Daily Archives: 24/11/2008

કર્મયોગ-વ્રતમાં અંતરાય – (13)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય ત્રીજો – કર્મયોગ
પ્રકરણ ૧3 – કર્મયોગ-વ્રતમાં અંતરાય

11. કર્મયોગી પોતાનુ કર્મ બીજાઓના કરતાં વધારે સારી રીતે કરશે. તેને સારૂ કર્મ ઉપાસના છે, કર્મ પૂજા છે. મેં દેવની પૂજા કરી. તે પૂજાનો નૈવેદ્ય મેં પ્રસાદ તરીકે લીધો. પણ એ નૈવેદ્ય તે પૂજાનું ફળ છે કે ? નૈવેદ્ય પર નજર રાખી પૂજા કરનારને પ્રસાદનો ટુકડો તાબડતોબ મળશે એમાં શક નથી. પણ કર્મયોગી પોતાના પૂજાકર્મ વડે પરમેશ્વરદર્શનનું ફળ મેળવવા માગે છે. ખાવાને મળનારા નૈવેદ્ય જેટલી નજીવી કિંમત તે પોતાના કર્મની કરતો નથી, પોતાના કર્મની કિંમત ઓછી આંકવા તે તૈયાર નથી. સ્થૂળ માપથી તે પોતાના કર્મને માપતો નથી. જેની દ્રષ્ટિ સ્થૂળ તેને સ્થૂળ ફળ મળશે. ખેતીવાડીની એક કહેવત છે. ‘खोलीं पेर पण ओलीं पेर’ – ઊંડું ઓર પણ ભીનામાં ઓર. એકલું ઊંડું ખેડ્યે કામ નહીં થાય. નીચે જમીનમાં ભેજ પણ જોઈશે. ઊંડી ખેડને જમાનમાં ભેજ, બંને હશે તો અનાજનાં કણસલાં કાંડાં જેવાં માતબર થશે. કર્મ ઊંડું એટલે કે સારામાં સારૂં કરવું જોઈએ. વધારામાં તેમાં ઈશ્વરભક્તિની, ઈશ્વરાર્પણતાની ભાવનાની ભીનાશ પણ જોઈએ. કર્મયોગી ઊંડાણથી કર્મ કરી તે ઈશ્વરને અર્પણ કરે છે. આપણા લોકોમાં પરમાર્થના ગાંડાઘેલા ખ્યાલો પેદા થયા છે. જે પરમાર્થી હોય તેણે હાથપગ હલાવવાના હોય નહીં, કામકાજ કરવાનું નહીં, એવું લોકો માને છે. જે ખેતી કરે છે, ખાદી વણે છે તે ક્યાંનો પરમાર્થી, એવું પુછાય છે. પણ જે જમે છે તે ક્યાંનો પરમાર્થી ? એવો સવાલ કોઈ કદી પૂછતું નથી ! કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે; રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ એઠવાડ કાઢે છે ; વનમાં ગાયો ચારવા જાય છે; દ્વારકાનો રાજા ફરી કોઈ વાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણ થાપનાર કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. અને સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલાં ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા છે.

12. આવા આ કર્મયોગના દિવ્ય વ્રતમાંથી બે કારણે માણસ ચળી જાય છે. ઈન્દ્રિયોનો ખાસ સ્વભાવ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ‘અમુક જોઈએ ને અમુક નહીં’ એવા દ્વંદ્વમાં ઈન્દ્રિયો વીંટળાયેલી હોય છે. જે જોઈએ તેના પર રાગ એટલે પ્રીતિ અને જે ન જોઈએ તેના પર દ્વેષ પેદા થાય છે. આવા આ રાગદ્વેષ અને કામક્રોધ માણસને ફાડી ખાય છે. કર્મયોગ કેટલો સુંદર, કેટલો રમણીય ને કેવો અનંત ફળ આપનારો છે ! પણ આ કેમક્રોધ ‘આ લે ને પેલું ફેંકી દે’ એવી લપ વળગાવીને કાયમ આપણી પાછળ પડ્યા છે. એમની સંગત છોડો એવી જોખમની ચેતવણી આપતી સૂચના આ અધ્યાયને છેડે ભગવાન આપે છે. સ્થિતપ્રજ્ઞ જેવો સંયમની મૂર્તિ છે તેવા જ કર્મયોગી પુરૂષે થવું જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

કાળી કાળી કામળીવાળો રે – (53)

રાગઃ- હીંચ

કાળી કાળી કામળીવાળો રે મીઠુડી મોરલીવાળો રે –ટેક

મોર પીંછવાળો મુગટ માથે મોતી વાળો રે
ઝગમગતી ઝુલડી પેરી, ખંભે ખેસડાવાળો રે –1

ગેડી દડો હાથમાં ગોવિંદ રમવાવાળો રે
ગોવાળ સંગે ગાયો ચારે, ખેલ ખેલવાવાળો રે –2

નંદ જસોદાનો લાડકો મોહન મચકાવાળો રે
માખણ મીસરી મીઠી, મોહન ખાવાવાળો રે –3

કમળફૂલનો ભારો લાવી, મામાને મારવાવાળો રે
ઇંદ્રતણું અભિમાન અંતરનું હરવાવાળો રે –4

ગોકુલ ગામડું ડૂબતાં ગોવર્ધન ધરવાવાળો રે
વ્રજવાસીના પુણ્યે ગોકુલ આવવાવાળો રે –5

ગોપીઓના ઘરમાંથી માખણ ચોરવાવાળો રે
ભજનપ્રકાશ ગોપીના ઘરમાં ઘૂમે ન જાવાવાળો રે –6

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

રેશનાલિઝમઃ અજવાળું અને આગ – ઉર્વિશ કોઠારી

ઇશ્વર વિશેની ચર્ચા મોટે ભાગે નિરર્થક સાબીત થાય છે. કારણ કે ઇશ્વરમાં ન માનનારાને લાગે છે, ‘આ શ્રદ્ધાળુઓ કદી સમજવાના નથી.’ અને ઇશ્વરમાં માનનારા? એમને લાગે છે કે ‘આ નાસ્તિકો કદી સ્વીકારવાના નથી.’ બીજા ઘણા સવાલોની જેમ ઇશ્વરના મામલે જગત ફક્ત બે ભાગમાં વહેંચાયેલું નથી. ઘણા લોકો એવા પણ છે, જેમને ઇશ્વર હોય કે ન હોય એથી કશો ફરક પડતો નથી. ઇશ્વર પ્રત્યે તેમનો અભિગમ ‘હશે ભાઇ! એ હોય તો જ્યાં હોય ત્યાં સુખી રહે!’ એવો છે. ઇશ્વરનું નામ પડતાં આ લોકોની મુઠ્ઠીઓ ભીંસાતી નથી, તો હથેળીઓ જોડાતી પણ નથી. એવા લોકો ધર્મસ્થાનોમાં ઘેટાંબકરાંની ગીરદી કરવા જતા નથી. છતાં, અનિવાર્ય લાગે ત્યારે – ખાસ કરીને બીજા કોઇના મહત્ત્વના હિતની જાળવણી ખાતર- ધર્મસ્થાનમાં જવામાં ધર્મસંકટ અનુભવતા નથી. એમ કરવામાં ‘મારી વિવેકબુદ્ધિ ભ્રષ્ટ તો નહીં થાય ને?’ એવી અસલામતી તેમને થતી નથી. ઇશ્વરની માન્યતાથી માનનારને કે બીજાને કોઇ નુકસાન ન થતું હોય અને માન્યતા ધરાવનારને મનોવૈજ્ઞાનિક ટેકો મળતો હોય, તો એમાં તેમને ખાસ કંઇ વાંધાજનક લાગતું નથી. ઇશ્વરની ટેકણલાકડી ધરાવતા માણસોને આત્મશ્રદ્ધા – વૈચારિક સમજણથી સજ્જ અને સ્વનિર્ભર કર્યા પહેલાં, ઇશ્વરની ટેકણલાકડી સીધેસીધી ખસેડી ન લેવાય, એટલું સમજવાની વિવેકબુદ્ધિ તેમનામાં છે.

રેશનાલિઝમઃ સાઘ્ય કે સાધન?
ફિલસૂફો-વિદ્વાનોની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીએ તો, ઇશ્વરના અસ્તિત્ત્વ વિશેની ઘણીખરી ચર્ચામાં બને છે એવું કે વાત ઇશ્વર પર અડી જાય છે ને માણસાઇ- મનુષ્યત્વનો સૌથી મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી જાય છે. માણસ સારો છે કે નહીં, તેનો સંપૂર્ણ આધાર તે ઇશ્વરમાં માને છે કે નહીં એની પર છે? ના. સૈદ્ધાંતિક રીતે એવું કહી શકાય કે ઇશ્વરમાં-સ્થાપિત ધર્મમાં ન માનનાર માણસ ગેરમાન્યતા-પૂર્વગ્રહ-કુંઠાઓથી મુક્ત રહી શકવાને કારણે વઘુ સારો માણસ બની શકે. પરંતુ વ્યવહારમાં એવું ઓછું જોવા મળે છે. પોતાની જાતને ‘રેશનાલિસ્ટ’ કહેવડાવવા આતુર ઘણા લોકોએ રેશનાલિઝમને કેવળ ઇશ્વરના ઝનૂની વિરોધનો અને પોતાની નિરંકુશ સ્વચ્છંદતાને વાજબી ઠરાવવાનો પર્યાય બનાવી દીઘું છે. રેશનાલિઝમનો પાયો ભલે ઇશ્વર અને અંધશ્રદ્ધાના નકારનો હોય, પણ તેનો વ્યાપ જીવન અને વ્યવહારના બધા વિષયોને આવરી લે છે. બધી બાબતોમાં રેશનલ (વિવેકબુદ્ધિયુક્ત) અભિગમ રાખવો, કશું ઇશ્વરને આધીન છોડવું નહીં અને એક માણસને છાજે એવું જીવન જીવવું, એ રેશનાલિઝમનું મૂળભૂત ઘ્યેય છે. બીજા શબ્દોમાં કહીએ તો, રેશનાલિઝમ પોતે સાઘ્ય નથી, પણ સાધન છે- તે સારા માણસ બનવાની દિશામાં આગળ વધવાનો નકશો છે. આ વ્યાખ્યા દરેક ધર્મને પણ લાગુ પાડી શકાય. ફરક એટલો કે ધર્મોના આદર્શની સરખામણીમાં આદર્શ રેશનાલિઝમ વધારે ઉદાર, ભેદભાવરહિત, અહિંસક, શોષણવિરોધી, ઝનૂનરહિત હોય છે. મુખ્ય તકલીફ આદર્શની નહીં, પણ વાસ્તવિકતાની છે. આદર્શ કોણ જોવા ગયું છે? લોકો પોતાની આસપાસ જે જુએ તેની પરથી હિંદુત્વની, ઇસ્લામની કે રેશનાલિઝમની વ્યાખ્યા બાંધે છે. એ રીતે વિચારતાં, કેવી છે રેશનાલિઝમની પ્રચલિત વ્યાખ્યા?

બહારની ઝાંય, અંદરનો રંગ
સૌથી સાદી સમજણ પ્રમાણે રેશનાલિઝમ એટલે અંધશ્રદ્ધાનો અને ઇશ્વરનો ઇન્કાર. એ છાપને અનુસરીને ‘ઇન્સ્ટન્ટ રેશનાલિસ્ટ’ બનવા ઇચ્છતા ઉત્સાહીઓ લાગલા ઇશ્વરના ઇન્કારની ગાડીમાં ચડી બેસે છે – અને તેમની ગાડી કદી પ્લેટફોર્મ પરથી ઉપડતી જ નથી! તેમની સફર ઇશ્વરના ઇન્કારથી શરૂ થઇને ત્યાં જ પૂરી થઇ જાય છે અને વિવેકબુદ્ધિનો ભંગ કરતી બાકીની બધી વૃત્તિ-પ્રવૃત્તિ એમની એમ જ રહે છે. રેશનાલિસ્ટ તરીકેની વિશિષ્ટ ઓળખ અને ‘અમે તો વીર સમાજની પરવા નહીં કરવાવાળા’ એવા ગુમાનને કારણે કદાચ અંકુશમાં રાખવાલાયક વૃત્તિઓ વકરે છે. ગુજરાત-મુંબઇનાં રેશનાલિસ્ટ વર્તુળોમાં આ પાઘડીની સાઇઝને બંધબેસતાં ઘણાં માથાં મળી આવશે. કેવળ ચમત્કારવિરોધ-ઇશ્વરવિરોધની ટૂંકી મૂડી ધરાવતા ‘રેશનાલિસ્ટો’ અને કોઇ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ઝાઝો તાત્ત્વીક ફરક રહેતો નથી. એવા રેશનાલિસ્ટોનું રેશનલાઝિમ વ્યક્તિકેન્દ્રી બને છે. પરિણામે સંપ્રદાયો કરતાં અનેક ગણા નાના રેશનાલિસ્ટ વર્તુળમાં મોટા પાયે હુંસાતુંસી અને ખેંચતાણો થાય છે, ચોકા ઊભા થાય છે, ભક્તમંડળો રચાય છે. કોઇ પણ ધાર્મિક માણસ જેવી માનસિકતાના બાહ્ય આવરણ પર રેશનાલિઝમનો ભડક રંગ લગાડવાથી પહેલી નજરે તેમાં વિવેકબુદ્ધિની ઝાંયનો ભાસ થાય, પણ સહેજ નખ મારતાં નવો રંગ ઉખડી જાય છે અને અંદરની અસલિયત દેખાઇ આવે છે. અંદર સુધી ઉતરેલા વિવેકબુદ્ધિવાદના રંગને બદલે આભાસી ઝાંય ધરાવતા રેશનાલિસ્ટોનું પ્રમાણ વધે તેમ, એ લોકો રેશનાલિઝમના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બની જાય છે. આવું થાય તો કેવી કરૂણ સ્થિતિ સર્જાય, તેની કલ્પના કરવાની જરૂર નથી. ગુજરાત અને મુંબઈના ગુજરાતી રેશનાલિસ્ટોની ટૂંકી બિરાદરીમાં અત્યારે મહદ્ અંશે એવી જ સ્થિતિ સર્જાયેલી છે. રેશનાલિઝમની પ્રવૃત્તિ સામુહિક સ્તરે અને વૈચારિક ચળવળની જેમ કાઠું કાઢવાને બદલે ધર્મ કે સંપ્રદાયોની જેમ અનેક ફાંટામાં વિભાજીત થયેલી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની જેમ રેશનાલિઝમની સંસ્થાઓ ‘કોમન મિનિમમ પ્રોગ્રામ’ (લધુતમ સામાન્ય મુદ્દા) ઉપર પણ એકમતિ સાધી ન શકે, એટલી હદે તે વ્યક્તિગત કે સંસ્થાગત રજવાડાંમાં ફેરવાઇ ચુકી છે. એટલે, ગુજરાતને વિવેકબુદ્ધિની સૌથી વધારે જરૂર છે, એવા સમયગાળામાં રેશનાલિસ્ટો તરફથી ઘોર નિરાશા સિવાય ભાગ્યે જ બીજું કંઇ મળે છે.

બ્રાન્ડ ‘રેશનાલિસ્ટ’
એક જમાનામાં સ્વાઘ્યાયીઓ ‘અમારે ત્યાં બધા બૌદ્ધિકો આવે છે’ એમ કહીને, લોકોને કંઇ નહીં તો ‘બૌદ્ધિક’ દેખાવાની લાલચ આપીને સ્વાઘ્યાય પ્રવૃત્તિ ભણી ખેંચવા પ્રયાસ કરતા હતા. રેશનાલિઝમમાં પણ કંઇક અંશે એવી સ્થિતિ પેદા થઇ છે. બૌદ્ધિક દેખાવાનો સૌથી ટૂંકામાં ટૂંકો ઉપાય છેઃ બે-ચાર પ્રચલિત અંધશ્રદ્ધાઓ નકારી કાઢીને, એક-બે ધર્મગુરૂઓની ઉપરછલ્લી ટીકા કરીને પોતાની જાતને રેશનાલિસ્ટ તરીકે જાહેર કરી દેવી. આટલું કર્યા પછી પોતપોતાના પૂર્વગ્રહો-અજ્ઞાન-ઝનૂન યથાતથ રાખીને, ચોકામાં વહેંચાઇને પરસ્પર પીઠખંજવાળની પ્રવૃત્તિ દ્વારા સુખેથી બૌદ્ધિક-રેશનાલિસ્ટ તરીકે કોલર ઉંચા રાખીને ફરી શકાય છે. રેશનાલિઝમ જેમના માટે સાઘ્ય મટીને પોતાની કારકિર્દી ઘડવાનું, ઓળખના સિક્કા જમાવવાનું, અનુયાયીગણ પોષવાનું કે ધંધો કરવાનું સાધન બની ગયું હોય, એવા લોકોની સંખ્યા ઘણી વધી છે. આ લોકોને રેશનાલિસ્ટ તરીકેના પોતાના બ્રાન્ડિંગમાં જેટલો રસ છે, તેનાથી દસમા ભાગનો પણ રેશનલ વ્યક્તિ બનવામાં નથી. રેશનાલિસ્ટ બન્યા પછી પણ મોટા ભાગના માણસો પોતાની મૂળભૂત પ્રકૃતિમાંથી છટકી શકતા નથી. વાંધો પ્રકૃતિનો નથી, પણ દાવાનો છે. પોતાનો ધર્મ સૌથી મહાન છે એવું માનતા ધાર્મિકોની જેમ રેશનાલિસ્ટો પણ કટ્ટરતા અને ઝનૂનથી એવું માનવા લાગે કે રેશનાલિઝમ શ્રેષ્ઠ છે, અમે રેશનાલિસ્ટ હોવાથી અમે શ્રેષ્ઠ છીએ અને બાકીનાં તો ધાર્મિકતામાં ખદબદતાં જંતુડાં છે. ધાર્મિકતાનો અતિરેક અને અંધશ્રદ્ધા માણસોને જંતુવત્ બનાવી શકે છે, તો રેશનાલિઝમના નામે તેનાં બાહ્ય લક્ષણોનું જડ અનુકરણ કરનારા પણ ‘માણસ’ રહી શકતા નથી. પોતાનું અધકચરૂં રેશનાલિઝમ બીજા પર થોપવાની વૃત્તિ, ચેલા મૂંડવા સદા આતુર રહેતા બાવાઓ કરતાં જરાય જુદી નથી હોતી.

રેશનાલિઝમઃ અજવાળાનો પર્યાય
આટલું વાંચીને ઇશ્વરવાદીઓ કહી શકે છેઃ ‘જોયું? અમે નહોતા કહેતા? આ નાસ્તિકો (રેશનાલિસ્ટો)ના રવાડે ચડાય નહીં.’ એવા ઇશ્વરવાદીઓના કમનસીબે એવા રેશનાલિસ્ટો પણ મોજુદ છે, જે ઝનૂની રેશનાલિસ્ટ નથી. તે ઇશ્વર કે નીયતી પર ટેકો દઇને જીવન જીવવાને બદલે જિજ્ઞાસા અને સંશોધનથી જીવનની સમસ્યાઓનો સામનો કરે છે. ક્રૂર-ઘાતકી રાજા જેવાં લક્ષણો ધરાવતા ઇશ્વર સાથે તેમને કશી લેવાદેવા હોતી નથી. મોટી ક્લબોમાં ફેરવાઇ ગયેલા સ્થાપિત ધર્મો અને ધાર્મિક પ્રવૃત્તિઓથી તે દૂર રહે છે. મનુષ્યજાતિના સામુહિક ઉત્કર્ષ માટે મહાન સંશોધનો કરનારા વૈજ્ઞાનિકો તેમને કાલ્પનિક સગવડીયા ઇશ્વર કરતાં વઘુ મહાન લાગે છે. વિજ્ઞાન પ્રત્યે તે અનન્ય ઋણભાવ અનુભવે છે અને સાચા રેશનાલિઝમ દ્વારા પોતાના જીવનમાં જે અજવાળું પથરાયું, તે બીજાના જીવનમાં પણ પથરાય એવી તેમની સતત લાગણી રહે છે. એવા રેશનાલિસ્ટો પોતાના પ્રચાર કે ધંધા માટે નહીં, પણ બીજા લોકો પ્રત્યેની લાગણી અને અનુકંપાથી પ્રેરાઇને ધીરજપૂર્વક રેશનાલિઝમનો ફેલાવો કરવાનો પ્રયાસ કરે છે. અકાળે આ દુનિયામાંથી વિદાય લેનારા રવજીભાઇ સાવલિયામાં આ બધાં લક્ષણોનો દુર્લભ સમન્વય હતો. તેમના જેવા વ્યવહારૂ, પૂર્વગ્રહમુક્ત, ઝનૂનરહિત અને સંવેદનશીલ રેશનાલિસ્ટોની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થઇ રહી છે, એ અંધશ્રદ્ધા નહીં પણ નક્કર હકીકત છે. રેશનાલિસ્ટોના વર્તમાન સમુહે ઇશ્વર કે અંધશ્રદ્ધાની સાથોસાથ અરીસા સામે જોઇને પણ ઝુંબેશો છેડવાની જરૂર છે.

Categories: ચિંતન | Tags: | Leave a comment

બાણપથારી – ઉમાશંકર જોશી

બાણપથારી
(શીખરીણી)

હજારો ભાનુની ધરતી પરકમ્મા કરી વળી,
નહીં તોયે આગે ડગ કંઈ ભર્યાં આદિ મનુજે.
હજારો વર્ષોમાં વિફરી પશુતા, પોત અદકું
મનુષ્યાકારોમાં પ્રગટ્યું પશુએ, ને કહીં કહીં
ખીલેલાં માનવ્યે બહુ બળ કર્યું સત્ય ધરવા;
ડૂબ્યા મૌને યત્નો ! સતકણ ડૂબ્યો ના પણ છતાં.

કરેલા સંસારે અગણિત ગુન્હા કૈંક સદીઓ,
યથેચ્છાએ વેર્યા અડગ ઢગલા, તે નિજ પરે
ધીરે ઓઢી લેતું હૃદય કુમળું એક પ્રગટ્યું –
અનેરા કારુણ્યે પતિત પડખે જૈ રહ્યું ખડું.
ચુરાશે પોતે કે દબી મરી જશે તે ડર વિના
ઉગારી પ્હેલાં સૌ, પછી જ ચહ્યું પોતે ઊગરવા.
અને એ પાપોના દફન કરવા પુંજ સઘળા
બિછાયું એ હૈયું ચહુ દિશ વિંટાઈ કફનશું.

પડેલાં, પીડેલાં ચલિત, દલિતો ને ઘરવનાં
અનાથો – તે સૌનો જીવતર બની, બંધુ બનીને
ગરીબોનો બેલી ઈશુ પ્રગટિયો વિશ્વપ્રણયી.
અને આંસુધારે ટપકી, નહિ કારુણ્ય અટક્યું;
પડેલાંને બાંયે પકડી ઊંચક્યાં પુણ્યસ્વરગે.
ઉરે પેટી જ્યોતિ, નિજથી પ્રગટાવી સહુ ઉરે.
રહી નાચી સૃષ્ટિ નવ–ઉજમથી, સંતજનની
દિશાઓ ઘેરીને ઊછળી ઉરગંગા ભીંજવતી.

મહાકલ્યાણોર્મિ જગત જીરવી એ નવ શક્યું.
ધપી જાતું વેગે વહન રૂંધવા, હાથ બળિયા
શરીરી સત્તાના અધવચધર્યા ને રણ રચ્યું–
સૂકું ચોપાસે, ત્યાં અરર ! ઉરગંગા શમી ગઈ !
ઉખેડી પેટાળો જડ, પ્રગટિયાં કો ઉર તણાં
નવાણોમાં મૂંગી સમસમી રહી દિવ્ય કરુણા.

ઈશુને જીવ્યે જે જગતહૃદયોમાં નવ વસ્યું,
વસ્યું કૈં તે એને ક્રૂસ પર ચઢ્યે, ને જગજને
સુખે માણ્યાં શોખો જીવનબલિ પેગંબર તણો
પૂજી, રોઈ, ગાઈ, પણ ન પ્રગટાવ્યું ઈશુ–ઉર.
રચ્યા ધર્મો, ને ઉત્સવ ઉજવિયા દિવ્ય બલિના
મીઠો એનો કિંતુ હુકમ સહુના બંધુપનનો
જગે ઘોળી પીને અશમ ઉલટાવ્યાં વિષ ઉરે.

ઈશુ સૌ હૈયામાં ક્ષણ ક્ષણ ચડ્યા ક્રૂસ ઉપરે !
ઘવાયેલા પ્રેમે અશ્રુંત ભરિયું મૌન ડૂસકું !
મહામૃત્યુસત્રો જગ ઉજવતું જંગ જગવી;
દુભાયેલા સત્યે ભરવું તિમિરે ચાહ્યું ડગલું.
જગે પંથે છોને મરણક્રૂસ રોપ્યાઅડગ હો !
મહાકલ્યાણોને પથ કવણ શંકાભય ?– અને
ધીરે પૃથ્વીતીરે પ્રબુધઉર ગાંધી ઊતરિયા.

અરે જાને બાપુ ! નજર અમ સામી કરીશ ના !
પળ્યો જા તું તારે, જગકીચડમાં પાય ધર મા !
અમે પાપી ભૂંડાં સત સમજિયે; શે જીરવવું
પરંતુ એ ?! જા તું ! જય તુજ થશે, સત્ય જિતશે.
અમારાં પાપોની કરીશ પરવા ના લગીર તું.
શિરે લેવા જાતાં ગઠડી કચડાઈ તું મરશે.
અમોને પાપો તો કંઈ યુગથી કોઠે પડી ગયાં.
તું જેવા એકાકી ભડથી વળશે શું ઘડિકમાં ?

થયું ડાહ્યું કાંઈ જગ – વહી ગઈ વીસ સદીઓ –
ન રોપ્યા કાષ્ટોના ક્રૂસ સ્થૂલ, ઉરે કિંતુ પરખી
ઉપાડ્યા ગાંધીએઃ ‘દુરિત મરશે કે મરીશ હું.’
હજારો મૃત્યુની કરપીણ વહોરી ઉરવ્યથા
અને મોઢે મોંઘું સ્મિત ફરકતું રાખી કુમળું
ઘડ્યું ગાંધીએ જીવન ચિરક્રૂસારોહણ સમુ.

અરે એ સિંધુ શા ઉરની લહરી ફેનિલ સ્ફુરે;
નિહાળી તે નૌકા–જમીનતટ જાણી ક્યમ શકે
ઊંડાણે લાગેલા ભીષણ વડવાગ્નિ ? નિશિદિનિ
પ્રવૃત્તિઓ જાણે જલધિ–ધબકારે ઊછળતી.
ગળે મેલી ઘેલી જગની સરિતાઓ અણગણી;
ગભીરે એ હૈયે નિજની લઈને નાવ રમતાં
કરોડો નિઃશંકે; નિજ ઉરવરાળો દૂર સુધી
વહાવી વર્ષાવે અમી હૃદય કેરાં અણખૂટ્યાં.
અને આકાશી એ ગહન ઉરની શાંતિ દીસતી,
ન જુએ કો ઊંડે રતનકણ જેવા દીપી રહ્યા
વીંઝાતા ગોળાઓ મથન કરતા જે હૃદયનું.
વ્યથા ના જોવી, ને ફકત ઉર આનંદ જ મહીં
જગે ભાગી થાવું. સતપુરુષને તો નિજ વ્યથા
વલોવી સૌ સામે નિજસકલનો સાર ધરવો.

ગયા સિંધુ કેરું મથન કરવા દેવદનુજો,
વલોવી મેરુથી જલધિજલનાં રત્ન અમૂલાં
અતિ રાચ્યા,નાચ્યા;તહીં જ વિષ હાલાહલ ચઢ્યું
દિશાઓ ઘેરીને પ્રલયપૂર જેવું ઊમટિયું,
અને રત્નોઘેલા સુરઅસુરથી ના વળી શક્યું !
ઉમાશૃંગેથી ત્યાં શિવ ઊતરિયા સંયમવ્રતિ
અને એકી ઘૂંટે વિષ ગટગટાવ્યાં, જગતને
સુરક્ષ્યું, ને પૂંઠે અમૃત મળ્યું તેની નવ તમા !

મળીને આજે યે સુરઅસુર આ માનવ તણા
વિશાળા સિંધુનું મથન કરતા સ્વસ્વહિતથી.
મળ્યાં રત્નો કે ના કવણ કહશે ? કિંતુ દીસતાં
વિષો ઘોડાપૂરે જગ ઊભરતાં. તે જીરવવા
ગજું શેં એકાકી મનુજ તણું ? તોયે ધીરપથી
ધરે કોઠે ગાંધી સ્મિત ફરકતે સંયમવ્રતી.

ન રે ! તારે પંડે જગત ! વિષ દેવા જવું પડે.
યથા ગ્રીસે પૂર્વે સુક્રુતકર પ્યાલી વિષ તણી
દીધી, ને ઘેલૂડી પ્રભુપ્રણયમાં પ્રાણ ધરતી
સુકંઠી મીરાંને દીધ વિષકટોરી નૃપતિએ,
ન એવું ગાંધીને. – નિજ નજર તીણી ચલવીને
લિયે ગોતી એ તો વિષ હૃદયપ્યાલા. વિષ ચૂસી
ભરી દે પાછા એ ઉર અમૃત પૂરી નિજ તણાં.

અસત્પુંજો, હિંસાદવ, હૃદયને બાળી દમતાં,
વિકારો વંટોળી ઉર વિમલ વીંધે જ શતધા;
ગરીબી–પાતાળે જન સબડતાં કોટિ કીચડે,
સ્વધર્મોના ભેદો જગવી અસહિષ્ણુ લડી મરે;
પછી શે જાગેલું હૃદય ક્ષણ જંપી પણ શકે ?
અને શે એકાકી દૂર કરી શકે પાપઢગલા ?
વીણી વીણી ફેંકી દઈ ભીતરના ક્ષુદ્ર વિષયો
ઊભા ગાંધી પંડે સહન કરવા સત્યવીતકો.

ઘવાયું જ્યાં કિંચિત્ સત, જખમ ગાંધીઉર થયો;
નિચોવાયું હૈયું, કહી જરીય જો પ્રેમ દુભવ્યો.
ગરીબીથી કંપી નિજ જીવન નિષ્કિંચન કર્યુ;
ઊંચાનીચા ભેદે થરથરી, લીધું દીનપડખું.
શકે કો એકાકી હૃદય, સહ્યું એથી કંઈ ગણું.
પથારી જે ભીષ્મે સમરબિચ પૂર્વે રચી હતી
સદા ગાંધીને તે મરણ શરશય્યા પર સૂવું !
જીવનભર એ શેં જીરવવું ?

‘અરે શાને સાધો તસુતસુ મરે મોત ?’ જગ ક્હે.
વદે સાધુઃ ‘તો કાં તસુતસુ તમે સત્ય છૂંદતાં ?
અરેરે ! નાનોશો જખમ પડતાં સત્ય ઉરને
કશી ત્યાં લાખોની મુજ સરીખડાંની ઉરવ્યથા ?
નિસાસો દે કંપી સત ઘડીક, એથી જગતનાં
હજારો હું જેવાં મરણ અભિનન્દે વરદ એ.’
મર્યે તારે જાણ્યું ક્યમ, ઊગરશે સત્ય !’‘મરણે
હું જેવાને, એનું હૃદય રૂઝશે એ ન બસ શું ?’
ઘણાંએ જીવીને સતહૃદય ઠાર્યું, મરણથી
અને કૈં એ; આજે નહિ જ અભિનન્દી જીવનને
ન કે વન્દી મૃત્યુ, પણ ઉણપ કેરી સમતુલા
રચી સામંજસ્યે ઈહ શરીરમાં બેય બળને
ધરી જીવે ગાંધી પરમસતમાં ને ક્ષણક્ષણે
દીસે આયુર્દોલા જીવનમરણોમાં હીંચકતી.

હજારો બીજી કૈં ધરતી પરકમ્મા સૂરજની
કરે, ધ્રૂસ્કે રોવું તદપિ ન શમે, અંતરવ્યથા
તણા જ્વાળામુખી પ્રલયપળ ઝંખે અધીર થૈ.
તને મારે ક્હેવું કવિજન અરે તે સમયના !
અમારી સામે તું નજર કરવી રે ન ચૂકજે.
જમાને તારે જો જગતઉર–લાવા સળગતા
ઉરે પોતા કેરે હસી ઠલવતા સંતજન હો,
કવિ ! તો રેડીને જીવન નિજ ગાજેઃ “જગજનો !
રિબાવી સંતોનાં હૃદય કુરબાનીની પછીથી
તમે ગાશો ગાથા. રમત ક્રૂર એવી શીદ રમો ?
ન કાં પ્હેલેથી તો હૃદય પરખો સંતજનનાં ?”

અમે આજે ગાતાં ઈશુની કુરબાની; બસ થયું !

ન કાલે ગાંધીની જીવનબલિગાથા કવીશ તું !


(ગંગોત્રી’માંથી)


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.