Monthly Archives: December 2008

પરમેશ્વરદર્શનની બાળબોધ રીત (50)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૫૦ – પરમેશ્વરદર્શનની બાળબોધ રીત

૫. નાનાં છોકરાંને શીખવવાને માટે જે ઉપાયની યોજના આપણે કરીએ છીએ તે જ ઉપાય સર્વ ઠેકાણે પરમાત્મા દેખાય તે સારૂ આ દસમા અધ્યાયમાં બતાવેલા છે. છોકરાંને અક્ષરો બે રીતે શીખવાય છે. એક રીત પહેલાં અક્ષરો મોટા મોટા કાઢીને શીખવવાની છે. પછી તે જ મોટા અક્ષર નાના કાઢીને શીખવવામાં આવે છે. ‘ ક ’ તેનો તે જ હોય છે અને ‘ ગ ’ પણ તેનો તે જ હોય છે. પણ પહેલાં તે મોટો હતો હવે નાનો કાઢેલ છે. બીજી રીત છે પહેલાં ગુંચવણ વગરના સાદા અક્ષરો શીખવવાની અને ગૂંચવણભર્યા જોડાક્ષરો પાછળથી શીખવવાની. તે જ પ્રમાણે આબેહૂબ પરમેશ્વરને જોતાં શીખવાનું છે. પહેલાં સહેજે વરતાઈ આવે એવો પરમેશ્વર જોવો. સમુદ્ર પર્વત વગેરે મોટી મોટી વિભૂતિઓમાં પ્રગટ થયેલો પરમેશ્વર ઝટ આંખોમાં વસી જાય છે. આ સહેજે દેખાતો પરમેશ્વર પ્રતીત થયા પછી એકાદા પાણીના ટીપામાં અને એકાદા માટીના કણમાં પણ તે જ છે એ વાત પણ પાચળથી સમજાવા માંડશે. મોટા ‘ ક ’ માં અને નાના ‘ ક ’ માં કશો ફેર નથી. જે સ્થૂળમાં છે તે જ સૂક્ષ્મમાં છે. આ એક રીત થઈ. અને બીજી રીત એવી છે કે ગૂંચવણ વગરનો સાદો સહેલો પરમેશ્વર પહેલો જોવો. પછી થોડો અટપટો જોવો.શુદ્ધ પરમેશ્વરી આવિર્ભાવ સહેજે પ્રગટ થયો હોય તે સહેલાઈથી પકડી શકાય છે. જેમકે રામમાં પ્રગટ થયેલો પરમેશ્વરી આવિર્ભાવ ઝટ ઓળખી શકાય છે. રામ એ સાદો અક્ષર છે, એ ભાંજગડ વગરનો પરમેશ્વર છે. પણ રાવણ ? એ જોડાક્ષર છે. ત્યાં કંઈક ભેળસેળ છે. રાવણની તરશ્ચર્યા અને કર્મશક્તિ બંને બહુ જબરાં છે, પણ તેમાં ક્રૂરપણાનો ભેગ થયેલો છે. પહેલાં રામ એ સાદા અક્ષર શીખ. જ્યાં દયા છે, વત્સલતા છે, પ્રેમ છે એવો આ જે રામ એ સરળ, સાદો પરમેશ્વર છે. તે ઝટ ઓળખાશે ને સમજાશે. રાવણમાં રહેલા પરમેશ્વરને જોતાં ને ઓળખતાં જરા વાર લાગશે. પહેલા સાદા સહેલા અક્ષરો લેવાના ને પછી જોડાક્ષરો લેવાના. સજ્જનમાં પરમાત્મા જોયા પછી આખરે દુર્જનમાં તેને જોતાં શીખવાનું છે. સમુદ્રમાં રહેલો જે વિશાળ પરમેશ્વર છે તે જ પાણીના ટીપામાં છે, રામચંદ્રમાંનો પરમેશ્વર રાવણમાં પણ છે. જે સ્થૂળમાં છે તે જ સૂક્ષ્મમાં છે, જે સહેલામાં છે તે જ અઘરામાં છે. આવી બે રીતે આ જગતનો ગ્રંથ વાંચતાં આપણે શીખવાનું છે.

6. આ અપાર સૃષ્ટિ એ ઈશ્વરનું પુસ્તક છે. આંખ આગળ જાડા જાડા પડદા આવી ગયા હોવાથી એ પુસ્તક આપણને બંધ લાગે છે. આ સૃષ્ટિના પુસ્તકમાં સુંદર અક્ષરો વડે પરમેશ્વર બધે ઠેકાણે લખાયેલો છે પણ તે આપણને દેખાતો નથી. ઈશ્વરનું દર્શન થવામાં જે મોટું વિઘ્ન છે તે એ કે સાદું પાસેનું ઈશ્વરનું સ્વરૂપ માણસને ગળે ઊતરતું નથી અને પ્રખર રૂપ તેને પચતું નથી. માતામાં રહેલા પરમેશ્વરને જુઓ એમ કહીએ તો તે કહે છે કે ઈશ્વર શું એટલો સાદો ને સહેલો છે ? પણ પ્રખર પરમાત્મા પ્રગટ થાય તો તે તારાથી સહેવાશે કે ? કુંતીને થયું કે પેલો દૂર રહેલો સૂર્ય પાસે આવીને મળે તો સારૂં. પણ તે પાસે આવવા લાગ્યો તેની સાથે તે બળવા લાગી. તેનાથી તે સહન ન થયો. ઈશ્વર પોતાના બધાયે સામર્થ્ય સાથે સામો આવીને ઊભો રહે તો તે પચશે નહીં. માને સૌમ્ય સ્વરૂપે તે ઊભો રહે છે તો ગળે ઊતરતો નથી. પેંડા ને બરફી પચતાં નથી ને સાદું દૂધ ભાવતું નથી. આ અભાગિયાપણાનાં લક્ષણો છે, મરણનાં લક્ષણો છે. આવી આ રોગી મનોદશા પરમેશ્વરના દર્શનની આડે આવનારૂં મોટું વિઘ્ન છે. એ મનઃસ્થિતિનો ત્યાગ કરવો જોઈએ. પહેલાં આપણી પાસે રહેલ, સહેજે વરતાતો ને સહેલો પરમાત્મા ઓળખતાં શીખવું અને પછી સૂક્ષ્મ તેમજ જરા અટપટો પરમેશ્વર વાંચતાં શીખવું.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

અમુલખ અવસર મળ્યો મોંઘો – (90)

રાગઃ- વિધિના લખ્યા લેખ લલાટે

અમુલખ અવસર મળ્યો મોંઘો, જોજો ન જાય જાય જાય
જોતાં વારે નહીં મળે સોંઘો, જોજો ન જાય જાય જાય -ટેક

હીરલો દીધો પ્રભુએ પ્રેમે, તેને જુઠો ન કરશો વહેમે
જોજો હાથથી છુટી એતો, ન જાય જાય જાય –1

સંસાર ઝાંઝવાનું છે પાણી, તેમાં આશા ખોટી બંધાણી
તેમાં તારી બુઝે નહી તૃષ્ણા, આ જરાય જરાય જરાય –2

સમજી રહેશું આ સંસારે, સુખ તેમાં થાશે સો વહેવારે
અંતર આનંદ આનંદ આનંદ, બહુ થાય થાય થાય –3

ભજન કરજો એ એંધાણે, જોતા નહી મળે ખરે ટાણે
ભજનપ્રકાશ ભવસાગર સહેજે, તરાય તરાય તરાય –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Spiritual Diary

December 31
Patience

ચાલો આપણે ભૂતકાળના દુઃખો ભૂલી જઈએ અને નવા વર્ષમાં તેઓ વિષે વિચારીશું નહી તેવો સંકલ્પ કરીએ. દૃઢનિશ્ચય અને અદમ્ય ઈચ્છા વડે જીવનને, આપણી સારી ટેવોને અને સફળતાને સંવાંરીએ. જો ગત વર્ષ નિરાશાજનક રીતે ખરાબ હોય તો નવું વર્ષ આશાજનક રીતે સારું હોવું જ જોઈએ.

Let us forget the sorrows of the past and make up our minds not to dwell on then in the New Year. With determination and unflinching will, let us renew our lives, our good habits, and our successes. If the last year has been hopelessly bad, the New Year must be hopefully good.

 Sri Sri Paramhansa Yogananda
 “Yogoda Satsanga annual-series booklet”

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, Spiritual Diary | Leave a comment

ગીતાના પૂર્વાર્ધનું સિંહાવલોકન (49)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૪૯ – ગીતાના પૂર્વાર્ધનું સિંહાવલોકન

1. ગીતાનો પૂર્વાર્ધ પૂરો થયો. ઉત્તરાર્ધમાં દાખલ થતાં પહેલાં જેટલો ભાગ થઈ ગયો છે તેનો સાર ટૂંકમાં આપણે જોઈ જઈએ તો સારૂં પડશે. પહેલા અધ્યાયમાં ગીતા મોહના નાશને અર્થે અને સ્વધર્મની પ્રવૃત્તિમાં પ્રેરવાને અર્થે છે એમ કહ્યું. બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંત, કર્મયોગ અને સ્થિતપ્રજ્ઞ એ બધાનું આપણને દર્શન થયું. ત્રીજો, ચોથો ને પાંચમો એ ત્રણ અધ્યાયોમાં કર્મ, વિકર્મ અને અકર્મ એ બાબતોનો ખુલાસો કર્યો. કર્મ એટલે સ્વધર્મનું આચરણ કરતા રહેવું તે. વિકર્મ એટલે સ્વધર્મનું આચરણ બહાર ચાલતું હોય તેની સહાય રૂપે અંદરનું જે માનસિક કર્મ ચાલુ રાખવાનું હોય છે તે. કર્મ અને વિકર્મ બંને એકરૂપ થતાં જ્યારે ચિત્તની પૂર્ણ શુદ્ધિ થાય છે, ચિત્તના બધા મળ ધોવાઈ જાય છે, વાસનાઓ આથમી જાય છે, વિકારો શમી જાય છે, ભેદભાવ નાબૂદ થાય છે, ત્યારે અકર્મદશા આવી મળે છે. આ અકર્મદશા પાછી બેવડી બતાવી છે. રાત ને દિવસ કર્મ કરવાનું અખંડ ચાલુ હોવા છતાં લેશમાત્ર પણ કર્મ પોતે કરતો નથી એવો અનુભવ કરવો તે અકર્મદશાનો એક પ્રકાર છે. એથી ઊલટું કશુંયે ન કરવા છતાં એકધારૂં કર્મ કરતા રહેવું તે અકર્મદશાનો બીજો પ્રકાર છે. આમ બે રીતે અકર્મદશા સિદ્ધ થાય છે. આ બે પ્રકારો દેખાવમાં એકબીજાથી અળગા દેખાતા હોવા છતાં એ બંને પૂરેપૂરી રીતે એકરૂપ છે. કર્મયોગ અને સંન્યાસ એવાં બે જુદાં નામો આ પ્રકારોને આપવામાં આવેલાં હોવા છતાં તેમનો અંદરનો સાર એક જ છે. અકર્મદશા એ અંતિમ સાધ્ય છે. આ સ્થિતિને જ મોક્ષ સંજ્ઞાથી ઓળખાવી છે. એથી ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો છે.

2. એ પછી આ અકર્મરૂપી સાધ્ય સુધી પહોંચવાને માટે વિકર્મના જે નેક માર્ગો છે, મનને અંદરથી શુદ્ધ કરવાનાં જે અનેક સાધનો છે, તેમાંનાં મુખ્ય મુખ્ય સાધનો બતાવવાની છઠ્ઠા અધ્યાયથી શરૂઆત થઈ છે. છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને માટે ધ્યાનયોગ બતાવી અભ્યાસ અને વૈરાગ્યનો તેને સાથ આપ્યો છે. સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ અને મહાન સાધન બતાવ્યું. ઈશ્વરની પાસે પ્રેમથી જાઓ, જિજ્ઞાસુ બુદ્ધિથી જાઓ, વિશ્વના કલ્યાણની તાલાવેલીથી જાઓ કે વ્યક્તિગત અંગત કામનાથી જાઓ, ગમે તેમ જાઓ પણ એક વાર તેના દરબારમાં દાખલ થાઓ એટલે થયું. આ અધ્યાયની આ વાતને હું પ્રપત્તિયોગનું એટલે કે ઈશ્વરને શરણે જા એવું કહેનારા યોગનું નામ આપું છું. સાતમામાં પ્રપત્તિયોગ કહ્યા પછી આઠમામાં સાતત્યયોગ કહ્યો. આ જે નામો હું આપતો જાઉં છું તે તમને પુસ્તકમાં જોવાનાં નહીં મળે. પણ મને પોતાને ઉપયોગી થનારાં નામો મેં આપ્યાં છે. સાતત્યયોગ એટલે પોતાની સાધના અંતકાળ સુધી એકધારી ચાલુ રાખવી તે. જે રસ્તો એક વાર પકડ્યો તે પર એકસરખાં ડગલાં પડતાં રહેવાં જોઈએ. એમાં માણસ બાંદછોડનું વર્તન રાખશે તો છેવટના મુકામ પર પહોંચવાની કદી આશા નથી. ક્યાં સુધી સાધના કર્યા કરવી એવું નિરાશ થઈને કે કંટાળીને કહેવાનું હોય નહીં. ફળ હાથમાં ન આવે ત્યાં સુધી સાધના ચાલુ રહેવી જોઈએ.

3. આવા આ સાતત્યયોગની વાત કર્યા બાદ નવમા અધ્યાયમાં એક તદ્દન સાદી છતાં જીવનનો આખોયે રંગ પલટી નાખનારી વસ્તુ ભગવાને આપી. એ વસ્તુ તે રાજયોગ. જે જે કર્મો ક્ષણેક્ષણે થયા કરે છે તે બધાંયે ઈશ્વરાર્પણ કર એમ નવમો અધ્યાય કહે છે. આ એક જ વાતથી શાસ્ત્રસાધન, બધાંયે કર્મો, વિકર્મો બધું બૂડી ગયું. સર્વ કર્મસાધના આ સમર્પણયોગમાં બૂડી ગઈ. સમર્પણયોગ એટલે રાજયોગ. અહીં બધાં સાધન સમાપ્ત થયાં. આવી જે આ વ્યાપક તેમ જ સમર્થ ઈશ્વરાર્પણ કરવાની વાત તે દેખાવમાં સાદી ને સહેલી લાગે છે પણ એ સાદી વાત જ બહુ અઘરી થઈ બેઠી છે. આ સાદના તદ્દન ઘરમાં ને ઘરમાં, અને તદ્દન અણઘડ ગામડિયાથી માંડીને તે મોટા વિદ્વાન સુધી સૌ કોઈને ખાસ મહેનત સિવાય સાધ્ય થઈ શકે એવી હોવાથી સહેલી છે. પણ તે સહેલી છે છતાં તે સાધવાને પુણ્યનો પુષ્કળ સંચય માણસ પાસે હોવો જોઈએ.

बहुता संकृतांची जोडी । म्हणुनी विठ्ठलीं आवडी ।।

ઘણાં ઘણાં સુકૃતો એકઠાં કર્યાં તેથી તો વિઠ્ઠલ પર પ્રેમ થયો છે. અનંત જન્મોમાં પુણ્યોની કમાણી કરી હોય તો જ ઈશ્વરને માટે રૂચિ ઉત્પન્ન થાય છે. સહેજ પણ કંઈક થાય છે એટલે આંખમાંથી ડબડબ આંસુ વહે છે. પણ પરમેશ્વરનું નામ લેતાંની સાથે આંખમાં બે આંસુનાં ટીપાં આવીને ઊભાં રહ્યાં હોય એવું કદી બનતું નથી. એનો ઈલાજ શો ? સંતો કહે છે તેમ એક બાજુથી આ સાધના અત્યંત સહેલી છે પણ બીજી બાજુથી તે અઘરી પણ છે. અને આજના વખતમાં તો તે ખૂબ જ મુશ્કેલ થઈ પડી છે.

4. આજે આંખો પર જડવાદની છારી બાઝી ગઈ છે. ‘ ઈશ્વર ચે જ ક્યાં, ’ એ વાતથી આજે શરૂઆત થાય છે. કોઈને ક્યાંય તે પ્રતીત જ થતો નથી. આખું જીવન વિકારમય, વિષયલોલુપ અને વિષમતાથી ભરાઈ ગયેલું છે. હમણાં ઊંચામાં ઊંચો વિચાર કરનારા જે તત્વજ્ઞાનીઓ છે તેમના વિચાર સુધ્ધાં સૌને પેટપૂરતો રોટલો કેમ મળે એ વાતથી આગળ જઈ શકતા નથી. એમાં તેમનોયે દોષ નથી. કેમકે આજે અનેક લોકોને ખાવાનું પણ મળતું નથી એવી સ્થિતિ છે. આજનો મોટો સવાલ એટલે રોટલો. આ સવાલનો ઉકેલ કાઢવામાં બધી બુદ્ધિ ખૂંતી ગઈ છે. સાયણાચાર્યે રૂદ્રની એવી વ્યાખ્યા કરી છે કે,

बुभुक्षमाणः रूद्ररूपेण अवतिष्ठते ।

ભૂખે મરનારો રૂદ્ર બનીને ખડો થાય છે. ભૂખ્યા લોકો એટલે જ રૂદ્રનો અવતાર જાણવો. તેમની ક્ષુધાશાંતિને અર્થે તરેહતરેહનાં તત્વજ્ઞાન, જાતજાતના વાદ, નાનાવિધ રાજકારણ ખડાં થયાં છે. આ સવાલના કૂંડાળામાંથી બહાર નીકળવાની આજે કોઈને નવરાશ નથી. એકબીજાની સાથે ઝઘડયા વગર માણસ બે કોળિયા નિરાંતે કેવી રીતે ખાઈ શકે એ વાતનો વિચાર કરવામાં આજે પાર વગરની મહેનત થાય છે. આવી ચમત્કારિક સમાજરચના જે જમાનામાં ચાલે છે તેમાં ઈશ્વરાર્પણતાની સાદીસહેલી વાત અત્યંત અઘરી થઈ ગઈ હોય તેમાં નવાઈ શી ? પણ એનો ઈલાજ શો ? ઈશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો, એ વાત આજે દસમા અધ્યાયમાં આપણે જોવાની છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ઉધો અમે પ્રીતુ કરી પસ્તાણા – (89)

ઉધો અમે પ્રીતુ કરી પસ્તાણા,
અમારા સાંવરીયે ચિત્ત ચોરાણા –ટેક

શું કહીએ ઉધો શ્યામ સુંદરને, મોહનમાં મન મોહાણા
નિષ્ઠુર થઇને ગયા નટવર, દિલડાં બહુ દુભાણાં –1

સાવરીયાસે ગયા છેતરાઇ, કાળામાં મન કોરાણા
નિર્લજ સાથે સ્નેહ કરતાં, દિલડાં બહુ દજાણાં –2

વિઠ્‌્ઠલમાં અમે વિશ્વાસ કરીને, ભોળપમાં ભોળવાણાં
સ્વાર્થીસે સંબધ કરીને, મનમાં બહુ મુંઝાણા –3

મન મારીને બેઠા મંદિરમાં, આ દુઃખ ન કોને કહેવાણાં
ભજનપ્રકાશ કરશું ભક્તિ, જનમ જનમથી જોડાણાં –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

Spiritual Diary

December 30
Patience

તમે તમારા શત્રુ છો છતાં પણ તમે તે જાણતા નથી. તમે શાંતિથી બેસવાનું શીખતા નથી. પ્રભુને સમય આપવાનું તમે શીખતા નથી. તેમ છતાં તરત સ્વર્ગ મળે તેવી ઈચ્છા રાખીને અધીરા થયા છો. ચોપડીઓ વાંચવાથી કે પ્રવચનો સાંભળવાથી કે દાન કાર્ય કરવાથી તેને તમે મેળવી શક્શો નહીં. તમે પ્રભુને ફક્ત ઊંડા ધ્યાનમાં સમય આપીને જ પ્રાપ્ત કરી શકશો.

You are your own enemy and you don’t know it. You don’t learn to sit quietly. You don’t learn to give time to God. And you are impatient and expect to attain heaven all at once. you cannot get it by reading books or by listening to sermons or by doing charitable works. You can get it only by giving your time to Him in deep meditation.

 Sri Sri Paramhansa Yogananda
 “Man’s Eternal Quest”

Categories: Spiritual Diary | Leave a comment

થોડું પણ મીઠાશભર્યું (48)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૮ – થોડું પણ મીઠાશભર્યું

31. ‘ पत्रं पुष्पं फलं तोयम् ’ – ગમે તે હો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ પણ સવાલ નથી. કઈ ભાવનાથી આપો છો એ મુદ્દો છે. એક વાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણશાસ્ત્રને વિષે. અમારા બેની વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસરે કહ્યું, ‘ અરે, હું અઢાર અઢાર વરસોથી કામ કરૂં છું. ’ તે પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી. પણ તેમ ન કરતાં હું આટલાં વરસોથી શિક્ષણમાં કામ કરૂં છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિનોદમાં કહ્યું, ‘ અઢાર વરસ સુધી બળદ બળદ યંત્રની સાથે ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જશે કે ? ’ યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણશાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. સાચો શાસ્ત્રજ્ઞ હશે તે છ જ મહિનામાં એવો એનુભવ મેળવશે કે જે અઢાર અઢાર વરસ સુધી મજૂરી કરનાર વેઠિયાને સમજાશે પણ નહીં. ટૂંકમાં, તે પ્રોફસરે દાઢી બતાવી કે મેં આટલાં વરસ કામ કર્યું છે. પણ દાઢીથી કંઈ સત્ય સાબિત થાય છે ? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું મહત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં સવાલ નથી. મુદ્દો ભાવનાનો છે. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોઈ કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો છે. ગીતામાં માત્ર સાતસો શ્લોક છે. દસ દસ હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે. પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય જ એવું નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્વ નથી. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો બાર બાર વરસમાં સુદ્ધાં મળતો નથી.

32. ટૂંકમાં જીવનમાં થતાં સાદાં કર્મો, સાદી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરો. એટલે જીવનમાં સામર્થ્ય કેળવાશે, મોક્ષ હાથમાં આવશે. કર્મ કરવું અને તેનું ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવું એવો આ રાજયોગ કર્મયોગથીયે એક ડગલું આગળ જાય છે. કર્મયોગ કહે છે, ‘ કર્મ કરો ને તેનું ફળ છોડો, ફળની આશા ન રાખો, ’ કર્મયોગ આટલેથી અટકી જાય છે. રાજયોગ આગળ વધીને કહે છે, ‘ કર્મનાં ફળ ફેંકી ન દઈશ. બધાં કર્મો ઈશ્વરને અર્પણ કર. એ ફૂલો છે. તેના તરફ આગળ લઈ જનારાં સાધનો છે. તે તેની મૂર્તિ પર ચડાવી દે. એક તરફથી કર્મ અને બીજી તરફથી ભક્તિ એવો મેળ બેસાડીને જીવનને સુંદર કરતો કરતો આગળ જા. ફળનો ત્યાગ ન કરીશ. ફળને ફેંકી દેવાનું નથી પણ તેને ઈશ્વરની સાથે જોડી આપવાનું છે. કર્મયોગમાં તોડી લીધેલું ફળ રાજયોગમાં જોડી દેવામાં આવે છે. વાવવું ને ફેંકી દેવું એ બે વાતમાં ફેર છે. વાવેલું થોડું સરખું અનંતગણું થઈને, ભરપૂર થઈને મળશે, ફેંકેલું ફોગટ જશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું. તેથી જીવનમાં અપાર આનંદ ઊભરાશે અને પાર વગરની પવિત્રતા આવશે. ’

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ઉધો ગમતુ નથી ગોવિંદ વિના – (88)

ઉધો ગમતુ નથી ગોવિંદ વિના, તમે કહેજો મથુરા જઇ
રાધીકાને દરશન દેવા, એકવાર આવો અહીં –ટેક

વિરહની વાતો વિરહી જાણે, જેણે કરી પ્રીત સાચી સઇ
નાતો ઘણો નાનપણાનો, તેને તોડી ગયા તહીં –1

શિદને તલસાવો શામળા, જરા દયા લાવો કંઇ
ગરીબ ગોવાલણ ગામડી અમને, સાચી સમજણ નહીં –2

શોભતું નથી શામળા તમને, તરછોડી જાવું તહીં
ભજનપ્રકાશ પ્રીત પૂરવની, તોડી તૂટે નહીં –3

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Leave a comment

પાર્થને કહો ચડાવે બાણ – મહાકવિ નાનાલાલ

પાર્થને કહો ચડાવે બાણ

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ

– મહાકવિ નાનાલાલ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

પાપનો ડર નથી (47)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૭ – પાપનો ડર નથી

29. બધે હરિભાવના રાખવી એ વાત એક વાર ચિત્તમાં બરાબર ઠસી ગયા પછી એકબીજાએ એકબીજાની સાથે કેવી રીતે વર્તવું તેનું બધુંયે નીતિશાસ્ત્ર આપોઆપ સહેજે અંતઃકરણમાં સ્ફુરવા માંડશે. બલ્કે, તેની જરૂર જ નહીં રહે. પછી દોષો દૂર થશે, પાપો નાસી જશે, અને દુરિતોનું અંધારૂં હઠી જશે. તુકારામે કહ્યું છે,

चाल केलासी मोकळा । बोल विठ्ठल वेळोवेळां ।
तुज पाप चि नाहीं ऐसें । नाम धेतां जवलीं वसे ।।

ચાલ, તને છૂટ આપી છે. વારે વારે વિઠ્ઠલનું નામ લે. તારૂં એવું એકે પાપ નથી જે નામ લીધા પછી પાસે ઊભું રહે. ચાલ, પાપ કરવાની તને પૂરી છૂટ છે. તું પાપ કરતો થાકે છે કે પાપોને બાળતાં હરિનામ થાકે છે એ એક વાર જોઈ લઈએ. હરિનામની આગળ ટકી શકે એવું ધીંગું, દાંડ પાપ છે ક્યાં ? करीं तुजसी करवती – તારાથી થાય તેટલાં પાપ કર. તને સદર પરવાનગી છે. નામની અને તારાં પાપની એક વખત કુસ્તી થવા દે. અરે, એ નામમાં આ જન્મનાં તો શું, અનંત જન્મનાં પાપા એક જ ક્ષણમાં બાળીને ખાક કરવાનું સામર્થ્ય છે. ગુફામાં અનંત યુગોથી અંધારૂં ભરેલું હશે તોયે એક દિવાસળી ઘસી કે થયું, તે બધુંયે પળવારમાં હઠી જશે. અંધારાનો પ્રકાશ થઈ જાય છે. પાપો જેટલાં જૂનાં તેટલાં વહેલાં મરે છે. તે મરવાને વાંકે જ જીવી રહેલાં હોય છે. જૂનાં લાકડાંની રાખ થતાં જરાયે વાર લાગતી નથી.

30. રામનામની પાસેપાપ રહી જ શકતું નથી. છોકરાંઓ કહે છે ને કે, ‘ રામ બોલતાંની સાથે ભૂતો ભાગી જાય છે. ’ નાનપણમાં અમે છોકરાઓ સ્મશાનમાં જઈને પાછા આવતા. સ્મશાનમાં જઈ ત્યાં ખૂંટી મારી આવવાની અમે શરતો બકતા. રાતને વખતે સાપસાપોલિયાં હોય, કાંટાઝાંખરાં હોય, બહાર અંધારૂં ઘોર, અને છતાં અમને કશું લાગતું નહીં, ભૂત કદી જોવાનું મળ્યું નહીં. આખરે ભૂત બધાં કલ્પનાનાં જ ને ? તે ક્યાંથી દેખાય ? એક દશ વરસના બાળકમાં રાત્રે મસાણમાં જઈ આવવાનું આ સામર્થ્ય ક્યાંથી આવ્યું ? રામનામથી. તે સામર્થ્ય સત્યરૂપ પરમાત્માનું હતું. પરમેશ્વર પાસે છે એવી ભાવના હોય પછી આખી દુનિયા સામી આવીને ઊભી રહેતાં હરિનો દાસ ડરતો નથી. તેને કયો રાક્ષસ ખાઈ શકશે ? રાક્ષસ બહુ તો તેનું શરીર ખાઈ જશે ને પચાવી શકશે. પણ રાક્ષસને સત્ય પચવાનું નથી. સત્યને પચાવી જઈ શકે એવી શક્તિ જગતમાં કોઈ નથી. ઈસ્વરી નામની સામે પાપ ટકી જ શકતું નથી. તેથી ઈશ્વરને મેળવો, તેની કૃપા મેળવો. બધાંયે કર્મો તેને અર્પણ કરો. તેના થઈને રહો. સર્વ કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જશો એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Blog at WordPress.com.