Monthly Archives: September 2011

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૪૬-૪૭)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

ઈચ્છાઓ તો મનેય છે પરંતુ હું મારી ઈચ્છા સામેની વ્યક્તિને ધમકાવીને કે લોભલાલચ આપીને નહીં પરંતુ પ્રેમ દ્વારા પૂર્ણ કરવાનું પસંદ કરીશ અને જો તે રીતે શક્ય નહીં હોય તો હું મારી ઈચ્છાઓને સંયમપૂર્વક કાબુમાં રાખીશ.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

સંઘ ભાવના (Team Work) – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૫)


મીત્રો,

ટોળું અને ટુકડી વચ્ચેનો તફાવત જાણો છો? ટોળું એટલે અનીયંત્રીત વ્યક્તિઓનો સમૂહ કે તે ક્યારે શું કરશે તે નક્કી નહીં. જ્યારે ટુકડી એટલે ચોક્કસ હેતુ કે ધ્યેય માટે એકત્રીત થયેલ વ્યક્તિઓનો સમૂહ. આપણાં દેશમાં માણસો ભેગા કરવા જેટલું સહેલું કામ બીજું એકે નથી. પરંતુ ચોક્કસ હેતુ માટે ચોક્કસ પ્રકારની ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ એકત્ર કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય છે.

સાંપ્રત બે આંદોલનના ઉદાહરણ લઈએ તો સમજાશે કે એકમાં નીશ્ચિત ધ્યેય વગર એકત્રીત થયેલ ટોળું હતું જ્યારે બીજામાં સમજદાર અને સમર્પિત વ્યક્તિઓ દ્વારા ચોક્કસ હેતુ માટે કરવામાં આવેલ પ્રયાસ છે. પ્રથમ આંદોલન બાબા રામદેવનું હતુ કે જેને સરકાર દ્વારા આસાનીથી તોડી પડાયું. બીજા આંદોલનમાં સરકારે જેમ જેમ આંદોલનને તોડી પાડવા પ્રયાસ કર્યો તેમ તેમ સરકાર વધુને વધુ સાણસામાં સપડાતી ગઈ. બંનેમાં ઘણાં માણસો હતાં. પ્રથમ આંદોલનના નેતા વધારે લોકપ્રીય અને જાણીતા હતા જ્યારે બીજા આંદોલનના નેતા વધારે ચોક્કસ અને પ્રમાણિક હતાં. કહેવાનું તાત્પર્ય તે છે કે કોઈ પણ કાર્યને જો વ્યવસ્થિત પરીણામ પ્રાપ્ત કરવામાં રુપાંતરીત કરવું હોય તો જે તે કાર્ય માટે એકત્ર થયેલા માણસો યોગ્ય હોવા જોઈએ.

જાપાન અને આપણાં દેશની વસ્તી વચ્ચે કેટલો મોટો તફાવત છે. જાપાનમાં બધા નાગરીકો છે જ્યારે આપણે ત્યાં (સ્વાર્થી ?) વ્યક્તિઓના ટોળા. કોઈ ઉમદા હેતુ કે ધ્યેય વગર એકત્રીત થતાં માણસો કદાચ બાબરી મસ્જીદ તોડી શકે, ટ્રેનના ડબ્બા સળગાવી શકે, હુલ્લડ અને તોફાનો કરી શકે, માલ મિલ્કતને નુકશાન કરી શકે પરંતુ કશુંક હકારાત્મક, કશુંક સર્જનાત્મક કાર્ય કરવું હોય તો સબળ, સચોટ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓની ટુકડી જ કામ લાગે.

આપણે ત્યાં TATA ને ઘણું પ્રતિષ્ઠિત ઉધ્યોગ ગૃપ ગણવામાં આવે છે. હું જ્યારે મીકેનીકલ એંજીનીયરીંગનો ડીપ્લોમાં કરતો હતો ત્યારે અમારે ત્યાં એક ગૃપ પોતાને TATA ગૃપ તરીકે ઓળખાવતું. TATA means Team Work.

સારું સોફ્ટવેર બનાવવું હોય, સારો વેપાર કરવો હોય, ઉત્તમ ખેતી કરવી હોય, સારી રીતે રાજ્ય કરવું હોય, સારી રીતે ફેક્ટરી ચલાવવી હોય કે કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો સારી ટીમ જોઈએ.

ટીમના સભ્યોમાં હંમેશા એકબીજાને સહાયરુપ થવાની ભાવના હોવી જોઈએ. કાર્યનો હેતુ સમગ્ર ટીમના લાભમાં હોવો જોઈએ. ફેક્ટરીમાં વિધ વિધ વિભાગો હોય છે. આ દરેક વિભાગ એક બીજા સાથે તાલ મેલ મેળવીને કામ કરે છે અને પરીણામે સરસ નફો પ્રાપ્ત કરે છે. જે કારખાનાઓમાં Union લીડરો – વર્કરો અને મેનેજમેન્ટને લડાવી મારે છે તે કંપનીને થોડા સમયમાં જ ફડચામાં લઈ જવી પડે છે.

પર્વતારોહકો પણ Team માં પરવતારોહણ કરે છે. તેમનો હેતુ સર્વ પ્રથમ ટોચે પહોંચવાનો નહીં પરંતુ ટીમનો દરેક સભ્ય ટોચ સુધી પહોંચી શકે તે હોય છે.

મીત્રો, કુટુંબ, સમાજ, ગામ, શહેર, પ્રાંત, રાજ્ય, દેશ આ બધાં છેવટે તો મનુષ્યોના સમુહથી જ વિકાસ કે વિનાશ પામે છે ને? સારા, વિચારશીલ, વ્યવસ્થિત સદાચરણ ધરાવતાં વ્યક્તિઓ જ્યાં એકત્રીત થાય તે મીત્રો, કુટુંબ, સમાજ, ગામ, શહેર, પ્રાંત, રાજ્ય અને દેશ વિકાસ પામે છે અને જ્યાં વિઘાતક વિચારસરણી વાળા મનુષ્યો એકત્રીત થાય ત્યાં રકાસ અને પતન નોતરે છે.

જીવનના દરેક ક્ષેત્રે સહકાર અને સંઘભાવના જરૂરી છે પણ સાથે સાથે તે પણ જોવું જોઈએ કે સંઘમાં, ટુકડીમાં, સમુહમાં એકત્ર કરાયેલ સભ્ય પુરતી ગુણવત્તા ધરાવતો હોય.

મીત્રો, તો આજથી જ સબળ મીત્રોની ટીમ બનાવવા માટે આપણે યોગ્ય વ્યક્તિઓ પસંદ કરવાનું શરું કરી દઈશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , | Leave a comment

હિંમત – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૪)


મીત્રો,

મને કોઈ પુછે કે એક મા કે બાપ પોતાના દિકરી કે દિકરાને ઉત્તમમાં ઉત્તમ કઈ ભેટ આપી શકે? તો હું આંખો મીંચીને જવાબ આપુ કે હિંમત. આસ્થા જ્યારે નાની હતી અને થોડું થોડું બોલતાં શીખેલી ત્યારે તે ઉઠે ત્યારે સહુ પ્રથમ અમે સ્વામી વિવેકાનંદનું આ વાક્ય બોલતા અને તે તેનું પુનરાવર્તન કરતી.

“ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો – અને જાણી લ્યો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો.”

હિંમત – હિંમત અને હિંમત આ એક જ વાક્યમાં ઉપનિષદના સર્વ સંદેશાનો સાર આવી જાય છે. આ જગતમાં એક ડગલુંએ ભરવું હશે તો હિંમતની જરૂર પડશે. ૧૦૦૦ માઈલની મુસાફરી પુરી કરનારે પણ શરુઆત તો પ્રથમ પગલું ભરવાની હિંમતથી જ કરી હશે.

આપણાં સંતાનો માંદા હોય તો તેને દવા આપીએ અને સાથો સાથ કહીએ કે રોગ ચાલ્યો જશે જ – તું હિંમત રાખજે. આપણા સંતાનો પરીક્ષાની તૈયારી કરતાં હોય કે પરીક્ષા આપતા હોય તો તેને પ્રોત્સાહન આપતા કહેશું દિકરા મન દઈને વાંચ, હું તારી સાથે જાગીશ, હું ઈન્ટરનેટ પર બેસવાનું કે બીજા કાર્ય પડતા મુકીને ય તને સાથ આપીશ કારણ કે આ જગતમાં તું મને સહુથી વધુ પ્રિય છો – તું હિંમત રાખીને અભ્યાસ કર, પરિક્ષા આપ – જરુર સફળ થઈશ જ.

અરે જો મારા દિકરાનો જન્મ દિવસ હોય તો હું તેને દુન્યવી ભેટ અને મનગમતો ખોરાક તો જરૂર આપું, તેને સારા સ્થળે ફરવા લઈ જાઉ અથવા તો તેના મિત્રોને બોલાવીને તે મીજબાની આપે તેવી ગોઠવણ કરી દઉ પણ સાથે સાથે તેના માથે હાથ મુકીને આશીર્વાદ આપતાં કહું કે દિકરા આ જગતમાં જો તારે પ્રત્યેક પરિસ્થિતિમાં ટકી રહેવું હશે તો ડગલે અને પગલે હિંમતની જરૂર પડશે તેથી તું જીવનના કોઈ પણ તબક્કે હિંમતના આ મહાન ગુણને તારાથી અલગ કરતો નહી. અરે દિકરા તારી પ્રેમાળ માને તું હંમેશા વહાલ કરજે કે જે તારા સુખ માટે રાત દિવસ ઉજાગરા કરે છે. તારા આ પિતા જ્યારે નીરાશ થઈ જાય કે કશીક મુશ્કેલીમાં ચિંતાતુર દેખાય ત્યારે તું તેના વાંસે હાથ ફેરવીને હિંમત આપજે અને કહેજે કે પપ્પુ હિંમત રાખવાનું તો હું તમારી પાસેથી શીખ્યો છું અને તમે કેમ આજે ઢીલાં પડી ગયા છો?

જીવનનું એવું ક્યું ક્ષેત્ર છે કે જ્યાં હિંમત વગર કામ થઈ શકે? એકે નહીં. દેશનું રક્ષણ કરવું હોય, કુટુંબનું ભરણ પોષણ કરવું હોય, ખેતી કરવી હોય, ઉધ્યોગ ધંધા ચલાવવા હોય, રાજકીય ક્ષેત્રે આગળ આવવું હોય, પર્વતો ચઢવા હોય, દેશ દેશાવર જવું હોય, કશુંક નવું શીખવું હોય, અરે કાઈ પણ નવું કરવું હોય, જે છે તેને જાળવવું હોય કે કશું વિસર્જન કરવું હોય – તો દરેકે દરેક કાર્યમાં હિંમતની જરૂ પડશે.

શોર ફીલ્મના બધા ગીતો મને ગમે છે પણ તેમાંયે “જીવન ચલને કા નામ” ગીત તો વિશેષ ગમે છે અને તેની આ કડી તો સહુથી વધુ પ્રિય છે.

હિંમત અપના દીન ધરમ હૈ
હિંમત હૈ ઈમાન
હિંમત અલ્લાહ
હિંમત વાહેગુરુ
હિંમત હૈ ભગવાન

કે ઈસપે મરતા જા મિત્રા..
કે સજદા કરતા જા મિત્રા..
કે શીશ જુકાતા જા મિત્રા..

જીવન ચલને કા નામ

મીત્રો, તો આજથી જ હિંમતને આપણો જીવનમંત્ર બનાવશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૪૪-૪૫)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

શક્યતાઓ – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૩)


મીત્રો,

શું આપણે આપણાં વીશે કદી વધારે વિચાર કર્યો છે? હંમેશા જગતના પ્રાણીઓ અને પદાર્થો વીશે વિચાર કરનારા આપણે કદી આપણા વિચારોનું કેન્દ્ર બિંદુ પોતાની જાતને બનાવી છે?

આપણે જો આપણાં વીશે વિચાર કરશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે શરીર છે, સતત વિચાર કરતું મન છે, સતત ચાલતાં શ્વાસ અને ઉચ્છવાસ છે, બધાએ અનુભવોનો સંગ્રહ કરતું ચિત્ત છે, જુદી જુદી પરિસ્થિતિ વખતે પાછલા અનુભવો અને મેળવેલ માહિતિ અને જ્ઞાનના આધારે નીર્ણય લેતી બુદ્ધિ છે અને આ સર્વના કેન્દ્રમાં રહેલ કે જે આપણને સહુને અતી પ્રિય છે તેવો ’હું’ એટલે કે અહંકાર છે.

આ ઉપરાંત આપણી પાસે બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવતી જ્ઞાનેન્દ્રિયો (Input Device) અને બાહ્ય જગતમાં આપણું પ્રદાન આપવા માટે કર્મેન્દ્રીયો (Output Device) છે. આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રીય અને પાંચ કર્મેન્દ્રીય છે.

દૃશ્યને જોવા માટે આપણે ચક્ષુનો ઉપયોગ કરીએ છીએ. સ્પર્શને અનુભવવા માટે આપણે ત્વચાનો ઉપયોગ કરીએ છીએ. શબ્દોને સાંભળવા માટે આપણે કર્ણનો ઉપયોગ કરીએ છીએ. પદાર્થોનો રસ લેવા માટે આપણે જિહ્વાનો ઉપયોગ કરીએ છીએ. ગંધને અનુભવવા માટે આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ.

તેવી જ રીતે હાથ દ્વારા ગ્રહણ કરવાનું અને આપવાનું કાર્ય થાય છે. પગ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવાનું કાર્ય થાય છે. વાણી દ્વારા આપણે શબ્દો અભીવ્યક્ત કરીએ છીએ. ઉપસ્થ દ્વારા મૂત્ર વિસર્જન તથા પ્રજનનનું કાર્ય થાય છે. ગુદા અથવા તો પાયુ દ્વારા મળ વિસર્જનનું કાર્ય થાય છે.

આ ઉપરાંત શરીરની અંદર રક્તને સતત પરીભ્રમણ કરતું રાખવા માટે અનેક નસ નાડીઓ કાર્યરત હોય છે. હ્રદય સતત ધબક્યા કરતું હોય છે. આંતરડાઓ, જઠર, ફેફસા અને અન્ય અવયવો સતત કાર્યરત હોય છે.

Input Device દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ અને Output Device દ્વારા આપણે પ્રદાન કરીએ છીએ. આપણે હંમેશા સારુ સારું ગ્રહણ કરવાનું ઈચ્છીએ છીએ તો આ સારું આપણને પ્રકૃતિ તો સતત આપતી રહે છે પરંતુ અન્ય પ્રાણીઓ અને મનુષ્યો દ્વારા થતા વ્યવહાર આપણને હંમેશા સારા નથી લાગતાં. બીજી વ્યક્તિ આપણને સારો લાગે તેવો વ્યવહાર કરે તો તે વ્યવહાર સામેની વ્યક્તિ માટે Output છે જ્યારે આપણે માટે Input. તેવી જ રીતે આપણો વ્યવહાર આપણે માટે Output છે અને સામેની વ્યક્તિ માટે Input. જો આપણને હંમેશા સારું ગમતું હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિને પણ હંમેશા સારુ ગમતું હોય. આપણે બીજા પાસેથી સહકાર, પ્રેમ, લાગણી, આત્મિયતા, ભાઈચારો, હુંફ, મિત્રતા વગેરે ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિઓ પણ તેવું જ ઈચ્છતી હોય. પરંતુ આપણે તે વિચાર કર્યો છે કે સામેની વ્યક્તિની અપેક્ષા પુરી કરવા માટે આપણે કશો પ્રયાસ કરીએ છીએ? જે લોકો સમાજીક વ્યવહારમાં સફળ થયા હોય તે જરૂર સામેની વ્યક્તિનો વિચાર કરનારા હશે. સામેની વ્યક્તિ પાસેથી તેમની અપેક્ષા ઓછી અને આપવાની ભાવના વધું હશે.

આપણી જાતને અભીવ્યક્ત કરવા માટે મુખ્યત્વે ૩ Output Device નો આપણે ઉપયોગ કરી શકીએ. ૧. હાથ – સેવા માટે, કશુંક આપવા માટે. ૨. પગ – બીજી વ્યક્તિ પાસે પહોંચીને તેને મદદરુપ થવા માટે. ૩. વાણી અથવા શબ્દો – શબ્દો એ જાતને અભીવ્યક્ત કરવા માટેનું એક સશક્ત માધ્યમ છે. પ્રેમાળ શબ્દો દ્વારા, સહાનુભુતીની વાતો દ્વારા, આશ્વાસનના વાક્યો દ્વારા આપણે કશુયે ચૂકવ્યા વગર સામેની વ્યક્તીની મોટી સેવા કરી શકીએ છીએ.

જો આ ત્રણ બાબતોને રજૂ કરવા માટેની કોઈ પણ કલા આપણે હસ્તગત કરી લઈએ તો આ જગતમાં આપણે આસાનીથી સફળ બની શકીએ. નાટક, ગીત, સંગીત, કશોક હુન્નર, કશીક કળા, કશીક આવડત આ બધું જો આપણે વિકસાવી શકીએ અને તેને વ્યવહારીક બનાવી શકીએ તો આપણે બીજાને પ્રસન્ન કરી શકીએ અને બીજાની પ્રસન્નતાના પરીણામે સ્વાભાવિક રુપે જ તેઓ કશોક પ્રસાદ ધરવાના છે તે પ્રસાદને પામીને આપણે પણ પ્રસન્ન રહી શકીએ.

કેટલાક મીત્રો કહે છે કે ભ્રષ્ટાચાર વ્યાપક છે અને ભગવાનને પણ પ્રસાદ ચડાવવો પડે છે. હું કહું છું કે ભ્રષ્ટાચાર હોય કે શિષ્ટાચાર પ્રસાદ વગર કોઈને ચાલતું નથી. નોકરીયાત નોકરીએ જાય છે તો પગાર લે છે તે તેનો પ્રસાદ છે. વેપારી માલ વેચે છે તો નફો તેનો પ્રસાદ છે. સંગીતમંડળી સંગીત પીરસે છે તો શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ તે તેનો પ્રસાદ છે. બ્લોગર પોસ્ટ લખે છે તો વાંચકોના Like ની ક્લીક અને પ્રતિભાવો તે તેમનો પ્રસાદ છે. પતિ-પત્નિ જ્યારે માતા-પિતા બને છે ત્યારે દિકરી-દિકરો તેમને મળેલો પ્રસાદ છે.

જો આપણે લોકોને મિષ્ટ અને કલ્યાણકારી પ્રસાદ આપતા રહીએ તો સ્વાભાવિક રીતે આપણાં ભક્તો વધવાના તેવી જ રીતે જો આપણે મેથીપાક, દંડાપ્રસાદ વગેરે પ્રકારના વિશિષ્ટ પ્રસાદ પીરસવામાં પાવરધા હોઈએ તો સ્વાભાવિક રીતે જ ભક્તોને બદલે વિરોધીઓ વધવાના.

કહેવાનું તાત્પર્ય તે છે કે આ વિરાટ સૃષ્ટિના પદાર્થોનું આપણે સુપેરે સંયોજન કરીને જો તેમાંથી સુંદર પ્રસાદ બનાવતાં શીખી જઈએ અને તે પીરસવાનું ચાલું કરી દઈએ તો આજે જ આપણાં મંદિરે ભક્તોની લાઈન લાગવા મંડશે. આપણી પાસે આટ આટલા પદાર્થો અને તેમાંથી અનેક પ્રકારના પ્રસાદો બનાવવા માટે અઢળક શક્યતાઓ છે.

મીત્રો, તો આજથી જ જાત જાતના અને ભાત ભાતના પકવાનો બનાવીને લોકોને ખુશ ખુશાલ કરી દે તેવા પ્રસાદ પીરસવા કટીબદ્ધ થઈશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૪૩)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | 2 Comments

અમર્યાદ તકો – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૨)


મીત્રો,

અનંત શક્યતાઓથી ભરેલા આપણા જીવનમાં શું તકો નથી આવતી? અરે રોજે રોજ તક આવીને આપણાં બારણે ઉભી રહે છે – કાશ આપણે તે બારણું ખોલવા જેટલો પુરુષાર્થ કરી શકતા હોત !

કેટલાયે લોકો સમગ્ર જીવન એક જ ઘરેડમાં, એક ધારી રીતે , એના એ જ જુના પુરાણા રીવાજો, માન્યતાઓ અને પ્રવૃત્તિમાં ગુજારી દેતાં હોય છે. ઈશ્વરની આ અજાયબ સૃષ્ટિમાં રોજે રોજ નવું નવું બને છે. આ સૃષ્ટિમાં જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ છે, સમુદ્રો, નદીઓ, ખળ ખળ કરતાં ઝરણાઓ, સુસવાટા મારતો પવન, કે શીતળતા અર્પતી હવાની લહેરખીઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ફળો, ફુલો, તરેહ તરેહના દેશ, પ્રદેશ, જાતી પ્રજાતીઓ અને કેટ કેટલું છે અહીં જાણવા માટે – માણવા માટે. પણ પણ પણ આપણે આપણાં ઘરના બારી બારણાં બંધ કરીને જાતે જાતે જ તેમાં પુરાઈ રહીએ – ન કોઈને મળીએ, ન કોઈની સાથે વાત કરીએ, ન તો આપણી હાજરી પણ કળાવા દઈએ – આવું એકાકી જીવન જીવનારાના તો મગજ બહેર મારી જાય.

આપણાં ભારત વર્ષમાં જ્યારે આરણ્યક સંસ્કૃતિ હતી ત્યારે કેટકેટલાં ચિંતકો થયા, તેમણે જુદી જુદી રીતે પ્રકૃતિ પાસેથી જ્ઞાન મેળવ્યું અને એક સંસ્કૃતિનો વિકાસ કર્યો. આજે આપણે જુની સંસ્કૃતિના ગાણાં ગાવાની બદલે રોજ નવું નવું શીખી, જાણી, જીવનને આનંદથી માણતા જઈને જગત સાથે કદમ તાલ મેળવતા જવાની જરૂર છે. ક્યાં સુધી આપણાં જુના પુરાણા, એકના એક ચવાઈને કુચ્ચો થઈ ગયેલા વિચારોને વાગોળતા રહેશું? વહેતું જળ હંમેશા તાજગી અને જીવન બક્ષે છે જ્યારે બંધિયાર પાણી દૂષિત થઈને ગંધાઈ ઉઠે છે. આપણું જીવન વહેતા જળની જેમ, ખળ ખળ વહેતા ઝરણાંની માફક કીલ્લોલતું હોવું જોઈએ.

આનંદ મેળવવા માટે ઘરમાં બેસીને ટીવી, વીડીયો જોયા કરવાને બદલે ખરેખર તો પ્રકૃતિના સાનિધ્યમાં પહોંચી જવું જોઈએ. ટીવી, વીડીયો તમને કોકની જીંદગી બતાવશે જ્યારે પ્રકૃતિના ખોળે તમે તમારી જીંદગી જીવી શકશો. તેનો અર્થ તેમ નથી કે માહિતિ પ્રાપ્તિ માટે ટીવી – વિડીયો ઉપયોગી નથી પણ આનંદ પ્રાપ્તિ માટે તો ટીવી વીડીયો કરતાં પ્રકૃતિ અનેક ગણી સહાયક બનશે.

આપણે અઠવાડીયે ઓછામાં ઓછા ૨૪ કલાક તો એવી રીતે ફાળવવા જોઈએ કે જ્યારે આપણે ખુલ્લા દીલે, હળવા મને, તરવરાટ ભર્યા તનથી અને લાગણી સભર હ્રદયથી કુદરતના અસીમ ખોળે ઉછળ કુદ કરી શકીએ.

આપણે આપણાં મનની બારી સદાયે ખુલ્લી રાખવી જોઈએ. નવા નવા વિચારોની પ્રાપ્તિ અને પ્રિય મિત્રો સાથે ગુજારેલો અલ્પ સમય પણ આપણને તાજગી બક્ષશે. જ્યારે આપણું મન નબળું હોય છે – વિચારવાની બારી બંધ હોય છે ત્યારે આપણને બધું મુશ્કેલ લાગે છે. જ્યારે મન સંતુલિત હોય છે ત્યારે કેટલીક પરિસ્થિતિઓ પડકારરુપ લાગે છે પણ જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પ્રત્યેક પરિસ્થિતિ એક તક લાગે છે.

તો મીત્રો, આપણાં મનને હંમેશા નવા નવા વિચારોથી તાજગી સભર બનાવીને રોજે રોજ આવતી તકોને ઝડપીને જીવનને ભરપુર આનંદથી માણશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૪૦-૪૧-૪૨)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

યોગ્ય દિશા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૧)

મીત્રો,

શું એવું બને કે મહેનત કરનારને જશની બદલે જુત્તા મળે? હા, એવું બની શકે – જો તમે યોગ્ય દિશામાં મહેનત ન કરી હોય તો. ધારો કે મારે અમદાવાદ જવું હોય અને હું મહુવા-રાજુલાના રુટ પર જતી બસમાં બેસી જાઉ તો શું થાય? હું ટીકીટભાડું ખર્ચું, બસમાં બેસવાનો સમય આપું અને તો યે અમદાવાદ રહેતા મારા સ્નેહીને મળવાને બદલે રાજુલાની જીનીંગ ફેક્ટરીએ પહોંચી જાઉ તો તેમાં વાંક કોનો? મેં પુરુષાર્થ કર્યો અને તો યે આવું વિપરીત પરીણામ? કારણ? ખોટી દિશા. મારે રાજધાની કે તન્ના ટ્રાવેલ્સમાં બેસવાની જરુર હતી તેને બદલે હું સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખખડધજ બસમાં બેસી ગયો અને તે પણ પાછી ઉલટી દિશામાં જતી હોય તેવી.

જીવનના દરેક ક્ષેત્રમાં તેવું છે. આપણામાંથી દરેક લોકો કાઈ આળસુ નથી. ઘણાં લોકો ઘણો પુરુષાર્થ કરે છે છતાં જ્યારે તે સફળ થતાં નથી ત્યારે નિષ્ફળતાના કારણો શોધવાને બદલે ભાગ્યને દોષ દઈને માથે હાથ દઈને બેસી જાય છે. ઘણી ખરી નિષ્ફળતામાં જોવા મળશે કે યોગ્ય દિશામાં મહેનત ન કરી તે જ તેનું કારણ હતું.

ખુબ કાર્ય કરવાથી સફળતા મળે છે કે આપણે શક્તિમાન બનીએ છીએ તેવું નથી પણ યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં કાર્ય કરવાથી આપણે સુદૃઢ અને સફળ બનીએ છીએ. કેટલાયે લોકો આખી જિંદગી ગદ્ધા વૈતરું કરતાં હોય છે અને છતાં યે માંડ પંડ પુરતું રળતા હોય છે જ્યારે કેટલાક લોકો બુદ્ધિપૂર્વકના આયોજન દ્વારા કાર્ય કરતા હોય છે અને મબલખ કમાણી કરતાં હોય છે. તેથી ખુબ કામ કરવું એટલું મહત્વનું નથી જેટલું સમજણ પૂર્વક કાર્ય કરવું મહત્વનું છે.

અંગ્રેજો આપણાં દેશમાં આવ્યા, આપણાં જ માણસો પાસેથી, આપાણાં જ દેશના કાચા માલમાંથી ઉત્પાદન બનાવીને પોતાના દેશનો માર્કો લગાવીને આપણને જ મોંઘા ભાવે તેઓ વેચતાં. આમ આપણા પરસેવામાંથી તેઓ માલેતુજાર થતાં. વિકસિત દેશો અને મલ્ટીનેશનલ કંપનીઓ આજે પણ તેવું જ કરે છે ને? કાચો માલ આપણો, કારીગર આપણાં, ફેક્ટરી આપણી, ઉર્જા આપણી પણ મેનેજેમેન્ટ તેઓનું અને જે કઈ તગડો નફો મળે તેમાંથી આપણને ચાંગળુંક આપીને બાકીનું બધું પોતે જમી જાય છે.

આથી ઉલટું જે લોકોએ આયોજનપૂર્વક, યોગ્ય દિશામાં, સમજણ સાથે કાર્ય કર્યું તેઓ થોડીક મહેનતથીયે સફળતાના શિખરો આંબી શક્યાં. આપણે જે કાર્ય કરીએ તે આપણને દુ:ખી બનાવશે કે મજબૂત તેનો બધોએ આધાર આપણે યોગ્ય દિશામાં કાર્ય કરીએ છીએ કે નહીં તેના પર રહેલો છે.

તો મીત્રો, આજથી જ આપણે આપણું કાર્ય યોગ્ય દિશામાં કરવાનો પ્રયાસ શરું કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

Blog at WordPress.com.