Daily Archives: 09/10/2011

સંગીત – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૩)


મીત્રો,

પ્રકૃતિનો ચૈતન્ય સાથેનો નીરંતર રાસ એટલે સંગીત.

વૈજ્ઞાનિકો કહે છે કે સૃષ્ટિના આરંભે મોટો ધડાકો થયો અને ત્યાર બાદ નીરંતર ઉત્ક્રાંતી પામતી સૃષ્ટિ આજે અહીં સુધી પહોંચી છે. ધડાકો મેળે મેળે થાય તો તે અસ્ત વ્યસ્ત થાય. ત્રાસવાદીઓ ધડાકા કરે છે તો તેનાથી કશું સર્જન નથી થતું પણ આસ પાસ રહેલું બધું વેર વિખેર થઈ જાય છે.

તત્વવેતાઓ કહે છે કે ૐકાર ના નાદથી સૃષ્ટિનું સર્જન થયું.

ૐકાર ફટકે તીન લોક ભયા, રસ્તા ગયા ભુલાઈ.

જે હોય તે સૃષ્ટિનું સર્જન થયું છે તે વાત પાકી છે અને સર્જન હોય તો સર્જનહાર હોય હોય અને હોય જ. તેથી કોઈક તત્વ એવું જરૂર છે કે જે આ સૃષ્ટિના સર્જન પાછળ કારણરુપે છે.

શબ્દ આકાશનો ગુણ છે. શબ્દનું વહન આકાશમાં થાય છે. મોબાઈલ ફોન પર આપણે વાત કરી શકીએ છીએ તે ધ્વનિના તરંગો આકાશ દ્વારા આપણી સુધી પહોંચે છે. રેડીઓ પર આવતા કાર્યક્રમોને આપણે આકાશવાણી કહીએ છીએ.

ધ્વની જ્યારે તાલમાં વહે ત્યારે ચોક્કસ પ્રકારના અંદોલનો થાય છે. જુદા જુદા રાગની મન પર જુદી જુદી અસર થાય છે કારણ કે ધ્વનીના આ તરંગો મનના રસાયણોને ચોક્કસ રીતે સ્ત્રવવા માટે પ્રેરણારુપ બને છે. જુદા જુદા સમયે જુદા જુદા રાગ ગાવાથી મન પર તેની જુદી જુદી અસર થાય છે. જન્મથી લઈને મૃત્યું સુધી જીવો સંગીતની અસર હેઠળ જીવવાનું પસંદ કરે છે. જે મા બાળકને હાલરડાં ગાઈને પોઢાડે છે તેને શાંતીથી ઉંઘ આવી જાય છે. તે બાળક ઓછું કજીયાળું અને તંદુરસ્ત બને છે. પ્રાણીઓ અને પક્ષીઓ પર પણ સંગીતની અસર થાય છે. સંગીતની અસરથી મંત્રમુગ્ધ બનેલ હરણનો શીકારીઓ આસાનીથી શીકાર કરી લે છે. ઘણાં બધા રોગો સંગીતથી સારા થઈ શકે છે.

સામાન્ય રીતે બે પ્રકારે નાદ ઉત્પન્ન થતાં હોય છે. ૧.તાડન કરવાથી ૨.ખેંચવાથી

ઢોલક/નગારા વગેરે વાદ્યો પર હાથ કે દાંડીથી હળવેથી પ્રહાર કરવાથી તેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે. વીણા વગેરે તંતુ વાદ્યોના તારને સહેજ ખેંચવાથી સંગીત ઉત્પન્ન થાય છે. સંગીતમાં પણ ગાયન અને વાદન તેમ બે વિભાગ હોય છે. વાદન વિભાગ અને ગાયન વિભાગના કલાકારો વચ્ચે એકસૂત્રતા હોય તો કર્ણપ્રિય સંગીત સર્જાય છે. ગાયનમાં પણ શાસ્ત્રીય અને સુગમ તેમ બે પ્રકારના સંગીત હોય છે.

હવેની આધુનીક ટેકનોલોજીની મદદથી સંગીતના ઘણા નવા નવા વાજીંત્રો વિકસાવવામાં આવ્યાં છે. વળી એક વખત બજાવેલું સંગીત સંગ્રહિત કરીને જેટલી વખત સાંભળવું હોય તેટલી વખત પુન: સાંભળી શકાય છે. સ્ટિવ જોબ્સે વિકસાવેલ I-Pod દ્વારા સંગીતના કરોડો ચાહકો પોતાના મનગમતા સંગીત ખીસ્સામાં લઈને ફરતાં થયાં છે અને જ્યારે ઈચ્છે ત્યારે મનપસંદ સંગીત સાંભળી શકે છે.

ગઈ કાલે ન્યુઝીલેન્ડમાં રાત્રે પોણા બે વાગ્યા હતા ત્યારે ફેસબુક પર જોઈને મારા મામાને ખ્યાલ આવ્યો કે મારો જન્મદિવસ છે તેથી તેમણે મને ફોન કરીને જન્મદિવસના અભીનંદન આપ્યાં, મારા આરોગ્યના સુધારા અને યશસ્વી કારકીર્દી માટે શુભેચ્છાઓ આપી. મને કહ્યું કે તારે જ્યારે રાગ પર આધારિત સંગીત સાંભળવું હોય તો raaga.com પર સાંભળી શકીશ. raaga.com પર ૧૧ ભારતીય ભાષામાં સંગીત ઉપલબ્ધ છે આ ઉપરાંત વિશ્વની અન્ય શ્રેષ્ઠ સંગીત રચનાઓ પણ આપ ત્યાં માણી શકશો.

અડધી રાત્રે મને જન્મ દિવસના અભીનંદન આપનારા મામાની વાણી મને સંગીતમય લાગી.

આ માત્ર લૌકિક સંગીતની થોડી ઉપરછલ્લી વાત થઈ. શંકરાચાર્યજી મહારાજ યોગ તારાવલી સ્તોત્રમાં સદાશિવે વર્ણવેલા સવા લાખ – રીપીટ – સવાલાખ – લયયોગના માર્ગમાંથી નાદાનુસંધાન શ્રેષ્ઠ માર્ગ છે અને યોગીઓ પણ તેને આદર આપે છે તેમ જણાવે છે. નાદાનુસંધાનમાં મનુષ્યના શરીરમાં કોઈપણ આઘાત કર્યા વગર ઉઠતો સ્વયંસ્ફુરીત અનાહત નાદ છે તેનું અનુસંધાન કરવાથી યોગી સમાધી પામે છે તેમ જણાવેલ છે.

મીત્રો, તો આપણે સંગીતની જાદુઈ શક્તિથી આપણા ચિત્તતંત્રને ચેતનવંતુ બનાવશુંને?


સંગીત વિશે વિચારપ્રેરક લેખ તથા મનનીય અભીપ્રાયો આપ કુરુક્ષેત્ર બ્લોગ પર વાંચી શકશો.

સંગીત મનકા દીપ જલાયે.


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

Blog at WordPress.com.