વર વીશેની જીજ્ઞાસાનો આરંભ પણ વાનપ્રસ્થાશ્રમ દ્વારા થતો. ધર્મના રસ્તે આગળ વધતા વધતા સમાજ સેવાના કાર્યોમાં પોતાના અનુભવ અને શક્તિનો ઉપયોગ કરતાં. ધીરે ધીરે અર્થથી નિવૃત્ત થતા જઈને ધર્મને વધુ ને વધુ દૃઢ કરતા જતાં. વાનપ્રસ્થાશ્રમ દરમ્યાન જીવનનું લક્ષ્ય પર્યાવરણનું જતન, સમાજોપયોગી કાર્યો અને સાથે સાથે પરમ તત્વ તરફની જિજ્ઞાસા વિકસાવતાં જવાનું રહેતું.

ત્યાર બાદ જીવનના અંતિમ કાળે જીવનના સર્વ પ્રાણીઓ અને પદાર્થોમાંથી પોતાના ચિત્તને પાછું ખેંચી લઈને, સંસારની સર્વ આસક્તિઓને ત્યાગી અહર્નીશ એક માત્ર પરમ તત્વની આરાધનામાં લીન થઈ જતાં. સંન્યાસ આશ્રમ અને મોક્ષ પુરુષાર્થ તે જીવનના અંતીમ ચરણે આચરવાનો પુરુષાર્થ હતો અને અંતીમ ચરણે જીવનું લક્ષ્ય રહેતું અનંત સાથે એકતાર મેળવીને જીવનમુક્તતાની અનુભુતિનો.

અને છેવટે એક દિવસ પરમ ધન્યતાથી પરિતૃપ્ત થયેલ જીવ ચહેરા પર આછેરું સ્મિત છોડીને ચાલ્યો જતો અનંતની યાત્રાએ.


દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. ભીતર રહેલી આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી તે માનવ જીવનનું લક્ષ્ય છે. – સ્વામી વિવેકાનંદ


મનુષ્યજન્મ પ્રાપ્ત કર્યો છતાં જે ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતો તેનો જન્મ જ વૃથા. – શ્રી રામકૃષ્ણ પરમહંસ


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

હકારાત્મકતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૭)


મીત્રો,

આપ સહુ જાણો છો કે આ બ્લોગ મેં મારા વિચારો પ્રદર્શીત કરવા માટે બનાવ્યો છે. કોઈએ તેની સાથે સહમત થવાની કે ન થવાની આવશ્યકતા નથી. આ વિચારોમાંથી આપને કશાક ઉપયોગી લાગે તેવા વિચારો ગ્રહણ કરીને બાકીના વિચારોને આપ છોડી દઈ શકો છો. અશિષ્ટ ન હોય તેવા આપના સર્વ પ્રકારના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.

બાહ્ય પરિસ્થિતિ પર આપણો કાબુ ઘણો ઓછો હોય છે. બહાર શું બનશે તે નક્કી કરવાનું આપણાં હાથમાં હોતું નથી. બાહ્ય પરિસ્થિતિ પ્રત્યે કેવો પ્રત્યાઘાત આપણા અંત:કરણમાં ઉઠે તે માટેની કેળવણી આપણે આપણી જાતને આપી શકીએ.

શ્રીમદ ભગવદ ગીતાના આધારે મનુષ્ય યોની તે મધ્યમ પ્રકારની યોની છે. પશુ યોની નિમ્ન પ્રકારની અને દેવ યોની ઉચ્ચ પ્રકારની યોની છે. મૃત્યુ સમયે આપણે જે પ્રકારના ગુણથી પ્રભાવીત હોઈએ તે પ્રકારનો નવો જન્મ આપણે પ્રાપ્ત કરીએ છીએ. જો સત્વગુણમાં સ્થીત હોઈએ અને મૃત્યુ થાય તો આપણે દેવ યોની અને ઉર્ધ્વ લોકમાં જઈએ, જો રજોગુણમાં સ્થીત હોઈએ અને મૃત્યુ થાય તો ફરી પાછા પૃથ્વી લોકમાં મનુષ્યરુપે અવતરીએ અને જો તમોગુણમાં સ્થીત હોઈએ અને મૃત્યુ થાય તો પશુ યોનીમાં જન્મ થાય. આ વાત શાસ્ત્રોક્ત રીતે કહી છે – મારી પાસે પુરાવા નથી – માનવી હોય તો માનવી ન માનવી હોય તો યે કશો વાંધો નથી.

મનુષ્ય યોનીમાં હોવાને લીધે આપણે દેવો કરતાં ઓછા સામર્થ્યવાળા અને પશુઓ કરતા વધુ સામર્થ્યવાળા છીએ. મનુષ્યોમાં પણ ઘણાં આપણાથી ચડીયાતા અને ઘણાં આપણાથી ઉતરતી કક્ષાના લોકો છે. ટુંકમાં તેમ સમજીએ કે આપણે એક એવા જંક્શન પર ઉભા છીએ કે જ્યાંથી દરેક સ્ટેશને જવાની ગાડી મળે તેમ છે.

પ્રકૃતિના ૩ ગુણો છે. સત્વ, રજ અને તમ. સત્વ ગુણ શુદ્ધ છે અને સુખની સાથે બાંધે છે. સત્વગુણની વૃદ્ધિથી બુદ્ધિ ધારદાર બને છે અને કોઈ પણ વિષય તરત સમજાઈ જાય છે. રજોગુણ થોડો મલીન છે અને તે ખુબ પ્રવૃત્તિ કરાવે છે. તેની વૃદ્ધિથી લોભ થાય છે અને પાપ કહી શકાય તેવી અથવા તો સ્વાર્થી પ્રવૃત્તી તરફ તે દોરી જાય છે. તમોગુણ અંધકારમય ગુણ છે. આળસ અને પ્રમાદ દ્વારા તે જીવને અધોગતી તરફ લઈ જાય છે.

મનુષ્ય હોવાને લીધે આપણે રજોગુણની વૃદ્ધિવાળા છીએ એટલે કે આપણો અડધો ગ્લાસ ભરેલો છે. સત્વગુણ વાળા કરતા આપણે ઉતરતા અને તમોગુણ વાળા કરતા ચડીયાતા છીએ. અહીંથી જીદગીની ખરી મજા શરુ થાય છે. જો આપણે ઉર્ધ્વ બનવું હોય તો હકારાત્મક ગુણોને વિકસાવીને સત્વગુણમાં વૃદ્ધિ કરવી આવશ્યક બની જાય છે. જો ફરી પાછા મનુષ્ય તરીકે રહેવું હોય તો જેવા છીએ તેવા થોડા સારા અને થોડા ખરાબ રહીએ એટલે વાંધો નહીં આવે. અને જો પશુત્વ પ્રાપ્ત કરવું હોય તો આજથી જ કામ, ક્રોધ અને લોભને આપણા આભુષણો બનાવી દઈએ એટલે તરત – મનુષ્ય રુપે મૃગા: ચરન્તિ – મનુષ્યરુપે શિંગડા પુછડા વગરના પ્રાણી બની જઈશું.

આજનો મુખ્ય વિચાર હતો હકારાત્મકતા. હકારાત્મકતા શું છે? હકારાત્મકતા તે એક એવી દૃષ્ટિ છે કે જે દરેક બાબતમાંથી કશુંક સારુ શોધી કાઢે અને તેમાંથી આનંદ પ્રાપ્ત કરે અથવા તો રાજી થાય.

* ધારોકે હું ગરીબ છું અને માત્ર મને એક ટંક જમવાનું મળે છે તો હું રોદણાં રોવાને બદલે વિચાર કરું કે કઈ નહીં એક વખત તો જમવાનું મળે છે ને? તો આ હકારાત્મકતા છે.

* ધારો કે મારે કોઈ મીત્ર નથી માત્ર એક કુતરો મારો મીત્ર છે તો હું દુ:ખી થવાને બદલે વિચારું કે ભલેને કોઈ મનુષ્ય મારો મીત્ર ન હોય પણ એક કુતરો તો મારો મીત્ર છે ને? તો આ હકારાત્મકતા છે.

* ધારોકે હું માંદો છું અને મારું દર્દ એવું છે કે જેનો ઈલાજ ડોક્ટરો પાસે પણ નથી તો હું દુ:ખી થવાને બદલે વિચારું કે શેષ જીંદગી હું કશાક ઉપયોગી કાર્યમાં વીતાવીશ અને ભલેને મારો રોગ અસાધ્ય હોય પણ તેમ છતાં હું જીવી તો શકું છું ને? તો આ હકારાત્મકતા છે.

* ધારોકે હું બ્લોગર છું કે જેનો બ્લોગ બહુ ઓછા વાચકો વાંચે છે તો હું દુ:ખી થવાને બદલે તેમ વિચારું કે ભલેને કોઈ ન વાંચે તેમ છતાં મને લખવાનો આનંદ તો મળે છે ને? એકાદ બે મીત્રો વાંચે છે તે પણ મારા માટે તો ઘણું છે ને? તો આ હકારાત્મકતા છે.

ટુંકમાં હકારાત્મકતા તે મનને આપેલી એવી કેળવણી છે કે જે બાહ્ય જગતમાં જે કાઈ બને તેને હસતે મુખે સ્વીકારી શકે. તેની ઇચ્છા પ્રમાણે બને તો રાજી રાજી અને કદાચ તેમ ન બને તો યે પડી ભાંગવાને બદલે હિંમતપૂર્વક કહે કે ભલેને સફળ ન થયો તો યે પ્રયત્ન તો કર્યોને? તો આ હકારાત્મકતા છે.

હકારાત્મકતા વિશે લખવા કરતાં હકારાત્મકતા રોજે રોજ શીખવાની અને જીવનની અંદર અમલમાં મુકીને જીવનને નંદનવન બનાવવાની અમુલ્ય જડીબુટ્ટી છે. ઉપર ઈમેજમાં દર્શાવેલા અન્ય ગુણો હકારાત્મકતા ખીલવવા માટે ઘણા ઉપયોગી ગુણો છે.

મીત્રો, તો આજથી જ આપણે હકારાત્મક બનીને આપણું અને આપણાં સંપર્કમાં આવનારા સર્વ જીવોનું જીવન ખુશીઓથી છલકાવી દેવા માટે પ્રયત્નશીલ બનશું ને?


હકારાત્મકતા વિકસાવવા માટે નીચેનું પુસ્તક વાંચવા આગ્રહપૂર્વકની ભલામણ છે.

પોલીએના – રાજી થવાની રમત


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

હંકારવું – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૬)


મીત્રો,

આજે હું ખુબ આનંદમાં છું? કેમ? કારણ કે મને મારી જીંદગીની ગાડીના સાચા સારથી જડી ગયાં છે.

શું આપણે જાણીએ છીએ કે આપણો દેહ એક રથ છે. ઈંદ્રિયો ઘોડા છે. મન લગામ છે. બુદ્ધિ સારથી છે. અને જીવાત્મા રથી છે.

આપણે જાત જાતના અને ભાત ભાતના વાહનો ચલાવતા હોઈએ છીએ. દરેક ચાલક જાણે છે કે જો વાહનને ગંતવ્ય સ્થાને લઈ જવું હોય તો તેમાં પુરતું ઈંધણ હોવું જોઈએ, વાહન સક્ષમ હોવું જોઈએ, તેમાં એક્સીલરેટર અને બ્રેક હોવા જોઈએ. વાહન ચલાવવા માટે ગવંડર હોવું જોઈએ. આપણું ગવંડર આપણાં અથવા તો વિશ્વાસુ અને પ્રમાણીક વ્યક્તિના હાથમાં હોવું જોઈએ. ક્યાંક જવું હોય ત્યારે ખબર હોવી જોઈએ કે ક્યાં જવું છે.

આપણે રોજે રોજ કાઈક હંકારીએ છીએ અને સાથે સાથે કોઈના દ્વારા હંકારાઈએ પણ છીએ. બાળકને આજ્ઞા કરીએ, નોકરને સુચના આપીએ, મીત્રોને સલાહ આપીએ, ક્લાયન્ટને સેવા આપીએ આ દરેક વખતે આપણે સામેની વ્યક્તિને આપણી ઈચ્છા પ્રમાણે ચાલવા માટેના સંદેશા આપતા હોઈએ છીએ. તે જ રીતે પત્નિ સુચના આપતી હોય છે. ઘણી વખત અબોલા લેતી હોય અથવા તો વાસણ પછાડતી હોય છે. માતા પિતા સલાહ આપે છે. બાળકો ધમ પછાડા કરીને કશોક સંકેત કરતા હોય છે. ક્લાયન્ટ ફરીયાદ કરતા હોય છે. મીત્રો સલાહ આપે અથવા તો ખખડાવી નાખે આવે વખતે આપણે હંકારાતા હોઈએ છીએ.

હાંકવા અને હંકારાવાની ઘટનામાં આપણે બાહ્ય જગત પર કશોક આઘાત કરીએ છીએ અને બાહ્ય જગત આપણાં પર કશોક આઘાત કરે છે. આ આઘાતની સામે એક પ્રત્યાઘાત બાહ્ય જગતમાંથી અથવા તો આપણી અંદરથી ઉઠે છે. પ્રત્યેક આઘાત અને પ્રત્યાઘાત ચિત્તમાં એક સંસ્કાર છોડી જાય છે. સામ સામી લેવડ દેવડ વખતે આઘાત પ્રત્યાઘાત સામ સામેની વ્યક્તિ પુરતા મર્યાદિત રહેતા હોય છે જ્યારે સમાચાર માધ્યમો દ્વારા પ્રસરાવાતા સમાચારોના આઘાત અનેક લોકોના જન માનસમાં પ્રત્યાઘાત ઉત્પન્ન કરે છે.

એકની એક ઘટના જુદી જુદી વ્યક્તિના મનમાં જુદો જુદો તરંગ ઉત્પન્ન કરશે. નવરાત્રીના દાંડીયારાસ યુવાનોના હૈયા હિલ્લોળે ચડાવશે, બાળકોને તેની સાથે ખાસ નીસ્બત નહીં હોય, આધેડો પોતાના જુના દિવસો યાદ કરશે, ઉંમર વધી ગયેલા પણ દિલથી યુવાનો દાંડીયારાસ રમવાયે નીકળી પડશે પણ પગ એકી બેકી રમવા લાગશે તેથી એકાદ ચક્કર મારીને આપણે તો ભાઇ આજેય યુવાન છીએ અને ઘડપણ તો મારાથી હજુ દસ વર્ષ આગળ છે તેવું હાંફતા હાંફતા કહેશે.

આપણાં દ્વારા જગત, જીવ અને જગદીશ્વર સાથે વ્યવહાર થતો હોય છે. જગત પ્રતિક્રીયા કરે છે તેમાં ન્યુટનના નીયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે. જીવો કેવી પ્રતિક્રીયા કરશે તે નક્કી નહીં તેથી જીવો સાથેના વ્યવહારમાં સાવચેત રહેવું જરૂરી છે. જગદીશ્વર પણ પ્રતિક્રીયા કરે છે અને તેની ચાવી થોડીક ભગવદ ગીતામાં બતાવી છે – જેમ કે:-

જેવા ભાવ થકી મને ભક્ત ભજે મારા;
તેવા ભાવે હું ભજું તે સહુને પ્યારા.

આ ઉપરાંત આર્ત,અર્થાર્થી,જીજ્ઞાસુ અને જ્ઞાની તેમ ચાર પ્રકારના ભક્તો જગદીશ્વરને ભજે છે તે સહુ ભગવાનને પ્રિય છે પણ તેમાં જ્ઞાની તો ભગવાન સાથે સંધાઈ ગયો છે એટલે કે એકરુપ થઈ ગયો છે તેમ ભગવાન કહે છે.

હવે ફરીથી આપણે દેહરુપી રથમાં આવીએ. મહાભારતમાં અર્જુન રાત્રે નીરાંતે સુઈ જતો હતો કારણ કે તેમણે પોતાના રથનું સુકાન ભગવાનને સોંપી દીધું હતું. આપણામાંથી ઘણાને ઉંઘની ગોળી લેવી પડતી હશે કારણ કે આપણે આપણો રથ તો સરખો સંભાળી નથી શકતા અને પાછા ગામ આખાના રથનો ભાર માથે લઈને ફરતા હોઈએ છીએ.

દેહરુપી રથમાં ઈંદ્રીયોરુપી ઘોડા છે તે બધી ઈંદ્રીયો જો પોતાના વિષયોમાં યથેચ્છ વિહાર કરે તો જરૂર રથને ખાડામાં નાખે પણ તેની પર કાબું રાખવા માટે મન રુપી લગામ (બ્રેક) આપવામાં આવી છે. આજની રાસાયણીક ભાષામાં જુદા જુદા રસાયણો જરુર પ્રમાણે મગજ (Brain) માંથી ઝરે છે અને જુદી જુદી પરિસ્થિતિ પર કાબુ રાખે છે. જો આ લગામ બરાબર હોય તો ગાડી બરાબર ચાલે. આ લગામ ક્યારે કેવી રીતે ઉપયોગમાં લેવી તે સારથી એટલે કે બુદ્ધિ નક્કી કરે છે. વિજ્ઞાન મન અને બુદ્ધિ વચ્ચે કોઈ ભેદ નથી પાડતું પરંતુ અધ્યાત્મ શાસ્ત્રએ મન અને બુદ્ધિ વચ્ચે અંતર છે તેમ દર્શાવ્યું છે. મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ કરવાનું છે જ્યારે બુદ્ધિનું કાર્ય નીર્ણય લેવાનું છે. બુદ્ધિ પણ ત્રણ પ્રકારની હોય છે. ૧.સાત્વિક ૨.રાજસી ૩.તામસી – જેવી બુદ્ધિ તેવો નિર્ણય.

જો આપણે યોગ્ય રીતે ગાડી હંકારવી હશે અને જીવાત્મારુપી રથીને ચોક્કસ ગંતવ્ય સ્થાને પહોંચાડવો હશે તો બુદ્ધિરુપી સારથીને સુદૃઢ બનાવવો પડશે.

તો મીત્રો, આજથી જ આપણે આપણા બુદ્ધિરુપી સારથીને વધુને વધુ સાત્વિક બનાવવા માટે પ્રયત્ન શરું કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

સંઘ ભાવના (Team Work) – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૫)


મીત્રો,

ટોળું અને ટુકડી વચ્ચેનો તફાવત જાણો છો? ટોળું એટલે અનીયંત્રીત વ્યક્તિઓનો સમૂહ કે તે ક્યારે શું કરશે તે નક્કી નહીં. જ્યારે ટુકડી એટલે ચોક્કસ હેતુ કે ધ્યેય માટે એકત્રીત થયેલ વ્યક્તિઓનો સમૂહ. આપણાં દેશમાં માણસો ભેગા કરવા જેટલું સહેલું કામ બીજું એકે નથી. પરંતુ ચોક્કસ હેતુ માટે ચોક્કસ પ્રકારની ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ એકત્ર કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય છે.

સાંપ્રત બે આંદોલનના ઉદાહરણ લઈએ તો સમજાશે કે એકમાં નીશ્ચિત ધ્યેય વગર એકત્રીત થયેલ ટોળું હતું જ્યારે બીજામાં સમજદાર અને સમર્પિત વ્યક્તિઓ દ્વારા ચોક્કસ હેતુ માટે કરવામાં આવેલ પ્રયાસ છે. પ્રથમ આંદોલન બાબા રામદેવનું હતુ કે જેને સરકાર દ્વારા આસાનીથી તોડી પડાયું. બીજા આંદોલનમાં સરકારે જેમ જેમ આંદોલનને તોડી પાડવા પ્રયાસ કર્યો તેમ તેમ સરકાર વધુને વધુ સાણસામાં સપડાતી ગઈ. બંનેમાં ઘણાં માણસો હતાં. પ્રથમ આંદોલનના નેતા વધારે લોકપ્રીય અને જાણીતા હતા જ્યારે બીજા આંદોલનના નેતા વધારે ચોક્કસ અને પ્રમાણિક હતાં. કહેવાનું તાત્પર્ય તે છે કે કોઈ પણ કાર્યને જો વ્યવસ્થિત પરીણામ પ્રાપ્ત કરવામાં રુપાંતરીત કરવું હોય તો જે તે કાર્ય માટે એકત્ર થયેલા માણસો યોગ્ય હોવા જોઈએ.

જાપાન અને આપણાં દેશની વસ્તી વચ્ચે કેટલો મોટો તફાવત છે. જાપાનમાં બધા નાગરીકો છે જ્યારે આપણે ત્યાં (સ્વાર્થી ?) વ્યક્તિઓના ટોળા. કોઈ ઉમદા હેતુ કે ધ્યેય વગર એકત્રીત થતાં માણસો કદાચ બાબરી મસ્જીદ તોડી શકે, ટ્રેનના ડબ્બા સળગાવી શકે, હુલ્લડ અને તોફાનો કરી શકે, માલ મિલ્કતને નુકશાન કરી શકે પરંતુ કશુંક હકારાત્મક, કશુંક સર્જનાત્મક કાર્ય કરવું હોય તો સબળ, સચોટ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓની ટુકડી જ કામ લાગે.

આપણે ત્યાં TATA ને ઘણું પ્રતિષ્ઠિત ઉધ્યોગ ગૃપ ગણવામાં આવે છે. હું જ્યારે મીકેનીકલ એંજીનીયરીંગનો ડીપ્લોમાં કરતો હતો ત્યારે અમારે ત્યાં એક ગૃપ પોતાને TATA ગૃપ તરીકે ઓળખાવતું. TATA means Team Work.

સારું સોફ્ટવેર બનાવવું હોય, સારો વેપાર કરવો હોય, ઉત્તમ ખેતી કરવી હોય, સારી રીતે રાજ્ય કરવું હોય, સારી રીતે ફેક્ટરી ચલાવવી હોય કે કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો સારી ટીમ જોઈએ.

ટીમના સભ્યોમાં હંમેશા એકબીજાને સહાયરુપ થવાની ભાવના હોવી જોઈએ. કાર્યનો હેતુ સમગ્ર ટીમના લાભમાં હોવો જોઈએ. ફેક્ટરીમાં વિધ વિધ વિભાગો હોય છે. આ દરેક વિભાગ એક બીજા સાથે તાલ મેલ મેળવીને કામ કરે છે અને પરીણામે સરસ નફો પ્રાપ્ત કરે છે. જે કારખાનાઓમાં Union લીડરો – વર્કરો અને મેનેજમેન્ટને લડાવી મારે છે તે કંપનીને થોડા સમયમાં જ ફડચામાં લઈ જવી પડે છે.

પર્વતારોહકો પણ Team માં પરવતારોહણ કરે છે. તેમનો હેતુ સર્વ પ્રથમ ટોચે પહોંચવાનો નહીં પરંતુ ટીમનો દરેક સભ્ય ટોચ સુધી પહોંચી શકે તે હોય છે.

મીત્રો, કુટુંબ, સમાજ, ગામ, શહેર, પ્રાંત, રાજ્ય, દેશ આ બધાં છેવટે તો મનુષ્યોના સમુહથી જ વિકાસ કે વિનાશ પામે છે ને? સારા, વિચારશીલ, વ્યવસ્થિત સદાચરણ ધરાવતાં વ્યક્તિઓ જ્યાં એકત્રીત થાય તે મીત્રો, કુટુંબ, સમાજ, ગામ, શહેર, પ્રાંત, રાજ્ય અને દેશ વિકાસ પામે છે અને જ્યાં વિઘાતક વિચારસરણી વાળા મનુષ્યો એકત્રીત થાય ત્યાં રકાસ અને પતન નોતરે છે.

જીવનના દરેક ક્ષેત્રે સહકાર અને સંઘભાવના જરૂરી છે પણ સાથે સાથે તે પણ જોવું જોઈએ કે સંઘમાં, ટુકડીમાં, સમુહમાં એકત્ર કરાયેલ સભ્ય પુરતી ગુણવત્તા ધરાવતો હોય.

મીત્રો, તો આજથી જ સબળ મીત્રોની ટીમ બનાવવા માટે આપણે યોગ્ય વ્યક્તિઓ પસંદ કરવાનું શરું કરી દઈશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , | Leave a comment

હિંમત – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૪)


મીત્રો,

મને કોઈ પુછે કે એક મા કે બાપ પોતાના દિકરી કે દિકરાને ઉત્તમમાં ઉત્તમ કઈ ભેટ આપી શકે? તો હું આંખો મીંચીને જવાબ આપુ કે હિંમત. આસ્થા જ્યારે નાની હતી અને થોડું થોડું બોલતાં શીખેલી ત્યારે તે ઉઠે ત્યારે સહુ પ્રથમ અમે સ્વામી વિવેકાનંદનું આ વાક્ય બોલતા અને તે તેનું પુનરાવર્તન કરતી.

“ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો – અને જાણી લ્યો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો.”

હિંમત – હિંમત અને હિંમત આ એક જ વાક્યમાં ઉપનિષદના સર્વ સંદેશાનો સાર આવી જાય છે. આ જગતમાં એક ડગલુંએ ભરવું હશે તો હિંમતની જરૂર પડશે. ૧૦૦૦ માઈલની મુસાફરી પુરી કરનારે પણ શરુઆત તો પ્રથમ પગલું ભરવાની હિંમતથી જ કરી હશે.

આપણાં સંતાનો માંદા હોય તો તેને દવા આપીએ અને સાથો સાથ કહીએ કે રોગ ચાલ્યો જશે જ – તું હિંમત રાખજે. આપણા સંતાનો પરીક્ષાની તૈયારી કરતાં હોય કે પરીક્ષા આપતા હોય તો તેને પ્રોત્સાહન આપતા કહેશું દિકરા મન દઈને વાંચ, હું તારી સાથે જાગીશ, હું ઈન્ટરનેટ પર બેસવાનું કે બીજા કાર્ય પડતા મુકીને ય તને સાથ આપીશ કારણ કે આ જગતમાં તું મને સહુથી વધુ પ્રિય છો – તું હિંમત રાખીને અભ્યાસ કર, પરિક્ષા આપ – જરુર સફળ થઈશ જ.

અરે જો મારા દિકરાનો જન્મ દિવસ હોય તો હું તેને દુન્યવી ભેટ અને મનગમતો ખોરાક તો જરૂર આપું, તેને સારા સ્થળે ફરવા લઈ જાઉ અથવા તો તેના મિત્રોને બોલાવીને તે મીજબાની આપે તેવી ગોઠવણ કરી દઉ પણ સાથે સાથે તેના માથે હાથ મુકીને આશીર્વાદ આપતાં કહું કે દિકરા આ જગતમાં જો તારે પ્રત્યેક પરિસ્થિતિમાં ટકી રહેવું હશે તો ડગલે અને પગલે હિંમતની જરૂર પડશે તેથી તું જીવનના કોઈ પણ તબક્કે હિંમતના આ મહાન ગુણને તારાથી અલગ કરતો નહી. અરે દિકરા તારી પ્રેમાળ માને તું હંમેશા વહાલ કરજે કે જે તારા સુખ માટે રાત દિવસ ઉજાગરા કરે છે. તારા આ પિતા જ્યારે નીરાશ થઈ જાય કે કશીક મુશ્કેલીમાં ચિંતાતુર દેખાય ત્યારે તું તેના વાંસે હાથ ફેરવીને હિંમત આપજે અને કહેજે કે પપ્પુ હિંમત રાખવાનું તો હું તમારી પાસેથી શીખ્યો છું અને તમે કેમ આજે ઢીલાં પડી ગયા છો?

જીવનનું એવું ક્યું ક્ષેત્ર છે કે જ્યાં હિંમત વગર કામ થઈ શકે? એકે નહીં. દેશનું રક્ષણ કરવું હોય, કુટુંબનું ભરણ પોષણ કરવું હોય, ખેતી કરવી હોય, ઉધ્યોગ ધંધા ચલાવવા હોય, રાજકીય ક્ષેત્રે આગળ આવવું હોય, પર્વતો ચઢવા હોય, દેશ દેશાવર જવું હોય, કશુંક નવું શીખવું હોય, અરે કાઈ પણ નવું કરવું હોય, જે છે તેને જાળવવું હોય કે કશું વિસર્જન કરવું હોય – તો દરેકે દરેક કાર્યમાં હિંમતની જરૂ પડશે.

શોર ફીલ્મના બધા ગીતો મને ગમે છે પણ તેમાંયે “જીવન ચલને કા નામ” ગીત તો વિશેષ ગમે છે અને તેની આ કડી તો સહુથી વધુ પ્રિય છે.

હિંમત અપના દીન ધરમ હૈ
હિંમત હૈ ઈમાન
હિંમત અલ્લાહ
હિંમત વાહેગુરુ
હિંમત હૈ ભગવાન

કે ઈસપે મરતા જા મિત્રા..
કે સજદા કરતા જા મિત્રા..
કે શીશ જુકાતા જા મિત્રા..

જીવન ચલને કા નામ

મીત્રો, તો આજથી જ હિંમતને આપણો જીવનમંત્ર બનાવશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

શક્યતાઓ – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૩)


મીત્રો,

શું આપણે આપણાં વીશે કદી વધારે વિચાર કર્યો છે? હંમેશા જગતના પ્રાણીઓ અને પદાર્થો વીશે વિચાર કરનારા આપણે કદી આપણા વિચારોનું કેન્દ્ર બિંદુ પોતાની જાતને બનાવી છે?

આપણે જો આપણાં વીશે વિચાર કરશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે શરીર છે, સતત વિચાર કરતું મન છે, સતત ચાલતાં શ્વાસ અને ઉચ્છવાસ છે, બધાએ અનુભવોનો સંગ્રહ કરતું ચિત્ત છે, જુદી જુદી પરિસ્થિતિ વખતે પાછલા અનુભવો અને મેળવેલ માહિતિ અને જ્ઞાનના આધારે નીર્ણય લેતી બુદ્ધિ છે અને આ સર્વના કેન્દ્રમાં રહેલ કે જે આપણને સહુને અતી પ્રિય છે તેવો ’હું’ એટલે કે અહંકાર છે.

આ ઉપરાંત આપણી પાસે બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવતી જ્ઞાનેન્દ્રિયો (Input Device) અને બાહ્ય જગતમાં આપણું પ્રદાન આપવા માટે કર્મેન્દ્રીયો (Output Device) છે. આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રીય અને પાંચ કર્મેન્દ્રીય છે.

દૃશ્યને જોવા માટે આપણે ચક્ષુનો ઉપયોગ કરીએ છીએ. સ્પર્શને અનુભવવા માટે આપણે ત્વચાનો ઉપયોગ કરીએ છીએ. શબ્દોને સાંભળવા માટે આપણે કર્ણનો ઉપયોગ કરીએ છીએ. પદાર્થોનો રસ લેવા માટે આપણે જિહ્વાનો ઉપયોગ કરીએ છીએ. ગંધને અનુભવવા માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ.

તેવી જ રીતે હાથ દ્વારા ગ્રહણ કરવાનું અને આપવાનું કાર્ય થાય છે. પગ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવાનું કાર્ય થાય છે. વાણી દ્વારા આપણે શબ્દો અભીવ્યક્ત કરીએ છીએ. ઉપસ્થ દ્વારા મૂત્ર વિસર્જન તથા પ્રજનનનું કાર્ય થાય છે. ગુદા અથવા તો પાયુ દ્વારા મળ વિસર્જનનું કાર્ય થાય છે.

આ ઉપરાંત શરીરની અંદર રક્તને સતત પરીભ્રમણ કરતું રાખવા માટે અનેક નસ નાડીઓ કાર્યરત હોય છે. હ્રદય સતત ધબક્યા કરતું હોય છે. આંતરડાઓ, જઠર, ફેફસા અને અન્ય અવયવો સતત કાર્યરત હોય છે.

Input Device દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ અને Output Device દ્વારા આપણે પ્રદાન કરીએ છીએ. આપણે હંમેશા સારુ સારું ગ્રહણ કરવાનું ઈચ્છીએ છીએ તો આ સારું આપણને પ્રકૃતિ તો સતત આપતી રહે છે પરંતુ અન્ય પ્રાણીઓ અને મનુષ્યો દ્વારા થતા વ્યવહાર આપણને હંમેશા સારા નથી લાગતાં. બીજી વ્યક્તિ આપણને સારો લાગે તેવો વ્યવહાર કરે તો તે વ્યવહાર સામેની વ્યક્તિ માટે Output છે જ્યારે આપણે માટે Input. તેવી જ રીતે આપણો વ્યવહાર આપણે માટે Output છે અને સામેની વ્યક્તિ માટે Input. જો આપણને હંમેશા સારું ગમતું હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિને પણ હંમેશા સારુ ગમતું હોય. આપણે બીજા પાસેથી સહકાર, પ્રેમ, લાગણી, આત્મિયતા, ભાઈચારો, હુંફ, મિત્રતા વગેરે ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિઓ પણ તેવું જ ઈચ્છતી હોય. પરંતુ આપણે તે વિચાર કર્યો છે કે સામેની વ્યક્તિની અપેક્ષા પુરી કરવા માટે આપણે કશો પ્રયાસ કરીએ છીએ? જે લોકો સમાજીક વ્યવહારમાં સફળ થયા હોય તે જરૂર સામેની વ્યક્તિનો વિચાર કરનારા હશે. સામેની વ્યક્તિ પાસેથી તેમની અપેક્ષા ઓછી અને આપવાની ભાવના વધું હશે.

આપણી જાતને અભીવ્યક્ત કરવા માટે મુખ્યત્વે ૩ Output Device નો આપણે ઉપયોગ કરી શકીએ. ૧. હાથ – સેવા માટે, કશુંક આપવા માટે. ૨. પગ – બીજી વ્યક્તિ પાસે પહોંચીને તેને મદદરુપ થવા માટે. ૩. વાણી અથવા શબ્દો – શબ્દો એ જાતને અભીવ્યક્ત કરવા માટેનું એક સશક્ત માધ્યમ છે. પ્રેમાળ શબ્દો દ્વારા, સહાનુભુતીની વાતો દ્વારા, આશ્વાસનના વાક્યો દ્વારા આપણે કશુયે ચૂકવ્યા વગર સામેની વ્યક્તીની મોટી સેવા કરી શકીએ છીએ.

જો આ ત્રણ બાબતોને રજૂ કરવા માટેની કોઈ પણ કલા આપણે હસ્તગત કરી લઈએ તો આ જગતમાં આપણે આસાનીથી સફળ બની શકીએ. નાટક, ગીત, સંગીત, કશોક હુન્નર, કશીક કળા, કશીક આવડત આ બધું જો આપણે વિકસાવી શકીએ અને તેને વ્યવહારીક બનાવી શકીએ તો આપણે બીજાને પ્રસન્ન કરી શકીએ અને બીજાની પ્રસન્નતાના પરીણામે સ્વાભાવિક રુપે જ તેઓ કશોક પ્રસાદ ધરવાના છે તે પ્રસાદને પામીને આપણે પણ પ્રસન્ન રહી શકીએ.

કેટલાક મીત્રો કહે છે કે ભ્રષ્ટાચાર વ્યાપક છે અને ભગવાનને પણ પ્રસાદ ચડાવવો પડે છે. હું કહું છું કે ભ્રષ્ટાચાર હોય કે શિષ્ટાચાર પ્રસાદ વગર કોઈને ચાલતું નથી. નોકરીયાત નોકરીએ જાય છે તો પગાર લે છે તે તેનો પ્રસાદ છે. વેપારી માલ વેચે છે તો નફો તેનો પ્રસાદ છે. સંગીતમંડળી સંગીત પીરસે છે તો શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ તે તેનો પ્રસાદ છે. બ્લોગર પોસ્ટ લખે છે તો વાંચકોના Like ની ક્લીક અને પ્રતિભાવો તે તેમનો પ્રસાદ છે. પતિ-પત્નિ જ્યારે માતા-પિતા બને છે ત્યારે દિકરી-દિકરો તેમને મળેલો પ્રસાદ છે.

જો આપણે લોકોને મિષ્ટ અને કલ્યાણકારી પ્રસાદ આપતા રહીએ તો સ્વાભાવિક રીતે આપણાં ભક્તો વધવાના તેવી જ રીતે જો આપણે મેથીપાક, દંડાપ્રસાદ વગેરે પ્રકારના વિશિષ્ટ પ્રસાદ પીરસવામાં પાવરધા હોઈએ તો સ્વાભાવિક રીતે જ ભક્તોને બદલે વિરોધીઓ વધવાના.

કહેવાનું તાત્પર્ય તે છે કે આ વિરાટ સૃષ્ટિના પદાર્થોનું આપણે સુપેરે સંયોજન કરીને જો તેમાંથી સુંદર પ્રસાદ બનાવતાં શીખી જઈએ અને તે પીરસવાનું ચાલું કરી દઈએ તો આજે જ આપણાં મંદિરે ભક્તોની લાઈન લાગવા મંડશે. આપણી પાસે આટ આટલા પદાર્થો અને તેમાંથી અનેક પ્રકારના પ્રસાદો બનાવવા માટે અઢળક શક્યતાઓ છે.

મીત્રો, તો આજથી જ જાત જાતના અને ભાત ભાતના પકવાનો બનાવીને લોકોને ખુશ ખુશાલ કરી દે તેવા પ્રસાદ પીરસવા કટીબદ્ધ થઈશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

અમર્યાદ તકો – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૨)


મીત્રો,

અનંત શક્યતાઓથી ભરેલા આપણા જીવનમાં શું તકો નથી આવતી? અરે રોજે રોજ તક આવીને આપણાં બારણે ઉભી રહે છે – કાશ આપણે તે બારણું ખોલવા જેટલો પુરુષાર્થ કરી શકતા હોત !

કેટલાયે લોકો સમગ્ર જીવન એક જ ઘરેડમાં, એક ધારી રીતે , એના એ જ જુના પુરાણા રીવાજો, માન્યતાઓ અને પ્રવૃત્તિમાં ગુજારી દેતાં હોય છે. ઈશ્વરની આ અજાયબ સૃષ્ટિમાં રોજે રોજ નવું નવું બને છે. આ સૃષ્ટિમાં જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ છે, સમુદ્રો, નદીઓ, ખળ ખળ કરતાં ઝરણાઓ, સુસવાટા મારતો પવન, કે શીતળતા અર્પતી હવાની લહેરખીઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ફળો, ફુલો, તરેહ તરેહના દેશ, પ્રદેશ, જાતી પ્રજાતીઓ અને કેટ કેટલું છે અહીં જાણવા માટે – માણવા માટે. પણ પણ પણ આપણે આપણાં ઘરના બારી બારણાં બંધ કરીને જાતે જાતે જ તેમાં પુરાઈ રહીએ – ન કોઈને મળીએ, ન કોઈની સાથે વાત કરીએ, ન તો આપણી હાજરી પણ કળાવા દઈએ – આવું એકાકી જીવન જીવનારાના તો મગજ બહેર મારી જાય.

આપણાં ભારત વર્ષમાં જ્યારે આરણ્યક સંસ્કૃતિ હતી ત્યારે કેટકેટલાં ચિંતકો થયા, તેમણે જુદી જુદી રીતે પ્રકૃતિ પાસેથી જ્ઞાન મેળવ્યું અને એક સંસ્કૃતિનો વિકાસ કર્યો. આજે આપણે જુની સંસ્કૃતિના ગાણાં ગાવાની બદલે રોજ નવું નવું શીખી, જાણી, જીવનને આનંદથી માણતા જઈને જગત સાથે કદમ તાલ મેળવતા જવાની જરૂર છે. ક્યાં સુધી આપણાં જુના પુરાણા, એકના એક ચવાઈને કુચ્ચો થઈ ગયેલા વિચારોને વાગોળતા રહેશું? વહેતું જળ હંમેશા તાજગી અને જીવન બક્ષે છે જ્યારે બંધિયાર પાણી દૂષિત થઈને ગંધાઈ ઉઠે છે. આપણું જીવન વહેતા જળની જેમ, ખળ ખળ વહેતા ઝરણાંની માફક કીલ્લોલતું હોવું જોઈએ.

આનંદ મેળવવા માટે ઘરમાં બેસીને ટીવી, વીડીયો જોયા કરવાને બદલે ખરેખર તો પ્રકૃતિના સાનિધ્યમાં પહોંચી જવું જોઈએ. ટીવી, વીડીયો તમને કોકની જીંદગી બતાવશે જ્યારે પ્રકૃતિના ખોળે તમે તમારી જીંદગી જીવી શકશો. તેનો અર્થ તેમ નથી કે માહિતિ પ્રાપ્તિ માટે ટીવી – વિડીયો ઉપયોગી નથી પણ આનંદ પ્રાપ્તિ માટે તો ટીવી વીડીયો કરતાં પ્રકૃતિ અનેક ગણી સહાયક બનશે.

આપણે અઠવાડીયે ઓછામાં ઓછા ૨૪ કલાક તો એવી રીતે ફાળવવા જોઈએ કે જ્યારે આપણે ખુલ્લા દીલે, હળવા મને, તરવરાટ ભર્યા તનથી અને લાગણી સભર હ્રદયથી કુદરતના અસીમ ખોળે ઉછળ કુદ કરી શકીએ.

આપણે આપણાં મનની બારી સદાયે ખુલ્લી રાખવી જોઈએ. નવા નવા વિચારોની પ્રાપ્તિ અને પ્રિય મિત્રો સાથે ગુજારેલો અલ્પ સમય પણ આપણને તાજગી બક્ષશે. જ્યારે આપણું મન નબળું હોય છે – વિચારવાની બારી બંધ હોય છે ત્યારે આપણને બધું મુશ્કેલ લાગે છે. જ્યારે મન સંતુલિત હોય છે ત્યારે કેટલીક પરિસ્થિતિઓ પડકારરુપ લાગે છે પણ જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પ્રત્યેક પરિસ્થિતિ એક તક લાગે છે.

તો મીત્રો, આપણાં મનને હંમેશા નવા નવા વિચારોથી તાજગી સભર બનાવીને રોજે રોજ આવતી તકોને ઝડપીને જીવનને ભરપુર આનંદથી માણશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

યોગ્ય દિશા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૧)

મીત્રો,

શું એવું બને કે મહેનત કરનારને જશની બદલે જુત્તા મળે? હા, એવું બની શકે – જો તમે યોગ્ય દિશામાં મહેનત ન કરી હોય તો. ધારો કે મારે અમદાવાદ જવું હોય અને હું મહુવા-રાજુલાના રુટ પર જતી બસમાં બેસી જાઉ તો શું થાય? હું ટીકીટભાડું ખર્ચું, બસમાં બેસવાનો સમય આપું અને તો યે અમદાવાદ રહેતા મારા સ્નેહીને મળવાને બદલે રાજુલાની જીનીંગ ફેક્ટરીએ પહોંચી જાઉ તો તેમાં વાંક કોનો? મેં પુરુષાર્થ કર્યો અને તો યે આવું વિપરીત પરીણામ? કારણ? ખોટી દિશા. મારે રાજધાની કે તન્ના ટ્રાવેલ્સમાં બેસવાની જરુર હતી તેને બદલે હું સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખખડધજ બસમાં બેસી ગયો અને તે પણ પાછી ઉલટી દિશામાં જતી હોય તેવી.

જીવનના દરેક ક્ષેત્રમાં તેવું છે. આપણામાંથી દરેક લોકો કાઈ આળસુ નથી. ઘણાં લોકો ઘણો પુરુષાર્થ કરે છે છતાં જ્યારે તે સફળ થતાં નથી ત્યારે નિષ્ફળતાના કારણો શોધવાને બદલે ભાગ્યને દોષ દઈને માથે હાથ દઈને બેસી જાય છે. ઘણી ખરી નિષ્ફળતામાં જોવા મળશે કે યોગ્ય દિશામાં મહેનત ન કરી તે જ તેનું કારણ હતું.

ખુબ કાર્ય કરવાથી સફળતા મળે છે કે આપણે શક્તિમાન બનીએ છીએ તેવું નથી પણ યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં કાર્ય કરવાથી આપણે સુદૃઢ અને સફળ બનીએ છીએ. કેટલાયે લોકો આખી જિંદગી ગદ્ધા વૈતરું કરતાં હોય છે અને છતાં યે માંડ પંડ પુરતું રળતા હોય છે જ્યારે કેટલાક લોકો બુદ્ધિપૂર્વકના આયોજન દ્વારા કાર્ય કરતા હોય છે અને મબલખ કમાણી કરતાં હોય છે. તેથી ખુબ કામ કરવું એટલું મહત્વનું નથી જેટલું સમજણ પૂર્વક કાર્ય કરવું મહત્વનું છે.

અંગ્રેજો આપણાં દેશમાં આવ્યા, આપણાં જ માણસો પાસેથી, આપાણાં જ દેશના કાચા માલમાંથી ઉત્પાદન બનાવીને પોતાના દેશનો માર્કો લગાવીને આપણને જ મોંઘા ભાવે તેઓ વેચતાં. આમ આપણા પરસેવામાંથી તેઓ માલેતુજાર થતાં. વિકસિત દેશો અને મલ્ટીનેશનલ કંપનીઓ આજે પણ તેવું જ કરે છે ને? કાચો માલ આપણો, કારીગર આપણાં, ફેક્ટરી આપણી, ઉર્જા આપણી પણ મેનેજેમેન્ટ તેઓનું અને જે કઈ તગડો નફો મળે તેમાંથી આપણને ચાંગળુંક આપીને બાકીનું બધું પોતે જમી જાય છે.

આથી ઉલટું જે લોકોએ આયોજનપૂર્વક, યોગ્ય દિશામાં, સમજણ સાથે કાર્ય કર્યું તેઓ થોડીક મહેનતથીયે સફળતાના શિખરો આંબી શક્યાં. આપણે જે કાર્ય કરીએ તે આપણને દુ:ખી બનાવશે કે મજબૂત તેનો બધોએ આધાર આપણે યોગ્ય દિશામાં કાર્ય કરીએ છીએ કે નહીં તેના પર રહેલો છે.

તો મીત્રો, આજથી જ આપણે આપણું કાર્ય યોગ્ય દિશામાં કરવાનો પ્રયાસ શરું કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.