લવચીકતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૫)


મીત્રો,

એક વખત ભયંકર વાવાઝોડું આવ્યું. મોટા મોટા વૃક્ષો આમથી તેમ ડોલવા લાગ્યા. વાવાઝોડાની ગતી વધી અને લગભગ બધા વૃક્ષો ધરાશાઈ થઈ ગયાં. ત્યાં આગળ કેટલુંક ઘાસ ઉગ્યું હતુ જે દર વખતે પવનની થપાટો સાથે નમી જતું હતું પરંતુ વાવાઝોડું શમ્યા પછીએ તે તો હજુ ઉભું હતું. જ્યારે મોટા મોટા મહાકાય વૃક્ષો પોતાની અક્કડતાને લીધે જમીનદોસ્ત બની ગયા હતા.

હવે તો તમે સમજ્યાં ને કે લવચીકતા શું છે?

પરિસ્થિતિની સાથે જે બદલાતો નથી તેને પરિસ્થિતિ બદલી નાખે છે. ડગલે અને પગલે આપણે લવચીક / પરીવર્તનશીલ રહેવા તત્પર રહેવું જોઈએ. પરીવર્તનશીલ એટલે ઢીલા પોચા કે નમાલા નહીં પણ બાહ્ય પરિસ્થિતિને આધારે સમગ્ર પર્યાવરણ સાથે એક પ્રકારની સંવાદીતા.

કુટુંબમાં, મિત્રો સાથે, પત્નિ, બાળકો, માતા-પિતા સાથે, સમાજમાં, અને સર્વ સ્થળે જે જેટલો સંવાદી વલણ ધરાવતો હશે તે તેટલો ટકી રહેશે. ધારો કે ઘરમાં પત્નિએ દિવાળીનું કાર્ય આરંભ્યું હોય તો તે વખતે તેણે રસોઈ બનાવવી જ જોઈએ તેવો આગ્રહ રાખવાને બદલે એકાદ દિવસ સારા રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવીને જમી શકાય. પત્નિની તબીયત ખરાબ હોય, રસોઈ તો શું બોલી યે શકવાની સ્થિતિમાં ન હોય તો તેવે વખતે તેની સાથે વાત ચિત કરવાનો આગ્રહ રાખવાને બદલે તેને આરામ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જરૂર હોય તો તેની સારવાર કરવી જોઈએ. અને જલદીથી સ્વસ્થ થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

તેવી રીતે કુટુંબના બધા સભ્યો એક-બીજાને અનુકુળ થઈને વર્તે તો જીવન ભર્યું ભર્યું લાગે. આર્થિક બાબતોમાં લવચિકતા હોવી જોઈએ. થોડી બચત રાખવી જોઈએ, ધનાઢ્ય હોઈએ તો સમાજમાં કશુંક ઉપયોગી થાય તેવા કાર્યમાં સહયોગ આપવો જોઈએ. ઘણાં લોકો ઘણું કમાતા હોય છતા ઉડાઉ હોય છે. જે કાઈ કમાય તે બધું બેફામ રીતે ખર્ચી નાખે પછી જ્યારે મોંઘવારી વધે કે એકાએક બાળકોની ફી ભરવાનું આવે કે કોઈ અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે ધન માટે જ્યાં ત્યાં ફાંફા મારવા પડે. જે દેવાદાર નથી તે સંપત્તિવાન છે.

મોજ શોખો વગેરેમાં પણ સમજદારી પૂર્વકની લવચીકતા જરુરી છે. એક જ પ્રકારે આનંદ મળે તેવું નથી. ક્યારેક બગીચામાં ફરવા જવાય, ક્યારેક દરીયાકીનારે ઉપડી જવાય તો વળી ક્યારેક જંગલોમાં ઘુમવા નીકળી પડાય. કેટલીક વખત સાવ અજાણ્યાં સ્થળોએ નીકળી પડાય તો આવી જુદી જુદી રીતે આનંદ મેળવવાના નવા નવા રસ્તા શોધીને તાજગી સભર બની શકાય.

બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીમાં રોજે રોજ આપણાં જીવનમાં પરિવર્તન આવે છે. તેવે વખતે આપણાં સાચા મિત્રો, જીવનસંગાથી, સ્નેહસભર પરીવારજનો સાથે સુમેળભરી રીતે રહીને રોજે રોજ બદલાતી પરિસ્થિતિમાં એકબીજાને અનુકુળ થઈને રહીએ તો જીવન સતત એક ઉત્સવ બની જાય. ઘણીએ વાર મિત્રો, કુટુંબીજનો સાથે ગેરસમજણ થાય આપણે શું કહેવા માંગીએ છીએ તે યોગ્ય રીતે સમજાવી ન શકાય તો તેવે વખતે તે બાબતનો છેદ ઉડાડી દઈને કહેવું જોઈએ કે તું મને ન સમજ તો કાઈ નહીં અને હું તને ન સમજી શકું તો કાઈ નહી પરંતુ આપણે એટલું તો સમજી લેવું જોઈએ કે હું તને ચાહું છું અને તું મને ચાહે છે. આટલી સમજ આવી જાય તો જીવન સદાયે હર્યું ભર્યું અને ખુશખુશાલ રહેશે.

મિત્રો, તો આજથી જ આપણે લવચીક બનીને પ્રત્યેક પડકારને ગૌરવપૂર્ણ રીતે પહોંચી વળશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: