ગીતા પ્રવચનો

પ્રકૃતિની ચિકિત્સા (75)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
પ્રકરણ – ૭૫ – પ્રકૃતિની ચિકિત્સા

1. આજનો ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયની પૂર્તિ કરે છે. આત્માને ખરેખર કંઈક કરીને મેળવવાનો છે એવી વાત નથી. આત્મા સ્વયંપૂર્ણ છે. આપણા આત્માની સ્વાભાવિક ઉપર જનારી ગતિ છે. પણ કોઈક ચીજને ભારે વજન બાંધો એટલે તે જેમ નીચે ખેંચાય છે તેમ આ દેહનો ભાર આત્માને નીચે ખેંચે છે. પાછલા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. આ વાત અઘરી હશે, છતાં તેનાથી મળનારૂં ફળ પણ બહુ મોટું છે. આત્માના પગમાં જડાયેલી દેહની બેડી આપણે તોડી શકીએ તો અતિશય આનંદ મળે એમ છે. પછી માણસ દેહનાં દુઃખોથી દુઃખી નહીં થાય. તે સ્વતંત્ર થશે. આ એક દેહરૂપી ચીજને જીતી લીધા પછી માણસ પર કોણ સત્તા ચલાવી શકશે ? જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરો. દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે; તેમનો આત્માની સાથે જરાયે સંબંધ નથી.

2. આ સુખદુઃખ કેટલા પ્રમાણમાં અળગાં કરવાં એનો ખ્યાલ ભગવાન ખ્રિસ્તનો દાખલો લઈ મેં અગાઉ આપ્યો હતો. દેહ તૂટીને પડી જતો હોય તે વખતે પણ અત્યંત શાંત તેમ જ આનંદમય કેમ રહી શકાય તે ઈશુ બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ ક બાજુથી વિવેકનું છે તેવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. ‘विवेकासहित वैराग्याचें बल ’ –વિવેકની સાથે વૈરાગ્યનું બળએમ તુકારામે કહ્યું છે. વિવેક અને વૈરાગ્ય બંને વાત જોઈએ. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં નિગ્રહની દિશા બતાવી છે. હોડી ચલાવવાનું કામ હલેસાં મારનારાઓ કરે છે. પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસાં ને સુકાન બંનેની જરૂર છે. તે જ પ્રમાણે દેહનાં સુખદુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ બંનેની જરૂર છે.

3. વૈદ જેમ માણસની પ્રકૃતિ તપાસીને ઉપચાર બતાવે છે તેમ ભગવાને આ ચૌદમા અધ્યાયમાં આખીયે પ્રકૃતિને તપાસીને તેનું પૃથક્કરણ કરી કયા કયા રોગ ઘર કરી ગયા છે તે બતાવ્યું છે. પ્રકૃતિની બરાબર વહેંચણી અહીં કરવામાં આવેલી છે. રાજનિતિ-શાસ્ત્રમાં ભગલા પાડવાનું મોટું સૂત્ર છે. જે શત્રુ સામો હોય તેમાં જો ભાગ પાડી શકાય, તેનામાં ભેદ પાડી શકાય તો તેને ઝટ જમીનદોસ્ત કરી શકાય. ભગવાને અહીં એ જ કરી બતાવ્યું છે. મારી, તમારી, સર્વ જીવોની, બધાંયે ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજો રહેલી છે. આયુર્વેદમાં જેમ વાત, પિત્ત અને કફ છે તેમ અહીં સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં ભરેલા છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો એટલો કે ક્યાંક એકાદ થોડો તો ક્યાંક એકાદ વધારે. આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પાડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણે ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતાં જીતતાં મુખ્ય વસ્તુની પાસે પહોંચવાનું છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ  (76)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ

4. ત્યારે, પહેલો તમોગુણ જોઈએ. આજની સમાજ-સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવાની મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણે વાતોને જીતતાં આવડયું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના આ ત્રણ પ્રકાર પૈકી આળસ એક ઘણી ભયાનક ચીજ છે. સારામાં સારા માણસો પણ આળસને લીધે બગડી જાય છે. સમાજની બધીયે સુખશાંતિને ખેદાનમેદાન કરનારો આ રીપુ છે. નાનાં છોકરાંથી માંડીને ઘરડાં સુધીનાં સૌને એ બગાડે છે. એ શત્રુએ સૌ કોઈને ઘેરી લીધેલાં છે. એ શત્રુ આપણામાં પેસી જવાને ટાંપીને બેસી રહે છે. જરા જેટલી તક મળતાં તે અંદર ઘૂસી જાય છે. જરા બે કોળિયા વધારે ખાધું કે તેણે આળોટવાને આપણને આડા પાડયા જ જાણો. સહેજ વધારે ઊંઘ્યા કે આંખ પરથી આળસ જાણે ટપકતું હોય એવું દેખાય છે. આવું આ આળસ જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી બધું ફોગટ છે. પણ આપણે તો આળસને માટે ઈંતેજાર હોઈએ છીએ. ઝટ ઝટ ઘણું કામ કરી ઘણો પૈસો એક વાર એકઠો કરી લઈએ તો પછી રામ મળે એવી આપણી ઈચ્છા હોય છે. ઘણો પૈસો મેળવવો એટલે આગળના આળસને માટે બંદોબસ્ત કરી રાખવો ! આપણો કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો છે કે ઘડપણમાં આરામ જોઈએ જ. પણ એ સમજણ ખોટી છે. આપણે બરાબર વર્તન રાખીએ તો ઘડપણમાં પણ કામ આપી શકીએ. ઘડપણમાં તો આપણે વધારે અનુભવી હોઈશું એટલે વધારે ઉપયોગી થઈ શકીશું. પણ નહીં, કહે છે કે ત્યારે જ આરામ જોઈએ !

5. આળસને તક ન મળે તેટલા ખાતર આપણે સાવધ રહેવું જોઈએ. નળરાજા કેવડો મોટો રાજા હતો ! પણ પગ ધોતી વખતે જરા તેનું ફણિયું કોરૂં રહી ગયું એટલે કહે છે કલિ ત્યાંથી તેનામાં પેસી ગયો ! નળ રાજા અત્યંત શુદ્ધ હતો, બધી રીતે સ્વચ્છ રહેનારો હતો. પણ તેનુંયે એક અંગ સહેજ કોરૂં રહી ગયું, તેટલું આળસ રહી ગયું, એટલે કલિ જોતજોતામાં અંદર પેઠો. આપણું તો આખુંયે શરીર ખુલ્લું પડેલું છે. આળસને જ્યાંથી અંદર પેસવું હોય ત્યાંથી પેસે. શરીરને આળસ ચડયું એટલે મન અને બુદ્ધિને પણ ચડયું જ જાણો. આજે સમાજની આખીયે ઈમારત આ આળસ પર ઊભી કરવામાં આવેલી છે. એમાંથી પાર વગરનાં, અનંત દુઃખો પેદા થયાં છે. આ આળસ આપણે કાઢી શકીએ તો બધાં નહીં તોયે ઘણાંખરાં દુઃખો તો આપણે જરૂર દૂર કરી શકીએ.

6. હમણાંહમણાં સમાજસુધારાની ચર્ચા સર્વત્ર ચાલે છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ ઓછામાં ઓછું આટલું સુખ તો મળવું જ જોઈએ અને તે માટે સમાજરચના કેવી હોવી જોઈએ વગેરે ચર્ચાઓ થાય છે. એક તરફ સંપત્તિના ઢગલાના ઢગલા છે તો બીજી તરફ ગરીબીનાં ઊંડાં ઊંડાં કોતર છે. આ સામાજિક વિષમતા કેમ દૂર થાય ? જરૂર જેટલું બધુંયે સુખ સહેજે મેળવવાનો એક જ ઈલાજ છે અને તે એ કે સૌ કોઈએ આળસ છોડી મહેનત-મજૂરી કરવાને તૈયાર થવું જોઈએ. મુખ્ય દુઃખ આળસને લીધે જ છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. પણ સમાજમાં શું દેખાય છે? એક બાજુથી અંગમહેનત કરવાને વાંકે કાટ ખાઈને નકામા, નિરૂપયોગી થઈ જનારા લોકો દેખાય છે; તવંગર લોકોનાં શરીરના અવયવો પર કાટ ચડતો જાય છે; તેમનાં શરીરો વપરાતાં જ નથી અને બીજી બાજુ એટલું બધું કામ ચાલે છે કે આખું શરીર ઘસાઈ ઘસાઈને ગળી ગયું છે. આખા સમાજમાં શારીરિક શ્રમ, અંગમહેનત ટાળવાની પ્રવૃત્તિ ચાલે છે. થાકીને મરી જવાય એટલી હદ સુધી જે લોકોને કામ, મહેનત-મજૂરી કરવી પડે છે તે બધા પોતાની રાજીખુશીથી એ મહેનત નથી કરતા, ન છૂટકે કરે છે. ડાહ્યા લોકો મહેનત-મજૂરી ટાળવાના કારણો, બહાનાં બતાવે છે. કોઈ કહે છે, ‘શારીરિક મહેનત કરવામાં નાહક વખત શા સારૂ બગાડવો? ’ પણ એ લોકો એવું કદી નથી કહેતા કે, ‘ આ ઊંઘ શા સારૂ અમસ્તી? આ જમવામાં વખત નાહક શા સારૂ બગાડવો? ’ ભૂખ લાગે છે, એટલે આપણે ખાઈએ છીએ. પણ અંગમહેનતનો, મજુરીનો સવાલ સામો આવીને ઊભો રહે છે ત્યારે તરત કહીએ છીએ, ‘ નાહક શારીરિક શ્રમમાં વખત શા સારૂ બગાડવો? શા માટે એ કામ અમારે કરવું? શા સારૂ શરીર ઘસવું? અમે માનસિક કામ કર્યા જ કરીએ છીએ. ’ અરે ભલા માણસ ! માનસિક કામ કરે છે તો અનાજ પણ માનસિક ખા ને ! અને ઊંઘ પણ માનસિક લે ને ! મનોમય ખોરાક અને મનોમય ઊંઘ લેવાની કંઈક યોજના કર ને !

7. સમાજમાં આવી રીતે આ બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. મારા મિત્રે મને કહ્યું, ‘ કેટલાંક માથાં ને કેટલાંક ખોખાં. ’ એક તરફ માત્ર ધડ છે ને બીજી તરફ કેવળ માથું છે. ધડને ફક્ત ઘસાવાનું છે. માથાને માત્ર વિચાર કરવાનું રહે છે. આવા રાહુ ને કેતુ, ધડ ને માથાં એવા બે ભાગ સમાજમાં પડી ગયા છે. પણ સાચેસાચ માત્ર ધડ ને માત્ર માથાં હોત તોયે ઘણું સારૂં થાત. પછી આંધળા-લૂલાને ન્યાયે કંઈક વ્યવસ્થા ઊભી કરી શકાત. આંધળાને પાંગળો રસ્તો દેખાડે અને પાંગળાને આંધળો ખાંધ પર બેસાડીને ચાલે. પણ કેવળ ધડ ને કેવળ માથાંના આવા અલગ અલગ વાડા નથી. દરેક જણને ધડ છે અને માથું પણ છે. રૂંડ-મુંડની, ધડ-માથાંની આ જોડી સર્વત્ર છે. એનું શું કરવું ? માટે દરેક જણે આળસ છોડવું જ જોઈએ.

8. આળસ છોડવું એટલે અંગમહેનત કરવી. આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. આ ઈલાજનો અમલ કરવામાં નહીં આવે તો કુદરત તે માટે સજા કરશે તે ભોગવ્યા વગર છૂટકો થવાનો નથી. રોગોના રૂપમાં અથવા બીજે કોઈ ને કોઈ રૂપે શિક્ષા ભોગવ્યા વિના આરો નથી. શરીર આપણને આપવામાં આવેલું છે એટલે મહેનત પણ આપણે કરવી જ પડશે. શરીર વડે મહેનત-મજુરી કરવામાં જતો વખત ફોગટ જતો નથી. તેનું વળતર મળ્યા વિના રહેતું નથી. તંદુરસ્તી સારામાં સારી રહે છે. અને બુદ્ધિ સતેજ, તીવ્ર તેમ જ શુદ્ધ થાય છે. ઘણા વિચારકોના વિચારમાં પણ તેમના પેટના દુખાવાનું ને માથાના દુખાવાનું પ્રતિબિંબ પડયા વગર રહેતું નથી. વિચાર કરવાવાળા તડકામાં, ખુલ્લી હવામાં, સૃષ્ટિના સાન્નિધ્યમાં મજૂરી કરશે તો તેમના વિચાર પણ તેજસ્વી થશે. શરીરના રોગની જેવી મન પર અસર થાય છે તેવી શરીરની તંદુરસ્તીની પણ થાય છે. આ અનુભવની વાત છે. પાછળથી ક્ષય રોગ લાગુ પડે એટલે પંચગનીમાં ડુંગર પર હવા ખાવા જવું, અથવા સૂર્યનાં કિરણ લેવાના અખતરા કરવા તેના કરતાં આગળથી ચેતીને બહાર કોદાળી લઈ ખોદવું શું ખોટું? બાગમાં ઝાડોને પાણી પાવું શું ખોટું? ઈંધણ માટે લાકડાં ફાડવાં શાં ખોટાં?

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

તમોગુણના બીજા ઈલાજ (77)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૭. તમોગુણના બીજા ઈલાજ

9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની લંબાઈપહોળાઈમાં નથી. પથારી કેટલી લાંબીપહોળી અને માણસ તેના પર કેટલો વખત રહ્યો એ બીના પર ઊંઘનો આધાર નથી. કૂવો ઊંડો હોય તેમ તેનું પાણી વધારે સ્વચ્છ ને મીઠું હોય છે, તે જ પ્રમાણે ઊંઘ થોડી હોય તો પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. બરાબર મન લગાડીને અર્ધો કલાક કરેલો અભ્યાસ ચંચળવૃત્તિથી કરેલા ત્રણ કલાકના અભ્યાસ કરતાં વધારે ફળ આપનારો નીવડે છે. ઊંઘનું પણ એવું જ છે. લાંબા વખત સુધીની ઊંઘ હિતપરિણામી હોય જ એવું નથી. રોગી ચોવીસ કલાક પથારીમાં પડયો રહે છે. પથારીની અને તેની કાયમની દોસ્તી થયેલી છે. પણ બિચારાની ઊંઘ સાથે દોસ્તી થતી નથી. સાચી ઊંઘ ગાઢ, સ્વપ્નાં વગરની હોય છે. મરણ પછીની નરકની યાતના તો જેવી હોય તેવી ખરી પણ જેને ઊંઘ આવતી નથી, જે માઠાં સ્વપ્નાંથી ઘેરાયેલો રહે છે, તેની નરક યાતનાની શી વાત કરવી ? વેદમાં પેલો ઋષિ ત્રાસીને કહે છે – ‘ परा दुःष्वप्न्यं सुव ’ — ‘ આવી દુષ્ટ ઊંઘ નથી જોઈતી, નથી જોઈતી. ’ ઊંઘ આરામને માટે હોય છે. પણ ઊંઘમાંયે તરેહતરેહનાં સ્વપ્નાં અને વિચાર છાતી પર ચડી બેસે તો આરામ કેવો ને વાત કેવી?

10. ગાઢ ઊંડી ઊંઘ કેવી રીતે મળે? જે ઈલાજ આળસની સામે કહ્યો છે તે જ ઊંઘની સામે યોજવો. દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેત માણસ જાણે મડદું થઈ પડે. ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું. આવી મજાની ઊંઘ આવે તે સારૂ દિવસે આગળથી તૈયારી કરવી જોઈએ. શરીર થાકી જવું જોઈએ. પેલા અંગ્રેજ કવિ શેક્સપિયરે કહ્યું છે કે ‘ રાજાના માથા પર મુગટ છે પણ તેની અંદર ચિંતા છે ! ’ રાજાને ઊંઘ આવતી નથી. તેનું એક કારણ એ છે કે તે શરીર વડે મજૂરી કરતો નથી. જાગતો હોય છે ત્યારે જે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડશે. દિવસે બુદ્ધિ અને શરીર ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વેળાએ બુદ્ધિ વિચાર કરતી રઝળે છે અને શરીરને સાચું નિદ્રાસુખ મળતું નથી. પછી લાંબા વખત સુધી સૂઈ રહેવું પડે છે. જે જીવનમાં પરમ પુરૂષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરૂષાર્થ સંપાદન થશે ક્યારે ? અરધી આવરદા જો ઊંઘમાં જાય તો પછી મેળવવાનું શું રહે ?

11. ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ જે પ્રમાદ તે સહેજે આવે છે. ઊંઘણશી માણસનું ચિત્ત કાબેલ અને સાવધ રહેતું નથી. તેનાથી અનવધાન પેદા થાય છે. ઝાઝી ઊંઘથી આળસ પેદા થાય છે અને આળસને લીધે ભુલકણા થઈ જવાય છે. વિસ્મરણ પરમાર્થનો નાશ કરવાવાળી ચીજ છે. વહેવારમાં પણ વિસ્મરણથી નુકસાન થાય છે. પણ આપણા સમાજમાં વિસ્મરણની ક્રિયા સ્વાભાવિક થઈ ગઈ છે. વિસ્મરણ મોટી ખામી છે એવું કોઈને લાગતું નથી. કોઈને મળવા જવાનું માણસે નક્કી કર્યું હોય અને જતો નથી. અને કોઈ પૂછે તો કહે છે, ‘ અરે ! ભૂલી ગયો ! ’ એવું કહેનારને પોતે કંઈ ખાસ ખોટું કર્યું હોય, કંઈ મોટી ભૂલ કરી હોય એવું લાગતું નથી, અને સાંભળનારને પણ એ જવાબથી સમાધાન થાય છે ! વિસ્મરણની સામે જાણે કોઈ ઈલાજ જ નથી એવી સૌ કોઈની સમજ થઈ ગઈ લાગે છે. પણ આવું બેભાનપણું શું પરમાર્થમાં કે શું દુનિયાદારીના વહેવારમાં, બંને ઠેકાણે નુકસાન કરવાવાળું છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે.

12. વિસ્મરણનું કારણ મનનું આળસ છે. મન જાગ્રત હોય તો તે વીસરી નહીં જાય. આળોટયા કરનારા મનને વિસ્મરણનો રોગ વળગ્યો જ જાણવો. તેથી જ ભગવાન બુદ્ધ હમેશ કહેતા,

‘ पमादो मच्चुनो पदं ’

— વિસ્મરણ એ જ મરણ છે. આ પ્રમાદને જીતવાને માટે આળસ અને ઊંઘને જીતી લો, અંગમહેનત કરો, સતત સાવધ રહો. જે જે કૃતિ કરવાની આવે તે વિચારપૂર્વક કરવાની રાખો. કૃતિ એમ ને એમ, એની મેળે થઈ જાય એ બરાબર નથી; કૃતિની આગળ વિચાર હોય, પાછળ વિચાર હોય. આગળ ને પાછળ બધે વિચારરૂપ પરમેશ્વર ખડો રહેવો જોઈએ. આવી ટેવ કેળવીશું તો જ અનવધાનપણાનો રોગ નાબૂદ થશે. બધા વખતને બરાબર બાંધી રાખો. ક્ષણેક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે બધા તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા

13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ કરનારૂં શરીર આડું પડી સૂઈ રહેવા તાકે છે. તમોગુણમાંથી રજોગુણ આવી જાય છે અને રજોગુણમાંથી તમોગુણ આવી પડે છે. એક હોય ત્યાં બીજો ખરો જ. રોટલી જેમ એક બાજુથી ઝાળ અને બીજી બાજુથી ધગધગતા અંગારની વચ્ચે ઘેરાઈ જાય છે તેમ માણસની આગળ અને પાછળ આ રજસ્તમોગુણ વળગેલા છે. રજોગુણ કહે છે, ‘ આમ આવ, તને તમોગુણ તરફ ઉડાવું. ’ તમોગુણ કહે છે, ‘ મારા તરફ આવ એટલે હું તને રજોગુણ તરફ ફેંકું. ’ આવા આ રજોગુણ ને તમોગુણ એકબીજાને સહાયક થઈને માણસનો નાશ કરે છે. ફૂટબૉલનો જન્મ લાતો ખાવાને સારૂ થયેલો છે, તે જ પ્રમાણે રજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જનામારો નીકળી જાય છે.

14. તરેહતરેહનાં કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. મોટાં મોટાં કામોની પાર વગરની આસક્તિ પણ રજોગુણનું લક્ષણ છે. રજોગુણને લીધે માણસને અપરંપાર કર્મ-સંગ વળગે છે, તેનામાં લોભાત્મક કર્માસક્તિ ઉત્પન્ન થાય છે. પછી વાસના-વિકારોનો વેગ રોક્યો રોકાતો નથી, કાબૂમાં રહેતો નથી. માણસને એમ થયા કરે છે કે અહીંનો ડુંગર ઉપાડી ત્યાં બનાવું અને ત્યાંનો ખાડો ભરી દઉં. તેને એમ થાય છે કે જાણે દરિયામાં માટી નાખીને તેને પૂરી દઉં અને સહારાના રણમાં પાણી છોડી ત્યાં દરિયો બનાવી દઉં. અહીં સુએઝની નહેર ખોદું, ત્યાં પનામાની નહેર કાઢું. આવો એ અહીંથી તહીં કરવાનો ચડસ હોય છે. આ તોડું ને પેલું જોડું. નાનું છોકરૂં ચીંદરડી લે છે, તેને ફાડે છે, તેનું બીજું કંઈક બનાવે છે, તેવું જ આ છે. આને પેલામાં ભેળવ, પેલાને આમાં ભેળવ, પેલું બુડાવી દે, આને ઉડાવી દે; એવા બધા રજોગુણના અનંત ખેલ છે. પંખી આકાશમાં ઊડે છે તો આપણને પણ ઊડતાં આવડવું જોઈએ. માછલી પાણીમાં રહે છે તો આપણે પણ પાણબૂડી, સબમરીન બનાવીને તેમ કરવું જોઈએ. આમ મનખાદેહમાં અવતરવા છતાં રજોગુણીને પંખીઓની અને માછલીઓની બરાબરી કરવામાં કૃતાર્થતા લાગે છે. પરકાયાપ્રવેશના, બીજાં શરીરોનાં કૌતુક અનુભવવાના અને એવા અભળખા તેને આ મનખાદેહમાં રહ્યા રહ્યા સૂઝે છે. કોઈને થાય છે કે મંગળ પર ઊડીને જઈએ ને ત્યાંની વસ્તી કેવી છે તે જોઈ આવીએ. ચિત્ત એકસરખું ભટક્યા કરે છે. શરીરમાં જાણે કે તરેહતરેહની વાસનાનું ભૂત પેસી જાય છે. જે જ્યાં છે ત્યાંનું ત્યાં રહે એ તેનાથી જાણે ખમાતું નથી. ભાંગફોડ જાઈએ. આવો હું માણસ જેવો માણસ જીવતો હોઉં ને આ સૃષ્ટિ છે તેવી ને તેવી રહે એ કેવું ? એમ તેને થાય છે. કોઈ પહેલવાનને ચરબી ચડે છે અને તે ઉતારવાને જેમ તે ક્યાંક ભીંતમાં જ મુક્કા મારે છે, ક્યાંક ઝાડને જ ધક્કા લગાવે છે તેવા રજોગુણના ઉછાળા હોય છે. એવા ઉછાળા આવે છે એટલે માણસ પૃથ્વી ખોદીને થોડા પથરા બહાર કાઢે છે અને તેને હીરા, માણેક એવાં નામો આપે છે. એ ઉછાળો આવતાં તે સમુદ્રમાં ડૂબકી મારે છે, તેને તળિયેથી કચરો ઉપર લાવે છે અને તેને મોતી નામ આપે છે. પણ મોતીને નાકું નથી હોતું. એટલે તે મોતીને વીંધે છે. પણ મોતી પહેરવાં ક્યાં ? એટલે પછી સોની પાસે નાક-કાન પણ વિંધાવે છે. આવું આવું બધું માણસ શાથી કરે છે ? એ બધો રજોગુણનો પ્રભાવ છે.

15. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણને ફળ તાબડતોબ જોઈએ છે. એટલે જરાક સામી હરકત આવી કે લાગલો તે લીધેલો રસ્તો છોડી દે છે. રજોગુણી માણસ આ છોડ, પેલું લે એમ એકસરખી લે-મૂક કર્યા કરે છે. રોજની નવી નવી પસંદગી અને પરિણામે આખરે હાથમાં કશું આવતું નથી.

‘ राजसं चलमध्रुवम् ’

રજોગુણની કૃતિ જ ચળ ને અનિશ્ચિત છે. નાનાં છોકરાં ઘઉં વાવે છે ને તરત ઉખેડીને જોવા માંડે છે. રજોગુણી માણસનું પણ એવું જ હોય છે. ઝપાટાબંધ બધુંયે હાથમાં આવવું જોઈએ. તે અધીરો થઈ જાય છે. તેનામાં સંયમ રહેતો નથી. એક ઠેકાણે પગ બાંધીને રહેવાની વાતની તેને જાણ નથી. અહીં થોડું કામ કર્યું, ત્યાં થોડી બોલબાલા થઈ કે ચાલ્યા બીજી તરફ. આજે મદ્રાસમાં માનપત્ર લીધું, કાલે કલકત્તામાં અને પરમ દિવસે મુંબઈ-નાગપુરમાં લીધું ! જેટલી સુધરાઈઓ હોય તેટલાં માનપત્રો લેવાનો તેને અભળખો થાય છે. માન એટલી એક જ ચીજ તેને દેખાય છે. એક ઠેકાણે પગ બાંધી સ્થિરપણે કામ કરવાની તેને આદત જ હોતી નથી. આથી રજોગુણી માણસની સ્થિતિ બહુ ભયાનક થાય છે.

16. રજોગુણની અસરને લીધે માણસ તરેહતરેહના ધંધામાં માથાં મારે છે. તેને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. ખરૂં જોઈએ તો સ્વધર્માચરણ એટલે બીજાં જાતજાતનાં કર્મોનો ત્યાગ કરવો તે. ગીતામાં કહેલો કર્મયોગ રજોગુણમાંથી છૂટવાનો ઈલાજ છે. રજોગુણમાં બધું જ ચંચળ હોય છે. પર્વતને મથાળે જે પાણી વરસે છે તે જુદી જુદી દિશામાં વહી જાય તો ક્યાંયે રહેતું નથી, બધુંયે નાશ પામે છે. પણ એ બધું પાણી એક જ દિશામાં વહે તો તેની આગળ નદી બને. પેલા પાણીમાં શક્તિ નિર્માણ થાય ને તે દેશને ઉપયોગી થાય. તે જ પ્રમાણે માણસે પોતાની બધી શક્તિ જાતજાતના જુદા જુદા ધંધામાં નાહક વેડફી ન મારતાં, એકઠી કરી એક જ કાર્યમાં સુવ્યવસ્થિત રીતે વાળે તો જ તેને હાથે કંઈક કામ પાર પડે. આથી સ્વધર્મનું મહત્વ છે. સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી જોઈએ. બીજી ચીજો તરફ ધ્યાન જવું જ ન જોઈએ, સ્વધર્મની એ કસોટી છે. કર્મયોગ એટલે પાર વગરનું ઘણું ઘણું કામ નથી. કેવળ ઘણું કામ કરવું એટલે કર્મયોગ નથી. ગીતાનો કર્મયોગ જુદી વસ્તુ છે. ફળ તરફ ધ્યાન ન રાખતાં કેવળ સ્વભાવથીઆવી મળેલો અપરિહાર્ય સ્વધર્મ આચરવો અને તેની મારફતે ચિત્તશુદ્ધિ કરતા રહેવું એ કર્મયોગની ખાસ વિશેષતા છે. બાકી કર્મ કરવાનું તો સૃષ્ટિમાં ચાલ્યા જ કરે છે. કર્મયોગ એટલે એક ખાસ મનોવૃત્તિથી બધું કરવું તે. ખેતરમાં ઘઉં ઓરવા અને મૂઠી ઘઉંના દાણા લઈ જઈ ગમે ત્યાં ફેંકવા એ બે વાતો એકબીજીથી ઘણી જુદી છે. એ બંને વચ્ચે ઘણો ફેર છે. અનાજ વાવવાથી કે ઓરવાથી કેટલું મોટું ફળ મળે છે અને ફેંકી દેવાથી કેવું નુકસાન થાય છે તે આપણે હમેશ જોઈએ છીએ. ગીતા જે કર્મની વાત કહે છે તે ઓરવાના કે વાવવાના કામ જેવું છે. આવા સ્વધર્મરૂપ કર્તવ્યમાં ઘણી શક્તિ છે. તેમાં જેટલી મહેનત-મજૂરી કરીએ તેટલી ઓછી છે. એથી દોડધામને એમાં અવકાશ જ રહેતો નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

तुही……तुही……तुही .. – (108)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૮ – तुही……तुही……तुही ..

32. આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી. ભગવદ્ગીતાની આ વિશેષતા છે. પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી. આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું. “ અર્જુન, તારી ઈચ્છા, તારી સાધના, બધું ફેંકી દે, અને મારે શરણે આવ. ” પોતાને શરણે આવવાનું કહી, આપેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું. એનો અર્થ એટલો જ કે “ તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દઈશ મા. પોતાની ઈચ્છા ચલાવવાની નથી, તેની જ ચલાવવાની છે, એવું થવા દે. ” આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે. હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ‘ में में में ’ કર્યા કરે છે, ‘ हुं हुं हुं ’ કહ્યા કરે છે. પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, “ તુહી, તુહી, તુહી, ” ‘તું જ, તું જ, તું જ, ’ એવું બોલે છે. હવે બધુંયે ‘ तुही… तुही… तुही…’

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા – (107)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૭ – સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા

23. જ્ઞાની પુરૂષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે, શૂન્યરૂપ થાય છે. છતાં એનો અર્થ એવો પણ નથી કે તે અંતિમ અવસ્થામાં ક્રિયા ન જ થાય. તેને હાથે ક્રિયા થાય અગર નયે થાય. આ છેવટની દશા બહુ રમણીય તેમ જ ઉદાત્ત છે. તે અવસ્થામાં જે જે કંઈ થાય છે, તેની ફિકર તેને હોતી નથી. જે જે કંઈ થશે, બનશે તે બધુંયે શુભ જ હશે, રૂડું જ હશે. સાધનાની પરાકાષ્ઠાની દશા પર તે ઊભો છે. ત્યાં રહી સર્વ કર્મ કરતો છતો તે કશું કરતો નથી. સંહાર કરતો છતો સંહાર કરતો નથી. કલ્યાણ કરવા છતાં કલ્યાણ કરતો નથી.

24. આ અંતિમ મોક્ષાવસ્થા સાધકની સાધનાની પરાકાષ્ઠા છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા છે. હું કંઈક કરૂં છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. અથવા આ દશાને હું સાધકની સાધનાની અનૈતિકતા કહીશ. સિદ્ધાવસ્થા નૈતિક અવસ્થા નથી. નાનું છોકરૂં સાચું બોલે છે. પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કેમકે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ થયું. સિદ્ધાવસ્થામાં અસત્યની વાત જ હોતી નથી. ત્યાં સત્ય જ છે, તેથી ત્યાં નીતિ નથી. જે નિષિદ્ધ છે તે ત્યાં નામનુંયે ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું જ નથી. જે જોવાનું નથી તેને આંખો જોતી જ નથી. જે થવું જોઈએ તે હાથથી થઈને ઊભું રહે છે, કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધનાની સહજાવસ્થા અથવા અનૈતિકતા અથવા અતિનૈતિકતા કહો, તે અતિનૈતિકતામાં નિતિનો પરમોત્કર્ષ છે. અતિનૈતિકતા શબ્દ મને સારો સૂઝ્યો. અથવા આ દશાને સાત્વિક સાધનાની નિઃસત્વતા પણ કહી શકાશે.

25. આ દશાનું વર્ણન શી રીતે કરવું ? જેમ ગ્રહણનો આગળથી વેધ લાગે છે તેમ દેહ કરી પડયા પછીની જે મોક્ષદશા છે તેના અભાવા દેહ પડે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. દેહની સ્થિતિમાં જ ભાવિ મોક્ષસ્થિતિના અનુભવો થવા માંડે છે. આવી આ જે સ્થિતિ છે તેનું વર્ણન કરતાં વાણી અટકી પડે છે. તે ગમે તેટલી હિંસા કરે તોયે તે કંઈ કરતો નથી. તેની ક્રિયાને હવે કયું માપ લગાડવું ? જે થશે તે બધું કેવળ સાત્વિક કર્મ થશે. ક્રિયા માત્ર ખરી જશે છતાં આખાયે વિશ્વનો તે લોકસંગ્રહ કરતો હશે. કઈ ભાષા વાપરવી તે સમજાતું નથી.

26. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા. તેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને કે, “ આ વિશ્વમાં જે જે કંઈ છે તે હું છું. ” જ્ઞાની પુરૂષ નિરહંકાર થાય છે. તેનું દેહાભિમાન ખરી પડે છે. ક્રિયા બધી ખરી પડે છે. એવે વખતે તેને એક ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. તે અવસ્થા એક દેહમાં સમાઈ શક્તી નથી. ભાવાવસ્થા એ ક્રિયાવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતાની અવસ્થા છે. આ ભાવાવસ્થાને નાના સરખા પ્રમાણમાં આપણે સૌ અનુભવીએ છીએ. બાળકના દોષથી મા દોષિત થાય છે, તેના ગુણથી ગુણી બને છે. દીકરાના દુઃખે તે દુઃખી થાય છે અને તેના સુખથી સુખી થાય છે. માની આ ભાવાવસ્થા પોતાના દીકરા પૂરતી હોય છે. દીકરાનો દોષ પોતે ન કરેલો હોવા છતાં તે ઓઢી લે છે. જ્ઞાની પુરૂષ પણ ભાવનાની ઉત્કટતાને લીધે આખાયે જગતના દોષ પોતાને માથે લે છે. ત્રણે ભુવનનાં પાપથી તે પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે. અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ-પુણ્યથી જરા સરખો સ્પર્શાતો નથી.

27. પેલા રૂદ્રસૂક્તમાં ઋષિ કહે છે ને કે यवाश्च मे तिलाश्च मे गोधूमाश्च मे. ‘ મને જવ આપો, તલ આપો, ઘઉં આપો, ’ એમ તે માગ માગ કર્યા જ કરે છે. એ ઋષિનું પેટ છે કેવડું ? પણ તે માગનારો સાડાત્રણ હાથના દેહમાં રહેવાવાળો નહોતો. તેનો ત્મા વિશ્વાકાર થઈને બોલે છે. આને હું वैदिक विश्वात्मभाव કહું છું. વેદમાં આ ભાવનાનો પરમોત્કર્ષ થયેલો દેખાય છે. ‘ બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારૂં નિદ્રા આવે ? ’

28. ગુજરાતનો સંત નરસી મહેતો કીર્તન કરતાં ગાય છે ને કે – હે ઈશ્વર, એવું કયું પાપ મેં કર્યું છે કે કીર્તન કરતાં મને ઊંઘ આવે છે ? હવે, ઊંઘ શું નરસી મહેતાને આવતી હતી ? ઊંઘ કીર્તન સાંભળનારા શ્રોતાઓને આવતી હતી. પણ શ્રોતાઓ સાથે એકરૂપ થઈને નરસી મહેતો આ સવાલ પૂછે છે. નરસી મહેતાની એ ભાવાવસ્થા છે. જ્ઞાની પુરૂષની આવી આ ભાવાવસ્થા હોય છે. આ ભાવાવસ્થામાં બધાં પાપપુણ્યો તેને હાથે થાય છે એમ તમને દેખાશે. તે પોતે પણ એવું કહેશે. પેલો ઋષિ કહે છે ને કે, ‘ કરવી ન જોઈ એવી કેટલીક વાતો મેં કરી, કરૂં છું અને કરીશ. ’ આ ભાવાવસ્થા પ્રાપ્ત થયા પછી આત્મા પંખીની માફક ઊડવા માંડે છે. તે પાર્થિવતાની પેલી પાર જાય છે.

29. આ ભાવાવસ્થાની માફક જ્ઞાની પુરૂષની એક ક્રિયાવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરૂષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે. તો પણ તેનો આખોયે દેહ, તેની બધીયે ઈન્દ્રિયો, એ બધાં સાત્વિક થયેલાં હોવાથી તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. વહેવારની બાજુથી જોશો તો સાત્વિકતાની પરિસીમા તેના વર્તનમાં દેખાશે. વિશ્વાત્મભાવની દ્રષ્ટિથી જોશો તો આખાયે ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો જાણે તે કરે છે. અને આમ છતાં તે અલિપ્ત રહે છે. કારણ આત્માને વળગેલો આ દેહ તેણે ઊંચકીને ફેંકી દીધો હોય છે. ક્ષુદ્ર દેહને ફેંકી દેશે ત્યારે જ તે વિશ્વાત્મરૂપ થશે.

30. ભાવાવસ્થા અને ક્રિયાવસ્થા ઉપરાંત જ્ઞાની પુરૂષની ત્રીજી એક સ્થિતિ છે. તે ચે જ્ઞાનાવસ્થા. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને સળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી. તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરૂષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં, સંભવે છે.

31. આ જે અક્રિયાવસ્થા છે, છેવટની દશા છે તેને પોતાની કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. હું કેવળ નિમિત્તમાત્ર છું, કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી એમ મનન કરવું. આ અકર્તૃત્વવાદની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. પણ એથી બધુંયે કર્તૃત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આસ્તે આસ્તે આ ભાવનાનો વિકાસ થતો જશે. પહેલાં હું કેવળ તુચ્છ છું, તેના હાથમાંનું ઢીંગલું છું, તે મને નચાવે છે, એવું તારા મનને લાગવા દે. તે પછી બધુંયે કરવા છતાં તે આ દેહનું છે, મને તેનો સ્પર્શ નથી, આ બધીયે ક્રિયા આ મડદાની છે, પણ હું મડદું નથી, હું શવ નથી, પણ શિવ છું; એવી ભાવના કરતાં કરતાં દેહના લેપથી લેશમાત્ર લેપાઈશ મા. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે. એ અવસ્થામાં પાછી ઉપર કહેલી ત્રણ અવસ્થા હશે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમ જ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતાં પાપ-પુણ્યો હું કરૂં છું એમ તે અનુભવશે પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા; એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં. બધાંયે કર્મોને ભસ્મસાત્ કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરૂષનું વર્ણન કરી શકાશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ – (106)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૬ – સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

19. સારાંશ કે જીવનનું ફલિત હાથમાં આવે એમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. ફળત્યાગનું તત્વ પોતાની મર્યાદાઓ પણ બતાવે છે. એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, કયું છોડવું, અને કયું ક્યારે બદલવું એ બધું બરાબર સમજાશે.

20. પણ વિચાર કરવાને હવે બીજો જ એક વિષય લઈએ. ક્રિયાઓ પૂરેપૂરી ખરી પડેલી હોય એવી જે છેવટની સ્થિતિ છે તેના તરફ સાધકે ધ્યાન રાખવું કે ? ક્રિયા થતી ન હોય છતાં જ્ઞાનીને હાથે કર્મ થતું રહે એવી જે જ્ઞાની પુરૂષની સ્થિતિ છે તેના તરફ સાધકે નજર રાખવી ખરી કે ? ના. આમાં પણ ફળત્યાગની કસોટી જ વાપરવી. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે આપણને જે જોઈએ છે તે, તે તરફ નજર ન રાખીએ તોયે આવી મળે છે. જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્માવસ્થા, તેનો પણ લાભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે તને આવી મળશે. સંન્યાસ વસ્તુ એવી નથી કે એકાએક બે ઉપર પાંચ મિનિટ થાય એટલે આવીને ઊભી રહે; સંન્યાસ એ વસ્તુ યાંત્રિક નથી. એ તારા જીવનમાં કેમ વિકાસ પામતી જશે તેની તને ખબર પણ નહીં પડે. તેથી મોક્ષની ફિકર છોડી દે.

21. ભક્ત ઈશ્વરને હંમેશ આમ જ કહે છે કે, “ આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ, પેલું અંતિમ ફળ મારે નથી જોઈતું. મુક્તિ એટલે એક જાતની ભુક્તિ જ નથી કે ? મોક્ષ એ પણ એક ભોગ છે, એક ફળ છે. આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળત્યાગની કાતર ચલાવ. પણ એમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી. કાતર તૂટી જશે ને ફળ વધારે મજબૂત થશે. મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતો શોધતો તારી સામે આવીને ખડો થાય. સાધકે સાધનામાં જ રંગાઈ જવું. मा ते संगोस्त्वकर्मणि — ‘ મા હો રાગ અકર્મમાં, ’ અકર્મદશાની,મોક્ષની આસક્તિ રાખ મા, એમ ભગવાને પહેલાં જ કહ્યું હતું. હવે ફરીથી છેવટે ભગવાન કહે છે,

अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।
‘ હું તને સર્વ પાપોથી છોડાવાશ, નચિંત થા ’

મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર રાખ. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે. મોક્ષનિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો હોય છે તેના ગળામાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે છે.

22. જ્યાં સાધનાની પરાકાષ્ઠા થાય છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઊભી રહે છે. જેને ઘેરે પહોંચવું છે તે ‘ ઘર, ઘર ’ એવા જાપ જપતો ઝાડ નીચે બેસી રહેશે તો ઘર આઘું રહેશે ને તેને જંગલમાં પડી રહેવાનો વારો આવશે. ઘરનું રટણ કરતાં કરતાં રસ્તામાં આરામ લેવા થોભશે તો છેવટના આરામથી અળગો રહેશે. મારે ચાલવાનું કામ ચાલુ રાખવું જોઈએ. પછી ઘર એકદમ સામે આવશે. મોક્ષના આળસુ સ્મરણથી મારી મહેનતમાં, મારી સાધનામાં સિથિલતા પેદા થશે અને મોક્ષ આઘો જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને સતત સાધનામાં મંડયા રહેવું એ જ મોક્ષને પાસે લાવવાનો ઈલાજ છે. અકર્મસ્થિતિ, આરામ વગેરેની ઈચ્છા ન રાખો, માત્ર સાધના પર પ્રેમ રાખશો તો મોક્ષ અચૂક સધાશે. જવાબ જવાબની બૂમો માર્યા કરવાથી દાખલાનો જવાબ આવતો નથી. મને જે રીતે આવડતી હશે તે જ એક પછી એક પગલું લેતા લેતા જવાબ લાવી આપશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ ઊભો છે. સમાપ્તિના પહેલાં સમાપ્તિ કેવી રીતે થાય ? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે ? સાધકની અવસ્થામાં સિદ્ધાવસ્થા કેવી ? પાણીમાં ડૂબકાં ખાતાં ખાતાં સામી પારની મોજ નજર સામે રાખ્યે કેમ ચાલશે ? તે વખતે એક પછી એક વામિયાં નાખતાં નાખતાં આગળ જવામાં જ બધું ધ્યાન પરોવવું જોઈએ. બધી શક્તિ રોકવી જોઈએ. સાધના પૂરી કર. દરિયો ઓળંગી જા. મોક્ષ આપોઆપ આવી મળશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ફળત્યાગનો એકંદર ફલિતાર્થ – (105)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ

17. ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેનો અર્થ નીકળે છે –
1. રાજસ અને તામસ કર્મોનો સમૂળગો ત્યાગ.
2. એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.
3. સાત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.
4. સાત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.
5. સતત ફળત્યાગપૂર્વક એ સાત્વિક કર્મો કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં ક્રિયામાત્ર ખરી જશે.
6. ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.
7. સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજપ્રાપ્ત નથી તે ગમે તેટલું સારૂં લાગે તો પણ આઘું રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.
8. સહજપ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

18. પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. માણસ પહેલાં કુટુંબનો સ્વીકાર કરે છે. પોતાના વિકાસને માટે તે પોતાને કુટુંબના બંધનમાં નાંખે છે. ત્યાં તે ઘણી જાતના અનુભવ લે છે. પણ કુટુંબના બંધનમાં પેઠા પછી કાયમનો તેમાં જકડાઈ રહેશે તો તેનો વિનાશ થશે. કુટુંબમાં રહેવાનું જે પહેલાં ધર્મરૂપ હતું તે જ અધર્મરૂપ થશે. કારણકે તે ધર્મ બંદન કરવાવાળો થયો. બદલાનારો ધર્મ આસક્તિ રાખી છોડશે નહીં તો સ્થિતિ ભયાનક થશે. સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસાંમાં ક્ષયનાં જંતુ અજાણતા દાખલ થઈ જશે તો પણ આખા જીવનને કોરી ખાશે. સાત્વિક કર્મમાં જો આસક્તિનાં જંતુ બેસાવધપણે પેસવા દઈએ તો સ્વધર્મ સડવા માંડશે. એ સાત્વિક સ્વધર્મમાંથી પમ રાજસ તેમ જ તામસ બદબો છૂટશે. કુટુંબ એ બદલાનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. તેવું જ રાષ્ટ્રધર્મનું સમજવું. રાષ્ટ્રદર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. એથી આત્મવિકાસ અટકી જશે. ચિત્તમાં આસક્તિ ઘર કરી જશે અને સરવાળે અધઃપાત થશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ – (104)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ

13. સારાંશ, રાજસ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં ; અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે, પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. ભલે એ દોષ થતો. એ દોષ તું ટાળવા જશે તો બીજા અસંખ્ય દોષ ગળે વળગશે. તારૂં નાક ચીબું છે તેવું જ રહેવા દે. તે કાપીને રૂપાળું કરવા જઈશ તો વધારે બિહામણું અને કારમું દેખાશે. તે જેવું છે તેવું જ સારૂં છે. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાનાં નથી. તે કરવાનાં, પણ તેમનાં ફળનો ત્યાગ કરવાનો છે.

14. બીજી એક વાત કહેવાની છે. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય તે આપણે સારૂં કરી શકીશું, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરીશ મા. આપમેળે આવી મળે તેટલું જ કર. દોડધામ કરી બીજું નવું વહોરી લઈશ મા. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે, તે ગમે તેટલું સારૂં હોય તોયે તેને આઘું રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપ્રાપ્ત આવી મળેલું કર્મ છે તેની બાબતમાં જ ફળત્યાગ સંભવે છે. આ કર્મ સારૂં છે, પેલું કર્મ સારૂં છે, એવા લોભમાં પડીને માણસ ચારેકોર દોડાદોડ કરે તો ફળત્યાગની વાત કેવી ? જીવનનો ચૂંથાડો થઈ જશે. ફળની આશાએ જ તે આ પરધર્મરૂપ કર્મો કરવા તાકશે અને ફળ પણ હાથ નહીં લાગે. જીવનમાં ક્યાંયે સ્થિરતા નહીં મળે. તે કર્મોની આસક્તિ ચિત્તને વળગી જશે. સાત્વિક કર્મોનો લોભ થાય તો તે લોભ પણ દૂર કરવો જોઈએ. પેલાં નાના પ્રકારનાં સાત્વિક કર્મો કરવા જઈશ તો તેમાં રાજસપણું ને તામસપણું દાખલ થશે. તેથી તને તારો જે પ્રવાહપ્રાપ્ત સાત્વિક સ્વધર્મ આવી મળ્યો હોય તેનું જ તું આચરણ કર.

15. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સ્વકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે, કયું કર્તવ્ય મને આવી મળેલું છે, એ બધું સ્વધર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જ જાય છે. તમારામાં तमेपणुं જેવું કંઈક છે અને તેથી તમે तमे છો. હરેક જણની કંઈક ને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં જ છે. બકરી રહીને જ તેણે પોતાનો વિકાસ કરવો જોઈએ. બકરી કહે કે ‘ હું ગાય થઈશ ’ તો તે બને એવું નથી. આપમેળે આવી મળેલા બકરીપણાનો ત્યાગ તેનાથી થઈ શકે એવો નથી. તે માટે તેને પોતાને મળેલું શરીર છોડવું પડે; નવો ધર્મ, નવો જન્મ લેવો પડે. પરંતુ આ જન્મે પેલું બકરીપણું છે તે જ પવિત્ર છે. પેલી બળદ અને દેડકીની વાર્તા છે ને ? દેડકી વધી વધીને કેટલું વધે ? તેના શરીરના વધવાને પણ હદ હોય છે. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી એ યોગ્ય નથી. તેથી પરધર્મને ભયાવહ કહ્યો છે.

16. વળી સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય એવો ભાગ અને બીજો ન બદલાય એવો ભાગ છે. આજનો હું કાલે નથી. કાલનો હું પરમ દિવસે નથી. હું હંમેશ બદલાતો રહું છું. નાનું બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ સંવર્ધન છે. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજસેવા કરીશ. પૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ પલટાવાવાળો છે તો બીજો કેટલોક પલટાવાવાળો નથી. આ જ વાતને પહેલાંની શાસ્ત્રીય સંજ્ઞાઓ આપીને કહેવી હોય તો આપણે એમ કહીશું કે, “ માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણદર્મ બદલાતો નથી. આશ્રમધર્મો બદલાય છે. ” આશ્રમધર્મ બદલાય છે તેનો અર્થ એ કે હું બ્રહ્મચારીપદ સાર્થક કરી ગૃહસ્થ બનું છું, ગૃહસ્થનો વાનપ્રસ્થ થાઉં છું અને વાનપ્રસ્થનો સંન્યાસી થાઉં છું. આશ્રમ બદલાય છે તો પણ વર્ણધર્મ બદલી શકાતો નથી. મારી નૈસર્ગિક મર્યાદા મારાથી છોડી શકાય નહીં. તે પ્રયત્ન ફોગટ છે. તમારામાંનું ‘ तमे ’ પણું તમારાથી ટાળી શકાય એવું નથી, એ ક્લપના પર વર્ણધર્મની યોજના થયેલી છે. વર્ણધર્મનો ખ્યાલ સુંદર છે. વર્ણધર્મ તદ્દન અટળ છે કે ? બકરીનું જેવું બકરીપણું, ગાયનું જેવું ગાયપણું, તેવું જ શું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ છે કે ? વર્ણધર્મ એટલો પાકો નથી એ વાત હું સ્વીકારૂં છું. પણ એ વાતનો સાર પકડવાનો છે. વર્ણધર્મ સામાજિક વ્યવસ્થાને માટે એક યુક્તિ તરીકે વપરાય છે ત્યારે તેમાં અપવાદ રહેવાનો જ. એવો અપવાદ ગૃહીત કરવો જ પડે. એ અપવાદ ગીતાએ પણ ગૃહીત માનેલો છે. સારાંશ કે આ બે પ્રકારના ધર્મ ઓળખી બીજા ધર્મ રૂડા તેમ જ મનમોહક લાગે તો પણ તેમને ટાળજો.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ક્રિયામાંથી છૂટવાની સાચી રીત – (103)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત

7. તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ ન છોડી દેવી ? આનો જવાબ પહેલાં એક વાર આપ્યો છે. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે. એ વિચાર મોહક છે. પણ આ અસંખ્ય કર્મોને છોડવાં શી રીતે ? રાજસ તેમ જ તામસ કર્મો છોડવાની જે રીત છે તે જ સાત્વિક કર્મો છોડવાની બાબતમાં અખત્યાર કરવાની છે ? સદોષ એવાં જે સાત્વિક કર્મો તેમને કેવી રીતે ટાળવાં ? વાતની ખૂબી એવી છે કે ईन्द्राय तक्षकाय स्वाहा એવું દુનિયામાં માણસ કરવા બેસે છે ત્યારે ઈંદ્ર અમર હોવાથી નથી મરતો તે નથી જ મરતો, પરંતુ તક્ષક પણ મરતો નથી ને તે ઊલટો જબરો થઈ જાય છે. સાત્વિક કર્મમાં પુણ્ય છે અને થોડો દોષ છે. પણ થોડો દોષ છે માટે દોષની સાથે પુણ્યની પણ આહુતિ આપવા જશો તો પુણ્યક્રિયા ચવડ હોવાથી નહીં જ મરે, પણ દોષક્રિયા માત્ર વધતી જશે. આવા ભેળસેળિયા વિવેકહીન ત્યાગથી પુણ્યરૂપી ઈંદ્ર તો નથી જ મરતો, પરંતુ દોષરૂપી તક્ષક મરે એમ હતું તે પણ મરતો નથી. તો પછી તેમના ત્યાગની રીત કઈ ? બિલાડી હિંસા કરે છે માટે તેનો ત્યાગ કરશો તો પચી ઉંદર હિંસા કરશે. સાપ હિંસા કરે છે તેને દૂર કરશો તો સેંકડો જીવો ખેતીની હિંસા કરશે. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ થવાથી હજારો માણસો મરશે. આથી ત્યાગ વિવેકયુક્ત હોવો જોઈએ.

8. ગોરખનાથને મછંદરનાથે કહ્યું, ‘ આ છોકરાને ધોઈ લાવ. ’ ગોરકનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો ને તેને વાડ પર સૂકવવા નાખ્યો. મછંદરનાથે કહ્યું, ‘ છોકરાને ધોઈ આણ્યો કે ? ’ ગોરખનાથ બોલ્યા, ‘ તેને ઝીંકીને ધોઈને સૂકવવા નાખ્યો છે. ’ છોકરાને ધોવાની આ રીત કે? કપડાં દોવાની ને માણસોને ધોવાની રીત એક નથી. તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ અને સાત્વિક કર્મોનો ત્યાગ એ બેમાં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિવેકહીન વર્તનથી કંઈક નવું જ ईदं तृतीयं થઈ જાય છે. તુકારામે કહ્યું છે ને કે –

त्यागे भोग माझ्या येतील अंतरा । मग मी दातारा काय करूं ।।

ત્યાગથી જો મારા અંતરમાં ભોગ પ્રગટે તો હે દાતાર, મારે કરવું શું ? નાનોસરખો ત્યાગ કરવા જઈએ તો મોટો ભોગ છાતી પર ચડી બેસે છે. એટલે તે નાનો સરખો ત્યાગ પણ એળે જાય છે. જરા અમસ્તા ત્યાગને માટે મોટાં મોટાં ઈન્દ્રભવન ઊભાં કરવાં તેને બદલે પેલી છાપરી સી ખોટી હતી ? તે જ પૂરતી છે. લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઊભો કરવો તેને બદલે પહેરણ ને બંડી પહેરવાં વધારે સારાં. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે તેની રીત જુદી બતાવી છે. તે બધાં સાત્વિક કર્મો કરવાનાં ખરાં પણ તેમનાં ફળને તોડી નાખવાનાં છે. કેટલાંક કર્મો સમૂળગાં છોડી દેવાનાં હોય છે, કેટલાંક ફળ તોડી નાખવાનાં હોય છે. શરીર પર બહારથી ડાઘ પડે તો ધોઈ કઢાય. પણ કુદરતે આપેલી ચામડીનો રંગ કાળો હોય તો તેને ચુનો લગાડયે શું થાય ? તે કાળા રંગને છે તેવો જ રહેવા દે તેના તરફ જોવાનું જ માંડી વાળ. તેને અમંગળ કહીશ મા.

9. એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામડે જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, અહીંથી મર્યા વગર હવે છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે હોળી સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “ અલ્યા, કેમ આપઘાત કરે છે ? ” પેલાએ કહ્યું, “ આ દુનિયા અમંગળ છે તેથી. ” પેલા ગૃહસ્થે કહ્યું, “ તારૂં આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી, એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે ! અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું ? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગંધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગંદ મારશે તેનો તો કંઈ વિચાર કર ! ” પેલા માણસે ત્રાસીને કહ્યું, “ આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ ? ”

10. સારાંશ કે અમંગળ, કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ, બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરૂદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે એને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

11. ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. દાખલા તરીકે ધારો કે એકાદ ઠેકાણે ખૂબ ઘોંઘાટ થાય છે અને તેને બંધ પાડવો છે. ત્યાં એકાદ સિપાઈ આવે છે અને બૂમાબૂમ બંધ કરવાને માટે પોતે મોટેથી બૂમો પાડવા માંડે છે. ત્યાં થતી બોલચાલ બંધ કરવાને મોટેથી બોલવાનું તીવ્ર કર્મ તેને કરવું પડયું. બીજો કોઈક આવશે તે આવીને માત્ર ઊભો રહેશે ને આંગળી ઊંચી કરશે. તેટલાથી જ લોકો ચૂપ બેસી જશે. ત્રીજો એકાદ માત્ર ત્યાં હાજર હશે તેટલાથી જ બધા શાંત બેસી જશે. એકને તીવ્ર ક્રિયા કરવી પડી, બીજાની ક્રિયા કંઈક સૌમ્ય હતી અને ત્રીજાની સૂક્ષ્મ થઈ. ક્રિયા ઓછી થતી ગઈ પણ લોકોને શાતં પાડવાનું જે કામ તે સમાન થયું. જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઈષ્ટતમ હોય તે કર્મ. કર્મની પહેલી, બીજી વિભક્તિ હોય છે અને ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે એ વાત બરાબર સમજી લો. કોઈક માણસ ગુસ્સે થાય છે તો ખૂબ બોલીને અગર બિલકુલ ન બોલીને પોતાનો ગુસ્સો બતાવે છે. જ્ઞાની પુરૂષ લેશમાત્ર ક્રિયા કરતો નથી. પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતી જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. તે જ્ઞાની પુરૂષનું અસ્તિત્વ હોય એટલે થયું. તેના હાથપગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજી વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે એટલે ક્રિયા શૂન્યરૂપ થઈ જાય છે અને અનંત કર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલાં તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સુક્ષ્મમાંથી શૂન્ય એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. પણ પછી અનંત કર્મ આપોઆપ થતું રહેશે.

12. ઉપર ઉપરથી કર્મ દૂર કરવાથી તે દૂર થતું નથી. નિષ્કામતાપૂર્વક કર્મ કરતાં કરતાં ધીરે ધીરે તેનો અનુભવ થતો જશે. બ્રાઉનિંગ નામના અંગ્રેજ કવિએ ‘ ઢોંગી પોપ ’ નામની એક કવિતા લખી છે. તે પોપને એક માણસે પૂછયું, “ તું વેશ શું કામ કરે છે ? આ બધા ઝભ્ભા શાને સારૂ ? આ ઉપરનો ડોળ શા માટે ? આ ગંભીર મુદ્રા શા સારૂ ? ” ત્યારે તેણે કહ્યું, “ આવું બધું હું શું કામ કરૂં છું તે જાણવું છે ? તો સાંભળ. આ નાટક કરતાં કરતાં શ્રદ્ધાનો સ્પર્શ ખબર ન પડે એ રીતે થઈ જવાનો સંભવ છે. ” તેથી નિષ્કામ ક્રિયા કરતા રહેવું. ધીમે ધીમે નિષ્ક્રિયત્વ પચતું જશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.