મીત્રો,
આજે આપણે સ્વામી શિવાનંદની થોડી વાત કરીએ.
સ્વામીજીનું પૂર્વજીવનનું નામ કુપ્પુસ્વામી અય્યર હતું. તેમનો જન્મ દક્ષિણમાં તામ્રપર્ણિ નદીના કાંઠે આવેલા પટ્ટામડાઈ નામના ગામડામાં ઈ.સ.૧૮૮૭માં સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. તેમના પિતાનું નામ વેંગુ અય્યર અને માતાનું નામ પાર્વતી અમ્મલ હતું. તેમને ભક્તિ, જ્ઞાન અને સેવાનો મહાન વારસો મળ્યો હતો.
ડોક્ટર થયા પછી તેમણે પોતાનો પવિત્ર ધંધો શરૂ કર્યો. તેઓ આદર્શ ડોક્ટર થવા ઈચ્છતા હતા. ઈ.સ.૧૯૧૩માં તેઓ મલાયા જવા ઉપડી ગયા. ત્યાં જઈને તેમણે દસ વર્ષ સુધી ડોક્ટર તરીકે કામ કર્યું. જે રોગીનો રોગ અસાધ્ય ગણાતો તેને ડો.કુપ્પુસ્વામી હાથમાં લે કે તરત મટી જતો. ડોક્ટરની મીઠી વાણી, અપાર પ્રેમ, દરદીને રોગમુક્ત કરવાની તીવ્ર ઈચ્છા અને માનવસેવા કરવાની તમન્ના આ બધાંની દરદી પર જાદુઈ અસર થવા માંડી. આ નીતિથી જ ડોક્ટર કુપ્પુસ્વામી પોતાના ધંધામાં સફળ થયા.
ઈ.સ. ૧૯૨૨માં ડો.કુપ્પુસ્વામીને ભગવાન બુદ્ધની જેમ એકાએક આત્મજ્ઞાનની પ્રેરણા થઈ. દુનિયાની તમામ વસ્તુઓ તેમને ક્ષણિક લાગવા માંડી. આ સાલમાં તેઓ ભારત પરત આવ્યા. મિત્રને ઘેર પોતાનો સામાન મુકી તેઓ ઈશ્વરની શોધમાં ચાલી નીકળ્યા.
ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરી તેઓ ઠેર ઠેર ઘુમવા લાગ્યા. માઈલો સુધી પગે ચાલતાં જવું એ એમને મન એક રમત વાત હતી. ભોજન મળે તો લેવું, ન મળે તો ભગવાનનું નામ લઈ સંતોષ માનવો. એક સદગૃહસ્થે તેમને ઋષિકેશ જવાની સલાહ આપી અને રૂ. ૨૫/- રોકડા આપ્યા. તેઓ ઋષિકેશ આવી પહોંચ્યા.
ઈ.સ.૧૯૨૪માં એક દિવસ કુપ્પુસ્વામી ગંગાસ્નાન કરવા ગયા હતા. ત્યાં તેમણે એક પરમ તેજસ્વી સંન્યાસીને જોયા, સંન્યાસીએ કહ્યું: ’બેટા, આ દુનિયામાં વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરવા તારો અવતાર થયો હોય એમ લાગે છે. મારી ઈચ્છા છે કે હું તને દીક્ષા આપું. મને લોકો સ્વામી વિશ્વાનંદ નામથી ઓળખે છે.’
તેમણે સંન્યાસીનાં ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં. ગુરૂએ તેમનું નામ શ્રી સ્વામી શિવાનંદ સરસ્વતી રાખ્યું. ત્યારથી તેઓ એ નામે ઓળખાવા લાગ્યા.
દીક્ષા લીધા પછી તેમને અંતરનો અવાજ સંભળાવા લાગ્યો: ’અહીંતહીં ભટકવાથી શું વળવાનું છે? ઘોર તપશ્ચર્યા આદરો. તમારા જ્ઞાન અને અનુભવનો જગતને લાભ આપો. માર્ગ ભૂલેલાને રસ્તો બતાવો. લોકોને સાચો ધર્મ અને કર્મ સમજાવો. માનવ માત્રને સન્માર્ગે દોરો.’
તેમને એક જીર્ણ ઝુંપડી હાથ આવી, જેમાં અનેક ઝેરી જંતુઓનો વસવાટ હતો. અહીં રહી તેમણે કઠોર તપશ્ચર્યા શરૂ કરી. કેટલાય દિવસો તેમણે અન્નજળ વિના ગાળ્યા. કેટલીયે રાતના ઉજાગરા કર્યા. કડકડતી ઠંડી, અસહ્ય તાપ અને મુશળધાર વરસાદ એ બધું સહન કર્યું, તેમની તપશ્ચર્યા ફળી, પ્રભુનાં દર્શન થયાં અને તેમના આત્માએ અપાર આનંદ અને શાંતિ અનુભવ્યાં.
તેમણે ઈ.સ. ૧૯૩૬માં ’દીવ્યજીવન સંઘ’ (DIVINE LIFE SOCIETY) ની રચના કરી. આજે એ સંઘની દેશ-પરદેશમાં સેંકડો શાખાઓ સ્થપાઈ ચૂકી છે, ભારતમાં અનેક સ્થળોએ તે શાખાઓ દ્વારા જનતા આધ્યાત્મિક ક્ષેત્રમાં સુંદર માર્ગદર્શન મેળવી રહી છે.
આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સ્વાસ્થ્ય વિષયક ૩૦૦ ઉપરાંત ગ્રંથો અંગ્રેજીમાં બહાર પાડી સ્વામીજીએ વિશ્વ ઉપર એક મહાન ઉપકાર કર્યો છે. તેના અનુવાદો વિદેશી ભાષાઓમાં થઈ રહ્યાં છે. ઉપરાંત ભારતની અમુક ભાષાઓમાં પણ તેના અનુવાદો પ્રગટ થયા છે.
ઈ.સ.૧૯૩૮થી તેમણે અંગ્રેજી માસિક ડિવાઈન લાઈફ શરૂ કર્યું છે. ઈ.સ. ૧૯૪૯થી ’યોગ વેદાન્ત ફોરેસ્ટ એકેડેમી’ ની સ્થાપના કરી છે. ગંગા નદીના રમણીય તટ પર ઋષિકેશમાં શિવાનંદ નગરની સ્થાપના કરી છે. જ્યાં યોગ મ્યુઝીયમ, પ્રેસ, વિશ્વનાથ મંદિર, હોસ્પીટલ અને સાધકો માટે અનેક કુટીરો જનતાનું આકર્ષણ બની છે.
આવી વિશ્વવંદ્ય વિભૂતિ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ તા.૧૪ મી જુલાઈ ૧૯૬૩ના રોજ મહાસમાધિસ્થ થયા છે, પરંતુ તેઓશ્રીની શિવાનંદનગર, ઋષિકેશમાં આવેલી સમાધિ અનેકને પ્રેરણા આપી રહી છે. હજારો લોકો એ સમાધિનાં દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યાં છે.
ધર્મનો સર્વ સાર એક વાક્યમાં કહેવો હોય તો ઋષિકેશના દિવ્યજીવન સંઘના સ્થાપક સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી મહારાજનો સંદેશ યાદ રાખવા જેવો છે:
ભલા બનો અને ભલું કરો.
કહેવાનું તાત્પર્ય તેટલું છે કે ભલા બનવું અને ભલું કરવું તે માત્ર હોઠોથી એક વાક્ય બોલવા જેટલું સહેલું નથી પણ તે માટે જાતને ઘસી નાખવી પડે છે, મનને કસવું પડે છે, સત્યની શોધ માટે સર્વસ્વનો ત્યાગ કરવાની હિંમત અને બહાદુરી બતાવવા પડે છે – ત્યારે સત્યની નજીક પહોંચાય અથવા તો સત્યાનુભુતિ થઈ શકે.
મીત્રો, તો ભલા બનવા અને ભલું કરવા માટે માત્ર શબ્દોથી નહીં પણ દિલથી પ્રયત્ન કરશુંને?
Would anyone, please, let me know if there is a place for a retired man to live a simple life, near this beautiful place? Thanks .—–Nathan