સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે ઉન્મની દશાનું સ્વરૂપ વર્ણવે છે:
અર્થાદર્થે યદા વૃત્તિર્ગન્તું ચલતિ ચાન્તરે |
નિરાધારા નિર્વિકારા યા દશા સોન્મની સ્મૃતા* ||૩૬||
* કોઈ પ્રતમાં અહીં ચિત્તં ચૈતન્યમાત્રેણ સંયોગાચ્ચેતના ભવેત | (કેવલ ચૈતન્યની સાથે સંયોગ પામવાથી ચિત્ત ચેતનના જેવું જણાય છે.) એ પ્રમાણે વધારો જોવા મળે છે.
શ્લોકાર્થ: જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થ ભણી જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિર્વિકાર દશા છે તે ઉન્મની કહી છે.
ટીકા: જ્યારે અંત:કરણની વૃત્તિ અંત:કરણમાંથી ઊઠીને કોઈ પદાર્થ ભણી જાય છે, અથવા કોઈ પદાર્થને આકારે થઈ હોય ત્યાંથી બીજા પદાર્થને આકારે થવા તે પદાર્થ ભણી જાય છે, ત્યારે તે બેની વચ્ચે અંત:કરણની વૃત્તિ કોઈ પણ પદાર્થના આલંબનવાળી હોતી નથી, અર્થાત બ્રહ્માકાર થયેલી હોય છે. વૃત્તિની આવી આલંબન વિનાની ને વિકાર વિનાની – બ્રહ્મરૂપે – જે સ્થિતિ તે સ્થિતિ યોગીઓએ ઉન્મની કહી છે.