Daily Archives: 15/11/2008

ज्योत से ज्योत जगाते चलो – હિંદી ફીલ્મ (સંત જ્ઞાનેશ્વર)

ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो
राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो

जिसका न कोई संगी साथी ईश्वर है रखवाला
जो निर्धन है जो निर्बल है वह है प्रभू का प्यारा
प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा…

आशा टूटी ममता रूठी छूट गया है किनारा
बंद करो मत द्वार दया का दे दो कुछ तो सहारा
दीप दया का जलाते चलो, प्रेम की गंगा…

छाई है छाओं और अंधेरा भटक गई हैं दिशाएं
मानव बन बैठा है दानव किसको व्यथा सुनाएं
धरती को स्वर्ग बनाते चलो, प्रेम की गंगा…

कौन है ऊँचा कौन है नीचा सब में वो ही समाया
भेद भाव के झूठे भरम में ये मानव भरमाया
धर्म ध्वजा फहराते चलो, प्रेम की गंगा …

सारे जग के कण कण में है दिव्य अमर इक आत्मा
एक ब्रह्म है एक सत्य है एक ही है परमात्मा
प्राणों से प्राण मिलाते चलो, प्रेम की गंगा …

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી


જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 35 Comments

મંદીર તારૂં વિશ્વ રૂપાળું

મંદિર તારૂં વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે,

નહીં પુજારી, નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહિમા ગાતાં
ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતા શોભા તારી
થાક્યા કવિગણ સારા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધીરાં રે.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

સાચો દ્રષ્ટિકોણ એટલે વિજય-ભવનનું પ્રવેશદ્વાર

એક જ દે ચિનગારી

સાચો દ્રષ્ટિકોણ એટલે વિજય-ભવનનું પ્રવેશદ્વાર

એક યુવકે સંત સમક્ષ પોતાની ડાયરીનું પાનું ખોલી વિનંતી કરી કે તેમના હસ્તાક્ષર સાથે કોઈ પ્રેરક સંદેશ લખી આપો.

સંત મરક-મરક હસ્યા અને સરસરાટ એક વાક્ય પેલા યુવકની ડાયરીમાં લખી નાખ્યું: ‘નકારાત્મક વિચારોની પરોણાગત એ પરાજયને નિમંત્રણ છે.’

સંતનું આ વાક્ય કેવળ યુવક માટે જ નહીં, પ્રત્યેક વ્યક્તિ માટે માર્ગદર્શક છે. વાસીપણું એ મૃત્યુ છે, તાજગી એ જીવન. આપણે આપણા મનને અપેક્ષિત આઝાદી આપતા જ નથી. આપણે જોવું હોય એ એટલું જ એને જોવા દઇએ છીએ. સંઘરવું હોય તે જ તેટલું જ એને સંઘરવાની ફરજ પાડીએ છીએ. માણસ ‘મનમાની’ નહીં પણ ‘જાતમાની’ કરતો હોય છે. પોતાનો અસ્વસ્થ દ્રષ્ટિકોણ મન પર લાદવો એ પણ મનની મનોરમ ભૂમિને પ્રદૂષિત બનાવવાનો અવાંછનીય અને હાનિકારક પ્રયાસ જ ગણાય.

તથ્યો કરતાં તથ્યો પરત્વેનો દ્રષ્ટિકોણ વધારે મહત્ત્વનો છે. કોઈપણ પ્રકારનું તથ્ય કે માહિતી આપણી સમક્ષ આવે એટલે તરત જ આપણે આપણી વિચારણા મુજબનો પ્રતિભાવ, આદેશ કે નિર્ણય ઉતાવળે આપી દઈએ છીએ. કેરી પાકે તેની પ્રતીક્ષા કરવા આપણે તૈયાર હોઈએ છીએ, પણ આપણી વિચારણા પુખ્ત બને એટલો અવકાશ કે તક આપણે આપવાનું મૂુનાસિબ માનતા નથી. મળેલી માહિતી કે જાણવામાં આવેલા તથ્યને તટસ્થતાપૂર્વક તપાસવાનું અને તે પરત્વનો શુઘ્ધ દ્રષ્ટિકોણ કેળવવો એ માનસિક તપસ્યાનો વિષય છે. પણ માણસ નામના જીવને સાધના કરતાં સિઘ્ધિમાં જ વિશેષ રસ હોય છે. મળેલી માહિતીથી ન હચમચી ઉઠવું એ માણસે કેળવવાનો અતિ આવશ્યક સંયમ છે. આપણને ચલિત થતાં આવડે છે, વિચલિત થતાં આવડે છે પણ વિપરીત સંજોગોમાં અ-વિચલિત રહેતાં નથી આવડતું એ માનવવર્તનની સૌથી મોટી કરુણતા છે.

વિજયલક્ષી વિચારપ્રક્રિયા એ પોતે જ એક પ્રાર્થના છે. વિજયમાં શ્રઘ્ધા એ મનને સ્વસ્થ રાખવાનું ‘ટોનિક’ છે. નકારાત્મક કે પરાજયવાદી દ્રષ્ટિકોણ એ મનને બીમાર બનાવનારાં આપણે ઉછેરેલાં ‘બેક્ટેરીઆ’ છે, જેની દવા આપણા સિવાય કોઈની પાસે નથી હોતી.

પહેલાંના લોકો ઘૂળ ઝાટકવા કે માખી-મચ્છર ઉડાડવા ચમરીનો ઉપયોગ કરતાં હતાં. આજે સોફા, કારપેટ વગેરેને ઘૂળમુક્ત કરવા ‘વેક્યૂમ ક્લીનર’ વાપરે છે. આ આઘુનિક સફાઈ-સાધન આઘુનિક માણસ માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશો આપે છે. તમારા મનને રજોટીથી મુક્ત રાખવું હોય તો અંદરની ઘૂળને ખેંચી લેવાની કળા શીખી લો. પોતાના મનની અને પોતાના કર્મચારીઓ કે સાથીના મનના નકારાત્મક વિચારોને ભગાડી મૂકવા એ પારકાને પોતાના બનાવવાનો રામબાણ ઇલાજ છે. એકવાર માણસનું મન નકારાત્મક વિચારોની નાગચૂડમાંથી મુક્ત થઇ સકારાત્મક વિચારોનું મુસાફર બન્યું એટલે અડધી લડાઈ આપોઆપ જિતાઈ ગઈ. સાચો દ્રષ્ટિકોણ કેળવવો એ વિજય ભવનનું પ્રવેશ દ્વાર છે.

આજકાલ આપણે એવી ફરીયાદ કરીએ છીએ કે ક્યાંય સુધારણા શક્ય જ નથી. લોકોના મનમાં નકારાત્મક વિચારો અને જડતા એટલી હદ સુધી પ્રવેશી ગઇ છે કે તેઓ નવું કશું આવકારવા, વિચારવા કે સ્વીકારવા તૈયાર જ નથી !

આ પણ એક જાતનો સ્વયંસ્વીકૃત પરાજય છે. તમે જાતે જ નકારાત્મક્તાથી મુક્ત ન થાઓ તો અન્યને સકારાત્મક્તાના માર્ગે ક્યાંથી વાળી શકવાના ? સુધારણાનું રહસ્ય જ એ છે કે માણસની હીન ભાવનાને મુક્ત કરવા માટે શ્રઘ્ધાવાદી દ્રષ્ટિકોણ અપનાવી સતત યત્નશીલ રહેવું.

આપણને એમ લાગતું હોય કે અમુક બાબતમાં આપણે જીતી શકીશું નહીં તો આપણે એક કામ કરવું જોઇએ. અને તે કામ છે એક યાદી તૈયાર કરવાનું. એ યાદીમાં તમારી જીતના પક્ષે સાનુકૂળ વાતો/બાબતો કઇ-કઈ છે એ નોંધતા જવાનું. જો તમે કેવળ પ્રતિકૂળ બાબતોને પ્રાધાન્ય આપી તમારી જાતની કમજોરીઓની યાદી બનાવવાનું શરૂ કરી દીઘું તો તમે હિંમત હારતા જવાના. નકામી બાબતોને કે નકારાત્મક વિચારોને જાતે જ વધારે પડતું મહત્ત્વ આપવું એ આપણી જાતને હરાવનારા સૈનિકોની ભરતી કરવા જેવું કામ છે.

આપણી સંપત્તિ છે સકારાત્મક વિચારો, આપણી વિશિષ્ટ શક્તિઓ. આપણે તેમની પડખે ઉભા રહી એમને મજબૂત બનાવવી જોઇએ. એના ઉપર ઊંડું ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, જીવનની સારી બાબતો આપણી સમસ્યાઓ, પડકારો કે મુશ્કેલીઓ સામે લડવામાં ક્યાં અને કેવી રીતે મદદરૂપ થશે, એનું સતત ચિંતન કરી ઇશ્વરની કરુણામાં શ્રદ્ધા રાખવી એ વિજયપ્રાપ્તિ કે ગતિ-પ્રગતિનાં ઉત્તુંગ શિખરો સર કરવાની ગુરુચાવી છે. મારી જાત સિવાય મને કોઈ હરાવી શકે તેમ નથી એવી સકારાત્મક શ્રઘ્ધા-આત્મવિશ્વાસ એકવાર કેળવી તો જુઓ. બહાદુર બનો એટલે તમને વિજય અપાવનારી શક્તિઓ તમારી મદદે સ્વતઃ દોડી આવશે.

ઇમર્સન એક સુંદર સલાહ સૌને આપતા કે તમને જે કામ કરતાં ડર લાગતો હોય એ કામ કરી નાખો એટલે તમારો ડર આપોઆપ મૃતપ્રાય બની જશે. કહેવાય છે કે સ્ટોનવેલ જેકસન એક સાહસિક આક્રમણનું આયોજન કરી રહ્યા હતા ત્યારે સેનાના એક વડાએ કહ્યું કે મને અમુક વાતનો ડર છે કે… સ્ટોનવેલે એ જનરલની વાત તરત જ કાપી નાખતાં કહ્યું: ‘સેનાપતિ, તમારા ડરને ક્યારેય તમારો સલાહકાર બનાવશો નહીં.’ સફળતા કે વિજય માટેનો અડગ આત્મવિશ્વાસ કેળવવા નીચે દર્શાવેલી સાત બાબતોના તમે સંત્રી બનો:

૧. સફળતા માટેની શ્રઘ્ધાનું એક સૂત્ર હૃદયની દીવાલ પર કોતરી રાખો. એના પર કદીયે ઝાંખપ ન આવવા દો, એના પ્રત્યે કદીયે શંકાશીલ ન બનો. મન જે બાબતમાં દોડતું થઇ જાય છે એમાં કશી દખલ સહન નથી કરતું એટલે સકારાત્મક વિચારો તરફ દોડતા મનની ગતિમાં નકામા વિચારોનો વિક્ષેપ ઉભો ન કરો.

૨. સકારાત્મક વિચાર એ નકારાત્મક વિચારોનું મારણ છે. જ્યારે પણ નિરાશા કે નકારાત્મક્તા મન પર ત્રાટકે ત્યારે સકારાત્મક વિચારોનાં શ્વેતકણોને નકારાત્મક્તાનાં જીવાણુઓને મારવા કામે લગાડો.

૩. કાલ્પનિક મુશ્કેલીઓના મહેમાન બનવાનું ટાળો અને ડર સાથે દોસ્તી કરવાથી અળગા રહો.

૪. બીજાના નકારાત્મક અનુભવો, વિચારો કે માન્યતાથી દોરવાશો કે ભોળવાશો નહીં. બીજો બીજો છે. તમારી મર્યાદાઓની બીજાની લાક્ષણિક્તાઓની સાથે તુલના કરી તમારી જાતને નિર્બળ ન બનાવો.

૫. જ્યાં કોઈની સલાહ કે માર્ગદર્શનની જરરૂ હોય ત્યાં તે અવશ્ય લો, પણ એ બઘું કરવું આત્મજ્ઞાન કેળવવા, મજબૂત બનવા માટે. સતત એ વાતનું રટણ કરતા રહો કે હું દીન-દીન નથી. ઇશ્વરની મદદ અને કૃપાથી હું ધાર્યું કરવા શકિતમાન છું.

૬. પોતાની યોગ્યતા અને દક્ષતાનું સતત અવલોકન કરી એમાં દસ ટકાનો વધારો કરવાનું મનોબળ કેળવો, પણ એને કારણે અહંકાર મન અને વર્તનને અભડાવી ન જાય એની કાળજી રાખશો.

૭. તમારી જાતને પરમશક્તિ પ્રત્યે સમર્પિત કરી તેની કૃપાથી તમારામાં દિવ્ય શક્તિનો સંચાર થઇ રહ્યો છે એવી શ્રદ્ધાભીની અનુભૂતિ કરો.


ગુજરાત સમાચારમાંથી સાભાર


Categories: ચિંતન | Tags: | Leave a comment

એક જ દે ચિનગારી, મહાનલ – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડયો,
ન ફળી મહેનત મારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી.

ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ, હું અધિક ન માંગુ,
માંગુ એક ચિનગારી.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

ઋજુ બુદ્ધિવાળો અધિકારી (4)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
પ્રકરણ ૪ – ઋજુ બુદ્ધિવાળો અધિકારી

(16) હવે પછીની આખી ગીતા સમજવામાં અર્જુનની આ ભૂમિકા આપણને ઉપયોગી થઈ તે સારૂ આપણે જરૂર તેનો આભાર માનીશું. એ સિવાય બીજો પણ તેનો એક ઉપકાર છે. અર્જુનની આ ભૂમિકામાં તેના મનની અત્યંત ઋજુતા ચોખ્ખી દેખાય છે. અર્જુન શબ્દનો અર્થ ઋજુ એટલે કે સરળ સ્વભાવનો એવો થાય છે. તેના મનમાં જે કંઈ વિચાર અથવા વિકાર ઊઠ્યા તે બધા તેણે નિખાલસપણે કૃષ્ણની આગળ રજૂ કર્યા. પોતાના ચિત્તમાં તેણે કશું રહેવા ન દીધું. અને છેવટે તે શ્રીકૃષ્ણ શરણ ગયો. હકીકતમાં તે આગળથી કૃષ્ણશરણ હતો. શ્રીકૃષ્ણને પોતાના સારથિ પદે સ્થાપી પોતાના રથના ઘોડાની લગામ તેના હાથમાં સોંપી તે જ વખતે તેણે પોતાની મનોવૃત્તિની લગામ પણ તેના હાથમાં સોંપવાની તૈયારી રાખી હતી. ચાલો, આપણે પણ એમ જ કરીએ. અર્જુન આગળ તો કૃષ્ણ હતા. પણ આપણને શ્રીકૃષ્ણ ક્યાંથી મળશે? આપણે એમ ન કહીએ. કૃષ્ણ એટલે એ નામવાળી કોઈક એક વ્યક્તિ છે એવી ઐતિહાસિક ઉર્ફે ભ્રામક સમજમાં આપણે ન ફસાઈએ. અંતર્યામી સ્વરૂપે કૃષ્ણ આપણા દરેકના હ્રદયમાં વિરાજમાન છે. આપણી પાસેમાં પાસે તે જ છે. આપણા દિલમાંનો બધો મેલ આપણે તેની આગળ ખુલ્લો કરીએ ને તેને કહીએ, “હે ઈશ્વર, હું તારે શરણે છું. તું મારો અનન્ય ગુરૂ છે. મને ગમે તે એક રસ્તો બતાવ. તું બતાવશે તે જ રસ્તે જઈશ.” આપણે આમ કરીશું તો તે પાર્થ-સારથિ આપણું સારથિપણું પણ કર્યા વગર રહેવાનો નથી. ખુદ પોતાને શ્રીમુખે તે આપણને ગીતા સંભળાવશે અને વિજયલાભ અપાવશે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

પ્રભુ મને અચરજ આવે ભારી (44)

રાગઃ- સંતને સંતપણા નથી મફતમાં મળતાં

પ્રભુ મને અચરજ આવે ભારી,
મને સમજાય નહીં ગતિ તમારી –ટેક

વાલી કહે સુણો સ્વામી રઘુરાય વાત મારી,
સમદરસી બિરદ તમારૂં, કેમ મેલ્યું વિસારી –1

સુગ્રીવને પ્રભુ સહાય કરી મને નાખ્યો મારી,
વિશ્વંભર થઇને કરો વિષમતા, આ નિતી નહીં તમારી –2

રામ કહે તું સાંભળ વાલી દોષ કીયો તે ભારી,
ભાઇની સ્ત્રીને ભાર્યા કીધી, હ્રદયે જો વિચારી –3

ક્ષત્રી ધર્મને કલંક ન લાગે એ મર્યાદા મારી,
સુગ્રીવ મારે શરણે આવ્યો, એને લીધો ઉગારી –4

હું પાપી જો હોત પ્રભુ તો મળો ક્યાંથી મોરારી,
મોટા મુનીજન મર્મ ન પામે, સુરત ન લાધે સારી –5

રામ કહે વાલી જીવતો રાખું હોય ઇચ્છા જો તારી,
સમર્થ સ્વામીની વાત સુણીને, વાલી રહ્યો વિચારી –6

શિદ લોભાવો સમર્થ સ્વામી મતિ મૂઢ ન મારી,
અંતે આવી ઉભા અવિનાશી, એ ભુલ કરૂં કેમ ભારી –7

શરણાગતના સ્વામી તમે છો અધમને લીયો ઉગારી,
અંગદ સૂત મમ સમ બલવંતો, રાખો શરણ સ્વીકારી –8

વાલી કરે વિનતી પ્રભુને નાથ લીયો ઉગારી,
ભજનપ્રકાશ સ્વામી ભક્તિ દેજો, જનમ જનમ તમારી –9

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

Blog at WordPress.com.