સન્મિત્ર – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૬)


મીત્રો,

શું આકાશમાં તારા હંમેશા દેખાય છે? ના અંધારી રાત્રે તારા મંડળ ઝગમગી ઉઠે છે. દિવસે કે અજવાળીયા દરમ્યાન ખાસ તારાઓ દેખાય નહીં. (હા ક્યારેક કોઈને ધોળા દિવસે તારા દેખાય જાય તે વાત અલગ છે :smile:)

આકાશમાં તારા ન દેખાતા હોય તેથી શું તેમ માની લેવાય કે આકાશમાં તારા નથી? ના તેવું ન માની લેવાય. તારાનું હોવું કે ન હોવું તે આપણી માન્યતા કે આપણને દેખાવા ન દેખાવા પર અવલંબન નથી રાખતું પરંતુ તે હોય છે. ઈશ્વર વિશે પણ ઈશ્વરવાદીઓ તેવું જ કહે છે: જો કે અત્યારે તે બાબત મુખ્ય ચર્ચાનો વિષય નથી.

તેવી રીતે સન્મિત્ર આપણી પાસે હોય કે ન હોય, તે આપણી આજુ બાજુ દેખાય કે ન દેખાય તેમ છતાં તે સદૈવ આપણી પડખે ઉભેલો હોય છે. તેને આપણી રજે રજ ગતિ વિધિની ખબર હોય છે અને જ્યારે જ્યારે કશીક આપદા આવે ત્યારે તે તરત યથાશક્તિ મદદ કરવા પહોંચી જાય છે.

હવે પ્રશ્ન તે છે કે આપણે શું કોઈના સન્મિત્ર છીએ? જો હા તો જ્યારે જ્યારે આપણાં મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે ત્યારે આપણે તરત તેની મદદે પહોંચી જવું જોઈએ. ઘણી વખત તેવું બને કે જુના મિત્રો એકા એક જીવનમાંથી ગાયબ થઈ જાય અને કોઈ અગમ્ય પ્રદેશમાં જઈને જાણે સંતાકુકડી રમતા હોય તેમ છુપાઈ જાય. તે આપણને જોઈ શકતા હોય પણ આપણને તેમના વિશે કશી માહિતિ ન હોય તેવે વખતે તેઓ ખરેખર કશી મુશ્કેલીમાં હોય તો યે આપણી ઈચ્છા હોવા છતાં આપણે તેમને મદદરુપ નથી થઈ શકતા. વળી આવા મિત્રો ખુમારીથી ભરેલા હોય તેથી પોતાના દુ:ખડા રડે પણ નહીં તેથી તેમને મદદરુપ થવાનું વધારે કઠીન થઈ પડતું હોય છે.

આપણને મળતા લોકો સાથે આપણે ચાર પ્રકારે વ્યવહાર કરવો જોઈએ. જો કોઈ આપણાથી ચડીયાતું કે સુખી હોય તો તે બાબતે પ્રસન્ન થવું જોઈએ. જો કોઈ આપણા બરોબરીયા હોય તો તેમની સાથે મૈત્રી ભાવ રાખવો જોઈએ. કોઈ આપણાથી ઉતરતું કે દુ:ખી હોય તો તેમના પ્રત્યે કરુણા રાખવી જોઈએ. કોઈ પાપી કે દુષ્ટ હોય તો તેમના પ્રત્યે ઉપેક્ષા બતાવવી જોઈએ.

શ્રીમદ ભગવદ ગીતાના ૯ મા અધ્યાયના ૧૮ મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું સુહ્રદ એટલે કે સહુનો મિત્ર છું. લ્યો હવે આટલા મોટા આપણાં મિત્ર હોય અને વળી તે હંમેશા હાજરા હજુર હોય તો પછી આપણે ઘણી વખત ગભરાઈએ છીએ શા માટે? કારણ કે આપણે જાણતા નથી કે સર્વેશ્વર પ્રભુ આપણાં મિત્ર છે અને માત્ર મારા કે તમારા જ નહીં સહુના મિત્ર છે. પ્રશ્ન થાય કે તે મિત્ર છે અને સર્વ વ્યાપક છે તો પછી કેમ આપણી મુશ્કેલીમાં વહારે દોડતા નથી? ત્યાં પ્રભુ કહે છે કે હું મારા ઘડેલા નિયમો પ્રમાણે સંચાલન કરુ છું. વળી અસંખ્ય જીવોની અસંખ્ય ભાવનાઓ એકબીજા સાથે પરસ્પર ટકરાઈને અનેક શક્યતાઓ સર્જતી હોય તેવે વખતે સર્વના મિત્ર તેવા ઈશ્વર કોઈ એક મિત્રનો પક્ષ ન લઈ શકે તેથી કર્મના નિયમ પ્રમાણે સહુને ફળ આપે છે. આમ ઈશ્વર કર્માધ્યક્ષ છે.

આપણને લાગુ પડે તેવી લૌકિક મિત્રતામાં તો કહે છે કે:

શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક;
જેમાં સુખ દુ:ખ વામીએ, તે લાખનમાં એક.

શેરીમાં રમનારા તો કેટલાયે મિત્રો મળી જશે. તાળી કે હાથ તાળી દઈને છટકી જનારા તો વળી અનેક છે. પણ શું તમને કોઈ એવો મિત્ર મળ્યો છે કે જેના સુખે તમે સુખ અનુભવો અને જેના દુ:ખે તમે દુ:ખ અનુભવો. તમારી ડાયરીમાં નોંધી લ્યો કે આવો મીત્ર કોઈકને જ હશે અને તે પણ એકાદ જ. દોસ્તો, જો તમને આવો મિત્ર મળી આવે તો પ્રાણાંતે પણ તેનો ત્યાગ ન કરશો.

આ ઉપરાંત મિત્ર શોધવો તો કેવો શોધવો જોઈએ તો કહે છે કે:

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય;
સુખમાં પાછળ પડી રહે દુ:ખમાં આગળ હોય.

જ્યારે આપણે સોળે કળાએ ખીલેલા ચંદ્ર જેવા હોઈએ અને ચારે બાજુ આપણી વાહ વાહ થતી હોય તેવે વખતે તો ઘણાં લોકો આપણા મિત્ર થવા માટે આવશે. પણ જ્યારે આપણે મુરઝાઈ ગયેલા ફુલની જેમ એક ખુણામાં પડ્યા હોઈએ તેવે વખતે પણ જે આપણો સાથ ન છોડે આપણી વિપત્તિમાં પણ જે આપણો હાથ ન છોડે તે મિત્રને કદી ભુલશો નહી, છોડશો નહી.

મિત્રના દોષો અને ભુલોને રેતીમાં લખજો અને તેણે કરેલા ઉપકારોને પત્થરની લકીરોની માફક કોતરી રાખજો.

મિત્રો, બહુ ઓછા ભાગ્યશાળી લોકો છે કે જેને સાચા મિત્રો મળે છે. જો તમને મળ્યા હોય તો હંમેશા મૈત્રિ નીભાવજો અને ન મળ્યા હોય તો આજે જ એકાદા સારા મિત્રની શોધ આરંભી દેજો.

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

Post navigation

One thought on “સન્મિત્ર – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૬)

  1. ખુબ જ સુંદર !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: