Monthly Archives: January 2009

નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના – (74)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૪ – નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના

30. આ બધું પાર પાડવાને નૈતિક સાધનાનો મજબૂત, પાકો પાયો જોઈએ. સત્યાસત્યનો વિવેક કરી, સત્ય પકડી લઈ તેને વળગવું જોઈએ. સારાસાર જોઈ લઈ સાર પકડવો જોઈએ. છીપો ફેંકી દઈ મોતી એકઠાં કરી લેવાં જોઈએ. આ રીતે જીવનની શરૂઆત કરવી જોઈએ. પછીથી આત્મપ્રયત્ન અને ઈશ્વરી કૃપા એ બંનેને જોરે ઉપર ચડતા જવું જોઈએ. આ આખી સાધનામાં દેહથી આત્માને અળગો પાડતાં આપણે શીખ્યા હોઈશું તો ખૂબ મદદ થશે. આવે પ્રસંગે મને ઈશુ ખ્રિસ્તનું બલિદાન યાદ આવે છે. તેને ક્રૂસની સાથે ખીલાથી જડીને મારતા હતા. તે વખતે ઈશુના મોઢામાંથી ‘ હે ઈશ્વર, આ બધા આમ શા સારૂ જુલમ કરતા હશે, ’ એવાં વેણ બહાર પડ્યાં કહેવાય છે. પણ પછી તરત જ ભગવાન ઈશુએ પોતાનું સમતોલપણું સાચવી લીધું અને તેમણે કહ્યું, ‘‘ હે ઈશ્વર, તારી ઈચ્છા પાર પડો. એ લોકોને ક્ષમા કર. પોતે શું કરે છે તેનું એમને ભાન નથી. ’’ ઈશુના આ દાખલામાં ઘણો ઊંડો મર્મ રહેલો છે. દેહથી આત્માને કેટલો અળગો પાડવો જોઈએ તેની એ નિશાની છે. કેટલી મજલ કાપવાની છે અને કેટલી કાપવાનું શક્ય છે એ વાત ઈશુના જીવન પરથી જાણવાની મળે છે. દેહ છોતરાની માફક ખરી પડે ત્યાં સુધી આ મજલ પહોંચી. આત્માને દેહથી અળગો પાડવાનો વિચાર જ્યારે જ્યારે મારા મનમાં આવે છે તે બધે વખતે ઈશુનું જીવન મારી નજર સામે ખડું થાય છે. દેહથી તદ્દન અળગા થઈ ગયાનો, તેનો સંબંધ છૂટી ગયાનો અનુભવ થયાની એ વાત ખ્રિસ્તનું જીવન બરાબર બતાવે છે.

31. દેહ અને આત્મા એ બેનું પૃથક્કરણ સત્યાસત્યવિવેક વગર થઈ શકે એવું નથી. એ વિવેક, એ જ્ઞાન બરાબર પચવું જોઈએ. જ્ઞાનનો અર્થ આપણે જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોંમાં બુક્કા મારવાથી ભોજન થતું નથી. મોંમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ, અને ત્યાં તે પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી જાણવાથી કામ સરતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હ્રદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધાંમાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ. એથી આ તેરમા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની ઘણી સુંદર વ્યાખ્યા કરી છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણોની માફક આ જ્ઞાનનાં લક્ષણો છે.

नम्रता दंभ-शून्यत्व अहिंसा ऋजुता क्षमा
નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ, ક્ષમા

વગેરે વીસ ગુણો ભગવાને ગણાવ્યા છે. એ ગુણોને જ્ઞાન કહીને જ ભગવાન અટક્યા નથી. તેમનાથી જે જે કંઈ ઊલટું છે તે બધું અજ્ઞાન છે એમ તેમણે સાફ કહ્યું છે. જ્ઞાનની જે સાદના બતાવી છે તે સાધના જ જ્ઞાન છે. સૉક્રેટિસ કહેતો, ‘ સદગુણને જ હું જ્ઞાન સમજું છું. ’ સાધના અને સાધ્ય બંને એકરૂપ છે.

32. ગીતામાં ગણાવેલાં આ વીસ સાધનોનાં જ્ઞાનદેવે અઢાર જ કર્યાં છે. જ્ઞાનદેવે એ સાધનોનું ઘણી ઊંડી લાગણીથી વર્ણન કર્યું છે. આ સાધનોના, આ ગુણોના પાંચ જ શ્લોક ભગવદગીતામાં છે. પણ જ્ઞાનદેવે વિસ્તાર કરી એ પાંચ શ્લોકો પર સાતસો ઓવી લખી છે. સદગુણોની ખિલવણી સમાજમાં થાય, સત્યસ્વરૂપ પરમાત્માનો મહિમા સમાજમાં વધે એ બાબતની જ્ઞાનદેવને તાલાવેલી લાગેલી હતી. આ ગુણોનું વર્ણન કરતાં જ્ઞાનદેવે પોતાનો બધો અનુભવ એ ઓવીઓમાં ઠાલવ્યો છે. મરાઠી ભાષા બોલનારા લોકો પર તેમનો એ અનંત ઉપકાર છે. જ્ઞાનદેવના રોમેરોમમાં એ ગુણો ઊંડા ઊતરેલા છે. પાડાને મારેલી ચાબુકના સોળ જ્ઞાનદેવની પીઠ પર દેખાયા હતા. ભૂતમાત્રને માટે તેમની આવી ઊંડી કરૂણા હતી. આવા કારૂણ્યથી ભરેલા હ્રદયમાંથી જ્ઞાનદેવે જ્ઞાને શ્વરી પ્રગટ કરી. એ ગુણનું તેમણે વિવેચન કર્યું. તેમણે લખેલું એ ગુણવર્ણન વાંચવું, તેનું મનન કરવું અને તેને અંતરમાં ઠસાવવું. જ્ઞાનદેવની મીઠી બોલી મને ચાખવાની મળી તે સારૂ હું ધન્યતા અનુભવું છું. જ્ઞાનદેવની મીઠી ભાષા મારા મોંમાં બેસે તેટલા ખાતર મને ફરી જન્મ મળે તોયે હું ધન્યતા અનુભવું. ખેર, ઉત્તરોત્તર વિકાસ કરતાં કરતાં, આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંયે જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડયા રહેવું.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ – (73)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૩ – પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ

22. જ્યાં સુધી દેહમાં રહેલા આત્માનો વિચાર આવ્યો નથી ત્યાં સુધી માણસ સામાન્ય ક્રિયાઓમાં ગૂંચવાયેલો રહે છે. ભૂખ લાગે એટલું ખાવું, તરસ લાગે એટલું પાણી પીવું અને ઊંઘ આવે એટલે સૂઈ જવું એથી વધારે બીજી કોઈ વાતની તેને ખબર હોતી નથી. એ બધી વાતોને માટે તે લડશે, તે બધીને માટે લોભ રાખશે. આમ દૈહિક ક્રિયાઓમાં જ તે મશગુલ રહે છે. વિકાસની શરૂઆત એ પછી થાય છે. આટલે સુધી આત્મા માત્ર જોયા કરે છે. ઘૂંટણિયે પડીને કૂવા તરફ જનારા નાના બચ્ચાની પાછળ સતત નજર રાખતી મા જેમ ઊભી હોય છે તે પ્રમાણે આત્મા ઊભો હોય છે. શાંતિથી તે બધી ક્રિયાઓ જોયા કરે છે. આને उपद्रष्टाની, સાક્ષીરૂપે બધું જોયા કરનારની સ્થિતિ કહી છે.

23. આત્મા જુએ છે પણ હજી સંમતિ આપતો નથી. પરંતુ પોતાને કેવળ દેહરૂપ માનીને ક્રિયા કરનારો આ જીવ આગળ ઉપર જાગે છે. પોતે પશુના જેવું જીવન વિતાવે છે એ વાતનું તેનામાં ભાન જાગે છે. જીવ આમ વિચારવા લાગે છે એટલે નૈતિક ભૂમિકા શરૂ થાય છે. પછી યોગ્ય કે અયોગ્ય એવો સવાલ ડગલે ને પગલે ઊભો થાય છે. પછી માણસ વિવેક કરવા માંડે છે.તેની પૃથક્કરણાત્મક બુદ્ધિ જાગતી થાય છે. તેની સ્વૈર ક્રિયાઓ અટકી જાય છે. તેનામાં સ્વચ્છંદ રહેતો નથી ને સંયમ આવે છે.

24. આ નૈતિક ભૂમિકા પર જીવ પહોંચે છે એટલે પછી આત્મા કેવળ શાંત બેસી રહીને જોયા કરતો નથી. તે અંદરથી અનુમોદન આપે છે. અંદરથી ‘ શાબાશ ’ એવો ધન્યવાદનો અવાજ ઊઠે છે. હવે આત્મા કેવળ उपद्रष्टा ન રહેતાં अनुमन्ता થાય છે. ભૂખ્યો અતિથિ બારણે આવે અને તમે તમારી સામેની પીરસેલી થાળી તેને આપી દો પછી રાત્રે એ સત્કૃત્યનું સ્મરણ થાય તે વખતે જોજો તમને કેટલો બધો આનંદ થાય છે ! અંદરથી આત્મા ધીમેથી કહે છે, ‘‘ બહુ સારૂં કર્યું. ’’ મા દીકરાના વાંસા પર હાથ ફેરવી કહે કે, ‘ સારૂં કર્યું બેટા ’ તો દુનિયાની બધીયે બક્ષિસ પોતાને મળી ગઈ એમ તેને લાગે છે. તે જ પ્રમાણેહ્રદયસ્થ પરમાત્માનો ‘ શાબાશ બેટા ’ શબ્દ આપણને પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે. આ વખતે જીવ ભૌતિક જીવનમ છોડી નૈતિક જીવનની ભૂમિકા પર ઊભો હોય છે.

25. એની આગળની ભૂમિકા આ પ્રમાણેની છે. નૈતિક જીવનમાં કર્તવ્ય કરતાં કરતાં, માણસ મનના બધાયે મળ ધોઈ કાઢવાની કોશિશ કરે છે. પણ એવી કરતો કરતો તે થાકે છે. એ વખતે જીવ પ્રર્થના કરે છે કે, ‘ હે ઈશ્વર, મારા પ્રયત્નોની હવે પરાકાષ્ઠા થઈ. મને વધારે શક્તિ આપ, બળ આપ. ’ જ્યાં સુધી બધીયે કોશિશ થઈ રહેતી નથી અને પોતે એકલે હાથે હવે પહોંચી વળી શકે એમ નથી એવો નુભવ માણસને થતો નથી ત્યાં સુધી પ્રાર્થનાનો મર્મ તેના ધ્યાનમાં ઊતરતો નથી. પોતાની બધીયે શક્તિ ખરચી નાખવા છતાં તે પૂ રી પડતી નથી એમ જોઈ આર્ત થઈ ઈશ્વરને આંગણે દ્રૌપદીની માફક ધા નાખવી. પરમેશ્વરી કૃપાનું ઝરણું, એની સહાયનો ઝરો કાયમ વહ્યા કરે છે. જેને જેને તરસ લાગે તે સૌને ત્યાં જઈને પાણી પીવાનો હક છે. જેને ખોટ પડે તેણે માગી લેવું. આ ત્રીજી ભૂમિકા પર આવી જાતનો સંબંધ હોય છે. પરમાત્મા વધારે નજીક આવે છે. હવે ખાલી શબ્દોથી શાબાશ ન કહેતાં તે સહાય કરવાને દોડી આવે છે.

26. પહેલાં પરમેશ્વર આઘો ઊભો હતો. ગુરૂ શિષ્યને ‘ દાખલો કર ’ એમ કહીને આઘે ઊભો રહી જોયા કરે છે તેમ ભોગમય જીવનમાં જીવ ગૂંથાયેલો હોય છે ત્યારે આઘે રહીને પરમાત્મા તેને કહે છે, ‘ ઠીક છે, ચાલવા દે ધમપછાડા. ’ એ બાદ જીવ નૈતિક ભૂમિકાએ પહોંચે છે. એ વખતે પરમાત્માથી કેવળ તટસ્થ રહી શકાતું નથી. જીવને હાથે સત્કર્મ થાય છે એવું જોતાંવેંત તે આસ્તે રહીને ડોકાય છે ને કહે છે ‘ શાબાશ. ’ આમ સત્કર્મો થતાં થતાં ચિત્તના સ્થૂળ મળ દૂર થાય છે ને સૂક્ષ્મ મળ ધોવાનો વખત આવે છે અને જ્યારે તે બાબતમાં બધા પ્રયત્ન અધૂરા પડે છે ત્યારે આપણે પરમેશ્વરને સાદ પાડીએ છીએ. અને તે આપણને ‘ આ આવ્યો ’ એવો સામો જવાબ આપે છે. તે દોડી આવે છે. ભક્તનો ઉત્સાહ અધૂરો પડે છે એવું જોતાંની સાથે તે આવીને ઊભો રહે છે. જગતનો સેવક સૂર્યનારાયણ તમારે આંગણે ઊભેલ જ છે. પણ સૂર્ય બંધ બારણું વીંધીને અંદર દાખલ થતો નથી કેમકે તે સેવક છે. તે સ્વામીની મર્યાદા રાખે છે. તે બારણાને ધક્કા મારતો નથી. અંદર માલિક સૂતેલા હશે તો આ સૂર્યરૂપી સેવક તેની મર્યાદા રાખી બારણા બહાર ચૂપચાપ ઊભો જ હશે. પણ બારણું જરાક જ ખોલો એટલે પોતાનો બધો પ્રકાશ સામટો સાથે લઈને તે અંદર આવશે અને અંધારાને નસાડી મૂકશે. પરમાત્મા પણ એવો જ છે. તેની પાસે મદદ માગો કે હાથ ઊંચા કરી દોડી આવ્યો જાણો. કેડ પર હાથ રાખી ભીમાને કાંઠે તે સજ્જ થઈને ઊભો જ છે.

उभारूनि बाहे विठो पालवीत आहे ।।

બંન્ને હાથ ફેલાવી વિઠોબા ભેટવાને ઈશારો કરી રહેલો છે. આવાં વર્ણનો તુકારામ વગેરેએ કરેલાં છે. નાક ખુલ્લું રાખો કે હવા અંદર ગયા વગર રહેતી નથી. બારણું જરાસરખું ખોલો કે પ્રકાશ અંદર પેઠો જ જાણો. હવા અને પ્રકાશ એ બેના દાખલા પણ મને અધૂરા લાગે છે. તેમના કરતાંયે પરમેશ્વર વધારે નજીક રહેવાવાળો છે, વધારે ઉત્સુક છે. હવે તે ઉપદ્રષ્ટા ને અનુમન્તા ન રહેતાં भर्ता, બધી રીતે મદદ કરનારો થાય છે. મનના મળ ધોવાને વખતે અગતિક થઈ આપણે કહીએ છીએ કે, ‘ મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે, ’ ‘ तू ही एक मेरा मददगार है, तेरा आसरा मुझको दरकार है । ’ એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી તે દયાઘન આઘો ઊભો રહી જોયા કરશે ખરો કે ? ભક્તની વહારે ધાનારો પરમાત્મા, અધૂરૂં પૂરૂં કરવાવાળો તે પ્રભુ આગળ આવે છે. પછી તે રોહિદાસનાં ચામડાં ધોશે, સજન કસાઈનું માંસ વેચશે, કબીરનાં શેલાં વણશે અને જનાબાઈની ઘંટીએ બેસી તેને દળવા લાગશે.

27. આની આગળનું પગથિયું, પરમેશ્વરના કૃપાપ્રસાદથી કર્મનું જે ફળ મળ્યું હોય તે ફળ પણ આપણે સારૂ આપણી પાસે ન રાખતાં પરમેશ્વરને અર્પણ કરવાની ભૂમિકાનું આવે છે. જીવ ઈશ્વરને કહે છે, ‘ તારૂં ફળ તું જ લઈ લે. ’ ઈશ્વરે દૂધ પીવું જોઈએ વી નામદેવે હઠ પકડી. એ વાતમાં ખૂબ મીઠાશ રહેલી છે. એ બધુંયે કર્મફળરૂપી દૂધ નામદેવ ઈશ્વરને અર્પણ કરવા માગે છે. આ રીતે જીવનની આખીયે મૂડી, બધી કમાણી જેની કૃપાથી મળી તેને જ પાછી અર્પણ કરવાની છે. ધર્મરાજ સ્વર્ગમાં પગ મૂકવા જાય છે. ત્યાં તેમની સાથે ગયેલા કૂતરાને સ્વર્ગમાં દાખલ થવાની મનાઈ થાય છે. એટલે જીવનનાં બધાંયે પુણ્યના બદલામાં મળેલો સ્વર્ગલાભ ધર્મરાજ પલકવારમાં જતો કરે છે. એ જ પ્રમાણે ભક્ત પણ બધોયે ફળલાભ સામટો ઈશ્વરને અર્પણ કરે છે. उपद्रष्टा, अनुमन्ता અને भर्ता એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનારો એ પરમાત્મા હવે भोक्ता બને છે. શરીરમાં રહીને તે ખુદ પરમાત્મા ભોગ ભોગવી રહેલો હોય એવી ભૂમિકા પર જીવ ચડે છે.

28. આ પછી સંકલ્પ કરવાનુંયે છોડી દેવાનું છે. કર્મનાં ત્રણ પગથિયાં છે. પહેલાં આપણે સંકલ્પ કરીએ છીએ, પછી કાર્ય કરીએ છીએ અને પછી ફળ આવે છે. કર્મને માટે પ્રભુની મદદ લઈ જે ફળ મળ્યું તે ફળ પણ તેને જ અર્પણ કર્યું. કર્મ કરનારો પરમેશ્વર, ફળ ચાખનારો પરમેશ્વર અને હવે તે કર્મનો સંકલ્પ કરનારો પણ પરમેશ્વરને જ થવા દે. આમ કર્મના આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ બધે પ્રભુને જ રહેવા દે. જ્ઞાનદેવે કહ્યું છે,

‘ माळियें जेउतें नेलें । तेउतें निवांत चि गेलें
तया पाणिया ऐसें केलें । होआवें गा ।। ’

માળી જ્યાં લઈ જવા માગતો હોય ત્યાં શાંતિથી જનારા પાણી જેવો થા. માળીને પાણી જ્યાં જ્યાં લઈ જવું હોય ત્યાં તે વગર તકરારે જાય છે. માળીને ગમતાં ફૂલઝાડ અને ફળઝાડને તે પોષે છે. તે જ પ્રમાણે તારે હાથે શું થાય તે તેને , તે માળીને જ મક્કી કરવા દે. મારા ચિત્તમાં ઊઠતા બધાયે સંકલ્પોની જવાબદારી તેને જ સોંપવા દે. મારો પોતાનો ભાર મેં ઘોડાની પીઠ પર લાદ્યો છે તો પછી મારા બચકાનું વજન હું વળી મારે માથે લઈને શા સારૂ બેસું ? તેને પણ ઘોડાની પીઠ પર જ મૂકવા દે. મારે માથે વજન લઈ હું ઘોડા પર બેસું તોયે તેનો ભાર ઘોડાને જ છે. તો પછી ચાલ જીવ,બધો ભાર તેની પીઠ પર જ મૂકવા દે, મ જીવનની બધીયે ચળવળો, નાચકૂદ અને તેની બધીયે ખિલવણી કરનારો, બધું આખરે પરમેશ્વર જ થઈ રહે છે. તારા જીવનનો તે હવે ‘ महेश्वर ’ બને છે. આ રીતે વિકાસ પામતાં પામતાં આખુયે જીવન ઈશ્વરમય થાય છે. પછી માત્ર આ દેહનો પડદો આડો રહી જાય છે. તે પણ ઊડી જાય એટલે જીવ ને શિવ, આત્મા ને પરમાત્મા એક થઈ જાય છે.

29. આ રીતે ‘ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः – સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. પ્રભુ પહેલાં કેવળ તટસ્થપણે જોયા કરે છે. પછી નૈતિક જીવનની શરૂઆત થતા આપણે હાથે સત્કર્મો થવા માંડે છે એટલે તે શાબાશી આપે છે. પછી ચિત્તના સૂક્ષ્મ મળ ધોઈ કાઢવાને પોતાના પ્રયાસ અધૂરા પડે છે અને ભક્ત ધા નાખે છે ત્યારે અનાથનાથ વહારે ધાય છે. તે પછી ફળ પણ ઈશ્વરને અર્પણ કરી તેને જ ભોક્તા બનાવવાનો છે અને પછી બધાયે સંકલ્પો પણ તેને જ સોંપી દઈ આખું જીવન હરિમય કરવાનું છે. આવું માનવીનું આ છેવટનું સાધ્ય છે. કર્મયોગ અને ભક્તિયોગની બે પાંખો વડે ઊડતાં ઊડતાં સાધકે આવા પ્રકારની આ છેવટની મજલ પૂરી કરી આખરને મુકામે પહોંચવાનું છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

પરમાત્મશક્તિ પર ભરોસો – (72)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૨ – પરમાત્મશક્તિ પર ભરોસો

20. સારાંશ કે જ્યાં લગી દેહની આસક્તિ છે, જ્યાં સુધી દેહની બાબતમાં ડર છે ત્યાં સુધી સાચો બચાવ થવાનો નથી, ત્યાં સુધી કાયમ ધાસ્તી રહેવાની છે. જરા સૂતા એટલે સાપ આવીને ડંખ તો નહીં મારી જાય, ચોર આવીને મારો નિકાલ તો નહીં લાવે એવું લાગ્યા કરશે. માણસ સૂતી વખતે ઓશીકા આગળ લાકડી રાખે છે. શા માટે ? કહે છે, ‘ પાસે રાખવી સારી. ચોરબોર આવે તો કામ આવે. ’ અરે ભલા માણસ, ચોરે જ તે દંડો તારા માથામાં ઝીંક્યો તો ? ચોર લાઠી ભૂલી ગયો હોય એટલે તેને માટે તેં આગળથી તૈયારી રાખી છે એમ સમજ ! અરે, તું કોને ભરોસે ઊંઘી જાય છે તેનો તો વિચાર કર. ઊંઘતી વખતે તું કેવળ દુનિયાના હાથમાં હોય છે. તું જાગતો હશે તો પોતાનો બચાવ કરશે ને ? ઊંઘમાં તારો બચાવ કોણ કરશે?

21. હું કોઈ એક શક્તિ પર ભરોસો મૂકીને ઊંઘી જાઉં છું. જે શક્તિને ભરોસે વાઘ, ગાય વગેરે બધાં ઊંઘી જાય છે તે જ શક્તિ પર ભરોસો રાખીને હું પણ ઊંઘું છું. વાઘને પણ ઊંઘ આવે છે. આખી દુનિયાની સાથે જેણે વેર બાંધ્યું છે અને જે ઘડી ઘડી પાછું ફરીને જોતો રહે છે તે સિંહ પણ ઊંઘી જાય છે. પેલી શક્તિ પર વિશ્વાસ ન હોત તો થોડા સિંહ સૂઈ જાય અને થોડા જાગતા રહી પહેરો ભરે એવો કંઈક બંદોબસ્ત સિંહોને કરવો પડયો હોત. જે શક્તિ પર ભરોસો રાખી ક્રૂર એવા વાઘ, વરૂ, સિંહ વગેરે પણ નિરાંતે ઊંઘી જાય છે તે જ વિશ્વવ્યાપક શક્તિને ખોળે હું પણ સૂતો છું. માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે. તે બાળક તે વખતે જાણે આખી દુનિયાનો બાદશાહ હોય છે ! આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી જ રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ. જેના ધાર પર મારૂં આ આખું જીવન છે તે શક્તિનો મારે વધારે ને વધારે પરિચય કેળવવો જોઈએ. તે શક્તિ ઉત્તરોત્તર મને પ્રતીત થતી જવી જોઈએ. એ શક્તિને વિષે મને જેટલી ખાતરી થયેલી હશે તેટલું મારૂં રક્ષણ વધારે થશે. જેમ જેમ એ શક્તિનો મને અનુભવ થતો જશે તેમ તેમ મારો વિકાસ થતો જશે. આ તેરમા અધ્યાયમાં આ વાતનો થોડો ક્રમ બતાવવો પણ શરૂ કરેલો છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

જુલમી લોકોની સત્તા જતી રહી – (71)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૧ – જુલમી લોકોની સત્તા જતી રહી

17. દેહથી હું જુદો છું એ વાત જ્યાં સુધી આપણા ધ્યાનમાં ઊતરી નથી ત્યાં સુધી જુલમગાર લોકો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું બની શકે છે. એક રાક્ષસ હતો. તેણે એક માણસને પકડયો. રાક્ષસ તેની પાસે કાયમ કામ કરાવે. માણસ કામ ન કરે તો રાક્ષસ કહે, ‘‘ તને ખાઈ જઈશ, તને ગળી જઈશ. ’’ શરૂ શરૂમાં માણસને ધાક લાગતો. પણ પછી જ્યારે હદ થવા માંડી ત્યારે તેણે કહ્યું, ‘‘ ખાઈ જા, ખાવો હોત તો એક વાર ખાઈ નાખ. ’’ પણ પેલો રાક્ષસ તેને થોડો જ ખાવાનો હતો ? તેને તો ગુલામ નેકર જોઈતો હતો. માણસને ખાઈ જાય પછી તેનું કામ કોણ કરે ? દર વખતે ખાઈ જવાની ધમકી રાક્ષસ આપતો, પણ ‘ જા ખાઈ જા, ’ એવો જવાબ મળતાંની સાથે જુલમ અટકી ગયો. જુલમ કરવાવાળા લોકો બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે. એમના દેહને કષ્ટ આપીશું એટલે એ દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આ આસક્તિ તમે ચોડશો એટલે તાબડતોબ તમે સમ્રાટ બનશો, સ્વતંત્ર થશો. પછી સર્વ સામર્થ્ય તમારા હાથમાં આવશે. પછી તમારા પર કોઈની સત્તા ચાલશે નહીં. પછી જુલમ કરનારનો આધાર તૂટી જાય છે. ‘ હું દેહ છું ’ એ ભાવના મૂળમાં તેમનો આધાર હોય છે. તેમને લાગે છે કે આ લોકોના દેહને દુઃખ આપીશું એટલે એ લોકો આપણા તાબામાં રહેશે. તેથી જ એ લોકો હંમેશ ધાકધમકીની ભાષા વાપરે છે.

18. ‘ હું દેહ છું ’ એવી જે મારી ભાવના હોય છે તેને જ લીધે સામાને મારા પર જુલમ કરવાની, મને સતાવવાની ઈચ્છા થાય છે. પણ વિલાયતમાં થઈ ગયેલા શહીદ ક્રૅન્મરે શું કહ્યું હતું ? ‘ મને બાળવો છે ? બાળો. આ જમણો હાથ પહેલો બાળો ! ’ અથવા પેલા બે શહીદ લૅટિમર અને રીડલેએ શું કહ્યું ? ‘ અમને બાળો છો ? અમને બાળવાવાળા કોણ છે ? અમે તો ધર્મની એવી જ્યોત ચેતાવી રહ્યા છીએ કે જે કદી ઠરવાની નથી. દેહની આ મીણબત્તી, આ ચરબી સળગાવીને સત્ તત્વોની જ્યોત સળગતી રાખવાનું તો અમારૂં કામ છે. દેહ જશે. અને તે તો જવાનો જ છે.

19 . સૉક્રેટિસને ઝેર પાઈને મારી નાખવાની સજા ફરમાવવામાં આવી હતી. તે વખતે તેણે કહ્યું, ‘‘ હું હવે ઘરડો થયો છું. ચાર દહાડા પછી આ દેહ મરવાનો જ હતો. જે મરવાનો જ હતો તેને મારીને તમે લોકોએ શો પુરૂષાર્થ સાધ્યો તે તમે જાણો. પણ આ બાબતનો વિચાર તો કરશો કે નહીં ? દેહ મરવાનો છે એ નક્કી હતું. મરવાવાળી ચીજને તમે મારી તેમાં તમારી શી મોટાઈ ? ’’ જે દિવસે સૉક્રેટિસને મરવાનું હતું તેની આગલી રાતે આત્માના અમરપણાની વાત તે પોતાના શિષ્યોને સમજાવી રહ્યો હતો. પોતાના શરીરમાં ઝેર ફેલાઈ ગયા પછી શરીરને કેવી વેદના થશે તેની વાતો તે બહુ મોજથી કહેતો હતો. તેની તેને જરાયે ફિકર કે ચિંતા નહોતી. આત્માના અમરપણાની ચર્ચા પૂરી થયા બાદ એક શિષ્યે તેને પૂછ્યું, ‘‘ તમારા મરણ પચી તમને કેવી રીતે દાટીશું ? ’’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘‘ અરે ડાહ્યા, પેલા મને મારનારા ને તું મને દાટનારો ખરૂં ને ? પેલા મારનારા મારા વેરી ને તું દાટનારો મારા પર ભારે પ્રેમ રાખનારો, એમ ને ? પેલો પોતાના ડહાપણમાં મને મારશે ને તું તારા ડહાપણમાં મને દાટશે, એમ ને ? પણ અલ્યા, તું કોણ મને દાટનારો ? હું તમને બધાને દાટીને પાછળ રહેવાનો છું ! મને શામાં દાટશો ? માટીમાં દાટશો કે તપખીરમાં દાટશો ? મને કોઈ મારી શકતું નથી ; કોઈ દાટી શકતું નથી. મેં અત્યાર સુધી શું કહ્યું ? આત્મા અમર છે. તેને કોણ મારનાર છે ? કોણ દાટનાર છે ? ’’ અને ખરેખર, આજ અઢી હજાર વરસે તે મહાન સૉક્રેટિસ બધાયને દાટીને પાછળ જીવતો રહ્યો છે !

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

तत्वमसि – (70)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૦ – तत्वमसि

14. એથી ભગવાન આ તેરમા અધ્યાયમાં જે વિચાર રજૂ કરે છે તે બહુ કીમતી છે. ‘ તું દેહ નથી, તું આત્મા છે. ’ ‘ तत्वमसि ’,તે આત્મરૂપ તું છે એ બહુ મોટો પવિત્ર ઉદ્ગાર છે, પાવન અને ઉદાત્ત ઉચ્ચાર છે. સંસ્કૃત સાહિત્યમાં આ બહુ મોટો વિચાર ગૂંથી લેવામાં આવ્યો છે. ‘ આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી; પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે. ’ જે ક્ષણે ‘ તે તું છે ’ એ વિચાર માણસના અંતઃકરણમાં સ્ફુરશે, હું આ દેહ નથી, પેલો પરમાત્મા હું છું એ વિચાર તેના મનમાં ઊઠશે તે ક્ષણે એક પ્રકારનો અનનુભૂત આનંદ તેના મનમાં પેદા થશે. એ મારા રૂપનો નાશ કરવાનું આ સૃષ્ટિમાંની કોઈ ચીજથી બને એવું નથી. કોઈનામાં એ સામર્થ્ય નથી. આવો સૂક્ષ્મ વિચાર એ ઉદગારમાં ભરેલો છે.

15. દેહની પારનું અવિનાશી, નિષ્કલંક જે આત્મતત્વ તે હું છું. તે આત્મતત્વને ખાતર આ દેહ મને મળ્યો છે. જે જે વખતે પરમેશ્વરી તત્વ દૂષિત થતું હશે તે તે વખતે તેના બચાવને સારૂ હું આ દેહને ફેંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જવળ રાખવાને માટે દેહનો હોમ કરવાને હું હમેશ તૈયાર રહીશ. હું આ દેહ પર સવાર થઈને આવ્યો છું તે મારી આબરૂના કાંકરા ઉડાવવાને માટે નથી આવ્યો. દેહ પર મારી હકુમત ચાલવી જોઈએ. હું દેહને વાપરીશ અને હિત ને મંગળ બંનેને સમૃદ્ધ કરીશ. ‘ आनंदे भरीन तिन्ही लोक, ’ ત્રણે લોકને આનંદથી ભરી દઈશ. મહાન તત્વોને ખાતર આ દેહને હું ફેંકી દઈશ અને ઈશ્વરનો જયજયકાર ફેલાવીશ. તાલેવંત માણસ એક વસ્ત્ર મેલું થતાં તેને ફેંકી દઈ બીજું લે છે તેમ હું પણ કરીશ. કામને માટે આ દેહનો ઉપયોગ છે. જ્યારે આ દેહ કામ આપે એવો નહીં રહે ત્યારે એને ફેંકી દેવામાં મને જરાયે વાંધો આવવાનો નથી.

16. સત્યાગ્રહમાં આપણને આ જ કેળવણી મળે છે. દેહ અને આત્મા બે અલગઅલગ ચીજો છે આ વાત માણસના ધ્યાનમાં આવશે, એમાંનો મર્મ જ્યારે તે ઓળખશે તે જ વખતે તેની સાચી કેળવણીની, તેના સાચા વિકાસની શરૂઆત થઈ જાણવી. તે જ વખતે સત્યાગ્રહ સધાશે. એથી આ ભાવના દરેક જણે કેળવી બરાબર દિલમાં ઠસાવવી. દેહ નિમિત્તમાત્ર સાધન છે, પરમેશ્વરે આપણને બક્ષેલું હથિયાર છે. જે દિવસે એનો ઉપયોગ પૂરો થાય તે દિવસે આ દેહને ફેંકી દેવાનો છે. શિયાળામાં વાપરવાનાં ગરમ કપડાં આપણે ઉનાળામાં ફેંકી દઈએ છીએ. રાત્રે ઓઢેલા કામળા આપણે સવારે કાઢી નાખીએ છીએ, સવારનાં કપડાં બપોરે ઉતારી નાખીએ છીએ, તેવું જ આ દેહનું છે. જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાને ઉતારીને ફેંકી દઈશું. આત્માના વિકાસને માટે આ યુક્તિ ભગવાન અહીં બતાવી રહેલા છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે – (69)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૬૯ – દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે

10. દેહ એટલે જ હું વી જે ભાવના બધે ઠેકાણે ફેલાઈ રહેલી છે તેને લીધે કશોયે વિચાર ન કરતાં આ દેહને વધારવાને માટે માણસે તરેહતરેહનાં સાધનો નિર્માણ કર્યાં છે. એ જોઈને મનમાં ડર લાગે છે. આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબૂત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે. પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી, ક્યાં સુધી સાચવી રખાશે ? બહુ તો મરીએ ત્યાં સુધી. મરણની ઘડી આવી એટલે એક ક્ષણભર પણ દેહ ટકાવી શકાતો નથી. મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે. આ તુચ્છ દેહને સારૂ તરેહતરેહનાં સાધનો માણસ નિર્માણ કરે છે. આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે. હવે તો માણસે કહેવા માંડ્યું છે કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી. માણસનો આ દેહ જાણે ઘણો કીમતી ! તેને બચાવવાને સારૂ માંસ ખાઓ ! જાનવરના શરીરની કિંમત ઓછી. શા સારૂ ઓછી ? માણસનો દેહ કીમતી શાથી ઠર્યો ? કયાં કારણોસર કીમતી સાબિત થયો ? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે. સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતાં નથી. પણ માણસ તેમ કરતો નથી. માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કીમતી છે. પણ જે કારણસર માણસનો દેહ કીમતી સાબિત થાય છે તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે. અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે. પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે. એટલા જ કારણસર મનખાદેહને દુર્લભ કહ્યો છે. પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઈમારત ઊભી કેમ રહેશે ? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે. જે ડાળ પર હું બેઠો હોઉં તેને જ કાપવાની હું કોશિશ કરૂં તેવું એ થયું.

11. વૈદકશાસ્ત્ર તો વળી તરેહતરેહના ચમત્કારો કરતું જાય છે. જાનવરો પર વાઢકાપ કરીને તેમનાં શરીરમાં, જીવતાં પશુઓનાં શરીરોમાં રોગનાં જંતુ પેદા કરવામાં આવે છે અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે ! જીવતાં જાનવરોના આવા હાલહવાલ કરી, તેમને આમ રિબાવી જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે. અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે ! પેલાં જાનવરોનાં શરીરોમાં રોગનાં જંતુ નિર્માણ કરી, તેની રસી બનાવી, તે કાઢી લઈ માણસોનાં શરીરોમાં મૂકવામાં આવે છે ! આવા તરેહતરેહના ભીષણ પ્રયોગો કરવામાં આવે છે. જે દેહને સારૂ આ બધું ચાલે છે તે તો ક્ષણવારમાં ફૂટી જનારા કાચના જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાયે ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે. પણ છેવટે અનુભવ શો થાય છે ? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે એવી પ્રતીતિ થાય છે. તે છતાં દેહને વધારવાના માણસોના પ્રયાસો ચાલુ છે.

12. કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારૂં થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ, એ વાત તરફ માણસ જરાયે જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત તે જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાવી શકાય એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે. પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પર વળગાવેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે અને આ શરીર પાછું પહેલાંના જેવું ત્યાંનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝિલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું ? શરીર આટલું બધું, લચી પડે તેમ વધારવાથી ફાયદો શો ? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે. તે સાધનને બરાબર કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું. યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન , ‘ યંત્રાભિમાન ’ જેવું કંઈ હોય ખરૂં કે ? તો પછી આ દેહયંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારૂ ન હોય ?

13. ટૂંકમાં, દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે. પણ ના. એ કપડું સુંવાળું જોઈએ, તેના પર વેલબુટ્ટા, ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજુરી કરાવું છું. એ બધું શા સારૂ ? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી ? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત કે ? એ તેનાથી બને એવું નહોતું કે ? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાંનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત. પણ ઈશ્વરે માણસોને એકરંગી રાખ્યાં છે. તેના પર જરા બીજા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઊડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવદેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવું તેવું છે ? એ અસાધારણ સૌંદર્યને નીરખવું એટલું જ માણસનું કામ છે. પણ તે ભુલાવામાં પડ્યો. કહે છે જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલાં તારા મનનો રંગ મરી ગયો પછી તને આ કૃત્રિમ રંગોની હોંસ થવા માંડી. તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહ શણગારવાને છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હ્રદય સુંદર બનાવવું એ બધું આઘું રહી ગયું છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Spiritual Diary, Jan – 25

January 25
Introspection

કોઈ પણ વસ્તુ કે જેના વિશેની જાણકારી હોય તેના સંબધિત સ્પંદનો તમારામાં હોય છે. જેઓ બીજી વ્યક્તિઓમાં દૂષણો જોવામાં અને તે બાબતે અભિપ્રાય બાંધવામાં ઝડપી હોય છે, તે દૂષણોના બીજ તેના પોતાનામાં પડેલા હોય છે. પવિત્ર અને ઉચ્ચ સ્પંદનોના મનોભાવવાળી દેવતૂલ્ય વ્યક્તિ જેનો સંપર્ક કરે છે, તેનામાંના પ્રભુના તણખાથી હંમેશા સચેત હોય છે અને તેના સ્પંદનોના ક્ષેત્રમાં જે કોઈ આવે તેના સ્પંદિત બળને તેના ચુંબકીય આત્મીય સ્પંદનો વડે વધુ તિવ્રતાથી ખેંચે છે.

Anything of which you are cognizant has a relative vibration within yourself. One who is quick to see and judge evil in other persons has the seed of that evil within himself. The God-like person of pure and high vibrational tone is always aware of the God-spark in all he contacts, and his magnetic soul vibration draws to greater intensity that vibrational force in those who come within his vibrational range.

Sri Sri Paramahansa Yogananda,
“Yogoda Satsanga Lessons”

Categories: Spiritual Diary | Leave a comment

સુધારણાનો મૂળ આધાર – (68)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૬૮ – સુધારણાનો મૂળ આધાર

5. સારગ્રાહી દ્રષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે. બચપણથી એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારૂં થાય ! આ વિષય પચાવવા જેવો છે, આ દ્રષ્ટિ સ્વીકારવા જેવી, કેળવવા લાયક છે. ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મવિદ્યાનો જીવનના વહેવાર સાથે કશો સંબંધ નથી. અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તોયે હોવો ન જોઈએ. દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય. એ કેળવણીના ક્ષેત્રની બાબત છે. અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડયા કરે છે. ‘ કેવળ દેહરૂપ હું છું ’ એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી. દેહને જ બધાયે લાડ લડાવવામાં આવે છે. આટલાં આટલાં લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવું જોઈએ તે ક્યાંયે જોવાનું નથી મળતું તે નથી જ મળતું. આ દેહની આજે આવી ફોગટ પૂજા ચાલી રહેલી છે. આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાયે નથી. કેળવણીને લીધે એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે. દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાત દહાડો કરવામાં આવે છે. છેક નાનપણથી આ દેહદેવની પૂજાઅર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે. પગને સહેજ ક્યાંક ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે, છોકરાંઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાનીયે જરૂર લાગતી નથી. જરા છોલાય તો તેની તે ફિકર કરતાં નથી; અરે, તેની તેમને ખબર સરખી રહેતી નથી. પણ છોકરાંના જે વાલી હોય છે, પાલક હોય છે તેમને એટલાથી ચાલતું નથી. વાલી છોકરાને પાસે બોલાવીને કહેશે, ‘ ભાઈ, કેમ છે ? કેટલું વાગ્યું ? અરે, બહુ વાગ્યું લાગે છે ! લોહી નીકળ્યું, ખરૂં ! ’ આવી શરૂઆત કરીને તે છોકરો રડતો નહીં હોય તેને રડાવશે. ન રડનારા છોકરાને રડાવવાનાં આ જે લક્ષણો છે તેને માટે શું કહેવું ? કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, છોલાશે, એવું એક બાજુનું, ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે.

6. છોકરાંની કદર કરવાની હોય તો તે પણ તેના દેહની બાજુ પૂરતી જ થાય છે. તેની નિંદા કરવાની હોય તો પણ તે જ, દેહની બાજુની જ. ‘ કેમ અલ્યા લીંટિયા ! ’ એવું કહીને તેને વઢે છે. એથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે ! તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે ! તેના નાકમાં લીંટ હોય છે એ વાત સાચી. અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી. પણ તે સહેજે ન સાફ કરતાં તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે ! તે બિચારાથી તે સહન થઈ શક્તો નથી. તેને ખેદ થાય છે. તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા, નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર આ કેટલો બધો ખોટો નાહકનો આરોપ ! ખરૂં જોતાં તે છોકરો લીંટિયો નથી. અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે. તેનો અંશ તેનામાં છે. પણ તેને કહે છે ‘ લીંટીયો ! ’ એ લીંટની સાથે તેનો એવો શો સંબંધ છે ? તે છોકરાને તે સમજાતુંયે નથી. આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી. તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે. અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી. તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ.

7. પણ આથી ઊલટાં કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ. શિક્ષણશાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ. હું જેને શીખવું છું તે સર્વંગસુંદર છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. દાખલો કરતાં ન આવડે તો છોકરાને મારે છે. તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શો સંબંધ છે ? નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે. તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે ? રક્તનું એ જોરથી થતું ભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરૂં કે ? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારૂં છું. આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું. એથી તેનું જીવન ભયની, દહેશતની લાગણી પર ઊભું કરવામાં આવે છે. સાચો સુધારો થવાનો હશે, તો તે આવી જબરજસ્તીથી, દેહાસક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી. આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ.

8. દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. ‘ હું ’ જે છું તે દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ એટલે કે ખામી વગરનો એવો છું. પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મપરીક્ષણ કરે છે તે આત્મપરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે. કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી. ગુસ્સો ન કરતાં આ શરીરરૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે. જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી. આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ સુધારો થશે. મારા રેંટિયામાં કોઈ ખામી બતાવે તો હું તેના પર ચિડાઉં ખરો કે ? ખામી હોય તો તે હું દૂર કરૂં છું. એવું જ આ દેહનું છે. જેવાં ખેતીનાં ઓજારો હોય છે તેવો આ દેહ છે. પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે. એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ. દેહ સાધનરૂપે ખડો છે. આ દેહથી અળગા રહીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ. આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું. હું સ્વામિ છું, માલિક છું. આ દેહ પાસે વૈતરૂં કરાવનારો, તેની પાસેથી સારામાં સારૂં કામ લેનારો છું. છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ.

9. રમતથી અળગો રહેનારો ત્રયસ્થ જેમ રમતમાં રહેલી ખામી-ખૂબી બરાબર જોઈ શકે છે તે જ પ્રમાણે દેહ, મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે. કોઈ માણસ કહે છે, ‘ હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે. એનો શો ઈલાજ કરવો ? ’ માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણશક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે. તે કહે છે, ‘ મારી સ્મરણશક્તિ બગડી છે. ’ એટલે કે તેનું કોઈક સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે. કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે ; પણ કી જાતે ખોવાઈ જાય એવું બનતું નથી. છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે, પણ તે પોતે અંદરથી નામનોયે બગડ્યો હોતો નથી ; તે અવ્યંગ હોય છે, નીરોગી હોય છે. આ વાત ખરેખર સમજવા જેવી છે અને એ બરાબર સમજાય તો ઘણીખરી ભાંજગડનો અંત આવે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ – (67)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૬૭ – કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ

1. વ્યાસે પોતના જીવનનો સાર ભગવદગીતામાં રેડ્યો છે. વ્યાસે વિસ્તારપૂર્વક બીજાં લખાણો ઘણાં કર્યાં છે. એકલી મહાભારતની સંહિતાના શ્લોકો લાખ સવાલાખ છે. સંસ્કૃત ભાષામાં વ્યાસ શબ્દનો અર્થ જ મૂળમાં ‘ વિસ્તાર ’ એવો થઈ ગયો છે. પણ ભગવદગીતામાં વ્યાસની વિસ્તાર કરવાની વૃત્તિ નથી. ભૂમિતિમાં યુક્લિડે જેમ તત્વો બતાવ્યાં, સિદ્ધાંતો જણાવ્યા તેમ વ્યાસદેવે જીવનને ઉપયોગી તત્વો નોંધ્યા છે. ભગવદગીતામાં વિશેષ ચર્ચા નથી, વિસ્તાર, ફેલાવો, કશું નથી. એનું મુખ્ય કારણ એવું છે કે ગીતામાં જે બાબતો રજુ કરવામાં આવી છે તેમનો જીવનમાં હરેક જણ જાતે તપાસી તાળો મેળવી શકે છે. એ બાબતો એ રીતે ચકાસીને તાળો મેળવવાને ખાતર કહેવામાં આવી છે. જીવનને ઉપયોગી જેટલી ચીજો છે તેટલી જ ગીતામાં કહી છે. એ બાબતો કહેવાનો ઉદ્દેશ આટલો જ હતો. તેથી ટૂંકમાં તત્વો નોંધી ભગવાન વ્યાસે સંતોષ માન્યો છે. એમની એ સંતોષવૃત્તિમાં સત્ય પરનો અને આત્માનુભવ પરનો એમનો ભારે વિશ્વાસ આપણને જોવાનો મળે છે. જે ચીજ સત્ય છે તેના મંડનને સારૂ ખાસ દલીલ કે વધારે યુક્તિની જરૂર રહેતી નથી.

2. જે જે વખતે આપણને ગીતાની મદદની જરૂર પડે તે તે વખતે ગીતા પાસેથી આપણને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશથી આપણે અત્યારે ગીતા તરફ જોઈએ છીએ. એવી મદદ આપણને હંમેશ મળી રહે તેવી છે. ગીતા જીવનોપયોગી શાસ્ત્ર છે. તેથી જ ગીતામાં સ્વધર્મની વાત પર ભાર મૂક્યો છે. સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. એ પાયો જેટલો દ્રઢ હશે તેટલી ઈમારત ટકી રહેશે. આ સ્વધર્માચરણને ગીતાએ કર્મ કહ્યું છે. એ સ્વધર્માચરણરૂપ કર્મની ફરતે અનેક વસ્તુઓ ગીતાએ ઊભી કરી છે; તેના રક્ષણને માટે અનેક વિકર્મો રચ્યાં છે. સ્વધર્માચરણને શણગારવા ને તેને રૂડું રૂપાળું, સુંદર બનાવવાને માટે, તેને સફળ કરવાને માટે જે જે મદદની અપેક્ષા હોય તે બધી મદદ, તે બધો આધાર, બધો ટેકો આ સ્વધર્માચરણરૂપ કર્મને આપવો જરૂરી છે. એથી આપણે અત્યાર સુધીમાં ઘણી બાબતો જોઈ ગયા. તેમાંની ઘણીખરી ભક્તિના સ્વરૂપની છે. આજે તેરમા અધ્યાયમાં જે બાબત જોવાની છે તે પણ સ્વધર્માચરણને ઘણી ઉપયોગી છે. એ બાબત વિચારના ક્ષેત્રની છે.

3. સ્વધર્માચરણ કરવાવાળાએ ફળનો ત્યાગ કરવો એ મુખ્ય વાત ગીતામાં બધે ઠેકાણે કહી છે. કર્મ કરવું ને તેનું ફળ છોડવું. ઝાડને પાણી પાવું, તેને માવજત કરી ઉછેરવું પણ તેના છાંયડાની, તેનાં ફૂલોની, તેનાં ફળની પોતાને માટે અપેક્ષા ન રાખવી. આવો એ સ્વધર્માચરણરૂપ કર્મયોગ છે. કર્મયોગનો અર્થ કેવળ કર્મ કરવું એટલો નથી. કર્મ આ સૃષ્ટિમાં સર્વત્ર ચાલી રહેલું છે. તે કહેવાની જરૂર નથી; પણ ખાલી કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ બરાબર કરતા રહી તેનું ફળ છોડી દેવું એ વાત બોલવામાં સહેલી છે, સમજવામાંય સહેલી હશે પણ આચરવી અઘરી છે. કારણકે ફળની વાસનાને જ મૂળમાં કાર્યને પ્રેરનારી શક્તિ માનેલી છે. ફળની વાસના છોડી કર્મ કરવું એ ઊલટો રસ્તો છે. વહેવારમાં, સંસારમાં જે વર્તન છે તેનાથી આ અવળી ક્રિયા છે. જે કોઈ પુષ્કળ કર્મ કરે છે તેના જીવનમાં ગીતાનો કર્મયોગ છે એમ આપણે ઘણી વાર કહીએ છીએ. પુષ્કળ કર્મ કરી છૂટનારનું જીવન કર્મયોગમય છે એવું આપણે બોલીએ છીએ. પણ આવો શબ્દપ્રયોગ આપણી ભાષાના ઢીલાપણાને લીધે આપણે કરીએ છીએ. ગીતાની વ્યાખ્યા મુજબનો એ કર્મયોગ નથી. કર્મ કરવાવાળા લાખો લોકોમાંથી, માત્ર કર્મ નહીં, સ્વધર્માચરણરૂપ કર્મ કરવાવાળા લાખોમાંથી પણ ગીતામાં કહેલા કર્મયોગનું આચરણ કરનારો બહુ તો એકાદ મળશે. કર્મયોગના સૂક્ષ્મ અને સાચા અર્થમાં જોઈએ તો એવો સંપૂર્ણ કર્મયોગી મળવો વિરલો છે. કર્મ કરવું અને તેનું ફળ છોડી દેવું, એ વસ્તુ તદ્દન અસામાન્ય છે. ગીતામાં અત્યાર સુધી આ જ પૃથક્કરણ રજૂ થયું છે.

4. એ જ પૃથક્કરણને ઉપયોગી એવું બીજું એક પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં બતાવ્યું છે. કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી એ જે પૃથક્કરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથક્કરણ દેહ ને આત્માનું છે. એ પૃથક્કરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. આંખ વડે આપણે રૂપ જોઈએ છીએ. તે રૂપને આપણે મૂર્તિ, આકાર, દેહ કહીને ઓળખાવીએ છીએ. બાહ્ય મૂર્તિ અથવા આકારનો પરિચય આપણને આંખ વડે થાય છે ખરો પણ વસ્તુના અંતરમાંયે આપણે પ્રવેશ કરવો પડે છે. ફળની ઉપરની છાલ કાઢીને અંદરનો ગર આપણે ચાખવો પડે છે. નાળિયેરમાં પણ તેને ફોડીને અંદર શું છે તે જોવું પડે છે. ફણસની બહારની છાલ પર કાંટા દેખાય છે પણ અંદર મજાનાં રસાળ મીઠાં ચાંપાં હોય છે. પોતાની જાત તરફ જોવાનું હોય કે બીજાના તરફ જોવાનું હોય, પણ આ અંદરનું ને બહારનું પૃથક્કરણ જરૂરી હોય છે અને કર્યા વગર ચાલતું નથી. ઉપરની છાલ અથવા કાચલી દૂર કરવી એ વાતનો અર્થ શો ? એનો અર્થ એટલો કે દરેક ચીજનું બાહ્ય રૂપ અને અંદરના ગરનું પૃથક્કરણ કરવું. બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. સ્વધર્માચરણનું બહારનું ફળ એવો આ જે દેહ તે ફેંકી દેવો, છોડવો જોઈએ અને અંદરનો ચિત્તશુદ્ધિરૂપ, સારભૂત જે આત્મા તેનો સ્વીકાર કરવો જોઈએ, તેને વહાલો કરવો જોઈએ. આ પ્રમાણે જોવાની ટેવ, દેહને બાજુએ કરીને હરેક ચીજમાં રહેલો સાર પકડવાની સારગ્રાહી દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ. આંખને, મનને, વિચારને આવી કેળવણી આપવી જોઈએ, આવી ટેવ પાડવી જોઈએ, આવો મહાવરો પાડવો જોઈએ. હરેક ઠેકાણે આપણે દેહને જુદો પાડી આત્માની પૂજા કરીએ. વિચારને માટે આ પૃથક્કરણ તેરમા અધ્યાયમાં રજૂ કર્યું છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Spiritual Diary, Jan – 23

January 23
Introspection

માનસિક રોજનીશી રાખવી એ સારો વિચાર છે. રાત્રિએ સૂતા પહેલા ટૂંક સમય માટે બેસો અને સરવૈયુ કાઢો. તમે શું બનો છો તે જુઓ. તમારા જીવનની રૂખ તમને પસંદ છે? જો નહીં તો બદલો.

It is a good idea to keep a mental diary. Before you go to bed each night, sit for a short time and review the day. See what you are becoming. Do you like the trend of your life? If not, change it.

Sri Sri Paramahansa Yogananda,
“Sayings of Paramhansa Yogananda”

Categories: Spiritual Diary | Leave a comment

Blog at WordPress.com.