ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૬ – સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ
19. સારાંશ કે જીવનનું ફલિત હાથમાં આવે એમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. ફળત્યાગનું તત્વ પોતાની મર્યાદાઓ પણ બતાવે છે. એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, કયું છોડવું, અને કયું ક્યારે બદલવું એ બધું બરાબર સમજાશે.
20. પણ વિચાર કરવાને હવે બીજો જ એક વિષય લઈએ. ક્રિયાઓ પૂરેપૂરી ખરી પડેલી હોય એવી જે છેવટની સ્થિતિ છે તેના તરફ સાધકે ધ્યાન રાખવું કે ? ક્રિયા થતી ન હોય છતાં જ્ઞાનીને હાથે કર્મ થતું રહે એવી જે જ્ઞાની પુરૂષની સ્થિતિ છે તેના તરફ સાધકે નજર રાખવી ખરી કે ? ના. આમાં પણ ફળત્યાગની કસોટી જ વાપરવી. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે આપણને જે જોઈએ છે તે, તે તરફ નજર ન રાખીએ તોયે આવી મળે છે. જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્માવસ્થા, તેનો પણ લાભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે તને આવી મળશે. સંન્યાસ વસ્તુ એવી નથી કે એકાએક બે ઉપર પાંચ મિનિટ થાય એટલે આવીને ઊભી રહે; સંન્યાસ એ વસ્તુ યાંત્રિક નથી. એ તારા જીવનમાં કેમ વિકાસ પામતી જશે તેની તને ખબર પણ નહીં પડે. તેથી મોક્ષની ફિકર છોડી દે.
21. ભક્ત ઈશ્વરને હંમેશ આમ જ કહે છે કે, “ આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ, પેલું અંતિમ ફળ મારે નથી જોઈતું. મુક્તિ એટલે એક જાતની ભુક્તિ જ નથી કે ? મોક્ષ એ પણ એક ભોગ છે, એક ફળ છે. આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળત્યાગની કાતર ચલાવ. પણ એમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી. કાતર તૂટી જશે ને ફળ વધારે મજબૂત થશે. મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતો શોધતો તારી સામે આવીને ખડો થાય. સાધકે સાધનામાં જ રંગાઈ જવું. मा ते संगोस्त्वकर्मणि — ‘ મા હો રાગ અકર્મમાં, ’ અકર્મદશાની,મોક્ષની આસક્તિ રાખ મા, એમ ભગવાને પહેલાં જ કહ્યું હતું. હવે ફરીથી છેવટે ભગવાન કહે છે,
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।
‘ હું તને સર્વ પાપોથી છોડાવાશ, નચિંત થા ’
મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર રાખ. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે. મોક્ષનિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો હોય છે તેના ગળામાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે છે.
22. જ્યાં સાધનાની પરાકાષ્ઠા થાય છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઊભી રહે છે. જેને ઘેરે પહોંચવું છે તે ‘ ઘર, ઘર ’ એવા જાપ જપતો ઝાડ નીચે બેસી રહેશે તો ઘર આઘું રહેશે ને તેને જંગલમાં પડી રહેવાનો વારો આવશે. ઘરનું રટણ કરતાં કરતાં રસ્તામાં આરામ લેવા થોભશે તો છેવટના આરામથી અળગો રહેશે. મારે ચાલવાનું કામ ચાલુ રાખવું જોઈએ. પછી ઘર એકદમ સામે આવશે. મોક્ષના આળસુ સ્મરણથી મારી મહેનતમાં, મારી સાધનામાં સિથિલતા પેદા થશે અને મોક્ષ આઘો જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને સતત સાધનામાં મંડયા રહેવું એ જ મોક્ષને પાસે લાવવાનો ઈલાજ છે. અકર્મસ્થિતિ, આરામ વગેરેની ઈચ્છા ન રાખો, માત્ર સાધના પર પ્રેમ રાખશો તો મોક્ષ અચૂક સધાશે. જવાબ જવાબની બૂમો માર્યા કરવાથી દાખલાનો જવાબ આવતો નથી. મને જે રીતે આવડતી હશે તે જ એક પછી એક પગલું લેતા લેતા જવાબ લાવી આપશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ ઊભો છે. સમાપ્તિના પહેલાં સમાપ્તિ કેવી રીતે થાય ? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે ? સાધકની અવસ્થામાં સિદ્ધાવસ્થા કેવી ? પાણીમાં ડૂબકાં ખાતાં ખાતાં સામી પારની મોજ નજર સામે રાખ્યે કેમ ચાલશે ? તે વખતે એક પછી એક વામિયાં નાખતાં નાખતાં આગળ જવામાં જ બધું ધ્યાન પરોવવું જોઈએ. બધી શક્તિ રોકવી જોઈએ. સાધના પૂરી કર. દરિયો ઓળંગી જા. મોક્ષ આપોઆપ આવી મળશે.