Daily Archives: 03/12/2008

ભૂમિતિનું અને મીમાંસકોનું દ્રષ્ટાંત – (22)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ
પ્રકરણ ૨૨ – ભૂમિતિનું અને મીમાંસકોનું દ્રષ્ટાંત

20. હવે આ બેની તુલના કેવી રીતે કરવી ? કોઈક દાખલો આપીને જ તે કરવી પડશે. દાખલા આપી વાત સમજાવતાં કંઈક નીચે ઊતર્યા જેવું લાગે છે. પણ નીચે ઊતર્યા વગર છૂટકો નથી. સાચું જોવા જઈએ તો પૂર્ણ કર્મસંન્યાસ અથવા પૂર્ણ કર્મયોગ એ બંને કલ્પનાઓ આ દેહમાં સમાઈ શકે એવી નથી. એ કલ્પનાઓ આ દેહને ફોડી નાખે એવી છે. પણ એ કલ્પનાઓની નજીકમાં નજીક પહોંચી ગયેલા મહાપુરૂષોના દાખલા લઈને આપણે આગળ ચાલવું પડશે. દાખલા મૂળ વાતના કરતાં કંઈક અધૂરા જ રહેવાના. પણ તે પૂર્ણ છે એવું ઘડીભર માની લઈએ.

21. ભૂમિતિમાં નથી કહેતા કે अ ब क એક ત્રિકોણ છે એમ ‘ ધારો ’ ધારો શા સારૂ ? ધારવાનું એટલા માટે કે એ ત્રિકોણમાંની રેખાઓ યથાર્થ રેખા નથી. મૂળમાં રેખાની વ્યાખ્યા જ એ છે કે તેને લંબાઈ હોય છે પણ પહોળાઈ નથી. પણ પહોળાઈ વગરની એવી લીટી પાટિયા પર દોરવી કેવી રીતે ? લંબાઈની સાથે પહોળાઈ આવ્યા વગર રહે કેમ ? જે રેખા દોરો તેની થોડી સરખી પહોળાઈ તો હશે જ. એથી ભૂમિતિશાસ્ત્રમાં રેખા मानी लीधा વગર ચાલતું નથી. ભક્તિશાસ્ત્રમાં પણ એવું નથી કે ? તેમાં પણ ભક્ત કહે છે કે આ નાનકડા શાલિંગ્રામના પિંડમાં સર્વ બ્રહ્માંડનો ધણી છે એમ मानो. કોઈ પૂછે કે આ શું ગાંડપણ માંડ્યું છે ? તો તેને કહો કે તારૂં આ ભૂમિતિનું શું ગાંડપણ છે ? ખાસી જાડી પહોળી લીટી દેખાય છે ને કહે છે, ‘ આ પહોળાઈ વગરની છે એમ માનો ! ’ એ શું ગાંડપણ લઈ બેઠા છો ? સૂક્ષ્મદર્શક કાચમાંથી જોઈએ તો ખાસી અરધો ઈંચ પહોળી દેખાશે.

22. જેમ તમે તમારા ભૂમિતિશાસ્ત્રમાં માની લો છો તેવી જ રીતે ભક્તિશાસ્ત્ર કહે છે કે માનો, આ શાલિગ્રામમાં પરમેશ્વર છે એવું માનો. ‘ પરમેશ્વર તો તૂટતો નથી, ફૂટતો નથી. તમારા શાલિગ્રામના કકડા ઊડી જશે. ઉપર કરૂં ઘા ? ’ એવું કોઈ કહે તો તે વિચારવાળું નહીં કહેવાય. ભૂમિતિમાં मानो ચાલે તો ભક્તિશાસ્ત્રમાં કેમ નહીં ? કહે છે બિંદુ છે એમ માનો. પછી પાટિયા પર બિંદુ કાઢે છે. અરે, બિંદુ શાનું, ખાસું વર્તુળ હોય છે ! બિંદુની વ્યાખ્યા એટલે બ્રહ્મની જ વ્યાખ્યા સમજી લેવી. બિંદુને નથી જાડાઈ, નથી લંબાઈ, નથી પહોળી, કંઈ જ નથી. પણ વ્યાખ્યા આવી કર્યા પછી પાટિયા પર કાઢ્યા વગર રહેતા નથી. બિંદુ કેવળ અસ્તિત્વ માત્ર છે. તે ત્રિપરિમાણ વગરનું છે. સારાંશ, સાચો ત્રિકોણ, સાચું બિંદુ વ્યાખ્યામાં જ છે. પણ આપણે માનીને ચાલવું પડે છે. ભક્તિશાસ્ત્રમાં ન ફૂટનારો સર્વવ્યાપી ઈશ્વર માનીને ચાલવું પડે છે. આપણે પણ એવા જ કાલ્પનિક દાખલાઓ લઈ સરખામણી કરવાની છે.

23. મીમાંસકોએ તો વળી જબરી મજા કરી છે. ઈશ્વર ક્યાં છે એ વાતની મીમાંસા કરતાં એ લોકોએ મજાનું વિવરણ કર્યું છે. વેદમાં ઈંદ્ર, અગ્નિ, વરૂણ વગેરે દેવો છે. આ દેવોની બાબતમાં મીમાંસામાં વિચાર થાય છે ત્યારે એક સવાલ એવો પૂછવામાં આવે છે કે, ‘ આ ઈંદ્ર કેવો છે, તેનું રૂપ કેવું છે અને તે રહે છે ક્યાં ? ’ મીમાંસકો જવાબ આપે છે, ईंद्र શબ્દ એ જ ઈંદ્રનું રૂપ. ईंद्र શબ્દમાં જ તે રહે છે. ई ને તેના પર અનુસ્વાર અને પછી द्र એ ઈંદ્રનું સ્વરૂપ છે. એ જ તેની મૂર્તિ છે, એ જ પ્રમાણ છે. વરૂણ દેવ કેવો ? એવો જ. પહેલો व પછી रू પછી ण. વ-રૂ-ણ એ વરૂણનું રૂપ. એ પ્રમાણે અગ્નિ વગેરે દેવોનું સમજવું. એ સર્વ દેવો અક્ષરરૂપધારી છે. દેવ બધાયે, અક્ષરમૂર્તિ છે એ કલ્પનામાં, એ વિચારમાં ખૂબ મીઠાશ છે. દેવ એ કલ્પના છે. એ વસ્તુ કોઈ આકારમાં સમાઈ શકે એવી નથી. તે કલ્પના બતાવવાને અક્ષર જેટલી ને જેવડી જ નિશાની પૂરતી છે. ઈશ્વર કેવો છે ? તો કહે છે પહેલાં ई પછી श्व અને પછી र પછી ± એ તો હદ કરી. ± એ એક અક્ષર એટલે જ ઈશ્વર. ઈશ્વરને એક સંજ્ઞા જ કરી આપી. આવી સંજ્ઞાઓ નિર્માણ કરવી પડે છે. મૂર્તિમાં, આકારમાં, આ વિશાળ કલ્પનાઓ માતી નથી. પણ માણસની ઈચ્છા બહુ જોરાવર છે. તે આ કલ્પનાઓને મૂર્તિમાં બેસાડવાની કોશિશ કર્યા વગર રહેતો નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

માતા-પિતાની છત્ર છાયા

હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બીડાઈ ગયા પછી…
મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરનાં આશીર્વાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે
પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો.

માતા પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ના ફળશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો.

હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચ ભૂતમાં ભળી ગયા પછી, આ દેહના,
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો.

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો.

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો.
પ્રેમથી હાથ ફેરવીને, ‘બેટા’ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો.

Categories: મારી વહાલી મા | 6 Comments

હરિ કીર્તન સદા હરદિન કરો – (62)

રાગઃ- ભીમપલાસી

હરિ કીર્તન સદા હરદિન કરો, પ્રભુ ચરણ સદા નિત વાસ કરો
પ્રભુ સ્મરણ દિલ કદીના વિસરો, પ્રભુભજન કરી ભવપાર તરો – ટેક

કલિકાલ કઠણ સદોષ ઘણો, મનોભાવ નહીં ભગવંત તણો
જપતપ સાધન ત્યાં કામ નહીં, કીર્તન એક શુભ સાર તહીં – 1

સંતચરણ મહીં વિશ્વાસ કરો, મનોભાવસે સદા સત્સંગ કરો
મનવાણી કર્મે સેવા સંત તણી,હરિજન ઔર હરિ એક ગણી – 2

પ્રભુદર્શન કરનેકો આંખ દિયા, સેવા કરનેકો હાથ દિયા
તીરથ કરનેકો પાંવ દિયા, ગુણગાનેકો તુને જીભ દિયા – 3

ક્યોં સોતે મુરખ મંદ મતિ, ક્યોં ન જાવે દિલની દુર્મતિ
પ્યારે જાગતું પ્રીતમને ભજલે, ભજનપ્રકાશ ભજન ભગવંત કરલે – 4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

પોલીએના – રાજી થવાની રમત

આશા આનંદ જગાડતી જીવનદૃષ્ટિઃ

“દરેક વસ્તુ પછી એ ભલેને ગમ્મે તેવી હોય, તેમાંથી સારું શોધી એમાં રાજી થવું એ જ તો રમત છે”

આ રમતે કેટકેટલાનાં હ્રદયને પ્રફુલ્લ બનાવ્યાં ! મરવાના વાંકે જીવતાં અનેક સ્ત્રી-પુરુષોને પૉલીએનાની સંજીવનીએ જીવનામૃત અર્પ્યું

આ સુંદર વાર્તા અંગ્રેજીમાં વાંચવા અહિ ક્લિક કરો.

ગુજરાતીમાં શ્રી રશ્મિબહેન ત્રિવેદીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે.

Categories: જીવનામૃત (સંજીવની) | Tags: | 8 Comments

યુગ નિર્માણ યોજનાનો સત્સંકલ્પ – આચાર્ય શ્રીરામ શર્મા

1. અમે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માની એના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારશું.

2. શરીરને ભગવાનનું મંદિર સમજી, આત્મ સંયમ, તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશું.

3. મનને કુવિચારો તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું.

4. ઈન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ, અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું.

5. હું પોતાને સમાજનું એક અભિન્ન અંગ સમજીશ. અને બધાના હિતમાં પોતાનો હિત સમજીશું.

6. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશ.

7. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જ્નતાનું વાતાવરણ બનાવીશ.

8. અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતાં મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશ.

9. માણસની મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભુતિઓને આધારે નહિં, પરંતુ તેના સદ્દવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું.

10. બીજાની સાથે એવો વ્યવહાર નહિ કરીશ, જે મને પોતાને પસંદ નથી.

11. સંસારમાં સત્પ્રવૃતિઓના પુણ્ય પ્રસાર માટે મારો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું.

12. પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશ.

13. રાષ્ટ્રીય એક્તા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશ, તથા જાતિ- ભાષા, પ્રાંત સંપ્રદાયનાં કારણે પરસ્પર કોઈ ભેદભાવપૂર્ણ વર્તન કરીશ નહિ.

14. માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે” આ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.

15. અમે બદલાઈશું – યુગ બદલાશે, અમે સુધરીશું યુગ શુધરશે. આ કથન પર અમારો પરિપૂર્ણ વિશ્વાસ છે.

Categories: ચિંતન | Tags: | 2 Comments

Blog at WordPress.com.