મિત્રો,
અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.
નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ
કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.
તેમાં કુલ ૭૫ ફકરા છે.
આજે આપણે પ્રથમ નિબંધના પ્રથમ પાંચ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.
૧-૨ : જગતની આર્થિક વિટંબણાનાં મૂળ અર્થશાસ્ત્રમાં છે. ધનવાન બનવા સંપત્તિ એકઠી કરવાના હેતુથી નફાની પ્રેરણા વડે સમાજ ચાલે છે એવું માની અર્થશાસ્ત્ર પ્રેમનાં માનવીય મૂલ્યોના પરિબળને અવગણે છે.
૩: માણસના જીવનના તમામ વ્યવહારમાં પ્રેમ નિરપવાદપણે સતત રહેનાર પરિબળ છે. તેથી તે સ્થિર પરિબળ છે. તેને ગણતરીમાં લઈને પછી જ નફા જેવી અસ્થિર, પ્રેરણાનાં પરિબળ ગણતરીમાં લઈ શકાય.
૪. પ્રેમના સ્થિર પરિબળને આધારે રચાયેલ શાસ્ત્રના સિદ્ધાંત વડે સ્થિર વિકાસ દર ધરાવનારા સમાજની રચના થાય. નફા જેવા, સામાજિક ન્યાયના ભંગ વડે નુકસાનકારક બનેલા સિદ્ધાંત સમાજમાં વિનાશકારી વિષમતાઓ જ પેદા કરે.
૫. માનવી પ્રેમમય જીવન વિકાસની સમાજરચના માગે છે, તેને બદલે આ અર્થશાસ્ત્ર માનવસમાજનું નફાની ગણતરી માટે જડ માળખામાં રૂપાંતર કરે છે.
પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.