મિત્રો,
આપણે ઘણી જગ્યાએ લોકોને ટાંકતા જોઈએ છીએ કે ભગવદગીતામાં આમ કીધુ છે ત્યારે ઘણા લોકોને ખરેખર ખબર પણ નથી હોતી કે વાસ્તવમાં તેમ કીધું છે કે નહીં. વળી જે તે શ્લોકનો અર્થ આવા શ્લોકો ટાંકનાર પોતાની ઈચ્છા અને મત અનુસાર કરતાં હોય છે જ્યારે વાસ્તવમાં તેનો અર્થ શું છે તે આપણે આપણી પોતાની બુદ્ધિથી જાણવો જોઈએ. ઈશ્વરે આપણને સહુને બુદ્ધિ આપી છે. જે તેનો ઉપયોગ કરે છે તેની બુદ્ધિ વધારે ધારદાર અને સુક્ષ્મ બને છે જે તેનો ઉપયોગ નથી કરતા તેની બુદ્ધિ ધીરે ધીરે કટાતી જાય છે. સ્વતંત્ર અને સુક્ષ્મ બુદ્ધિ વાળા લોકો જીવનના સમરાંગણમાં પોતાની મેળે રસ્તો કાઢી શકે છે જ્યારે મુઢ બુદ્ધિ વાળા હંમેશા છેતરાયા કરે છે અને અન્યો તેનું શોષણ કર્યા કરે છે. આપણે આજથી ભગવદગીતાનો આપણી પોતાની બુદ્ધિથી અભ્યાસ શરુ કરશું. અહિં આપણે લગભગ રોજ ભગવદગીતાના એક-બે શ્લોક જોશું અને તેની નીચે પ્રતિભાવમાં તેનો શું અર્થ થાય છે તે આપણી સ્વતંત્ર બુદ્ધિ થી લખશું તો આપ સહુ તૈયાર છો ને આ ચિંતન યાત્રામાં જોડાવા માટે? જો હા તો આપને આ શ્લોકનો અર્થ આપની પોતાની બુદ્ધિથી શું લાગે છે તે પ્રતિભાવમાં લખવા વિનંતી.
ધૃતરાષ્ટ્ર ઉવાચ
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ: |
મામકા: પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય || ૧ ||
હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા, યુદ્ધના ઈચ્છુક, મારા અને પાંડુના પુત્રોએ શું કર્યુ?