Daily Archives: 22/02/2009

પાપાપહારી હરિનામ – (100)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૧૦૦ – પાપાપહારી હરિનામ

27. આ બધું તો ખરૂં. પણ એક સવાલ છે. ૐ तत् सत् એ નામ પવિત્ર પુરૂષને પચે. પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં. ૐ तत् सत् નામમાં એ શક્તિ પણ છે. ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે. પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે. જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ. પરમાત્મા જરૂર મદદ કરશે, તારી નિર્બળતામાં તે હાથ પકડશે.

28. એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજી બાજુ પાપમય પણ નમ્ર જીવન, એ બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોયે અંતઃકરણમાં કહીશ, “ જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું. ” પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ આવે તે જ જીવન લે એમ મારૂં મન કહેશે. આનો અર્થ એવો ન કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરૂં છું. પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે.

बहु भितों जाणपणा । आड न यो नारायणा ।।

‘ જાણપણાથી, પુણ્યના ભાનથી હું બહુ ડરૂં છું. રખેને તે ક્યાંક મારી ને નારાયણની વચ્ચે આવે ’ – એમ તુકારામ મહારાજે કહ્યું છે. પેલી મોટાઈ મારે નથી જોઈતી. તેના કરતાં પાપી, દુઃખી હોઉં તોયે સારો.

जाणतें लेंकरूं । माता लागे दूरी धरूं ।।

ભાનવાળાં, જાણકાર થયેલા બાળકને મા દૂર રાખે છે, પણ અજાણ બાળકને મા છાતીએ વળગાડે છે. સ્વવલંબી પુણ્યવાન થવાનું મારે નથી જોઈતું. પરમેશ્વરાલંબી પાપી હોવું એ જ મને પ્રિય છે. પરમાત્માની પવિત્રતા મારા પાપને પહોંચી વળીને વધે તેવી છે. પાપોને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તે ટાળવાનું નહીં બને તો હ્રદય રડશે, મન તરફડશે અને પછી પરમેશ્વરની યાદ આવશે. તે કૌતુક જોતો ઊભો છે. તેને કહો, “ હું પાપી છું અને તેથી તારે બારણે આવ્યો છું. ” પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે કેમકે તે પાપી છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Blog at WordPress.com.