Monthly Archives: July 2010
આજનું ચિંતન – આગંતુક
મિત્ર કોને કહેવો? મિત્ર વીશે થોડું જોવાનો પ્રયત્ન કરીએ.
મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.
જેવી રીતે ઢાલ લડાઈ સીવાયના દિવસોમાં તો પીઠ ઉપર પડી રહે છે પણ લડાઈ વખતે બધા ઘા તે ઝીલે છે, તેવી રીતે સાચો મિત્ર પણ તેને કહેવાય કે જે સુખના દિવસોમાં તો શાંતિથી બેસી રહે પણ દુ:ખના દિવસોમાં તરત જ તેના મિત્રને મદદ કરવા દોડી જાય.
શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખ દુ:ખ વામીએ, તે લાખનમાં એક.
કેમ છો? કેમ નહીં તેવું કહેવા વાળા મિત્રો તો ઘણા હોય છે, મળે ત્યારે હાથ મીલાવે અને છુટા પડે ત્યારે આવજો કહે તેવા અનેક હોય છે. પણ જેની સાથે સુખ અને દુ:ખ બંને સંકોચ વગર વહેંચી શકાય તેવા મિત્ર તો લાખોમાં એકાદ જ હોય છે.
આધ્યામિક દ્રષ્ટિએ જોઈએ તો આપણું મન જ આપણું મિત્ર છે અને આપણું મન જ આપણું શત્રુ છે. ચંચળ મન માં સતત સંકલ્પ-વિકલ્પ ઉઠતા રહે છે. સારા સંસ્કારોના શુભ વિચારો હશે તો તે આપણી ઉર્ધ્વ ગતિ કરાવશે અને કુસંસ્કારોના મલિન વિચારો હશે તો તે આપણું અધ:પતન કરશે. ભગવદ ગીતામાં પણ ૬ઠ્ઠા અધ્યાય ’આત્મ-સંયમ યોગ’ માં મનને કેવી રીતે કેળવવું તે માટે તથા તેને કેળવવાની આવશ્યકતા ઉપર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે.
આજનું ચિંતન – આગંતુક
હે ઈશ્વર,
મને એવા લોકોથી દુર રાખજે કે જેને પોતાના નહીં પણ અન્યના દોષો જ દેખાતા હોય. આ ઉપરાંત મને એવું દર્શન આપ કે જેથી હું મારો નાનામાં નાનો દોષ જોઈ શકું અને બીજાનો મોટામાં મોટો દોષ પણ અવગણી શકું. તેવા લોકો પ્રત્યે મને કરુણા અને સહાનુભુતિ આપ કે જે હંમેશા અન્યની નિંદાના રસ દ્વારા પોતાની જીહ્વાને તૃપ્ત કરી રહ્યાં છે.
ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની
મિત્રો અને સ્વજનો,
• તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો.
• શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ.
• અતિથી વિશેષ કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ તથા શ્રી નંદકુંવરબા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અંજનીદેવીનું પુષ્પગુચ્છથી અભીવાદન કરવામાં આવ્યું.
• ચાર જુદી જુદી કલા સંસ્થાઓના કલાગુરુઓ ૧. ધરમશીભાઈ શાહ ૨. કાજલબહેન મૂળે ૩. મુરલીબહેન મેઘાણી તથા ૪. વિનિતાબહેન ઝાલા નું શ્રી અંજનીદેવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું.
• કાર્યક્રમની શરૂઆત કલાક્ષેત્રની વિદ્યાર્થીનીઓ દ્વારા જગદ્જનની જગદંબાના વિવિધ સ્વરૂપો રજુ કરતી કૃતિ કથ્થકના તોડા દ્વારા અભીવ્યક્ત કરીને કરવામાં આવી.
• હર્ષાબહેન શુક્લની વિદ્યાર્થીનીઓ દ્વારા ’જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ ગીત ઉપર ભારતનાટ્યમ દ્વારા રજુઆત કરવામાં આવી.
• કાજલબહેન મૂળેની વિદ્યાર્થીનીઓ દ્વારા ’એકલવ્યનો ગુરુપ્રેમ’ વિષય પર નૃત્ય નાટીકા રજુ કરવામાં આવી.
• મુરલીબહેન મેઘાણીની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કથ્થકના તોડા, મૃંદગનો તાલ અને સંગીતની સરગમના ત્રીવેણી સંગમે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
• વિનિતાબહેન ઝાલાની વિદ્યાર્થીનીઓ (જેમાં અમારી દીકરી આસ્થા પણ સામેલ છે) દ્વારા મીરાબાંઈના પદ “બરસે બદરીયા સાવનકી” પર કથ્થકના તોડા, મૃંદંગના તાલ અને સંગીતની સરગમના સુમેળ-સભર ભાવવાહી રજુઆત દ્વારા દર્શકો રસતરબોળ થઈ ગયા હતા અને સમગ્ર યશવંતરાય નાટ્યગૃહ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.
• કાજલબહેન મૂળેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
• કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવતા સિલ્વર બેલ્સના આચાર્યા શ્રી અમરજ્યોતિ બહેને ગદગદ કંઠે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમે મારા ઉપર કોઈ અજબ ભુરકી છાંટી દીધી હોય તેમ લાગ્યું અને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
• શ્રી નિશીથભાઈ મહેતાએ આ કાર્યક્રમ ’ગુરુ વંદના’ માં કઈ રીતે ફેરવાઈ ગયો તે વીશે આનંદપુર્વક રજુઆત કરી હતી.
• આભારવિધી બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો અને પ્રેક્ષકો એક અજબ ભાવજગતને પોતાના હ્રદયની અંદર કંડારીને વીખરાયા હતા.