સાથીઓ / દોસ્તો / મિત્રો / યારો
બાળકોને ધ્યાનમાં રાખીને એક નવોનક્કોર તરોતાજા બ્લોગ બનાવવામાં આવ્યો છે. જેનું નામાભિધાન છે “કિલ્લોલ“. અહીં કોઈ પણ ઉંમરના બાળકનું ધિંગામસ્તી કરવા માટે હ્રદયપૂર્વક સ્વાગત છે.
સાથીઓ / દોસ્તો / મિત્રો / યારો
બાળકોને ધ્યાનમાં રાખીને એક નવોનક્કોર તરોતાજા બ્લોગ બનાવવામાં આવ્યો છે. જેનું નામાભિધાન છે “કિલ્લોલ“. અહીં કોઈ પણ ઉંમરના બાળકનું ધિંગામસ્તી કરવા માટે હ્રદયપૂર્વક સ્વાગત છે.
પ્યારા ગુજરાતીઓ,
કુંભમાં સ્નાન કરવુ હોય તે ભલે કરે.
સરોવરમાં માછલાં પકડવા હોય તે ભલે પકડે.
અરે ભાઈ વેલણ ટાઈટ દિવસે ગૃહિણીઓ વેલણ ટાઈટ કરીને પતિદેવોને સીધા દોર રાખે તો ભલે રાખે.
નવલોહીયા યુવાનો અને લેખકો ભલે વેલેન્ટાઈન ડે નીમીત્તે જીન્સના આવેગોને ધસમસતા રાખે.
ટુંકમાં જેને જેમ કરવું હોય તેમ ભલે કરે છેવટે તો બધા આનંદ કરવા આવ્યા છે ને? તો ભલેને સહુ કોઈ તેમની મતિ પ્રમાણે આનંદ કરતાં. અલબત્ત કોઈને નુકશાન પહોંચાડ્યા વગર સ્તો.
અમે તો વસંતોત્સવ મનાવશું.
લ્યો ત્યારે સહુને વસંતના વધામણાં.
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
શબ્દ સૌજન્ય: મધુવન
ત્રણ પ્રકારે કાર્ય થઈ શકે.
૧. કર્તા – કોઈ કાર્ય જાતે કરવું.
૨. કારિતા – કોઈની પાસે કાર્ય કરાવવું.
૩. અનુમોદિતા – કોઈ કાર્યને અનુમોદન આપવું.
ગુજરાતી e-જગત માટે આનંદના સમાચાર છે કે કવિશ્રી કલાપીના જન્મ દિવસે અને ભારતના પ્રજાસત્તાક દિવસે આપણું ગુજરાતી e-જગત Web-ગુર્જરી રુપી એક વિશાળ વટવૃક્ષની સંકલ્પનાથી એકત્ર થઈ રહ્યું છે. અલબત્ત આજે તો તે વૃક્ષનું બીજારોપણ થશે તેને રક્ષવાનું, ઉછેરવાનું અને સંવર્ધિત કરવાનું ઉત્તરદાયિત્વ આપણી સહુની ઉપર છે.
આ પ્રસંગ પરની વિશેષ જાણકારી તથા રસપ્રદ લેખ વાંચવા માટે પહોંચો શ્રી અમોના આંગણે.
આ વટવૃક્ષની સંપૂર્ણ સંકલ્પનાના સૂત્રધાર શ્રી જુગલકીશોરભાઈનો આજે ૨૫મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે તો તેમને અભીનંદવાનું ન ભુલશો.
મીત્રો,
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીની મત ગણતરી શરુ થઈ ગઈ છે. તમારા મત વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવાની જિજ્ઞાસા આપને હોય તે સ્વાભાવિક છે. નીચેની લિંક પર ક્લિક કરો. તમારા મત વિસ્તારને ગુજરાતના નકશામાંથી શોધી કાઢો. ત્યાં માઉસનું પોઈન્ટર લઈ જવાથી તમને તે વિસ્તારમાં ક્યો ઉમેદવાર આગળ છે તે જાણવા મળશે.
Gujarat Assembly Poll Result – 2012
હા ભાઈ હા
જ્ઞાન એટલે મુક્તિ અને અજ્ઞાન એટલે બંધન પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા તો હોવી જોઈએ ને?
મીત્રો,
મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં છું. છુ ને? તો ચાલો જીવીએ – 🙂
મીત્રો,
વિક્રમ સંવત ૨૦૬૭ જ્યારે વિદાય લઈ રહ્યું છે અને આ સંવતના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સહુને માટે આ પ્રકાશનો તહેવાર ઉત્સાહ, આનંદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ વર્ષે આપણે ઘણું ઘણું નવું શીખ્યા. એક બાબતને અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જોતા શીખ્યા. એક ઘટના કેટલાક લોકો માટે સારી હોય તો તેની તે ઘટના અન્ય લોકો માટે વજ્રઘાત સમાન બની હોય તેવું યે બને.
વાસ્તવમાં કુદરતની કુલ શક્તિનો સરવાળો હંમેશા અચળ રહે છે. દ્રવ્ય અને શક્તિનું માત્ર એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતર થાય છે. આપણે જેટલા વધારે સંકુચિત હોઈએ તેટલું આપણને આ સ્થળાંતર વધારે અસર કરે અને જેટલા વિશાળ હ્રદયના તેટલું આ સ્થળાંતર આપણી પર ઓછી અસર કરશે.
આજે શ્રી રામકૃષ્ણ આશ્રમના પ્રવર્તમાન અધ્યક્ષ સ્વામી શ્રી ધૃવેશાનંદજી મહારાજ ભાવનગરના ભક્તોને મળવા આવ્યા હતા. તેઓ આવતી ૯મી તારીખે બાંગ્લાદેશ શ્રી રામકૃષ્ણ આશ્રમનું અધ્યક્ષ પદ સંભાળવા જશે અને રાજકોટમાં નવા અધ્યક્ષ આવશે. જે લોકો માત્ર પોતાને રાજકોટના માને છે તેમને માટે ધ્રુવેશાનંદજીની ખોટ અને બાંગ્લાદેશના ભક્તોને ધ્રુવેશાનંદજીની હાજરી અનુભવાશે. જે લોકો પોતાને સમગ્ર વિશ્વના સમજે છે તેમને માટે સ્વામી શ્રી નું સ્થળાંતર કશી અસર નહી ઉપજાવે કારણકે તેમને માટે સ્વામીજી કોઈ આશ્રમના નથી પરંતુ પોતાના દિલના એક ટુકડા છે.
આપણા બ્લોગ જગતમાં આપણે કેટ કેટલી વિવિધ પૃષ્ઠભુમીમાંથી આવીએ છીએ. જુદા દેશ, જુદા સમય, જુદી રહેણી કરણી અને અનેક પ્રકારની ભીન્નતા આપણી વચ્ચે હોવા છતાં આપણે અહીં સહુ એક પરિવારના બની ગયા છીએ. આપણે સહુ એક બીજાની લાગણી સમજીએ છીએ, એક બીજાના ભાવને અનુભવીએ છીએ. જેવું વાસ્તવિક જગત હોય તેવું જ જાણે કે એક બ્લોગ જગત બની ગયું હોય તેમ નથી લાગતું?
ગુજરાતી બ્લોગ જગત અહીં સુધી પહોંચતા ઘણી કઠીનાઈઓમાંથી પસાર થયું છે. ક્યારેક સંઘર્ષ થયા છે, ક્યારેક મન દુ:ખ થયા છે, ક્યારેક ગેર સમજ થઈ છે તેમ છતાં એકંદરે આપણે સહુ સુમેળથી હળી મળીને રહ્યાં છીએ અને આનંદ અને ઉત્સાહથી બ્લોગ જગતને માણ્યું છે.
આવનારા દિવસોમાં આપણે બ્લોગ-જગતને એક નવી ઉંચાઈએ લઈ જઈએ, એક બીજા સાથે સૌહાર્દતાપૂર્ણ રીતે વર્તીએ, એક બીજાને મુશ્કેલીમાં સહાયરુપ થઈએ અને એક સ્વસ્થ અને સક્ષમ બ્લોગ-જગત વિકસાવીએ તેવી અભ્યર્થના સાથે વીરમું છું.
આપનો સહ્રદયી,
સસ્નેહ
અતુલ જાની – આગંતુક
તા.૧૯ જુન ૨૦૧૧
ત્રીજો રવિવાર
મિત્રો,
શું આપણે જાણીએ છીએ કે આજે U.S.A, Canada અને U.K. ફ઼ાધર્સ ડે ઉજવી રહ્યાં છે? દર જુન મહિનાના ત્રીજા રવિવારે આ ૩ દેશોમાં ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલીઆ અને ન્યુઝીલેન્ડમાં દર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવારે ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. બાકીના દેશોમાં રોજ ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે.
તો U.S.A, Canada અને U.K. માં રહેતા ફ઼ાધરોને આજે ખુબ ખુબ આદર અને સન્માન આપીને વિરમું છું.
Happy Fadhers Day for U.S.A, Canada અને U.K.
તા. ૧૯/૦૫/૨૦૧૧
ભાવનગર.
પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ શતાબ્દિ મહોત્સવનો તા.૧૯-૫ને ગુરૂવારથી શુભારંભ થશે.
મહોત્સવ સમિતિના ઉપક્રમે ગુરૂવારે સવારે ૯-૧૫ કલાકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં પૂર્વ પર્યાવરણ મંત્રી વાંકાનેરના મહારાજા ડૉ.દિગ્વિજયજીના હસ્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ થશે. મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રસંગે રાજકીય, સામાજિક ક્ષેત્રોના હોદેદારો તથા આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિમાં ભુતકાળમાં એક નાની ટીકીટ બહાર પાડવામાં આવી હતી. જે દુર્લભ ટીકીટ તસવીરમાં દ્રશ્યમાન છે.
સ્ત્રોત: સૌરાષ્ટ્ર સમાચાર (દિવ્યભાસ્કર ગૃપનું દૈનિક)