Daily Archives: 22/05/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૩. બાળવિવાહ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્‍છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્‍યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી.

૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.

હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્‍તુ નથી. વરકન્‍યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઇ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઇ ગાઇ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્‍યાં અવસર આવે ત્‍યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.

પિતૃભકત તો ખરો જ. પણ વિષયભકત પણ એવો જ ના ? અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભકિત પાછળ સર્વ સુખનો ત્‍યાગ કરવો જોઇએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્‍છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્‍યો, જે મને આજ લગી સાલે છે. જયારે નિષ્‍કુળાનંદનું

ત્‍યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાયજી

ગાઉં છું અથવા સાંભળું છું ત્‍યારે ત્‍યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે.

જયાં સંસ્‍કાર બળવાન છે ત્‍યાં શિખામણ બધી મિથ્‍યા વધારો થઇ પડે છે.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

Blog at WordPress.com.