Daily Archives: 08/12/2008

એકાગ્રતા કેમ સાધવી – (27)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૨૭ – એકાગ્રતા કેમ સાધવી

8. એકાગ્રતા જોઈએ તો ખરી, પણ તે કરવી કેવી રીતે ? તે સારૂ શું કરવું જોઈએ ? ભગવાન કહે છે, આત્મામાં મન પરોવી न किंचिदपि चिंतयेत् – બીજા કશાનું ચિંતન ન કરવું. એ વાત સધાય કેવી રીતે ? મન નિવાંત, શાંત, સ્વસ્થ કરવાની વાત બહુ મહત્વની છે. વિચારનાં ચક્રો જોર કરીને ફરતાં અટકાવ્યા વગર એકાગ્રતા કેવી ? બહારનું ચક્ર ગમે તેમ એક વાર ફરતું અટકાવી શકાય, પણ અંદર ચક્ર ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારનાં સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધારે ને વધારે જોરથી ફરવા માંડે છે. તમારે જોઈએ તો આસન વાળો, ટટાર બેસો, નજર સ્થિર કરો, પણ એટલાથી મનને એકાગ્ર નહીં કરી શકાય. મુખ્ય વાત એ છે કે મનની અંદરનું ચક્ર ફરતું બંધ કરતાં આવડવું જોઈએ.

9. બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે. તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ. પણ એમ ન થવું જોઈએ. જેમ બીજાને ન લૂંટતાં પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખરચે તેમ આપણા આત્માની જ્ઞાનશક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી ન નાખીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણમોલ મૂડી છે. પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ. આ શાક સારૂં થયું નથી એમાં મીઠું ઓછું પડ્યું છે. કેટલી રતી અલ્યા ઓછું પડ્યું ? મીઠાની અરધી કણી ઓછી પડી એ મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે. નાના છોકરાંને નિશાળની ચાર દિવાલ વચ્ચે ગોંધીને ભણાવે છે. ઝાડ નીચે લઈ જઈને બેસાડીએ તો કહે છે કે કાગડા ને ચકલાં જોઈને તેમનું મન એકાગ્ર નહીં થાય ! આખરે નાનાં છોકરાં રહ્યાં ! કાગડા ને ચકલાં જોવાનાં ન મળે એટલે થઈ ગઈ તેમની એકાગ્રતા ! પણ અમે થયા ખાસા ઘોડા જેવા. અમને શિંગડાં ઊગ્યાં. સાત સાત દીવાલની પાચળ અમને પૂરો તોયે અમારી એકાગ્રતા નહીં થાય. કારણકે દુનિયાની ઝીણામાં ઝીણી વાતને અમારે ચર્ચા કરવાની રહી ! જે જ્ઞાન ખુદ પરમેશ્વર સુધી પહોંચી શકે તે શાકના સ્વાદની ચર્ચા કરવામાં અમે બગાડીશું ને તેમાં જ કૃતાર્થતા પણ માનીશું !

10. આવો આ ભયાનક સંસાર રાત ને દિવસ આપણી અંદર ને બહાર ઘુઘવાટા મારે છે. પ્રાર્થના અથવા ભજન કરવામાં પણ આપણો હેતુ બાહ્ય હોય છે. પરમેશ્વર સાથે તન્મય થઈ, ચાલો એક ક્ષણભર પણ સંસારને ભૂલી જઈએ એવી આપણી ભાવના નથી. પ્રાર્થના પણ એક દેખાવ, એવી જ્યાં મનની સ્થિતિ હોય ત્યાં આસન વાળી બેઠા તોયે શું ને આંખો મીંચી તોયે શું ? બધું ફોગટ છે. મન એક સરખું બહાર દોડ્યા કરે છે તેથી માણસનું બધું સામર્થ્ય નાશ પામે છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, નિયંત્રણશક્તિ માણસમાં રહેતી નથી. આ વાતનો અનુભવ આપણા દેશમાં આજે ડગલે ને પગલે થાય છે. ખરૂં જુઓ તો ભારતવર્ષ એટલે પરમાર્થની ભૂમિ. અહીંના માણસો મૂળથી જ ઊંચા વાતાવરણમાં રહેનારાં મનાય છે. પણ એ જ દેશમાં તમારી અને અમારી, આપણી શી દશા થઈ તે જુઓ ! છેક નાની નાની બાબતોમાં આપણે એટલું ઝીણું ઝીણું કાંતીએ છીએ કે તે જોઈને ખરેખર ખેદ થાય છે. નજીવા વિષયોમાં મન ગૂંથાઈ રહેલું છે.

‘ कथा पुराण ऐकतां । झोपें नाडिलें तत्वतां खाटेवरी पडतां ।
व्यापी चिंता तळमळ ऐसी गहन कर्मगति । काय तयासी रडती ।। ’

કથાપુરાણ સાંભળવા જઈએ છીએ ત્યાં ખરેખર ઊંઘ આવી જાય છે, અને ખાટલા પર જઈને પડીએ છીએ ત્યારે મન ફિકરચિંતાથી ઘેરાઈ જાય છે. કર્મની એવી ગહન ગતિ છે તેનું રડવું શું ? કથાપુરાણ સાંભળવાને જાઓ છો તો ઊંઘ ચડી બેસે છે, અને ઊંઘને શોધવા નીકળો છો તો ત્યાં ચિંતા ને વિચારનું ચક્કર ફરવા માંડે છે. એક તરફ શૂન્યાગ્રતા છે ને બીજી તરફ અનેકાગ્રતા છે. એકાગ્રતા ક્યાંયે નથી. એટલો માણસ ઈન્દ્રિયોનો ગુલામ બન્યો છે. એક વાર એક જણે મને પૂછ્યું, ‘ આંખ અર્ધી ઉઘાડી રાકવી એમ શું કામ કહ્યું છે ? ’ મેં તેને કહ્યું, ‘ તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પૂરી મીંચી દેવાથી ઊંઘ આવે છે, બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે એ તમોગુણ થયો. જોર કરીને ખુલ્લી રાખવાથી નજર બધે ફર્યા કરે છે એ રજોગુણ થયો. એટલા ખાતર વચલી સ્થિતિ બતાવી છે. ’ ટૂંકમાં, મનની બેઠક બદલ્યા વગર એકાગ્રતાની આશા ન રાખવી. મનની બેઠક શુદ્ધ જોઈએ. કેવળ આસન વાળીને બેસવાથી તે નહીં મળે. તે માટે બધા વહેવાર શુદ્ધ કરવા જોઈએ. વહેવાર શુદ્ધ કરવો એટલે વહેવારનો ઉદ્દેશ બદલવો જોઈએ. વ્યક્તિગત લાભ નજરમાં રાખી, વાસનાની તૃપ્તિને સારૂ અથવા એવી જ બીજી બહારની બાબતોને સારૂ વહેવાર ન કરવો જોઈએ.

11. આપણે આખો દિવસ વહેવારમાં ગૂંથાયેલા રહીએ છીએ. દિવસભર ચાલુ રહેલી ઊઠવેઠનો હેતુ શો ?

‘ याजसाटीं केला होता अट्टहास । शेवटचा दीस गोड व्हावा ।।’

આખરનો દિવસ રૂડો થાય તે સારૂ બધી તન તોડીને મથામણ કરી હતી. બધી તન તોડીને કરેલી મથામણ, બધી દોડાદોડ છેલ્લો દિવસ રૂડો થાય માટે કરવાની છે. આખો જન્મારો કડવું ઝેર પચાવીએ છીએ. શા સારૂ ? તે છેવટની ઘડી, તે મરણ પવિત્ર થાય તે સારૂ. દિવસની છેવટની ઘડી સાંજે આવે છે. તે તે દિવસનું બધું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી થશે. દિવસની એ છેવટની ઘડી રૂડી નીવડી તો દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું. પછી મારા મનની એકાગ્રતા થશે. એકાગ્રતાને માટે આવી જીવનની શુદ્ધિ જરૂરી છે. બહારની વસ્તુનું ચિંતન છૂટી જવું જોઈએ. માણસની આવરદા આમ જુઓ તો ઝાઝી નથી. પણ એટલી ટૂંકી આવરદામાંયે પરમેશ્વરી સુખનો અનુભવ મેળવી આપવાનું સામર્થ્ય છે. બે માણસો એક જ બીબામાં ઢાળેલાં, એક જ ઘાટનાં હોય છે. બે આંખ, તે આંખની વચ્ચે પેલું એક નાક, અને તે નાકને બે નસકોરાં છે. આવું એ બધું એકસરખું હોવા છતાં એક માણસ દેવ જેવો થાય છે ને બીજો પશુ જેવો થાય છે એમ કેમ થતું હશે ? એક જ પરમેશ્વરનાં બાળ,
‘ अवधी एकाचीच वीण ’ – બધાં એક જ પેટનાં. આમ છતાં વો ફેર કેમ પડે છે ? એ બે માણસોની જાત એક જ છે એ વાત ગળે ઊતરતી નથી. એક નરનો નારાયણ ને બીજો નરનો વાનર !

12. માણસ કેટલો ઊંચે જઈ શકે છે તે બતાવનારાં માણસો પહેલાં થઈ ગયાં છે એને આજે પણ આપણી વચ્ચે છે. આ અનુભવની વાત છે. આ નરદેહની કેવા શક્તિ છે તે બતાવનારા સંતો પાછળના વખતમાં થઈ ગયા છે. અને આજે પણ હયાત છે. આ દેહમાં રહીને બીજો માણસ આવડી મોટી કરણી કરી શકે તો મારે હાથે કેમ ન થાય ? મારી કલ્પનાને હું મર્યાદા શા સારૂ મૂકું ? જે નરદેહમાં રહી બીજા નરવીર થઈ ગયા તે જ મનખાદેહમાં હું પણ છું. પછી હું આવો કેમ ? મારૂં કંઈક અવળું ચાલે છે. આ મારૂં ચિત્ત કાયમ બહાર રજળવા નીકળે છે. બીજાના ગુણદોષ જોવામાં તે બહું દોઢડાહ્યું થાય છે. પણ મારે બીજાના દોષ જોવાના કેવા?

‘ कासया गुणदोष पाहूं आणिकांचे । मज काय त्यांचें उणेंअसे ।। ’

બીજાના ગુણદોષ હું શા સારૂ જોવા જાઉં ? મારામાં તેની ક્યાં ખોટ છે ? મારામાં ખામી શું ઓછી છે ? કાયમ બીજાના ઝીણા ઝીણા દોષો જોવામાં હું મશગુલ રહું તો ચિત્તની એકાગ્રતા કેમ સધાશે ? પછી મારી બે જ દશા થાય. શૂન્યાવસ્થા એટલે કે ઊંઘ, અથવા અનેકાગ્રતા. તમોગુણ ને રજોગુણ બેમાં હું ફસાઈ જવાનો. આમ બેસ, નજર આમ રાખ, આવું આસન વાળ વગેરે સૂચના એકાગ્રતા કરવાને માટે ભગવાને નથી આપી એવું નથી. પણ ચિત્તની એકાગ્રતા બિલકુલ જરૂરી છે એટલી વાત ગળે ઊતરે તો જ એ બધું કામનું છે. ચિત્તની એકાગ્રતા આવશ્યક છે એટલું એક વખત માણસને ગળે ઊતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

મૂરખને મોહની મોટપ આવે રે – (67)

મૂરખને મોહની મોટપ આવે રે, એને ભક્તિ ક્યાંથી ભાવે –ટેક

મોઢે આવી મીઠાં વેણ વદે ઇ, પાછળ કડવાં બોલે
દોરંગી દુનિયા દો મુખ ભાખે ઇ, મરજી માફક ચાલે –1

સવળું કહીએ તેને અવળું માને, વિશ્વાસ વાતમાં ન આલે
જુઠાં બોલાને પ્રભુ પહોંચે એની, જીભડી જમડા જાલે –2

અભિમાની નર આકરો ફરે જાણે, આખલો આકેલ ભારે
સત્યની વાત એને સમજાવીએ ત્યાં, ગરજી માથું મારે –3

અક્કલ વાટી એણે આટો બનાવીને, મુખમાં મેલી જાવે
નપૂસંક નર તો નહીં નારી નરમાં,ઇ ભુતના ભાઇ નક્કી થાવે-4

પાપીને મારો પ્રભુ પહોંચે એને, સંત કેમ સમજાવે
ભજનપ્રકાશ કહે પાપી નર ઇ, જમથી સીધા થાવે –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

સ્વભાવની ઉગ્રતા અને હ્રદય – ડો.રમેશ કાપડિયા


આ નાનકડો લેખ ‘સ્વાસ્થ્ય સુધા’ નામની નાનકડી પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે. જેના લેખક શ્રી ડો.રમેશ કાપડિયા છે તથા પ્રકાશક આર.આર.શેઠની કંપની છે. ડો.રમેશ કાપડિયા, એમ.આર.સી.પી. (કાર્ડિયોલોજી) એફ.આર્.સી.પી. (એડીન) નો જન્મ વલસાડમાં ૧૯૩૪ની ૨૬મી ઓક્ટોબરે થયો. એમણે શિક્ષણ દેશમાં અને વિદેશમાં લીધું છે. હ્રદયરોગના લબ્ધપ્રતિષ્ઠ નિષ્ણાત, સફળ પ્રાધ્યાપક અને ડોક્ટર છે એટલું જ નહીં પણ એમનામાં પૂર્વના અને પશ્ચિમના શાણપણનો અદભુત સમન્વય થયો છે. તેઓ ૧૯૯૧ની ગાંધીજયંતિથી અમદાવાદમાં ‘યુનિવર્સલ હીલિંગ’ ના કાર્યક્રમનું સંચાલન કરે છે. ડો.રમેશ કાપડિયાનાં પત્ની ડો.કોકિલાબહેન બાળરોગનાં નિષ્ણાત છે અને આ કાર્યમાં સુંદર સહકાર અને પ્રેરણા આપે છે.

ડો.કાપડિયા શવાસન અને ધ્યાનના પ્રખર હિમાયતી અને અભ્યાસુ છે. તેમને અતૂટ શ્રદ્ધા છે કે માનવજીવનની ઉન્નતિમાં શવાસન અને ધ્યાન અત્યંત ઉપકારક બની રહેશે. તેથી વિના મૂલ્યે મળતું આ અમૃત સમાજને ખૂણે ખૂણે પહોંચાડવા તેમણે ભેખ લીધો છે.


તાજેતરમાં અમેરિકાના એક અહેવાલ પ્રમાણે એન્જિયોપ્લાસ્ટી કરાવેલ પાંચસો દર્દીઓમાંથી સવાસો જેટલા દર્દીઓની કોરોનરી ધમનીઓ માત્ર છ જ મહિનામાં ફરીથી સાંકડી બની ગઈ હતી. તે દરેકની એન્જિયોપ્લાસ્ટીમાં જે સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવેલ તે ખાસ પ્રક્રિયા કરેલ અધ્યતન ઉપકરણ હોવા છતાં આમ બન્યું. સંશોધનને અંતે એમ સમજાયું કે ધમનીઓ ફરીથી સાંકડી બનવાનું મુખ્ય કારણ એ દર્દીઓમાં સ્વભાવની ઉગ્રતાનું પ્રમાણ અતિશય હતું. સ્વભાવની ઉગ્રતાથી રક્તવાહિનીમાં થતા રાસાયણિક ફેરફારોને લીધે રક્તવાહિનીઓ સાંકડી બને છે અને સંકોચાય છે.

સ્વભાવની ઉગ્રતામાં અતિશય ચીડિયો સ્વભાવ, આક્રમક વર્તન, તીવ્ર અસહિષ્ણુતા, નિરર્થક અણગમો, તિરસ્કાર અને વક્રદૃષ્ટિનો સમાવેશ થાય છે. અળગાપણાની ભાવનામાંથી દ્વેષભાવ જન્મે છે અને દ્વેષભાવ અળગાપણાને વધારે છે. દ્વેષી લોકો અતડા રહે છે. આવા લોકોને પાર્ટીઓમાં જાય તો પણ બીજા માણસો સાથે મુક્ત રીતે ભળવામાં એમનો સ્વભાવ આડે આવે છે. દ્વેષી વ્યક્તિ પોતાના જ વિચારોમાં મગ્ન રહે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે વ્યક્તિ વાતચીતમાં ‘હું, મારું, મને’ એવા સ્વલક્ષી શબ્દોનો વધારે પડતો ઉપયોગ કરે તો એમનામાં હ્રદયરોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે.

ક્રોધ, ઘૃણા, વેરવૃત્તિ, ઈર્ષા, સંવેદનશૂન્યતા જેવી નકારાત્મક લાગણીઓથી HRV ક્ષીણ અને અસ્થિર બને છે. નિઃસ્વાર્થ પ્રેમ, કરુણા, સમભાવ અને સહાનુભૂતિ જેવી હકારાત્મક લાગણીઓથી HRV વધે છે અને સ્થિર અને લયબદ્ધ બને છે. HRV ની અસ્થિરતા મન અને શરીરની અસ્વસ્થતા સૂચવે છે. એટલું જ નહીં, પણ તેથી રોગપ્રતિકાર શક્તિ પણ ઘટે છે.

હાર્ટ રેઈટ વેરિયેબિલિટી (HRV)
હાર્ટ રેઈટ વેરિયેબિલિટી એટલે હ્રદયની તેના ધબકારામાં અતિ સુક્ષ્મ રીતે ફેરફાર કરવાની ક્ષમતા. નિયમિત રીતે ધબકતું હ્રદય એક અને બીજા ધબકારાની વચ્ચેનું અંતર અતિ સુક્ષ્મ રીતે બદલતું રહે છે પણ દર મિનિટે સરેરાશ ધબકારાનું પ્રમાણ ચોક્કસ રહે છે. નાડીપરીક્ષા કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં HRV માં આલેખાતા ધબકારાના ફેરફારનું માપ અતિ સુક્ષ્મ હોવાથી પારખી શકાતું નથી. આ ફેરફાર અતિ અદ્યતન કોમ્પ્યુટરની મદદથી જોઈ શકાય. હ્રદયની આ ફેરફાર કરવાની ક્ષમતા એ સામાન્ય રીતે સમજાતી હ્રદયના ધબકારાની અનિયમિતતા નથી.

હ્રદયના ધબકારામાં અતિ સૂક્ષ્મ ફેરફાર કરવાની હ્રદયની ક્ષમતા લાંબા અને સુખી આયુષ્ય માટે ઘણું અગત્યનું પરિબળ છે એમ તાજેતરનાં અનેક સંશોધનોમાં જણાયું છે.

શવાસન અને ધ્યાન હ્રદયની HRV ની ક્ષમતા વધારવા અને લયબદ્ધ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે.


ડૉ. રમેશ કાપડિયાનાં પ્રકાશિત પુસ્તકો

ગુજરાતી

૧. હ્રદયરોગનો પાયાનો ઉપચાર (રૂ.૩૫)
યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમની ફળશ્રૂતિરૂપે આ પુસ્તક છે. આ પુસ્તકમાં વર્ણવવામાં આવેલા શવાસન અને ધ્યાનની પદ્ધતિ અત્યંત સરળ છતાં પણ ખૂબ અસરકારક છે. પરીણામે જે સ્વાસ્થ્યલાભ પ્રાપ્ત થાય છે તે ફક્ત કૉરોનરી ધમનીઓ પૂરતો મર્યાદિત ન રહેતાં વ્યક્તિમાં સમગ્રપણે નવચેતના પ્રગટાવે છે. આ પુસ્તક હિંદીમાં પણ ઉપલબ્ધ છે.

૨. આહારનો ઉપભોગ તો પણ હ્રદય નીરોગ (રૂ.૨૦)
આ પુસ્તક હ્રદયરોગના દર્દીઓ માટે પરેજી અંગેની પરંપરાગત વિચારધારાથી એક નવો જ માર્ગ બતાવે છે કે જેમાં ભોજનના આનંદને સહેજ પણ ગુમાવ્યા વગર તંદુરસ્તી માણી શકાય છે.

૩. હ્રદયરોગની સમસ્યા એક નવી દિશા (રૂ.૨૦)
આ પુસ્તકમાં અળગાપણાની ભાવના કેવી રીતે કૉરોનરી હ્રદયરોગમાં પરીણમે છે તે ચર્ચવામાં આવ્યું છે અને આપણી પ્રાચીન યોગપદ્ધતિથી અળગાપણાને કેવી રીતે દૂર કરી શકાય તે સમજાવ્યું છે.

૪. હ્રદયરોગમાં વિજ્ઞાન અને અધ્યાત્મ (રૂ.૩૦)
અમેરિકાના ડૉ. લારી ડોસ્સી આ પુસ્તકમાં દર્શાવેલ કાર્યક્રમને બિરદાવતાં લખે છે કે, “શરીર, મન અને આત્માનૉ સંવાદિતા એ માનવસ્વાસ્થ્યનું પરમતત્ત્વ છે. તમારો કાર્યક્રમ સમજદારીપૂર્વક આત્માને સન્માને છે, પરંતુ એ શરીરયંત્રની અવગણના કરતો નથી.” આ પુસ્તક વિજ્ઞાન અને અદ્યાત્મના સંયોગથી થતી સ્વાસ્થ્યપ્રદ અસરો સમજાવે છે.

૫. આરોગ્યનિર્માણ (રૂ.૩૦)
વાચક પોતે જ પોતાની તણ્દુરસ્તીનું નિર્માણ કરવા માટે સક્શમ છે. એવી પ્રતીતિ એને આ પુસ્તકને અનુસરવાથી થશે એવો અમને વિશ્વાસ છે.

૬. હ્રદયની વાત હ્રદયપૂર્વક (રૂ.૧૫)
આ પુસ્તિકા યુ.હી. કાર્યક્રમનાં સઘળાં પાસાંઓને પ્રશ્નોત્તરી રૂપે સમજાવે છે.

૭. હાર્ટ ઍટેક અટકાવો (રૂ.૩૦)
હાર્ટ ઍટેક અટકાવવા સૌએ આ પુસ્તકમાં આપેલ વૈજ્ઞાનિક સંશોધનો વાંચવા રહ્યાં.

૮. સ્વાસ્થ્ય સુધા
શવાસનના અદભુત પરિણામોનાં વૈજ્ઞાનિક તથ્યો આ પુસ્તિકામાં સમજાવવામાં આવ્યાં છે.

English

1. Primer of Universala Healing (Rs.50)
2. Wealth of Food – Health of Heart (Rs.20)
3. Heart Disease – A New Direction (Rs.25)
4. Heart Disease – Science And Spirituality (Rs.25)
5. Spinning One’s Own Health (Rs.30)
6. Heart to Heart (Rs.15)
7. Prevention of Heart Attack (Rs.30)
8. Shavasana – Key to Health and Bliss (Rs.20)
9. Health & Harmony (Rs.10)

हिन्दी

१. ह्रदयरोग का बुनियादी उपचार (रू.६०)
२. शवासन से स्वास्थ्य और परम आनंद (रू.१५)
३. स्वास्थ्य सुधा (रू.१०)


પુસ્તક મેળવવા માટે સંપર્ક

* આર.આર.શેઠની કંપની
૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ – ૪૦૦ ૦૦૨
ટેલિફોન (૦૨૨) ૨૨૦૧૩૪૪૧

* ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમ્દવાદ – ૩૮૦ ૦૦૧
ટેલિફોન (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

* બિપીન પારેખ, મુંબઈ – મો.૯૩૨૨૨ ૫૯૩૪૯

* આર.ઍન.શાહ, મુંબઈ – (૦૨૨) ૨૫૮૨ ૦૬૪૨

* જનક દવે, યુ.એસ.એ. – (૦૦૧) ૪૦૨ ૨૯૨ ૩૭૯૦


શવાસન વિશેના ડોક્ટર સાહેબના વિચારો જાણવા અહીં ક્લિક કરો.


Categories: સ્વાસ્થ્ય | Tags: | 4 Comments

Blog at WordPress.com.