ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૩ – અધિકારભેદની ભાંજગડ નથી
9. કૃષ્ણના આખા જીવનમાં બાળપણ બહુ મીઠું. બાળકૃષ્ણની ખાસ ઉપાસના છે. તે ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા જાય, તેમની સાથે ખાયપીએ ને તેમની સાથે હસેરમે. ગોવાળિયા ઈંદ્રની પૂજા કરવા નીકળ્યા ત્યારે તેણે તેમને કહ્યું, ‘ એ ઈંદ્રને કોણે દીઠો છે ? તેના શા ઉપકાર છે ? આ ગોવર્ધન પર્વત તો સામો પ્રત્યક્ષ દેખાય છે. તેના પર ગાયો ચરે છે. તેમાંથી નદીઓ વહે છે. એની પૂજા કરો. ’ આવું આવું તે શીખવે. જે ગોવાળિયા સાથે તે રમ્યો, જે ગોપીઓ સાથે તે બોલ્યો, જે ગાયવાછરડાંમાં તે રંગોયો, તે સૌને તેણે મોક્ષ મોકળો કરી આપ્યો. અનુભવથી કૃષ્ણ પરમાત્માએ આ સહેલો રસ્તો બતાવેલો છે. નાનપણમાં તેનો ગાય સાથે સંબંધ બંધાયો, મોટપણમાં ઘોડા સાથે. તેની મોરલીનો નાદ સાંભળતાંની સાથે ગાયો ગળગળી થઈ જતી અને કૃષ્ણનો હાથ પીઠ પર ફરતાંની સાથે ઘોડા હણહણી ઊઠતા. તે ગાયો ને તે ઘોડા કેવળ કૃષ્ણમય થઈ જતાં. पापयोनि ગણાતાં એ જાનવરોને પણ જાણે કે મોક્ષ મળી જતો. મોક્ષ પર એકલા માનવોનો હક નથી. પશુપક્ષીઓનો પણ છે એ વાત શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી છે. તેણે જીવનમાં એ વાતનો અનુભવ કર્યો હતો.
10. જે ભગવાનનો તે જ વ્યાસનો અનુભવ હતો. કૃષ્ણ અને વ્યાસ બંને એકરૂપ છે. બંનેના જીવનનો સાર એક જ છે. મોક્ષ વિદ્વતા પર, કર્મકલાપ એટલે કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદીભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રીઓ ‘ હું ’ ‘ હું ’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દઈ તેમની આગળ નીકળી ગઈ છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં ‘ જનક-સુલભા-સંવાદ ’ નામે એક પ્રકરણ છે. જનક રાજા જ્ઞાનને સારૂ એક સ્ત્રી પાસે જાય છે એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. તમારે જોઈએ તો સ્ત્રીઓને વેદનો અધિકાર છે કે નથી એ મુદ્દાની ચર્ચા કર્યા કરો. પણ સુલભા ખુદ જનકને બ્રહ્મવિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે. અને જનક કેવડો મોટો સમ્રાટ ! કેટકેટલી વિદ્યાથી સંપન્ન ! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાના ચરણ પકડાવ્યા છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય. પેલો જાજલિ બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારૂ જાય છે, તુલાધાર કહે છે, ‘ ત્રાજવાંની દાંડી સીધી રાખવામાં મારૂં બધું જ્ઞાન છે. ’ તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં કસાઈ, પશુઓને મારી સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરૂએ વ્યાધની પાસે જવાને કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી. કસાઈ તે કેવુંક જ્ઞાન આપવાનો હતો ? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો ? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો, સાફ કરી વેચવાને ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું, ‘ મારું આ કર્મ જેટલું થઈ શકે તેટલું હું ધર્મમય કરૂં છું. જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરૂં છું અને માબાપની સેવા કરૂં છું ’ આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઊભી કરી છે.
11. મહાભારતમાં આ જે સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો એ બધાંની કથાઓ આવે છે તે સર્વ કોઈને માટે મોક્ષ ખુલ્લો છે એ બીના સાફ દેખાય તેટલા સારૂ છે. તે વાર્તાઓમાંનું તત્વ આ નવમા અધ્યાયમાં કહેલું છે. તે વાર્તાઓ પર આ અધ્યાયમાં મહોર મરાઈ. રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે જ પેલા વ્યાધના જીવનમાં છે. તુકારામ મહારાજ અહિંસક હતા, પણ સજન કસાઈએ કસાઈનો ધંધો કરતાં કરતાં મોક્ષ મેળવ્યો તેનું ખૂબ હોંશથી તેમણે વર્ણન કર્યું છે. બીજે એક ઠેકાણે તુકારામે પૂછ્યું છે, ‘ પશુઓને મારનારાઓની હે ઈશ્વર, શી ગતિ થશે ? ’ પણ ‘ सजन कसाया विकुं लागे मांस. ’ – સજન કસાઈને માંસ વેચવા લાગતો એ ચરણ લખીને ભગવાન સજન કસાઈને મદદ કરે છે એવું એમણે વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકરાનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આણનારો, દામાજીને ખાતર ઢેડ બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવાખાંડવામાં હાથ દેનારો, એવો એ ભગવાન સજન કસાઈને પણ તેટલા જ પ્રેમથી મદદ કરતો એમ તુકારામ કહે છે. ટૂંકમાં, બધાંને કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ જ છે.