પુસ્તક: જીવન ઘડતરની કળા
લેખક: સ્વામી જગદાત્માનંદ (મુળ પુસ્તક કન્નડ ભાષામાં – ’બદુક્લુ કલિયરિ’)
અંગ્રેજીમા અનુવાદ: Gospel of the Life Sublime’, રામકૃષ્ણ મિશન, સિંગાપુર
અંગ્રેજીમાં ફરીથી: ’Learn to Live – Vol.1′ , રામકૃષ્ણ મઠ, ચેન્નઈ
હિન્દિ ભાષામાં: ’जीना सीखो’, અદ્વૈત આશ્રમ, કોલકાતા
હિન્દિ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધીના ગુજરાતી માસિક ’શ્રી રામકૃષ્ણ જ્યોત’ માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ.
પ્રકાશક: સ્વામી ધ્રુવેશાનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧.
કોપી રાઈટ: સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
આ પોસ્ટમાં ચાર પ્રકરણ છે.
૧. જીવનમાં પૂર્ણતા
———————
* આપણું શરીર પણ કેવું વિચિત્ર યંત્ર છે ! આપણી ભીતર કેટલી બધી અદભુત શક્તિઓ ભરી પડી છે ! પરંતુ આપણા પોતાના હાથેથી જ પોતાની આંખો ઢાંકીને અંધારાની ફરિયાદ કરતાં રહીએ છીએ.
* પોતાની જીવનપ્રણાલીનું વિશ્લેષણ કરો અને સાવધાનીપૂર્વક વિચાર કરીને પોતાના જીવનધ્યેયને ચોક્કસ કરો; નહિ તો લક્ષ્ય વિનાનું જીવન પતવાર વિનાની નાવની જેમ અહીંતહીં ભટકતું રહેશે.
૨. જીવનનું લક્ષ્ય
——————-
અનિશ્ચિતતા તથા અસમંજસતાને જીતવા માટે પોતાની જાતને પૂછો કે તમારે શું જોઈએ છે ? ત્યારે તમારી સામે તમારા જીવનનું મુખ્ય ધ્યેય સ્પષ્ટ બનીને આવશે. અને આવું થયે તમારું મન એની પ્રાપ્તિ માટે પોતાની બધી શક્તિઓ કામે લગાડી દેશે.
૩. તીવ્ર ઈચ્છા એ જ પ્રેરણાશક્તિ
————————————-
કોઈ પણ ભાષામાં નિપુણ બનવા માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે: એક શીખવાની તથા જાણવાની તીવ્ર ઈચ્છા; બીજી શીખવામાં અદમ્યનિષ્ઠા અને અધ્યવસાય; અને ત્રીજી વસ્તુ છે, સુઅવસરની પ્રાપ્તિ. – હેરોલ્ડ શ્રુઝ
+ તમે જે ઈચ્છશો તે તમને મળશે. પરંતુ એ જાણવું પડશે કે આપણે શું ચાહીએ છીએ નહિંતર કંઈ પ્રાપ્ત નહિ થાય. લક્ષ્યહીન જીવનથી નિરાશા, અપમાન, હીનભાવના અને દુ:ખની જ પ્રાપ્તિ થાય છે; સંક્ષેપમાં આ એક પરમદુર્બળતા અને પરમ હતાશાનું જીવન છે.
૪. વિકાસનો મંત્ર
———————
> પોતાની ઈચ્છાના વિષયમાં સ્થિર તથા શાંત મનથી વિચાર કરો. ઈચ્છાઓ વાસ્તવિક તથા વ્યાવહારિક હોવી જોઈએ. પોતાનામાં ઓસરીમાં કૂદકો મારવાની શક્તિ હોય તો આકાશમાં ઠેકડો મારવાનો વિચાર ન કરવો જોઈએ. એનો અર્થ એ કે આપણે શેખચલ્લીના વિચારો કરવાનો પ્રયાસ ન કરવો.
> અસફળતાઓ આપણને નિરુત્સાહી ન બનાવી દે. આપણે પોતાની અસફળતાઓનાં કારણોની શોધ કરીને ધૈર્યપૂર્વક પોતાના લક્ષ્ય પ્રત્યે આગળ વધવું પડશે.