Daily Archives: 07/10/2011

શિસ્ત – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૧)

મીત્રો,

બગીચામાં ફરતા લોકો અને ક્વાયત કરતા સૈનિકો વચ્ચે નો તફાવત સ્પષ્ટ હોય છે.

બગીચામાં ફરતા લોકોમાં બાળકો દોડાદોડી કરતા હશે, વડીલો ગંજીપો કે નવ કુકરી રમતા હશે, બહેનો ટોળ ટપ્પા કરતી હશે, પ્રેમી પંખીડા લપાઈ છુપાઈને કાનમાં ધીરેથી ઘુસ પુસ કરતાં હશે, પતિ-પત્નિ બાજુ બાજુમાં બેઠા હશે તો યે પતિ ચિંતામગ્ન હશે કે ફોન પર કોઈકની સાથે વ્યવસાયની વાતો કરતો હશે, પત્નિ બાજુમાં બેઠી બેઠી બગાસા ખાતી હશે કે છોકરાનું ધ્યાન રાખતી હશે. ટુંકમાં બગીચામાં ફરનારા લોકો અસ્ત વ્યસ્ત અને મનના તરંગો મુજબ વ્યવહાર કરતા હશે.

જ્યારે ક્વાયત કરતા સૈનિકોના હાથ, પગ, હથીયાર બધું શિસ્ત બદ્ધ અને સરખું હશે. બંને સ્થળોએ માણસો છે પરંતુ એક સ્થળે નીયમ છે, શિસ્ત છે, અનુશાસન છે જ્યારે બીજા સ્થળે સ્વતંત્રતા છે પણ સાથે સાથે અસ્તવ્યસ્તતાયે છે.

જીવનમાં ડગલે અને પગલે આપણે શિસ્તની જરુર પડે. અભ્યાસખંડમાં શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકને ભણાવવું સહેલું થઈ પડે. વેપારીએ વ્યવસ્થિત માલ સામાન ગોઠવ્યો હોય તો ગ્રાહકને ડીલીવરી કરવી સહેલી પડે. ખેતીમાં વ્યવસ્થિત ચાસ કરીને ચોક્કસ અંતરે બીજ વાવ્યા હોય તો પાકને લહેરાવું સહેલું પડે. ઋતુઓના ચક્રો નિયમિત હોય તો માણસને જીવવું સહેલું પડે. જે દેશમાં નાગરીકો અને વહિવટકર્તાઓ શિસ્તબદ્ધ હોય તે દેશને ચલાવવો સહેલો પડે તેનો વિકાસ ઝડપી થાય.

એકની એક વસ્તુ બે જુદા જુદા વેપારી પાસેથી એક જ ભાવે ખરીદવાની હશે તો જે વેપારી ઝડપી ડીલીવરી આપશે તેની પાસેથી ગ્રાહક ખરીદી કરવાનો આગ્રહ રાખશે. બસ,ટ્રેન,વિમાન અને યાતાયાતના અન્ય સાધનો જો ચોક્કસ સમયે ઉપડે અને ચોક્કસ સમયે ગંતવ્ય સ્થાને પહોંચાડે તો ઘણાં બધા વ્યવહાર સરળ થઈ જાય.

પ્રકૃતિમાં મહદ અંશે બધું વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ ચાલે છે. પૃથ્વી અને અન્ય ગ્રહો પોતાની ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગતી કરે છે તેથી અથડામણ થતી નથી. મનુષ્યો અને પ્રાણીઓમાં આવી કશી શિસ્ત જોવા મળતી નથી તેથી વારે તહેવારે અને ક્ષણે ક્ષણે અથડામણ જોવા મળે છે.

કોઈ એક નિશ્ચિત ધ્યેય હાંસલ કરવું હોય તો તેને માટેના નીયમો ઘડીને પછી શિસ્તબદ્ધ રીતે તે ધ્યેય હાંસલ કરવાના સોપાનો ગોઠવીએ અને તે પ્રમાણે કાર્ય કરીએ એટલે સફળતા નીશ્ચિત થઈ જાય છે.

વ્યવહારમાં યે શિસ્ત જોઈએ. ચોક્કસ સમયે ઉઠનારા, ચોક્કસ સમયે દૈનિક કાર્યો કરનારા વધારે સફળ થતા હોય છે. શરીરમાં લેવાતો આહાર અન્ન અને મનમાં ગ્રહણ કરાતો ઈંદ્રીયોનો વ્યાપાર પણ જો શિસ્તબદ્ધ હોય તો મગજના રાસાયણીક સ્ત્રાવો શિસ્તબદ્ધ વહેશે અને જીવન સૂર તાલમાં સુમધુરુ બની રહેશે પણ જો આહાર અને ઈંદ્રિય વ્યાપાર અવ્યવસ્થિત હશે તો મગજના રાસાયણિક સ્ત્રાવો પણ ગમે તે રીતે સ્ત્રવશે અને પરીણામે જાત જાતના મન અને શરીરના રોગોના શીકાર થઈ પડાય.

ટુંકમાં જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં શિસ્તબદ્ધ વ્યક્તિ અનીયંત્રીત રીતે વર્તનારા કરતા વધું શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરશે.

મીત્રો, આપણે પણ આજથી શિસ્ત બદ્ધ બનીને પહેલાં કરતા વધારે સુવ્યવસ્થિત બનવાનો પ્રયાસ કરશુંને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.