અજ્ઞાતમાં ડૂબકી

અજ્ઞાતમાં ડૂબકી – પ્રશ્નઃ- (13)

તા.06-04-2003, રવિવાર (શિષ્યો)
પ્રશ્નઃ- (13) જીવ ચિદાભાસ પોતે પુર્ણ સ્વતંત્ર થઈ શકે છે. તો જીવ એટલે કર્તા સ્વતંત્ર કઈ રીતે સમજવું ?


તા.13-04-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

પ્રત્યુત્તરઃ- (13) અંત:કરણ વિશિષ્ટ ચૈતન્ય જીવ પ્રમાતા કર્તા ભોક્તા મનાય છે. પરંતુ અંતઃકરણ ઉપહિત ચૈતન્ય વેદાંત મતે મિથ્યા પ્રમાતા કર્તા ભોક્તા અવિદ્યાદિ ક્લેશોને ભોગવનાર મનાય છે. કુટસ્થ સાક્ષિ ચૈતન્ય નહીં આ વાત ખ્યાલ રાખશો. કુટસ્થ ચૈતન્યનો અંત:કરણમાં પડતો આભાસ તે ચિદાભાસ. જીવ અંત:કરણ આભાસ અને કુટસ્થ આ ત્રણેનો અભિન્નરૂપે અનુભવ કરનાર ચિદાભાસ જીવ તે કર્તા ભોક્તા મનાય છે તે કુટસ્થ કે સાક્ષિરૂપમાં તે ચૈતન્ય સ્વરૂપે સ્વતંત્ર છે પરંતુ આપણે વેદાંત પ્રક્રિયામાં જોઈ ગયા છે કે જે જ્ઞાન થાય છે તે કોને થાય છે. ચિદાભાસને કે કુટસ્થને ? કુટસ્થ જ્ઞાન સ્વરૂપ છે. તેથી તેને જ્ઞાન થાય છે. તેમ કહી શકાય નહીં. તો ચિદાભાસના સઘળાં જ્ઞાનો છે તે બાહ્ય નામરૂપ પદાર્થોના છે અને અંત:કરણ તથા ઇન્દ્રિયોની સહાયથી બહારના પદાર્થોનું જ્ઞાન કરે છે. જે ભ્રાંતિ યુક્ત છે. વહેવારીક રીતે યથાર્થ છે. પરમાર્થ રીતે અયથાર્થ છે. તેથી તેને પણ જો બ્રહ્મનું જ્ઞાન થાય છે તેમ કહીએ તો તે પણ બ્રહ્મજ્ઞાન ન હોવું જોઈએ. પણ ભ્રમજ્ઞાન હોવું જોઈએ. તો બ્રહ્મનું જ્ઞાન કોને થાય છે. ચિદાભાસને કે કુટસ્થને તો આપણે પ્રક્રિયામાં તે પણ જોઈ ગયા છે કે જ્ઞાન તો ચિદાભાસને થાય છે પરંતુ ત્યાં મુખ્ય સામાનાધિકરણ અને બાધ સમાનાધિકરણના જે ભેદ છે તેમાં મુખ્ય સામાનાધિકરણમાં કુટસ્થ તથા બ્રહ્મ મુખ્ય સામ્ય ધરાવે છે બંને સચ્ચિદાનંદ છે તેથી તેમાં મુખ્ય સામ્ય છે. પરંતુ ચિદાભાસ તથા કુટસ્થ બ્રહ્મનું મુખ્ય સામ્ય નથી તેથી ત્યાં ચિદાભાસનો બાધ કરીને ચિદાભાસ પોતાને આભાસરૂપ ન માનતા કુટસ્થરૂપે અનુભવવા લાગે છે. પોતાના આભાસરૂપનો બાધ કરે છે. અને પછી કહે છે હું કુટસ્થ સાક્ષિ કેવલ ચૈતન્ય સ્વતંત્ર બ્રહ્મ છું. કારણ કે એકલુ કુટસ્થ પણ કર્તા ભોક્તા ન થઈ શકે. એકલો ચિદાભાસ પણ કર્તા ભોક્તા ન થઈ શકે. એકલું અંત:કરણ પણ કર્તા ભોક્તા ન થઈ શકે. ત્રણે મળીને કર્તા ભોક્તા થઈ શકે તો ચિદાભાસ કર્તા ભોક્તા છે. ઇશ્વર પણ માયામાં પડતો બ્રહ્મનો આભાસ છે. તેમાં પણ એકલું બ્રહ્મ છે. તેને ઇશ્વર ન કહી શકાય.

એકલી માયાને પણ ન કહી શકાય. એકલા આભાસ ને પણ ન કહી શકાય. માયા આભાસ તથા બ્રહ્મ ત્રણની અભિન્નતાથી ઇશ્વર કહી શકાય અને તે ઇશ્વર જગત કર્તા છે. જગતના જીવોના કર્મ ફલ દાતા પણ મનાય છે. તેમાં ઇશ્વર પોતે પોતાની માયાશક્તિ દ્વારા સંકલ્પ કે સંકલ્પનો નાશ સંકલ્પ કરવો કે ન કરવો ઇચ્છા કરવી કે ન કરવી તેમાં સ્વતંત્ર છે. તેમ જીવ ચિદાભાસ પણ ઇચ્છા કરવામાં સ્વતંત્ર છે. તેમ ઇચ્છા ન કરવામાં પણ સ્વતંત્ર છે અને તેને જ આત્મા કહેવાય. તેમાં જ તેની પુર્ણતા મનાય છે. કરોળીયો લાળ જેમ કાઢી શકે છે તેમ ગળી પણ શકે છે. છતાં જ્યારે તે ગળવાની જે શક્તિ છે તેની વિસ્મૃતિ કરે છે ત્યારે તે જાળાથી પરાધિન થઈ જાય છે. તેમ જીવ પણ પોતાની જીવપણાની વ્યષ્ટિ શક્તિ એક સમષ્ટી શક્તિનો અંશ જ છે. તેથી તે તેનાથી ભિન્ન નથી. સમષ્ટિરૂપ જ છે છતાં મિથ્યા કલ્પિત અહંથી સમષ્ટીથી પોતાને અલ્પજ્ઞ અને અલ્પશક્તિ માને છે. શરીર અંત:કરણ ઇન્દ્રિયો ઇત્યાદિના ભાવથી બંધાઈને પોતાને પરતંત્ર માને છે. પછી અવિધાને લઈને કર્મ સંસ્કારો વાસના તેનું ફલ ઇત્યાદિ સાથે પુર્ણરૂપમાં બંધ માને છે. કર્મનાં ફલ ભોગવે છે. તો ઇશ્વર જગનિયંતા હોવાથી જીવના કર્મ ફલની વ્યવસ્થા પણ ઇશ્વર કરે છે અને જીવ પરાધિન થઈને ભોગવે છે. કર્તા હોય તે જ ભોક્તા પણ હોય છે.

સમાધિમાં નિર્વિકલ્પ દશામાં જ્યારે યોગી જાય છે ત્યારે તેને પ્રત્યક્ષ એવું કર્તા ભોક્તા અકર્તા અભોક્તાનું જ્ઞાન થાય છે. જ્યારે પોતે પોતાના સ્વતંત્ર સંકલ્પ દ્વારા શરીર ઇન્દ્રિયોમાં અંત:કરણમાં પોતાની ચેતના ને સ્થાપે છે ત્યારે તે કર્તાભોકતા થઈ જાય છે. અને પોતાની ચેતનાના આભાસને ખેંચી લેતા સઘળું જડ થઈ જાય છે ત્યારે ત્યાં પોતાને અકર્તા અભોક્તા અનુભવે છે. તેથી ચૈતન્ય કુટસ્થમાં વાસ્તિવિકમાં કર્તા ભોક્તા પણું છે નહીં. તે પોતાના અકર્તા અભોક્ત સ્વરૂપમાં જ રહે છે છતાં પોતાની શક્તિ દ્વારા કર્તા ભોક્તા થઈ શકે છે. પરંતુ આ જીવદશાની વાત જ્યાં આવે ત્યાં મનુષ્યથી ઇતર સઘળા જીવો પરતંત્ર છે. ઇશ્વર સંપૂર્ણ સ્વતંત્ર છે કારણ કે ઇશ્વર પોતાને ઇશ્વરરૂપમાં પણ સમજે છે ત્યાં આવરણ નથી. એટલે સ્વતંત્ર છે. ત્યાં કર્તા જગત કર્તુત્વ પણું છે. ઇશ્વરને કર્મ નથી તેથી ભોકતૃત્વપણું નથી. જીવમાં કર્તાપણું છે અને કર્મ છે તેથી ભોકતૃત્વપણું પણ છે. પરંતુ મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. ફલ ભોગવવામાં પરતંત્ર છે. એટલે જ જીવ છે પરંતુ જેમ કર્મ કરવામાં કે ઇચ્છા કરવામાં પણ સ્વતંત્ર છે તેમ કર્મ કે ઇચ્છા ન કરવામાં પણ સ્વતંત્ર છે પરંતુ એને જ્યાં સુધી પોતાની શક્તિનું જ ભાન કે જ્ઞાન નથી કે હું જેમ ઇચ્છા કરી શકું છું તેમ ઇચ્છાને રોકી પણ શકું છું. તેવું આત્માનું સ્વતંત્ર જ્ઞાન નથી. તેથી તે જીવદશાની પશુદશાની ગણનામાં આવે છે અને સઘળું નિયતિની સત્તા નીચે નિયમ નીચે ચાલવું પડે છે. પરંતુ જ્યારે આકસ્મિક કોઈ પૂર્વાપરના સૃકૃતના ફલરૂપે તેને સદ્ગુરુ કે શાસ્ત્રમાં જ્યારે પ્રીતિ જાગે છે અને સદ્ગુરુનું સેવન અને શાસ્ત્રનો વિચાર જાગે છે ત્યારે પોતાની સાચી કર્તૃત્વશક્તિ જાગી જાય છે. કે માત્ર કરોળીયાની માફક તંતુ કાઢી શકું છું તેટલું જ નહીં પણ ગળી પણ શકું છું. વાસનાત્મક ઇચ્છાઓનો જેમ વિસ્તાર કરી શકુ છુ તેમ સંકોચ પણ કરી શકું છે તેથી કર્તૃત્વશક્તિનું જાગરણ થતાં જ તેનું પરાધિનપણું જે સ્વતંત્ર કર્તાપણામાં જે મનુષ્ય જીવાત્મા અડધો કર્મ તથા ઇચ્છા કરવામાં સ્વતંત્ર હતો તે પૂર્ણરૂપમાં સ્વતંત્ર શક્તિનું જાગરણ થતાં જ જે પરાધિનતા કે પરતંત્રતાના કારણો અવિદ્યા વાસના કર્મ અને તેનું ફલ ભોક્તાપણું હતું તેને નિવૃત કરવામાં શક્તિ કામે લાગી જાય છે.

જેને આપણે જ્ઞાનનો માર્ગ કહીએ છીએ. અને સાત્વિક અહં કર્તૃત્વ જાગૃત થતાં જ દ્રઢ ઇચ્છા કે જીજ્ઞાસા સાથે પોતાનું વાસ્તવિક કર્તવ્ય સદવિચાર છે તે કરવા લાગે છે. પછી મુમુક્ષુતાને લગતા સઘળા સાધનો કરે છે અને ગુરુમુખેથી મહાવાક્ય કાને પડતા જ જે પોતે પાતાને કર્તા ભોક્તા માનતો હતો તે આત્મા પરમાત્માના અભિન્નત્વનું જ્ઞાન થતાં જ અકર્તા અભોક્તારૂપમાં અનુભવવા લાગે છે. શરીર મન ઇન્દ્રિયો ઇત્યાદિનો વ્યષ્ટીભાવ પણ તુટી જાય છે. સમષ્ટીભાવ પણ હોતો નથી. અને પોતાના આત્માની જે નિજ સ્વતંત્ર શક્તિ છે તેનો અનુભવ કરે છે. જે અવિદ્યા વાસના સંસ્કાર તથા કર્મથી જે આ શરીર મળ્યું છે તે પણ નિયતિના વિષય પ્રમાણે જેમ ચાકડો કુંભારનો કામ કંઈ પણ રહ્યું નથી પછી ધીમે ધીમે ફરતો બંધ થઈ જાય છે અને કુંભાર ધારે તો વચમાં પણ બંધ કરી શકે છે તેમ જ્ઞાની પછી સ્વતંત્ર છે. શરીરની પરવા કરતો નથી. જ્ઞાન થયા પછીની મસ્તી છે. છતાં પણ ઇચ્છા થઈ ગઈ અને યોગ શાસ્રોક ક્રિયાથી સફલ હોય તો યોગ દ્વારા શરીરરૂપ ચાકડાને થંભાવીને નિવૃત થઈ જાય છે. વિદેહ કેવલ્યમુક્તિને પ્રાપ્ત થાય છે. તો આપણે જોયું કે ઇશ્વર પણ સ્વતંત્ર કર્તા છે. પરંતુ ઇશ્વર ને શુદ્ધ માયાના પરિણામરૂપ ઉપાધિ છે તેથી ઇશ્વર કાયમ માટે નિરાવરણ રહે છે. અને ઇશ્વર ને કોઈ કર્મ નથી તેથી ઇશ્વર પોતા માટે કાંઈ કરતા નથી પરંતુ જીવના કર્મ વાસના ફલ ઇત્યાદિના ઇક્ષણને લઈને કરે છે. પરંતુ છે સ્વતંત્ર કર્તા તેમ મનુષ્યથી ઇતર જીવો છે તેમાં જે સ્થાવરો છે તેમાં તો તેનું જીવન પણ ન્યુનાધિકપણે સુપ્ત હોય છે. પત્થરમાં બિલકુલ સુપ્ત હોય છે તો જ્યાં જંગમ જીવો છે જે અંત:કરણવાળા જીવ છે ત્યાં ચૈતન્ય તો આભાસ પ્રાણોમાં છે અને તે ક્રિયા કરી શકે છે. ભોગનો કડવો મીઠો અનુભવ લઈ શકે છે. અને તેમાં પણ કોઈ એક ઇન્દ્રિયવાળા કોઈ બે ત્રણ એમ હોય છે. પરંતુ તે સંપૂર્ણ પરતંત્ર જીવો છે તેમાં કોઈ પણ સ્વતંત્રતા નથી. તે તો કર્તૃત્વનું નવું કર્મ સર્જી શકતા નથી. કરેલાં કર્મનું ફલ ભોગવી રહ્યા છે. અને મનુષ્ય છે તે જ કર્મ કરી પણ શકે છે અને ફલ ભોગવી પણ શકે છે. જુનાને ભોગવે છે અને નવાં કરી શકે છે. ભવિષ્યનું નિર્માણ પણ કરી શકે છે કારણ કે તે ઇશ્વર જેવો પૂર્ણ સ્વતંત્ર નથી તેમ પશુ પક્ષી ઇત્યાદિ જીવોની માફક પુર્ણ પરતંત્ર પણ નથી. પરંતુ કર્મ કરવામાં તે સ્વતંત્ર છે કર્મ ફલ ભોગવવામાં પરતંત્ર છે. પરંતુ તે પરતંત્રતા કયાં સુધી છે કે જ્યાં સુધી તેને કર્મનો કર્તા કોણ છે કર્મનો ભોકતા કોણ છે ઇત્યાદિ જીવ સૃષ્ટિ ઇશ્વર માયા ઇત્યાદિનો વિચાર જાગ્રતનાં પરતંત્રતાના કારણો તેને સમજાય જાય છે.

અને આત્માની પૂર્ણ સ્વતંત્રતા તથા શક્તિનું જ્ઞાન થતાં જ સ્વઇચ્છાઓના અને કર્તૃત્વના નિરસન દ્વારા પોતે પોતાને સ્વતંત્ર અનુભવી શકે છે. માત્ર અનુભવી શકે છે તેટલું જ નહીં પણ યોગવશિષ્ઠમાં જે સિદ્ધોની શક્તિનું ઐશ્વર્યના વર્ણનો આવે છે કે સંપૂર્ણપણે સંકલ્પ પર સત્તા પ્રાપ્ત કરીને પૃથ્વીની કઠોરતાને ભેદી શકે છે. જલની દ્રવ્યતાને પી જાય છે. અગ્નિની આગને ઉષ્ણતાને તે ઠારી શકે છે. વાયુની ગતીને રોકી શકે છે. આકાશ સઘળે અવકાશ આપે છે. તેવું કાગભુશુંડીના આખ્યાનમાં સાંભળવા મળશે. અન્યે પણ તેવી ઘણી કથાઓ આવે છે તો સૃષ્ટીના પ્રલય સુધી પણ પોતાની સ્વતંત્ર કર્તા ભોક્તાપણું કાલ્પનીકરૂપમાં રાખીને અસલમાં પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપમાં રહીને મહાપ્રલય સુધી કે બ્રહ્માના આયુ પર્યંત તે સ્વતંત્ર કર્તા ભોક્તા રહી શકે છે. એ બ્રહ્માનું આયુ પુરું થતાં મહાપ્રલયમાં વિદેહમુક્તિને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાની યોગી સ્વતંત્ર છે.

વેદાંત મતે જીવ તથા ઇશ્વર બંને બ્રહ્મ તથા માયાના દીકરા મનાય છે. ઇશ્વર પણ ઐશ્વર્યવાન છે. જીવ પણ ઐશ્વર્યવાન છે પરંતુ ઇશ્વરનું ઐશ્વર્ય ત્રિકાલાબાધિત છે. જીવનું ઐશ્વર્ય ત્રણ કાલથી બાધિત થઈ જાય છે. માયાના આવરણથી સુપ્ત થઈ જાય છે. ગુપ્ત સુપ્ત ઐશ્વર્ય જીવમાં રહેલું છે. અને તે સુપ્ત ગુપ્ત ઐશ્વર્યનો જ દાહ વેદના તથા પીડા છે. જીવને કે મારી પાસે કંઈ નથી પરંતુ જીવ પણ તેનું અનૈશ્વર્યને લઈને છે તેને પ્રયત્ન છે કે હું પણ ઇશ્વર જેવો થાઉં. એવી ઇચ્છા તે જ તેના ગુપ્ત સુપ્ત ઐશ્વર્ય તરફનું આકર્ષણ છે. અને તે જ્યારે યોગીક સઘળી ક્રિયા દ્વારા પોતાની ઇન્દ્રિયો મન બુદ્ધિ શરીર ઇત્યાદિ પર અષ્ટાંગ યોગ દ્વારા શરીર તન મન પર નિયંત્રણ પ્રાપ્ત કરશે. પ્રાણ પર નિયંત્રણ પ્રાપ્ત કરશે અને ફરી સંકલ્પ પર સતાને પ્રાપ્ત કરશે ત્યારે સઘળા પરવશકાર પ્રાપ્ત થતાં અણીમાદિક સઘળાં ઐશ્વર્યો છે તે પ્રગટ થઈ જશે. ગુપ્ત સુપ્ત છે તે પ્રગટ તથા જાગી જાશે ત્યારે તે ઇશ્વર સદૃશ્ય હશે . ઇશ્વર ઇશ્વર જ છે કારણ કે યોગીને સંકલ્પ પર સત્તા આવે છે. ત્યારે ભુતસૃષ્ટિના પરમાણુઓમાં ફેરફાર કરી શકે છે. પરંતુ એક ઇશ્વરે જે પૃથ્વી સુર્ય ચંદ્ર ઇત્યાદિનું જેણે જે રીતે સ્થાપન કર્યું છે તેમાં ફેરફાર ન કરી શકે તેથી ઇશ્વર તો એક જ છે. આપણે ઇશ્વરો કહેવાય અને તેવા ઘણા ઇશ્વરો હોય છે. પરંતુ ન્યુનાધિકપણે ઐશ્વર્ય ભોગવતા હોય છે પરંતુ બ્રહ્મલોકવાસી સિદ્ધો સ્વતંત્ર કર્તા ભોક્તા છે. કર્તા ભોક્તા બનવા માટે શરીર જોઈએ તેમાં વિજ્ઞાનમય શરીરથી જ તે સ્વતંત્ર કર્તા ભોક્તા બની શકે છે. પોતાની અસ્મિતતામાંથી ઘણા ચિતોનું નિર્માણ કરીને ઘણા શરીરોની રચના કરીને ભિન્ન ભિન્ન પ્રકારના ભોગપણ ભોગવી શકે છે. તેવી કથા યોગવશિષ્ઠમાં આવશે. અને તે સઘળાં કાલ્પનિક ચિતો તથા શરીરો પર તેનું મુખ્ય ચિત હોય છે તે જ નિયમન કરતું હોય છે. અને સઘળી ચિતો કે કાયવ્યુહની જે રચના કરી છે તેને એકી વખતે નિવૃત કરવા હોય તો પણ સ્વતંત્ર સંકલ્પ દ્વારા કરી શકે છે.

તો જીવ ચિદાભાસ પોતે પૂર્ણ સ્વતંત્ર થઈ શકે છે. તો જીવ કર્તા એટલે કઈ રીતે સમજવું. કંઈ આચાર્યોના મતે જીવ સત્તા પ્રકૃતિની સત્તા તથા ઈશ્વર સત્તા તે અલગ અલગ સ્વતંત્ર સત્તા ધરાવે છે. પ્રલય વખતે પણ અલગ અલગ સત્તામાં હોય છે કોઈ આચાર્યના મતે જીવ સત્તા તથા જગત સત્તા ઇશ્વર સત્તાને આધિન હોય છે અને વેદાંત તો જીવ સત્તા તથા જગત સતાને કલ્પીત તથા મિથ્યા માને છે. અને એક જ બ્રહ્મ સતાને આધિન હોય છે. એક બ્રહ્મ સત્તા જ સ્વતંત્ર સત્તા હોય છે. તો જીવ સિદ્ધ દશામાં આ ઇશ્વર રચિત ભોગ્ય જગતમાં સ્વતંત્ર રીતે કર્તા ભોક્તા પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપમાં રહીને મહાપ્રલય સુધી કે તેની સ્વતંત્ર ઇચ્છા સુધી તે રહે બાદ નિર્વાણમાં જવાની કે વિદેહમુક્તિની ઇચ્છા થતાં બ્રહ્મ સત્તા સાથે અભિન્ન બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. આ ત્રણે સત્તા સુક્ષ્મ હોવાથી અનુભવ ગમ્ય છે. પ્રત્યુત્તર પૂર્ણ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Tags: | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 12

પ્રશ્નઃ- (12) જગતની કલ્પના અહંકારની કલ્પનાને આધિન છે. અને અહંકારની કલ્પના ચૈતન્યને આધિન છે એટલે શું ?

પ્રત્યુત્તરઃ- (12) એક કાયમને માટે એવો નિયમ છે કે અહંકાર વગર કયાંય પણ કોઈ કૃતિ કે કર્મ હોતુ નથી. સંકલ્પ કે કલ્પના હોતી નથી. કોઈ પણ સંકલ્પ કે કલ્પના નો કર્તા જીવ ચિદાભાસ કર્તા અહંકારી જીવ હોય છે. મતલબ કહેવાનું તે કે કોઈ પણ કલ્પના સંકલ્પ કે કૃતિ છે તે કર્તાને આધિન હોય છે. તે કરે તો હોય અને ન કરે તો ન હોય. આ કર્તાની સ્વતંત્રતા છે. કુંભારને માટલાં કે કાંઈ પણ બરતન બનાવવાં કે ન બનાવવાં ચાકડાનો દંડનો માટીનો ઇત્યાદિ જે સામગ્રી છે. કર્મની તેનો ઉપયોગ કરવો કે ન કરવો તે કુંભાર કર્તાને આધિન હોય છે. કર્તા તેને કહેવાય કંઈ કરે પણ અને કંઈ ન પણ કરે તે કરવું ન કરવું કર્તાની સ્વતંત્રતા છે. તો પહેલે આપણે આપણા વ્યષ્ટી જગતની જે કલ્પના છે તે ઉદાહરણ ઉપર જોશું તો જલદી સમજાશે. અંત:કરણ વિશિષ્ટ પ્રમાતા ચિદાભાસ અહંકારી જીવ તે કર્તા છે. અંત:કલ્પના ચાર ધર્મ છે મન, બુદ્ધિ, ચિત તથા અહંકાર. પહેલે અહંકારની કલ્પના ઉઠે કે હું. તે આપને સમજાવ્યું છે કે અંત:કરણ તેમાં પડેલો ચૈતન્યનો આભાસ તે ચિદાભાસ જીવ. તે ચૈતન્ય તથા અંત:કરણને અભિન્ન માનીને હું એવી અસ્મિતતા અહંકાર ઉભો થયો છે. પછી હવે કેની કલ્પના કરવી કે શેની કલ્પના ન કરવી. તેમાં તે સઘળી અહંકારને આધિન છે. આપણી ક્યાં સુધીની કલ્પના છે કે જ્યાં સુધી મોક્ષની કલ્પના ન ઉઠે ત્યાં સુધી. જાગૃત સ્વપ્નમાં તે સંસારના ભોગ મને જોઈએ મને આ પ્રિય નથી તે મારાથી દુર હોવું જોઈએ. આ સઘળુ વ્યષ્ટિગત આપણું જગત આપણા અહંકારની તે કલ્પનાને આધિન છે. અહંકાર જ્યાં સુધી તે કલ્પના કરતો રહેશે ત્યાં સુધી વ્યષ્ટિ જગતમાં પોતાથી જ પોતે સુખી દુખી થયા કરશે. જ્યારે અહંકાર જ કલ્પનાનું વિસર્જન કરશે કે હવે સંસારથી થાક લાગ્યો છે.સંસાર દુખમય છે. મોક્ષ શું હશે દુ:ખથી મુક્ત કઈ રીતે થવાય. ઇત્યાદિ જ્યારે મોક્ષ માટેની કલ્પના કરશે ત્યારે આખર સર્વ વિકલ્પોનો ત્યાગ પણ અહંકાર કરશે. અને જ્યારે કોઈ પણ વિકલ્પ ન રહેતા અહંકાર જ નકામો થઈ જશે. તેમ સારાએ જગતની કલ્પના ઇશ્વરના સમષ્ટિ અહંકારને આધિન છે. અને અહંકારની કલ્પના ચૈતન્યને આધિન છે.

હમણાં જ ઉપર જણાવ્યા મુજબ ચૈતન્ય આત્મામાં સંસારનો જે કલ્પીત અહંકાર હતો જે હું અને મારું દેહાભિમાન સાથે મોક્ષની કલ્પના કે ભાવ ઉઠતાં જ્ઞાન થાય. ગુરુના બોધથી મહાવાક્ય સાંભળીને આત્મા પરમાત્માના અભિન્નત્વનું જ્ઞાન થતાં અહં બ્રહ્માસ્મિ હું. બ્રહ્મ છું તેવો પારમાર્થીક અહંકાર જાગે છે. સાંસારીક અહંકારની નિવૃત્તિ થાય છે. અને પછી પુર્ણ સ્વરૂપમાં નિષ્ઠા થયે હું બ્રહ્મ છું. તેવું અનુસંધાન પણ નિવૃત્તિ થાય છે તેથી તે અહંકાર ચૈતન્યને આધિન છે. ચૈતન્ય કોઈને આધિન નથી. તે અબાધ તત્વ છે. જગતની કલ્પના પણ ઇશ્વરના અહંકારને આધિન છે. અને અહંકાર કલ્પિત જે ઉઠયો છે તેની કલ્પના મહાચૈતન્ય પરબ્રહ્મને આધિન છે. જગત કર્તાએ આપણે આગળ જોયું અહંકાર કર્યો તે ચૈતન્ય આધિન થયો પછી તે અહંકારથી જગતની કલ્પના થઈ. ફરી વળી તેને ઇશ્વર સંહારકાલે કલ્પનાની નિવૃત્તિ કરશે કે જગત વિસર્જન પામે, પ્રલય પામે ત્યારે જગત કલ્પના નહીં રહે. ઇશ્વરના અહંકારમાં વિલીન થઈ જશે. જેમ સુષુપ્તિમાં થાય છે તેમ તો જગતની કલ્પના અહંકારની કલ્પનાને આધિન અને અહંકારની કલ્પના ચૈતન્ય આધિન છે તે પ્રશ્ન પ્રત્યુત્તર પુર્ણ.

ૐૐૐ..

* વિશેષ વાતઃ- મારા પ્યારા વહાલા ભક્તો વિશેષ લખવાની ઇચ્છા થાય છે રામજી વારંવાર જીવાત્માઓ વિશે પુછે ત્યારે વશિષ્ઠ મહારાજ એમ જ કહે કે હે રામ જીવ એવી વસ્તુ છે જ નહીં. એકે પણ જીવ નથી. જ્યારે આવો પ્રત્યુત્તર મળે ત્યારે ત્યાં સમજી લેવું કે અપવાદનો સ્વીકાર કરીને કહે છે. રામ પુછે કે જો એક જ આત્મા સર્વત્ર વ્યાપક અને વિભુ કાલકૃત દેશકૃત કે વસ્તુકૃત ભેદોથી રહિત અખંડ તથા અભેદ હોય તો એક જ સર્વમાં હોવાથી એક આત્માને દુ:ખ થાય તો સર્વને દુ:ખ થવું જોઈએ. એકને સુખ થાય તો સર્વને સુખ થવું જોઈએ. તો સર્વ જીવોને એમ તો થતું નથી. કોઈ વધારે સુખી હોય છે કોઈ તેથી ઓછા સુખી હોય છે. કોઈ વધારે દુ:ખી તો કોઈ ઓછા દુ:ખી. તેવો ભેદ જે ભિન્ન ભિન્ન અને અનેક આત્મા હોય તો જ ઘટી શકે. એક આત્મા હોય તો સર્વને કાં તો સુખ અને કાં તો દુ:ખ થવું જોઈએ. પરંતુ તેવું જોવામાં આવતું નથી. આ રામજીનો પ્રશ્ન હતો ત્યાં પ્રત્યુત્તરમાં અધ્યારોપ કરીને કહેવું પડ્યું કે દરેકનો અહંકાર અલગ અલગ વાસના કલ્પે છે. અલગ અલગ કલ્પના કરે છે પછી અલગ અલગ કર્મ કરે છે. પછી તે પ્રમાણે સર્વને કોઈને સુખ કોઈને દુ:ખ પ્રાપ્ત થાય છે. તેવો જવાબ આપેલો તો ત્યાં શું સમજશો. પહેલા કીધું કે જીવ છે જ નહીં અને પછી જીવાત્માઓના અલગ અલગ કર્મ વાસનાને કલ્પના બતાવે. તો વેદાંતનો સિદ્ધાંત સમજામાં નહીં હોય તો માત્ર વાતનો સ્વીકાર કરીને ચાલવું પડશે તો વેદાંતનો સિદ્ધાંત છે કે આત્મા તો સર્વત્ર વ્યાપક અખંડ અભેદ છે. સાક્ષિ કુટસ્થ પરમાત્મા જ આત્મારૂપે વહેવાર કરી રહ્યો છે. તો અન્ય દર્શનકારોની જે આત્મા વિશે માન્યતા છે તે પ્રમાતા વિશે છે તે પ્રમાતાને જીવ માને છે. અને તેમાં માન્યતાઓ ભિન્ન ભિન્ન છે.

કોઈ વ્યાપક માને છે અને ઘણાં જેમ કે સાંખ્ય વ્યાપક નિર્ગુણ અસંગ માને છે. પરંતુ ઘણા તેમ ન્યાય વૈશેષિક પણ વ્યાપક તથા ઘણા માને છે. તો જ્યાં વ્યાપક અને નાના જીવોની માન્યતા છે ત્યાં વેદાંત પ્રમાતાને ચિદાભાસને માને છે. વેદાંત મતે પ્રમાતા ચિદાભાસ જીવો મિથ્યા છે તો ઘણા તથા વિભુ આત્માને માનનારાને પ્રશ્ન છે કે એક આત્મા હોય તો એકને સુખનો સર્વને સુખ એકને દુ:ખ તો સર્વને દુ:ખ. તો તે વિષય પુર્વ પક્ષનો છે તેથી વિસ્તૃત નથી કરતો. તેમાં ઘણી ચર્ચા છે પરંતુ વેદાંત પ્રમાતા જે કર્તા ભોક્તા જીવ છે તે તો ઘણા છે. નાના છે. પરંતુ કુટસ્થ સાક્ષિ ચૈતન્ય એક જ છે તેથી તે પ્રશ્ન ત્યાં ઉકલી જાય છે. પ્રમાતા કર્તા ભોક્તા જીવ જ ઘણા છે. અને ભિન્ન ભિન્ન કર્મ કરીને કોઈ સુખ તો કોઈ દુ:ખ ભોગવે છે. અંત:કરણની ઉપાધિને લઈને ભિન્ન ભિન્ન દેખાય છે જેમ ભિન્ન ભિન્ન ઘટોમાં, સર્વમાં આકાશ તો એક જ વ્યાપક છે પરંતુ કોઈ ઘડામાં દુઘ ભર્યું છે તેમાં દુધની સુગંધ, કોઈમાં ઘી છે, કોઈમાં દારૂ છે તેમ અંત:કરણ ભેદે પ્રમાતાઓના ભેદ પડે છે.

વળી સમષ્ટિ વ્યષ્ટીરૂપે જીવો થયા છે છતાં નથી થયા કારણ કે તેમાં સઘળા એક એક વ્યષ્ટી જીવોને જ સમષ્ટી કહેવાય છે. જો વ્યષ્ટિ જીવો ન હોય તો સમષ્ટી કોને કહો અને ઇશ્વર પણ વેદાંત મતે માયોપધિક ચૈતન્ય માયામાં પડતી આભાસ તે જગત કર્તા તથા જીવોને કર્મ ફળ દાતા છે. તેથી વેદાંત મતે તે પણ મિથ્યા છે. જે સમષ્ટિ અભિમાન કરે છે તો કાર્યાધ્યાસરૂપે જીવો તો મિથ્યા હોય જ તેમાં શું કહેવું તેથી તે આભાસો હોવાથી એકરૂપમાં પ્રતીત થયા છે. તેથી થયા છે અને એકરૂપમાં તે કલ્પિત હોવાથી નથી થયા. છે જ નહીં વળી આ જગતને બ્રહ્મથી જુદું પાડવું અશક્ય છે. જુદું પાડી જ ન શકાય. કારણ કે આ સઘળું દૃષ્ટિગોચર થતું બ્રહ્મ જ છે. પરમાત્મા અને સંસારને જુદા કદી પણ ન કરી શકો. સાગર અને તેના તરંગને જુદા કદી પણ ન કરી શકો. તરંગ તે પણ પાણી છે અને પાણીના તરંગ છે તેથી તેને કેમ જુદા પાડી શકાય. તેમ એક જ વસ્તુને કે અધિષ્ઠાનની સમજ પાડવા માટે અને તેમાં વહેવારીક કેટલું અને પારમાર્થીક સ્થુલ સૂક્ષ્મ કારણ તથા મહાકારણ પરંતુ અધિષ્ઠાન તથા સંસારને તેના ધર્મોથી જુદુ સમજી શકાય છે. તરંગો ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ભાવાભાવને પામે છે. માટે તે તરંગ કહેવાય છે. તેમ સંસાર ધર્મ પણ અધિષ્ઠાન ચૈતન્યમાં સઘળા નામ રૂપવાળા પદાર્થો ભાવા ભાવને પામે છે, માટે તેને સંસાર ધર્મથી સમજી શકાયછે. અધિષ્ઠાનમાં જલ જલ જ રહે છે પરંતુ વાયુના નિમિત્તે તરંગો ઉત્પન્ન થયા છે. ને વળી સમય જાય છે તેથી તે ધર્મથી તરંગ અને જલ તે ધર્મથી જુદા સમજી શકાય છે. માટે પરમાત્મા અને તેનો સંસાર અભિન્ન છે. તો મારા વહાલા વહાલ ભક્તો યોગવશિષ્ઠ ઉપર ખુબ આપની આપની બુદ્ધિમતે વિસ્તૃત ચર્ચા કરતા રહેશો અને હું પણ કાંઈક ને કાંઈક લખીને મોકલતો રહીશ જરૂર ત્યાં ન સમજાય તે પ્રશ્ન અહીં મોકલશો. આપની ચર્ચા તથા આપને સાંભળું છું ખુબ ખુબ પ્રસન્નતા થાય છે.

આપનો ભજન પ્રકાશાનંદ

* એક સુચના મારા પ્યારા કોઈપણ ગ્રંથકાર હોય તેનો નિયમ છે કે જે રસ હાથમાં લીધો તેનું વિસ્તૃત વર્ણન કરે તો તેમાં જે શૃંગાર રસ આવે છે તેને છોડી દેશો તેનું વર્ણન કરવાથી જીવનમાં કોઈ લાભકારક નથી ઉલટા ખોટા સંસ્કાર પાડીને હાની કર્તા થાય છે. જ્યાં વૈરાગ્યની વૃદ્ધિ કરવાની છે ત્યાં શૃંગારની જરૂર નથી. જીવનમાં ઉપયોગી વસ્તુનો ખ્યાલ કરીને ચાલશો, ગ્રંથકાર તો સઘળા રસોનું વર્ણન કરે તેનો પણ કોઈ રસીક હોય છે તેથી. માટે મુમુક્ષુને માટે જરૂર નથી. *

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 11

પ્રશ્ન:- (11) બ્રહ્મને પોતાની અભિન્ન અહંકારનું જે અનુસંધાન થાય છે તે જ આ મહાવિસ્તીર્ણ સંસારરૂપે બ્રહ્મમાં સ્ફુરે છે. અને તે બ્રહ્મમય હોવાને લીધે અનંત છે. બ્રહ્મને પોતાની અભિન્ન અહંકારનું અનુંસંધાન થાય છે. એટલે શું ?

પ્રત્યુત્તર:- (11) બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું અનુસંધાન થવું તેમાં આપણે સૃષ્ટિ ઉત્પત્તિમાં જોઈ ગયા છે કે વિશુદ્ધ બ્રહ્મમાં સૃષ્ટિ નથી. બ્રહ્મ જ્યારે માયોપહિત બને ત્યારે જગત કારણ થાય છે. તો પ્રથમ બ્રહ્મમાં સર્ગના આરંભમાં એકોહં બહુસ્વામ આ જે સ્ફુરણ થવું ઇક્ષણ થવું પોતે પોતામાં રહેલી અભિન્ન માયા શક્તિ ને તેમાં રહેલા ભોગ મોક્ષ જેનું પ્રયોજન સિદ્ધ નથી થયું તેવા વાસનાગત જીવો તથા તેના કર્મ સંસ્કારો અને તેનું ફલ આપવાના ભાવવાળું થવું ત્યારે તે તરફ ઇક્ષણ કરીને પછી સંકલ્પ કરવો કે હું એકમાંથી બહુરૂપે બનું. આ અભિન્ન અહંકારનું અનુસંધાન છે. પછી તેજ અહંકારથી તેજ અહંકારનો વિસ્તાર આ સામે દેખાતો મહાવિસ્તીર્ણ સંસાર તે બ્રહ્મમાં જ સ્ફુરેલો છે અને તે ઇશ્વર અભિન્ન નિમિતોપાદાન કારણ રૂપે અને બ્રહ્મના વિવર્તરૂપે પ્રથમ આ અહંકાર સ્ફુરે છે.અને સંસાર મહાવિસ્તીર્ણ છે. આ અહંકરાનો જ વિસ્તાર છે. અને બ્રહ્મરૂપ અધિષ્ઠાનમાં સ્ફુરેલો હોવાથી જેમ રજુમાં અવિદ્યાથી સ્ફુરેલો સાપ રજુમય જ હોય છે. તેમ બ્રહ્મમાં સ્ફુરેલો આ મહાવિસ્તીર્ણ સંસાર પણ બ્રહ્મનું જ વિવર્ત હોવાથી બ્રહ્મમય જ છે. અને બ્રહ્મમય હોવાને લીધે અનંત છે. સાખ્યમાં પુરુષે તથા પ્રકૃતિને પણ અનાદિ અનંત બંનેને માનેલ છે. અહીં પરમાત્મા બ્રહ્મની સાથે રહેલી અભિન્ન માયા જે અર્નિવચનિય છે અને તેથી સ્ફુરેલો સંસારપણ અભિન્ન છે. સાગર તથા સાગરના તરંગ ભિન્ન નથી. તેમ સાગર અનંત છે મોજા પણ તરંગ થતા અનંત છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને પોતાની વિભુતિનું વર્ણન કરતા કહે છે અર્જુન મારી વિભુતીનો વિસ્તાર કેટલો બધો છે કે હું પણ જાણતો નથી. સમુદ્રમાં મોજા કે તરંગ કેટલા ઉપડશે નાશ પામશે, કયા સુધી તે કહી ન શકાય તેમ જેમ અગ્નિમાંથી સ્ફુલિંગો ઉત્પન્ન થતા જ રહે તેમ સંસાર પણ અનંત તથા અપાર છે.

જ્ઞાનમાર્ગમાં જેને જ્ઞાન થાય છે તેને માયા સાંત દેખાય છે. પરંતુ સાધારણ અન્યોને માટે તો અનંત છે. પરમાત્માના જ્ઞાનને કે રહસ્યને પામનારા મૌન જ થઈ જાય છે કારણ કે રહસ્ય રહસ્ય જ રહી જાય છે. બ્રહ્મની પાર કોઈ જઈ નથી શકતું. બ્રહ્મનું જ્ઞાન કરનારા પણ રહસ્યમાં ડૂબી જાય છે. પોતાના વ્યક્તિત્વને ખોઈ નાખે છે. પરંતુ રહસ્યનો કોઈ પણ પાર નથી પામતા. અનંત તે અનંત રહે છે. બ્રહ્મ અનંત છે તેનો સંસાર પણ અનંત છે. અને તે બ્રહ્મમાં અહંકાર પણ કલ્પિત જ સ્ફુરેલો છે, કલ્પિત અહંકારનું અનુસંધાન કરે છે. તેથી કલ્પિત કોઈ પણ વસ્તુ હોય તો અધિષ્ઠાનથી અભિન્ન જ હોય છે. તો અહંકારનો વિસ્તાર આ સંસાર છે. તેથી તે પણ બ્રહ્મથી અભિન્ન જ છે અને અનંત છે. પુરી રજુ જ સર્પરૂપે દેખાય છે તેમ બ્રહ્મ જ જગતરૂપે દેખાય છે. તેથી બ્રહ્મમય જ છે. શ્રુતિમાં પ્રમાણ આપ્યું છે. સર્વં ખલવિદંબ્રહ્મ નિશ્ચય આ સઘળું બ્રહ્મ છે. સર્પને અસલરૂપમાં જુવો તો રજુ જ છે. સર્પનો બાધ કરીને જુવો તો પણ રજુ જ છે. બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું જે અનુસંધાન થાય છે. તે જ આ મહાવિસ્તીર્ણ સંસારરૂપે સ્ફુરે છે. અને તે બ્રહ્મમય હોવાને લીધે અનંત છે બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું અનુસંધાન થાય છે. એટલે શું તે પ્રશ્ન પુર્ણ.

ૐૐ ૐ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Tags: | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 10

પ્રશ્ન:-(10) દૃષ્ટા અને દૃશ્યની મધ્યમાં રહેવું એટલે શું ?

પ્રત્યુત્તરઃ-(10) મારા પ્યારા પ્યારા વહાલા વહાલા ભક્તો. પ્રશ્ન ખુબ જ મહત્વનો છે કારણ કે આપણે કયારેક ક્યારેક દૃષ્ટા તથા દૃશ્યની વાત કરતા હોઈએ છીએ કે આત્મા દૃષ્ટા છે. જગત દૃશ્ય છે. ઠીક વાત છે. પરંતુ દૃષ્ટા તથા દૃશ્યનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું હોતું નથી. આ વિષય ઉપર લખાણ કરું તો ઘણું લાંબુ થાય. ચોપડો ભરાય જાય છતાં સંક્ષિપ્તમાં તેનું સ્વરૂપ કહીશ કારણ કે દૃષ્ટા ને દૃશ્ય સમજાયું ન હોય ત્યાં સીધી મધ્યની વાત કરવી વ્યર્થ છે તેથી સંક્ષિપ્તમાં પહેલા દૃષ્ટા કોણ છે પતંજલી યોગદર્શનમાં સુત્ર આપે છે સાધન પાદ યોગ સૂત્ર ..20..

દૃષ્ટા દ્રશિમાત્ર: શુદ્ધોડપિ પ્રત્યયાનુપશ્ય:

શબ્દાર્થ = દૃષ્ટા = દૃષ્ટા. દ્રશીમાત્ર જોવાની શક્તિમાત્ર છે. શુદ્ધ: અપિ નિર્મલ અને નિર્વિકાર હોવા છતાં પણ પ્રત્યય અનુપશ્ય ચિત્તની વૃત્તિઓને અનુસાર જોવાવાળો છે.

અન્વયાર્થ : દૃષ્ટા જોવાની શક્તિ માત્ર છે. નિર્વિકાર હોય પણ ચિતની વૃત્તિઓને અનુસાર જોવાવાળો છે.

અહીં સૂત્રમાં દ્રશી શબ્દનો જે પ્રયોગ કર્યો છે તેનો અભિપ્રાય તે છે કે જોવું તે જોનારાનું વિશેષણ છે. જોવાની શક્તિરૂપ વિશેષણથી રહિત છે. કેવલ જ્ઞાનમાત્ર છે તેમ કહેવાનો હેતુ છે. જોવું તે તેનો ધર્મ નથી. જોવાની શક્તિ માત્ર ધર્મી છે. તેમાં કોઈ પરિણામ થતું નથી. દિપકના દૃષ્ટાંતથી કે વિધુતનો ગોળો પ્રકાશતો હોય તેમ પ્રકાશ માત્ર છે. પછી દિપક નાનો હોય કે મોટો હોય પરંતુ પ્રકાશરૂપ હોય છે. એવી રીતે દરેક પ્રાણીઓની અંદર આત્મા પ્રકાશરૂપમાં છે. જ્ઞાન તે કોઈ આત્માનો ધર્મ કે ગુણ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. શિવ સ્વરૂપ છે. પ્રત્યયાનુપશ્યઃ ચિતની વૃત્તિઓને અનુસાર જોવાવાળો. બુદ્ધિની વૃત્તિઓ ત્રીગુણમય હોવાથી પરિણામી છે. આત્મા પરિણામ પામતો નથી. વૃત્તિમાં વિષયનું જ્યારે પ્રતિબિંબ પડે ઉપરાગપણું થાય ત્યારે પદાર્થ જ્ઞાત થાય અને ન પડે ત્યારે અજ્ઞાત થાય. મતલબ કે આ જોવું અને આ ન જોવું તેવો વહેવાર તે આત્માનો નથી. તે વૃત્તિઓનો છે. આત્મા તો એક સરખારૂપમાં પ્રકાશે. સાક્ષિરૂપમાં કેવળ સાક્ષિ બનીને જ રહે છે. બુદ્ધિને પણ પ્રકાશ કરનાર આત્મા છે. તેથી બુદ્ધિને પણ જાણે છે. બુદ્ધિના પરિણામરૂપ વૃત્તિ છે. તે તો માત્ર પદાર્થને જ પ્રકાશે છે. જાણે છે, તેથી આત્મા તો બુદ્ધિને તેની વૃત્તિને અને પદાર્થને સઘળાને પ્રકાશતો હોવાથી સઘળાનો પ્રકાશક તથા જાણનાર છે. પરંતુ જોવું ન જોવું તે વૃત્તિનો ધર્મ છે. સુત્રમાં દ્રશીમાત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે તેમાં કહેવાનો હેતુ તે છે કે તે ચૈતન્યમાત્ર છે.

દરેક ધર્મોથી રહિત એટલેકે ત્રણ ત્રણ કે બુદ્ધિના કોઈ ધર્મ તેમાં નથી. તેવો વિશુદ્ધ છે. જ્ઞાનસ્વરૂપ પુરુષ છે તેને જ દૃષ્ટા કહેવાય છે. જો કે પુરુષે જ્ઞાનસ્વરૂપ છે. તો પણ તે બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબિત હોવાથી તે બુદ્ધિના ધર્મભુત જે જ્ઞાન છે તે જ્ઞાનનો આધાર પ્રતિત થાય છે. દેખાય છે. તેથી ભ્રાંતિ થાય છે કે જ્ઞાન તે આત્માનો ગુણ છે. અને જેવું બુદ્ધિવૃત્તિનું પરિણામ થાય તેવો તદાકારી થાય. તેથી પ્રત્યયાનુંપશ્ય કહ્યો છે. ચૈતન્ય પુરુષ ન તો બુદ્ધિ ના સમાન ધર્મવાળો છે કે ન વિરુદ્ધ ધર્મવાળો છે. તે બુદ્ધિના ધર્મથી વિલક્ષણ સ્વરૂપવાળો છે. બુદ્ધિને જ વિષય જ્ઞાત અજ્ઞાત થાય છે તેથી બુદ્ધિ પરિણામી છે. અને સદાકાલ બુદ્ધિ અને તેની વૃત્તિઓ અને વિષય સહિત જ્ઞાત હોવાથી પુરુષ અપરિણામી છે. આ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરી શકાય પરંતુ અહીં જ દૃષ્ટાનું સ્વરૂપ સમજી લેશો કે દૃષ્ટા શું છે ? સાક્ષિ શબ્દનો પ્રયોગ તો કરતા હોઈએ પણ સાક્ષિનું લક્ષણ શું તે પણ જાણવું જોઈએ. હવે સંક્ષિપ્તમાં દૃષ્ટાનું સ્વરૂપ જોશું. સાધન પાદ યોગ સૂત્ર 18.

પ્રકાશક્રિયાસ્થિતિશીલં ભૂતેન્દ્રિયાત્મકં ભોગાપવર્ગાર્થં દ્રશ્યમ્ ..

શબ્દાર્થ : પ્રકાશ ક્રિયા સ્થિતિ શીલં. પ્રકાશ ક્રિયા અને સ્થિતિ જેનો સ્વભાવ છે. ભૂતેન્દ્રિય- આત્મકમ -ભૂત ઇન્દ્રિય જેનું સ્વરૂપ છે. ભોગ અપવર્ગ અર્થ = અને ભોગ અપવર્ગ (મોક્ષં) જેનું પ્રયોજન છે. દૃશ્યમ – તે દ્રશ્ય છે.

અન્વયાર્થઃ પ્રકાશક્રિયા અને સ્થિતિ જેનો સ્વભાવ છે ભૂત અને ઇન્દ્રિય જેનું સ્વરૂપ છે. ભોગ અને અપવર્ગ જેનું પ્રયોજન છે તે દ્રશ્ય છે. પ્રકાશ તે સત્વગુણનો સ્વભાવ છે. ક્રિયા તે રજોગુણનો સ્વભાવ છે અને સ્થિતિશીલતા તે તમોગુણનો સ્વભાવ છે. જ્યાં જ્યાં પ્રકાશ જેવું જણાય ત્યાં સત્વગુણ જ્યાં જ્યાં ક્રિયા હોય ત્યાં રજોગુણ જ્યાં જ્યાં સ્થિતિ દેખાય ત્યાં તમોગુણ. આ ત્રણ ગુણનો સ્વભાવ છે. પછી તે ત્રણ ગુણાત્મક ભુત ઇન્દ્રિયો તેનું જ કાર્ય સ્વરૂપ છે. અને પદાર્થ પ્રવૃતિ હોવાથી ભોગ આપવો અને મોક્ષ અર્થનું પ્રયોજન સિદ્ધ કરી આપવું તે દૃશ્ય છે. આ ત્રણ ગુણ અને તેના કાર્યરૂપ સઘળો નામ રૂપાત્મક પ્રપંચ પદાર્થો દૃશ્ય છે. તો આપણે દ્રષ્ટા તથા દ્રશ્યનું સ્વરૂપ સંક્ષિપ્તમાં જોયું હવે દ્રષ્ટા અને દૃશ્યની મધ્યમાં રહેવું એટલે શું ? તો દૃષ્ટા તથા દૃશ્યની મધ્યામાં શું છે ? તો કહે દર્શન છે તો તે દર્શન શું છે ? તો કહે જે દશ્ય પદાર્થ છે તેને જોવાનું જ્ઞાન કરવાનું દૃષ્ટાનું સાધન છે. તે આપણે જોઈ ગયા તો દૃષ્ટા તથા દૃશ્યની મધ્યમાં જ્યારે દર્શન હોય ત્યારે તે કોઈને કોઈ પદાર્થનું સંયોગીકા હોય છે.

જે પદાર્થને જુવે છે તેનું જ્ઞાન કરવા માટે તદ્રૂપ તદાકાર થતું હોય છે અને સંપૂર્ણ પણે આવરણભંગ કર્યા પછી પદાર્થના તદાકાર થઈ પદાર્થનું જ્ઞાન કરે છે કે આવડો છે કે જે તે છે. તેથી ત્યારે તો આપણે મધ્યમાં નથી રહી શકયા કારણ કે વૃત્તિ સારૂપ્યપણું વૃત્તિ સાથે ભળીને વહેવાર કરીએ છીએ પછી વૃત્તિનો જેવો આકાર થાય ગુણધર્મનો અનુભવ લીયે તેવો પુરુષે પણ થઈ જાય છે. મતલબ કે દૃશ્યમાં ભળી જાય છે. અને જે તે પદાર્થના ગુણધર્મમાં અનુકૂળતા પ્રતિકુળતાનું જ્ઞાન કરી રાગ દ્વેષથી સુખી દુ:ખી થાય છે તો આપણે મધ્યમાં રહેવું હોય તો શું કરવું કે જ્યારે આપણી જે દૃષ્ટાની દર્શન વૃત્તિ પદાર્થની સાથે સંયોગીકા નથી થઈ એ એક દર્શન વૃત્તિ સંયોગીકા થઈ અને બીજા પદાર્થની સાથે સંયોગીકા થવાના અભાવવાળી છે તે સમયે દૃષ્ટા તથા દૃશ્યની મધ્યમાં દર્શન ન હોવાથી ત્યાં જ ગેબ છે. તે ચૈતન્ય માત્ર શુદ્ધ નિર્મલ સ્વરૂપ છે. અને તેમાં શંકરાચાર્ય મહારાજે સદાચાર સ્તોત્રમાં એક શ્લોક આપ્યો છે. શ્લોક 36

અર્થાદર્થે યદા વૃત્તિર્ગન્તું ચલતિ ચાન્તરે .
નિરાધારા નિર્વિકારા યા દશા સોન્મની સ્મૃતા ..

અર્થ :- જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થ ભણી જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિર્વિકાર દશા છે તે ઉન્મની કહે છે. તો વશિષ્ઠ મહારાજ રામજીને આ દૃશ્ય તથા દૃશ્યની મધ્યદશામાં રહેવાનું કહે છે.

આ પ્રશ્ન પુર્ણ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Tags: | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી – 7,8,9

તા. 09-03-2003, રવિવાર (શિષ્યો)

પ્રશ્ન:-(7) જ્ઞાન માં એક નિષ્ઠ રહેનારાને જાગ્રતમાં પણ સુષુપ્તિ વાળાની પેઠે નિર્વિકારપણુ રહેવું એટલે શું?

પ્રશ્ન:-(8) આત્મતત્વ અજ્ઞાની ને અપ્રકાશિત છે. આત્મ તત્વ જ્ઞાની ને પ્રકાશિત છે. આત્મ તત્વ મુક્ત પુરુષ ને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી. એટલે શું?

પ્રશ્ન: -(9) પ્રલયમાં તથા સમાધીના કાળમાં સંપૂર્ણ જગત સુષુપ્ત રૂપ થઇ જાય છે. જ્ઞાનકાળમાં તૂર્યા રૂપ થઇ જાય છે. એટલે શું બંને નો ભેદ શું?


તા.16-03-2003,
રવિવાર
(સ્વામી ભજનપ્રકાશાનંદજી)
મારા પ્યારા વહાલા વહાલા સજ્જન ભક્તો આપણો જે યોગ વશિષ્ઠ પર સ્વાધ્યાય અધ્યયન ચાલે છે તેમાં ઉત્ત્પતી પ્રકરણ નો સુંદર વિષય ચાલે છે. સૃષ્ટિ નું સ્વરૂપ બતાવવા માટે અધ્યારોપ કરવો જ પડે તેથી વારે વારે જ્યારે રામ ઉત્ત્પત્તિ વિશે પ્રશ્ન કરે કે જો બ્રહ્મ જ છે, માયા નથી જ, બીજુ કાઇ જ નથી, અદ્વેતે કેવલ ચૈતન્ય દેશ કાલ તથા ક્રિયા રહિત છે. ફરી ફરી રામ પ્રશ્ન કરે છે પ્રથમ શું? ત્યારે વશિષ્ઠ કહે હે રામ તું સમજ્યો નહી કે ત્યા કશું નથી સુર્ય માં અંધારું છે જ નહી. તો ફરી ફરી પ્રશ્ન થાય કે તો માયા તે રહે તે બ્રહ્મ માં જો ન હોય તો શું ક્યાય બહાર થી આવી? તેવા તેવા પ્રશ્નો મુંજવે છે. બુધ્ધિ ત્યા મુંજાય છે કે શું? કેમ? મે જે આપને જે જે વિષય લખી ને મોકલ્યા હતા પણ કદાચ સમજ માં આવ્યા હોય કે નહી તો ઉત્ત્પત્તિ વિષય માં પ્રારંભ માં આપને પ્રશ્ન મુંજવે તો કારણ કે અધ્યાસ નું એક એક કારણ જોઇએ તો તે પુર્વ નો અહંકાર હોય છે. જે કાર્ય-કારણ રૂપે અને તે જે અહંકાર પુર્વ ના કારણ રૂપે છે તે તો કાર્ય અધ્યાસ થયો. પરંતું પ્રથમ નું કારણ અધ્યાસ નું ક્યું? શું? ત્યા બુધ્ધિ મુંજાશે. કારણ કે ત્યા તો વેદાંત કહે છે કે બ્રહ્મ થી અન્ય કે ઇત્તર કાંઇ છે જ નહી તો શું? તો એક વેદાંત નો મુખ્ય સિધ્ધાંત ન ભુલશો અને તે છે છ વસ્તુનું અનાદી પણું. 1.બ્રહ્મ, 2.માયા, 3.જીવ, 4.અવિધ્યા, 5.પરસ્પર નો ભેદ અને 6.પરસ્પરનો સંબંધ. આ છ વસ્તુ ને ધ્યાન માં રાખી ને પછી ઉત્ત્પત્તિ માં ચાલો એટલે મુંજાવાનો પ્રશ્ન નહી રહે. કારણ કે આ છ વસ્તુ અનાદી છે તેમાના છેલ્લા પાંચ અનાદી સાંત છે. બ્રહ્મ અનાદી અનંત છે. માત્ર કલ્પના ઉભી થઇ તો શેમાથી સૃષ્ટિ કયારેય નવી થઇ તેવું નથી. બ્રહ્મ ની સાથે નિત્ય છે. હવે આપ ભક્તોએ તેના પર કોઈપણ ચર્ચા ન કરી પરંતુ મે તે પ્રશ્ન કે શબ્દો લખી રાખ્યા છે કે જ્યારે તેમાં વર્ણન ચાલતું રહ્યું કે શાસ્ત્ર કયું ઉત્તમ? તો મારાં સ્વજનો કયો ગ્રંથકાર પોતાના શાસ્ત્રને અનુત્તમ કહે ? કે ઉત્તમ નથી. દયાનંદ સરસ્વતિએ કીધું છે કે કયું શાસ્ત્ર વાંચવા જેવું અને કયું ન વાંચવા જેવું તો તેણે કીધું કે યોગવશિષ્ઠ તો કયારે પણ ન વાંચવું. શ્રીમદ્ ભાગવત ન વાંચવું, શ્રીમદ્ ભગવદગીતા ન વાંચવી તેવા તેવા સઘળા ગ્રંથોની મના કરી છે. તો કયું વાંચવું? તો તેણે કીધુ છે વેદો વાંચવા અને સત્યાર્થ પ્રકાશ વાંચવું. આ પોતાનું રચેલું છે. જેમાં ખંડન મંડનની પ્રક્રિયા ઘણી છે. પરંતુ આપણે તો જે આપણાં છ દર્શનો છે તેના ઋષિઓ દર્શન પ્રણેતાઓ છે તેવા દર્શનો કંઈને કંઈ દર્શન આપે છે. જોવાની દૃષ્ટિ આપે છે તો આ વિષય ચર્ચવો ઘણો જ વિસ્તૃત થાય. તેથી ન લંબાવતાં તે યોગવશિષ્ઠમાં તેવું આવ્યું કે શાસ્ત્રોને ન્યાયની રીતીથી અને યુક્તિપૂર્વક વાંચવા. તો આ વિષય ખુબ જ મહત્વનો છે. આપને મેં સમજાવેલો તો છે પરંતુ વિસ્મૃતિમાં હશે તો ન્યાયની રીતી શું? શાસ્ત્રને સમજવું હોય તો ન્યાયની કઈ રીતીથી શાસ્ત્રને સમજવું. તો મારા પ્યારા સજ્જનો કોઈપણ નામરૂપવાળા પદાર્થ હોય તો તેનું કોઈને કોઈ લક્ષણ હોય છે, ગુણધર્મ હોય છે. લક્ષણ:- તેને કહેવાય કે પદાર્થ લક્ષ્યમાં રહેલો અસાધારણ ધર્મ તે લક્ષણ. અને તેવા નિર્દોષ લક્ષણથી લક્ષ્યને પારખી શકાય કે પરિક્ષણ કરી શકાય છે. પરંતુ લક્ષણ નિર્દોષ હોવું જોઈએ. લક્ષણના ત્રણ દોષ છે. 1.અતિવ્યાપ્તિ દોષ 2.અવ્યાપ્તિદોષ 3.અસંભવદોષ. લક્ષ્યમાં આ ત્રણ દોષોમાનો કોઈ પણ એકાદ દોષ હોય તો તે લક્ષ્ય નિર્દોષ હોતુ નથી અને તેથી લક્ષ્યની જેવી તેવી નિર્દોષ સિદ્ધિ થઈ શકતી નથી. લક્ષ્ય દોષવાળું રહે છે.

માનો કે દૃષ્ટાંતમાં ગાય એક પદાર્થ છે તે ગાયને એક વ્યક્તિએ કયારે પણ જોઈ નથી અને તેને ગાય ઓળખાવવી છે તો તેને ગાય લક્ષ્યમાં કયા તેના ધર્મથી કે લક્ષણથી ઓળખાવી શકાય? તો માનો કે ઓળખાવવા માટે આપણે ગાયનું લક્ષણ કહ્યું કે શીંગડા, પુંછ, ચાર પગ, પશુ જાતિ ગાય કહેવાય. તો તે લક્ષણ નિર્દોષ નથી પણ અતિ વ્યાપ્તિ દોષવાળું છે. કારણ કે તે લક્ષણની વ્યાપ્તિ ગાયમાં થઈને અન્ય પશુ જાતિ છે તેમાં પણ વ્યાપે છે. બળદ ભેંસ ઇત્યાદિ પશુને પણ શીંગડાં, પુંછડું, ચાર પગ છે તેથી તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું થયું. તો બીજુ લક્ષણ કહીએ કે શીંગડાં, પુછ, ચાર પગ, સાસ્ના – ગળે લટતતી ઝાલર જેવું ચામડું તેને સાસ્ના કહે તો તે સહિત કાળા રંગુનું પશુ જાતિ તે ગાય કહેવાય. તો તે લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું થયું. ગાયો બધી કાળા રંગની હોતી નથી. લાલ, પીળી, કાબરી પણ હોય છે. વળી બળદમાં પણ તે લક્ષણ હોય છે. સાસ્ના પણ હોય છે. તેથી તે લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું થયું. તેમ માનો કે કોઈ કહે કે શીંગડા પુંછા, સહિત પગના ડાબલાવાળું પશુ તે ગાય તો તે અસંભવદોષ કહેવાય. કારણ કે પગના ડાબલા તો ઘોડા, ગધેડાને ડાબલા હોય છે. અન્યને બે ફાટવાળી ખરી હોય છે. તેથી તે લક્ષણમાં અસંભવ દોષ છે કે તે લક્ષણનો ગાયમાં સંભવ જ નથી. તો નિર્દોષ લક્ષણ શું? તો કહે શીંગ, પુછ, સાસ્ના ઇત્યાદિ સહિત પશુ વિશેષ નારી જાતિ તે ગાય કહેવાય. આ લક્ષણ નિર્દોષ છે. કારણ કે સઘળા પશુથી બળદથી અલગ પડીને આ લક્ષણ નિર્દોષ રીતે ગાયને બતાવે છે. તેથી તે લક્ષ્ય સત્ય સિદ્ધ થાય છે.

આ ગૌતમનું ન્યાયશાસ્ત્ર છે કે જે પદાર્થનું ન્યાય રીતીથી પરિક્ષણ પરીક્ષા કરીને પદાર્થને નકકી કરે છે. તેમજ માયા શબ્દ કે બ્રહ્મ શબ્દ બોલી કે જીવ શબ્દ કે કોઈપણ વસ્તુ પદાર્થનું નામ બોલો તો તેનું લક્ષણથી પરિક્ષણ કરવું જોઈએ. આ ન્યાયની રીતી છે. સત્ શબ્દ અસત્ શબ્દ છે. તેમાં માનો કે સત્ કહ્યુ કે બ્રહ્મ સત્ છે. અથવા સત્ કોને કહેવું તો તેનું લક્ષણ શું? અથવા અસત્ કોને કહેવું તો તેનું લક્ષણ શું? તો કે સતનું લક્ષણ તે છે જે ત્રણે કાળમાં અબાધિત રહે તે સતનું લક્ષણ છે. તો અસતનું લક્ષણ શું તો કહે ત્રણે કાલમાં ન હોય તે અસત્ લક્ષણ કહેવાય. આ લક્ષણથી સત્ અસતનું લક્ષણથી પરિક્ષણ થયું તો કહે બ્રહ્મ શું છે? તો કહે સત્ લક્ષણવાળુ છે. કારણ કે ત્રણે કાલમાં તે અબાધિત રહે છે. તો માયાનું લક્ષણ – તો કહે તેમાં સત લક્ષણ તો નથી કારણ કે જ્ઞાન કાલે બાધ પામે છે. તો અસતનું લક્ષણ પણ નથી કારણ કે અજ્ઞાન કાલે જણાય છે. જે ત્રણે કાલે ન જણાય, જેમ સસલાના શીંગડા તે અસતનું લક્ષણ છે. પરંતુ જણાય છે તેથી અસત લક્ષણ પણ નથી તો શું કહ્યું લક્ષણ માયાનું છે તો કહે સત્ લક્ષણથી વિલક્ષણ, અસત લક્ષણથી વિલક્ષણ છે. સત્-અસત્ બંનેના લક્ષણથી વિલક્ષણ માયા અનિર્વચનિય છે. માયાનું લક્ષણ અનિર્વચનિય છે. આ ન્યાયની રીતી થઈ પદાર્થના પારખવાની.

તેથી સત્-અસત્ લક્ષણથી અને માયામાં તે બંને લક્ષણ ન હોવાથી માયા ઉભયાત્મક લક્ષણવાળી પણ નથી તેવી અન્ય આચાર્યો કે દર્શન દ્વારા જે માયાનું લક્ષણ કહે છે. કોઈ માયાને સત્ કહે છે. કોઈ માયાને અસત્ કહે છે. તેવા સઘળા મતથી જે માયાનું લક્ષણ વેદાંતે કીધુ તેમાં ત્રણ દોષથી રહિત અનિર્વચનિય માયાનું લક્ષણ નિર્દોષ છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ દોષ નથી. તો હવે આપણે થોડો સંક્ષિપ્તમાં યુક્તિ વિષે જોશું. કારણ કે પ્રમાણ, યુક્તિ તથા અનુભવ ત્રણથી વસ્તુનો યથાર્થરૂપમાં અનુભવ કરવાનો છે. યુક્તિના રૂપો પણ આપની આગળ બતાવેલ છે કે ભાઈ આપના માટે વેદ, શ્રુતિ, સ્મૃતિ પ્રમાણ છે તો તેનો આધાર લઈને તર્ક કે પ્રશ્ન ઉઠાવો, પરંતુ જેમ તેમ તર્ક ન કરવો. તર્કથી નિશ્ચય નથી જ તેથી જેમ મન ફાવે તેમ તર્ક ન કરતાં શ્રુતિ, સ્મૃતિને પ્રમાણ માનીને તર્ક કરો. તર્ક અમુક સીમા સુધી સમાધાન આપશે. આખરે તો તત્ત્વ નિર્ણયમાં કે અનુભવમાં આપણી શ્રદ્ધા તથા વિશ્વાસ જ કામ લાગશે. તેથી તર્ક જરૂરનો છે, પરંતુ મર્યાદામાં. શ્રુતિ, સ્મૃતિ કહે છે – બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત કીધુ તો યુક્તિમાં સિદ્ધ કરવું જોઈએ અને તેમાં પણ ન્યાય જ રીતિ છે. જેમાં પંચ અવયવનો ઉપયોગ કરવો પડે છે. ન્યાય વૈશેષિક પંચ અવયવોને માને છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન. વેદાંત ત્રણ ને જ માને છે. પ્રથમના પછી ઉપરના બેની વધુ આવશ્યકતા રહેતી નથી. જગત મિથ્યા છે તેવું શ્રુતિનું પ્રતિજ્ઞા વાક્ય છે. તો મિથ્યાનું કારણ અથવા હેતુ પણ બતાવવો જોઈએ. નહીંતર મિથ્યા છે તે શિષ્યની બુદ્ધિમાં કેમ ઉતરે તો તેનું કારણ સમજાવવું જોઈએ કે ભાઈ દૃશ્ય છે એટલે. તે હેતુ થયો પરંતુ તેથી માત્ર સંતોષ ન થાય સામે જગત દૃશ્યરૂપમાં દેખાય છે. પરંતુ તેનાથી વહેવાર પણ થાય છે. છતાં તેને મિથ્યા કેમ કહેવાય. તો ઉદાહરણ આપીને સમજાવવું જોઈએ કે ભાઈ જેમ સ્વપ્ન. આ ઉદાહરણ થયું તો તુરત સ્વપ્નના ઉદાહરણથી સંતોષ થશે કે હા સ્વપ્ન મિથ્યા છે તેનો અનુભવ સઘળાને છે. સ્વપ્ન જાગ્યા પછી હોય છે. આ થયું ઉપનય. માટે આ જગત પણ દૃશ્ય છે માટે મિથ્યા છે. આ થયું નિગમન ઉપસંહાર. આ થઈ યુક્તિ. તેમ જ્યાં જ્યાં સંશય થાય ત્યાં ત્યાં યુક્તિનો ઉપયોગ કરવાનો. શાસ્ત્રના શ્રવણ પછી મનનની આ રીતી છે. જીવ બ્રહ્મનો ભેદ મિથ્યા છે. તેમાં પણ ભેદની બાધક તથા અભેદની સાધક યુક્તિઓ આપને કરાવી છે તેથી લખતો નથી.

તો મારા પ્યારાં વહાલાં સજ્જનો આવા આવા શબ્દો આવે એટલે જરૂર તેના પર ચર્ચા કરો અને તે મુજબ ચર્ચા કરવાથી બુદ્ધિ તીવ્ર બને છે. તિક્ષ્ણ બને છે. આ ન્યાય તથા યુક્તિથી શાસ્ત્રને સમજવા તે પ્રશ્નને અહીં પૂર્ણ કરું છુ.

પ્રઃ-(7) જ્ઞાનમાં એક નિષ્ઠ રહેનારાને જાગૃતમાં પણ સુપપ્તિવાળાની પેઠે નિર્વિકારપણું રહેવું તે શુ ?

પ્રત્યુત્તરઃ-(7) જ્ઞાનમાં જે એક નિષ્ઠ જે રહે છે અથવા જે રહેવાવાળો જ્ઞાની કે જેને પોતાના નિજ સ્વરૂપ આત્મા કે જે પ્રત્યક અભિન્ન બ્રહ્મનું જ્ઞાન થઈ ચૂકયું છે. આત્મા-પરમાત્મા અભિન્ન છે તેથી હું જ બ્રહ્મ છું. અહં બ્રહ્માસ્મિ અને તેવી તે સ્વરૂપ નિષ્ઠામાં જે રહે છે તે જ્ઞાનમાં એક નિષ્ઠ રહેવાવાળો કહેવાય. આવા અપરોક્ષ યથાર્થ અનુભવી જ્ઞાની જે છે તેને વહેવાર કરવો હોય તો કેમ રહેવું તે રામજીને વશિષ્ઠ મહારાજ સમજાવે છે. કારણ કે આત્મામાં વહેવાર નથી તેથી સ્વરૂપ-અનુભૂતિમાં ડૂબ્યો રહેનાર જ્યાં વૃત્તિ જ બહાર ન આવતી હોય તો વહેવાર કઈ રીતે કરે? છતાં જ્ઞાનીઓ જે તત્ત્વવેતા છે તેનાં પ્રારબ્ધ ભિન્ન ભિન્ન હોવાથી કોઈ જનક જેવા રાજ્ય વહેવાર પણ કરતા હોય છે. કોઈ શુકદેવજી જેવા આંતર્મુખ જ રહેતા હોય છે. પરંતુ અહીં રામજીને વહેવાર અભિમુખ કરવો છે, રાજ્યકાજમાં જોડવો છે, તો વહેવાર તે વહેવાર છે. લેપ લાગ્યા વગર રહે નહીં. તો લેપ પણ ન લાગે અને નિર્લેપ દશામાં રહીને વહેવાર કરવો હોય તો કઈ દશા હોવી જોઈએ કે જ્યાં બહાર વહેવાર હોય અને અંદર પરમાર્થ દશા હોય શાસ્ત્રમાં કહ્યું જ છે કે વહેવાર કાળે જ્ઞાની પણ અજ્ઞાની જ હોય છે. અજ્ઞાની તો અજ્ઞાની જ છે.

મનોવૃત્તિ કાં તો વહેવારમાં આપો કાં તો પરમાર્થમાં લગાવો. પદાર્થના ચિંતન વગર વહેવાર થતો નથી અને જો પદાર્થનું ચિંતન થાય તો આત્મચિંતન કે અનુસંધાન રહેતું નથી. તો કઈ સ્થિતિ હોવી જોઈએ? જ્ઞાની પણ વહેવાર કાળે અજ્ઞાનીની જેમ જ વહેવાર કરે છે. પરંતુ તેને અંદરથી ખબર જ છે કે હું કોણ છું. જેનું દેહાભિમાન રહ્યું નથી તેનું સૂક્ષ્મ અનુસંધાન સ્વરૂપમાં જ હોય છે અને બાધિતાનુવૃત્તિ વડે વહેવાર કરતો હોય છે. તેણે જ્ઞાન વડે દૃશ્યનો બાધ કરેલો હોય છે. તેથી દૃશ્ય પદાર્થનો સંબંધ તેને લેપાયમાન કરતો નથી.

પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત અને અહંકાર આ ચૌદ કારણો, ચૌદ તેના વિષયો, ચૌદ દેવતા કુલ બેતાલીસ મિથ્યાને મિથ્યા સમજીને વહેવાર કરે છે. પરંતુ વધારે વર્ણન ન કરતાં વશિષ્ઠ મહારાજ રામજીને તેવી રીતે રહીને વહેવાર કરવાનું કહે છે કે જાગૃતમાં વહેવાર તો કરવાનો છે અને વહેવાર જાગૃતમાં જો કરવો હોય તો બેતાલીસ તત્ત્વો દ્વારા કરવો પડે. જે અધ્યાત્મ ઇન્દ્રિયો, અધિભૂત, અધિદેવ ચૌદ ચૌદ છે. તેને જ જાગૃત દશા કહેવાય છે. અને સુષૂપ્તિમાં તે બેતાલીશ સુપ્ત હોય છે. કારણ કે અંત:કરણ જ સુપ્ત થઈ ગયું તો વહેવાર કોણ કરે. જાગૃત-સ્વપ્નમાં બેતાલીશ તત્ત્વોનો વહેવાર છે. તો સુષુપ્તિમાં જે નિર્વિકાર દશા શી છે? સુષુપ્તિનો અભિમાની પ્રાજ્ઞ છે. અને તેને વિશેષણો તે આપ્યા છે તે માંડૂકય ઉપનિષદમાં આત્માનો જે ત્રીજો પાદ છે તેનું વર્ણન છે. અહીં લખતો નથી પરંતુ પ્રાજ્ઞને પ્રજ્ઞાનઘન, આનંદમય, આનંદભુક, ચેતોમુખ ઇત્યાદિ વિશેષણો આપ્યા છે. તે પ્રાજ્ઞ ત્યાં પોતાના સ્વરૂપનો અવિદ્યાની વૃત્તિ વડે આનંદ ભોગવે છે. વૃત્તિ વગર કોઈ પણ પદાર્થ કે વસ્તુનો, ભોગનો અનુભવ લઈ શકાતો નથી. તેથી ત્યાં અંત:કરણ તો સુપ્ત છે. કોઈ ક્રિયા નથી પરંતુ અવિદ્યાની વૃત્તિ વડે આનંદ ભોગવે છે. અને તે દશા વહેવારીક દશામાં કારણ રૂપ છે. પરંતુ ત્યાં પ્રાજ્ઞ કાંઈપણ વહેવાર તરફ જોતો કે અનુભવતો નથી. માટે ત્યાં અવિદ્યાના વિકારો પણ નથી. વૃત્તિ તદ્રૂપ છે, પરંતુ અવિધાની છે તેટલો તફાવત છે. નહીંતર તો તે પણ જાગ્યા પછી બ્રહ્મ દશા લઈને જ જાગૃત થાત તેથી ત્યાં સુખ નથી, દુખ નથી, પાપ નથી, પુણ્ય નથી, સ્વર્ગ નથી, નરક પણ નથી. તે પ્રાજ્ઞ ત્યાં તેનો કોઈ પણ ઉપાસ્ય ઇશ્વર કે ભગવાન પણ નથી. તે પોતે કોઈનો ઉપાસક પણ નથી. તેથી તે દશાને નિર્વિકાર દશા કીધી છે. તો રામજીને વશિષ્ઠ મહારાજ તે દશામાં જાગૃત અવસ્થામાં પણ તેમાં રહીને હે રામ વહેવાર કર કે જેથી સુખ, દુ:ખ, પાપ, પુણ્ય ઇત્યાદિ વિકારોનો સ્પર્શ પણ નહીં થાય અને જે વહેવારમાં ઇન્દ્રિય સંયોગથી વિષયમાં જે રાગદ્વેષ, અનુકૂળ વા પ્રતિકૂળતાનું જે જ્ઞાન થાય તે સઘળા વહેવારમાં વિષયથી થતું સુખ પણ બ્રહ્માનંદનું જ છે. વિષયમાં પણ તેનું જ પ્રતિબિંબ પડે છે. તેથી જેમ સુષપ્તિ વાળો પ્રાજ્ઞ આનંદભૂક છે તેમ તું પણ આનંદભૂક જ રહીશ આ થયો પહેલા પ્રશ્નનો પ્રત્યુત્તર.

પ્રઃ-(8) આત્મ તત્ત્વ અજ્ઞાનીને અપ્રકાશિત છે, આત્મ તત્ત્વ જ્ઞાનીને પ્રકાશિત છે. આત્મ તત્ત્વ મુક્ત પુરુષને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી એટલે શુ?

પ્રત્યુત્તરઃ-(8) આત્મ તત્ત્વ અજ્ઞાનીને તો અપ્રકાશિત જ હોય છે હવે અહીં સમજવાનું છે કે આત્મા તે આપણું સ્વરૂપ છે. તેથી આત્માને પ્રકાશિત કોણ કરી શકે? કારણ કે સઘળું સ્વયં પ્રકાશ વ્યાપક ચૈતન્યથી જ પ્રકાશી રહ્યું છે. સુર્યના પ્રકાશથી દિવસે સઘળા પદાર્થો પ્રકાશિત થાય છે. રાત્રે ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત થતા હોય છે. અંધારામાં પણ ચંદ્ર સુર્યનો પ્રકાશ ન હોય તો વાણીથી પદાર્થનો પ્રકાશ થાય છે. અને આ અંધારું છે તેમાં અંધારામાં પણ અંધારાને પ્રકાશ કરનારા આત્મા છે. આ પ્રકાશ છે તેમ પ્રકાશને પણ પ્રકાશ કરનાર આત્મા છે તેથી સઘળુ આત્માથી પ્રકાશે છે તે આત્મા અજ્ઞાનીને અપ્રકાશિત છે, કારણ કે જેમ સુર્યને વાદળું આવરણ કરે અને સુર્ય ન દેખાય પરંતુ વાદળાને તો આ વાદળું છે તેમ સુર્ય જ પ્રકાશ કરે છે. તેમ સામાન્ય રૂપમાં થતા પ્રકાશિત આત્માને અજ્ઞાની જાણી શકતો નથી. જ્ઞાન નથી તો વિશેષરૂપમાં તો કેમ જાણી શકે તેમ જ તો તે અજ્ઞાની છે માટે અજ્ઞાનીને અપ્રકાશિત છે.

આત્મ તત્ત્વ જ્ઞાનીને પ્રકાશિત છે. કારણ કે જ્ઞાની તેટલા માટે જ્ઞાની કહેવાય છે કે તેને આત્મ તત્ત્વનું જ્ઞાન થઈ ચુક્યું છે. જેણે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન દ્વારા અખંડ, અભેદ અને અવિનાશી આત્માને વૃતિ વ્યાપ્તિથી એટલે કે વૃત્તિનું બ્રહ્માકાર થવું તે. તેવી નિર્મલ વિશુદ્ધ વૃત્તિમાં આત્મા પ્રકાશિત થઈ જાય છે. જેમ અરિસામાં આપણા શરીર બિંબનું પ્રતિબિંબ રૂપમાં પ્રકાશિત થઈ જાય તેમ. તેથી જ્ઞાનીને તો પ્રકાશિત છે તે આત્માના સ્વરૂપને સારી રીતે જાણે છે. જાણી ચૂક્યા છે. તેથી તેને પ્રકાશિત છે. અહીં એ ખ્યાલ રાખશો કે ઉપર અજ્ઞાની અને પછી જ્ઞાની બંને અજ્ઞાનીની અપેક્ષા જ્ઞાની તેમ વર્ણન કર્યું છે. અજ્ઞાનીને અપ્રકાશિત અને જ્ઞાનીને પ્રકાશિત છે તેમ જ્ઞાની અજ્ઞાનીની વાત કરી છે.

હવે મુખ્ય તો આ પ્રશ્નમાં મુંઝવણ છે કે આત્મ તત્ત્વ મુક્ત પુરુષને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી એટલે શું સમજવું? મુદ્દો ઘણો જ રહસ્યનો છે, સુંદર છે. કારણ કે ઉપર માં તો અજ્ઞાની-જ્ઞાની માટેની વાત બતાવી કે અજ્ઞાનીને આત્મતત્ત્વ અપ્રકાશિત છે અને જ્ઞાનીને આત્મતત્ત્વ પ્રકાશિત છે. પરંતુ મુક્ત પુરુષને અપ્રકાશિત પણ નથી અને તેના પ્રતિયોગી પણામાં તે પ્રકાશિત પણ નથી. એટલે શું? એક રહસ્ય ખાસ તેમાં સમજી લેવાનું છે કે વસ્તુ પ્રકાશિત થાય છે તે કોઈ અન્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે. માનો સારા એ વિશ્વના પદાર્થો સુર્ય દ્વારા પ્રકાશિત થાય છે તેમાં સુર્ય પ્રકાશ કરનાર છે. અને પદાર્થો પ્રકાશિત થનાર છે. તેમ બાહ્ય વહેવારમાં પણ પ્રમાતા વૃત્તિ અંત:તકણ બહાર ચક્ષુ વાટે પ્રવાહિત થઈને પદાર્થ સુધી જઈને પદાર્થનો સંયોગ કરે છે. પછી પદાર્થમાં વૃત્તિ વ્યાપે છે તેને વેદાંતમાં વૃત્તિ વ્યાપ્તિ કીધી. વૃત્તિ વ્યાપક બનીને પદાર્થને તદરૂપ થાય છે તેમાં પદાર્થ પરનું વૃત્તિ આવરણ ભંગ કરે છે અને વૃત્તિના અગ્રભાગમાં જેમ ભાલામાં અણી હોય તેમ ચિદાભાસ પદાર્થનો પ્રકાશ કરે છે. ત્યારે પદાર્થ પ્રકાશિત થાય છે તો જેમ વૃત્તિ બાહ્ય સઘળા પદાર્થને પ્રકાશે છે તેમ વેદાંતમાં પણ તેવી માન્યતા છે કે માત્ર બાહ્ય પદાર્થના જ્ઞાનમાં વૃતિવ્યાપ્તિ તથા ફળવ્યાપ્તિની જરૂર છે પરંતુ બ્રહ્મજ્ઞાનમાં માત્ર વૃત્તિવ્યાપ્તિની જરૂર છે. પ્રમાતા અને પ્રમેયના સંયોગની આવશ્યકતા છે અને બ્રહ્મ તેમાં પ્રકાશિત થઈ જાય છે. અને થઈ જાય છે તેમાં વૃત્તિ, શુદ્ધ નિર્મલ તો જેમ અરિસો બિંબનું જ્ઞાન કરાવવામાં પ્રતિબિંબને પ્રગટ કરી ને નિમિત્ત બને છે તેમ સાધનરૂપે નિમિત્ત બને છે. પરંતુ ત્યાં એક વાત ન ભૂલવી જોઈએ કે આંખ સુર્યને જુવે છે ત્યારે આંખે સુર્યને પ્રકાશ કર્યો અને પછી સુર્ય પ્રકાશિત થયો નહીં ત્યાં સુધી સુર્ય જ સુર્યરૂપે સિદ્ધ થયો છે. પોતાને પોતે આંખમાં પ્રકાશ કરીને પોતે જ પોતાને સિદ્ધ કરી આપ્યો છે કે હું છું બસ.

આત્માને જાણવાનો કોઈ પણ ઉપાય નથી તેથી જ ઘણી જગ્યાએ તે કહેવામાં આવે કે વેદશાસ્ત્ર, ગુરુ આ સઘળી તેને જાણવાની સામગ્રી છે. શાસ્ત્રોને, વેદને ગુરુ સમજાવે પછી તેના વેદાંતના સંસ્કાર પડે તેને અનુરૂપ જીવન ઘડાય. સાધન થાય પછી તેવા સંસ્કારવાળી વૃત્તિ જાગે કે છેલ્લે નિદિધ્યાસનરૂપ અતુટ જે તૈલાવતધારા વહેવા લાગે ત્યારે તેમાં સ્વરૂપ પ્રકાશિત થઈ જાય. પરંતુ વેદશાસ્ત્રો ઇત્યાદિ સઘળી સામગ્રી છે છતાં પ્રયત્ન પુરુષનો ન થાય અથવા આત્મકૃપા ન થાય તો સઘળું નકામુ છે. તેથી પુરુષ પ્રયત્ન જ ઉપયોગી છે. તેથી એની જે ઇચ્છા કરે તેનું જ તે વરણ કરે છે અને સ્વરૂપ પ્રગટ કરે છે. તેથી એ સમજી લેવું જોઈએ કે જે પ્રમાણોનો પણ પ્રમાણરૂપ છે જેના પ્રમાણ (પ્રકાશ) થી સઘળું પ્રમાણ થાય છે, પ્રકાશ છે તેને કોણ પ્રકાશિ શકે. જે પ્રમાતાનો પણ પ્રમાતા છે તેને કોણ પ્રમાણથી જાણશે? તેથી તેને પ્રમાણનો અવિજ્ઞેય પદથી અપ્રમેય કહ્યો છે. તેથી કયાંય પણ તેવું આવે કે વેદશાસ્ત્ર કે ગુરુ કશા તેમાં ઉપયોગી નથી તો તેનું આ રહસ્ય છે તે સમજી લેવું જોઈએ. તેથી મુક્ત પુરુષો તે છે કે જેણે આ ઉપાયોથી તત્ત્વને જાણ્યું છે. અને જાણ્યું છે તેથી મુક્ત પુરુષને આત્મ તત્ત્વ પણ પ્રકાશિત નથી. કારણ કે જાણેલું છે પરંતુ જો કહે કે મેં જાણ્યું, તો તે જાણાવાનો વિષય થયો તો તે દૃશ્ય થયું. જે જ્ઞાતાના જ્ઞાન દ્વારા અથવા દૃશ્યના દર્શન દ્વારા જણાય તે દૃશ્ય કહેવાય. માટે તે દૃશ્ય નથી, દૃષ્ટાનો કોઈ દૃષ્ટા નથી અને દ્રશ્ટાનો દ્રશ્ય માનીએ તો અનવસ્થા દોષ લાગે તેથી ત્યાં દ્રશ્ટા તથા દ્રશ્યનો બાધ કર્યો છે. તેથી તે મુક્ત પુરુષને પ્રકાશિત પણ નથી કારણ કે કોઈપણ અનુભવ અનુભવીને અનુભવ્ય પદાર્થનો કે વસ્તુનો અનુભવ આપે છે. તેથી બ્રહ્મને અનુભવ્ય ન માનવું જોઈએ. પરંતુ વહેવારમાં તેમ કહેવું પડે કે મેં અનુભવ્યું કે હું તે અનુભવી છું તેવો વાણી દ્વારા વહેવાર થાય છે.

પરંતુ અહીં ત્રીપુટીનો લોપ કરીને અનુભવરૂપ છે તેવા મુક્ત પુરુષને આત્મ તત્ત્વ અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી અહીં પ્રત્યુત્તર પુરો થયો.

પ્રશ્નઃ-(9) પ્રલયમાં તથા સમાધિના કાળમાં સંપૂર્ણ જગત સુષુપ્તરૂપ થઈ જાય છે. જ્ઞાન કાળમાં તુર્યારૂપ થઈ જાય છે એટલે શું બંનેનો ભેદ શુ ?

પ્રત્યુત્તરઃ-(9) પ્રથમ વાત આપણે તે સમજી લઈએ કે સૃષ્ટિ કયારે પણ ન હતી તેમ નહી. સૃષ્ટિ કાયમ છે તે વાત નિશ્ચિત કરી લેશો. સૃષ્ટિની નવિનતા શોધવા જશો કે પ્રથમ કયું તો મુંજાઈ જશો. તેમાં છ તત્ત્વો અનાદિ છે તેનો ખ્યાલ રાખીને પછી સૃષ્ટિની વાત કરવી નહીંતર ઉત્પત્તિનું મુલ નહીં જડે. તેથી આપણે માનવું જોઈએ કે જે વસ્તુની ઉત્પત્તિ થતી હોય તેનો વિનાશ પણ અવશ્ય હોય. ઉત્પત્તિનો ધર્મ જેને લાગુ પડે તેને વિનાશનો ધર્મ લાગુ પડે. તેથી પરબ્રહ્મ પરમાત્માના અધિષ્ઠાનમાં ત્રણ ક્રમો ચાલે છે. જે જન્મે જેની ગતિ હોય અને જે તાપથી તપાયમાન થાય તેને જગત કહેવાય. અને જે જગતમાં નામરૂપ જેટલાં છે તે જગત છે. જીવપણ ક્ષરોભાવને પામે છે.

જેમ શ્રીમદ્ ભગવદ્ગીતાના પંદરમાં અધ્યાયમાં ત્રણ પુરુષો બતાવ્યા છે તેમાં ક્ષર પુરુષ તે ચિદાભાસ જીવ છે અને તેની જગતમાં ગણના થાય. જીવ-જગત આ જીવ તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય તેમ ત્રણ ક્રમો ચાલે છે. કાલ પુરુષને આધિન થઈને આદિ, મધ્ય તથા અંત થતા રહે છે. એક પરબ્રહ્મ પરમાત્મા અધિષ્ઠાનરૂપમાં ત્રિકાલાબાધિત રહે છે. તો જ્યારે તે પરબ્રહ્મ પરમાત્મામાંથી જગતના જીવોના કર્મ સંસ્કારો જે સુપ્ત પડયાં છે, સુતેલા જેનો મોક્ષ થયો નથી તેવા જીવોનાં કર્મ સંસ્કાર, ઇશ્વર સૃષ્ટિ કયારે કરે જે જ્યારે સઘળા સુપ્ત જીવોના સુપ્ત સુતેલા કર્મ સંસ્કાર ફલ આપવાને ભાવવાળા થાય. ત્યારે ઇશ્વર માયા વિશિષ્ટ ચૈતન્ય વેદાંત મતે માયા ઉપહિત ચૈતન્ય એકોહં બહુ સ્વામ તેવો સંકલ્પ કરે, ઇક્ષણ કરે. એટલે કે જીવો તથા તેનાં કર્મ સંસ્કારોને જુવે છે પછી તેમાંથી પ્રથમ હિરણ્યગર્ભ તેમ વિરાટની રચના થઈને સૃષ્ટિ ઉભી થાય અને તેમા જગતના જીવો સ્થિતિકાલ સુધી કર્મ કરતા રહે અને તેનાં ફલ ભોગવતાં રહે તેમ કર્મ તથા વાસનાના સંસ્કારો ને લઈને બીજ અંકુર ન્યાયે સૃષ્ટિ કર્મ ચાલતો રહે.

જેમ વ્યષ્ટિ જીવોમાં પણ આપણે આપણું દ્રષ્ટાંત લઈએ કે સવારથી સાંજ સુધી કર્મ કરીએ છીએ તેના ફલ ભોગવીએ છીએ, પરંતુ જ્યારે સુર્ય અસ્ત પામે ત્યારે કર્મ કરવાનો અભાવ થાય છે. ફલનો પણ અભાવ થાય છે તેથી સાંજે સુષુપ્તિમાં સુઈ જઈએ છીએ. પ્રાજ્ઞ અધિષ્ઠાનમાં તેને આશ્રિત રહેલી અવિદ્યા, તેમાં કર્મ, વાસના, સંસ્કારો સહિત અંત:કરણ પણ સુઈ જાય છે. સુપ્ત થઈ જાય છે. અને જ્યારે સાંજે સુતી વખતે કામનાનો વિચાર જ્યાં અધુરો રહ્યો, જે કામ કરવાના ઘણા બાકી કે અધુરાં રહી ગયા છે તે કામ કરવાની વાસનાના સંસ્કારો પણ સાથે સુપ્ત થઈ જાય છે. અનઅવધિ કાલે તે અવિદ્યામાં કામ, કર્મના સંસ્કાર ફરી અધુરાં કામ પુરા કરવા માટે જાગે છે. તે સંસ્કાર તથા કર્મ ફલ આપવાને ભાવવાળાં થયા એટલે આપણે જાગીને તે જ કામ શરૂ કરીએ છીએ. તેમ ફરી ફરીને સુવું, ફરી ફરીને જાગવું. તેમ દિન દિન પ્રતિના સંસારમાં જીવના જગતમાં પણ આદિ, મધ્ય તથા અંત થતાં રહે છે. વળી આયુ મર્યાદા પુરી થાયે જન્માન્તર પ્રતિનો સંસાર શરૂ થાય કોઈ બીજી જગ્યાએ જન્મ ધારણ કરીને તેમ પરંપરા થતી રહે. વળી માતા પિતાના રજક, બીજક મળવું તેમ સંસાર. તેવી જ રીતે નિત્ય પ્રલય, જે નિત્ય પ્રતિ પર માં પ્રકૃતિમાં લય થતો રહે છે.

અધિષ્ઠાન, ઇશ્વર, પરબ્રહ્મ કોઈ નિમિતથી થતો પ્રલય નૈમિતિક કહેવાય. વિશેષ વર્ણન ન કરતાં પ્રલય તથા મહાપ્રલયમાં શેષ પરબ્રહ્મ પરમાત્મા સિવા કશું પણ બચતું નથી. સઘળું માયામાં વિલીન થઈ જાય છે. માયા પણ પરબ્રહ્મ પરમાત્મામાં પરંતુ અહીં વિલીનનો અર્થ એવો ન કરવો કે ફરીને ઉત્પન્ન નહીં થાય. મતલબ કે ઇશ્વર પણ પ્રલય ત્યારે કરે છે કે જ્યારે જીવોના કર્મ, સંસ્કારો ફલ આપવાને અભાવવાળા થાય. એટલે સઘળા જીવો કે જે મોક્ષ નથી પામ્યા તેવા ઇશ્વરમાં સુષુપ્તદશામાં હોય છે. ઇશ્વરમાં અભિન્ન થઈને કે જેમ આપણો સુપ્તદશામાં અહંકાર વિલીન હોય અભિન્ન હોય ત્યારે મોક્ષ જેવી જ સઘળા જીવોની દશા હોય છે. સુખ દુઃખ કે સ્વર્ગ નરક ઇત્યાદિ કાંઈ પણ ન હોતા સુષપ્તિવાળા પ્રાજ્ઞ જેવી દશા હોય છે. ત્યારે પ્રાજ્ઞ જીવો ઇશ્વર સાથે અભિન્ન હોય છે. ફરી કર્મ સંસ્કારો ભાવવાળા થશે ત્યારે ઇશ્વરના ઇક્ષણ થી કે સંકલ્પથી પોત પોતાના કર્મ સંસ્કાર લઈને ફલ ભોગવવા માટે અભિમુખ થશે અને આવી રીતે સૃષ્ટિ, સ્થિતિ તથા પ્રલય થતાં રહે છે. આ ક્રમ અતુટ રહે. આ થઈ પ્રલયની વાત.

હવે સમાધિનો વિચાર કરશું. વાસ્તવિકતામાં તો સમાધિનો અર્થ તો થાય કે જ્યાં મનનું આધિ સમ થઈ જાય કે મન ન રહે તે સમાધિ. સમાધિ શબ્દથી ઘણી ઘણી ભ્રાંત સમજણ થાય છે. સાચો અર્થ તે છે જ્યાં મન ન રહે તે સમાધિ છે. પરંતુ આપણે જે વિષય ચર્ચવાનો છે તેની વાત કરવી છે કે સમાધિ વિશે વર્ણન કરીયે તો પતંજલિનો ગ્રંથ ચાલે પણ સંક્ષિપ્તમાં જોશું કે એક પ્રશ્ન ઉઠશે કે ભાઈ સમાધિ શા માટે ? તો પ્રત્યુત્તરમાં જે આ મન દ્વારા કંઈક થઈ રહ્યું છે, જોઈએ છીએ આ જગતને અને તેના સુખ દુ:ખના પડઘા પડે છે તેને પણ અનુભવિએ છીએ. તો આ જગત એ વસ્તુ શું છે? જે સુખ દુ:ખનો ભોક્તા જીવ તે કોણ છે? અને પરમાત્મા જેવી કોઈ વસ્તુ છે કે નહીં? કોની સત્તાથી આ ચાલે છે? નિયમન પણ જોઈ રહ્યા છીએ કે કોઈ નિયમન કરે છે. સઘળું નિયમમાં ચાલે છે. સુર્ય ચંદ્ર ઇત્યાદિ તો તે શું છે? ઇત્યાદિ પ્રશ્નોના સમાધાન માટે સમાધિ. ઉત્પત્તિ તથા સ્થિતિ અને પ્રલયનું જ્ઞાન સંપૂર્ણ પણે સમાધિથી જ મળે છે. સમાધિ એટલે કે જે હું બહાર ભટકું છું તે ફરીને મારે મારા મૂલ તરફ વળવું અને મુલમાં મળવું તે માટે સમાધિ છે.

આ સઘળું મનથી જ ચાલે છે મન ન હો તો જગત નથી મન છે તો જગત છે. તે યોગ વશિષ્ઠમાં ફરી ફરી મનની જ વાત આવશે. તો મનનો વિલય થાય છે જેમાં તે સમાધિ. આ સમાધિનું સાચુ સ્વરૂપ સમજીને હવે સમાધિના ભ્રાંત અર્થો પણ જોશું કારણ કે સમાધિમાં આપણા વ્યષ્ટિગત જગતનો પ્રલય કરવાનો હોય છે અને તેનું અધિષ્ઠાન આધારભૂત તત્ત્વ શું છે તે જાણવું કે મારું વ્યષ્ટિ જગત સુખ દુ:ખ આપવાવાળું છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે. આ વ્યષ્ટિ જગતના અને તેના અધિષ્ઠાનને જાણવાથી સમષ્ટિનું અને સમષ્ટિના અધિષ્ઠાનનું પણ જ્ઞાન થઈ જાય છે.

શરીરના મૃત્યુ પછી પણ કોઈ શેષ વસ્તુ બચે છે કે કેમ? તે પ્રશ્ન પણ સમાધિથી હલ થાય છે કે આ શરીર છોડીને અન્ય શરીરમાં જનારો જીવ છે કે નહીં. જન્મ છે કે નહીં. ઇત્યાદિ પ્રશ્નો હલ કરવા માટે સમાધિ અને તે જાણીને સર્વ દુ:ખથી મુક્ત થવું અને પરમાનંદ સ્થિતિ તે શું તે જાણીને માણવું પરંતુ વિચારવાનું તે છે કે જે સમાધિ કરે છે તે પોતાના પ્રારબ્ધ ભોગવી રહ્યો છે અને દરેક જીવના શ્વાસ હોય છે કે જ્યાં પ્રારબ્ધની સમાપ્તિ થાય અને વળી સંચિતમાંથી નવું પ્રારબ્ધ બનીને નવા શરીરની રચના કરે. તો સમાધિ કરનાર વ્યક્તિ સમાધિ માટે અંતર્મુખ થાય છે અને અંતર્મુખ થયા પછી મન્ તથા પ્રાણની સાથે સંબંધ અધિક જોડે છે. ઇન્દ્રિયો મન સહિત પાછો ફર્યો છે જેની વિલીનતા માટે મન પ્રાણ સંયુક્ત સ્વભાવવાળો હોય છે. તેથી એકની નિવૃત્તિમાં બીજાની પણ નિવૃત્તિ હોય છે. તો પ્રાણ કલા સર્વશ્રેષ્ઠ વસ્તુ છે કે ચિત્તિશક્તિમાં સઘળું જગત સંઘરાયેલું છે અને સઘળા જગતના તે રહસ્યો પણ આપી શકે છે તેને કુંડલીની શક્તિ કહેવાય છે. તે અધોરૂપ હોય તો સંસાર અભિમુખ કરે અને જો પ્રયત્ન દ્વારા અંતર્મુખ થઈને ઉર્ધ્વીકરણ થાય તો પરમાત્માનો પરિચય કરાવે તેવી શક્તિ તે પુરુષે પોતાના પ્રયત્ન દ્વારા ઉર્ધ્વીકરણ કરે પછી મુલાધારથી સુષુમ્ણા વાટે ચક્રોનું ભેદન કરતી ધીમે ધીમે સહસ્ત્રસારમાં વિલીન થવાં લાગે, જે આપણા શરીમાં તે પરમાત્માનો પરિચય કરાવે તેવું મુખ્ય કેન્દ્ર તે છે કે જ્યાં પ્રકૃતિની સામ્યાવસ્થા અનુભવી શકાય છે અને સમાધિ વખતે ત્યાં પ્રકૃતિની સહસ્ત્રદલ ચક્રમાં કે જે પરમાત્માનો વાસ છે. અજર અમર ચક્ર છે કે જ્યાં જઈને કે પામીને યોગીને હું પણ અજર અમર છું તેવું જ્ઞાન થાય છે. અને સઘળા જ્ઞાનના ઝરણા પણ ત્યાંથી ઝરે છે. ત્યાં વ્યષ્ટિરૂપમાં પ્રકૃતિની સામ્યાવસ્થાને પામે છે અને આત્મા પરમાત્મા જીવ શિવની અભિન્નતા અનુભવે છે.

જ્યારે તે સહસ્ત્રદલમાં કયાં સુધી સમાધિ કરીને રહેવું તે પણ મર્યાદિત હોય છે. કારણ કે શેષ પ્રારબ્ધના સંસ્કાર જેને વ્યુત્થાન સંસ્કાર કહેવાય તો આ વર્તમાન જન્મ કે જીવન ચાલે છે તેના સંસ્કાર ફરી વ્યુત્થાન દશામાં લાવે. કાયમને માટે યુગધર્મ પણ કયારેક અધિક કામ કરતો હોય છે અને તેમાં પણ પ્રારબ્ધ હોય છે. કોઈ હજારો વર્ષ સુધી પણ નિચેષ્ટ દશામાં રહે અને તેમાં પણ જો જ્ઞાનપૂર્વક સમાધિ ન કરી હોય તો રસ્તામાં જ સિદ્ધિઓ આવે અને રોકાઈ જાય. શરીર શરીરની જગ્યાએ નિચેષ્ટ રહે અને પોતે આતિવાહિક શરીર દ્વારા બહાર વિલાસો ભોગવતો રહે તેવી કથા યોગવશિષ્ઠમાં બહુ આવશે. જે યોગાભ્યાસ દ્વારા જ સમજી શકાય છે. શુક્રાચાર્યની કથા સઘળાએ વાંચી છે

તેમ પણ બને પરંતુ યોગીને પોતાના સંકલ્પ પર સત્તા આવે છે તેથી ઠીક પડે તેમ કરવા માંડે છે જો જ્ઞાનના અભાવ સાથે પ્રાણનો નિરોધ કરીને સમાધિમાં ગયો હશે તો સંભવ મોક્ષનો કે પરમાત્માનો અનુભવ ન પણ થાય અને પરમાત્મા કરતા પણ સિદ્ધિઓના આનંદમાં ફસાઈ જાય છે. પરંતુ સ્વરૂપના જ્ઞાનપૂર્વક અથવા ગુરુના માર્ગદર્શનપૂર્વક ચાલે છે તે સમાધિમાં પોતાના નિજ સ્વરૂપનો અનુભવ લીયે છે પરંતુ વ્યુત્થાનદશામાં તો આવવું પડે તેમાં કારણ એક છે કે યોગી ધારે કે હવે મારે પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરીને પરમાત્મામાં એક થઈ જવું છે વિદેહ મુક્તિને પ્રાપ્ત થવું છે તો તે પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરી શરીરનું મૃત્યુ કરીને વિદેહમુક્તિ થઈ જાય છે. તેમાં યોગીને સત્ય લોક કે બ્રહ્મલોકમાં લોકાંતર ગમન નથી. પાંચ ભૌતિક શરીર અહીં જ વિલીન થઈને પાંચભૂતના કાર્યો પોત પોતાના ભુતમાં મળી જાય છે.

અને તેવી રીતે પ્રારબ્ધના ઉત્ક્રમણમાં મતલબ કે હજી પ્રારબ્ધ ભોગવાઈને પુરું નથી થયું અને પ્રારબ્ધનો નાશ કરીને વિદેહ મુક્ત થવું તેમાં પ્રારબ્ધ ભોગવવું જ પડે. તેવો એક નિયમ છે કે પ્રારબ્ધથી મુક્ત કોઈપણ ન થઈ શકે. જ્ઞાનીને પણ લેશ વિદ્યા હોય છે. પ્રારબ્ધ જ્ઞાન થયા પછી પણ શેષ રહે છે તે પૂરું થાય ત્યારે જ વિદેહ મુક્તિ થાય છે ત્યાં સુધી વિદેહ મુક્તિ થતી નથી પરંતુ અહીં તે પ્રારબ્ધ ભોગવવું જ પડે તેવો નિયમ યોગીને માટે નથી. તે અધૂરું પ્રારબ્ધ હોય અને શાસ્ત્રોક્ત ક્રિયા કે જે યોગની છે તે તેમાં તે ભોગવવાનો નિયમ તૂટી જાય છે તેથી તે યોગી વિદેહમુક્તિ જ્યારે ઇચ્છે ત્યારે થઈ શકે છે. શરીરને છોડીને ચાલ્યો જાય છે પરંતુ જ્ઞાનીને જ્ઞાન થયું છે પરંતુ યોગક્રિયા નહીં હોય તો વિદેહમુક્તિ માટે પ્રારબ્ધના અંતની પ્રતિક્ષા કરવી પડશે. અને પ્રારબ્ધ પૂરું થતાં શરીરના અંતનો જે તે નિમિત્તે શરીરનું છે પછી ગમે તે હોય તેમાં જ્ઞાનીને કોઈપણ લેવા દેવા નથી. તે વિદેહમુક્તિને પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રારબ્ધનું ઉત્ક્રમણ ન કરવું અને પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી ચાલવા દેવું તેવા નિર્ધારવાળો જ્ઞાની યોગી ફરી વ્યુત્થાન દશામાં આવે છે.

અને સમાધિમાં એક એવો નિયમ છે કે જ્યારે સમાધિ કરી કે આયુની મર્યાદા પણ બંધ રહે. ગાડીને ઊભી રાખી દીધી કે ગતિ બંધ પડી ગઈ તેમ સમાધિ કાલ સુધી આયુની પણ ગણના હોતી નથી. આયુની ગણના શ્વાસોશ્વાસથી થાય છે. ફરી વ્યુત્થાનદશામાં આવે અને આયુ મર્યાદા શરૂ થાય તેમ યોગી સ્વતંત્ર છે. દરેક રીતે કાલની પણ અમુક સમય સુધી વંચ્છના કરી શકે છે. જેમ કે ચાંગદેવ ચૌદશો વર્ષ, વર્ષે વર્ષે કાલની વંચ્છના કરે. આખરતો અવશ્ય ભાવીનો સિદ્ધાંત સર્વને સ્વીકારવો પડે તો અહીં જે પ્રશ્નમાં સમાધિની વાત થઈ છે તેને પ્રલય સાથે સરખાવી છે કારણ કે જેમ ઇશ્વર પણ મહાપ્રલય કરે છે ત્યારે સારા એ જગતના સૃષ્ટિના સંસ્કારરૂપે સઘળાને પોતાનામાં સમાવી લે છે જેમ બીજમાં વૃક્ષના સંસ્કાર રહે તેમ પ્રલયકાલે સઘળું બ્રહ્માંડ ખળભળી નાશ થઈને સુક્ષ્મ સંસ્કારરૂપે પરમાત્મામાં સમાઈ રહે છે. અને ફરી વળી સર્ગકાલે તેમાંથી પ્રગટ કરે છે.

જેમ બીજમાંથી વૃક્ષ તેવી જ રીતે સમાધિમાં પણ યોગી પોતાના પિંડરૂપી બ્રહ્માંડનો પ્રલય કરે છે કારણ કે સ્થુલ શરીરમાંથી પ્રાણકલાને સંકોચી લેતાં તેથી અલગ કરી લેતાં શરીરની મૃત્યુ જેવી સ્થિતિ થઈ જાય છે. લિંગાત્મા પુરુષ સહસ્ત્રસારમાં પરમ તત્ત્વ સાથે એકરૂપ થઈ જાય. પ્રાણ તે હિરણ્યગર્ભનો અંશ છે તે ભ્રકૃટીએ જ મસ્તકમાં હિરણ્યગર્ભ સાથે એકતા પામી જાય છે. પરંતુ યોગી ધારણા મુજબ સંકલ્પને સાથે રાખીને સમાધિ કરે છે કે જે સંક્લ્પ ફરી ધારણા મુજબ વ્યુત્થાન દશામાં લાવી શકે છે. મસ્તકમાં હિરણ્યગર્ભ સાથે તે એકતા સાધે છે. બાદ ત્યાંથી જે પ્રકૃતિની સામ્યાવસ્થાને પ્રાપ્ત થઈ અને સંકલ્પના બીજ સાથે જેમ કે ઇશ્વર સૃષ્ટિનો પ્રલય કર્યા પછી સંકલ્પનું બીજ રાખે છે તેમ યોગી પણ પરમાત્માની સાથે એકતા તાદાત્મ્ય સમાધિમાં સાધે છે. જેમ મીઠાની પુતળી સાગરમાં મળે તેમ મન તેમાં તદ્રૂપ થાય છે. અંત:કરણ ત્યાં તદ્રુપ થયું હોય છે. સમાધિમાં અને સુષુપ્તિમાં તેથી સઘળાં તેમ કહે છે કે આ જીવે છે પરંતુ જીવાત્માને ખબર હોતા નથી કે મારા પ્રાણ ચાલે છે. અને અંત:કરણ સુષુપ્તિમાં સુપ્ત થઈ જાય છે. તેથી જો બેઠા હોય તો શરીર ઢળી જાય છે. ડોક નમી પ॰ે છે. પરંતુ સમાધિમાં તેવું થતું નથી. તેથી ઉલટું છે. સુતેલી વ્યક્તિ તે એકઘાટા ઘનધોર અંધારામાં છે તમસથી છવાયા ગયેલ છે. અને યોગી સમાધિમાં ઝળહળતા પ્રકાશમાં પૂર્ણ સત્વમાં છે. ત્યાં અત:કરણ સુપ્ત નથી. પરમાત્માની સાથે તદરૂપ થઈને તેનો સ્વાદ માણે છે. અનુભવ લીયે છે. પરંતુ ત્યાં અનુભવ વ્યકત કરવા માટે સામગ્રી નથી. અને અંત:કરણ પણ જાગૃત હોય છે ધ્યેય તદ્રૂપ હોય છે. તેથી યોગીનું શરીર ટટાર નિશ્ચળ ચેતના પ્રાણકલા રહિત હોય છે. માત્ર ચેતન્ય બ્રહ્મરંધ્રમાં સત્તારૂપે ગરમીરૂપે હોય છે. બાકી તો સઘળું શૂન્ય પ્રલય હોય છે. પરંતુ અવધિવાળા સંસ્કાર સાથે તે સુખ પરમાત્માનું લેતો હોય છે. તેથી સંકલ્પની મર્યાદાએ તે ફરી વ્યુત્થાનદશામાં આવે છે. અને વળી હિરણ્યગર્ભ સાથે એકતા કરી ત્યાંથી અંશાત્મકરૂપે સારા શરીરમાં પ્રાણકલાને પ્રસરાવે છે અને વળી જગત વહેવાર શરૂ થાય છે આ જ યોગી ધ્યાનના લાંબા અભ્યાસ દ્વારા સઘળા પાંચ ઇન્દ્રિયો પ્રાણ મન શરીર સઘળા ઉપર પોતાનો કાબુ પ્રાપ્ત કરે છે. અને સંકલ્પની સત્તા નીચે સઘળું રાખે છે. તેથી જેમ ઇશ્વર સૃષ્ટિનો પ્રલય કરે છે અને ફરી સૃજન કરે છે તેમ યોગી પણ પોતાની વ્યષ્ટિગત સૃષ્ટિનું સૃજન પાલન સંહાર કરે છે. તેથી વશિષ્ઠ મહારાજે કહ્યું છે કે પ્રલય તથા સમાધિકાળમાં જગત સુષુપ્ત થઈ જાય છે. યોગી જ્યારે વ્યષ્ટિગત જગતના પ્રલય સાથે સમષ્ટિનો પણ પ્રલય અનુભવે છે તેથી વ્યષ્ટિ સમષ્ટિનો અનુભવ લેવા માટે મન જ નથી. મન તો મીઠાની પુતળી માફક તદ્રૂપ થઈ ગયું છે. તેથી બંને પ્રલયકાલ અને સમાધિકાલની સરખામણી કરીને કહે છે તેથી પ્રલયકાલ અને સમાધિકાલ જગત સુષુપ્ત હોય છે. અને જ્ઞાનકાલમાં તુર્યારૂપ થઈ જાય છે. પરંતુ હવે અહીંથી જ્ઞાન કાલમાં તુરીયરૂપ એટલે કે જીવની ત્રણ અવસ્થા જાગૃત, સ્વપ્ન તથા સુષુપ્તિ. આ ત્રણ અવસ્થા જીવની છે અને ચોથી આ ત્રણની અપેક્ષાએ આત્માની છે.

તેથી સંસ્કૃતમાં તુરીય એટલે ચોથી. પરંતુ તેમાં ત્રણે અવસ્થાના અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞ રહ્યાં નથી. સ્થુલ સુક્ષ્મ કારણ શરીર પણ રહ્યા નથી. પરંતુ જ્ઞાનની તે અવસ્થા છે. આ ત્રણ અજ્ઞાનની છે તેથી સ્થુલ સુક્ષ્મ બંને શરીરોના કારણરૂપ અવિદ્યાની સમાધિમાં નિવૃત્તિ થઈ જાય છે. તેથી તુરિયરૂપ જ્ઞાનકાલમાં તુરીયરૂપ થઈ જાય છે પરંતુ તે તુરીય પણ આત્માની જ્ઞાનની અવસ્થા છે તેથી અવસ્થાતીત અનવસ્થા જે પરમાત્મા છે. તેની સાથે સત્તા માત્રમાં સ્થિતિ તે તુર્યાતીત દશા છે. અહીં જ્ઞાન કાલની જ વાત કરી છે તેથી તે ચોથી અવસ્થાજ્ઞાન કાલની છે. પછી સમાધિના પણ બે પ્રકાર કહ્યા છે. વસ્તુતાએ તેમાં જ્ઞાન થયાં પછી આત્માની એક સહજાવસ્થા સ્થિતિ છે. આ સહજાવસ્થાને સાથે જેટલા પર્યાય લગાડવા હોય તે લાગી શકે પરંતુ પછી કબીર કહે છે તેમ સહજ સમાધિ ભલીમાં તે રહે છે. શંકરાચાર્ય પણ શિવમાનસ પુજામાં આત્મા ત્વં ગિરીજા મતિ કહીને ગાય છે તેવી સ્થિતિમાં પછી જ્ઞાની કહે કે યોગી કહો કે કાંઈ ન કહો તે પછીના નામો છે. સંજ્ઞાઓ છે પરંતુ તેને માટે કાંઈ ન કહેવું. તે સ્વતંત્ર છે તેને ઠીકલાગે તો યોગી જ્ઞાની પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરવુ ધારે કે ઇચ્છે તો તેમાં પણ સ્વતંત્ર છે. ન ઇચ્છે જે તે સઘળું સ્વતંત્ર છે. આ પ્રશ્નનો પ્રત્યુત્તર પ્રલયમાં તથા સમાધિના કાલમાં સંપુર્ણ જગત સુપ્તરૂપ થઈ જાય છે. જ્ઞાનકાલમાં તર્યારૂપ થઈ જાય છે. તેનો પ્રત્યુત્તરમાં મારા પ્યારા વહાલાં વહાલા ભક્તો મારી અનુભૂતિ મુજબ આપ્યો છે. જેમાં આપને પૂર્ણ સંતોષ થશે એમ હું માનું છું. છતાં કાંઈ પણ પ્રશ્ન થાય તો અને મારા પ્રત્યુત્તરમાંથી પણ જો પ્રશ્ન થાય તો ફરી મોકલશો અને યોગવશિષ્ઠમાથી તો જ્યાં જ્યાં પરસ્પર ચર્ચાને અંતે સમાધાન ન લઈ શકાય તો જરૂર અહીં પ્રશ્ન મોકલશો પરસ્પર શબ્દ ન સમજાતો કે સમજાતો લઈને ચર્ચા બુદ્ધિમતે ખુબ કરશો, કારણ કે બ્રહ્મચર્ચા પણ ખુબ જ આનંદ આપે છે. અનુભૂતિ જુદી વાત છે. પરંતુ બ્રહ્મચર્ચા પણ સુખદાયક છે. તેથી ચર્ચાને લઈને પરસ્પરમાં સંવાદ પણ થાય આનંદ આનંદ થાય. ખુબ જ પ્રસન્નતા મારા વહાલાં વહાલાં ભક્તો

આપનો ભજન પ્રકાશાનંદ

* રાજયોગ, ઉન્મની, મનોન્મની, ચિતવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિતપ્રલય, અમરત્વ, લય, તત્ત્વ શુન્યાશુન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા ને તુર્થાવસ્થા આ સમાધિના પર્યાય છે. *

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી – પ્રારબ્ધ, પુરુષાર્થ અને પૌરુષ પર વિચાર

તા.16-02-2003, રવિવાર (શિષ્યો)

પ્રજ્ઞાબહેનનો પ્રશ્નો-
પ્રશ્નઃ- (4) ક્રીયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પણ પ્રારબ્ધ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ – છે કે કેમ? તે જણાવવા કૃપા કરશો.

પ્રશ્નઃ- (5) આ જન્મનો પુરુષાર્થ તથા પુર્વ જન્મનો પુરૂષાર્થ તેમ બે પુરુષાર્થ છે. તેમાં પુર્વ જન્મના પુરુષાર્થને પ્રારબ્ધ કહી શકાય કે કેમ? તે જણાવવા કૃપા કરશો.

રામભાઇનો પ્રશ્નઃ-
પ્રશ્નઃ- (6) પૌરૂષ એટલે શુ?


તા.23-02-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

પ્રજ્ઞાજીનો પ્રશ્નઃ- ક્રીયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પણ પ્રારબ્ધ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ – છે કે કેમ?

પ્રત્યુત્તરઃ-(4),(5),(6) હવે આ પ્રશ્નમાં પ્રારબ્ધ છે કે કેમ? તે મુખ્ય પ્રશ્ન છે. માટે પ્રારબ્ધ તે શું છે તેનો મુખ્ય વિચાર કરવો પડે. અને તે યોગવશિષ્ઠમાં ખુબજ દાખલા, દ્રષ્ટાંત, સિધ્ધાંતથી સમજાવેલ છે. છતા વિષય ઘણો જ ગહન હોવાથી માત્ર સ્વીકાર થતો હોય છે. અને શાસ્ત્ર કહે છે માટે તે સાચું છે તેવી શ્રધ્ધાથી આપણે સ્વીકાર કરી લેતા હોઇએ છીયે. પરંતુ તેવા સ્વીકારથી માત્ર સ્વીકારનો સંતોષ હોય છે. પરંતુ જે અનુભવ સાથે જે સ્વીકાર હોય છે તે જ સ્વીકાર સાચો હોય છે. તે સંતુષ્ટી સાચી સંતુષ્ટી છે. અને જરૂર જે કોઇ શાસ્ત્ર કહે છે તે વશિષ્ઠ કે વાલ્મીકી જેવા સમધિષ્ઠ, તપસ્વી, અનુભવી મહાપુરુષોના અનુભવમાંથી જે શબ્દો બહાર આવ્યા છે તે જ શાસ્ત્ર યોગવશિષ્ઠ બન્યું છે તેથી તે શાસ્ત્ર વચન જુઠું ન હોય અને તેને સ્વીકારવું પડે અને સ્વીકારીને ચાલવાથી હાની પણ નથી. લાભ લાભ તથા લાભ જ છે. તો પ્રારબ્ધ છે કે કેમ તેના પર સ્વબુધ્ધિ મતે વિચાર આપીશ. તો પહેલું આપણે વિચારવું પડશે કે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે કોનુ? તો પ્રત્યુત્તરમાં એ જવાબ મળશે કે પ્રારબ્ધ મારૂં. હવે મારૂં પ્રારબ્ધ કહેનાર કોણ? તો કહેવું પડશે કે હું આત્મા – જીવાત્મા. તો ત્યાં એક વાત નિશ્ચિત થઇ કે મારૂં પ્રારબ્ધ કહેનાર કોઇ પ્રારબ્ધથી ભીન્ન રહીને જુદો રહીને કહે છે કે મારૂં પ્રારબ્ધ. તો આ પ્રારબ્ધ કેમ બન્યું? કોણે બનાવ્યું? અને તે ક્યારે બન્યું? આ ત્રણ પ્રશ્નોમાં આપણે પ્રારબ્ધ કોણે બનાવ્યું તે ઉપર વિચાર પહેલાં કરશું. કારણ કે આ સૃષ્ટિ કોઇકની રચના છે. અને તે કોની રચના છે? તો કહેવું પડશે કે ઇશ્વરની રચના છે. અને જો ઇશ્વરની રચના હોય તો ઇશ્વર ઇશ્વર જ રહે અને પોતામાંથી પોતાના જ અંશરૂપમાં જે ચૈતન્ય જીવો છે તે ઇશ્વરના જ અંશો છે. અને જેમ અગ્નિનો તણખો અગ્નિરૂપ જ છે તેમ જીવો પણ ઇશ્વરના અંશો હોવાથી ઇશ્વરરૂપ જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય 15મો, શ્લોક 7મો

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानी कर्षति ।।

આ દેહમાં આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે. અને આ ત્રિગુણમય માયામાં સ્થિત થઇને મન સહિત પાંચે ઇન્દ્રિયોને આકર્ષણ કરે છે. તો આરંભનો વિચાર કરીયે તો ઇશ્વરના જીવો ઇશ્વરરૂપ જ નિર્દોષ નિત્યશુધ્ધ નિત્યબુધ્ધ તથા નિત્યમુક્ત હતા. જો આમાં જીવની પોતાની કાંઇ પણ સ્વયંકૃતિ ન હોય તો ઇશ્વર નિર્દોષ જીવોને પાપ પુણ્ય વાસના અવિદ્યા ઇત્યાદીકથી દોષીત શા માટે કરે? અને જો કરે તો ઇશ્વરની નિર્દયતા સિધ્ધ થાય. તે વાત તો કોઇ શાસ્ત્ર કે સંતને પણ સ્વીકાર્ય નથી. તો ઇશ્વરની કરૂણા તથા દયાળુપણું છે તે ઉઠી જાય. માટે ઇશ્વરને તો નિર્દોષ જ માનવા પડશે. પરંતુ તેવા વિચારમાં બહુ ઉંડે ઉતરતા કે કલ્પના કરતાં જેનો કદી પણ અંત ના મળે કે સમાધાન ન મળે તેની કલ્પના કરવી તે કાલક્ષેપ (સમયનો બગાડ) કરવા જેવું છે. કારણ કે જે વસ્તુનો આરંભ જોઇ ન શકાય તેને માટે કાંઇ પણ કલ્પના કરવી તે વ્યર્થ છે. તેથી વેદાંતમાં બ્રહ્મ, માયા, ઇશ્વર, જીવ, તેનો સંબધ તથા પરસ્પરનો ભેદ આ છ વસ્તુને અનાદિ માનેલ છે. તેમા બ્રહ્મ એક જ અનાદિ તથા અનંત છે. અન્ય પાંચ અનાદિ સાંત માન્યા છે. તેથી આપણે તે નક્કી કરવું મુશ્કેલ છે કે પ્રારબ્ધ કોણે બનાવ્યું.

તેમાં બે કારણો મુખ્ય છે કે જો ઇશ્વર પ્રારબ્ધ બનાવે કે જીવને આપે તો જીવ પ્રારબ્ધથી મુક્ત થવામાં કે દુર કરવામાં પોતે પરાધિન સિધ્ધ થાય. જે પ્રારબ્ધ આપે તે જ પ્રારબ્ધને દુર પણ કરી શકે. અને તેવી પણ એક માન્યતા છે કે ઇશ્વરે જીવને પ્રારબ્ધ આપ્યું છે અને ઇશ્વર જ તેને દુર કરે. તેમાં ઇશ્વરની ભક્તિ કરીને ઇશ્વરને પ્રસન્ન કરવા જોઇએ. પછી પ્રસન્ન થયેલા ઇશ્વર જીવનો સ્વીકાર કરીને પોતાની માયાને હુકમ કરે છે કે તેને મુક્ત કર. તેમાં પણ ઇશ્વર પોતે પોતાની માયા શક્તિ દ્વારા સઘળું કરે છે. મે સંસારકે હાથોમેં, સંસાર તુમ્હારે હાથોમેં. ઇશ્વરના હાથમાં તેની માયા છે, સંસાર છે. માયા કે સંસારના હાથમાં જીવ છે. તેથી ઇશ્વર પોતાની ભક્તિ દ્વારા પ્રસન્ન થઇને જીવને પ્રારબ્ધથી મુક્ત કરે. આ થઇ જીવ, જગત તથા જગદીશને સાચા માનનારા આચાર્યોની માન્યતા. આ માન્યતામાં જીવ પરાધિન છે, તેથી પ્રારબ્ધથી મુક્ત થવામાં પણ પોતે સ્વતંત્ર નથી.

હવે જોઇએ વેદાંતમત – યોગવશિષ્ઠનો અજાતવાદ

તો વેદાંતમતે તો પરબ્રહ્મ પરમાત્માથી અન્ય કોઇ માયા કે અવિદ્યા તેવી વસ્તુ નથી. બસ નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ, નિરંજન, નિર્વિશેષ સતા સામાન્યરૂપે એક અને દેશકૃત, કાલકૃત તથા વસ્તુકૃત પરિચ્છેદથી રહિત વિભુ તથા વ્યાપક બ્રહ્મ છે. અને માયાનો બ્રહ્મમાં આત્યંતિક અભાવ સ્વીકારેલો છે. તેથી નિર્ગુણ બ્રહ્મ નિરવયવ, નિરાકારમાં તો સૃષ્ટિ નથી. અને વેદાંતને સૃષ્ટિ સ્વીકાર્ય પણ નથી. તેથી સૃષ્ટિ છે જ નહીં. સૃષ્ટિનો સ્વીકાર કરવો હોય તો અધ્યારોપમાં કરો. અપવાદમાં સૃષ્ટિ નથી. તો અધ્યારોપ શુ છે? તો કહેવાનું કે અધિષ્ઠાનમાં થયેલો વસ્તુના અભાવમાં ભાવનો થયેલ આરોપ. જેમ રજ્જુમાં સર્પ નથી. સર્પ વસ્તુનો અભાવ છે છતાં સર્પનો ભાવ થયો અને તે સર્પભાવનો આરોપ તે અધિષ્ઠાન રજ્જુમાં અધ્યારોપ. તેમજ બ્રહ્મમાં માયા, અજ્ઞાન, અવિદ્યા જે કહેવું હોય તે કહો, તો કે અજ્ઞાન શું? તો કહે કે જે કોઇ વસ્તુનું જ્ઞાન નહીં તે અજ્ઞાન. તો માયા શબ્દ પણ જે માપે તે માયા, ભેદ પાડે તે. અને બીજારૂપ વસ્તુ કાંઇ ન હોય અને દેખાડે તે માયા. ઇન્દ્રજાલ કે મદારીનો ખેલ એ વિષયમાં વર્ણન કરવાની જરૂર નથી. તેથી આપણે તે વસ્તુને વિચારી ગયા છે કે અજ્ઞાન કે માયા તેવી કોઇ પણ વસ્તુ નથી. વસ્તુને ન જાણવી બસ તેનું નામ અજ્ઞાન. રજ્જુ જ હતી પણ ભ્રાંતિથી સાપરૂપે ભાસતી હતી. જેવી રજ્જુને જાણી કે તેનું જ્ઞાન થયું કે રજ્જુ જ રહી. બસ અજ્ઞાન તે કોઇ પણ વસ્તુ નથી. એટલે વેદાંત કહે છે જીવને પ્રારબ્ધ કોઇએ આપ્યું કે બનાવ્યુ નથી. જીવ પોતે આપ આપ જેમ વાંદરો કે પોપટ બંધાય છે તેમ બંધાય છે.

વાંદરો મુઠી ચણા માટે કુપમાં બંને હાથ નાખીને બંધ થઇ જાય છે તેમાં બંધનનું કારણ બીજું કાંઇ પણ નથી. ચણા ખાવાની ઇચ્છા, વાસના, સ્વાદ. મુઠી છુટતી નથી, બંધન છુટતું નથી તે તો કહેવું વૃથા છે. કારણ કે કોઇએ તેને બાંધ્યો નથી. આ ચણા ખાઇશ તો મજા આવશે તેવી સ્વાદની લાલચ, સુખ તે પણ અજ્ઞાન જ છે. તેને તે ખબર નથી હોતા કે આની પાછળ જેમાં સુખ નથી પરંતુ થોડી વસ્તુની લાલસા કે વાસનાએ પ્રવૃતિ કરાવી. બંધનથી તે જ ક્ષણે મુક્ત થઇ શકે છે પણ મમત્વ, ઇચ્છા, ચણાની મુઠી છોડવા દેતી નથી અને બંધાયો. પ્રારબ્ધ વળગ્યું, પોતે જ બનાવ્યું, પોતે જ ઇચ્છા વાસના કરીને રચ્યું. અને પોપટ પણ સ્વતંત્ર છે. નલીમાં બંધન પામે છે. ઉડતો નથી. પાંખો છે, નલીથી પગ છોડતો નથી અને ભ્રાંતિમાં પડે છે કે મને કોઇએ પકડ્યો છે.

બસ તેમજ આપણું જીવનું પણ છે. તેથી અજ્ઞાન ક્યારે વળગ્યું તે કહેવું અશક્ય છે. કારણ કે તેનો આદિ નથી. અને અજ્ઞાન ક્યાંથી આવ્યું તે પણ અજ્ઞાનીનો જ પ્રશ્ન છે, જ્ઞાનીનો નથી. આપણે નિંદ્રામાં કેમ સરકી ગયા, ક્યારે સ્વપ્ન શરૂ થયું તે જાણતા નથી. બસ બે સાવધમાં પોતાપણાની ભાન ગુમાવવી અને અન્ય કૃતિમાં લાગી જવું તેનું નામ જ અજ્ઞાન છે. તેથી પ્રારબ્ધ કોણે બનાવ્યું તેમાં વેદાંત મત સુંદર લાગે છે. અને આપણો પણ આપણા સત ચિત આનંદ સ્વરૂપનો જે સ્વભાવ તથા સ્વતંત્રતાનો વિચાર કરવાથી પણ ઠીક સમજાય છે કે વ્યક્તિ સ્વતંત્ર છે અને રહેવા પણ ઇચ્છે છે. તેથી પ્રારબ્ધ કોણે કર્યું કે બનાવ્યું તે પ્રશ્ન પુરો થાય છે. અને કેમ બન્યું તે પ્રશ્ન પણ પુરો થાય છે. કારણ કે ઉપરના દ્રષ્ટાંતથી તે બની ગયું છે, બનાવ્યું નથી. કેમ બન્યું તો કહે બસ આવી રાતે સુર્ય મધ્યાન્હનો પ્રકાશતો હતો અને ચાલતાં ચાલતાં ઠેસ લાગી તેમાં પડ્યાં અને લાગ્યું. તો સુર્યનો કે તેના પ્રકાશનો શું દોષ? બસ હોશ ન રહી. બેહોશીરૂપી અંધકારને કારણ બન્યું, બની ગયું.

તો પ્રશ્ન ત્રીજો શા માટે બનાવ્યું કે બન્યું તેનું કારણ પણ તે જ અનાદિ અજ્ઞાન, અવિદ્યા, વાસના આ સઘળા અનાદિ છે. તેથી સૃષ્ટિ નવિન છે તેવું કાંઇ નથી. નિત્ય છે. થતી રહે. કલ્પ, મહાકલ્પ, સર્ગ, વિસર્ગ ઇત્યાદી કોઇ અનાદિકાળની અવિદ્યાભુમિમાં રહેલી વાસના, કામના અને આ કામના કે વાસના જે ઉદ્ભવે તો તેની સાથે તે પુર્તિ માટેનો જે પ્રયત્ન કે પુરુષાર્થ થયો તે કર્મ. તેથી અવિદ્યા ભુમિમાં કામ તથા કર્મના સંસ્કાર રહેલા છે. જેમ સુષુપ્તિમાં કામ, કર્મના સંસ્કાર છે અને તે જાગૃત થતાં સ્વપ્ન સૃષ્ટિ તથા જાગૃત સૃષ્ટિને કલ્પી લે છે. તેમ અનાદિ અવિદ્યાને કારણ જીવને વાસના છે અને તે ઇશ્વરથી માયા અને માયાથી જીવ પોતે વાસનાના ભોગ ફલ માટે તેમાંથી ઉઠવું તે જ પ્રારબ્ધનું બનવું. કે બન્યું શા માટે? તો કે મારી ઇચ્છા પુર્તિ માટે, તેના ફલ ભોગ માટે, તેના પદાર્થના સુખની ભાવના ભોગ માટે. જેમ માછલું ઉંડા પાણીમાં નિર્ભય રહે છે. પરંતુ સ્વાદવશ રસ વાસના તેને બહાર લાવે છે અને ગલ કાંટામાં ફસાઇ જાય છે. તેમજ જીવનું પણ પ્રારબ્ધ શરૂ થયું. વાસના માટે કર્મ કરવા લાગ્યો. હું કર્મ કરૂં અને મને આ ફલ મળે બસ કર્તા બન્યો અને કર્મની શરૂઆત થઇ. ક્રિયમાણનો પ્રારંભ થયો અને ભોગ માટે ભોક્તા તેના ભોગ્ય પદાર્થો અને ભોગવવાનું સાધન મળી ગયાં.

તો હવે જોઇએ કે પ્રારબ્ધ છે કે કેમ? તો વેદાંત મત પર વિચાર કરશું તો ઉપર જોયું તેમ અજ્ઞાન, માયા કે અવિદ્યા કે અવિદ્યા જનિત વાસના કર્મ તથા પ્રારબ્ધ આ સઘળાના મુલમાં અવિદ્યા છે. અજ્ઞાન છે. તો અજ્ઞાન શું છે? તો કહે કે કાંઇ પણ નથી. વસ્તુને ન જાણવી તે અજ્ઞાન છે. અને રજ્જુનો સાપ રજ્જુજ ભ્રાંતિને કારણ સાપ થઇ ડરાવતી હતી. દીપક લઇ જોવા જતાં સાપ ત્રણે કાલે ન હતો. હતી ત્યાં રજ્જુ. તેમ અજ્ઞાનથી જ કે માયાથી જ બ્રહ્મ જગતરૂપે ભાસે છે. તેમાં પણ અધિષ્ઠાન બ્રહ્મનું જ અજ્ઞાન છે. તો અજ્ઞાનમાંથી વાસના, કર્મ તેના સંસ્કારો આ સઘળું તેમાંથી ઉઠ્યું છે. જો મુલકારણ ન રહે તો કાર્ય પણ ન રહે તેવો નિયમ છે. તેથી અજ્ઞાનની નિવૃતિમાં સઘળાની નિવૃતિ છે. અને અજ્ઞાન ન રહ્યું તો વાસના ન રહી, કર્મ પણ ન રહ્યું, સંસ્કારો ન રહ્યાં તો પ્રારબ્ધ ક્યાંથી રહે? અને મુલમાં જ કાંઇ નથી કલ્પના સિવાય તો પછી પ્રારબ્ધ ક્યાંથઈ રહે? માટે પ્રારબ્ધ તેવી વસ્તુનો યોગવશિષ્ઠ જેવા અજાતવાદમાં જ્યાં ત્રણે કાલમાં કાંઇ પણ થયું નથી, થશે નહીં અને થવાનું પણ નથી.

એક અજાત બ્રહ્મ જ છે. તેથી તેમાં પ્રારબ્ધનો સ્વીકાર જ નથી.અને સ્વીકાર કરવાનો છો તો અધ્યારોપની દ્રષ્ટિથી આપણે હવે સ્વીકાર કરીને ચાલશું. આપણે બે માન્યતા જોઇ. એક જગતને સત્ય માનનાર અને એક જગતને મિથ્યા માનનાર. એકને મતે પ્રારબ્ધ સત્ય છે અને એકને મતે પ્રારબ્ધ તેવી એક કલ્પના છે. વાસના કલ્પના છે. વાસનાની પુર્તિ માટે કર્મ થયું તે પણ કલ્પીત. તેથી મળેલું ફળ પણ ખોટું જેમકે સાક્ષિ આશ્રિત રહેલી અવિદ્યા અને તેમાંથી ઉઠેલ વાસનાની કલ્પના તે જ સ્વપ્ન સૃષ્ટિ છે. અને તે સ્વપ્ન સૃષ્ટિમાં પણ જડ ચેતન જીવો અસંખ્ય જોવામાં આવે છે. તેમાં વાસ્તવિક જીવતો સાક્ષિ કેવલ કુટસ્થ છે. પરંતુ અનેક જીવો, અનેક જીવોની વાસના, તેનું કર્મ, સંસ્કાર અને પ્રારબ્ધ આ સઘળું શું છે? તો કહે જાગ્યા પછી ખબર પડે છે કે સ્વપ્ન હતુ, કાંઇ પ્રારબ્ધ કે કશી વસ્તુ ન હતી. પરંતુ તે વખતનું સઘળું સત્ય હતું. આ થઇ વેદાંતની માન્યતા કે જેની નિવૃતિમાં જાગવાની જરૂર છે. બસ જાગ્યાં નથી ત્યાં સુધી અવિદ્યા છે. તેથી સ્વપ્ન છે, વાસના છે, કર્મ છે, તેનું ફલ છે, પ્રારબ્ધ છે. પરંતુ જાગ્યા કે સઘળું ગયું. કલ્પનાનો કાંટો લાગ્યો, પીડા કરતો હતો. કલ્પનાનો કાંટો લઇ કલ્પનાથી કાઢી નાખ્યો. પ્રારબ્ધ દુર થયુ.

હવે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે, પણ પ્રારબ્ધ જોવામાં આવતુ નથી. તેથી પ્રારબ્ધ કાંઇ છે જ નહીં. હવે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને પ્રારબ્ધ કેમ જોવામાં આવતું નથી તેનું કારણ વીચારીયે કે પહેલાં બીજ હોય છે પછી તેમાંથી અંકુર પછી વૃક્ષ થાય. તે બીજનું પરિણામ તે ફલ છે. બીજ જ વૃક્ષરૂપે પરિણામ પામ્યું છે અને ફરી તે વૃક્ષમાં બીજ લાગ્યાં તેથી બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ આ એક ચક્ર થયું. આને બીજ અંકુર ન્યાય કહેવાય. હવે બીજમાં વૃક્ષ પહેલાં દેખાતું નથી. પરંતુ તેને યોગ્ય વાતાવરણ મળતાં તુરત અંકુરિત થઇને વૃક્ષરૂપે પરિણામ થઇ જાય છે, ત્યારે વૃક્ષ દેખાય છે. પરંતુ બીજ ક્યાંય પણ દેખાતું નથી. આ થઇ પરસ્પરમાં બીજ અંકુર પ્રગટ કરવાની યોગ્યતા. તેમાં પહેલા કોને કહેવું? પહેલું બીજ કે વૃક્ષ અથવા પહેલાં વૃક્ષ કે પછી બીજ. કારણ કે આ બીજ અંકુર ન્યાયે નક્કી ન થાય કે પહેલાં કોણ?

તેમ પહેલાં કર્મ કે જીવ તેમાં પણ પહેલાં કોણ તે નક્કી થતું નથી. કારણ કે કર્મ વગર જીવ નહીં અને જીવ વગર કર્મ નહીં. તેથી પહેલું ક્યું તે નક્કી ન થતાં આપણે વેદાંતમાં ઉત્પતિના પ્રકારમાં આત્માશ્રય ઇત્યાદી જે દોષો કહેવાય છે તે જોઇ ગયા છે. તેથી જે નક્કી ન થાય, ત્યાં અજ્ઞાન કહેવાય. અને વેદાંતને તે જ સ્વીકાર્ય છે. તો જીવને પણ જીવપણું કર્મવાસનાથી છે. પરંતુ તે બેમાં ક્યું પહેલે તે નક્કી થાય નહીં. છતા જરૂર પહેલે અવિદ્યા તથા વાસનાબીજ છે અને તે અવિદ્યા જનિત વાસનારૂપી બીજ એક સંકલ્પ કે કલ્પના ઉભી કરે છે. મને આ મળે. હું આ મેળવું અને ફલ ભોગવી સુખી થાઉ. તો આ સંકલ્પ છે. તે જ પ્રારબ્ધનું બીજ છે. પછી તે જે પ્રકારની જેવી વાસના ઉદ્ભવી તેવું તે પ્રકારનું પહેલા સંકલ્પ મનોરાજ્ય જેવી કલ્પના ચાલી. પરંતુ માત્ર તેવી કલ્પનાથી સંતુષ્ટ ન થતાં તેમાંથી એક ભોગ્ય પદાર્થ તેને ભોગવનારો ભોક્તા તેને ભોગવવાના સાધનો પ્રગટ થયાં. જેને આપણી સામે રહેલા શબ્દ સ્પર્શાદીક પદાર્થો આ ભોગ્ય જગત અને ભોગવવાના સાધનો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ તથા કારણ સુક્ષ્મ તથા સ્થુલ શરીરની રચના થઇ. તેમાં જીવાત્મા ભોક્તા સુખ દુઃખનો અનુભવ લેનાર.

તો હવે જોઇશું કે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પુરૂષ ભોક્તા જે કાંઇ પણ ક્રિયા કર્મ કરે છે તેમાં પુરૂષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આપ સઘળાં ભક્તો જે યોગવશિષ્ઠ વાંચો છો તેમાં તમારો પુરૂષાર્થ બે કલાક બેસીને વાંચો છો, સતસંગ કરો છો, સાંભળો છો તે તમારો પુરૂષાર્થ છે. અને જે સતસંગરૂપી ક્રિયા કરી રહ્યા છો તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. પરંતુ તેનું ફલ આનંદતો મળે છે પરંતુ તે પછીની જે ધ્યેયે પહોંચવાની અપેક્ષા ઇચ્છાઓ તે ફલ અત્યારે પ્રત્યક્ષ પ્રગટ નથી. કારણ કે જે સાંભળ્યુ, સમજ્યાં અને વિચાર્યું તેના સંસ્કારો પડ્યા તે અપ્રત્યક્ષ છે. આ તમારો પુરૂષાર્થ છે. તે બીજા સંસ્કારોરૂપી બીજોને ચિત્તભુમીમાં ધારણ કરે છે. સંચિત કરે છે. પછી જે કરેલો પુરૂષાર્થ જે વર્તમાનમાં ફલ નથી આપી શક્યો પરંતુ કરેલા પુરૂષાર્થના વાસનાત્મક સંસ્કારો સંચિત બીજરૂપે પડ્યા હતા તેણે આ વર્તમાન શરીરીની રચના કરી. અને તે વાસનાત્મક સંસ્કારો હતા તે શરીરરૂપમાં પરીણામ પામ્યાં. તેથી તેમ કહેવું પડે કે પુર્વનો કરેલો પુરૂષાર્થ વર્તમાનમાં સુક્ષ્મ મન કહો કારણ કે વાસનાનો સમુહ તે મન. ઇચ્છાનો સમુહ તે મન. સંસ્કારોનો સમુહ તે મન. એટલે શરીરનું સુક્ષ્મરૂપ તે મન અને મનનું સ્થુલરૂપ તે શરીર.

હવે આની સાથે બે પ્રકારના પુરૂષાર્થનો પણ પ્રત્યુત્તર આવી જાય છે. પુર્વનો પુરૂષાર્થ તે બીજરૂપ બન્યો પછી તેણે આ વર્તમાન શરીર આપ્યું તે થયું પ્રારબ્ધ. પછી તે પ્રારબ્ધથી થતે પુરૂષાર્થ એટલેકે શરીરથી થતો પુરૂષાર્થ. તો અહી બંને પ્રકારના પુરૂષાર્થ કહ્યાં છે. તેમાં ફલ પણ પુરૂષાર્થથી ઉપજતુ છે તેથી પુરૂષાર્થ સીવાય અન્ય કશું નથી કારણ કે બીજ અંકુર ન્યાયે જે બીજ હતુ તેણે ફલ વૃક્ષ ઉપજાવ્યું. વળી જે ફલ વૃક્ષ હતું તેણે બીજ ઉપજાવ્યુ. તેમા તમે કોને બીજ કહેશો? કોને ફલ કહેશો? બાપથી દીકરો થાય તે તો સમજાય તેવી વાત છે પરંતુ દીકરાથી પાછો બાપ થાય આ વિચિત્ર છે. તેથી કોને પુરૂષાર્થ કહેવો અને કોને પ્રારબ્ધ કહેવું? કારણ કે પુરૂષાર્થથી પ્રારબ્ધ બને છે અને વળી પ્રારબ્ધથી પુરૂષાર્થ થાય છે. તેથી કહેવું હોય તો અત્યારના વર્તમાન શરીરને પ્રારબ્ધ કહો પરંતુ પુરૂષાર્થ પ્રારબ્ધનો પિતા છે.

તેથી યોગવશિષ્ઠમાં પ્રારબ્ધને ગૌણ સ્થાન આપીને અથવા તો તે કાંઇ નથી પરંતુ પૂર્વનો કરેલો પુરૂષાર્થ આ વર્તમાન શરીરરૂપે જણાય રહ્યો છે. તેથી ફરી પણ પાછો શરીરથી પુરૂષાર્થ થાય છે. તો પૂર્વ જન્મના પુરૂષાર્થને બીજ માનો, વર્તમાન શરીર તૈયાર થયું તેને પ્રારબ્ધ ફલ માનો. પરંતુ બીજ વગર અંકુર નહી તે વાત પાકી. પરંતુ અહીં પાછુ અંકુર બીજ ઉપજાવે છે તેથી પુરૂષાર્થ તથા પ્રારબ્ધ અન્યોન્યના પુરક છે. સાથે રહીને કામ કરે તેથી પ્રારબ્ધનો પણ સ્વીકાર કરવો પડે. પરંતુ યોગવશિષ્ઠમાં અજાતવાદ હોવાથી પુરૂષાર્થને જ મહાન ગણ્યો છે અને છે પણ.

તો હવે આપણે પુરૂષાર્થ તથા પ્રારબ્ધના પરસ્પર ઝઘડામાં ઉતરશું તો પ્રારબ્ધનું કેટલું સ્થાન તથા પુરૂષાર્થનું કેટલું મહત્વ તે આપણે જોશું. તેમાં જે રામભાઇનો પ્રશ્ન પૌરૂષ છે તે શું છે તેના પર વિચાર કરશું એટલે સઘળાં પ્રશ્નો હલ થઇ જશે. તો આપણે બે જ પ્રશ્ન જોશું કે પૌરૂષ શું? અને પુરૂષાર્થ શું? પૌરૂષ અને પુરૂષાર્થ બંને શબ્દો એકાર્થ જેવા લાગે છે. કારણકે પુરૂષમાં જે શક્તિ છે, વિર્ય છે, સામર્થ્ય છે તે જ તેનું પૌરૂષપણું અથવા પૌરૂષત્વ છે. વિર્ય વિનાનો કે સામર્થ્ય વિનાનો પુરૂષ તે પુરૂષ નથી કહેવાતો પણ નપુંસક કહેવાય છે. પરંતુ આપણે અહીં જે પૌરૂષત્વની વાત કરશું તેમાં એક જગ્યાએ કીધુ છે કે પુરૂષ તો એક માત્ર પરમાત્મા છે ઔર તો સબ જગ નારી હૈ. કારણ કે પરમાત્માનું જે પુરૂષત્વ છે તેમાં ક્યારે પણ નપુસંકતા આવતી નથી. તેના સામર્થ્ય કે વિર્યમાં ક્યારે પણ ન્યુનાધિકતા થતી નથી. તેથી ઇશ્વરનું પૌરૂષત્વ કાયમને માટે જેવું ને તેવું રહે છે. પરંતુ પ્રકૃતિથી બધ્ધ જીવો પ્રકૃતિ વશ થવાથી તેનું જે પૌરૂષત્વ છે તે સુપ્ત પડેલ છે.

તેથી પ્રકૃતિ જ જ્યાં સંસારમાં જોશો ત્યાં જણાશે. તેની જ પ્રવૃત્તિ પણ જણાશે. અને પ્રકૃતિ જીવને પરવશ બનાવીને સ્વતંત્રપણે વહેવાર કરી રહી છે. તેથી પ્રકૃતિથી બંધાયેલા કે આવૃત થયેલા જીવોને પુરૂષ કહેતા નથી પણ જીવ પ્રકૃતિરૂપ જ થઇ ગયો છે. તેથી જીવો નારી જ છે. જ્યારે તેનું પૌરૂષત્વ કોઇ જગાડે અને તે જાગી જાય ત્યારે તેને ખબર પડે છે કે પૌરૂષત્વ શું છે. જ્યારે સીતાજીની શોધ કરવા સઘળા વાનર તથા રીંછ સમુદ્ર કિનારે બેઠા બેઠા વિચાર કરતા હતા, પોતપોતાનું જે બલ હતું તે બતાવતા હતા. કોઇ કહે કે હું સામે કાંઠે તો પહોંચુ પણ પાછો અહીં ન આવી શકું તેમ નિરાશ થઇને બેઠા હતા. હનુમાનજી પણ બેઠા હતા. પણ કાંઇ બોલતા ન હતા. ત્યારે જાંબુવાને હનુમાનજીને કીધું કે તમે કેમ બેઠા છો? તમો તો પવનપુત્ર છો. તમારે ક્યું કાર્ય મુશ્કેલ છે? તમે સઘળું કરી શકો તેમ છો તેમ તેના પૌરૂષત્વના વખાણ કર્યા અને હનુમાનજી ગર્જના કરીને ઉભા થઇ ગયા પર્વતાકાર બનીને કહેવા લાગ્યા બોલો હું ત્યા જઇ શું કરુ? રાક્ષસોને મારી નાખુ? લંકાને સમુદ્રમાં ડુબાડી દઉં? બસ જાંબુવાને સમજાવ્યા આપણે તો સીતાજી ક્યાં છે તે જાણીને આવવાનું છે. પછી કરવાનું તે કરવાવાળો કરશે.

તો તેવી રીતે દરેક જીવોમાં પૌરૂષત્વ તો છે. પરંતુ છુપાયેલું પડ્યું છે. તેને કોઇ ગુરૂ જગાડી આપે ત્યારે તે બેઠો થઇ જાય છે. અને પોતાના પૌરૂષત્વ દ્વારા જ પ્રકૃતિને વશ કરીને તેનો માલિક બની જાય છે. કારણ કે શક્તિ શક્તિમાનની છે. અને તે શક્તિમાનને આધિન હોય છે. તે તેને સમજાય જાય છે ત્યારે પુરૂષ જાગૃત થઇ જાય છે. તેથી એક ભજનમાં કીધું છે, હેલી ગાતા કહે છે કેઃ- નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે સુરતા અને સુરતા જગાડે બ્રહ્મ. બસ પુરૂષનું પુરૂષત્વ જાગ્યાં પછી પ્રકૃતિ વશીકાર કરીને સાચો શક્તિમાન બની જાય છે. બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. આ થયો પૌરૂષનો અર્થ.

હવે પુરૂષાર્થ વિશે થોડું જોશું કારણ કે તેમાં બે પદ છેઃ- પુરૂષ + અર્થ = પુરૂષાર્થ. તો પુરૂષાર્થ કોને કહેવો? પુરૂષાર્થ તેને કહેવાય જે આપણી ઇચ્છા છે તે ઇચ્છાનો જે વિષય હોય અને તેની પ્રાપ્તિ માટે થતા પુરૂષના પ્રયત્નને પુરૂષાર્થ કહેવાય. તો પુરૂષાર્થ કેટલા પ્રકારનો, તો ચાર પ્રકારનો છે. ક્યાં ચાર પ્રકાર? ધર્મમય પુરૂષાર્થ, અર્થમય પુરૂષાર્થ, કામમય પુરૂષાર્થ અને મોક્ષમય. તેમાં ઉપજતાં સુખ પણ ચાર પ્રકારનાઃ- ધર્મમય પુરૂષાર્થથી મનનું સુખ કે કોઇ પણ ઇચ્છાનો અભિઘાત ન થાય માટે માનસીક સુખ. અર્થમય પુરૂષાર્થથી શરીરનું સુખ તે શરીર ગાદી તકીયામાં લોટવામાં સુખ માને બીજાં પણ ખાનપાન ઇત્યાદી. કામમય પુરૂષાર્થથી પ્રાણનું સુખ, સ્ત્રી-પુરૂષ સંયોગજન્ય સુખ અને મોક્ષમય પુરૂષાર્થથી પરમાત્માનું અખંડ અક્ષય સુખ મળે.

તેમાં કર્તા ભોક્તા આ જીવ અંતઃકરણ વિશિષ્ટ પ્રમાતા જીવ છે. તેના ફલ ભોગનાં ઇન્દ્રિયાદી અંતઃકરણ ભોગ પ્રાપ્તિના ઉપકરણો છે. શરીર ભોગનું સ્થાન ભોગાયતન છે. તેથી આપણે તેમાં એ માનવું જરૂરી કે શરીર ઇન્દ્રિયો ઇત્યાદી જે કાંઇ છે તે સાધન છે. ભોગ્ય પદાર્થો સાધ્ય છે અને કર્તા ભોક્તા જીવ સાધક છે. તે આ કર્તા ભોક્તા જીવ જે જે વિષય પદાર્થના સુખ માટે પ્રયત્ન કરે તેને તેવું તે ફલ મળે તે ફલ સાધ્ય કહેવાય. તો ધર્મમય તથા અર્થમય અને કામમય આ ત્રણ પુરૂષાર્થથી ઉપજતાં સુખો તે સાંસારિક નાશવંત ફલવાળા છે. જે એક મોક્ષમય પુરૂષાર્થથી ઉપજતું ફલ અક્ષય અખંડ સુખ છે. માટે મોક્ષમય પુરૂષાર્થ તે સાચો પુરૂષાર્થ છે અને આ પુરૂષાર્થમાં પ્રારબ્ધની ગણના નથી કારણ કે પ્રારબ્ધની નિવૃત્તિ કરનારો છે. તો તે પુરૂષાર્થની વાત આપણે પાછળથી જોશું.

અત્યારે જે ત્રણ સાંસારીક પુરૂષાર્થ છે તેના પર જ વિચારશું. ને જીવાત્મા પણ તે જ પુરૂષાર્થમાં જ લાગ્યો રહે છે. તે સુખ માટે જ પ્રયત્ન કરે છે. અને તે ત્રણ પુરૂષાર્થ પણ માનવ આચરી શકે છે. પશુ ધર્મ કમાઇ શકતાં નથી. અર્થમય તથા કામમય પુરૂષાર્થનું ફલ તો પશુ પક્ષીને પણ મળે છે. તેથી આપણે જોશું કે હવે આ ત્રણ સુખો માટે આપણે જેને ઇચ્છાનો વિષય બનાવીને પ્રયત્ન કરીયે છીએ તેમાં ધર્મમય પુરૂષાર્થને આચરનારાં કેટલાં? બહું ઓછાં, ઓછાં એટલે ઓછાં. હવે અર્થમય અને કામમય જે શરીરસુખ અને પ્રાણસુખને વિષય બનાવીને સર્વકોઇ પુરૂષ પ્રયત્ન કરે છે તો જે વર્તમાને પુરૂષ પ્રયત્ન (પુરૂષાર્થ) થાય તે ક્રિયમાણ બને અને ક્રિયમાણ બન્યું તેનું વર્તમાનમાં ફલ ન મળ્યું. કોઇ કારણોવશાત કે જેને આવરણ કઇ શકાય અને ઇચ્છા અપુર્ણ રહી ગઇ. પ્રયત્ન કર્યો પરંતુ નિરાશાનો જે અનુભવ થયો અને નક્કી પણ થયું કે આ વર્તમાન જીવનમાં સંભવ કે શક્ય નથી તેવો ફલનો નકારાત્મક અનુભવ અને તેનો સંસ્કાર. અનુભવ તો સંસ્કાર છોડીને નિવૃત્ત થઇ ગયો. સુક્ષ્મ વાસનાત્મક સંસ્કાર રહી ગયો. આ થયું સંચિત. આવું સંચિત કાંઇ જન્મ-જન્માંતરોનું હોય છે. અને ચિત્ત એટલે સંસ્કારોનો ખજાનો. ચિત્ત કહો કે મન કહો અથવા અંતઃકરણ કહો આ સઘળું સુક્ષ્મ શરીરમાં સંચિત થાય છે.

જીવન પુરુ થયું, શરીરની અવધિની મર્યાદાએ કાલાન્ત થયો. અંત ક્ષણે અપુર્ણ ઇચ્છાઓ અને તેની વાસના લાલસાએ કોઇ નિમિત્ત બનાવી લીધું કે જે નિમિત્તથી સંઘરાયલું સંચિત કર્મ વાસના છે તેને તે નિમિત્તથી ઉત્તેજના મળી ગઇ અને અંતરના ઉંડાણમાંથી પણ દબાયેલ બહાર તેને ભોગ માટે કે પુર્વની વર્તમાનની અધુરી ઇચ્છાઓને તે નિમિત્તે ઢંઢોળી અને તે નીચેથી ઉપર જાગૃત થઇને આવી ગઇ અન્ય સુપ્ત દબાઇને રહી ગઇ. અને તે સંચિતનું સંચિત રહ્યું. બસ જે ઉપર આવી તેમાં જેમ ભરતમુનીને હરણબાળ નિમિત્ત પાશવી વાસનામાં બન્યું તેમ કોઇ પણ નિમિત્ત પાશવી, માનુષી કે દૈવીમાંથી પ્રગટ થઇ અને સંચિત પ્રારબ્ધરૂપમાં ફેરવાઇ ગયું, ફલ નિશ્ચિત કર્યુ, ઇન્દ્રિયો આપી, અંતઃકરણ આપ્યું અને માનો કે ફરી પાછું જે કર્તા ભોક્તાએ શરીર સાધનથી કરેલો પુર્વનો પુરૂષાર્થ શરીર બન્યો, ફલ બન્યો એટલે કે વાસનાત્મક મન હતુ તે જ સ્થુલ શરીર આકારને પ્રાપ્ત થયું અને વળી આ પુર્વના પુરૂષાર્થથી મળેલ શરીરથી ફરી અપુર્ણ ઇચ્છાઓની પુર્તિ માટે પ્રયત્ન થવા લાગ્યો. પુર્વનો પુરૂષાર્થ આ વર્તમાન પુરૂષાર્થનું કારણ બન્યો અને વળી વર્તમાન પુરૂષાર્થ કાર્ય થયું વળી વર્તમાન કાર્ય પુરૂષાર્થથી પુરૂષ પ્રયત્ન પુરૂષાર્થ થવા લાગ્યો તો કાર્ય પુરૂષાર્થથી કારણ પુરૂષાર્થ થયો.

તેમ પિતાથી પુત્ર કાર્ય કહેવાય પરંતુ ફરી કાર્ય પુત્રથી કારણ પિતા પેદા થાય તે જ સંસારે આશ્ચર્ય છે. કારણ કાર્યને ઉપજાવે અને વળી કારણ કાર્યને ઉપજાવે તેમ સંસાર ચાલે છે તેમાં મુખ્ય કારણ કોને કહેશ? તેમાં પ્રથમના પુરૂષાર્થને કારણ કહો તો પછીનો પુરૂષાર્થ કે જે શરીર મળ્યું છે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે પુરૂષાર્થથી કાર્ય થયો અને વળી તેથી કારણ ઉભુ થાય તેમ પુરૂષાર્થ પુરૂષાર્થ જ છે. યોગવશિષ્ઠના મતે તેથી તેમાં પ્રારબ્ધને સ્થાન નથી આપ્યું પુર્વ પુરૂષાર્થ અને આજનો વર્તમાન પુરૂષાર્થ. હવે આપણે પ્રારબ્ધ વિશે વિચાર કરીયે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે શું? તો કહે જે પુર્વે પુરૂષાર્થ કરેલ છે તે માટે નિશ્ચિત થયેલું ફલ. આપણી અપુર્ણ ઇચ્છાઓ હતી, પુર્વે પુરી ન થઇ માટે અસંખ્ય વાસનામાં જેટલાને ઉત્તેજના મળી ફલ માટે. ગોદામ તો અનાજનું ઘણું ભર્યું છે પરંતુ તેમાંથી ખાવા માટે જે અનાજ લીધું તે પ્રારબ્ધ અને પછી તે જ ફલ માટે આ શરીરરૂપ સાધનથી પુરૂષાર્થ પુરૂષ દ્વારા થાય.

તેમાં ઇશ્વર સૃષ્ટિમાં ઘટના પરિસ્થીતી અનિવાર્ય છે. તેનું નામ જ સંસાર છે. પરિવર્તનશીલ પદાર્થોમાં પરિવર્તન થયા કરે. કોઇ દેશમાં કોઇ કાલમાં કોઇ વ્યક્તિને માટે કોઇ ઘટના પરિસ્થીતી હોય તેમાં આ સઘળી વસ્તુ સાપેક્ષ છે. પરંતુ ઘટના તે ઘટના છે. પરિસ્થીતી તે પરિસ્થીતી છે. તે ઘટના કે પરિસ્થીતીને વસ્તુના ખબર નથી, ઘટી છે તો જે ઘટના કે પરિસ્થીતીની સાથે જે વ્યક્તિએ સંબધ કર્યો તેની તે બની જાય છે. બની જાય છે તેમ કહેવું યોગ્ય નથી બનાવી લઇએ છીયે. મારી ઘટના મારી પરિસ્થીતી બસ તમે કર્તા -ભોક્તા થઇ ગયા. પછી પરિસ્થીતી અનુકુલ કે પ્રતિકુલ તે પણ પરિસ્થીતીને ખબર નથી. તે પણ તેની સાથે સંબધ રાખનાર વ્યક્તિનો માનસ ધર્મ છે. મનનું ચિંતન છે. બસ આ છે પ્રારબ્ધ. બસ આવી રીતે ઇશ્વર અંતરમાં સાક્ષીરૂપે માત્ર સત્તા હોવાની અને સ્ફુરવાની. જેમ સુર્યના પ્રકાશની સત્તામાં સઘળાં સંસારના જીવોને પ્રેરણા આપનાર બને છે અને સઘળા પ્રભાતે ખાનપાન ઈત્યાદી વ્યવહારમાં પ્રવૃત થાય છે તેમ.

ઇશ્વર પણ ક્યાંય બીજે ખુણે ખાંચરે મેડી બંગલામાં કે લોકમાં નથી પરંતુ તમારા જ અંતરમાં સાક્ષિ કૂટસ્થ જે તમારૂં સ્વરૂપ છે અને તેના જ્ઞાનના અભાવે જીવભાવ કર્તા-ભોક્તા અહંકારથી બસ જે ઇચ્છાઓ ઉત્પન્ન થાય તેવું તેવું કર્મ ક્રિયા કે પુરૂષ પ્રયત્ન કરતો રહે છે. અને પુર્વની ફલ આપવા માટેની વાસનાએ જે શરીર ઈન્દ્રિયો આપ્યાં છે તેની પણ અવધિ નિશ્ચિત છે કે આટલો સમય પચીસ પચાસ કે સો વર્ષ ઇત્યાદી અને તે પ્રમાણે કર્તા-ભોક્તા જીવ અહંકારથી સઘળું કરતો રહે છે અને કામમય પુરૂષાર્થ તથા અર્થમય પુરૂષાર્થની જ ક્રિયા થતી રહે છે. અને તેનું ફલ શરીર સુખ તથા સ્ત્રી પુરુષ સંયોગજન્ય સુખ પ્રાણ સુખ આ સંસારમાં બે છે તે પ્રારબ્ધથી નિશ્ચિત છે.

ધર્મમય પુરૂષાર્થ નથી, મોક્ષમય પુરૂષાર્થ નથી બસ, છુટેલા તીર જેવો નિશ્ચિત ફલ કે નિશાન વીંધે તેવા હોય છે. પ્રારબ્ધ એટલે છુટેલું તીર કે છુટેલી ગોલી અને તે નિશાન વિંધે અને આને જ આપણે પ્રારબ્ધ કીધુ. તો બીજુ દૈવ નિયતિ કોઇ ઇચ્છા નથી પરંતુ પરાણે કરાવે છે કોઇ નિયતી મને નિયમમાં રાખીને પરંતુ તું સ્વતંત્ર આત્મા પુરૂષ અને તને કોણ કરાવે? તો કહે હું જીવ છું તેથી કોઇ જે મારાથી સ્વતંત્ર છે ઇશ્વર તે કરાવે છે. પરંતુ તે ક્યાં બેઠો બેઠો કરાવે છે? તો માણસને ખબર નખી. બસ ઉપર નજર કરે, ઉપર ક્યાંક બેઠો બેઠો પરંતુ ઉપર ક્યાં? ક્યાંય નહીં. જે સર્વોપરી છે તે તો તારૂં સ્વરૂપ છે. કૂટસ્થરૂપમાં સાક્ષિરૂપમાં કેવલરૂપમાં તેનું મને અજ્ઞાન છે તેથી કોઇ નિયતિ. નિયતિ એટલે શું? તો કહે કોઇ મારે કાર્ય કરવું છે અને તેના કારણના નિયમોને વશ કે આધિન થઇ જવું તે નિયતિ. બસ જો અમારા જીવનમાં કોઇ કાર્ય નથી, ઈચ્છા નથી તો કારણ પણ નથી તો ત્યાં નિયતિનું બંધન ઢીલું તુરત થઇ જાય છે. પુર્વ દિશા તરફ જવું છે પરંતુ તે તરફ સ્થાને પહોંચતા અડચણ, મુશ્કેલી દુઃખ પણ છે, છતા ગયા વગર છુટકો નથી. તો નિશ્ચિત સ્થાન પર પહોંચી ન પણ શકાય અને પહોંચી શકાય તો ઘણી મુશ્કેલી, માટે નિયતિ.

પરંતુ જેને પુર્વ કે પશ્ચિમ દિશા નથી તેને માટે નિયતિ શું? પ્રારબ્ધ શું? દૈવ શું? તો હવે એક વાત વિચારશું કે જે શરીર વર્તમાને મળ્યું છે તેણે માનો ફલ નિશ્ચિત કીધું છે. અને તે કરાવે છે અને હું કરુ છું. તો આમાં બે પ્રકારની માન્યતા વાળા સંસારમાં છે. પુરૂષાર્થવાદી તથા પ્રારબ્ધવાદી. પુરૂષાર્થ તથા પ્રારબ્ધ વિષે તો ઉપર આપણે વિચાર્યું હવે કોણ પ્રબલ તેમાં પુરૂષાર્થ બલવાન કે પ્રારબ્ધ બલવાન? આપણી સમસ્યા પણ તે જ છે. અહીંથી આપણે પુરૂષાર્થ તથા પ્રારબ્ધ બંનેનો સ્વીકાર કરીને ચાલશું. કારણકે જે આપણને પરાણે કરાવે છે, ઇચ્છા નથી છતા દુઃખ ભોગવાવે છે તે દૈવને જોઇ શકતા નથી. ક્યાં બેઠું બેઠું ભોગવાવે છે તેને હું દેખતો નથી પરંતુ વર્તમાન ફલને આપનારો પુરૂષાર્થ જોઇ શકું છું કે મેં આ કર્યુ તેથી મને આ ફલ મળ્યું. હું ભોગવું છું. બસ જ્યારે અશુભ પ્રારબ્ધ ભોગવતા હોઇએ ત્યારે આપણને દૈવ કે નિયતિ જેવું કાંઇક છે. ઇચ્છા નથી છતા તે ભોગવાવે છે. પરંતુ ક્યાં બેસીને હુકમ કરે છે તે ખબર નખી. દૈવને દેખતા નથી. દેખતા હોઇએ તો જરૂર લાકડી કુવાડી કે બંદુક લઇ મારવા જઇએ, પરંતુ લાચાર છે ત્યાં. પરંતુ શુભ પ્રારબ્ધનું ફલ સુખ ભોગવતા હોઇએ ત્યારે પ્રારબ્ધ જેવું કે દૈવ જેવું લાગતું કે જણાતું નથી તે જીવ સ્વભાવ છે. પરંતુ આ વહેવારીક સંસારે જગતમાં શરીરધારી બનીને પછી રામ આવે કે કૃષ્ણ આવે, મહાવીર આવે કે બુધ્ધ આવે તેને સંસારના નિયમ સઘળાં લાગુ પડે. રામને વનમાં જવું પડે, સીતાનું હરણ થાય, રાવણ વધ થાય ઇત્યાદી. કૃષ્ણને પણ કોઇક વીંધે ઇત્યાદી ભિન્ન ભિન્ન કર્મનું ફલ. તેથી કર્મનો સિધ્ધાંત અહીંથી શરૂ થાય અવશ્યમેવ અને જે કર્મ મેં જ અજ્ઞાનવશ કરેલું છે મારૂં જ છે મારી જ ઇચ્છાથી દ્રઢ ચિંતનથી દ્રઢ થયેલ છે અને તે મારી જ પ્રકૃતિ બની છે. મારો જ સ્વભાવ બન્યો છે તેથી હવે અહીં આપણે શ્રીમદ્ ભગવદ ગીતાનો અ.5 નો શ્લોક 14મો જોશું

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ।।

પરમેશ્વર પ્રભુ કોઇપણ ભુત પ્રાણીઓનાં કર્તૃત્વને (કર્તાપણાને) કે ન કર્મપણાને કે ન કર્મફલના સંયોગને સર્જતો નથી, રચના કરતો નથી. પરંતુ પરમાત્માના સત્તા સામાન્યપણામાં રહીને પ્રકૃતિ સ્વભાવ જ પ્રવર્તે છે. તો અહી જેને આપણે દૈવ કહીયે છીયે તે તો અહી નીકળી જાય છે કે હું કોઇને કર્તૃત્વ પણ આપતો નથી કહેતો પણ નથી કે તું આમ કર કે તેમ કર વળી હું કોઇના પાપ કે પુણ્યરુપ જે શુભાશુભ કર્મ સદ્‌ગુરુ તેનું પણ સર્જન કરતો નથી અને કર્મથી કે પુરૂષાર્થથી ઉપજેલું ફલ અને તેનો કર્તા ભોક્તા જીવની સાથે સંયોગ કે આ સારુ છે ફલ આ ખરાબ છે ફલ પછી સુખ તથા દુઃખરુપ ફલનો સંયોગ તો પછી શું છે? તેમાં કોણ જવાબદાર છે? તો બતાવ્યું કે વ્યક્તિનો સ્વભાવ પ્રકૃતિ જવાબદાર છે. તો વિચારશું કે પ્રકૃતિ કોની? તો કહેશું મારો સ્વભાવ કોનો તો કહે મારો. તો સ્વભાવ જીવાત્માનો કર્તાભોક્તાએ પહેલા એવો ભાવ પેદા કર્યો. સંકલ્પ કર્યો, ઇચ્છા કરી કે મને આ મળે. હું આ વસ્તુને પ્રાપ્ત કરું. તે કર્તૃત્વ ઉભુ થયું અને વિષયનું ચીંતન ચાલ્યું. સતત રાત દિવસના તે ચિંતનને લઇને પછી જેમ ભમરીના ડંખથી ઇયળ ભમરીનું ચિંતન કરીને ભમરી થઇ જાય. પાંખો આવે અને બદલાઇ જાય તેમ વ્યક્તિ ચિત્તથી જે વિષયનું સતત રાતદિવસ ચિંતન કરે તેવે આકારે વૃત્તિ થઇ જાય. પછી વૃત્તિ સારૂપ્યપણામાં પુરૂષ પણ પુરૂષ રહેતો નથી વૃત્તિને આકારે બનીને તદરૂપ થઇને વહેવાર કરવા લાગે છે અને આ ચિંતન જે પ્રકૃતિ બની સ્વભાવ બન્યો તે જ દૈવ થઇ ગયું. નિયતિ થઇ ગઇ.

ત્રીગુણાત્મક પ્રકૃતિને લઇને તે તે ગુણોના ચિંતનથી તેવી વ્યક્તિ થઇ જાય છે. પછી આપણે કહીયે છીયે કે કોઇ હ્રદયમાં બેઠો બેઠો કરાવે છે. કારણ કે તે ચિંતન બદલવામાં કાયરપણું આવી ગયું. પરવશપણું આવી ગયું. આ છે પ્રારબ્ધ તથા ફળ જે ભોગવવું પડે છે અને પરવશ તથા કાયર બનાવે છે. શુરવીરને કાયર કરે, દયાળું ને નિર્દય કરે, સંતોષીને લોભી કરે, ક્ષમાશીલને ક્રોધી બનાવે. અહીં જે મને કોઇક ચલાવે છે તેમ હું ચાલું છું તેમાં દુર્યોધન પણ તેમ કહે છે. શ્લોક નથી લખતો ભાવાર્થ જણાવું છું. તેને ખુબ મોટા મોટા જ્ઞાની ભીષ્મ, વિદુર તથા વ્યાસ જેવા સમજાવતા કે તું અઘર્મ છોડ, ધર્મને ગ્રહણ કર ત્યારે દુર્યોધન કહે છે કે તમે મને જે કહો છો તે હું સમજુ છું પરંતુ અધર્મને પણ જાણું છુ કે આ અધર્મ છે અને ધર્મને પણ જાણું છુ કે આ ધર્મ છે પરંતુ અધર્મને છોડી શકતો નથી અને ધર્મને ગ્રહણ કરી શકતો નથી કારણકે મારા હ્રદયમાં બેઠેલો કોઇ મને પરવશપણે કરાવે છે અને જે કરાવે છે તે હું કરુ છું.

વિચાર કરશુ તો મહાભારતમાં શ્રીમદ્ ભગવદગીતામાં દુર્યોધનને આતતાયી કીધા છે કે જે પાપીમાં પાપી હોય અને સમાજમાં જેને જીવવાનો અધિકાર નથી તેવી વ્યકિત કહેવાય. કારણ તે જીવે ત્યાં સુધી અનર્થ જ કરવાના છે તેથી તેનો નાશ યોગ્ય જ છે તેમ ધર્મશાસ્ત્ર કહે છે. તો યુધિષ્ઠીર તેવા શબ્દો બોલ્યો નથી. તે તો કૃષ્ણને જ સહારે ચાલતા હતો. કોણ ડાહ્યો યુધિષ્ઠીર કે દુર્યોધન? દુર્યોધન પણ કર્તૃત્વ કરતો નથી. તે પણ કહે છે કે કોઇ દૈવ અંદર બેઠું બેઠું પ્રેરણા જેવી અધર્મની કે ધર્મની કરે છે તેવું હું કરૂ છું. શું કહેવું આ પણ સ્વીકાર દૈવનો છે ઘણા તેવા આવો દૈવનો સ્વીકાર કરીને ચાલતા હોય છે. તો સઘળા આપણા સુખ દુઃખ કે શુભાશુભ કર્મ કે તેનું કર્તૃત્વ ઇત્યાદીમાં આપણો અહંકાર જ સ્વભાવ જ ચિંતન જ કારણરૂપ છે. તેથી આપણો આપણા સુખ દુઃખમાં કોઇને નિમિત્ત બનાવીયે છીયે. સંસાર સઘળો નિમિત્તનો છે. નિમિત્ત ન હોય તો સંસાર નથી. તેથી નિમિત્ત તો કોઇને કોઇ રહેવાનું છે. પરંતુ જ્યારે કોઇ સુખ કોઇ નિમિત્ત દ્વારા આવે છે ત્યારે તે નિમિત્તમાં આપણે રાગ ધરાવીને ખુશી મનાવીયે છીયે. અને જ્યારે દુઃખ કોઇ નિમિત્ત લઇને આવે છે ત્યારે તે નિમિત્તમાં આપણે દ્વેષ કરીને ધૃણાને પેદા કરીયે છીયે. પછી તે તે સુખ દુઃખના નિમિત્તથી રાગ દ્વેષની વૃધ્ધિ થાય. હેય ઉપાદેયની ભાવના વધતી ચાલે ફરી ફરી રાગ દ્વેષથી ધર્મ અધર્મના સંસ્કાર પાપ તથા પુણ્ય અને તેનું ફલ સુખ તથા દુઃખ. બસ આ અનંત સંસાર ચક્ર ચાલતું રહે છે. જીવાત્મા પોતાના કર્તૃત્વ અભિમાને કર્મ કરતો રહે છે અને કરેલા કર્મના ફલ પ્રારબ્ધને ભોગવતો રહે છે. તેથી પુરૂષાર્થ તથા પ્રારબ્ધ તેમ સંસાર ચાલે છે. તેમાં આપણા સુખ દુઃખમાં આપણે જ જવાબદાર છીયે.

બીજાને નિમિત્ત બનાવશુ તો તે વધતા ચાલશે નિમિત્ત સામે ઝઘડો કરશું તો પણ હું જ સઘળાના કારણરૂપે છું. દુઃખ છે તો શાથી આવ્યુ છે? તો કહે મારા અજ્ઞાનથી, મારી અવિદ્યાથી, મારા કર્તૃત્વથી, મારા અહંકારથી બસ વિશ્રાંતી થઇ ગઇ, હું જ કારણરૂપ છું. તો કોને ક્યાં નિમિત્તમાં રાગ કરવો સુખના કે દુઃખનામાં દ્વેષ કરવો. રાગ દ્વેષના કારણો જ નહીં રહે. હું જ મારા કાંટાના કારણરૂપ છું. મે જ ચાલવામાં વિચાર ન કર્યો. નજર ન રહીને ઉંચુ મોઢું રાખીને ચાલ્યો અને ભુમી કાંટાળી હતી, પગમાં ખુંચી ગયો, ખુબ ઉંડે બેઠો, ચાલવું મુશ્કેલ થયું. તેમાં તે કાંટામાં કે કાંટો લાગવામાં આપણે કોને નિમિત્ત કહેવું? અને ખોટું ચિંતન ન કરતાં ત્યાં જ બેઠા છે ત્યાં જ ત્યાંથી બીજો કાંટો લઇને કાંટો કાઢવા પ્રયત્નશીલ બની જવું જોઇએ. અથવા ક્યારેક આપણે ન પણ કાઢી શકીયે તો કોઇ દયાળું વ્યક્તિનો સમાજમાં અભાવ નથી. તે યુક્તિ બતાવશે, હિંમત આપશે અને તેને દુર કરવો. એવું મારા સ્વતંત્ર ચિંતનથી સમજાયું છે અને સુખી થયો છું. આ જ સમજણ છે આ જ વિવેક છે.

હવે પુરૂષાર્થ તથા પ્રારબ્ધવાદીયો છે તેનો પણ વિચાર કરીશું. કારણ કે વિષય આ એવો છે કે આ વિશ્વના જીવોની સમસ્યા છે અને તે અનુભવ તથા સાચી સમજ વગર માત્ર ખોટા સ્વીકારથી હલ થાય તેમ નથી. તેથી પુરૂષાર્થવાદી પુરૂષાર્થને જ મહત્વ આપે જેમ યોગવશિષ્ઠ આપે છે તેમ તેણે પ્રારબ્ધને જ ઉડાડી દીધું છે. પુર્વજન્મનો તથા આ જન્મનો બંને પુરૂષાર્થ છે. ફલ પણ સારુ નરસુ સામે અનુભવીયે છીયે. પરંતુ પ્રારબ્ધ ક્યાંય દેખાતુ નથી તેથી પ્રારબ્ધ છે જ નહીં આ અજાતવાદનો મત છે. હવે રામ ચરિત માનસનો એક સુંદર પ્રસંગ છે જેમાં પુરૂષાર્થ તથા પ્રારબ્ધ બંનેનો વિચાર છે અને તેમાં બળવાન કોણ છે તે પણ બતાવ્યું છે. જોઇએ રામ ચરિત માનસ – સુંદરકાંડઃ- ભગવાન રામચંદ્રજી વાનર સેના સહિત સમુદ્રને કિનારે બેઠા છે. ત્યાં વિભિષણ પણ રાવણે અપમાન કર્યુ અને રામને શરણે આવ્યાં. વિભિષણની પણ ઇચ્છા હતી કે રાવણનું ચોક્કસ મૃત્યુ છે તો હું રામને શરણે જાઉં અને લંકાનું રાજ્ય મળે અને વિભિષણ શરણે આવ્યો અને તેને લંકેશ કહીને જ રામચંદ્રજીએ બોલાવ્યો અને વાનરસેનાની મધ્યે રાજ-તિલક કર્યું. લંકાનો રાજા રાવણ જીવતાં જ બનાવ્યો. હવે રામચંદ્રજી મંત્રીઓ સહીત સમુદ્ર કિનારે બેઠા છે ત્યારે સમુદ્રની સામે પાર જવું છે શું કરવું તેની સલાહ સુગ્રીવ તથા વિભિષણ પાસે માગે છે કે શું કરશું, આ સમુદ્ર ની સામે પાર કઇ રીતે જઇશું? જોઇએ ચોપાઇઃ-

સુનુ કપીશ લંકાપતી વિરા, કૈસી વિધી તરીયે જલધી ગંભીરા
સંકૂલ મકર ઉરગ ઝષજાતી, અતી અગાધ દૂસ્તર સબ ભાંતી
કહે લંકેશ સુનહું રઘુ નાયક, કોટી સિંધુ સોષક તવ સાયક
જદપિ તદપિ નિતી અસ ગાઇ, વિનય કરીએ સાગર સમજાઇ

દોહરોઃ-
પ્રભુ તુમ્હાર કૂલ ગુરૂ જલધિ, કર હી ઉપાય વિચારી
વિનું પ્રયાસ સાગર તરીહી ,સકલ ભાલુ કપિ ધારી
સખા કરી તુમ નિકી ઉપાઇ, કરીએ દૈવ જો હોય સહાઇ
મંત્ર ન યહ લછીમન મન ભાવા,રામ બચન સૂની અતી દુ:ખ પાવા
નાથ દૈવ કર કવન ભરોસા, સોષીય ?સિંધું કરીયે મન રોસા
કાદર મન કહું એક આધારા, દૈવ દૈવ આલસી પૂકારા
સૂનત બીહસી બોલે રઘૂવિરા, એંસે હીં કરબ ધરહું મન ધીરા
અસ કહી પ્રભુ અનુજ હી સમુજાઇ, સિંધુ સમીપ ગયે રઘૂરાઇ
પ્રથમ પ્રણામ કિન સીરુ નાઇ, બેઠે પુનિ તટ દર્ભ ડસાઇ

અહીં ભગવાન રામચંદ્રજી એ સુગ્રીવ તથા વિભિષણ ને મંત્ર સલાહ પૂછી કે હે સુગ્રીવ હે લંકેશ કેવી રીતે આ ઉંડા ગંભીર સાગર ને તરશું? તેમા ઘણા મગરમચ્છ હિંસક જંતું પણ છે? અને તરી ન શકાય તેવો છે તો શુ કરશુ? ત્યારે સુગ્રીવ તો કાંઇપણ બોલ્યા નથી પરંતુ વિભિષણ પ્રારબ્ધવાદી હતો તેણે રામને સલાહ આપી કે હે રઘુનાથ સાંભળો મારી વાત, તમારા ધનુષબાણમાં એવી તાકાત શકિત છે કે આ સમુદ્ર તો શુ પરંતુ તેવા કરોડો સમુદ્ર ને શોષી શકે છે. છતા પણ ધર્મશાસ્ત્રોમા એવી નિતી ગાઇ છે કે આપણે સમુદ્ર પાસે જાવુ જોઇએ અને તેને વિનય પ્રાર્થના કરીએ. વળી સાગર તો તમારો કુલગુરુ છે કારણકે સગર રાજા થી સાગર થયો છે અને તમે તે કૂલમા જન્મયા છો, તેથી તેને વિનય પ્રાર્થના કરશુ એટલે તે પ્રસન્ન થશે અને આપણને તે ઉપાય બતાવશે કે આવી રીતે કરો. તેમ આપણે કરશુ અને પ્રયત્ન વગર સાગર સેના સહિત પાર જઇશુ.

આ છે વિભિષણનો પ્રારબ્ધવાદ. રામચંદ્જીને સલાહ આપે છે કે, સાગર દેવને વિનય પ્રાર્થના કરીને મનાવી પ્રસન્ન કરો પછી તે કહેશે તેમ કરશુ, તો વિના પ્રયત્ને અહી પ્રારબ્ધ આવ્યુ. વિના પ્રયત્ન કર્યા વગર ફલ જોઇએ છે આ પ્રારબ્ધવાદી નો સ્વિકાર છે. મારૂ છે તે મને વિના પ્રયત્ને મળવાનુ છે તો જો તેમજ હોય વિના પ્રયત્ને જ બધુ મળતુ હોય તો પછી પુરૂષાર્થનુ શુ? તો કહે આળસુ થઇને પડયુ રહેવુ નહી પણ પુરૂષનો પ્રયત્ન અને ઇશ્વરકૃપા બંન્નેનાં સંયોગ થી બને છે અને તેમ જ હોવુ જોઇએ. પુરૂષનો પ્રયત્ન હોય અને ઇશ્વરકૃપાહોય ત્યારે સઘળા ફલો સન્મુખ આવી ને ઉભે છે. ને જેને દેવ કહીએ છીએ કે ઇશ્વર કહો સ્વભાવમાં કે નિયતિમાં સઘળામાં પુરુષાર્થ રૂપમાં તે જ છે. તેથી તેવા પ્રારબ્ધવાદ માં પણ દોષ નથી આવતો. પરંતું અહી વિભિષણ પ્રારબ્ધવાદી છે અને ભગવાન રામચંદ્રજી પુરુષાર્થ તથા પ્રારબ્ધ બંને નો સ્વિકાર કરે છે. તેમાં પ્રારબ્ધ ને ગૌણ માને છે અને પુરુષાર્થ ને પ્રધાન માને છે.

ત્યાંરે લક્ષ્મણ એકલા યોગ વશિષ્ઠ માફક પુરુષાર્થ વાદી છે અને વિભિષણ ની વાત નો સ્વિકાર કરીને વિભિષણનું કીધુ રામચંદ્રજી કરે, સખા તેં ઉપાય ઠીક બતાવ્યો આપણે તેમજ કરીશું જો ભાગ્ય દૈવ સહાય કરે તો તેમ કરીએ પરંતું પુરુષાર્થવાદી લક્ષ્મણ ને વિભિષણ ની સલાહ ના ગમી. રામચંદ્ર એ તેનો સ્વિકાર કર્યો તેમાં લક્ષ્મણ ને દુ:ખ થયું કે શું આ મોટા ભાઇ ને કહેવું કે જૈ દૈવ નો આશ્રય લીએ છીએ અને સમુદ્ર પાસે વિનય પ્રાર્થના કરવા કે તે તેમ પ્રસન્ન થાય તેથી લક્ષ્મણ થી રહેવાયું નહીં અને રામચંદ્રજી ને કહ્યું કે હે નાથ વિભિષણ ની સલાહ માનવા જેવી નથી. દૈવ ઉપર નો શું વિશ્વાસ? ક્યાં છે? કોણે દીઠુ છે? આપ ધનુષ્ય બાણ ઉઠાવો કરો રોષ અને સિંધું ને શોષી લ્યો, સુકવી નાખો. આંસુ પાડ્યે કે પ્રાર્થના કરીએ તે જવાબ નહીં આપે. દૈવ શબ્દ તો આળસુ એ ઉપજાવી કાઢેલ છે. ઉદ્યમી કે પુરુષાર્થી નો તે શબ્દ નથી. કાયર તથા આળસુ છે તેણે તે શબ્દ ઉપજાવ્યો છે. અને તે આપડા ભાગ્ય માં હશે તો મળશે તેમ પોકારતા હોઇએ છીએ. ભગવાન રામચંદ્રજી એ લક્ષ્મણ ને સમજાવી ને સમુદ્ર કિનારે ગયા અને ત્યાં ડાભ નું આસન બિછાવી ને તે પર ત્રણ દિવસ સુધી પ્રાર્થના વિનય કર્યા પણ કંઇ જવાબ ન મળ્યો. ભગવાન રામચંદ્રની એ પહેલા સમુદ્ર ને પ્રણામ કર્યા પછી આસન પર ત્રણ દિવસ અને ત્રણ રાત્રી બેઠા વિનય પ્રાર્થના કર્યા કરી, પરંતું નિષ્ફલ પછી લક્ષ્મણ ને કીધું. દોહરો 57 મો

વિનય માનત જલધિ જડ, ગયે તીન દિન બીતી
બોલે રામ સંકોપ તબ, ભય બીનું હોય ન પ્રિતિ

જ્યારે વિનય પ્રાર્થના ત્રણ દિવસ કર્યા અને ન જવાબ મળ્યો ત્યારે ક્રોધ કરી ને લક્ષ્મણને કીધું ભય વિના પ્રિતી થતી નથી, હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવ.

લછિમન બાન સરાસન આનું, સોષૌ બારીધી બિસીખ કૃસાનુ
શઠ સન વિનય કુટીલ સન પ્રિતિ, સહજ કૃપન સન સુંદર નિતી
મમતા રત સન જ્ઞાન કહાની, અતી લોભી સન વિરતી બખાની
ક્રોધી હી રામ કામી હી હરી કથા, ઉસર બીજ બોયે ફલ જથા
અસ કહી રઘુપતી ચાપ ચઢાવા, યહ મત લછીમન કે મન ભાવા
સંધાને પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદધી ઉર અંતર જ્વાલા
મકર ઉરગ જષગણ અકુલાને, ઝરત જંતુ જલનિધી જબ જાને
કનક થાળ ભરી મની ગન નાના, વિપ્ર રૂપ આયઉતજી માના

દોહરોઃ-
કાટેહી પઇ કદલી ફરઈ, કોટી જતન કોઉ સિંચ
વિનય નમાન ખગેશ સુનુ, ડાટેઇ પઇ નવ નીચ

હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવ. હમણા જ અગ્ન્યાસ્ત્ર બાણ થી સમુંદ્ર ને શોષી લઉં. શઠ ની આગળ વિનય નકામો છે. મુર્ખ ન માને કુટી , કપટી કૂડ, કપટ વાળા પાસે પ્રિતિ શું? સહજ જે કૃપણ છે તેની આગળ સુંદર નિતિ ની વાતો નકામી છે. ક્રોધી ની આગળ સમાધાન ને સમજણ ની વાતો નકામી છે, કામી ની આગળ હરિકથા નકામી છે. આ ઉસર ભૂમિ માં બીજ વાવવા જેવું છે. તેમ કહી ને ધનુષ ઉપર બાણનું સંધાન કર્યુ. પુરુષાર્થ બતાવ્યો કે સમુદ્ર મા લાય લાગી, જીવ જંતુ ઓ બળવા લાગ્યા, ત્યારે સમુદ્ર જાણ્યુ કે બહુજ ખોટુ થાય છે. મારો મહીમા ખતમ થશે. વિચાર કરી ને સોના ના થાળ માં મણી માણેક ભરી ને બ્રાહ્મણ રૂપ માં પોતાનુ અભિમાન છોડી ને રામ ને શરણે થયો. જેમ કેળ ને કાપીએ તો જ તે ફલે પરંતું કરોડો પ્રકારે પાણી પાવ પણ કાપ્યા વગર ફલે નહી તેવી રીતે નીચ વ્યકિત છે તે તે શાસન થી જ નમે. રામચંદ્રજી નું પુરુષાર્થ તથા પ્રારબ્ધ બન્ને નો સ્વિકાર ખરો, પરંતું પુરુષાર્થ ને પ્રાધાન્ય આપ્યું તેથી પુરુષાર્થ તથા પ્રારબ્ધ બન્ને નો સ્વિકાર કર્યા વગર સંસારમાં છુટકો નથી. કોઇ પ્રારબધ ને અધીક પ્રાધાન્ય આપે કોઇ પુરુષાર્થ ને. પરંતું સ્વિકાર તો કરવો જ પડે કારણ કે વ્યકિત જો જીવ કર્મ કરવામાં ?સ્વતંત્ર છે તેમ જો ફલ માં સ્વતંત્ર હોત તો કોઇ દુ:ખી જણાત જ નહી. નરસિંહ મેહતા કહે છે…

હું કરૂ હું કરૂ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે
સૃષ્ટિ મંડાણ છે સર્વ તેની પરે, જોગી જોગેશ્વરા કોઇક જાણે
નીપજે જો નરથી તો કોઈ ના રહે દુ:ખી, શત્રુ મારી ને સૌ મિત્ર રાખે
રાય ને રંક કોઇ નાવે દ્રષ્ટિ પરે, ભવન પર ભવન પર છત્ર દાખે
ઋતુ લતા પત્ર ફલ ફૂલ આપે થયા, માનવી મુર્ખ મન વ્યર્થ સોચે
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તેજ પહોંચે

ઈશ્વરદાસ હરિરસમાં કહે છે..

નરરચી હોવે નહીં, હરિ રચે વે હાલ
ઇન્દ્રાસન લેતા બલી, પેંઠ ગયો પાતાલ
સીતા લેતા કુળ સહીત, લંકા દશ શિશ ખોઇ
રંડાણી મંદોદરી, હરિ કરે સો હોઇ

શ્રીમદ્ ભાગવતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે કે હે અર્જુન તારો કર્મ માં અધિકાર છે. ફલ કે જે પરિણામ છે તે ઇશ્વર પર, મારા પર છો॰. તેથી આપણે વિચારવું જોઇએ આ સઘળું ઇશ્વર ની સત્તા વ્યાપક છે, તેથી ચાલે છે. કર્મ જડ છે તે પાપ પુણ્ય ના ફલ જીવાત્માને સુખ દું:ખ ની વ્યવસ્થા ન કરી શકે કે આપી શકે. ચેતન થી જ બને જે પૂર્વમીમાંસાએ કર્મ વાદ પ્રગટ કર્યો છે. જે કર્મ જ સંસાર માં પ્રધાન છે અને જેવું જે કરે તેને તેવું ફલ આપે પરંતુ શંકરાચાર્ય અને મંડનમિશ્ર ના શાસ્ત્રાર્થ માં ઇશ્વર નો સ્વિકાર મંડન મિશ્ર ને કરવો પડ્યો. કર્મ વાદ નો પરાજય થયો.

તો હવે આપણે શું કરવું પ્રારબ્ધ નો પ્રતિકાર કરવા માટે? કારણ કે પ્રારબ્ધ બે પ્રકારનું છે. શુભ તથા અશુભ. તેમાં શુભ તો બહુજ પ્રિય લાગે છે પરંતું અશુભ નો પ્રતિકાર કરતા રહીએ છીએ અને તેમ છતા દુર થતુ નથી તેનું કારણ તે છે કે શિયાળા ની રૂતુ છે અને પછી ઠંડી ની નિવૃતિ માટે ટાઢે પાણી એ સ્નાન કરીએ છીએ. પરંતું અશુભ પુરુષાર્થ કર્મ છોડતા નથી તેથી પાપ કર્મ ચાલું છે તો કેમ દુર થાય? માટે અશુભ ને શુભ પુરુષાર્થ થી જીતી શકાય છે અહી થી હવે મોક્ષમય પુરુષાર્થ ની વાત કરશું કારણ કે સંસારમાં તો ચક્ર છે અને ક્યારે પણ સમાપ્ત થવાનુ નથી. અંહકૃત ભાવ થી કર્મ કરતો રહે, ક્રિયમાણ થી સંચિત થતુ રહે, સંચિતમાંથી પ્રારબ્ધ થતુ રહે, વળી પ્રારબ્ધ શરીર થી ક્રિયમાણ વળી સંચિત વળી પ્રારબ્ધ તેમ ચક્ર ચાલતુ રહે છે. કારણ કે જેમ કુંભાર પોતે માટી ના વાસણો બનાવે છે અને ચાકડો ફરે છે પરંતું જ્યારે ચાકડો ધીમો પડે ત્યારે ફરી દંડ થી ગતી આપે છે અને ફરતો રહે છે. જો ગતી દંડ દ્વારા અપાતી બંધ થઇ જાય તો ધીમે ધીમે ચાકડો બંધ થઇ જાય છે. તેમ આ સંસારમાં પણ જીવાત્માનો અહંકૃત ભાવ છે તે શરીર રૂપી સંસાર ચાક નું દંડ છે અને તે પણ મનુષ્ય શરીર માં બને છે. પછી તે લક્ષ ચોરાસી ના નવા નવા શરીર માટલા બનતા રહે ફરી વળી માનવ તન મળે ત્યારે વળી હું કરૂ તેવા કર્તુત્વ ભાવથી કર્મ કરે અને ચાકડા ને ગતી મળી જાય છે અને ફરતો રહે તે ક્રિયમાણ, સંચિત છે વળી પ્રારબ્ધ તેમ ચક્ર ફરતું રહે. આ ચક્ર ના અંત માટે શું કરવું જોઇએ? કે જે પુરુષાર્થ એવો ક્યો કરવા માં આવે કે જેથી ફરી પાછું પ્રારબ્ધ ન બને અને ફરી પુરુષાર્થ એવો એક થાય કે જેથી પુરુષાર્થ પણ ફરી ન કરવો પડે અને પુરુષ પુરુષ રહી જાય અને અર્થ અર્થ રહી જાય. અને આવું બને ત્યારે તેવા પુરુષ ને કૃતાર્થ કહેવાય કે હવે જે અર્થ ની પ્રાપ્તિ કરવી હતી તે કરી લીધી કૃત અર્થ થઇ ગયો. હવે કાંઇ પણ પ્રાપ્તિ જેવું નથી તો તેવો અર્થ ક્યો છે કે જે અર્થ ની પ્રાપ્તિ પછી કૃતાર્થ થવાય છે? તો તેવો અર્થ છે, પરમાર્થ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા. સચ્ચિદાનંદ ?સ્વરૂપ આ પરમ અર્થ છે અને તે પરમ અર્થ ને પ્રાપ્ત કર્યા પછી જીવ કૃતાર્થ થઇ જાય છે. જીવ નું જીવ પણું રહેતું નથી. શિવોહં શિવોહં શિવોહં નો ધ્વની સહજ અંતર થી ઉઠી નીકળે છે.

તો આપણે જોયું કે પુરુષ પુરુષાર્થ કરે છે. તેમાં ત્રણ પ્રકાર નો જે પુરુષાર્થ છે તે તો સાંસારીક ફલ આપનારો છે. તેથી તેમા તો ક્યારેક ધર્મમય પુરુષાર્થ થકી દેવ લોક ઇત્યાદી ઉપર નાં લોકમાં – ઓછે વધતે મન ની ઇચ્છા ના અભિઘાત ઓછા થાય છે, સિધ્ધિઓ ઇત્યાદી થી મન પ્રસંન રહે છે. પરંતું તેમા પણ ભય પૂર્ણ છે. વિષયો જ, તે પણ છે અને અધિક વિષયો માં મન લાગવા થી ફરી નીચે અધો માં ઉતરતું ચાલે વળી મનુષ્ય, વળી પશુ પક્ષી, વળી સ્થાવર તેમ ત્રણે પુરુષાર્થ થી સાંસારીક ચક્ર ફરતું રહે છે. પરંતું મનુષ્યત્વ મળવું, મુમુક્ષુતા પ્રગટ થઇ અને વળી કોઇ અનુભવી સંત નો સમાગમ મળવો અતી દુર્લભ છે. તે કંઇ જન્મ ના પોતાના ગૃહસ્થાશ્રમ માં જ રહે તે રહેતે આશ્રમ ધર્મ નુ પાલન કરતે કરતે એવી મતિ પ્રગટ થાય કે હું એક આદર્શ ગૃહસ્થ બનું. હું એક પવિત્ર ગૃહસ્થ બનું. ગૃહસ્થ તો વારંવાર બનીએ છીએ. કુતરા બિલાડા પણ સજોડે રહે છે. આપણે માણસ છીએ એટલે ઘર, મકાન, બંગલા બાંધીએ, કુતરા બિલાડા બાંધેલા મકાન માં જ રહે. તે પણ ગૃહ?સ્થ જ છે. પરિવાર ઉભો કરે છે. ખાય છે , પીવે છે , સુવે છે.

બસ અહીં એક પવિત્ર ગૃહસ્થાશ્રમમાં આદર્શ ગૃહસ્થ બનવાથી ગૃહસ્થાશ્રમમાં પણ દિવ્યતા આવતી જાય છે. સારા સુઘડ સંતનો અને અતિથિનો સત્કાર ગૃહસ્થાશ્રમ નો મુખ્ય ધર્મ છે. તેવા જ્યારે અતિથિ સત્કાર જે ઘર માં હોય ત્યાં સંતો નું આગમન થતું રહે, પુણ્ય સંચિત થતું રહે અને અન્નપાન, આવેલા ને આદર માન મળે, સંતોના આશિષ વચનો વર્ષતા રહે અને તેવા સંતોમાં પણ ઘણા સંતને સેવતા કોઇ ઝવેરી મળી જશે ત્યારે બેડો પાર થઇ જશે. મુમુક્ષતા પ્રગટ થશે અને ધીમે ધીમે પરમાર્થ બુદ્ધિ પેદા થશે. વિચારો માં ક્રાતિ આવશે. પોતાના જીવન તરફ દ્રષ્ટિ થશે. સમાજ દર્શન થશે. કોણ ભાગ્યવાન અને કોણ અભાગી? કોણ સુખી અને કોણ દું:ખી? કોણ પરમ સુખી? તેનો પણ વિવેક પ્રગટશે. અને માનવ સાથે કે વિશેષ પુરુષો સાથે જીવન ની તુલના કરવાનો ને મેળવવાનો વિચાર થશે ત્યારે સમજાશે કે તે વિષેશ કેમ? અને હું હીણો કેમ? તુરત અંતર ની ચેતના જાગી ઉઠશે. કારણ ની ખોજ થશે, તે પણ માનવ છે હું પણ માનવ છું. હાથ, પગ, મન, બુધ્ધિ ઇત્યાદી અવયવો પણ તેના જેવા જ છે. ક્યા ભૂલ થાય છે તે સમજાશે. કંઇક ગલત રસ્તો પક્ડયો છે. જે શરીર કે તન મન નો જ્યા જે રીતે ઉપયોગ થવો જોઇએ તે રીતે ત્યાં કર્યો નથી. બસ હવે હું પણ તેમ જ વર્તીશ અને મુમુક્ષતા પૂર્ણરૂપ માં જાગૃત થશે અને તમારૂ પ્રારબ્ધ મોક્ષમય પુરુષાર્થ માં લાગી જશે.

ગુરૂ આપણો અધિકાર જ ગોતી આપે છે. મહાપુરુષોનો સમાગમ મળી જશે પરંતું પૂરાના સંસ્કાર પૂર્ણરૂપ માં બળવત્તર પડેલા છે. આપણા પૂણ્ય સંસ્કારે મુમુક્ષતા પણ પેદા કરી દી,ધી પરંતું સંસ્કાર જે પૂરાના છે તે પણ પૂર્ણ રૂપમાં સામે યુધ્ધ કરશે. આ સઘળાનો પરાજય કરવો છે તો મન ને બાંધવું કઠીન છે. સમુદ્ર મંથન કરવું છે તેમાથી ઘણી ચીજો નીકળશે. સંસારે જે રત્ન મનાયું છે પરમાર્થ નહીં અને અમૃત ની ઇચ્છા તો છે, પરંતું ઝેર પ્રથમ નકળશે અને છતા સમુદ્ર મંથન વખતે સાગર નું ઉંડાણ છે. મેરૂ રવાયો સ્થિર નહીં રહે તેને કોઇ આધાર જોશે. નહીંતર ડૂબી જશે, તો સંસારસમુદ્રમાં રહી ને જ સાધના કરવી છે. આસુરી દૈવી વૃત્તિઓનું યુધ્ધ છે. દૈવી કહે હું અમૃત સુખ પી લઉ છું. આસુરી કહે તમે નહીં હું જ પીશ. તે સમયે બન્ને બાજુ થી તમારા મન રૂપી રવૈયા ને ખેંચશે તમારૂં મન બન્ને બાજુ ફરતુ રહેશે. સંભવ ફરી ડૂબી જાય માટે તેને જેમ વિષ્ણુ એ એક હાથ મેરૂની માથે રાખ્યો અને બીજા રૂપે કાચબો થઇ ને પીઠ પર ધારણ કર્યો તેમ આપણા મન ને પણ ક્યાય આધાર મળવો જોઇએ. અને તે છે સદ્ગુરૂ તથા શાસ્ત્રો બે સાચા આધાર છે મન ને બાંધવાના. મન સદ્ગુરૂ ના વચનમાં અને આધ્યાત્મ શાસ્ત્રોમાં લાગ્યું રહેશે તો ત્યાંથી છુટું નહીં થઇ શકે. પરંતું તેને પૂર્ણ રૂપ માં બાંધવું પડે. કારણ શાસ્ત્રો માં મન તો બાંધશું પણ શાસ્ત્રો ના જે રહસ્યો છે તે સમજવા કઠીન છે. ક્યું શાસ્ત્ર શું કહેવા માગે છે? શાસ્ત્રનો પ્રણેતા તો નથી તેથી આપણે તો સીધ્ધો વાચ્યાર્થ કાઢશું. લક્ષ્યાર્થ રહી જશે અને શબ્દ નો ગલત અર્થ પણ થવાનો સંભવ છે તેથી વેદ કે શાસ્ત્રો પણ ગુરૂ વગર સમજાતા નથી. અમે એક જગ્યા એ બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી. એક સંત પણ સમાજ માં પ્રખ્યાત પછી સનાતન શબ્દ છે તે શું? તેનો અર્થ શું? તો તે સંતે તેનો અર્થ કર્યો કે છ નાં તન તે સનાતન. તેનો જે સનાતન શબ્દ છે તેમાં સનાતન તે સનાતનનો ક્યાં છ તન? તો કહે બ્રહ્મા, બ્રહમાણી, વિષ્ણુ, લક્ષ્મિ, શંકર, પાર્વતી આ છ નાં તન તે સનાતન. હું કઇ પણ ન બોલ્યો કારણ કે મારૂ કોઇ પણ ત્યા માને નહીૐ, કેવું ચાલે છે. પછી જે અમારા બાપુ કહે છે તે બરાબર આવા ગલત અર્થ થવાનો સંભવ છે, તેથી શાસ્ત્રો તો વહેતા સમુદ્ર જેવા છે. પરંતું તેનું કહેવાનુ તાત્પર્ય શું છે તે તો અનુભવી કોઇ સંત સમજાવી શકેઁ. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વિરોધાભાસી હોય છે. પરંતું તે અધીકાર ભેદ હોય છે. કોઇ જગ્યા એ કહે કે આ બધું પ્રકૃતિથી થાય છે, પુરુષ કઇ કરતો નથી. કોઇ જગ્યાએ કહે હું જ સઘળું કરૂ છું. મારા થી સઘળું થાય છે. તથા ભક્તિ તથા જ્ઞાન માર્ગ ની પણ મહત્તા બતાવી હોય છે. ભક્તો સઘળું પરમાત્મા પર છોડે છે. જે ગમે જગદ્ગુરૂ દેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો. આ શબ્દો જેણે પરમાત્મા ઉપર સઘળું છોડીને પૂર્ણ શરણાગત થયેલ, અહંકારથી રહીત નિર્માન નરસિંહ જેવા સંતોના છે, તેણે પ્રારબ્ધ સોપી દીધું છે. તેમા જરા પણ કૃતિ તલભાર નથી. જીવન સમર્પિત છે.

ત્યાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુન ને તું મારે જ શરણે આવ હું તને સઘળા પાપથી મુક્ત કરીશ. તું સર્વ મને સોપી દે, જય પરાજય ની ઇચ્છા ના કર ઇત્યાદી. ક્યાંક જ્ઞાન માર્ગ છે ત્યા પ્રકૃતિ નો જ વહેવાર છે. પુરુષ અસંગ છે તેવું તેનું તાત્પર્ય કે રહસ્ય સંત વગર કોઇ પણ ન કહી શકે. કદાચ કોઇ શ્રોત્રિય અર્થ કરે પરંતું રહસ્ય જે પરમાત્મા છે અને જે તેનો અનુભવ લઇને તેમા ડુબીને તેનો પાર પામ્યા છે તે જ બતાવી શકે અને તેવા સંત કે તેવા સદ્ગુરૂ નો મહિમા છે. હવે આપણે જે મુખ્ય માન્યતા વેદ ને શાસ્?ત્રો માં છે તેમા જે વાદો છે તે મુખ્ય તો બે જ છે, ત્રીજો નથી અને તે જગત સાચું છે અને બ્રહ્મ પણ સાચુ છે અને બીજો બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. એક ને મતે બ્રહ્મ પણ સાચુ છે અને જગત પણ સાચુ છે. હવે જેને મતે જગત સાચુ તેને મતે પ્રારબ્ધ પણ સાચુ. જેને મતે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે તેને મતે પ્રારબ્ધ પણ મિથ્યા છે. અધ્યાસ તો બંને માને છે. ભ્રાંતી તો માને છે પરંતું તે વેદાંતમાં પાંચ ખ્યાતીઓ માં બતાવ્યું છે તેથી બંને મતે અધ્યાસ તો છે પરંતું એકને મતે સાચો છે અને એકને મતે ખોટો છે, તો દૂર તો કરવા ના જ છે. બંને ને દું:ખ પણ, બંનેને અધ્યાસ ને કારેણ જ છે, તો નિવૃતિ કેમ કરવી? સાચો અધ્યાસ તો જ્ઞાનથી નિવૃત ન થાય તો તેવા અધ્યાસ નું વિરોધી કોણ? અને જે મિથ્યા અધ્યાસ છે તે મિથ્યા થી જ દૂર થાય કારણ કે મિથ્યા અધ્યાસ નું અધિષ્ઠાન તો સત્ય છે તે તો તેને આશ્રય આપીને રહ્યું છે. તો તે અવિદ્યા ની જ્ઞાન રૂપ શુધ્ધ સાત્વિક વૃત્તિથી દૂર થાય. અજ્ઞાન ને જ્ઞાન નિવૃત્ત કરે તેથી અજ્ઞાનની વૃતિ રૂપ જે જ્ઞાન છે તે પણ અજ્ઞાનની જ વૃતિ છે અને અધ્યાસ પણ અજ્ઞાન જ અને મિથ્યા છે. તેથી વેદાંત માં મિથ્યા ની નિવૃતિ મિથ્યાથી જ થાય. સત્ય તો ત્રીકાલાબાધિત તત્વ છે. તેનો તો કોઇ પણ બાધ ન કરી શકે, તો કાંટો તો લાગે છે. બન્ને ને દું:ખે પણ છે. દૂર પણ કરવો છે. તો કાંટા થી જ કાંટા નો ઉપયોગ કરી લેવો સાચો. કાંટો લાગ્યો છે તો બીજો બાજુ માં સાચો કાંટો લઇ ને તેને કાઢી નાખવો પછી બન્ને ને ફેકી ને સ્વસ્થ થઇ ને ચાલતુ થવું. બીજો ખોટો કાંટો કલ્પનાનો જ લાગ્યો છે તો તેની નિવૃતિ પણ અન્ય કલ્પનાથી જ નિવૃત થશે તો આપણે જોશુ કે પ્રારબ્ધ ને સાંસારીક તો ગમે તેટલા ઉપાયો કરો તો પણ તેની નિવૃતિ કે પ્રતિકાર કે વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. ભલે ગમે તેટલો પુરુષ પુરુષાર્થ કરે પરંતું તેનો પરાજય કરવા માટે શાસ્ત્રોક્ત ક્રિયા છે અને તેથી જ તે જીતી શકાય કે ક્રિયમાણ તો નિષ્કામ કર્મ થી શુધ્ધ થશે, મલ નિવૃતિ થશે તેથી સંચિત નહી થાય.

પરંતું વિક્ષેપ શક્તિ પ્રાણ છે – મન છે. પ્રાણ ચાલે છે ત્યા સુધી મન ચાલે છે બન્ને સંયુક્ત સ્વભાવ વાળા છે. અને તે ઉપાસના થી જીતી શકાય છે. જ્ઞાન થી આવરણ દૂર થાય પછી નિરાવરણ બ્રહ્મનો અનુભવ થાય. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે ત્યારે સત્વાપત્તિ જ્ઞાનની ચોથી ભૂમિકામાં સ્થાન મળે બ્રહ્મ વેતા થયો બ્રહ્મ જ્ઞાની થયો. પરંતું જગત પણ સ્વપ્નવત્ત જુવે છે. ગુરૂ થઇ ને શિષ્ય પાસે જ્ઞાનની વાતો કરે છે. આત્માનાત્માની વિવેક ની પરંતું જગત કે પદાર્થ છે જ નહી તેવો અનુભવતો પાંચમી છઠ્‌્ઠી ભૂમિકામાં હોય છે. સંપૂર્ણપણે પદાર્થોમાથી આસક્તિ પાંચમી માં તુટીને છઠ્‌્ઠીમાં પદાર્થ ભાવ પણ ન રહે ત્યારે ઉપર તુર્યગાનો અનુભવ છે. ત્યા સુધી તેઓ બ્રહ્મવેતા જીવનમુક્ત કહેવાય છે. વિદેહ મુક્તિ તો પછી, પરંતું તુર્યગાનો અનુભવ લઇને વિદેહમુક્તિનો પણ અનુભવ લઇ લીધો હોય છે, પરંતું તે દેહથી વિદેહ નથી થયો કારણ કે લેશાવિદ્યા થી ચાલતુ શરીર અને બળી ગયેલ સિંદરી જેવું પ્રારબ્ધ તો ચાલે છે. ભલે જ્ઞાનીની દ્રષ્ટિમાં તે નથી પરંતું અજ્ઞાની તેને જુએ છે. વહેવારમાં ખાઇ પીવે છે. સઘળું કરે છે તેથી વિદેહ મુક્તિ ન કહેવાય.

વિદેહમુક્તિમાં ચિત્તનો સ્વરૂપ નાશ હોય. ચિત્ત સહિત સંસ્કારો નો ચિત્ત ધર્મી કે સંસ્કારો તેના ધર્મ કશુ રહેતું નથી, પરંતું જીવનમુક્તિમાં ચિત્તનો સ્વરૂપ નાશ હોય છે. તે સંસ્કારો તેને જીવનમાં ઉપયોગી થાય તે પૂરતાં છે. તેને હાની કરી શકાતા નથી. પરંતુ તેવા જીવનમુક્ત પુરુષ ને પણ બળેલ પ્રારબ્ધ છે તે જેમ સિંદરી નો બળ્યા છતા પણ વળ દેખાય તેમ શરીર તો દેખાડે છે. વહેવાર કરાવે છે તો તેને વિદેહ કેવલ્ય માટે પ્રતિક્ષા કરવી પડે છે. કે ક્યારે બળેલ પ્રારબ્ધ કે લેશા વિદ્યા દ્વારા ચાલતું જીવન તથા શ્વાસોશ્વાસ રૂપ ક્રિયા વિક્ષેપ તો જોકે ન કહેવાય તેને મતે છે જ નહીં છતા ચાલે છે. તો તેને જ્યાં સુધી શરીર માં ચાલતા પ્રાણ છેલ્લો શ્વાસ ન લે ત્યા સુધી વિદેહમુક્તિ માં વિલંબ છે, તેવો જ્ઞાની પણ બળેલ પ્રારબ્ધ પણ નિવૃત્ત થઇ જાય, બળેલી રજુ ની રાખ પણ ન રહે, તે તો ત્યારે જ બને. અને તે જ્ઞાની પ્રારબ્ધ નું ઉત્ક્રમણ નહી કરી શકે. અજ્ઞાન તો નિવૃત્ત થઇ ગયું છે. તત્વજ્ઞાન પણ છે છતા વિદેહમુક્તિની પ્રતિક્ષા કરવી પડે છે. કોઇ પ્રયોજન રહ્યુ નથી. જીવન સાથે કોઇ લેવા દેવા નથી પછી શું? તો જ્યા એક બીજી માન્યતા કે જે અધ્યાસ સાચો છે તો તેને શું કરવું? કેમ હટાવવો, નિવૃત કરવો? તો ઉપરની ક્રિયા પણ શાસ્ત્રોક્ત કહેવાય અને આ બીજી પણ શાસ્ત્રોક્ત છે જે અષ્ટાંગ યોગ છે. કાંટા થી કાંટા ને કાઢવો, કાંટો સાચો છે. તો બીજો સાચો કાંટો લઇ ને કાંટા ને કાઢી નાખવો. તેમ અવિદ્યા ને કારણ વિક્ષેપ છે તો વિક્ષેપ સહિત અવિદ્યા ની નિવૃત્તિ તેને સારી રીતે સમજી વિચારી એક એક તત્વ નું પ્રત્યક્ષ જ્ઞાન કરતે કરતે તેને નિવૃત્ત કરવું. તેમા પ્રાણ મુખ્ય ક્રિયા શક્તિ છે અને વિક્ષેપ શક્તિ પણ તે છે કે જે જ્ઞાની ને જ્ઞાન થયા પછી પણ ભલે અહંભાવ કે અહંકૃત નથી એટલે ચાકડા ને ફરી ગતી તો નથી અપાતી પરંતું પહેલા ની કે પૂર્વ જન્મ ની ગતી આપેલ છે. તેથી ફરે છે અટક્યો નથી અને તે તેની મેળે ધીમો થતે થતે પૂર્ણ રૂપ માં બંધ પડશે. પરંતું કોઇ જરુર વગર નો ફરે છે. કાર્ય કોઇ રહ્યુ નથી અને બંધ કરવો છે. તો શું કરવું? તો કહે તેમાં દંડ આરામાં લગાવી ને કોઇ પણ યુક્તિ થી અટકાવી દેવો. બસ આ ક્રિયા છે યોગ ની. પ્રાણ નું નિરોધ અને વિક્ષેપ શક્તિ ને જીતી શકાશે. સાચુ પ્રારબ્ધ હતું તે ક્રિયા થી ક્રિયા ની નિવૃતિ કરવી. પ્રાણ પણ ક્રિયાશક્તિ અને યોગ પણ ક્રિયા. ધીમે ધીમે સબીજ થી નિર્બીજ યોગમાં કર્મ કે તેના સંસ્કાર કે કોઇ પણ બીજ ન રહે અને પ્રત્યક્ષ રૂપ માં આત્મા સઘળાનો કર્તા છતા અકર્તા ભોક્તા છતા અભોક્તા તેવો પ્રગટ અનુભવ યોગીનો હોય છે. અને યોગાભ્યાસ દ્વારા પ્રાણો પર વિજય પ્રાપ્ત કરી ને તેવો યોગી પ્રારબ્ધ ને જીતી લે છે. દૂર ફગાવી તેથી અલગ થઇ ને પ્રારબ્ધ નું ઉત્ક્રમણ કરી ને વિદેહમુક્તિ ની વિલંબ ની પ્રતિક્ષા કર્યા વગર સ્વતંત્ર ઇચ્છા થી ઇચ્છા કે સંકલ્પ પર સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. સ્વતંત્ર રીતે વિદેહ મુક્તિ ને પ્રાપ્ત થાય છે.

તો મારા પ્યારા લાડીલા ભકતો આપનો પ્રશ્ન એવો હતો કે થોડી અલ્પ ચર્ચા કે થોડા શબ્દોમાં કહેવામા પણ સંતોષ ન થાય અને આપને પણ સંતોષ ન થાય તેટલા માટે આપને લાગશે કે બાપુ એ ગુરૂજી એ ઘણુ લખ્યુ પરંતુ આ વિશ્વના જીવોની સમસ્યા છે અને તે મહાત્મા તપસ્વી અનુભવી પુરૂષો એ ઉકેલી છે. તો મારૂ ચિંતન મારો શાસ્ત્રોનો અનુભવ તથા સદ્ગુરૂની કૃપાથી જે જેટલુ અનુભવ્યુ છે તેટલુ સંપૂર્ણ જો કે આ વિષય ઉપરજ શાસ્ત્રો લખાયા છે. ગ્રંથોના ભંડાર થઇ ગયા છે તો પણ સમસ્યા તેવી જ રહી છે. પુરૂષાર્થ તથા પ્રારબ્ધના ઝગડામાં આરંભમા જ પુરૂષાર્થ હતો, કારણકે પહેલા મારે કાંઇક જોઇએ છે અને કાંઇક મેળવવુ તેમા તેની પ્રાપ્તી માટેનો પ્રયત્ન થયો તેજ પુરૂષાર્થ પ્રારબ્ધનો પિતા થયો પછી તો પુરૂષાર્થથી પ્રારબ્ધ અને પ્રારબ્ધથી પુરૂષાર્થ. તેમ બાપથી દિકરો તથા દિકરાથી બાપ તેમ ચક્ર ચાલ્યુ પરંતુ જયારે કોઇ પણ તેવા ભાગ્યે સંત કે સદગુરૂ મિલન થાય ત્યારે જ આપના પ્રારબ્ધ કે ભાગ્ય ને સંત તથા શાસ્ત્રો જ બદલી શકે છે. દુ:ખને સુખમા ફેરવી શકે છે. લેખમા મેખ મારી શકે છે. સદગુરૂ કે સંતને જો આપણે સજાતિય થઇએ તેના વચન પર, વાકય પર, શ્રધ્ધા વિશ્વાસ કરીને ચાલીએ તો જરૂર સદગુરૂ એક એવી જડ જડે છે જેમ કોઇ લુહાર લોઢામાં જડ જડતા હોય સાંધો કરતા હોય પછી નીચે પણ દબાણ અને ઉપર હથોડાના ઘા મારીને ખીલાને ઉપરથી ટીપીને એવી જડ
મજબૂત કરે કે, ઉખડે નહી. તેવી જ રીતે સદગુરૂના કે સંતના વચનમાં વિશ્વાસ કે શ્રધ્ધા રાખી ને ચાલનાર માટે સદગુરૂ પરમાત્મા સાથે આત્માની એકતાની અભિન્નતાની એવી જડ જડે છે કે તેમા એક સંતે સાખી કહી છે કે,

સદગુરૂએ જડ જડી, જડી અપરંપાર
ઉખડી ઉખડે નહી, ભલે લાખો મથે લુહાર

પછી જે સ્થિતી પર સદગુરૂ શિષ્યને આરૂઢ કરે છે નિષ્ઠાવાન બનાવે છે બ્રહ્મનિષ્ઠ કે અન્ય ગુરૂઓ કે લુહાર પછી તેમા લાખો તેની શ્રધ્ધા વિશ્વાસને નિષ્ઠાને તોડાવવા પ્રયત્ન કરે પરંતુ તૂટે નહી તેવો મહિમા શાસ્ત્રોનો સંતનો અને સદગુરુનો છે. તો પ્યારે ભકતો ઉપસંહારમાં બસ એટલુ જ કહેવાનુ કે, વહેવારિક જગતમા પુરૂષાર્થ તથા પ્રારબ્ધનો સ્વિકાર કર્યા વગર ચાલે તેમ નથી. વહેવારિક જગતમા બંને પછી પરસ્પરના પૂરક બની જાય છે. અને જયા સુધી મોક્ષમય પુરૂષાર્થ ન કરવામા આવે ત્યાં સુધી પરમાર્થની સિધ્ધિ થતી નથી. પરમાર્થની સિધ્ધિ થયા પછી પુરૂષાર્થ કે પરૂષનો સ્વાર્થ કશુ રહેતુ નથી. પુરૂષાર્થથી જ પ્રથમ આરંભ થયો પછી પ્રારબ્ધ થયુ અને તે પ્રારબ્ધ એ સુખ દુ:ખ ઇત્યાદી કલેશની વૃધ્ધિ કરી ફરી પાછી ઉલટી ક્રિયા અપનાવીને જે રીતે ભૂલ કરી હતી તે ભૂલની રીત સમજાઇ ગઇ. અને પુરૂષાર્થથી જ તે ભૂલ સધારી લીધી. આગળ પાછળના પુરૂષાર્થમાં પ્રારબ્ધ વચમાં જ ઉભુ થયુ હતુ. તેમા પુરૂષ ચૈતન્ય કુટસ્થ સચ્ચિદાનંદ નામ સત્ય પરંતુ જે આદિમા ન હોય તે અંતમા પણ હોતુ નથી, તો પ્રારબ્ધ વચમા ઉભુ થયુ. અંતે ન રહ્યુ તો તે બિલકુલ હતુ જ નહી, હતો પુરૂષાર્થ પણ હવે તો પુરૂષાર્થ પણ ન રહ્યો. માત્ર પુરુષ હવે તેને શકિત અભિન્ના પુરૂષ કહેવો હોય તો કહો કારણકે જો પુરૂષ કહેશો તો ત્યા સામે પ્રકૃતિ ખડી થશે. માટે પુરૂષ પ્રકૃતિ ન કહેતા રહ્યુ એક સતા સામાન્ય ચૈતન્ય બ્રહ્મ, કે જેનુ કોઇ પુરૂષ, સ્ત્રી કે કોઇ પણ લિંગ નથી. તો મારા લાડીલા ભકતો આ આપના પુરૂષાર્થ પ્રારબ્ધ ઇત્યાદી વિષે પ્રશ્ન હતો તે મારી બુધ્ધિ અનુમતે પ્રત્યુતર આપ્યો છે. તેથી સમાધાન લેવુ, તેમા આપની શ્રધ્ધા હોય છે. શાસ્ત્રમત સંત મત અને નિજ અનુભવ ત્રણે મળે ત્યારે ત્યા વાસ્તવિકતા હોય છે. તો યોગવશિષ્ઠમા ઘણાં જ ગહન વિષયો આવશે પરસ્પરની જયા સુધીની બુધ્ધિ પહોંચ હોય ત્યાં સુધી ચર્ચા જરૂર કરવી. ન સમજાય તે પ્રશ્ન જરૂરૂ મોકલશો. બુધ્ધિ અનુમતે પ્રત્યુતર આપતો રહીશ.

લિ. આપનો ભજનપ્રકાશાનંદ
ૐ શાન્તિ


વિશેષ વાતઃ- પ્રારબ્ધ્ને માનુ છુ પણ પુરૂષાર્થ છોડુ નહી. થોડુ આપ ભકતોના સમાધાન માટે લખવાની ઇચ્છા થાય છે. પ્રારબ્ધ ત્રણ પ્રકારનુ હોય છે. સ્વેચ્છાનુ, પરેચ્છાનુ અને અનિચ્છાનુ. તેમા સ્વેચ્છાનુ તે છે કે, આ મારી ઇચ્છાને રોકી શકતો નથી તેનુ પરિણામ પણ હુ જોઇ રહ્યો છુ. જેમ કે ચોર છે, તે પોતે સમજી શકે છે કે, પકડાઇ જઇશુ તો સજા થશે, મૃત્યુ પણ થાય છતા ચોરી કરવાની ઇચ્છાને નથી રોકી શકતો તે સ્વેચ્છાનુ પ્રારબ્ધ. ચોર દુ:ખી થાય છે. પકડાઇ પણ જાય છે. માર ખાય છે. દુ:ખને પણ સમજી શકે છે. તે દુ:ખ છે છતા, ચોરી કરવાની ઇચ્છાને રોકી શકતો નથી. બીજુ પરેચ્છાનુ પ્રારબ્ધ છે. તે મારૂ નહી પરંતુ બીજાની ઇચ્છાકે ભાવનાનુ નિભાવ કરવો પડે અને તેથી જે સહન કરવુ પડે, જેમ કે યુધિષ્ઠીર મહારાજને ધૃતરાષ્ટ્ર જુગાર રમવાનુ નિમંત્રણ આપે અને કાકાનું માન જાળવવા તેને ના કેમ પાડવી અને કરવુ પડે. પછી જુગાર રમે, વનમાં જાય. દુ:ખ સહે તે પરેચ્છાનુ છે. અને ત્રીજી મારી ઇચ્છા નથી છતા આવ્યુ છે. પાપ કરવાની ઇચ્છા નથી. અર્જુનનો પ્રશ્ન છે કે, કઇ એવી વસ્તુ છે કે, ઇચ્છા ન હોય, પાપ ને પાપ સમજે છે, છતા પાપ કરે છે તો ભગવાન તેને પ્રત્યુતરમા તે જ જવાબ આપે છે. વ્યકિતની રજોગુણમાથી ઉત્પન્ન થનાર કામના, કામનાથી ક્રોધ, તેમ આ ત્રણ પ્રકાર નુ પ્રારબ્ધ છે. પરંતું તે તો નિશ્ચય છે કે જે પુર્વ નું ફલ આપવા માટે જે કર્મ ઉન્મુખ થયું છે તે પણ મંદ, મધ્ય કે તિવ્ર હશે. કઇ થોડા પ્રયત્ને દૂર થાય, કોઇમાં અધિક પ્રયત્ન કર્યા પછી દૂર થાય અને કોઇ તિવ્રત્તર હોય તો પ્રાણાન્તે પણ દૂર થતું નથી. પરંતું વર્તમાનની પ્રતિકારક પુરુષાર્થ શક્તિ પ્રબલ હોય છે. નવું નવું બલ હોય છે. પરંતું તેનો પ્રતિકાર કરવામાં વ્યક્તિએ કાયર થઇ હથિયાર છોડી દેવા જોઇએ નહીં. તેથી તો ઉલ્ટું તેનું બલ વધશે. પ્રતિકાર શક્તિ સામે નહી થાય તો પ્રારબ્ધનો સ્વિકાર કરીને નિરાશ થશે તો તેનું ચિંતન બલવત્તર થતું જશે. પરંતું આપણે સમજી લેવું જોઇએ કે સંસ્કારો તો અસંખ્ય છે પરંતું પ્રબલપણે કયો છે કે જેનો વારંવાર પ્રયત્ન કરવા છતા દૂર થતો નથી તો તેનો સામનો ઉત્સાહપુર્વક ભલે ને હમણા તે પ્રબલ છે પરંતું તે આપણે પાડે પડી ને પણ ઉત્સાહથી જેમ રણવીર અંગ અંગ કપાઇ જાય ત્યાં સુધી પ્રયત્ન દુશ્મન સામે કરે છે તેવો જ ઉત્સાહ તે સામે પુરુષાર્થ શક્તિથી પ્રતિકાર કરવો જોઇએ અને શાસ્ત્રોક્ત ક્રિયા જ્યા છે ત્યા પ્રારબ્ધ્ કે ગમે તેવું કર્મ હશે પરંતું તેને હાર સ્વિકારવી જ પડશે. પુરુષાર્થ ના અભાવમાં કર્મને કે પ્રારબ્ધને દોષ ન આપવો. યોગ વશિષ્ઠ પણ તે જ કહે છે. દાંત ભિંસીને પ્રયત્ન કરો. જ્ઞાન – કર્મ સાથે છે, ક્યારેક કર્મનો જ્ઞાન પર પ્રભાવ હોય છે, ક્યારેક જ્ઞાનનો કર્મ પર પ્રભાવ હોય છે તેમાં જ્ઞાનનો જ પ્રભાવ અધીક છે. તેથી શાસ્ત્રોક્ત જ્ઞાન, સદાચારનું જે આચરણ છે શાસ્ત્રો માં બતાવેલ સઘળી ક્રિયા પરાજય આપે છે. જ્ઞાન ની જીત થાય છે. મારા પ્યારા લાડીલા ભક્તો ખુબ ખુબ સત્સંગ કરતા રહેજો.


Categories: અજ્ઞાતમાં ડૂબકી | 1 Comment

અજ્ઞાતમાં ડૂબકી (3)

તા.9-2-2003, રવિવવાર (શિષ્યો)
(રાણાકાકાની શંકા)
ચન્દ્રકાન્ત ભાગ – 1 (સત્સંગ પ્રતાપ)

સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે લોકોના અને મોક્ષના સર્વે સુખોને એક પલ્લામાં મૂકીએ અને બીજા પલ્લામાં એક ક્ષણભર સત્સંગ સુખને મુકીને તોળીએ, તો સત્સંગના સુખવાળું પલ્લું નીચું નમશે. અર્થાત બીજા બધા સુખો સત્સંગની તોલે આવી શકશે નહીં, એવો સત્સંગનો મહિમા અગાધ છે. સત્સંગનું મહાત્મ્ય કહેવાને શેષ અને શંકર પણ અસમર્થ છે. મહાત્મા પુરૂષો કહી ગયા છે કે ‘સત્સંગ સબન કો સાર’ એ સત્ય જ છે.

પ્રશ્નઃ-(3) ઉપરોક્ત ફકરામાં મોક્ષ શબ્દ આવતાં શંકા થાય છે કે મોક્ષ થયા પછી, પરિપૂર્ણતા આવતાં ત્યાં પછી કંઇ બાકી રહેતું નથી. તો મોક્ષનું સુખ અને સત્સંગનું સુખ તે દ્વન્દ રહેતા જ નથી. તો મોક્ષ અને સત્સંગનું સુખ બંને સમજાતા નથી તે જણાવશો.


તા.16-02-2003, રવિવવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

ૐ નમો નારાયણાય

પ્રત્યુત્તરઃ-(3) રાણાભાઇનો પ્રશ્ન બહુજ સુંદર છે. કારણકે મોક્ષનું સુખ તથા લવ સત્સંગનું સુખ તે બંનેના વિભાગને સમજવા માગે છે. આપણે રામચરિત માનસમાં જે સુંદરકાંડમાં ચોપાઇ ગોસ્વામી તુલસીદાસજીએ આપી છે તેમાં જ રાણાભાઇને શંકા છે, તે સમજાતું નથી. તો એ ચોપાઇ સુંદરકાન્ડમાં જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે જાય છે અને લંકાના દ્વાર પર જાય છે. ત્યારે ત્યાં લંકીની નામની રાક્ષસીનો પહેરો હતો. તે કોઇને પણ પ્રવેશ કરવા ન દેતી. અને મહામાયાવી હતી. હનુમાનજી મચ્છરનું નાનું રૂપ ધરી પ્રવેશ કરવા જાય છે ત્યારે લંકીની તુરત હનુમાનજીને જોઇ જાય છે. અને તેને પોતાનું ભક્ષ્ય માનીને રસ્તા પર લંકીની રોકે છે ત્યારે હનુમાનજી એકજ મુઠીનો ઢીકો મારે છે. અને લંકીની લોહી, ઓકતી પડી જાય છે. થોડા સમય બાદ ભાનમાં આવે છે ત્યારે તે શબ્દ બોલે છે કે મને બ્રહ્માનું વચન યાદ આવે છે. અને મને કહ્યું હતું કે જ્યારે હે લંકીની તને કોઇપણ આવીને મુઠી મારે અને તું મુર્છિત થઇ જા ત્યારે માનજે કે લંકાનો નાશ થશે. માટે રામના દુત એવા આજે તમે મળ્યાં, હું ધન્ય ભાગ્ય થઇ ગઇ. અને પછી તે સંત-સમાગમનો, સતસંગનો મહિમા ગાતા જે લંકીનીએ શબ્દો કહ્યા તે એક ચોપાઈમાં જોઇએ.

દોહોઃ-
તાત સ્વર્ગ અપવર્ગ સુખ, ધરીયે તુલા એક અંગ
તુલન તાહી સકલ મીલી, જો સુખ લવ સતસંગ.

હનુમાનજીને લંકીની કહે છે કે હે તાત સ્વર્ગનું સુખ કે અપવર્ગ(મોક્ષ)નું સુખ એકજ ત્રાજવામાં મુકીયે અને લવ સતસંગનું સુખ બીજા ત્રાજવામાં મુકીયે તેમા લવ સતસંગનું સુખ છે તેનું પલ્લું વજનદાર થઇ જાય છે, હોય છે. ભુમીને અડકી જાય છે. તેવો સતસંગ તથા સતસંગના સુખનો મહિમા છે.

તેમાં આપણે પહેલા જોશું કે માનવ ઇષ્ટ, પુર્ત, દત્ત ઇત્યાદિ કર્મો કરીને સ્વર્ગમાં તે સકામ કર્મનું સુખ ભોગવવા જાય છે તે સુખ પણ શુધ્ધ, દોષ વગરનું નિર્મલ નથી. સ્વચ્છ નથી. કારણ કે જેમ અહી સુખીઓ પ્રત્યે પરસ્પરમાં નાના મોટાનો ભેદ, સ્પર્ધા, મત્સર તથા રાગ-દ્વેષ રહે છે તેમ સ્વર્ગના સુખમાં પણ તેવું રહે છે. તે આપણે યોગવશિષ્ઠમાં પ્રથમ જ રાજા તપશ્ચર્યા કરતો હતો અને સ્વર્ગથી ઈન્દ્રે દુતને વિમાન લઇને સ્વર્ગમાં લેવા માટે મોકલ્યો હતો ત્યારે તે રાજાએ ઇન્દ્રના દુતને ત્યાના સુખમાં અને સ્વર્ગના દેવોમાં ગુણ-દોષ વિષે પુછયું હતુ. તો તેમાં પણ અહીના માનવમાં જેમ છે તેમ ત્યાં પણ છે. માત્ર ભોગમાં વિશેષતા, શરીરના બંધારણમાં વિશેષતા, આયુની વિશેષતા ઇત્યાદિથી અધિક કશું નથી. અને ત્યાંથી નીચે પડી જવાનો, પુણ્ય ક્ષીણ થઇ જવાનો પણ સતત ભય રહે છે. તેથી તે સુખ માનવ કરતાં દેવોને માનવની અપેક્ષાએ અધિક છે પરંતુ તે પણ સુખ નથી.

“પુણ્ય કરી અમરાપર પામ્યા, અંતે ચોરાશી માંહી”. પુણ્ય ક્ષીણ થાય પછી નીચે પડવુ થાય છે. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं, क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति । (શ્રીમદ ભગવદગીતા અધ્યાય 9, શ્લોક 21). તેથી સ્વર્ગના સુખની કોઇ પણ કીંમત નથી.

હવે જોઇએ અપવર્ગ (મોક્ષ) સુખ. મોક્ષ શબ્દ મુક્તનો કે મુક્તિનો પર્યાય છે અને બંધ સાપેક્ષ છે. મોક્ષની ઇચ્છા કોણ કરે? જે બંધાયેલો હોય તે. બંધાવુ તે એક મોટુ દુઃખ છે. પરાધિનતા જેવું કોઇ પણ આ સંસારમાં દુઃખ નથી. અને તેથી પરાધિન કે દુઃખી માણસ, બંધાયેલો માણસ કે પશુ કોઇ પણ જીવને બંધન પ્રિય નથી. અને તે છુટવાના પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. આપણે કોઇ પણ ગુનાવશાત ગુનેગાર સિધ્ધ થયા અને જેલમાં કેદી તરીકે સરકારે કે રાજાએ બંધ કરી દીધા. બૈરી, છોકરાં, પરિવાર તથા પોતાનાં વહાલાં સગાથી જે જુદાઇ અને વિયોગ તથા કંઇ પણ કરવામાં પરતંત્ર બનાવી દીધા. બધ્ધ થઇ ગયાં. હરવા ફરવામાં, ખાવાપીવા કે દરેક આપણી કૃતિમાં આપણે સ્વતંત્ર ન રહ્યા. તેથી કઇ રીતે મુક્ત થાઉ, કઇ રીતે છુટું તેના ઉપાયો સતત થતા રહે. અને તે કરતા પ્રયત્નમાં આપણો પ્રયત્ન સફલ થાય. ગુનામાં કે કેસમાં નિર્દોષ સાબીત થઇએ અને પછી જેલમાં જે કેદી તરીકે જે બંધાઇને રહ્યા હતા તેમાંથી મુક્તિ મળી જાય. અને જેલમાંથી બહાર નીકળીયે ત્યારે જે સુખ થાય છે તે મુક્તિનું છે. મોક્ષનું છે. પરંતુ તે બંધ સાપેક્ષ છે. બંધનથી છુટ્યા તેનું સુખ તો થયું, પરંતુ હજી આપણે જેલથી બહાર આવ્યા છે અને પછી આપણે આપણા ઘરે આવીયે અને પરિવારને સગાં વહાલાંને મળીયે. અને મારે ઘરે આવ્યો નિશ્ચિંત થઇ ગયો.

તેમ વેદાંતમાં બે પ્રકારનો મોક્ષ માન્યો છે. આત્યતિંક દુઃખની નીવૃતિ અને પરમાનંદની પ્રાપ્તિ. તેમાં જે આત્યતિંક દુઃખની નીવૃતિ છે તે બંધનમાંથી છુટ્યા જેવી છે. અને પરમાનંદની પ્રાપ્તિ છે તે ઘરમાં નિશ્ચિંત થઇને નિંરાતે બેઠા જેવી છે. આ પણ મોક્ષ છે. પરંતુ વેદાંતમાં તો મોક્ષરૂપ પણ પરમાત્મા જ છે. કારણ કે સંસારમાં પરમાત્મા સિવાય અન્ય કોઇપણ વસ્તુ નથી. તો વેદાંતમાં અધ્યાસની નિવૃતિ અધિષ્ઠાનરૂપ જ માનેલ છે. તેથી અજ્ઞાન, માયા અને તેના કાર્યની નિવૃતિ થતાં બ્રહ્મ જ અવશેષમાં રહે છે. અને તે જ મોક્ષ છે. અને તે આનંદ કે મોક્ષ કે તે સુખ તો સમાન જ છે. ન વધે ન ઘટે એકસરખું રહે તેવું મોક્ષસુખ છે.

પરંતુ અન્ય આચાર્યોના મતે મોક્ષના વિષયોમાં મત મતાન્તર છે. ભક્તિના આચાર્યો ચાર પ્રકારનો મોક્ષ કે મુક્તિ માને છે. સાલોક્ય, સામિપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય તેવા ભેદ માનેલા છે. કોઇના મતે બ્રહ્માના કલ્પ પુરતો મોક્ષ માનેલ છે. તેમાં મત મતાન્તર છે. બ્રહ્માકુમારીને તો મોક્ષનો જ સ્વીકાર કરતાં નથી. જીવનું આવાગમન માને છે. આત્માનો ઇશ્વરથી ભેદ માન્યો છે. તેથી મોક્ષ જો નિત્ય જેમ વેદાંત કહે છે તેમ શાશ્વત ન હોય, નિત્ય ન હોય તો તેવા મોક્ષનું સુખ પણ ચડઉતરનું એકાબીજાથી રહે.

એક જગ્યાએ મોક્ષના સુખના ભેદોનું વર્ણન કરતાં જણાવેલ છે કે કાલભેદથી અને આત્માને કે પરમાત્માને પરમાત્મા ન સમજતાં અન્યમાં ઇન્દ્રિય ઇત્યાદિમાં આત્માની ભ્રાંતિ કરવાથી મોક્ષ મળે છે, પરંતુ કેટલો કાળ તે બતાવ્યુ છે.

દશમન્વન્તરાણીહ તિષ્ઠતીન્દ્રિયચિન્તકાઃ.
ભૌતિકાસ્તુ શતંપુર્ણં ઈતિ સહસ્ત્રં ત્વાભિમાનકાઃ ..
બૌધ્ધા દશ સહસ્ત્રાણિ તિષ્ઠન્તિ વિગતજ્વરાઃ.
પુર્ણં શત સહસ્ત્રં તુ તિષ્ઠન્ત્યવ્યક્તચિન્તકાઃ ..
પુરુષં નિર્ગુણં પ્રાપ્ય કાલં સંખ્યા ન વિદ્યતે .

ઇન્દ્રિયોને આત્મા માનનાર દશ મન્વંતર સુધી મોક્ષનો અનુભવ કરે છે. અને પાંચ ભુતોમાં કોઇ ભુતોને આત્મા માનનાર પુરા સો મન્વન્તર સુધી. અહંકારનું આત્મારૂપે ચિંતન કરનાર એક હજાર મન્વન્તર સુધી. અને બુધ્ધિને આત્મા માનનાર દશ હજાર મન્વન્તર સુધી. અને નિર્ગુણ પુરુષને આત્મા માનનારની કોઇ કાલ સંખ્યા કરી નથી – અનંત કાલ. આ થઇ મોક્ષની તથા મોક્ષના સુખની વાત.

સ્વર્ગનું સુખ પણ જોયું. મોક્ષનું સુખ પણ ભિન્ન ભિન્ન આચાર્યના મત તથા આત્માને આત્મા ન માનતાં અન્યને આત્મા માનીને ચિંતન કરનારના પણ કાલની ન્યુનાધિકરૂપે ભેદ જોયા. હવે લવ સતસંગનું સુખ કેમ સ્વર્ગ કરતાં અપવર્ગ મોક્ષ કરતાં પણ અધિક તે જોઇએ. સ્વર્ગસુખ કે અથવા તપ ઇત્યાદિક દાન કે કોઇને લોકલોકાન્તરના સુખો મળે છે તે મોક્ષ સુખની અપેક્ષાએ નાશવંત અથવા ક્ષણિક છે. હવે સતસંગ એક લવ કહેતાં આંખનું મટકું મારીયે તેવા અલ્પકાલ પણ સતસંગ થાય તો તેટલાં સતસંગનું સુખ પણ ઇતર સુખો કરતા અધિક છે. એક તો સતસંગનો અર્થ થાય છે સત + સંગ = સતસંગ. સતસંગ શબ્દમાં બે પદ છે. સત તથા સંગ. એટલે કે સતનો સંગ થાય તે સાચો સતસંગ. અને તેવો જે સતસંગ છે તે ક્યાં મળે અથવા કોણ કરાવે તે પ્રશ્ન મહત્વનો છે. કે જેણે પોતાના જીવનમાં સાધનભજન, તપશ્ચર્યા ઇત્યાદિક સંયમ, નિયમ, વિવેક, વૈરાગ્ય, ષટસંપતિ, મુમુક્ષુતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વં પદાર્થના શોધન કરીને ગુરૂના ઉપદેશથી બોધથી જે ઉપદિષ્ટ થયો છે. બોધિત થયો છે. આત્મા પરમાત્માની અભિન્નતાનો બોધ થયો છે. અને જે પોતાના નિજ બ્રહ્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત નિષ્ઠાવાન થઇ ચુક્યો છે. સત્યમાં પુર્ણ પ્રતિષ્ઠિત તેવો સંત માયા તથા બ્રહ્મ બંને ઉભયનો સારો એવો અંત તપાસ્યો છે કે જાણી ચુક્યો છે.

તે જે સતસંગ કરાવે તેવા સંત કે ગુરૂ સતસંગરૂપ જ છે અને તેવા સંતને જોતાં આપણું દિલ શાંત થઇ જાય, કલેજું ઠંડુ થઇ જાય, જાણે હિમાલય પાસે બેઠા હોય તેવી શાન્તિ આપે, સુખ આપે તેને જોતાં જ નેન ઠરે આવા સંતના દર્શન જ અનુપમ સુખ આપે છે તો પછી તે બોલે અને સત્યના શબ્દો કહે કે સતસંગ કરાવે ત્યારે કેટલું સુખ થાય તે અનુભવથી સમજાય તેવું છે. પરંતુ આવો સતસંગ કે સંત સમાગમ, સંત કે ગુરૂની પ્રસન્નતા વગર કે કૃપા વગર મળતો નથી. સંત કૃપા કરે તો જ મળે છે. અને તે પણ જેમ ખુબ સુંદર ઘાટી વનરાઇ હોય અને ચોમાસાનું વાદળું ઉપરથી પસાર થાય અને તે વનરાઇ મેઘને આકર્ષે તેમ કોઇ ભક્ત, જીજ્ઞાસુ, સત્યના પિપાસુ હોય તે સંતની કૃપા તથા પ્રસન્નતાને ભક્તનો નિર્મલ પ્રેમ છે તે આકર્ષે છે. કૃપારૂપી વાદળીને વરસવું જ પડે છે. અને પછી તે પ્રસન્નતામાંથી જે શબ્દો નીકળે છે તે અદ્ભુત હોય છે. પછી ભલે થોડા શબ્દ હોય. એક કે બે શબ્દો પણ ઘણું ઘણું કહીં નાખે છે. અને તે તેવા સંતોષકારક હોય છે કે તેથી જે તુષ્ટી પુષ્ટી થાય છે તે સુખ અવર્ણિય હોય છે અને તે અનુભવ ગમ્ય હોય છે. આવા સંતોનો સતસંગ મળવો પણ દુર્લભ કહ્યો છે.

સુંદરદાસજીએ સુંદરવિલાસમાં સંત સમાગમનો મહિમા ગાતા એક છંદમાં કહ્યું છેઃ

तात मीले पुनी मात मीले सुत,
भ्रात मीले युवति सुखदाइ ।
राज मीले गज बाजी मीले सब,
साज मीले मनवांच्छित पाइ ।।
लोक मीले सुरलोक मीले विधि,
लोक मीले वैकुंठ हु जाइ ।
सुंदर और मीले सबही सुख,
संत समागम दुर्लभ भाइ ।।

બાપ આવીને મળશે, મા અને છોકરાં આવીને મળશે, ભાઇ આવીને મળશે, સુખ આપનારી સ્ત્રી આવીને મળશે, રાજ મળશે, હાથી અને ઘોડા એ બધું મળશે, બીજા પણ સાજ સામગ્રી મળશે અને મનમાં જે જે ઇચ્છા હશે તે મળશે, બધી જાતના લોક મળશે, ઇન્દ્રલોક મળશે, બ્રહ્મલોક મળશે અને વૈકુંઠપણ મળશે. સુંદરદાસ કહે છે કે બીજું પણ બધું મળશે પણ હે ભાઇ, સંત સમાગમ દુર્લભ, મળવો કઠણ છે. ઉપરના બધાં સુખોથી પણ સંત સમાગમનો મહિમા વધારે કહ્યો છે.

આવા સંતોનો આ સૃષ્ટિમાં અભાવ નથી. પૃથ્વી સંત વગરની ક્યારે પણ રહી નથી. આ ધરા કાયમ કોઇને કોઇ સંત ઉત્પન્ન કરતી રહી છે. તેથી સંત તો કાયમ તેવા આ પૃથ્વી ઉપર છે. તો આપણને થાય કે દુર્લભ કેમ? દુર્લભતાનું કારણ છે આપણાં તેવાં પુણ્ય કે સતકર્મ નથી કે તેવા સંત પાસે આપણે જઇ શકીયે કે પાસે બેસી શકીયે. અને કદાચ તેની પાસે જઇ શકીયે, પરંતુ બેસી ન શકીયે. અકસ્માત પણ જઇ શકાતું હોય છે. પરંતુ બહિર્મુખ વૃતિને કારણ ત્યાં ઉપેક્ષા થતી હોય છે. કદાચ પુણ્ય તેવાં છે કે બેસી શકીયે પરંતુ જોઇએ તેવી શ્રધ્ધા ન કરી શકીયે. તેથી તેવા સંતનો સમાગમ પુણ્ય વગર સુલભ નથી. કંઇ જન્મથી તપ, તિર્થ, દાન, પુણ્યકર્મ, ઉપાસના કરતે કરતે તે સઘળાના પુણ્યના ફલરૂપે તેવા સંત મળે છે. અને તેવાનો સમાગમ થતાં પછી જે સત્યના શબ્દો તે સંતના મુખમાંથી નીકળે છે તે અનુભવવાણી હોય છે. એક શબ્દ પણ ભિતર ભાંગી નાખે, જીવનને પલટાવી નાખે, સુતાને જગાડે, જાગેલાને બેઠા કરે, બેઠા થયેલાને ચાલતો કરે અને ચાલતા થયેલાને લક્ષ્ય સુધી પહોંચાડે તેવો મહિમા છે સતસંગનો. અને તે લવ પણ ઘણો છે. તે આગ છે. શિષ્યના સઘળા પાપોને બાળીને ભસ્મ કરનાર છે. સાચો સતસંગ દજાડ્યા વગર રહે નહીં. ક્ષણ પણ સાચો સતસંગ થાય, સત્યની નીકટ જઇ શકાય કે સ્પર્શી શકાય તો ઘણું છે.

તેમાં સંસારના અન્ય સુખોથી, તપના કે ઇત્યાદી સિધ્ધીઓનાં સુખોથી પણ લવ સતસંગનું સુખ અધિક છે. તેની એક કથા પુરાણમાં છે – વિશ્વામિત્ર તથા વશિષ્ઠની. વિશ્વામિત્ર તથા વશિષ્ઠના સંબધો બગડેલા હતા. વેરઝેર ચાલતા હતા. આ-તે, કથા પુરાણમાં પ્રચલિત છે તેથી અધિક ન લખતાં એક વખત, વિશ્વામિત્રને થયું કે આ વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ કહેતા નથી. બ્રાહ્મણોમાં મારું અપમાન કરે છે. તો તેનો જ કાંટો કાઢી નાખવો જોઇએ. તેવો વિચાર કરીને વિશ્વામિત્ર વશિષ્ઠને આશ્રમ આવ્યા છે. ધનુષબાણ લઇને મારવા માટે આશ્રમના ઉપવનમાં છુપાયા છે. એવે સમયે સાયંકાલના વિતતી રાત્રીને સમયે ભોજન પ્રસાદથી નિવૃત થઇને વશિષ્ઠજી આસન પર લાંબા પડ્યા છે. અરૂંધતી સેવા કરતાં કરતાં પુછે છે. પુર્ણિમાની રાત્રી હતી. પુનમનો નિર્મલ ચંદ્ર આકાશમાં ઉંચે ચડી રહ્યો હતો પુર્ણ કલામાં. અને અરૂંધતી પુછે છે, મહારાજ કહો આ પુર્ણિમાના ચંદ્ર જેવું કોઇનું ઉજ્જવલ તપ હશે? નિર્મલ તપ હશે? કોણ એવો તપસ્વિ ચંદ્રમાં જેવો શોભતો હશે આ વિશ્વમાં? વશિષ્ઠ મહારાજે કહ્યું, હા અરૂંધતી છે. તેવું તપ વિશ્વામિત્રનું. તેના જેવો તપસ્વિ કોઇપણ આ વિશ્વમાં નથી. ત્યારે વશિષ્ઠના મુખે વિશ્વામિત્રના વખાણ તથા પ્રશંસા સાંભળી અરૂંધતી આશ્ચર્ય પામ્યા છે. તમે આ વાત કોની કરો છો? ત્યારે વશિષ્ઠ કહે છેઃ સતી, વિશ્વામિત્રની કરુ છું. કોઇ કારણને લીધે વાંધો હોય તે એક વાત જુદી છે. પરંતુ સત્યને સત્ય કહેવું પડે. તેના જેવો તપસ્વિ કોઇ નથી. તે મારી પાસે બ્રહ્મર્ષિ કહેવડાવવા માગે છે. હું કહેતો નથી તેનું કારણ તે છે કે તેનો હજી ક્ષત્રી સ્વભાવ મટ્યો નથી. તેમાં સતી તપ છે, પરંતુ સતસંગ નથી. તેથી વેરવૃતિ રાખીને ફરે છે. પરંતુ સાચો બ્રાહ્મણ ક્ષમાશીલ બને તો બ્રહ્મર્ષિ જ છે. બસ અરૂંધતિ અને વશિષ્ઠનો આ વાર્તાલાપ વિશ્વામિત્રે સાંભળ્યો. વિશ્વામિત્રનું અંધારુ જતુ રહ્યું. ગેરસમજ દુર થઇ અને ધનુષબાણ વશિષ્ઠના ચરણમાં નાખીને વંદન કર્યા. ત્યારે વશિષ્ઠે પણ આવકાર્યા કે આવો બ્રહ્મર્ષિ.

બસ ત્યારથી સંબધો સારા થયા અને પરસ્પરમાં આવજાવ પણ થવા લાગી. ક્યારેક વિશ્વામિત્ર, વશિષ્ઠને આશ્રમે આવે. ક્યારેક વશિષ્ઠ, વિશ્વામિત્રને આશ્રમે જાય. અને જેમ મહાત્માઓમાં પણ પરસ્પર એકબીજાને આશ્રમે જાય અને ત્યાંથી નીકળે ત્યારે વિદાય આપે. કોઇ પૈસા, કપડા, શાલ ઇત્યાદી તેમ વિદાય પણ આપે. એક વખત વશિષ્ઠ, વિશ્વામિત્રને આશ્રમે ગયા. નીકળતી વખતે વિશ્વામિત્ર, વશિષ્ઠ મહારાજને વિદાય આપે છે. તેમાં વિશ્વામિત્રે કહ્યું કેઃ હું આપને મારા એક હજાર વર્ષનું તપ છે, તે તપનું પુણ્ય વિદાયમાં આપું છું. વિશ્વામિત્ર તપસ્વિ હતા અને વશિષ્ઠ મહારાજે કીધું કે બહુ સારૂં. પછી વિશ્વામિત્ર વશિષ્ઠને ત્યાં આવ્યા અને નીકળતી વખતે વશિષ્ઠે પણ વિદાયમાં કહ્યું કેઃ હું મારા લવ સતસંગનું પુણ્ય આપુ છું. ક્યાં લવ સત્સંગનું પુણ્ય? અને ક્યાં હજાર વર્ષના તપનું પુણ્ય? વશિષ્ઠ સતસંગી હતા. તે સતસંગનો મહિમા જાણતા હતા. અને મહાત્માઓમાં પણ જેમ વિદાય ઓછી વધતી થાય, એક કહે હું તેને અધિક આપું છું મારે આશ્રમે આવે ત્યારે અને તે મને ઓછી આપે છે. તેવું પણ ઘણી જગ્યાએ થતું હોય છે.

વિદાયના ભુખ્યાઓની આ વાત છે. પરંતુ અહીં પણ વિશ્વામિત્રે વિવાદ ઉભો કર્યો. ક્યાં મારૂં હજાર વર્ષનું તપનું પુણ્ય અને ક્યાં તમારા લવ સતસંગનું પુણ્ય? કોનું અધિક તેમાં વિવાદ ચાલ્યો. વશિષ્ઠ કહે મારૂં અધિક છે, વિશ્વામિત્ર કહે મારૂં અધિક છે. આપણને પણ લાગે ક્યું અધિક તો આપણે પણ વિશ્વામિત્રનું અધિક લાગે. કારણકે ક્યાં એક હજાર વર્ષનું તપ અને ક્યાં લવ સતસંગ અલ્પકાલ. બંનેમા કોઇ નિશ્ચિત ન કરી શક્યાં, તેનું સમાધાન પરસ્પર ન કરી શક્યા તેથી મોટા માણસોને પુછવા નિકળ્યાં.

બ્રહ્મા પાસે ગયા, બંનેનો વૃતાંત કહ્યો. ક્યું ફલ અધિક એક હજાર વર્ષનું તપ તેનું કે લવ સતસંગનું? બ્રહ્માએ પણ વિચાર કર્યો બંને ઋષિ છે, તપસ્વિ સિધ્ધ પુરૂષો છે, તેના સ્વભાવને પણ બ્રહ્મા જાણે છે. વિચાર કરીને બ્રહ્માએ કહ્યું મારે નિર્ણય ન આપવો જોઇએ. જેને કહીશ કે તારૂં અધિક તો તુરત સામે પક્ષે વિરોધ થશે. અને કંઇ થઇ જાય તેના કરતાં વિષ્ણુ પાસે જ મોકલું. બ્રહ્માએ ના કહી, વિષ્ણુ પાસે ગયા. ત્યાં પણ તે જ વાત કહી. વિષ્ણુએ પણ બંનેના સ્વભાવ ઇત્યાદિકનો વિચાર કરી ના કહી, હું ન્યાય ન આપી શકું. પછી શંકર પાસે આવ્યાં તેણે પણ ના કહી અને શેષનાગ પાસે મોકલ્યાં. ત્યાં આવ્યા. શેષનાગ પોતાની હજાર ફણાવાળા મસ્તકથી પૃથ્વીને ધારણ કરી રહ્યા હતા. ત્યાં જઇને સઘળો વૃતાંત કહ્યો વિદાયનો. તેમાં વિશ્વામિત્ર કહે મેં એક હજાર વર્ષ તપનું પુણ્ય આપ્યું. વશિષ્ઠ કહે મેં લવ સતસંગનું પુણ્ય આપ્યું. તેમાં અધિક કોનું તે કહો. બ્રહ્મા, વિષ્ણુ, શંકરે તો સમાધાન ન આપ્યું. આપની પાસે ન્યાય માટે આવ્યા છીયે. ત્યારે શેષે કહ્યું ભાઇ તમે બંને મુનિ જુઓ છો કે મારે માથે પૃથ્વીનો બોજ છે. તેથી હું આપની સાથે વાર્તાલાપ ન કરી શકું. જરા તમે તમારા તપના પ્રભાવથી કે સતસંગના પ્રભાવથી હળવો કરો તો હું ન્યાય આપું. વિશ્વામિત્રને કહ્યું તમે તમારા એક હજાર વર્ષના તપનું પુણ્ય મુકો અને પૃથ્વી તોળાય અધર તો હું ન્યાય આપું. વિશ્વામિત્રે સંકલ્પ કરી એક હજાર વર્ષ તપનું પુણ્ય મુક્યું છતાં પૃથ્વી તોળાય નહીં. પછી વશિષ્ઠને કહ્યું તમે તમારા લવ સતસંગનું પુણ્ય મુકો. વશિષ્ઠએ તેમ સંકલ્પ કરીને મુક્યું અને પૃથ્વી અધ્ધર તોળાઇ ગઇ અને ન્યાય વશિષ્ઠને મળી ગયો.

આ જ પેલી ઉપરની ચોપાઇનું રહસ્ય છે. ગોસ્વામી તુલસીદાસે કાંઇક આ પ્રસંગને અનુલક્ષીને અને બીજો સતસંગનો મહિમા કેવો છે તે જણાવ્યું છે. અહીં મોક્ષ સુખને ગૌણ ગણેલ છે. લંકીનીને ભગવાનના દુતનું દર્શન થયું અને તેના એક મુઠીનો ઢીકો લાગવાથી ઘણું ઘણું ભુત ભવિષ્યનું દર્શન થયું.

તેથી મોક્ષ કરતાં પણ સંત દર્શનનું સુખ અધિક છે. સંત દર્શન તો દુર્લભ છે જ. પરંતુ સંત સમાગમથી જે સુખ થાય છે તે મહાન છે. તો પ્યારે ભક્તો, રાણાભાઇના તે પ્રશ્નમાં જે મોક્ષ કરતાં સતસંગનું સુખ અધિક કેમ? તો મોક્ષ તે શું અને સતસંગનું સુખ તેમાં ફરક શું તે વિશે સમજ વધુ પડે તે માટે મને વિસ્તૃત વર્ણન કરવાની આવશ્યકતા લાગી તેથી થોડું લંબાયુ છે. બુધ્ધિ મતે જણાવ્યું છે. બાકી તો મોક્ષ વ્યક્તિને જ્ઞાન કાલે અનુભવાય છે. ત્યારે વ્યક્તિ, વ્યકિત રહેતી નથી. અવ્યક્તમાં અનુભવાય છે. વ્યુત્થાન દશામાં મન,
બુધ્ધિનો આશ્રય કરી પછી અનુભવે છે. અને સતસંગ તો સામું સ્વયં બ્રહ્મ સ્વરૂપ સદગુરૂ મૂર્તરૂપમાં સામે બેસીને કરાવતા હોય છે. તેથી તેનું સુખ અધિક હોય છે. સત્યનું સુખ ક્ષણ હોય કે લવ હોય તેનો મહિમા છે. વ્યક્તિ ક્ષણ કે લવ માત્ર પણ જો સત્યનો સ્પર્શ કરે તો, જન્માન્તરનાં પાપ દોષોથી મુક્ત થઇ જાય છે. બસ આ મહિમા છે.

પ્રજ્ઞા બેટા, ચંદ્રકાન્ત પણ ઠીક ગુરૂ-શિષ્યનો તેમાં પણ સંવાદ છે. તેથી તેમાં પણ તત્વજ્ઞાન સારી રીતે દ્રષ્ટાંતોથી યુક્તિપુર્વક સમજાવેલ છે. પરંતુ જ્યાં ઉપાધિ શબ્દ કે ઉપાદાન શબ્દ અન્યને ઓછા સમજાય તો આપને તથા લીલાભાઇ કેશવાલા, લક્ષ્મણ, પરબતજી સાહેબ ઇત્યાદીને તો સમજાવ્યું છે મેં. તેવા શબ્દો ઉપર આપની ભક્તોની પરસ્પરની બુધ્ધિ પહોંચે તે પ્રમાણે બને તેટલું વિસ્તૃત કરવું, તેથી આપણી બુધ્ધિ પણ કસાતી ચાલે, અભ્યાસ વધે, સાથે જ્ઞાનમાં પણ બુધ્ધિ કુશલ થતી ચાલે. ભારતિનો પણ તેમાં અભ્યાસ છે. બસ આપનો હિતેચ્છુ, આત્મન

લિ.આપનો ભજનપ્રકાશાનંદ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | 2 Comments

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 2

રવિવાર
તા.9-2-2003
પ્રશ્નઃ- હે મુનિ રાગીપુરૂષની પેઠે બહુજ નાચ્યા કરતા એ કૃતાંતનું(કાળ) નિયતી(સર્વદા ફલનું નિશ્ચિતપણું) રૂપ સ્ત્રીમાં અત્યંત કામી પણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળો શેષનાગ ને ત્રણે લોકમાં વહેંચાયેલો ગંગાનો પ્રવાહ એ બન્ને દૈવરૂપી કાપાલીકના સવ્ય તથા અપસવ્ય જનોઇરૂપે છે.

પ્રત્યુત્તરઃ- સવ્ય તથા અપસવ્ય જે શબ્દો છે તેમાં દૈવનું કાપાલીકરૂપમાં વર્ણન કરીને તે સવ્ય તથા અપસવ્ય જનોઇરૂપે કહ્યા છે. તેમાં જનોઇ ડાબે-જમણે બદલાતી હોય છે. એક જગ્યાએ શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનના નામો છે તેમાં એક અર્જુનનું નામ સવ્યસાચીન છે. તેનો અર્થ એ થાય કે સવ્ય એટલે ડાબે હાથે અને સાચીન એટલે સંધાન કરનાર. ધનુષ્યનું ડાબે હાથે સંધાન કરે તેને સવ્યસાચીન કહે. તેથી સવ્ય શબ્દ અને અપસવ્ય બંને સવ્ય એટલે ડાબું અને અપસવ્ય એટલે ડાબું નહીં પણ જમણું એવો અર્થ થાય. બાકી તો મારા પ્યારા ભક્તો હું પણ કાંઇ વ્યાકરણ શાસ્ત્રી નથી. કોઇનો અર્થ ન પણ સમજી શકાય. છતા જે મને સમજાશે તે કહેતો રહીશ. તેવા શબ્દો ગૌણ છે. છતાં પુછતું રહેવું. આપણે તત્વ સમજવું છે. જરૂર પુછતા રહેશો. પ્રત્યુત્તર આપતો રહીશ.

લી. આપનો ભજનપ્રકાશાનંદ

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

પ્રત્યુત્તરઃ-(1) જ્ઞાનવાનનો અર્થ

જ્ઞાનવાનનો અર્થ  –  પ્રત્યુત્તરઃ-(1)

તા. 09-02-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

જ્ઞાનવાનનો મુખ્ય અર્થ તો એ છે કે જે વિવેક, વૈરાગ્ય, શમાદિ ષટ્સંપત્તિ, મુમુક્ષુતા તથા શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વં પદાર્થનું શોધન જેણે કરી અને ગુરૂના મહાવાક્ય તત્વમસિ ને કાનથી શ્રવણ કરીને જે સાધન ચતુષ્ટ્ય સંપન્ન છે. તત્વં પદાર્થનું શોધન કરેલ છે. તેને ગુરૂ મહાવાક્ય કહેતાંજ તેના શ્રવણથી જીવ તથા ઇશ્વરનું તત પદ વાચ્ય ઇશ્વર અને ત્વં પદ વાચ્ય જીવ બંનેના વિરોધી ધર્મોમાં એકતા અથવા અભિન્નતામાં વિરોધ જણાતાં જેણે લક્ષણાવૃત્તિ દ્વારા અથવા ભાગ ત્યાગ લક્ષણા દ્વારા તતપદ વાચ્ય ઇશ્વર અને ત્વં પદ વાચ્ય જીવ, તે બંનેના વાચ્યાર્થ ભાગના ત્યાગપુર્વક અને તતપદ લક્ષ્ય બ્રહ્મ તથા ત્વંપદ લક્ષ્ય કુટસ્થ બંનેની લક્ષ્યાર્થમાં સ્વીકારપુર્વક જેણે અસિપદમાં આત્મા – પરમાત્મા ની અભીન્નતાનો સ્વિકાર કરીને, ગુરૂના સદ્બોધને પ્રાપ્ત થઇને અહં બ્રહ્માસ્મિ ની અપરોક્ષ અનુભુતી પુર્વક જે નિષ્ઠાવાન બન્યો છે. અને જેને સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થઇ છે. પરિપક્વ નિષ્ઠાવાન થયો છે. એવો બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મવેતા કે બ્રહ્મજ્ઞાતાને પણ જ્ઞાનવાન મનુષ્ય કહેવાય. આવી જે સ્વરૂપનિષ્ઠા દ્રઢ અને ખુબજ પરિપક્વ થયેલી છે તેને માટે તો કોઇ ફરી તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ નથી. તે તો તરણા તોલ બનવાનો પણ સંભવ નથી. તે તો જ્ઞાનવાન તે જ્ઞાનવાન મનુષ્ય છે. મેરૂ જેવો દ્રઢ સ્થિર છે. શુરવીર છે અને તે નરોત્તમ ધૈર્યવાન પણ છે. તે તેવો જ છે. આ જ્ઞાનવાનનો મુખ્ય અર્થ છે.

બીજો જ્ઞાનવાનનો અર્થ જોશું કે જે પ્રથમ ઉપર બતાવ્યા પ્રમાણે તે પણ સાધન ચતુષ્ટ્ય સંપન્ન છે. અને તેણે પણ ગુરૂના બોધ દ્વારા બોધીત થઇને અપરોક્ષ અનુભુતી કરી છે. પરંતુ નિષ્ઠાવાન નથી. નિષ્ઠા પાકી નથી. અપક્વ જ્ઞાની છે. અવિદ્યાની નિવૃત્તિ તો થઇ છે. આત્મા અનાત્માનો વિવેક પણ થયો છે. જે દેહાભિમાનથી જીવતો હતો તે હવે વિવેકપુર્વક આત્માને આત્મા સમજીને આત્મામાં જ અહં બ્રહ્માસ્મિનો અનુભવ કરે છે. પરંતુ જે સ્વરૂપની નિષ્ઠા માટે એકાંતમાં બેસીને ખુબ જ સ્વરૂપાનુસંધાન કરવું જોઇએ તે કરી શક્યો નથી.

જેમ તીરના લક્ષ્યમાં સંધાનથી અને બલપુર્વક તીર છોડવાથી સીધું લક્ષ્યમાં સંધાઇ વેધપુર્વક લક્ષ્યમાં પ્રવેશ કરી જાય છે. તેમ વૃત્તિ દ્વારા ફરી ફરીને અનુસંધાન કે આવર્તન કરવાથી વૃત્તિ દ્રઢ અનુસંધનિય બને છે. તદરૂપ બને છે. તતાકાર થઇને તેમાં જ નિવૃત થાય છે. અને દ્રઢ નિષ્ઠા થાય છે. તેવી નિષ્ઠાનો સંસારમાં કોઇ પણ પ્રલોભનિય પદાર્થ નથી કે તેને પ્રલોભન કરી શકે. તેવી સ્વરૂપનિષ્ઠા તથા નિજાનંદ સ્વરૂપાનંદમાં મસ્ત હોય છે કે જે આનંદની આગળ સર્વ સઘળા રસો નિરસ થયા હોય છે. મન અમન થયું હોય છે. અને તેવા જીવનમુક્ત જ્ઞાનવાનનો વહેવાર પણ બાધિતાનુવૃત્તિ વડે થતો હોય છે. અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા તેવો સંશય વિપર્યય રહિત યથાર્થ અનુભવ છે, તેને માટે તૃષ્ણાનું કોઇ કારણ જ રહેતું નથી. અને તેવા મહાત્મા મળવા દુર્લભ હોય છે. અને તે વહેવાર પણ મનથી ન કરતા હોય તે સત્વ અંતઃકરણથી કરતા હોય છે. કારણ કે જે મનમાં વાસના હોય તે મન કહેવાય છે. અને જે મનમાં વાસના ન હોય તે સત્વ કહેવાય. અને તેવું અંતઃકરણ જીવનમુક્ત મહાપુરૂષોનું હોય છે.

તેવા મહાપુરૂષોને માટે તો કોઇ તૃષ્ણાનું કારણ નથી. પરંતુ અપરોક્ષ અનુભૂતી કરી છે. પરંતુ નિષ્ઠાથી પરિપક્વ નથી. અપક્વ દશાવાળો છે. અને અવિદ્યાની પણ નિવૃત્તિ કરી છે. દેહબુધ્ધી પણ નથી છતાં, જ્ઞાનમાર્ગમાં એક મોટું વિઘ્ન તે છે કે અનુસંધાન પરીપક્વ ન થયું હોય નિષ્ઠા પાકી ન થઇ હોય. જ્યારે પરિપક્વ દશા થાય ત્યારે અનુસંધાન આપોઆપ છુટી જાય છ અને અહં બ્રહ્માસ્મિ પણ ન રહે. જેમ આપણને શરીરનું નામ મગન છગન આપ્યા પછી જેવી નિષ્ઠા થઇ ગઇ છે કે ઘેરી સુષુપ્તિમાંથી પણ જાગૃત થઇ જાય છે. તેવી જ નિષ્ઠા સ્વરૂપમાં થાય કે વારંવાર તેની પછી આવૃત્તિ કરવી પડતી નથી. નામમાં નિષ્ઠાથી જ સર્વ વ્યવહાર કરીયે છીએ. પરંતુ આવા જ્ઞાની કેટલા? કોઇ શંકરાચાર્ય જેવા અપવાદરૂપમાં.

હવે બીજો અર્થ તે કે તેવી નિષ્ઠા નથી. અવિદ્યાની પણ નિવૃત્તિ છે. પરંતુ પક્વ દશા નિષ્ઠાવાન દશા નથી. તેને વિશે અષ્ટાદશરત્નમાં વિવેકચુડામણીમાં શંકરાચાર્ય મહારાજે બહુ જ સુંદર બતાવ્યું છે તે જોઇએ.

વિવેકચુડામણી શ્લોકઃ- 321
प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन ।
प्रमादो मृत्युरित्याह भगवान्ब्रह्मणः सुतः ।।

શ્લો0- અંતઃકરણને બ્રહ્મમાં સ્થિર રાખવામાં કદી પણ પ્રમાદ ન કરવો. પ્રમાદ મોત છે એમ બ્રહ્માના પુત્ર ભગવાન સનત્સુજાત ધૃતરાષ્ટ્ર પ્રતિ કહેતા હતા. આત્મસ્વરૂપનુ વિસ્મરણ કરવારૂપ પ્રમાદ મહા અનર્થ કરનારો છે, એમ કહે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 322
न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरुपतः ।
ततो मोहस्ततोऽहंघीस्ततो बन्धस्ततो व्यथा ।।

શ્લો0- આત્મજ્ઞાનીને પોતાના સ્વરૂપના વિસ્મરણથી ભિન્ન બીજો કોઇ પણ મોટો અનર્થ નથી. તેથી આત્મસ્વરૂપના વિસ્મરણથી અવિવેક, તેથી અવિવેકથી દેહાદીમાં હું એવું જ્ઞાન, તેથી દેહાદીમાં હુંપણાના જ્ઞાનથી જન્મ-મરણરૂપ સંસાર, અને તેથી સંસારથી તેને નાના પ્રકારની પીડા થાય છે. હવે આત્મસ્વરૂપનું વિસ્મરણ ચિતને વિક્ષેપવાળું કરે છે તેમ જણાવે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 323
विषयाभिमुखं दृष्ट्‌वा विद्वांसमपि विस्मृतिः ।
विक्षेपयति धीदोषैर्योषा जारमिव प्रियम् ।।

શ્લો0- જેમ સ્ત્રી પોતાના પ્રિય ઉપપતિને પોતાના સ્મરણ વડે વિક્ષેપયુક્ત કરે છે, તેમ આત્મસ્વરૂપની વિસ્મૃતિ જ્ઞાનીને પણ વિષયની અભિમુખ થયેલો જોઇને અહંકારાદિ બુધ્ધિના દોષો વડે વિક્ષેપયુક્ત કરે છે. અવિદ્યા દુર કરી હોય તોપણ પછી બહિર્મુખ થયેલા અંતઃકરણ વાળાના આત્માને આવરણ કરે છે, એમ દ્રષ્ટાંત આપીને સમજાવે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 324
यथाऽपकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति ।
आवृणोति तथा माया प्राज्ञं वाऽपि परांमुखम् ।।

શ્લો0- જેમ હાથ વડે જલ ઉપરથી દુર કરેલી નીલ અન્ય સ્થલે ક્ષણ માત્ર પણ રહેતી નથી પણ પાછી હતી તે જગ્યાએ આવીને જલને ઢાંકે છે. તેમજ આત્મા ઉપરથી દુર કરેલી અવિદ્યા પણ બહિર્મુખ થયેલા જ્ઞાનીના આત્માને ઢાંકી દે છે. માટે જ્ઞાનીએ જ્ઞાન વડે અવિદ્યાને દુર થયેલી માની આત્મસ્વરૂપનું વિસ્મરણ ન જ કરવું પણ સર્વદા સ્વરૂપાનુસંધાન રાખવું. બહિર્મુખ થયેલું ચિત અનર્થની પરંપરા વધારનારું થાય છે. એમ કહે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 325
लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषद्बहिर्मुखं सन्निपतेत्तस्ततः ।
प्रमादतः प्रच्युतकेलिकन्दुकः सोपानपंक्तौ पतितौ यथा तथा ।।

શ્લો0- જેમ પ્રમાદથી હાથમાંથી પડી ગયેલો રમવાનો દડો પગથીયાંની હાર પર પડીને ત્યાંથી નીચે નીચે પડતો જાય છે. તેમ પ્રમાદથી આત્મરૂપ લક્ષ્યમાંથી છુટું પડેલું ચિત જો થોડું પણ બહિર્મુખ થાય તો તે વિષય ચિંતનાદિ અનર્થની પરંપરામાં પડતું પડતું અધોગતીને પામે છે. ચિતની અધોગતિનું વર્ણન કરે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 326
विषयेष्वाविशच्चेतः संकल्पयति तद्गुणान् ।
सम्यक्संकल्पनात्कामः कामात्पुंसः प्रवर्तनम् ।।

શ્લો0- નેત્રાદિ ઇંદ્રિયો દ્વારા રૂપાદિ વિષયોમાં સંબધવાળું થયેલું ચિત તેના તે વિષયોના રમણિયપણાદિ ગુણોનું  ચિંતન કરે છે. વારંવાર કરેલા તે ચિંતનથી તેમાં તે વિષય પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રગટે છે. વિષયની ઇચ્છાથી તે વિષય મેળવવા માટે પુરૂષની પ્રવૃતિ થાય છે. પછી તેનું સેવન થાય છે. એમ ચિત ઉત્તરોત્તર પોતાની સ્થુલતાને ચંચલતામાં વધારો કરતું રહે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 327
अतः प्रमादान्न परोऽस्ति मृत्युर्विवेकिनो ब्रह्मविदः समाधौ ।
समाहितः सिद्धिमुपैति सम्यक्समाहितात्मा भव सावधानः ।।

શ્લો0- આથી વિવેકવાળા બ્રહ્મવેતાને આત્મસ્વરૂપના વિસ્મરણરૂપ પ્રમાદથી ભિન્ન મોત નથી. આત્મસ્વરૂપમાં ચિતની એકાગ્રતા કરનાર યથાર્થ સિધ્ધિને જીવનમુક્તિને પામે છે. તેથી હે સૌમ્ય તું સાવધાન થઇ એકાગ્ર ચિતવાળો થા. પુનઃ પ્રમાદથી થતી હાનીનું નિરૂપણ કરે છેઃ

વિવેકચુડામણી શ્લોકઃ- 328
ततः स्वरुपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः ।
पतितस्य विना नाशं पुनर्नारोह ईक्ष्यते ।।

શ્લો0- તેથી પ્રમાદથી સદગુરૂએ તથા સતશાસ્ત્રે ઉપદેશ કરેલું આત્મજ્ઞાન નાશ પામેલું થાય છે, અને આત્મજ્ઞાનના નાશવાળો નીચે પડે છે. વિષય ચિંતનમાં ને વિષય સેવનમાં તત્પર થઇ જાય છે. નીચે પડેલાનો નાશ વિના, ઉત્તરોત્તર અધોગતિ વિના પુનઃ આરોહ, ચડવું, આત્મામાં સ્થિર રહેવું જોવામાં આવતા નથી. સ્વરૂપનું વિસ્મરણ કરી ભેદબુધ્ધિ વડે વિષયોમાં રમણિયપણાની બુધ્ધિ ન રાખવી એમ ઉપદેશ કરે છે.

વિવેકચુડામણી શ્લોકઃ- 329
संकल्पं वर्जयेत्तस्मात्सर्वानर्थस्य कारणम् ।
जीवतो यस्य कैवल्यं विदेहे स च केवलः ।
यत्कॢञ्चित्पश्यतो भेदं भयं ब्रूते यजुः श्रुतिः ।।

શ્લો0- નિજાનંદની પ્રગટતા અને દુઃખની નિવૃત્તિ, વિષયમાં રમણિયપણાની બુધ્ધિરૂપ સંકલ્પના ત્યાગ વિના થાય નહીં. તેથી સર્વ દુઃખના કારણરૂપ સંકલ્પનો પરિત્યાગ કરે. જેને જીવતાં સંકલ્પના પરિત્યાગ વડે મુક્તપણું પ્રાપ્ત થયું હોય તે જ દેહના ત્યાગ પછી વિદેહ મોક્ષનો ભાગી થાય છે. બ્રહ્મમાં થોડો પણ ભેદ જોનારને જન્મમરણરૂપ પ્રાપ્તિ થાય છે તેમ યજુર્વેદની શ્રુતિ કહે છે.

આ બીજો જ્ઞાનવાનનો અર્થ શંકરાચાર્યજી મહારાજના મતે જોયો. અવિદ્યાની નિવૃતિ પછી અને અપરોક્ષ અનુભૂતિ થયા પછી પણ જો સ્વરૂપાનુસંધાન દ્વારા નિષ્ઠા પ્રાપ્ત ન થઇ હોય અને જો બાહ્ય વિષયોમાં બહિર્મુખ થઇને નામરૂપાત્મક વિષયોનું ચિંતન કરવા લાગે તો શંકરાચાર્યે કહ્યું તે મુજબ તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાં થોડી પણ અહં તૃષ્ણા સાથે સ્ફુરતાં એટલો હેઠો પડે છે કે તેને માટે ઉપર ચડવું કઠીન છે. ઘણાની દશા તેવી જોવામાં આવે છે. તે પછી રડતા હોય છે, દુઃખી થતા હોય છે. અને એટલા નિરાશ બની ગયા હોય છે કે તેને કશું પણ સુજતું નથી. તેમાં તો એ કે સાધના ચડતી પડતીની છે. અને કઇંક જ્ઞાનવાનને આપણે પડતા પણ જોયા છે. શાસ્ત્ર પુરાણોમાં પણ ઘણા ઋષિ મુનિયોનાં ઉદાહરણો છે. અને તે પાછા પોતાની ભુલ સમજાતાં તુરત તિવ્ર વૈરાગ્ય દ્વારા પાછા ચડી પણ ગયા છે. અને કોઇ તરણાના તોલનો કાયમ રહી જાય છે. અને શંકરાચાર્યજી મહારાજ જેવાના જીવનમાં ક્યારે પણ વિક્ષેપના દર્શન થતાં નથી. તેનું કારણ તે જ હોય છે કે આવી મહાન વિભુતિઓ જ્યારે શરીર લઇને જન્મે છે ત્યારે જ્ઞાનની પુર્ણ સામગ્રી, નિષ્ઠાવાનપણા સહિત જન્મે છે. પાંચ સાત કે આઠ વર્ષમાં વેદાધ્યયન કરી લેવું. અને નવમે વર્ષે સંન્યાસની ઇચ્છા કરે તેવા નવ વર્ષના બાલકને સંન્યાસના શું ખબર પડે. આવા જન્મસિધ્ધ મહાપુરૂષો ક્યાંક ક્યાંક અપવાદરૂપમાં જન્મ ધારણ કરતા હોય છે. અને તેવા મહાપુરૂષોને તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ જ નથી. બુધ્ધ કે મહાવીર હોય તો તે ઘણા વિક્ષેપ સહિત જ્ઞાન સામગ્રી લઇને જન્મતા હોય છે. રાજવીકુલમાં વિક્ષેપમાં રહેતાં રહેતાં પછી પુર્વ સંચિત જ્ઞાન જાગૃત થાય અને પછી વૈરાગ્ય થાય ત્યારે ખુબ એકાંતમાં જઇ તપશ્ચર્યા, સાધન, ભજન, ધ્યાન કરી, કઠોર સાધના કર્યા પછી વિક્ષેપની નિવૃતિ થાય, પછી નિષ્ઠા થાય, પછી બુધ્ધ કે મહાવીર બને. તેવું શંકરાચાર્ય જીવનમાં નથી. બૌધ્ધ બનીને જન્મ્યાં હતા. નથી તેના જીવનમાં જોવામાં આવતી કે કોઇ કઠોર તપશ્ચર્યા કરી હોય, છતાં મહાન યોગી પણ હતાં. કારણ કે આવા જન્મ ગીતામાં પણ દુર્લભ જણાવ્યા છે. બુધ્ધ મહાવીર શ્રીમંત કુલમાં જન્મ્યાં હતા અને શંકરાચાર્ય યોગી કુલમાં જન્મ્યાં હતા. એક વિક્ષેપસહિત જ્ઞાન સામગ્રી લઇને જન્મ્યાં એક વિક્ષેપરહિત જ્ઞાન સામગ્રી લઇને જન્મ્યાં. એક નિષ્ઠાસહિત જ્યારે એકને નિષ્ઠા કેળવવી પડી.

માટે અપરોક્ષ અનુભુતિ થયા પછી પણ જ્ઞાનીએ જ્ઞાનની દ્રઢતા માટે ખુબ એકાંતસેવન કરવું જોઇએ. નિષ્ઠાના પરિપાક પછી સાચો નિષ્ઠાવાન બ્રહ્મવેતા કે જ્ઞાનવાનને તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ નથી.

હવે એક ત્રીજો અર્થ  પણ જોઇએ કે જેની જ્ઞાનવાન મનુષ્યમાં ગણના થાય તેવા જેમીની કે જે શ્રીકૃષ્ણ દ્વૈપાયનના મુખ્ય શિષ્ય પૂર્વમિમાંસાના આચાર્ય તે પણ જ્ઞાનવાન મનુષ્ય કહેવાય. કથા પ્રચલિત છે. વ્યાસ ભગવાન પોતે ભાષ્ય કોઇ લખતા હતા અને તેમણે લખ્યું કે * ઈન્દ્રિયો એવી બલવાન છે કે વિદ્વાન મનુષ્યના મનને પણ બલાત્કારે વિષયોમાં ખેંચી જાય છે. संपकर्षति – ત્યારે જેમીનીએ તેનો વિરોધ પ્રગટ કર્યો કે ગુરૂજી આપણે તપસ્વી છીયે, વિદ્વાન છીયે, ત્યાગી વૈરાગી છીયે. અરણ્યવાસીને શું ઈન્દ્રીયો આકર્ષે? नापकर्षती લખવું જોઇએ. વ્યાસ ભગવાને દ્રષ્ટાંત દલીલો કરીને સમજાવ્યાં, પરંતુ જેમીનીની બુધ્ધિમાં વાત ઠસતી નથી અને વળતી દલીલો કરવા લાગ્યાં એટલે વ્યાસ  ભગવાને કીધું, મારા લખાણ ઉપર છેકો મારો અને જેમીનીએ છેકો માર્યો અને લખ્યું नापकर्षती. બસ વાત પુરી થઇ. જેમીની તે વાતને ભુલી ગયા છે. પરંતુ જ્ઞાનવૃધ્ધ અનુભવી ગુરૂ ના લખાણ પર છેક માર્યો તેવા વ્યાસ ભગવાન કેમ ભુલે. શિષ્યની બુધ્ધિમાં ઠસાવવા અને અનુભવ કરાવવા માટે તે વાતનો ખ્યાલ જ હતો કે સમય આવ્યે તે અનુભવ કરાવવો અને શિષ્યની પરીક્ષા કરી તે વાત સૌને જ્ઞાત જ છે. જેમીનીએ કાળું મોઢું કર્યુ, ઘોડો થયો, જે જે કહે તે તે કરવા તૈયાર થયા, તરણાના તોલનો તૃષ્ણાએ તેને એક પલમાં કરી નાખ્યો. તેની વિદ્વતા પણ ભુલાઇ ગઇ, જ્ઞાન વિસરાઇ ગયું. શ્રીમદ ભગવદ ગીતામાં પણ તેની પુર્તિ કરતો શ્લોક છે.

અધ્યાય 2જો, શ્લોક – 60
यततो ह्यपि कौन्तेय, पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि, हरन्ति प्रसभं मनः ।।

શ્લો0- હે કૌંતેય! યત્ન કરનારા વિવેકી પુરુષના મનને પણ સર્વને મથી નાખનારી ઇન્દ્રિયો બલાત્કારે વિષયો ભણી ખેંચી જાય છે. ) ક્યારેક જ્ઞાનની સાથે અજ્ઞાન પોષાતું હોય છે. ક્યારેક અજ્ઞાન જ્ઞાનમાં ખપતુ હોય છે, તેવી ભ્રાંતિ ચાલતી હોય અજ્ઞાન જ્ઞાનમાં ખપે તે બહુ જ ખરાબ છે. પરંતુ જ્ઞાન અજ્ઞાનમાં ખપતું હોય ત્યાં ભુલના ખબર રહે છે. અને પાછળથી જ્યારે તે સમજાય ત્યારે જાગૃતિ પણ આવી જાય છે.

બીજું જોઇએ નારદ મુનીની કથા પણ સૌને જ્ઞાત છે. તેણે હિમાલયમાં કોઇ એક રમણીય સ્થાન જોયું અને સમાધિ કરવાની ઇચ્છા થઇ. સમાધિસ્થ થયાં. અને જેની પરીક્ષા કરવાની ઈન્દ્ર મહારાજને પણ ઇચ્છા થઇ. અને કામદેવને તેમની સામગ્રી સહિત મોકલ્યાં. કામદેવે પણ પોતાની જેટલી કામકલા હતી તેના સઘળા પ્રયોગો કરી જોયાં. અપ્સરાઓના નાચ-ગાન સહિત પરંતુ નારદ નારદ જ રહ્યાં, અચલ રહ્યા, અડગ રહ્યા. કામદેવ પણ શરણે થયા અને નારદની પ્રશંસા કરતા સ્વર્ગમાં ગયાં. આ ઘટના પછી નારદ ફરી સમાધિસ્થ ન થયા પરંતુ સુક્ષ્મ અહંકાર દબાયેલો જાગૃત થયો. ક્યાં છુપાયો હતો. નારદ જ્ઞાની હતા, આચાર્ય હતા, સઘળી વિદ્યાઓના જ્ઞાતા હતા, કોઇ વિદ્યા અજ્ઞાત ન હતી. તેવા તે જ્ઞાનવાન મનુષ્ય હતા. અને તેને થયું ચાલ જાઉં શિવજીને જઇને જણાવું કે કામજીત તે એકલા જ થોડાં છે? હું પણ છું. સુક્ષ્મ અહંકારે કૈલાશ પહોંચાડ્યાં. ભગવાન શિવજીએ આદર કર્યો, કુશલ પુછયા અને સઘળી વાત કરી. કામદેવના પરાજયની પણ વાત કરી. ભગવાન શંકર તેના સુક્ષ્મ અહંકારને સમજી ગયા અને કહ્યું કે નારદ તમે આ વાત બીજે ક્યાંય ન કરતા અને વિષ્ણુને તો બીલકુલ ન કહેશો. ભગવાન શિવજીએ તો નારદના હિતની વાત કહી પરંતુ નારદને તેમાં પણ મત્સરના દર્શન થયાં. આ શંકર પોતે એકજ સૃષ્ટિમાં કામજીત છે તેવી પ્રખ્યાતિને લઇને, હું પણ કામજીત છું તો મારી અદેખાઇ કરે છે તેથી જાહેર કરવાની મનાઇ કરે છે. આ પણ અહંકાર જ હતો. આપણને કોઇ સારી સલાહ કે હિતકારી સુચન આપતું હોય તો તેમાં પણ દોષ-દર્શન થાય અને તેને અહિતકારી માનવા લાગીયે. નારદ પણ શિવજીથી સંતુષ્ટ ન થયાં, ત્યાંથી સીધા વિષ્ણુ પાસે આવ્યાં. વિષ્ણુ ભગવાને પણ નારદનો ખુબજ આદર  કર્યો, પ્રશંસા કરી, માન આપ્યું. અને વાત વાતે નારદ તે કહેવાતો ગયા હતા અને સઘળી કામજીતની વાત કરી. વિષ્ણુ ભગવાને પણ નારદના ખુબ ખુબ વખાણ કર્યા. તમારા જેવા બ્રહ્મચારીને માટે કાંઇ પણ દુર્લભ નથી. આપ જેવા બ્રહ્મચારીઓથી આ સૃષ્ટિ શોભે છે. ઇત્યાદિ ઇત્યાદિ શબ્દોથી ખુબ ખુબ વખાણ કર્યાં. અને નારદ પણ ભગવાન આપની કૃપા તેમ અભિમાનથી બોલ્યા અને વિદાય લઇને નીકળ્યાં. ત્યાં રસ્તામાં જ એક વિચિત્ર નગરી જોઇ. ક્યારેય પણ જોયેલી નહીં, એટલે પ્રવેશવાની ઇચ્છા થઇ. પ્રવેશ કરતાં જ જાણવા મળ્યું કે અહીંનો શિલનિધી રાજા છે તે પોતાની વિશ્વમોહિની નામની કન્યાનો સ્વયંવર કરે છે. નગરી ખુબ શણગારેલી હતી અને રાજદ્વાર સુધી નારદને પ્રવેશનો અધિકાર હતો. ત્યાં રાજદરબારમાં ગયા છે. શિલનિધી રાજાએ પુજા અર્ધ્ય ઇત્યાદીથી ખુબ સત્કાર કર્યો આસન આપ્યું. કુંવરીના સ્વયંવરની વાત કહીને તેના ચરણમાં વંદન કરાવ્યું. અને હસ્તરેખા જોવાનું કહ્યું. હસ્તરેખા જોઇ જતા જ નારદ નારદ ન રહેતાં રદ થઇ ગયાં. રેખા ઘણી ઉંચી હતી. તેને જે પરણે તે અમર થઇ જાય, ઇત્યાદી ગુણોનું દર્શન થયું અને ભુલા પડ્યાં. રેખા જેમતેમ બતાવીને ત્યાંથી ભાગી છુટ્યાં. રસ્તામાં વિચાર કરતા જાય છે, કેમ પ્રાપ્ત થાય? શું કરવું પડે? તર્ક કરતા જાય અને તર્ક મળ્યો કે જો વિષ્ણુ જેવું રૂપ હોય તો જ મને પરણે. ચાલ વિષ્ણુ પાસે જાઉં તે ઉદાર છે, ભક્તવત્સલ છે, તેનુ રૂપ આપશે.અને વિષ્ણુ પાસે ગયા. હજીતો હમણાંજ કામજીતની વાત કરીને નીકળ્યા હતા અને ભગવાન પણ સમજી ગયા. નારદે સઘળી વાત કરી તેનું રૂપ માગ્યું, ભગવાને વ્યંગ વચનો પણ કહ્યા છતાં નારદ જ રહ્યા ન હતા, કોણ સમજે? અને તે રૂપ લઇને ત્યાંથી ઉતાવળે ઉતાવળે ભાગ્યા, વિષ્ણુએ ત્યાં પણ ભ્રાંતિમાં નાખ્યા. મોઢું કાળું મર્કટનું કર્યુ અને કન્યા પરણવા સભામંડપમાં બેઠા. ફજેતી થઇ.જ્ઞાનવાન મનુષ્ય પલવારમાં તરણાના તોલનો થયો. અહં જાગ્યો, તૃષ્ણા જાગી. માટે જ્ઞાનવાને કદીપણ એમ ન માનવું કે હું જ્ઞાનવાન છુ. જોકે સાચા બ્રહ્મવેતા તો જ્ઞાનનો દાવો જ કરતા નથી. તો મહાપુરૂષો મનનો વિશ્વાસ કરતા નથી. કારણ કે આ મન ક્યારે જીવતું થઇ જશે તે કહી ન શકાય. મન પણ ખુબ છેતરે છે. જ્ઞાનીને લાગે કે મારૂં મન મરી ગયું છે, અને જીવતુ થાય, પરિણામ દેખાડે ત્યારે ખબર પડે કે શું થયું.

તેથી એક મહાત્માનું દ્રષ્ટાંત સુંદર છે. તે પોતાના આશ્રમે શિષ્યોસહિત રહે અને એક બાજુમાં જ વેશ્યા ગણિકા રહે. તે કાયમ આશ્રમે થઇને નીકળે અને મહાત્માને કહે કે મહાત્મા મર્દ કે મેરી? મહાત્મા મર્દ પણ ન કહે મેરી પણ ન કહે. મહાત્મા સમજતા હતા કે મર્દ બોલી દઇએ અને મન લઇને બેઠો છુ તો ક્યારે મેરી કહી દીયે તે ખબર નહીં, માટે કાંઇ પણ ન બોલવું તે જ ઉચિત છે. અને કાંઇ પણ ન કહે. ગણિકાનો પણ તે જ ક્રમ હતો જ્યારે નીકળે ત્યારે કહે, મહાત્મા – મર્દ કે મેરી? તેમ કરતાં શરીરનો અંત થવાનો સમય આવ્યો, મહાત્મા પણ સમજી ગયા અને પોતે પદ્માસન લગાવીને તૈયાર થયા. પ્રાણને ઉર્ધ્વ કરવાની તૈયારી કરવા લાગ્યા અને એક પોતાના શિષ્યને કહ્યું કે પેલી ગણિકાને બોલાવી આવ. શિષ્યએ ગણિકાને વાત કરીતે અમારા મહારાજ તને બોલાવે છે. ગણિકા પણ હરખાતી આવી અને  તુરતજ કહ્યું પ્રથમ આદત મુજબ કે મહાત્મા – મર્દ કે મેરી? મહાત્માએ મુછ પર હાથ નાખીને કહ્યું મર્દ છું. આ જાઉં છુ હવે મર્દ. મર્દ રહીને અહીં રહેતો હતો ત્યારે વહેવારમાં મનની જરૂર પડતી હતી. આ વહેવારીક જગતમાં મનને સાથે લઇને ચાલવું પડે છે તેથી તે શું કરે ખબર નહીં. પરંતુ હવે મન અહીં મુકીને જ જાઉ છું.

તો પ્યારા ભક્તો આ છે જ્ઞાનવાનનો અર્થ. કાયમને માટે સંતપુરૂષોના કે ગુરૂના સમાગમમાં રહેવું. જ્યાં શરણાગતી છે. અનન્ય સંતચરણમાં પ્રેમ છે અને સતત તત્વચિંતન છે તેને અહં કે તૃષ્ણા ઉદ્ભવવાનો સંભવ નથી. માટે જ્યાં સુધી તત્વમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી સંત સમાગમ કરવો. ગુરૂના સાનિધ્યમાં રહેવું. શરણાગતનો ભાવ રાખવો. એકાંતસેવન કરવું. યોગવશિષ્ઠ અજાતવાદનો ગ્રંથ છે. પરસ્પર ચર્ચા કરશો. બુધ્ધિ કસાશે. જરૂર પડે તે પુછતાં રહેશો.
 

લી. આપનો ભજનપ્રકાશાનંદ


* શ્રી યોગવશિષ્ઠ તો અજાતવાદનો ગ્રંથ છે. તેથી તેમાં જગતના જન્મનો સ્વિકાર જ નથી. જગત નથી તો મન ક્યાંથી હોય? સમષ્ટિ મનનું સ્થુલરૂપ જગત છે. અને વ્યષ્ટિ મનનું સ્થુલરૂપ આ શરીર છે. તેથી જગત કે મન તેવી વસ્તુ જ નથી. બ્રહ્મ અજાત છે. તેમાં કોઇનો જન્મ સ્વીકારવો જ વ્યર્થ છે. જેમ રજ્જુજ સર્પરૂપે દેખાય છે, તેમ બ્રહ્મ જ જગતરૂપે ભ્રાંતિથી દેખાય છે. સાપ દ્રષ્ટિ લોપ પામે તો રજ્જુ દર્શન યથાર્થ થાય. તેમ જગત દ્રષ્ટી દુર થતા બ્રહ્મ દર્શન યથાર્થરૂપે અનુભવાય. ઉપશમ પ્રકરણમાં તો મનની સ્થિતિજ ઉડાડી દીધી છે. ચલન વાયુનું પ્રાણનું છે. તેમાં ચૈતન્યની જ્યોતિ છે. ઇન્દ્રિયોના બાહ્ય ચલનથી ઇન્દ્રિયો અને પ્રાણના ચલનથી પદાર્થો પ્રકાશે છે. બોધ ચૈતન્યથી થાય છે. તેમા મન ક્યાં આવ્યું? માટે પ્રાણ અને તેમાં ચૈતન્યની જ્યોતિ બંને મળતાં મનની સંજ્ઞા પામે. તેથી પ્રાણના નિરોધથી મનનો નિરોધ થઇ જાય છે. મહાપુરૂષોને પણ સમાધિમાં મન અનુભવાતું નથી. સુષુપ્તિમાં તો સૌનો અનુભવ છે તો સમાધિમાં મન ક્યાંથી? કલ્પના સિવાય મન તેવી કોઇ વસ્તુ નથી. અને પદાર્થની વાસના સિવાય મન પણ કોઇ કલ્પના કરી શકે તેમ નથી. વાસનાની નિવૃતિ થતા કલ્પના તથા મન નિવૃત થઇ જાય છે. 

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

પ્રશ્નઃ- (1)

તા.02-02-2003, રવિવાર (શિષ્યો)

યોગવશિષ્ઠનો પ્રશ્ન

પ્રશ્નઃ- (1) મનુષ્ય મેરૂ પર્વત જેવો સ્થિર અચળ હોય, જ્ઞાનવાન હોય, શુરવીર હોય, ધીર હોય પરંતુ તૃષ્ણા એવી છે કે એવા નરોત્તમને પલવારમાં આંખના પલકારામાં તેને તરણાના તોલનો કરી નાખે છે તો ક્યા જ્ઞાનવાનને અથવા જ્ઞાનવાનનો અર્થ શો? 

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Leave a comment

Create a free website or blog at WordPress.com.