Daily Archives: 11/07/2011

હું સર્વનો મિત્ર છું – આગંતુક

મિત્રો,

આમ તો મને ગુજરાતી સીવાય બીજી એકે ભાષા બરાબર આવડતી નથી. ગુજરાતીમાંયે લખવામાં જોડણીની અપાર ભૂલો કરતો હોઉ છું. તેમ છતાં આપણાં ગુજરાતી લોકો સાથે સંપર્ક જાળવી રાખવા બ્લોગ પર પોસ્ટ મુકતો રહુ છું અને જુદા જુદા બ્લોગ પર ભાંગી તુટી ગુજરાતીમાં પ્રતિભાવ પણ મુકતો હોઉ છું. જે બ્લોગ પર કોઈ પણ કારણસર મારા પ્રતિભાવો બે થી વધારે વખત માન્ય કરવામાં નથી આવ્યાં તે બ્લોગ પર પ્રતિભાવ આપવાનું ટાળતો હોઉ છું. જો કે સારી પોસ્ટ લાગે તો Like પર ક્લિક કરતો હોઉ છું. અલબત્ત તેનો અર્થ તેમ નથી કે હું કોઈ બ્લોગ કે બ્લોગર પ્રત્યે ગમો-અણગમો ધરાઉ છું. બધાં જ બ્લોગરો અને વેબસાઈટ ધારકો પછી તે વર્ડપ્રેસ,બ્લોગર,સ્વતંત્ર સર્વને હું મારા મિત્ર માનુ છું અને કોઈની યે પ્રત્યે મને વિશેષ રાગ કે દ્વેષ નથી.

હા, કોઈ સાથે વાતચીત કરવાની મજા આવે તો તે બ્લોગ પર વધારે જતો હોઉ છું – પણ મારે મન બધાં સરખાં છે. આટલી સ્પષ્ટતા પછી કહેવાનું કે કોઈ બ્લોગર કદાચ ગુજરાતી ન હોય પરંતુ તે ગુજરાતીમાં પોસ્ટ મુકતાં હોય તો તેમની પોસ્ટ પણ હું તેટલા જ રસથી વાંચવાનું પસંદ કરુ છું. હું ગંભીર પ્રકૃતિનો માણસ હોવા છતાં મને હળવી પળો ગમે છે, મનો મંથન કરી નાખનારા ઉંડાણપૂર્વકના ચિંતનાત્મક લેખોની જેમ રમૂજી લેખો પણ મને એટલાં જ પસંદ છે. કાવ્ય/ગીત/ગઝલ/જોડકણાં અને નવીન વિષય વસ્તુ સાથેના હળવા બનાવતા કે વિચારપ્રેરક લેખો એ મને હંમેશા આકર્ષ્યો છે અને તેવા લેખ વાંચવાની જ્યારે પણ તક મળે ત્યારે હું અચૂક રસપૂર્વક વાંચતો હોઉ છું.

ફરી એક વાર આપ સહુની મિત્રતાનો સ્વીકાર કરીને સદાયે આપ સહુનો મિત્ર અને પરમ મિત્ર રહી શકું તેવી અભ્યર્થના સહ વિરમું છું.

નોંધ: આ મિત્રતામાં આપની સહ્રદયતા અને લાગણી સિવાય મારે કશું જોઈતું નથી અને હું પણ આ સિવાય કશું આપી શકું તેમ નથી.

આપ સહુનો સહ્રદયી,
અતુલ જાની (આગંતુક)

Categories: કેમ છો? | Tags: , , , | 8 Comments

હેલન કેલરની આત્મકથા (૧૭)

કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.

હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.

માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.



Categories: આત્મકથા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.