મીત્રો,
ઘણી વખત આપણે અશક્ય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. જેમ કે :-
* તે માણસમાં સમજણ આવે તે વાત અશક્ય છે.
* મરેલો માણસ પુન:જીવીત થાય તે અશક્ય છે.
* માણસ સુર્ય પર જઈ શકે તે અશકય છે.
* માછલીઓ તરવાને બદલે ઝાડ પર ચડી જાય તે અશક્ય છે.
* ટુથપેસ્ટના પાઉચમાંથી નીકળી ગયેલી ટુથપેસ્ટ પાછી તેમાં ભરી દેવી તે અશક્ય છે.
એટલે કે જે વાત વ્યવહારીક રીતે સત્ય થઈ શકે તેવી ન હોય તેને આપણે અશક્ય છે તેમ કહેતા હોઈએ છીએ.
આપણે સમજવું જરુરી છે કે કોઈ પણ બાબત શક્ય છે કે અશક્ય છે તે એટલું અગત્યનું નથી પરંતુ કોઈ પણ બાબત જરુરી છે કે નહીં તે જાણવું અગત્યનું છે.
વિદ્યાર્થીને માટે વિદ્યાભ્યાસ, ગૃહસ્થને માટે ધન, કુટુંબના સભ્યોને એકબીજાની હુંફ, મીત્રને દોસ્તની સાથે હળવું મળવું અને સંવાદ દ્વારા વધુ પરિપક્વ થવું વગેરે બાબત આવશ્યક હોય છે. હા ઘણી વખત તે શક્ય નથી હોતું છતાં જે કાઈ બાબત જરુરી હોય તે જો યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો શક્ય થઈ શકે તેમ હોય છે.
એવું ક્યાંક વાચ્યું છે કે નેપોલીયન બોનાપાર્ટ (નેપોલીયન હીલ નહીં) કહેતા કે મારી ડીક્ષનેરીમાં Impossible નામનો કોઈ શબ્દ જ નથી – એટલે તેનો અર્થ તેમ નથી કે દરેક બાબત તેના માટે શક્ય હતી પણ તેનો અર્થ તેમ થતો કે તેણે કરવા ધારેલા કઠીન કાર્યો પણ તે પોતાના પુરુષાર્થ અને સામર્થ્યના જોરે કરી શકતા.
૩ ઈડીયટ્સનું દૃશ્ય યાદ કરો – અકળાઈ ગયેલો રાજુ ટુથપેસ્ટ દબાવીને બધી બહાર કાઢીને ફરહાનને કહે છે કે લે બધું શક્ય હોય તો આ પાછી આમાં ભરી દે. આ દૃશ્ય મનમાં અનેક વિચારો જન્માવે છે – કોણ સાચું?
રાજુ, ફરહાન કે રાન્ચો?
રાન્ચો કહે છે કે બધું શક્ય છે, ફરહાન તેને રાન્ચોની વાત સમજાવવાનો પ્રયાસ કરે છે અને રાજુ ક્રોધાવેશમાં વિચિત્ર વર્તન કરીને પુછે છે કે જો બધું શક્ય છે તો આમ કરી શકીશ?
જવાબ બધાનો જુદો હશે, વિશ્લેષણ કરવું પડે તેવી ઘટના છે. પહેલી વાત તો ટુથપેસ્ટ જરૂર નહોતી તો આટલી બધી બહાર શું કામ કાઢી? આ પાછી નથી જઈ શકતી તેમ બતાવવા? તેવી જ રીતે નાના છોકરા ગુસ્સે થાય ત્યારે પુસ્તકના પાને પાના ફાડી નાખે, પત્નિ ગુસે થાય તો છાપાના ટુકડે ટુકડા કરી નાખે. પીતા કે પતી તેને ફરીથી જોડી ન શકે – નવું પુસ્તક લાવી શકે, તે દિવસનું છાપું વાંચવાનું જતું કરી શકે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શક્ય છે – પરિસ્થિતિને પહેલા જેવી કરી દેવાનું હમ્મેશા શક્ય નથી હોતું.
પ્રકૃતિ નીરંતર પરિવર્તન પામતી રહે છે. હું ગઈકાલ ના જેવો આજે ન થઈ શકું. પરંતુ આજે કેમ સારી રીતે જીવવું તેનું સમાધાન ચોક્ક્સ મેળવી શકું.
બુદ્ધ કલિંગના યુદ્ધમાં મરાઈ ગયેલા અસંખ્ય સૈનિકોને ફરી જીવીત ન કરી શકે પરંતુ અશોકની બુદ્ધિ ઠેકાણે લાવી શકે અને તેને તલવાર મ્યાન કરાવીને ઘોડા પરથી હેઠે ઉતરાવીને ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રવૃત્ત કરી શકે.
કહેવાનું તાત્પર્ય તે છે કે કોઈ પણ બાબત શક્ય છે તેમ કહી ન શકાય પરંતુ જરુરી હોય તેવી કોઈ પણ બાબતનું સમાધાન શક્ય છે – તેમ કહી શકાય.
આ વિચાર પર અનેક વમળ મારા મનમાં ઉઠ્યા છે – આજે આ વિચાર પર વધુ લખવાનું મારા માટે શક્ય નથી પરંતુ તેનો અર્થ તેમ નથી કે આ વિચાર પર લખવાનું મારા માટે અશક્ય છે.
મીત્રો, તો આજથી જ કોઈ બાબત અશક્ય છે તેમ કહી દેવાને બદલે કોઈ પણ બાબતનો સમાધાનકારી ઉકેલ કેવી રીતે શક્ય છે તે શોધી કાઢવાનું અને તે પ્રમાણે જીવનને યોગ્ય દિશા આપવાનું શરુ કરશું ને?