સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૩. કુલીપણાનો અનુભવ
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટના હિદીઓની હાલતનો પૂરો ચિતાર આપવાનું આ સ્થાન નથી. તેનો ખ્યાલ મેળવવા ઈચ્છનારે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ‘ વાંચવો જોઈએ. પણ તેની રૂપરેખા આપવી આવશ્યક છે.
ઓરેન્જ ફ્રી સ્ટેટમાં તો એક કાયદો કરી સન ૧૮૮૮માં કે તે પૂર્વે હિંદીઓના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં માત્ર હોટેલના વેટર તરીકે કે એવી કોઈ મજૂરીમાં રહેવા જેટલી હિંદીઓને છૂટ રહી. જે હિંદી વેપારીઓ હતા તેમને નામનો અવેજ આપી કાઢી મેલ્યા. હિંદી વેપારીઓએ અરજી વગેરે તો કર્યા, પણ તેમની તૂતીનો અવાજ કોણ સાંભળે?
હિંદીઓ પગથી (‘ફૂટપાથ’) ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવતા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઈચ્છા ઉપર રહે.
પગથી ઉપર ચાલવાનો પ્રશ્ન મારે સારુ જરા ગંભીર પરિણામવાળો નીવડયો. હું હમેશાં પ્રેસિડેંટ સ્ટ્રીટમાં થઈને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતો. આ મહોલ્લામાં પ્રેસિડેંટ ક્રુગરનું ઘર હતું. એ ઘરને વિષે આડંબર જરાયે નહોતો. તેને ફરતું કંપાઉંડ પણ ન હતું. બીજાં પડખેનાં ઘરોમાં અને આમાં કશો તફાવત માલૂમ ન પડે. લક્ષાધિપતિઓનાં ઘણાનાં ઘર પ્રિટોરિયામાં આ ઘર કરતાં ઘણાં મોટાં, શોભીતાં ને વાડવાળાં હતાં. પ્રેસિડેંટની સાદાઈ પ્રખ્યાત હતી. આ ઘર કોઈ અમલદારનું છે એમ તેની સામે એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી જ જણાય. આ સિપાઈની લગોલગ થઈને જ લગભગ હમેશાં હું જાઉં. પણ સિપાઈ મને કંઈ ન કરે. સિપાઈ વખતોવખત બદલાય. એક વેળા એક સિપાઈએ, ચેતવ્યા વિના, પગથી પરથી ઊતરી જવાનું કહ્યા વિના, મને ધક્કો માર્યો, લાત મારી, ને ઉતારી મૂકયો. હું તો વિમાસણમાં જ પડયો. લાત મારવાનું કારણ હું પૂછવા જાઉં તે પહેલાં કોટ્સ જે ઘોડેસવાર થઈ તે જ વેળા ત્યાંથી પસાર થતા હતા તેમણે મને પોકારીને કહ્યું:
‘ગાધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયોં.’
મેં કહ્યું : ‘તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે ? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચડવું. એટલે મારે કેસ નથી કરવો.’
‘એ તો તેં તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી, પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને કંઈક પાઠ તો શીખવવો જ જોઇએ.’ આટલું બોલી પેલા સિપાઈની સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. હું બધી વાત તો ન સમજી શકયો. સિપાઈ ડચ હતો ને તેની સાથે વાત ડચમાં થઈ. સિપાઈએ મારી માફી માગી, હું તો માફી આપી જ ચૂકયો હતો.
પણ મેં ત્યારથી આ શેરીનો ત્યાગ કર્યો. બીજા સિપાઈઓને આ બનાવની શી ખબર હોય ? મારે હાથે કરીને ફરી લાત શા સારુ વહોરવી ? એટલે મેં ફરવા જવાને સારુ બીજી શેરી પસંદ કરી.
આમ મેં હિંદીઓની હાડમારીઓનો વાંચીને, સાંભળીને અને અનુભવીને અભ્યાસ કર્યો. મેં જોયું કે સ્વમાન જાળવવા ઈચ્છનાર હિંદીને સારુ દક્ષિણ આફ્રિકા યોગ્ય મુલક નથી. આ સ્થિતિ કેમ બદલી શકાય એ વિચારોમાં મારું મન વધારે ને વધારે રોકાવા લાગ્યું. પણ હજુ મારો મુખ્ય ધર્મ તો દાદા અબદુલ્લાના કેસને જ સંભાળવાનો હતો.