સત્યના પ્રયોગોના પ્રથમ ભાગની વાંચન યાત્રા નિર્વીઘ્ને પુર્ણ થઈ. આજથી આપણે બીજા ભાગની યાત્રામાં પ્રવેશ કરશું.
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧. રાયચંદભાઈ
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિષે એ નવાઈની વાત ન ગણાય.
આ બહારનું તોફાન મારે મન તો અંતરના તોફાનના ચિહ્નરૂપ હતું. પણ બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિષે પણ કહી શકાય એમ મને લાગે છે. ન્યાતનો પ્રશ્ન તો હતો જ. ધંધાની ચિંતાને વિષે લખી ચૂક્યો છું. વળી હું સુધારક રહ્યો એટલે મનમાં કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા તેની પણ ફિકર હતી. બીજી અણધારી ઉત્પન્ન થઈ.
માતાના સ્વર્ગવાસ વિષે હું કંઈ નહોતો જાણતો. ઘેર પહોંચ્યા પછી તે ખબર મને આપ્યા ને સ્નાન કરાવ્યું. મને આ ખબર વિલાયતમાં જ મળી શકત; પણ આઘાત ઓછો કરવાને ખાતર મુંબઈ પહોંચું ત્યાં લગી ખબર ન જ આપવા એવો નિશ્ચય મોટાભાઈએ કરી લીધો હતો. મારા દુઃખ ઉપર હું પડદો નાખવા ઈચ્છું છું. પિતાના મૃત્યુથી મને જે આઘાત પહોંચ્યો હતો તેના કરતાં આ મૃત્યુના ખબરથી મને બહુ વધારે પહોંચ્યો. મારી ઘણી ધારેલી મુરાદો બરબાદ ગઈ. પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.
દાક્તર મહેતાએ જે ઓળખાણો તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રેવાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની.
તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું:
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
મારું જીવ્યું સફળ તવ લેખું રે;
મુક્તાનંદનો નાથ વિહારી રે,
ઓધા જીવનદોરી અમારી રે.
એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.
જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગુઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું.
દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેય હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.
રાયચંદભાઈને વિષે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.
અહીં તો એટલું કહેવું બસ થશે કે, મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ’વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ’અન ટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગો તે તે સ્થળે ચર્ચાશે.