Monthly Archives: May 2014

ધ્યાનના પ્રયોગો (૨૬)

સંબંધ – પૂર્વશ્લોકમાં ભગવાને સઘળી કામનાઓનો ત્યાગ તેમ જ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાના નિશ્ચયની વાત કહી. હવે કામનાઓનો ત્યાગ અને ઈન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો – તેનો ઉપાય આગળના શ્લોકમાં બતાવે છે.

शनैः शनैरुपरमेद्बुद्धया धृतिगृहीतया।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत्‌ ॥ ભ.ગી.૬.૨૫ ||

क्रम-क्रम से अभ्यास करता हुआ उपरति को प्राप्त हो तथा धैर्ययुक्त बुद्धि द्वारा मन को परमात्मा में स्थित करके परमात्मा के सिवा और कुछ भी चिन्तन न करे॥

ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા સંસારથી ધીરે-ધીરે અભ્યાસ કરતો ઉપરામ થઈ જાય અને મન બુદ્ધિને પરમત્મસ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિત કરીને પછી પરમાત્મા સિવાય બીજા કશાયનું પણ ચિંતન ન કરે.

ટીકા – ’બુદ્ધયા ધૃતિગૃહીતયા’ – સાધન કરતાં – કરતાં પ્રાય: સાધકોને કંટાળો આવે છે અને નિરાશા થાય છે કે ધ્યાન અને ચિંતન કરતાં આટલાં દિવસો થઈ ગયા, પરંતુ તત્વપ્રાપ્તિ ન થઈ, તો હવે શું થવાની છે? કેવી રીતે થશે? આ વાત અંગે ભગવાન ધ્યાનયોગના સાધકને સાવધાન કરે છે કે તેને ધ્યાનયોગનો અભ્યાસ કરતાં સિદ્ધિ પ્રાપ્ત ન થાય, તોપણ કંટાળવું ના જોઈએ, પરંતુ ધૈર્ય રાખવું જોઈએ. જેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત થતાં કે સફળતા મળતાં ધૈર્ય રહે છે, તેવું જ ધૈર્ય વિફળતા મળતાં પણ રહેવું જોઈએ; ભલે વર્ષોનાં વર્ષો વીતી જાય અને શરીર છૂટી જાય તોપણ પરવા નહિ, પરંતુ તત્વને તો પ્રાપ્ત કરવું જ છે. કારણ કે એનાથી ચડિયાતું બીજું કોઈ એવું કામ છે જ નહિ. એટલા માટે તેને સમાપ્ત કરીને આગળ શું કામ કરવાનું છે? જો એનાથી ચડિયાતું કોઈ કામ હોય તો આને છોડો અને તે કામને અત્યારે જ કરો! – આ રીતે બુદ્ધિને વશમાં કરી લેવી અર્થાત બુદ્ધિમાં માન, બડાઈ, આરામ વગેરેને લીધે જે સંસારનું મહત્વ રહ્યું છે, તે મહત્વને હઠાવી દેવું. તાત્પર્ય એ છે કે પૂર્વશ્લોકમાં જે વિષયોનો ત્યાગ કરવાને માટે કહેવામાં આવ્યું છે, એ વિષયોથી ધૈર્યયુક્ત બુદ્ધિથી ઉપરામ થઈ જવું.

શનૈ: શનૈરુપરમેત’ – ઉપરામ થવામાં ઉતાવળ ન કરવી; પરંતુ ધીરે-ધીરે ઉપેક્ષા કરતાં-કરતાં વિષયોથી ઉદાસીન થઈ જવું અને ઉદાસીન થઈ જતાં તેમનાથી બિલકુલ ઉપરામ થઈ જવું.

કામનાઓનો ત્યાગ અને મનથી ઈન્દ્રિયસમૂહનું સંયમન કર્યા પછી પણ અહીં જે ઉપરામ થવાની વાત બતાવી છે, તેનું તાત્પર્ય એ છે કે કોઈ ત્યાજ્ય વસ્તુનો ત્યાગ કરવા છતાં પણ તે ત્યાજ્ય વસ્તુની સાથે આંશિક દ્વેષનો ભાવ રહી શકે છે. એ દ્વેષભાવને હઠાવવાને માટે અહીં ઉપરામ થવાની વાત કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે સંકલ્પોની સાથે ન રાગ કરવો કે ન દ્વેષ કરવો; પરંતુ તેમનાથી સર્વથા ઉપરામ થઈ જવું.

અહીં ઉપરામ થવાની વાત એટલા માટે કહેવામાં આવી છે કે પરમાત્મતત્વ મનના કબજામાં નથી આવતું; કેમકે મન પ્રકૃતિનું કાર્ય હોવાથી જ્યારે તે પ્રકૃતિને પણ નથી પકડી શકતું, તો પછી પ્રકૃતિથી અતીત પરમાત્મતત્વને પકડી જ કેવી રીતે શકે? અર્થાત પરમાત્માનું ચિંતન કરતાં કરતાં મન પરમાત્મને પકડી લે, એ તેના હાથની વત નથી. જે પરમાત્માની શક્તિથી મન પોતાનું કાર્ય કરે છે, તે પરમાત્માને મન કેવી રીતે પકડી શકે? – ’યન્મનસા ન મનુતે યેનાહુર્મનો મતમ્’ (કેન. ૧/૫). જેવી રીતે, જે સૂર્યના પ્રકાશથી દીપક, વીજળી વગેરે પ્રકાશિત થાય છે, તે દીપક વગેરે સૂર્યને કેવી રીતે પ્રકાશિત કરી શકે? એવી જ રીતે મન, બુદ્ધિ વગેરેમાં જે કંઈ શક્તિ છે, તે એ પરમાત્માથી જ આવે છે. આથી તે મન, બુદ્ધિ વગેરે તે પરમાત્માને કેવી રીતે પકડી શકે? અર્થાત નથી પકડી શકતાં.

બીજી વાત, સંસારની તરફ ચાલવાથી નીર્ભેળ સુખ મળ્યું જ નથી. કેવળ સુંખાભાસ સાથેનું દુ:ખ જ દુ:ખ મળ્યું છે. આથી સંસારના ચિંતન સાથે પ્રયોજન ના રહ્યું તો હવે શું કરવું? એનાથી ઉપરામ થઈ જવું.

આત્મસંસ્થં મન: કૃત્વા’ – બધી જગાએ એક સચ્ચિદાનંદ પરમાત્મા જ પરિપૂર્ણ છે. સંકલ્પોમાં પહેલા અને અંતમાં (પછી) તે જ પરમાત્મા છે. સંકલ્પોમાં પણ આધાર અને પ્રકાશરૂપે એક પરમાત્મા જ પરિપૂર્ણ છે. તે સંકલ્પોમાં બીજી કોઈ સત્તા પેદા નથી થઈ; પરંતુ તેઓમાં સત્તારૂપે તે પરમાત્મા જ છે. એવો બુદ્ધિનો દૃઢ નિશ્ચય કે નિર્ણય રહે. મનમાં કોઈ તરંગ પેદા થઈ પણ જાય તો એ તરંગને પરમાત્માનું જ સ્વરૂપ માનવું.

બીજો ભાવ એ છે કે પરમાત્મા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરે બધામાં પરિપૂર્ણ છે. આ સ્થળ, કાળ વગેરે તો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે; પરંતુ પરમાત્મતત્વ બનતું-બગડતું નથી. તે તો સદા જેવું છે તેવું જ રહે છે. તે પરમાત્મામાં મનને સ્થિર કરીને અર્થાત્ સર્વ જગાએ એક પરમાત્મા જ છે, તે પરમાત્માના સિવાય બીજી કોઈ સત્તા છે જ નહિ – એવો પાકો નિશ્ચય કરીને કંઈ પણ ચિંતન ન કરવું.

ન કિગ્ચિદપિ ચિન્તયેત્’ – સંસારનું ચિંતન ન કરવું – આ વાત તો પહેલાં જ આવી ગઈ. હવે ’પરમાત્મા સર્વ જગાએ પરિપૂર્ણ છે’ એવું ચિંતન પણ ન કરવું કારણ કે જ્યારે મનને પરમાત્મામાં સ્થાપિત કરી દીધું, તો હવે ચિંતન કરવાથી સવિકલ્પ વૃત્તિ થઈ જશે અર્થાત્ મન સાથે સંબંધ ચાલુ રહેશે, જેથી સંસાર સાથે વિયોગ નહિ થાય. જો ’આપણી આવી સ્થિતિ ચાલુ રહે’ – એવું ચિંતન કરશું, તો પરિચ્છિનતા ચાલુ રહેશે અર્થાત્ ચિત્તની અને ચિંતન કરવાવાળાની સત્તા ચાલુ રહેશે. આથી ’સર્વ જગાએ એક પરમાત્મા જ પરિપૂર્ણ છે’ – એવો દૃઢ નિશ્ચય કર્યા પછી કોઈ પ્રકારનું કિંચિત્‍માત્ર પણ ચિંતન ન કરવું. આ રીતે ઉપરામ થવાથી સ્વત:સિદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ જશે, જેનું વર્ણન પહેલાં બાવીસમા શ્લોકમાં થયું છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | 3 Comments

ધ્યાનના પ્રયોગો (૨૫)

સંબંધ – પૂર્વશ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને જે યોગ (સાધ્યરૂપી સમતા)નું વર્ણન કર્યું હતું, તે જ યોગની પ્રાપ્તિને માટે હવે આગળના શ્લોકથી નિર્ગુણ-નિરાકારના ધ્યાનના પ્રકરણનો આરંભ કરે છે.

सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥ ભ.ગી.૬.૨૪ ||

संकल्प से उत्पन्न होने वाली सम्पूर्ण कामनाओं को निःशेष रूप से त्यागकर और मन द्वारा इन्द्रियों के समुदाय को सभी ओर से भलीभाँति रोककर॥

સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા ત્યજીને તેમજ મન વડે જ ઈન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને –

શ્રી રામસુખદાસજી કહે છે :

ટીકા: [જે સ્થિતિ કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીની થાય છે (અ.૬ના શ્લોક ૧ થી ૯ સુધી), એ જ સ્થિતિ સગુણસાકાર ભગવાનનું ધ્યાન કરવાવાળાની (અ.૬/૧૪-૧૫) તથા પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાવાળા ધ્યાનયોગીની પણ થાય છે. (અ.૬ના ૧૮ થી ૨૩મા શ્લોક સુધી) હવે નિર્ગુણ-નિરાકારનું ધ્યાન કરવાવાળાની પણ એ જ સ્થિતિ થાય છે – એ બતાવવા માટે ભગવાન આગળનું પ્રકરણ કહે છે.]

સંકલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષત:’ – સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ વગેરેને લીધે મનમાં જે જાતજાતની સ્ફુરણાઓ થાય છે, તે સ્ફુરણાઓમાંથી જે સ્ફુરણામાં પ્રીતિ, સુંદરતા અને આવશ્યકતા દેખાય છે, તે સ્ફુરણા ’સંકલ્પ’નું રૂપ ધારણ કરી લે છે. એવી જ રીતે જે સ્ફુરણામાં ’એ વસ્તુ, વ્યક્તિ વગેરે ઘણાં ખરાબ છે, એ અમારા ઉપયોગના નથી’ – એવો વિપરીત ભાવ પેદા થઈ જાય છે, તે સ્ફુરણા પણ ’સંકલ્પ’ બની જાય છે. સંકલ્પથી ’આમ થવું જોઈએ અને આમ નહિ થવું જોઈએ’ – એવી ’કામના’ ઉત્પન્ન થાય છે. આ રીતે સંકલ્પથી ઉત્પન્ન થવાવાળી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ.

અહીં ’કામાન’ પદ બહુવચનમાં આવ્યું છે, છતાં પણ તેની સાથે ’સર્વાન’ પદ આપવાનું તાત્પર્ય એ છે કે કંઈ પણ અને કોઈ પણ જાતની કામના ન રહેવી જોઈએ.

અશેષત:’ પદનું તાત્પર્ય એ છે કે કામનાનું બીજ (સુક્ષ્મ સંસ્કાર) પણ નહિ રહેવું જોઈએ. કારણ કે વૃક્ષના એક બીજથી જ માઈલો સુધીનું જંગલ પેદા થઈ શકે છે. આથી બીજરૂપી કામનાનો પણ ત્યાગ થવો જોઈએ.

મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તત:’ – જે ઈન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – એ વિષયોનો અનુભવ થાય છે અને ભોગ થાય છે, તે ઈન્દ્રિયોના સમૂહનું મન દ્વારા સારી રીતે નિયમન કરી લેવું અર્થાત મનથી ઈન્દ્રિયોને તેમના પોતપોતાના વિષયોથી હઠાવી લેવી.

સમન્તત:’ કહેવાનું તાત્પર્ય એ છે કે મનથી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનું ચિંતન ન થાય અને સાંસારિક માન, બડાઈ, આરામ વગેરે તરફ કિંચિતમાત્ર પણ ખેંચાણ ન થાય.

તાત્પર્ય એ છે કે ધ્યાનયોગીએ ઈન્દ્રિયો અને અંત:કરણ દ્વારા પ્રાકૃત પદાર્થો સાથે સર્વથા સંબંધ-વિચ્છેદનો નિશ્ચય કરી લેવો જોઈએ.

પરિશિષ્ટ ભાવ : પ્રથમ સ્ફુરણા થાય છે, પછી સંકલ્પ થાય છે. સ્ફુરણામાં સત્તા, આસક્તિ અને આગ્રહ હોવાથી તે સંકલ્પ બની જાય છે, જે બંધનકારક હોય છે. સંકલ્પથી પછી કામના ઉત્પન્ન થાય છે, ’સ્ફુરણા’ દર્પણના કાચ જેવી છે, જેમાં ચિત્ર પકડાતું નથી, પરંતુ સંકલ્પ કેમેરાના કાચ જેવો છે, જેમાં ચિત્ર પકડાઈ જાય છે. સાધકે સાવધાની રાખવી જોઈએ કે સ્ફુરણા ભલે થાય પણ સંકલ્પ ન થાય.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૪)

तं विद्याद् दुःखसंयोगवियोगं योगसञ्ज्ञितम्।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥ ભ.ગી.૬.૨૩ ||

जो दुःखरूप संसार के संयोग से रहित है तथा जिसका नाम योग है, उसको जानना चाहिए। वह योग न उकताए हुए अर्थात धैर्य और उत्साहयुक्त चित्त से निश्चयपूर्वक करना कर्तव्य है॥

જેમાં દુ:ખોના સંયોગનો જ વિયોગ છે, એને ’યોગ’ નામથી જાણવો જોઈએ. તે યોગ જે ધ્યાન-યોગનું લક્ષ્ય છે. તે ધ્યાનયોગનો અભ્યાસ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ.

પ્રાણીમાત્ર સુખ ઈચ્છે છે. સુખની સાથે દુ:ખ એકની સાથે એક મફતની જેમ ચાલ્યું આવે છે. જીવ સુખનો સંયોગ કરવાની સાથે સાથે અનાયાસે જ દુ:ખનો સંયોગ પણ કરી લે છે. સુખ અને દુ:ખ બંનેની અનુભૂતી મનમાં થાય છે. આધુનિક વિજ્ઞાને પ્રયોગો દ્વારા જાણ્યું છે કે અમુક પ્રકારના સ્ત્રાવો ઝરે તો સુખાનુભૂતિ અને અમુક પ્રકારના સ્ત્રાવો ઝરવાથી દુ:ખની અનુભૂતી થાય છે. જો કે સુખ દુ:ખ અનુભવવાને લીધે આ સ્ત્રાવ ઝરે છે કે સ્ત્રાવ ઝરવાને લીધે સુખ દુ:ખ અનુભવાય છે તે તો વિજ્ઞાન જ જાણે. અહીં દુ:ખનો મનની અંદર જ્યાં સંયોગ થાય છે તેને દૂર કરવા અથવા તો દુ:ખની ગ્રંથી જે મનમાં બરાબર ગંઠાઈ ગઈ હોય છે તેને છુટી પાડવા માટે અથવા તો દુ:ખગાંઠનો વિયોગ કરવા માટે આ યોગ છે. ત્રીગુણાત્મક પ્રકૃતિ અને તેના કાર્ય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ અને શરીર સાથે ચૈતન્ય જે સંયોગ કરી લે છે તે સઘળા દુ:ખનું મુળ કારણ છે અને તેને જ અવિદ્યા કહે છે. આ યોગનો નીરંતર, ધૈર્યપૂર્વક અને નિષ્ઠાથી અભ્યાસ કરવાથી ધીરે ધીરે ચૈતન્યનો આ પ્રકૃતિ સાથે માની લીધેલ સંયોગ છુટવા લાગે છે. રોજે રોજ ઉત્સાહથી નીશ્ચયપૂર્વક આ યોગ કરનાર એક દીવસ પછી આ દુ:ખરુપ અવિદ્યા સાથે માની લીધેલા સંયોગથી સંપૂર્ણપણે વિયોગ પામે છે અને ત્યારે ચૈતન્યની બ્રહ્મ સાથે એકતા સિદ્ધ થઈ જાય છે કે જે હંમેશા હોય જ છે અને તે જ આ ધ્યાનયોગનું લક્ષ્ય છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે મુળ કારણ દૂર કર્યા વગર દુ:ખ નીવારવાના જેટલા ઉપાયો કરવામાં આવે તે માત્ર થોડા કાળ પુરતા ઉપયોગી થઈને ફરી પાછા માથું ઉંચકે છે. ભૂખનું દુ:ખ દુર કરવા માટે ભોજન કરવામાં આવે તો ફરી પાછું પેટ ખાલી થતાં ભૂખનું દુ:ખ ઉત્પન્ન થાય છે. કોઈ પણ અભાવરુપી દૂ:ખને પુરુષાર્થ કરીને દૂર કરવામાં આવે તો ફરી પાછો કોઈ બાબતનો અભાવ ઉત્પન્ન થતા દુ:ખ ઉત્પન્ન થશે. આ અભાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે તેને શોધી કાઢવામાં આવે અને સ્વભાવને અભાવ કે પ્રભાવથી મુક્ત રાખતાં શીખીએ તો આઠે પ્રહર આનંદ જ રહે. આ યોગ સાધકને સર્વ પ્રકારના દૂ:ખના સંયોગથી વિયોગ કરાવીને સ્વરુપ સાથે યોગ કરાવવાનું સામર્થ્ય રાખતો હોવાથી દુ:ખનો આત્યંતિક વિયોગ ઈચ્છનારે આ યોગ નીરંતર, ઉત્સાહપૂર્વક ધૈર્ય રાખીને કરવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૩)

સંબંધ: ધ્યાનયોગી તત્વથી ચલાયમાન કેમ નથી થતો – એનું કારણ આગળના શ્લોકમાં બતાવે છે.

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥ ભ.ગી.૬.૨૨ ||

परमात्मा की प्राप्ति रूप जिस लाभ को प्राप्त होकर उसे अधिक दूसरा कुछ भी लाभ नहीं मानता और परमात्मा प्राप्ति रूप जिस अवस्था में स्थित योगी बड़े भारी दुःख से भी चलायमान नहीं होता |

જે લાભ પ્રાપ્ત થતાં એનાથી વધુ બીજો કોઈ અધિક લાભ નથી માનતો, અને જેમાં સ્થિત રહેલો યોગી ઘણા ભારે દુ:ખથી પણ વિચલિત કરી શકાતો નથી.

ટીકા – ’યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત:’ – મનુષ્યને જે સુખ પ્રાપ્ત છે, તેનાથી અધિક સુખ દેખાતું હોય તો તે તેના લોભમાં આવીને વિચલિત થઈ જાય છે. જેમકે, કોઈને એક કલાકના સો રૂપિયા મળે છે. જો તેટલા જ સમયમાં બીજી જગાએ હજાર રૂપિયા મળતા હોય, તો તે સો રૂપિયાની સ્થિતિથી વિચલિત થઈ જશે અને હજાર રૂપિયાની સ્થિતિમાં ચાલ્યો જશે. નિદ્રા, આળસ અને પ્રમાદનું તામસી સુખ પ્રાપ્ત થવા છતાં પણ જ્યારે વિષયજન્ય સુખ વધારે સારું લાગે છે, તેમાં અધિક સુખ માલૂમ પડે છે, ત્યારે મનુષ્ય તામસ સુખને છોડીને વિષયજન્ય સુખની તરફ દોડીને ચાલ્યો જાય છે. એવી જ રીતે જ્યારે તે વિષયજન્ય સુખથી ઊંચે ચડે છે, ત્યારે તે સાત્વિક સુખને માટે વિચલિત થઈ જાય છે; અને જ્યારે તે સાત્વિક સુખથી પણ ઊંચે ચડે છે ત્યારે તે આત્યંતિક સુખને માટે વિચલિત થઈ જાય છે (ઉદાહરણ તરીકે બુદ્ધ અને મહાવીર). પરંતુ જ્યારે આત્યંતિક સુખ પ્રાપ્ત થઈ જાય છે, તો પછી વિચલિત નથી થતો; કેમકે આત્યંતિક સુખથી વધીને બીજું કોઈ સુખ કે કોઈ લાભ છે જ નહિ. આત્યંતિક સુખમાં સુખની સીમા આવી જાય છે. ધ્યાનયોગીને જ્યારે એવું સુખ મળી જાય, તો પછી તે એ સુખથી વિચલિત થઈ જ કેવી રીતે શકે?

યસ્મિન્સ્થિતો ન દુ:ખેન ગુરુણાપિ વિચાલ્યતે’ – વિચલિત થવાનું બીજું કારણ એ છે કે લાભ તો અધિક થતો હોય, પરંતુ સાથે મહાન દુ:ખ હોય, તો મનુષ્ય તે લાભથી વિચલિત થઈ જાય છે. જેવી રીતે, હજાર રૂપિયા મળતા હોય, પરંતુ સાથે જીવનું પણ જોખમ હોય, તો મનુષ્ય હજાર રૂપિયાથી વિચલિત થઈ જાય છે. એવી જ રીતે મનુષ્ય જે કોઈ સ્થિતિમાં સ્થિત હોય, ત્યાં કોઈ ભયંકર આફત આવી જાય, તો મનુષ્ય તે સ્થિતિને છોદી દે છે. પરંતુ અહીં ભગવાન કહે છે કે આત્યંતિક સુખમાં સ્થિત થતાં યોગીને મોટામાં મોટા દુ:ખથી પણ વિચલિત નથી કરી શકાતો. જેવી રીતે, કોઈ કારણથી તેના શરીરને ફાંસી આપી દેવામાં આવે, શરીરના ટુકડે-ટુકડા કરી દેવામાં આવે, આપસમાં ભિડાતા બે પહાડોની વચમાં શરીર દબાવીને પીસી નાખવામાં આવે, જીવતેજીવ શરીરની ચામડી ઉતારી નાખવામાં આવે, શરીરમાં જાતજાતનાં છિદ્રો પાડવામાં આવે, ઊકળતા તેલમાં શરીર નાખવામાં આવે – આ રીતનાં વધારે મોટાં મહાભયંકર દુ:ખો એકસાથે આવવા છતાં પણ તે વિચલિત નથી થતો.

તેને વિચલિત કેમ નથી કરી શકાતો? કારણ કે જેટલાં પણ દુ:ખો આવે છે, તે બધાં પ્રકૃતિના રાજ્યમાં અર્થાત શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિમાં જ આવે છે, જ્યારે આત્યંતિક સુખ, સ્વરૂપબોધ પ્રકૃતિથી અતીત તત્વ છે. પરંતુ જ્યારે પુરુષ પ્રકૃતિસ્થ થઈ જાય છે અર્થાત શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે, ત્યારે તે પ્રકૃતિજન્ય અનુકૂળ-પ્રતિકુળ પરિસ્થિતિમાં પોતાને સુખી-દુ:ખી માનવા લાગી જય છે (ગીતા -૧૩/૨૧). જ્યારે તે પ્રકૃતિથી સંબંધ-વિચ્છેદ કરીને પોતાના સ્વરૂપભૂત સુખનો અનુભવ કરી લે છે અને તેમાં સ્થિત થઈ જાય છે, પછી પ્રાકૃતિક દુ:ખ તેના સુધી પહોંચી જ નથી શકતું અને તેને સ્પર્શ જ નથી કરી શકતું. એટલા માટે શરીરમાં ગમે તેટલી આપત્તિ આવવા છતાં પણ તેને પોતાની સ્થિતિથી વિચલિત નથી કરી શકાતો.

પરિશિષ્ટ ભાવ: આ શ્લોક બધાં સાધનોની કસોટી છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ વગેરે કોઈ પણ સાધનામાં આ કસોટીએ પોતાને તપાસવો જોઈએ. પોતાની સ્થિતિ સમજવા માટે આ શ્લોક સાધકને બહુ જ ઉપયોગી છે. જીવમાત્રનું ધ્યેય એ જ રહે છે કે મારું દુ:ખ મટી જાય અને સુખ મળી જાય. તેથી આ શ્લોકમાં જણાવેલી સ્થિતિ દરેક સાધકે પ્રાપ્ત કરવી જોઈએ, અન્યથા તેની સાધના પૂરી થઈ નથી. સાધક વચ્ચે અટકી ન જાય, પોતાની અધુરી સ્થિતિને જ પૂરી ન માની લે, તે માટે તેણે આ શ્લોક પોતાની સામે રાખવો જોઈએ.

જેમાં લાભનો તો અંત નથી અને દુ:ખનો લેશ પણ નથી – એવું દુર્લભ પદ દરેક મનુષ્યને પ્રાપ્ત થઈ શકે છે ! પરંતુ તે ભોગ અને સંગ્રહ સાથે તાદાત્મ્ય કરીને અનર્થ કરી લે છે, જેનો કોઈ અંત નથી.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૨)

सुखमात्यन्तिकं यत्तद्बुीद्धिग्राह्यमतीन्द्रियम्‌ ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥ ભ.ગી.૬.૨૧ ||

इन्द्रियों से अतीत, केवल शुद्ध हुई सूक्ष्म बुद्धि द्वारा ग्रहण करने योग्य जो अनन्त आनन्द है, उसको जिस अवस्था में अनुभव करता है, और जिस अवस्था में स्थित यह योगी परमात्मा के स्वरूप से विचलित होता ही नहीं॥

જે સુખ અનંત, ઈન્દ્રિયોથી અતીત અને બુદ્ધિગ્રાહ્ય છે, તે સુખ જે અવસ્થામાં અનુભવે છે અને જે સુખમાં સ્થિત થયેલો આ ધ્યાનયોગી તત્વથી પછી કદીયે વિચલિત થતો જ નથી.

હમણાં આપણે શ્રી રામસુખદાસજીને જ સાંભળીએ :

સંબંધ: પૂર્વશ્લોકમાં કહેવાઈ ગયું કે ધ્યાનયોગી પોતાની જાતે પોતાની જાતમાં જ સંતોષનો અનુભવ કરે છે. હવે ત્યારબાદ શું થાય છે તે જોઈએ.

ટીકા: ’સુખમાત્યન્તિકં યત’ – ધ્યાનયોગી પોતાના દ્વારા પોતાની જાતમાં જે સુખનો અનુભવ કરે છે, પ્રાકૃત સંસારમાં તે સુખથી વધીને બીજું કોઈ સુખ હોઈ જ નથી શકતું અને હોવાનો સંભવ જ નથી. કારણ કે આ સુખ ત્રણે ગુણોથી અતીત અને સ્વત:સિદ્ધ છે. આ સઘળાં સુખોની આખરી સીમા છે – ’સા કાષ્ઠા સા પરા ગતિ:’. આ જ સુખને અક્ષય સુખ (અ. ૫/૨૧), અત્યંત સુખ (અ. ૬/૨૮) અને એકાંતિક સુખ (અ. ૧૪/૨૭) કહેવામાં આવ્યું છે.

આ સુખને અહીં ’આત્યંતિક’ કહેવાનું તાત્પર્ય એ છે કે આ સુખ સાત્વિક સુખથી વિલક્ષણ છે. કારણ કે સાત્વિક સુખ તો પરમાત્મવિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન થાય છે (ગીતા – ૧૮/૩૭); પરંતુ આ આત્યંતિક સુખ ઉત્પન્ન નથી થતું. બલ્કે એ સ્વત:સિદ્ધ અનુત્પન્ન સુખ છે.

’અતિન્દ્રિયમ’ – આ સુખને ઈન્દ્રિયોથી અતીત બતાવવાનું તાત્પર્ય એ છે કે આ સુખ રાજસ સુખથી વિલક્ષણ છે. રાજસ સુખ સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ વગેરેના સંબંધથી પેદા થાય છે અને ઈન્દ્રિયો દ્વારા ભોગવવામં આવે છે. વસ્તુ, વ્યક્તિ વગેરેનું પ્રાપ્ત થવું એ આપણા હાથની વાત નથી અને પ્રાપ્ત થતાં તે સુખનો ભોગ તે વિષય (વસ્તુ, વ્યક્તિ વગેરે)ને જ આધીન હોય છે. આથી રાજસસુખમાં પરાધીનતા છે, પરંતુ આત્યંતિક સુખમાં પરાધીનતા નથી. કારણ કે આત્યંતિક સુખ ઈન્દ્રિયોનો વિષય નથી. ઈન્દ્રિયોની તો વાત જ શી છે, ત્યાં મનની પણ પહોંચ નથી. આ સુખ તો પોતાના દ્વરા જ અનુભવવામાં આવે છે. આથી આ સુખને અતીન્દ્રિય કહ્યું છે.

’બુદ્ધિગ્રાહ્યમ’ – આ સુખને બુદ્ધિગ્રાહ્ય બતાવવાનું તત્પર્ય એ છે કે આ સુખ તામસ સુખથી વિલક્ષણ છે. તામસ સુખ નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે. ગાઢ નિદ્રા (સુષુપ્તિ)માં સુખ તો મળે છે, પરંતુ તેમાં બુદ્ધિ લીન થઈ જાય છે. આળસ અને પ્રમાદમાં પણ સુખ થાય છે, પરંતુ તેમાં બુદ્ધિ સારી રીતે જાગ્રત નથી રહેતી તથા વિવેકશક્તિ પણ લુપ્ત થઈ જય છે. પરંતુ આ અત્યંતિક સુખમાં બુદ્ધિ લીન નથી થતી અને વિવેકશક્તિ પણ બરાબર જાગ્રત રહે છે. પરંતુ આ આત્યંતિક સુખને બુદ્ધિ પકડી નથી શકતી; કેમકે પ્રકૃતિનું કાર્ય બુદ્ધિ પ્રકૃતિથી અતીત સ્વરૂપભૂત સુખને પકડી જ કેવી રીતે શકે?

અહીં સુખને આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય બતાવવાનું તાત્પર્ય એ છે કે આ સુખ સાત્વિક, રાજસ અને તામસ સુખથી વિલક્ષણ અર્થાત ગુણઅતીત સ્વરૂપભૂત છે.

’વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્વત:’ – ધ્યાનયોગી પોતાના દ્વારા જ પોતાની જાતના સુખનો અનુભવ કરે છે અને આ સુખમાં સ્થિત થયેલો તે કદી કિંચિતમાત્ર પણ વિચલિત નથી થતો અર્થાત આ સુખની અખંડતા નિરંતર આપમેળે ચાલુ રહે છે. મનુષ્ય પોતાની માન્યતાને જાતે નથી છોડતો ત્યાં સુધી તેને બીજો કોઈ છોડાવી નથી શકતો, તો પછી જેને વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈગયું છે, તે સુખને કોઈ કેવી રીતે છોડાવી શકે? અને તે પોતે પણ તે સુખથી કેવી રીતે વિચલિત થઈ શકે? અર્થાત નથી થઈ શકતો.

મનુષ્ય તે વાસ્તવિક સુખથી, જ્ઞાનથી અને આનંદથી કદી ચલાયમાન નથી થતો. એનાથી સિદ્ધ થાય છે કે મનુષ્ય સાત્વિક સુખથી પણ ચલાયમાન થાય છે; તેનું સમાધિથી પણ વ્યુત્થાન થાય છે. પરંતુ અત્યંતિક સુખથી અર્થાત તત્વથી તે કદી વિચલિત અને વ્યુત્થિત નથી થતો; કેમકે એમાં એનાં અંતર, ભેદ અને ભિન્નતા દૂર થયાં અને હવે કેવળ તે-જ-તે રહી ગયો. હવે તે વિચલિત અને વ્યુત્થિત કેવી રીતે થાય? વિચલિત અને વ્યુત્થિત ત્યારે જ થાય છે, જ્યારે જડતાનો કિંચિતમાત્ર પણ સંબંધ રહે છે. જ્યાં સુધી જડતાનો સંબંધ રહે છે, ત્યાં સુધી તે એકરસ નથી રહી શકતો; કેમકે પ્રકૃતિ સદા ક્રીયાશીલ રહે છે.

પરિશિષ્ટ ભાવ : સ્વરૂપનો અનુભવ થવાથી તે ધ્યાનયોગીને તે અવિનાશી, અખંડ સુખની અનુભૂતિ થઈ જાય છે, જે ’આત્યન્તિક’ અર્થાત સાત્વિક સુખથી વિલક્ષણ, ’અતિન્દ્રિય’ અર્થાત રાજસ સુખથી વિલક્ષણ અને ’બુદ્ધિગ્રાહ્ય’ અર્થાત તામસ સુખથી વિલક્ષણ છે.

અવિનાશી સુખને ’બુદ્ધિગ્રાહ્ય’ કહેવાનો અર્થ એ નથી કે તે બુદ્ધિની પકડમાં આવવાવાળું છે. કારણ કે બુદ્ધિ તો પ્રકૃતિનું કાર્ય છે, પછી તે પ્રકૃતિથી અતીત સુખને કઈ રીતે પકડી શકે? તેથી અવિનાશી સુખને બુદ્ધિગ્રાહ્ય કહેવાનું તાત્પર્ય તે સુખને તામસ સુખથી વિલક્ષણ બતાવવાનું જ છે. નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થવાવાળું સુખ તામસ હોય છે. (ગીતા ૧૮/૩૯). ગાઢ નિદ્રા (સુષુપ્તિ) માં બુદ્ધિ અવિદ્યામાં લીન થઈ જાય છે અને આળસ તથા પ્રમાદમાં બુદ્ધિ પૂરેપૂરી જાગ્રત રહેતી નથી. પરંતુ સ્વત:સિદ્ધ અવિનાશી સુખમાં બુદ્ધિ અવિદ્યામાં લીન થતી નથી, બલ્કે પૂરી રીતે જાગ્રત રહે છે. – ’જ્ઞાનદીપિતે’ (ગીતા – ૪/૨૭). તેથી બુદ્ધિની જાગ્રતિની દૃષ્ટિથી જ તેને ’બુદ્ધિગ્રાહ્ય’ કહેવાઈ છે. વાસ્તવમાં બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી નથી.

જેમ દર્પણમાં સૂર્ય આવતો નથી બલ્કે સૂર્યનું પ્રતિબિંબ આવે છે, તેવી જ રીતે બુદ્ધિમાં તે અવિનાશી સુખ આવતું નથી, બલ્કે તે સુખનું પ્રતિબિંબ આભાસ આવે છે, તેથી પણ તેને ’બુદ્ધિગ્રાહ્ય’ કહ્યું છે.

તાત્પર્ય એ થયું કે, સ્વયંનું અખંડ સુખ સાત્વિક, રાજસ અને તામસ સુખથી પણ અત્યંત વિલક્ષણ અર્થાત ગુણાતીત છે. તેને બુદ્ધિગ્રાહ્ય કહેવાથી પણ વાસ્તવમાં તે બુદ્ધિથી સર્વથા અતીત છે.

બુદ્ધિયુક્ત (પ્રકૃતિ સાથે મળેલું) ચેતન જ બુદ્ધિગ્રાહ્ય છે, શુદ્ધ ચેતન વાસ્તવમાં સ્વયં પ્રકૃતિ સાથે મળી શકતો જ નથી, પરંતુ તે પોતાને મળેલો માની લે છે – ’યયેદં ધાર્યતે જગત’ (ગીતા ૭/૫).

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૧)

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥ ભ.ગી.૬.૨૦ ||

योग के अभ्यास से निरुद्ध चित्त जिस अवस्था में उपराम हो जाता है और जिस अवस्था में परमात्मा के ध्यान से शुद्ध हुई सूक्ष्म बुद्धि द्वारा परमात्मा को साक्षात करता हुआ सच्चिदानन्दघन परमात्मा में ही सन्तुष्ट रहता है॥

યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં સ્વયં પોતે-પોતાથી પોતે-પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે-પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે.

આ શ્લોકની ટીકા શ્રી રામસુખદાસજી પાસેથી જ જાણીએ :

ટીકા – ’યત્રોપરમતે ચિત્તં… પશ્યન્નાત્મનિ તુષ્યતિ’ – ધ્યાનયોગમાં પહેલાં ’મનને કેવળ સ્વરૂપમાં જ જોડવાનું છે’ એ ધારણા કહેવામાં આવે છે. આવી ધારણા થયા પછી સ્વરૂપ સિવાય બીજી કોઈ વૃત્તિ પેદા થઈ પણ જાય, તો તેની ઉપેક્ષા કરીને તેને હઠાવી દેવાથી અને ચિત્તને કેવળ સ્વરૂપમાં જ જોડવાથી જ્યારે મનનો પ્રવાહ કેવળ સ્વરૂપમાં જ લાગી જાય છે, ત્યારે તેને ધ્યાન કહે છે. ધ્યાનને સમયે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – આ ત્રિપુટી રહે છે અર્થાત સાધક ધ્યાનને સમયે પોતાને ધ્યાતા (ધ્યાન કરવાવાળો) માને છે, સ્વરૂપમાં તદ્રૂપ થવાવાળી વૃત્તિને ધ્યાન માને છે અને સાધ્યરૂપ સ્વરૂપને ધ્યેય માને છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આ ત્રણેનું અલગ-અલગ જ્ઞાન રહે છે, ત્યાં સુધી તે ’ધ્યાન’ કહેવાય છે. ધ્યાનમાં ધ્યેયનું પ્રાધાન્ય હોવાને કારણે સાધક પહેલાં પોતાનામાં ધ્યાતાપણું ભૂલી જાય છે. પછી ધ્યાનની વૃત્તિ પણ ભૂલી જાય છે. અંતમાં કેવળ ધ્યેય જ જાગ્રત રહે છે એને ’સમાધિ’ કહે છે. આ ’સંપ્રજ્ઞાત-સમાધિ’ થાય છે. આ બેઉ સમાધિઓમાં ભેદ એ છે કે જ્યાં સુધી ધ્યેય, ધ્યેયનું નામ અને નામ-નામીનો સંબંધ – આ ત્રણે ચીજો રહે છે, ત્યાં સુધી તે ’સંપ્રજ્ઞાત સમાધિ’ હોય છે. આને જ ચિત્તની ’એકાગ્ર’ અવસ્થા કહે છે. પરંતુ જ્યારે નામની સ્મૃતિ ન રહીને કેવળ નામી (ધ્યેય) રહી જાય છે, ત્યારે તે ’અસંપ્રજ્ઞાત સમાધિ’ હોય છે. આને જ ચિત્તની ’નિરુદ્ધ’ અવસ્થા કહે છે.

નિરુદ્ધ અવસ્થાની સમાધિ બે પ્રકારની હોય છે – સબીજ અને નિર્બીજ. જેમાં સંસારની સૂક્ષ્મ વાસના રહે છે, તે ’સબીજ સમાધિ’ કહેવાય છે. સૂક્ષ્મ વાસનાને કારણે સબીજ સમાધિમાં સિદ્ધિઓ પ્રગટ થઈ જાય છે. એ સિદ્ધિઓ સાંસારિક દૃષ્ટિએ તો ઐશ્વર્ય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ (ચેતનતત્વની પ્રાપ્તિમાં) વિઘ્નો છે. ધ્યાનયોગી જ્યારે એ સિદ્ધિઓને નિસ્તત્વ સમજીને તેમનાથી ઉપરામ થઈ જાય છે, ત્યારે તેની ’નિર્બીજ સમાધિ’ થાય છે, જેનો અહીં (આ શ્લોકમાં) ’નિરુદ્ધમ’ પદથી સંકેત કરવામાં આવ્યો છે.

ધ્યાનમાં સંસારના સંબંધથી વિમુખ થતાં એક અદ્વિતીય શાંતિ અને સુખ મળે છે, કે જે સંસારનો સંબંધ રહેતાં કદી નથી મળતું. સંપ્રજ્ઞાત-સમાધિમાં તેનાથી પણ વિલક્ષણ સુખનો અનુભવ થાય છે. આ સંપ્રજ્ઞાત-સમાધિથી પણ અસંપ્રજ્ઞાત-સમાધિમાં વિલક્ષણ સુખ મળે છે. જ્યારે સાધક નિર્બીજ સમાધિમાં પહોંચે છે, ત્યારે તેમાં બહુ જ વિલક્ષણ સુખ કે આનંદની પ્રાપ્તિ છે. યોગનો અભ્યાસ કરતાં-કરતાં ચિત્ત નિરુદ્ધ-અવસ્થા નિર્બીજ સમાધિથી પણ ઉપરામ થઈ જાય છે અર્થાત યોગી, એ નિર્બીજ સમાધિનું પણ સુખ નથી લેતો કે તેના સુખનો ભોક્તા નથી બનતો. તે સમયે તે પોતાના સ્વરૂપમાં પોતાની જાતનો અનુભવ કરતો રહીને પોતાની જાતમાં સંતુષ્ટ થાય છે.

’ઉપરમતે’ પદનું તાત્પર્ય એ છે કે ચિત્તનું સંસાર સાથે તો પ્રયોજન રહ્યું નહિ અને સ્વરૂપને પકડી શકતું નથી. કારણ કે ચિત્ત પ્રકૃતિનું કાર્ય હોવાથી જડ છે અને સ્વરૂપ ચેતન છે. જડ ચિત્ત ચેતન સ્વરૂપને કેવી રીતે પકડી શકે? નથી પકડી શકતું. એટલા માટે તે ઉપરામ થઈ જાય છે. ચિત્ત ઉપરામ થતાં યોગીનો ચિત્ત સાથે સર્વથા સંબંધ-વિચ્છેદ થઈ જાય છે.

’તુષ્યતિ’ કહેવાનું તાત્પર્ય એ છે કે તેના સંતોષનું બીજું કોઈ કિંચિતમાત્ર પણ કારણ નથી રહેતું. કેવળ પોતાનું સ્વરૂપ જ તેના સંતોષનું કારણ રહે છે.

આ શ્લોકનો સાર એ છે કે પોતાના દ્વારા પોતાનામાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે. તે તત્વ પોતાની અંદર જેવું છે તેવું છે. કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે ચિત્તની વૃત્તિઓ સંસારમાં લાગે છે, જેથી એ તત્વની અનુભૂતિ નથી થતી. જ્યારે ધ્યાનયોગ દ્વારા ચિત્ત સંસારથી ઉપરામ થઈ જાય છે, ત્યારે યોગીનો ચિત્તથી તથા સંસારથી સર્વથા સંબંધ-વિચ્છેદ થઈ જાય છે. સંસારથી સર્વથા સંબંધ-વિચ્છેદ થતાં જ તેને પોતાની જાતમાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે.

વિશેષ વાત: જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી થાય છે તે જ તત્વની પ્રાપ્તિ કર્મયોગથી થાય છે. પરંતુ આ બે સાધનોમાં થોડું અંતર છે. ધ્યાનયોગમાં જ્યારે સાધક્નું ચિત્ત સમાધિના સુખથી પણ ઉપરામ થઈ જાય છે, ત્યારે તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થઈ જાય છે. કર્મયોગમાં જ્યારે સાધક મનમાં રહેલી સઘળી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દે છે, ત્યારે તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થાય છે (ગીતા ૨/૫૫)

ધ્યાનયોગમાં પોતાના સ્વરૂપમાં મન લાગવાથી જ્યારે મન સ્વરૂપમાં તદાકાર થઈ જાય છે, ત્યારે સમાધિ લાગે છે. તે સમાધિથી પણ જ્યારે મન ઉપરામ થઈ જાય છે, ત્યારે યોગીનો ચિત્ત સાથે સંબંધ-વિચ્છેદ થઈ જાય છે અને તે પોતાની જાતમાં સંતુષ્ટ થઈ જાય છે.

કર્મયોગમાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર વગેરે પદાર્થોનો અને સઘળી ક્રિયાઓનો પ્રવાહ કેવળ બીજાઓના હિતની તરફ થઈ જાય છે, ત્યારે મનમાં રહેલી સઘળી કામનાઓ છૂટી જાય છે. કામનાઓનો ત્યાગ થતાં જ મનથી સંબંધ-વિચ્છેદ થઈ જાય છે અને તે આપોઆપ સંતુષ્ટ થઈ જાય છે.

પરિશિષ્ટ ભાવ : મન આત્મામાં લાગતું નથી, બલ્કે ઉપરામ થઈ જાય છે. કારણ કે મનની જાતિ અલગ છે અને આત્માની જાતિ અલગ છે. મન અપરા પ્રકૃતિ (જડ) છે અને આત્મા પરા પ્રકૃતિ (ચેતન) છે. તેથી આત્મા જ આત્મા સાથે જોડાય છે – ’આત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ.’

પોતે-પોતાનામાં પોતે-પોતાને જોવો એનું તાત્પર્ય છે કે આત્મતત્વ પરસંવેદ્ય (બીજાથી જાણી શકાય તેવો) નથી બલ્કે સ્વસંવેદ્ય છે. મનથી જે ચિંતન કરવામાં આવે છે, તે મનના વિષય (અનાત્મા)નું જ ચિંતન થાય છે, પરમાત્માનું નહીં. બુદ્ધિથી જે નિશ્ચય કરવામાં આવે છે, તે બુદ્ધિના વિષયનો જ નિશ્ચય હોય છે, પરમાત્માનો નહીં. વાણીથી જે વર્ણન કરવામં આવે છે, તે વાણીના વિષયનું જ વર્ણન થાય છે, પરમાત્માનું નહીં. તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, વાણીથી પ્રકૃતિનાં કાર્ય (અનાત્મા)નું જ ચિંતન, નિશ્ચય અને વર્ણન કરવામાં આવે છે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ મન-બુદ્ધિ-વાણીથી સર્વથા વિમુખ (સંબંધ-વિચ્છેદ) થવાથી જ થાય છે.

અહીં જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી બતાવવામાં આવી છે, તે જ તત્વની પ્રાપ્તિ બીજા અધ્યાયના પંચાવનના શ્લોકમાં કર્મયોગથી પણ બતાવવામાં આવી છે. ફરક માત્ર એટલો જ છે કે ધ્યાનયોગ કરણ-સાપેક્ષ છે, પરંતુ કર્મયોગ કરણ-નિરપેક્ષ સાધન છે. કરણ-સાપેક્ષ સાધનમાં જડતાથી સંબંધ-વિચ્છેદ થતાં વાર લાગે છે અને એમાં યોગભ્રષ્ટ થવાની સંભાવના રહે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Important note for Mrugesh

ગુજરાતી સાહિત્યપ્રેમીઓને મદદ માટે અપીલ

ReadGujarati.com

22nd May, 2014

Namaste to all readers,

Due to brain hemorrhage, Mrugesh Shah has been operated by Neurosurgeon. His condition is stable and under observation period in ICU, Metro Hospital. He requires long treatment and therefore required financial help. Estimated cost of treatment is about 4 to 5 lacs. The account for this medical expenses will be maintained by his mama Mr.Rameshbhai (CA) and he will be responsible for it. for more inquiry, contact on cell : +91-9819093190

Detail of Bank Account as under :
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486

 

View original post

Categories: સહયોગ/અપીલ | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૨૦)

यथा दीपो निवातस्थो नेंगते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥ ભ.ગી.૬.૧૯ ||

भावार्थ : जिस प्रकार वायुरहित स्थान में स्थित दीपक चलायमान नहीं होता, वैसी ही उपमा परमात्मा के ध्यान में लगे हुए योगी के जीते हुए चित्त की कही गई है॥

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, યોગનો અભ્યાસ કરતાં વશ કરેલા ચિત્તવાળા યોગીના ચિત્તની એવી જ ઉપમા કહેવાઈ છે.

વશ કરેલ યોગીનું ચિત્ત કેવું હોય છે તે અહીં હવા વિનાના સ્થાનમાં રહેલ દીવાની જ્યોતના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે.

દીવાની જ્યોત પ્રકાશ રેલાવવાનું કાર્ય કરે છે. જ્યારે હવા આવતી હોય ત્યારે દીવાની જ્યોત હાલક ડોલક થતી હોય છે તેથી તે સમયે રેલાતો પ્રકાશ પણ હાલક ડોલક થતો હોય છે. વધારે હવા આવે તો દીવાની જ્યોત બુઝાઈ પણ જતી હોય છે. યોગીનું ચિત્ત હવા વગરના સ્થાનમાં રહેલ દીવાની જ્યોત જેવું હોય છે. કર્મયોગીનું ચિત્ત થોડી હવા આવતી હોય તેવી દીવાની જ્યોત જેવું હોય છે. સંસારીઓનું ચિત્ત હવાથી હાલક ડોલક થતી દીવાની જ્યોત જેવું હોય છે. અને મૂઢ લોકોનું ચિત્ત હવાના જોરદાર પ્રહારથી લગભગ બુઝાઈ ગયેલી દીવાની જ્યોત જેવું હોય છે.

દરેકના ચિત્તમાં ચૈતન્ય તો પરમાત્માનું છે. મૂઢ, સંસારી, કર્મયોગીઓ તે ચૈતન્યનો ઉપયોગ બાહ્ય બાબતોને પ્રકાશવા માટે કરે છે. યોગીનું ચિત્ત તે ચૈતન્યનો ઉપયોગ મહાચૈતન્ય અથવા તો પરમાત્માને પામવા માટે કરે છે. અયોગીના ચિત્ત જ્યારે વિષયોરુપી હવાથી હાલક ડોલક થઈને અસ્થીર રહે છે તેવે સમયે યોગીનું ચિત્ત વિષયરહિત રહીને સ્થિર રહે છે.

કોઈએ કહ્યું છે કે :
જો તિલમાંહી તેલ હૈ, જો ચકમકમે આગ;
તેરા સાંઈ તુજમે હૈ, ઝાંક સકે તો ઝાંક.

તેવી રીતે સર્વના ચિત્તમાં ચૈતન્ય તે પરમાત્માનું છે. યોગી તેને અનુભવે છે જ્યારે સામાન્યજન પ્રયાસ કર્યા વગર જ પોતાને સત્તા કોણ આપે છે તે જાણ્યાં વગર જ તે સત્તાનો ઈન્કાર કરીને વિષયોરુપી હવાનો આશ્રય લઈને થોડો વખત આમ તેમ હાલીને છેવટે તે હવાના પ્રહારથી જ બુઝાઈ જાય છે. દિવોતો બધાનો પ્રગટેલો જ છે. યોગી માત્ર હવારુપી વિષયોથી ચિત્તને રક્ષીને તે પરમતત્વ સાથે એકાકાર થઈ જાય છે જ્યારે સામાન્યજનો હવારુપી વિષયોથી સ્વને રક્ષી શકતાં નથી અને ઘણાં તો તે રક્ષવાનું આવશ્યક છે તે ય જાણ્યા વગર હવા સાથે હાલક ડોલક થવું તેને જ જીવનનું તારતમ્ય માનતા હોય છે.

જેવી રીતે ગંગાસતીએ સાધકના ચિત્તની અડગતા દર્શાવવા પદ રચ્યું છે કે :
મેરુ તો ડગે પણ જેના મનનો ડગે રે પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે . . .

તેવું અડગતાનું દૃષ્ટાંત આપવાને બદલે યોગીના અને અન્યના ચિત્તની વચ્ચે કેવો તફાવત હોય છે તે દર્શાવવા હવા વગરના સ્થાનમાં રહેલા દીવાની જ્યોતનું દૃષ્ટાંત આપ્યું છે. દિવાની જ્યોત તૈલધારાવત ચાલતી હોય છે. તેવી રીતે યોગીના ચિત્તમાંયે સતત ચિંતન ચાલતું હોય છે તેમાં સહેજ પણ વિષયનું ચિંતન ન રહેતા માત્ર ને માત્ર પરમાત્માનું એકધારુ ચિંતન હોય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૯)

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥ ભ.ગી.૬.૧૮ ||

अत्यन्त वश में किया हुआ चित्त जिस काल में परमात्मा में ही भलीभाँति स्थित हो जाता है, उस काल में सम्पूर्ण भोगों से स्पृहारहित पुरुष योगयुक्त है, ऐसा कहा जाता है॥

વશમાં કરેલું ચિત્ત જે વખતે પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે અને સ્વયં સમસ્ત પદાર્થોથી નિ:સ્પૃહ થઈ જાય છે તે વખતે તે યોગી છે એમ કહેવાય છે.

વિનિયતં ચિત્તમ : વશમાં કરેલું ચિત્ત. ચિત્તની પાંચ અવસ્થા છે. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ.

મૂઢ અવસ્થા: આ અવસ્થામાં નિદ્રા, તંદ્રા, ભય, મોહ, આળસ અને દિનતા અનુભવે છે. આ અવસ્થામાં તમસ ગુણ પ્રધાન હોય છે. નિમ્ન કે અધમ કક્ષાના મનુષ્યોના ચિત્તની આવી અવસ્થા હોય છે.

ક્ષિપ્ત અવસ્થા: આ અવસ્થામાં ચિત્ત ધર્મ-અધર્મ, રાગ-વૈરાગ્ય, જ્ઞાન-અજ્ઞાન વચ્ચે જોલા ખાધા કરે છે. આ અવસ્થામાં રજોગુણ પ્રધાન હોય છે. વ્યક્તિ રાગ-દ્વેષના દ્વંદ્વોમાં ફસાયેલી રહે છે. સામાન્ય સંસારી મનુષ્યોના ચિત્તની આવી અવસ્થા હોય છે.

વિક્ષિપ્ત અવસ્થા: આ અવસ્થામાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મમાં ચિત્ત સ્થિત થાય છે. ચહેરા પર પ્રસન્નતા, ક્ષમા, ધૈર્ય, શ્રદ્ધા, દાન, દયા અને ઓજસ્વીતા જોવા મળે છે. આ અવસ્થામાં ચિત્ત સત્વગુણ પ્રધાન હોય છે પણ સાથે સાથે થોડો રજોગુણ પણ રહેતો હોવાથી ચિત્ત વિક્ષિપ્તતા અનુભવે છે. કર્મયોગીનું ચિત્ત વિક્ષિપ્ત પ્રકારનું હોય છે. તે અદ્યાત્મ માર્ગનો જિજ્ઞાસુ હોય છે અને પરમ પદને પંથે પ્રયાણ કરવાની ઈચ્છાવાળો હોય છે.

એકાગ્ર અવસ્થા: આ અવસ્થામાં તમોગુણ અને રજોગુણની નિવૃત્તિ થઈને સત્વગુણ પ્રધાન બને છે. ચિત્ત સ્ફટીકમણી જેવું નિર્મળ અને શુદ્ધ બની જાય છે. આ અવસ્થામાં પૂર્વના રજોગુણ તથા તમોગુણના સંસ્કારોની ઝલક ક્યારેક જોવા મળે છે પણ તે તેમને કશી અસર ઉપજાવી શકતાં નથી. આવી અવસ્થા યોગીઓની હોય છે. ચિત્તની આવી અવસ્થાને સંપ્રજ્ઞાત યોગ અથવા સંપ્રજ્ઞાત સમાધિ કહે છે.

નિરુદ્ધ અવસ્થા: એકાગ્ર અવસ્થામાં સાધકને ચિત્ત અને આત્માના ભેદનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. યોગીની આ સ્થિતિને વિવેકખ્યાતિ કહે છે. જો કે એકાગ્ર અવસ્થા પણ ત્રિગુણનું પરીણામ હોવાથી આ અવસ્થા પણ યોગીને સુખ-દુ:ખ રુપ લાગે છે અને તે એકાગ્ર અવસ્થામાંથીયે આગળ જવા ઈચ્છે છે. એકાગ્ર અવસ્થાથીયે આગળ વધીને સત્વગુણનોયે ત્યાગ કરીને ચિત્ત જ્યારે માત્ર આત્માનો જ અનુભવ કરે છે ત્યારે તેની નિરુદ્ધ અવસ્થા થઈ જાય છે. આ અવસ્થામાં યોગી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ તે પાંચેય ક્લેશોથી મુક્ત થઈ જાય છે. અહીં જ્ઞાનાગ્નિથી કર્માશયના બીજ પણ બળીને નષ્ટ થઈ જાય છે. આ અવસ્થાને અસંપ્રજ્ઞાતયોગ , અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્બિજ સમાધિ કહે છે.

આત્મન્યેવાવતિષ્ઠતે : આમ સારી રીતે વશમાં કરેલું ચિત્ત આત્મામાં સ્થિત થઈ જાય છે.

સર્વકામેભ્ય: નિ:સ્પૃહ: જ્યાં સુધી રજોગુણ, તમોગુણ છે ત્યાં સુધી વિષયોની કામનાઓ અને પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની ભાવના રહે છે. શુદ્ધ સાત્વિક ચિત્ત કામનાઓથી રહિત થઈ જાય છે. આત્મામાં સ્થિત રહેનારને સ્વરુપનો જ એટલો આનંદ રહે છે કે પછી પદાર્થોનો ક્ષુલ્લક આનંદ તુચ્છ બની જાય છે. પછી તેને પદાર્થો દ્વારા સુખ મેળવવાની કશી કામના રહેતી નથી.

આમ જ્યારે સાધકનું ચિત્ત સારી રીતે વશ થઈને આત્મામાં સ્થિત થઈ જાય છે તથા સમસ્ત પદાર્થો પ્રત્યે સ્પૃહા રહિત થઈ જાય છે ત્યારે તે યોગી છે એમ કહેવાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

ધ્યાનના પ્રયોગો (૧૮)

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ ભ.ગી.૬.૧૭ ||

दुःखों का नाश करने वाला योग तो यथायोग्य आहार-विहार करने वाले का, कर्मों में यथायोग्य चेष्टा करने वाले का और यथायोग्य सोने तथा जागने वाले का ही सिद्ध होता है ॥17॥

દુ:ખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે.

યુક્તાહારવિહારસ્ય: આયુર્વેદમાં કહ્યું છે કે આહાર તે જ ઔષધ. ભોજન સત્ય અને ન્યાયપૂર્વક કમાયેલા ધનનું, સાત્વિક હોવું જોઈએ. અપવિત્ર ન હોવું જોઈએ. સ્વાદબુદ્ધિથી કે પુષ્ટબુદ્ધિથી નહીં પણ સાધનબુદ્ધિથી કરવું જોઈએ. આયુર્વેદની દૃષ્ટિથી સુગમતાથી પચી શકે તેવું હોવું જોઈએ. ભોજન શરીરને અનુકૂળ, હળવું, સુપાચ્ય અને જેટલી ભૂખ હોય તેના કરતાં થોડું ઓછું હોવું જોઈએ. વળી તે યોગ્ય સમયે લેવાવું જોઈએ. આવું ભોજન કરવાવાળો જ યુક્તાહારી છે.

વિહાર પણ યથાયોગ્ય હોવો જોઈએ. વધારે કે ઓછું નહીં પણ પ્રમાણસર હરવા ફરવાનું હોવુ જોઈએ, સ્વાસ્થ્યને હિતકારી હોય તેવો વિહાર હોવો જોઈએ. વ્યાયામ, આસનો, પ્રાણાયામ પણ પ્રમાણસર હોવા જોઈએ.

યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ: પોતાની પ્રકૃતિ અને કર્તવ્યો અનુસાર સ્થળ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે શરીર-નિર્વાહ તથા કુટુંબીઓની અને સમાજની હિતબુદ્ધિથી સેવા કરવાના ભાવથી કર્મો કરવા જોઈએ. આવેલ કર્તવ્યો પ્રસન્નતાપૂર્વક કરનાર યુક્તચેષ્ટ છે.

યુક્તસ્વપ્નાવબોધસ્ય : શરીરને પુરતો આરામ મળી રહે અને જાગ્રત અવસ્થાના કાર્યો પ્રસન્નતાપૂર્વક સ્ફુર્તીથી કરી શકાય તેટલી માત્રામાં ઊંઘ હોવી જોઈએ. વધુ પડતી ઊંઘ કે વધુ પડતું જાગરણ ન હોવું જોઈએ.

યોગો ભવતિ દુ:ખહા: આવી રીતે જે યોગ્યમાત્રામાં ખાય છે, વિહાર કરે છે, જાગે છે અને ઊંઘે છે તેવા સાધકને માટે યોગ દુ:ખને હરનાર બને છે.

પ્રત્યેક મનુષ્યને દિવસમાં ૨૪ કલાક મળે છે. સાધક તેને ચાર વિભાગમાં વહેંચી શકે.

૧. આહાર-વિહાર
૨. જીવનનિર્વાહ માટેનો પુરુષાર્થ
૩. ઊંઘ
૪. સાધન, ભજન અને ધ્યાન

કહેવાય છે કે ઊંઘ અને આહાર જેટલા વધારીએ તેટલા વધે અને ઘટાડીએ તેટલા ઘટે. યોગી થવા ઈચ્છનારે ઊંઘ અને આહાર ના સમયમાં ઘટાડો કરીને જીવનનિર્વાહના પુરુષાર્થ તથા સાધન ભજનનો સમય વધારવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.