Monthly Archives: January 2009

નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું – 62

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૨ – નિર્ગુણ વગર સગુણ પણ ખામી ભરેલું

13. સગુણ ઉપાસનાના પલ્લામાં સહેલાપણું અને સલામતી એ બે વજન મેં મૂક્યાં તેવી જ રીતે નિર્ગુણના પલ્લામાં પણ બીજાં વજન હું મૂકી શકું એમ છું. નિર્ગુણમાં મર્યાદા જળવાય છે. દાખલા તરીકે જુદાં જુદાં કામો કરવાને મટે, સેવાને માટે આપણે સંસ્થાઓ કાઢીએ છીએ. સંસ્થા સ્થાપન થાય છે તે શરૂઆતમાં વ્યક્તિને લીધે થાય છે. તે વ્યક્તિતેનો મુખ્ય આધાર હોય છે. સંસ્થા શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠ હોય છે. પણ જેમ જેમ સંસ્થાનો વિકાસ થતો જાય તેમ તેમ તે વ્યક્તિનિષ્ઠ ન રહેતાં તત્વનિષ્ઠ થવી જોઈએ. આવી તત્વનિષ્ઠા ઉત્પન્ન ન થાય તો પેલી પ્રેરણા આપનારી વ્યક્તિ દૂર થતાં તે સંસ્થામાં અંધારૂં ફેલાય છે. મને ગમતો દાખલો આપું. રેંટિયાની માળ તૂટી જતાંની સાથે કાતવાની વાત તો આઘી રહી, કંતાયેલું સૂતર વીંટવાનું પણ બની શકતું નથી. તેવી જ પેલી વ્યક્તિનો આધાર ખસી જતાં સંસ્થાની દશા થાય છે. તે સંસ્થા માબાપ વગરના બાળક જેવી અનાથ થઈ જાય છે. વ્યક્તિનિષ્ઠામાંથી તત્વનિષ્ઠા પેદા થાય તો એવું ન થાય.

14. સગુણને નિર્ગુણની મદદ જોઈએ. ગમે ત્યારે પણ વ્યક્તિમાંથી, આકારમાંથી બહાર નીકળવાનું, છૂટવાનું શીખવું જોઈએ. ગંગા હિમાલયમાંથી, શંકરના જટાજૂટમાંથી નીકળી, પણ ત્યાં જ રહી નથી. એ જટાજૂટ છોડી, હિમાલયનાં પેલાં ખીણો ને કોતરો છોડી, જંગલ ને વન છોડી સપાટ મેદાન પર ખળખળ વહેતી થઈ ત્યારે વિશ્વજનને ઉપયોગી થઈ શકી. એ જ પ્રમાણે વ્યક્તિનો આધાર છૂટી જાય તો પણ તત્વના પાકા મજબૂત આધાર પર ઊભી રહેવાને સંસ્થા તૈયાર થવી જોઈએ. કમાન બાંધતી વખતે તેને આધાર આપવામાં આવે છે. પણ તે આધાર પાછળથી, કમાન પૂરી બંધાઈ ગયા પછી કાઢી લેવાનો હોય છે. આધાર કાઢી લીધા પછી કમાન સાબૂત ટકી રહે તો જાણવું કે પહેલાં ગોઠવેલો આધાર સાચો હતો. શરૂમાં પ્રેરણાનો ઝરો સગુણમાંથી ફૂટ્યો એ સાચું; પણ છેવટે પરિપૂર્ણતા તત્વનિષ્ઠામાં, નિર્ગુણમાં થવી જોઈએ. ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવાં જોઈએ.

15. બુદ્ધદેવે આ વાત બરાબર ઓળખી હતી. તેથી તેમણે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી છે. શરૂઆતમાં વ્યક્તિનિષ્ઠા હોય તો પણ તેમાંથી તત્વનિષ્ઠા અને એકદમ તત્વનિષ્ઠા નહીં તોયે ઓછામાં ઓછી સંઘનિષ્ઠા કેળવાવી જોઈએ. એક વ્યક્તિને માટે જે અંદરની લાગણી હતી તે દસપંદર વ્યક્તિઓને માટે થવી જોઈએ. સંઘને માટે સામુદાયિક પ્રેમ નહીં હોય તો અંદરઅંદર અણબનાવ થશે અને પછી ટંટા જાગશે. વ્યક્તિશરણતા છૂટી જવી જોઈએ ને તેને ઠેકાણે સંઘશરણતા નિર્માણ થવી જોઈએ, અને તે પછી સિદ્ધાંતશરણતા આવવી જોઈએ. તેથી બૌદ્ધોમાં बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि – બુદ્ધને શરણે જાઉં છું, સંઘને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું એવી ત્રણ પ્રકારની શરણઆગતિ કહી છે. પહેલાં વ્યક્તિને માટે પ્રેમ, પછી સંઘને માટે પ્રેમ. એ બંને નિષ્ઠા પણ જો કે આખરે ડગી જનારી છે. છેવટે સિદ્ધાંતનિષ્ઠા પેદા થાય તો જ સંસ્થા લાભદાયી થાય. પ્રેરણાનું ઝરણું સગુણમાંથી નિર્માણ થાય પણ છેવટે તે નિર્ગુણના સાગરમાં જઈને મળવું જોઈએ. નિર્ગુણને અભાવે સગુણ સદોષ થાય છે, નિર્ગુણ વગર સગુણમાં ખામી પેસી જાય છે. નિર્ગુણની મર્યાદા સગુણને સમતોલ રાખે છે અને તે માટે સગુણ નિર્ગુણનું આભારી છે.

16. હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે બધાયે ધર્મોમાં કોઈને કોઈ પ્રકારની મૂર્તિપૂજા છે. મૂર્તિપૂજા ઊતરતા દરજ્જાની ગણાય તો પણ તે માન્ય થયેલી છે, શ્રેષ્ઠ છે. જ્યાં લગી મુર્તિપૂજાને નિર્ગુણની મર્યાદા હોય છે ત્યાં લગી તે નિર્દોષ રહે છે. પણ એ મર્યાદા છૂટી જતાંની સાથે સગુણ સદોષ થાય છે. બધા ધર્મોમાંનું સગુણ, નિર્ગુણની મર્યાદાને અભાવે અવનત દશાએ પહોંચ્યું છે. પહેલાં યજ્ઞયાગમાં જાનવરોની હત્યા થતી. આજે પણ શક્તિદેવીને ભોગ ધરાય છે. મૂર્તિપૂજાનો આ અત્યાચાર થયો. મર્યાદા છોડી મૂર્તિપૂજા આડે રસ્તે ચડી ગઈ. નિર્ગુણનિષ્ઠાની મર્યાદા હોય તો આ ધાસ્તી રહેતી નથી.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

પ્રભુ કેમ ભુલું ભલાઇઓ તારી – 102

રાગઃ- માલકૌંસ (ભાવગીત)

પ્રભુ કેમ ભુલું ભલાઇઓ તારી
મને આપી ભલી જીંદગી સારી –ટેક

નિંદમા સુખે સુવાડી દેતો, વહેલો પ્રભાતે ઉઠાડી દેતો
રોજરોજની આ ભલાઇઓ તારી –1

ખાવાપીવાનું પણ તું જ દેતો, ઉદરમાં પણ પચાવા તું લેતો
ભલાઇની ન કરતો કદી વાત તારી –2

અનંત ઉપકાર પ્રભુ છે તારા, ભુલું તને એજ અવગુણ મારા
માફ કરજો કૃતઘ્નતા મારી –3

ભજનપ્રકાશ ઋણાનુબંધી તારો, વંદન કરૂં વારંવાર હજારો
પ્રભુ શું કરૂં વિનતી તુમ્હારી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Spiritual Diary – Jan, 12

January 12
Obedience

સાચો શિષ્ય તેના ગુરુની દરેક આજ્ઞા સર્વથા પાળે છે. કારણ કે ગુરુએ પ્રજ્ઞા અને પવિત્રતાની મૂર્તિ છે.

The true disciple obeys his guru implicitly in everything because the guru is a man of wisdom and purity.

Sri Sri Paramhansa Yogananda,
“Yogoda Satsanga annual-series booklet”

Categories: Spiritual Diary | Leave a comment

સગુણ સહેલું ને સલામત (61)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૧ – સગુણ સહેલું ને સલામત

8. સગુણ ભક્તિયોગમાં ઈન્દ્રિયો પાસેથી પ્રત્યક્ષ કામ લઈ શકાય છે. ઈન્દ્રિય સાધન છે, વિઘ્નો છે અથવા ઉભયરૂપ છે, તે મારનારી છે કે તારનારી છે તે જોનારની દ્રષ્ટિ પર અવલંબે છે. ધારો કે કોઈક માણસની મા મરણપથારીએ પડી છે અને તેને માને મળવા જવું છે. વચ્ચે પંદર માઈલનો રસ્તો છે. એ રસ્તો મોટર જાય એવો નથી. ગમે તેવી ભાંગીતૂટી પગદંડી છે. આવે વખતે આ પગદંડી સાધન છે કે વિઘ્ન છે ? કોઈ કહેશે, ‘ શા સારૂ આ ભૂંડો રસ્તો આડો આવ્યો ? આ અંતર ને આવો રસ્તો ન હોત તો તાબડતોબ માને જઈને મળ્યો હોત. ‘ એવા માણસને માટે તે રસ્તો દુશ્મન છે. રસ્તો ખૂંદતો ખૂંદતો તે જાય છે. તેને રસ્તા પર ગુસ્સો ચડ્યો છે. છતાં ગમે તેમ તોયે માને મળવાને ઝટ ઝટ પગ ઉપાડી તેને મા પાસે પહોંચ્યા વગર છૂટકો નથી. રસ્તો દુશ્મન છે એમ કહી તે ત્યાં જ માથે હાથ દઈને બેસી જાય તો દુશ્મન જેવો લાગનારો તે રસ્તો તેને જીતી ગયો જાણવો. ઝટ ઝટ ચાલવામાં તે મંડ્યો રહેશે તો એ દુશ્મનને તે જીતી જશે. બીજો માણસ કહેશે, ‘ આ જંગલ છે. પણ ચાલીને જવાને આટલોયે રસ્તો છે. આ રસ્તો છે તે ઘણું છે. મને માની પાસે પહોંચાડશે. આ રસ્તો ન હોત તો હું આ વગડામાંથી શી રીતે આગળ જાત ? ‘ આવુ કહી એ પગદંડીને સાધન ગણી તે ઝટ ઝટ પગ ઉપાડતો ચાલ્યો જાય છે. તે રસ્તાને માટે તેના મનમાં પ્રેમની લાગણી થશે, તેને તે પોતાનો મિત્ર માનશે. રસ્તાને દુશ્મન ગણો કે દોસ્ત ગણો, અંતર વધારનારો ગણો કે અંતર ઘટાડનારો ગણો, ઝટ ઝટ પગ ઉપાડવાનું કામ કર્યા વગર છૂટકો નથી. રસ્તો વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે માણસના ચિત્તની જે ભૂમિકા, તેની જે દ્રષ્ટિ તના પર આધાર રાખે છે. ઈન્દ્રિયોનું એવું જ છે. તે વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે તમારી દ્રષ્ટિ પર આધાર રાખે છે.

9. સગુણ ઉપાસકને સારૂ ઈન્દ્રિયો સાધનરૂપ છે. ઈન્દ્રિયો ફૂલ છે. તે ફૂલ પરમાત્માને ચડાવવાનાં છે. આંખોથી હરિરૂપ જોવું, કાનોથી હરિકથા સાંભળવી, જીભથી નામ ઉચ્ચારવું, પગ વડે તીર્થયાત્રા કરવી, અને હાથ વડે સેવા-પૂજા કરવી. આમ તે બધી ઈન્દ્રિયો પરમેશ્વરને ચડાવે છે. પછી તે ઈન્દ્રિયો ભોગને માટે રહેતી નથી. ફૂલ દેવને ચડાવવાને માટે હોય છે. ફૂલની માળા પોતાના ગળામાં પહેરવાની હોતી નથી. તે જ પ્રમાણે ઈન્દ્રિયોનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવાનો છે. આ છે સગુણોપાસકની દ્રષ્ટિ. પણ નિર્ગુણોપાસકને ઈન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. તે તેમને સંયમમાં રાખે છે, પૂરી રાખે છે. ઈન્દ્રિયોનો આહાર તે તોડી નાખે છે. ઈન્દ્રિયો પર તે ચોકી રાખે છે. સગુણોપાસકને એવું કરવું પડતું નથી. તે બધી ઈન્દ્રિયોને હરિચરણે અર્પણ કરે છે. બંને રીત ઈન્દ્રિયનિગ્રહની છે. ઈન્દ્રિયદમનના એ બંને પ્રકાર છે. ગમે તેમ માનો પણ ઈન્દ્રિયોને તાબામાં રાખો. ધ્યેય એક જ છે. તેમને વિષયોમાં ભટકવા દેવી નહીં. એક રીત સુલભ છે. બીજી કઠણ છે.

10. નિર્ગુણ ઉપાસક સર્વભૂતરહિત હોય છે. એ વાત સામાન્ય નથી. આખાયે વિશ્વનું કલ્યાણ કરવાની વાત બોલવામાં સહેલી દેખાય છે, પણ કરવી ઘણી કઠણ છે. જેને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા છે, તેનાથી તેના ચિંતન સિવાય બીજું કશું થઈ નહીં શકે. તેથી નિર્ગુણ ઉપાસના અઘરી છે. સગુણ ઉપાસના અનેક રીતે પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ કરી શકે. જ્યાં આપણો જન્મ થયો હોય તે નાનકડા ગામની સેવા કરવી અથવા માબાપની સેવા કરવી એ સગુણ પૂજા છે. એ તમારી સેવા આખા જગતના હિતથી વિરોદી ન હોય એટલે થયું. ગમે તેટલા નાના પ્રમાણમાં સેવા કરો અને તે બીજાના હિતની આડે આવતી ન હોય તો અવશ્ય ભક્તિને દરજ્જે પહોંચે છે. એમ નહીં હોય તો તે સેવા આસક્તિ થાય. મા, બાપ, આપણા મિત્રો, આપણા દુઃખી બંધુઓ, સંતો એ બધાંને પરમેશ્વર માનીને એમની સેવા કરવાની છે. એ બધે ઠેકાણે પરમેશ્વરની મૂર્તિની કલ્પના કરવાની છે અને તેમાં સંતોષ માનવાનો છે. આ સગુણપૂજા સહેલી છે, નિર્ગુણપૂજા અઘરી છે. બાકી બંનેનો અર્થ એક જ છે. સૌલભ્યથી, સહેજે થઈ શકે એ દ્રષ્ટિથી સગુણ શ્રેયસ્કર છે એટલું જ.

11. સુલભતાનો એક મુદ્દો થયો. એવો જ બીજો પણ એક મુદ્દો છે. નિર્ગુણમાં જોખમ છે. નિર્ગુણ જ્ઞાનમય છે. સગુણ પ્રેમમય, ભાવનામય છે. સગુણમાં લાગણીની ભીનાશ છે. તેમાં ભક્ત વધારે સલામત છે. નિર્ગુણમાં જરા જોખમ છે. એક વખત એવો હતો કે જ્યારે જ્ઞાન પર મારો ખૂબ મદાર હતો. પણ કેવળ જ્ઞાનથી મારૂં કામ પાર પડે એવું નથી એવો મને અનુભવ થયો છે. જ્ઞાન વડે મનના સ્થૂળ મળ બળીને ખાક થઈ જાય છે. પણ મનના સૂક્ષ્મ મળને ધોવાનું સામર્થ્ય તેમાં નથી. સ્વાવલંબન, વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય, એ બધાંયે સાધનો લઈએ તો પણ તેમનાથી મનના સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. ભક્તિના પાણી વગર એ મળ ધોવાતા નથી. ભક્તિના પાણીમાં એ શક્તિ છે. આને જોઈએ તો તમે પરાવલંબન કહો. પણ परनुं એટલે पारकानुं એવો અર્થ ન કરતાં ते श्रेष्ठ परमात्मानुं અવલંબન એવો અર્થ કરો. પરમાત્માનો આધાર લીધા વગર ચિત્તના મળનો નાશ થતો નથી.

12. કોઈ કહેશે, ‘ અહીં જ્ઞાન શબ્દનો અર્થ ઓછો કર્યો છે; જ્ઞાનથી જો ચિત્તના મળ ન ધોવાતા હોય તો જ્ઞાન ઓછા દરજ્જાનું છે એવું સાબિત થાય છે. ‘ આ આક્ષેપ હું સ્વીકારૂં છું. પણ મારૂં કહેવું એવું છે કે આ માટીના પૂતળામાં શુદ્ધ જ્ઞાન થવું કઠણ છે. આ દેહમાં રહીને ઉત્પન્ન થયેલું જ્ઞાન ગમે તેવું શુદ્ધરૂપ હશે તોયે તે અસલ કરતાં થોડું ઓછું જ ઊતરવાનું. આ દેહમાં ઉત્પન્ન થનારા જ્ઞાનની શક્તિ મર્યાદિત હોય છે. શુદ્ધ જ્ઞાન નિર્માણ થાય તો તે ચિત્તના બધાયે મળને બાળીને ખાક કર્યા વગર ન રહે એમાં મને જરાયે શક નથી. ચિત્ત સમેત બધાયે મળને બાળી નાખવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે. પણ આ વિકારી દેહમાં જ્ઞાનનું બળ ટૂંકું પડે છે. તેથી તેનાથી સૂક્ષ્મ મળ ધોવાતા નથી. ભક્તિનો આસરો લીધા સિવાય સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. એથી ભક્તિમાં માણસ વધારે સલામત છે. वधारे એ મારો પોતાનો ગાઠનો શબ્દ છે એમ ગણજો. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે. નિર્ગુણમાં સ્વવલંબન છે. એમાંના स्वનો અર્થ પણ આખરે શો છે ? સ્વાવલંબન એટલે પોતાના અંતઃકરણમાંના પરમેશ્વરનું અવલંબન એટલે કે પરમેશ્વરનો આધાર એ જ ત્યાં પણ અર્થ છે. કેવળ બુદ્ધિને આધારે શુદ્ધ થયેલો એવો કોઈ મળશે નહીં. સ્વાવલંબનથી એટલે કે અંતઃકરણમાંના આત્મજ્ઞાનથી શુદ્ધ જ્ઞાન મળશે. સારાંશ કે નિર્ગુણ ભક્તિના સ્વવલંબનમાં પણ આત્મા એ જ આધાર છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

મનને ભજન બહુ ભાવે – (101)

રાગઃ- માલકૌંસ

મનને ભજન બહુ ભાવે, એ વિના અંતર કશું ન આવે –ટેક

ભૂલું તોય ભૂલાય નહીં, ભજન વિના રહેવાય નહીં
મન ગોવિંદ ગોવિંદ ગાવે –1 મનને

મન મતવાલુ બન્યું મોહનમાં, આઠે પોર રહ્યું એ તાનમાં
હવે ફોગટ વાતો ન ફાવે –2 મનને

કાયા પાણીનો પરપોટો, જીવનનો ખેલ સર્વ ખોટો
વિષય વાસના ટળી જાવે –3 મનને

ભજનપ્રકાશ રહે ભરપુર ભજનમાં, રહી સતગુરુની શાનમાં
ભવબંધન મટી જાવે –4 મનને

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Spiritual Diary

January 11
The Guru

સામાન્ય ભક્ત ગુરુ વગર પ્રભુને પામી શકે નહીં. ઈશ્વર પ્રાપ્તિ માટે પચ્ચીસ ટકા ભક્તિપુર્વકની ધ્યાનની પ્રવધીઓનો અભ્યાસ, પચ્ચીસ ટકા ગુરુના આશિર્વાદ અને પચાસ ટકા ઈશ્વરકૃપા જોઈએ. અંત સુધી તમારા પ્રયત્નોમાં અટલ રહો તો ઈશ્વર તમોને દર્શન આપશે.

Without a guru the average devotee cannot find God. It requires 25% devoted practice of meditation techniques; 25% blessings of guru; and 50% grace of God. If you remain steadfast in your efforts to the end, He will appear before you.

Sri Sri Paramhansa Yogananda,
“Yogoda Satsanga annual-series booklet”

Categories: Spiritual Diary | Leave a comment

સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા (60)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૦ – સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા

3. બારમા અધ્યાયમાં ભક્તિતત્વની સમાપ્તિ કરવાની છે. સમાપ્તિનો સવાલ અર્જુને પૂછ્યો. પાંચમા અધ્યાયમાંના જીવનના આખાયે શાસ્ત્રનો વિચાર પૂરો થતાં જેવો સવાલ અર્જુને પૂછ્યો હતો તેવો જ તેણે અહીં પણ પૂછ્યો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ‘ કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તને કયો ભક્ત પ્રિય છે ? ‘

4. ભગવાન શો જવાબ આપે ? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આઘીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય. માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શક્તો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારૂ શૂન્ય જેવો થઈ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારૂ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તે આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે તેનું દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને તમે સવાલ પૂછો તો તે શો જવાબ દેશે ? તેને તમે કહો, ‘ હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ. પસંદ કરી લે. ‘ મા શો જવાબ આપશે ? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લાંમાં બંન્ને બેસાડી તે શું તેમને તોળવા બેસશે ? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો. કુદરતી રીતે તે શો જવાબ આપશે ? તે બિચારી મા કહેશે, ‘ વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ. ‘ નાનાને તેણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને ફોડી ફોડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.

5. પેલા સવાલનો જવાબ આપતાં પેલી માને મૂઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે. અર્જુન કહે છે ‘ હે ભગવાન, એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો, તારૂં સતત સ્મરણ કરનારો છે. તેની આંખોને તારી ભૂખ છે, પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે, હાથપગ વડે તે તારી સેવા કરે છે, તારી પૂજા કરે છે; આવો એક આ તારો ભક્ત છે. બીજો સ્વાવલંબી, સતત ઈન્દ્રિયનિગ્રહ કરવાવાળો, સર્વ ભૂતહિતમાં મશગૂલ, રાત ને દહાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારૂં પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી; આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે. આ બેમાંથી તને કયો પ્રિય છે તે મને કહે.’ પેલી માએ જેવો જવાબ આપ્યો હતો તેવો જ આબેહૂબ જવાબ ભગવાને આપ્યો છે. પેલો સગુણ ભક્ત મને વહાલો છે અને પેલો બીજો પણ મારો જ છે. ભગવાન જવાબ આપતાં મૂંઝાય છે. જવાબ આપવાને ખાતર તેઓ આપી છૂટ્યા છે.

6. અને ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે. અક્ષરશઃ બંને ભકતો એકરૂપ છે. બંન્ની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. પાંચમા અધ્યાયમાં કર્મની બાબતમાં જે અર્જુનનો સવાલ છે તે જ અહીં ભક્તિની બાબતમાં તેણે પૂછ્યો છે. પાંચમા અધ્યાયમાં કર્મ અને વિકર્મ બંનેની સહાયથી માણસ અકર્મની ભૂમિકાએ પહોંચે છે. એ અકર્મ દશા બે રૂપે પ્રગટ થાય છે. એક રાત ને દિવસ અખંડ કામ કરતો છતો લેશમાત્ર કર્મ ન કરનારો એવો કર્મયોગી અને બીજો ચોવીસ કલાકમાં એક પણ કર્મ ન કરતો છતો આખા વિશ્વની ઊથલપાથલ કરનારો એવો સંન્યાસી, એમ બે રૂપે અકર્મદશા પ્રગટ થાય છે. એ બેની તુલના કેવી રીતે કરવી ? વર્તુળની એક બાજુ સાથે બીજીની સરખામણી કરી જુઓ. બંને એક જ વર્તુળની બાજુ છે. એની તુલના કેવી રીતે થાય ? બંને બાજુ સરખી લાયકાતવાળી છે, એકરૂપ છે. અકર્મ ભૂમિકાના વિવેચનમાં ભગવાને એકને સંન્યાસ અને બીજાને યોગ નામ આપ્યું છે. શબ્દ બે છે પણ બંનેનો અર્થ એક જ છે. સંન્યાસ અને યોગ એ બે વચ્ચેનો સવાલ આખરે સહેલાપણાના મુદ્દા પર ઉકેલ્યો છે.

7. સગુણ – નિર્ગુણનો સવાલ પણ એવો જ છે. એક જે સગુણભક્ત છે તે ઈન્દ્રિયો દ્વારા પરમેશ્વરની સેવા કરે છે. બીજો જે નિર્ગુણભક્ત છે તે મનથી વિશ્વનું હિત ચિંતે છે. પહેલો છે તે બહારની સેવામાં મશગૂલ દેખાય છે પણ અંદરથી એકસરખું ચિંતન કરે છે. બીજો છે તે પ્રત્યક્ષ કંઈ સેવા કરતો દેખાતો નથી પણ અંદરથી મહાસેવા કાયમ ચાલુ રાખે છે. આ પ્રકારના બે ભક્તોમાંથી ચડિયાતો કયો ? રાત ને દિવસ કર્મ કરતો હોવા છતાં પણ લેશમાત્ર કર્મ ન કરનારો તે સગુણ ભક્ત છે. નિર્ગુણ ઉપાસક અંદરથી સર્વના હિતનું ચિંતન કરે છે, સર્વના હિતની ફિકર રાખે છે. આ બંને ભક્તો અંદરથી એકરૂપ જ છે. બહારથી કદાચ જુદા દેખાતા હોય એમ બને. તે બંને સરખા છે. પરમેશ્વરના લાડકા છે. પણ સગુણભક્તિ વધારે સુલભ છે. જે જવાબ પાંચમા અધ્યાયમાં આપ્યો છે તે જ અહીં પણ આપ્યો છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

શ્યામ શ્યામ કહેવાની ટેવ પડી – (100)

રાગઃ- માલકૌંસ

શ્યામ શ્યામ કહેવાની ટેવ પડી, ટેવ પડી, ટેવ પડી –ટેક

સુતા શ્યામ શ્યામ જાગત શ્યામ શ્યામ,
અહોનિસ શ્યામ શ્યામ આદત જડી –1

તું શ્યામ તું શ્યામ નાદ નિરંતર
અખંડ શ્યામ શ્યામ ગુંજન ગડી –2

દેખું શ્યામ શ્યામ સુણું શ્યામ શ્યામ
રોમ રોમ શ્યામ રણકાર મળી –3

ઉંચે નીચે શ્યામ ચહુ દિશે શ્યામ
ભજનપ્રકાશ રહ્યો શ્યામ ભજન મેં ભળી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Spiritual Diary

January 10
The Guru

જ્યારે હું તમારાથી દૂર હોઉં છું ત્યારે કદી પણ તમારી ગેરહાજરીનું દુઃખ અનુભવતો નથી. કારણ કે તમે અંતરમાં સતત મારી સાથે છો અને સદાને માટે હશો. ક્યાં તો આપણે અત્રે જીવીએ કે મૃત્યુના દ્વારમાંથી પસાર થઈએ આપણે હંમેશા પરમાત્મામાં સાથે હોઈશું.

I never miss you all when I am away, because inwardly you are always with me now, and will be forevermore. Whether we are living here or pass through the portals of death, we shall always be together in God.

Sri Sri Paramhansa Yogananda,
to a group of disciples.

Categories: Spiritual Diary | Leave a comment

સર્વાર્થસાર (59)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છ થી અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા
પ્રકરણ ૫૯ – સર્વાર્થસાર

1. ગંગાનો પ્રવાહ બધે પાવન ને પવિત્ર છે. પણ તેમાંયે હરિદ્વાર, કાશી, પ્રયાગ, એવાં સ્થળો વધારે પવિત્ર છે. તેમણે આખાયે સંસારને પાવન કરેલો છે. ભગવદગીતાની સ્થિતિ એવી જ છે. આરંભથી અંત સુધી ભગવદગીતા આખી પવિત્ર છે. પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. જે અધ્યાયની બાબતમાં આજે કહેવાનું છે તે ખૂબ પાવન તીર્થ બનેલો છે. ખુદ ભગવાને આ અધ્યાયને અમૃતધાર કહ્યો છે : ये तु धर्म्यामृतमिदं यथोकं पर्युपासते — ‘ આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી જેમ મેં કહ્યું.’ આ નાનકડો વીસ જ શ્લોકનો અધ્યાય છે, પણ ખરેખર અમૃતની ધાર છે. અમૃત જેવો મીઠો છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાનને મોઢે ભક્તિરસના મહિમાનું તત્વ ગવાયેલું છે.

2. ખરૂં જોતાં છઠ્ઠા અધ્યાયથી માંડીને ભક્તિરસના તત્વનો પ્રારંભ થયો છે. પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જીવનનું શાસ્ત્ર જોયું. સ્વધર્માચરણનું કર્મ, તેને મદદ કરનારૂં એવું માનસિક સાધનારૂપ વિકર્મ, આ બેની સાધના વડે કર્મને પૂરેપૂરૂં ભસ્મ કરનારી છેવટની અકર્મની ભૂમિકા, આ બધી વાતોનો પહેલા પાંચ અધ્યાય સુધી વિચાર થયો. અહીં જીવનનું શાસ્ત્ર પૂરૂં થયું. પછીથી એક રીતે જોઈએ તો છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાયના છેવટ સુધી ભક્તિતત્વનો જ વિચાર થયો છે. શરૂઆત એકાગ્રતાની વાતથી થઈ. ચિત્તની એકાગ્રતા કેમ થાય, તેનાં સાધનો કયાં, ચિત્તની એકાગ્રતાની આવશ્યક્તા શા માટે છે, એ બધું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતાની વાત કહી. એકાગ્રતાથી માંડીને સમગ્રતા સુધીની આવડી મોટી મજલ આપણે કેમ પૂરી કરી તે જોઈ જવું જોઈએ. ચિત્તની એકાગ્રતાથી શરૂઆત થઈ. એ એકાગ્રતા થયા પછી માણસ ગમે તે વિષય પર ચર્ચા કરી શકે. મારા મનગમતા વિષયની વાત કરૂં તો ચિત્તની એકાગ્રતાનો ઉપયોગ ગણિતના અભ્યાસને સારૂ થઈ શકે. એમાં રૂડું ફળ મળ્યા વગર નહીં રહે. પણ ચિત્તની એકાગ્રતાનું એ સર્વોત્તમ સાધ્ય નથી. ગણિતના અભ્યાસથી ચિત્તની એકાગ્રતાની પૂરી કસોટી થતી નથી. ગણિતમાં અથવા એવા બીજા એકાદ જ્ઞાનના પ્રાંતમાં ચિત્તની એકાગ્રતાથી સફળતા મળશે, પણ એ તેની ખરી પરીક્ષા નથી. તેથી સાતમા અધ્યાયમાં કહ્યું કે એકાગ્ર થયેલી નજર ઈશ્વરના ચરણ પર રાખવી જોઈએ. આઠમા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વરને ચરણે એકધારી એકાગ્રતા રહે તેટલા ખાતર અને વાણી, કાન, આંખ કાયમ ત્યાં રહે તેટલા ખાતર, મરણ સુધી પ્રયત્ન ચાલુ રાખવા. આપણી બધી ઈન્દ્રિયોને એનો પાકો મહાવરો બેસવો જોઈએ.

पडिलें वळण ईन्द्रियां सकळां । भाव तो निराळा नाहीं दुजा ।।

બધી ઈન્દ્રિયોને પાકું વળણ પડી ગયું અને તે વિના બીજે ભાવ રહ્યો નથી એવું થવું જોઈએ. બધી ઈન્દ્રિયોને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. પાસે કોઈ વિલાપ કરતું હોય અગર ભજન કરતું હોય, કોઈ વાસનાની જાળ ગૂંથતું હોય અગર વિરક્ત એવા સજ્જનોનો, સંતોનો સમાગમ હોય, સૂર્ય હોય કે અંધારૂં હોય, ગમે તે હોય પણ મરણ વખતે ચિત્તની સામે પરમેશ્વર આવીને ખડો રહે એ રીતે આખી જિંદગી બધી ઈન્દ્રિયોને વળણ પાડવું એવી સાતત્યની શીખ આઠમા અધ્યાયમાં આપી છે. છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતા, સાતમામાં ઈશ્વરાભિમુખ એકાગ્રતા એટલે કે પ્રપત્તિ, આઠમામાં સાતત્યયોગ અને નવમામાં સમર્પણતા શીખવી છે. દસમા અધ્યાયમાં ક્રમિકતા બતાવી છે. એક પછી એક પગથિયું ચઢીને ઈશ્વરનું રૂપ ચિત્તમાં કેમ ઊંડું ઉતારવું, કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી સર્વત્ર ભરેલો પરમાત્મા ધીમે ધીમે કેવી રીતે પચાવવો તેની વાત કરી છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતા કહી છે. વિસ્વરૂપદર્શનને જ હું સમગ્રતાયોગ કહું છું. વિશ્વરૂપદર્શન એટલે એકાદ નજીવી ધૂળની રજકણમાં પણ આખું વિશ્વ ભરેલું છે એ વાતનો અનુભવ કરવો તે. એ જ વિરાટ દર્શન છે આવી છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી ભક્તિરસની જુદી જુદી રીતે કરેલી છણાવટ છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Create a free website or blog at WordPress.com.