Daily Archives: 14/11/2008

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ – નરસિંહ મહેતા

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજલ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને – નરસિંહ મહેતા

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો – નરસિંહ મહેતા

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ
અહીંયા કો નથી કૃષ્ણ તોલે

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂળી

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં
હેમની કોર જ્યાં નીસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે
સોનાના પારણા માંહી ઝૂલે

બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દીવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણજિહ્વાએ રસ સરસ પીવો

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો
અરધ-ઊરધની માંહે મહાલે
નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ – નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તુ, પાણી તુ, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતી-સ્મૃતી સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા,
અંતે તો હેમનું હેમ હોયે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તુ, બીજમાં વૃક્ષ્ર તુ,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે… અખિલ બ્રહ્માંડમાં…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

ગીતાનું પ્રયોજન : સ્વધર્મવિરોધી મોહનો નિરાસ (૩)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
ગીતાનું પ્રયોજન : સ્વધર્મવિરોધી મોહનો નિરાસ (૩)

(11) અર્જુન એકલી અહિંસાની જ નહીં, સંન્યાસની ભાષા પણ બોલવા મંડ્યો હતો. આ લોહીથી ખરડાયેલા ક્ષાત્રધર્મ કરતાં સંન્યાસ સારો એવું અર્જુન કહે છે. પણ એ અર્જુનનો સ્વધર્મ હતો કે ? તેની વૃત્તિ એવી હતી ખરી કે ? સંન્યાસીનો વેશ અર્જુન સહેજે લઈ શક્યો હોત પણ સંન્યાસીની વૃત્તિ તે કેવી રીતે ને ક્યાંથી લાવે ? સંન્યાસનું નામ લઈ તે વનમાં જઈ રહ્યો હોત તો ત્યાં તેણે હરણાં મારવા માંડ્યાં હોત. તેથી ભગવાને સાફ કહ્યું, “ અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી. ”
અર્જુનને સ્વધર્મ વિગુણ એટલે કે ફીકો લાગે છે. પણ સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોયે તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ. કેમકે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. એમાં અભિમાનનો સવાલ નથી. વિકાસનું એ સૂત્ર છે. સ્વધર્મ મોટો છે માટે સ્વીકારવાનો હોતો નથી અને નાનો હોય માટે ફેંકી દેવાનો હોતો નથી. હકીકતમાં તે મોટોયે નથી ને નાનોયે નથી હોતો. તે મારા માપનો, લાયકનો હોય છે. ‘श्रेयान् स्वधर्मो विगुणः’ એ ગીતાવચનમાંના धर्म શબ્દનો અર્થ હિંદુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ બધામાં વપરાતા ધર્મ શબ્દના અર્થ જેવો નથી. દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય છે. અહીં મારી સામે બેઠેલા આ તમારા બસો લોકોના બસો ધર્મો છે. મારો ધર્મ પણ દસ વરસ પહેલાં હતો તે આજે નથી. અને આજનો દસ વરસ પછી રહેવાનો નથી. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરદસ્તીથી એમાં કંઈ કરવાપણું હોતું નથી.

12. બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે સ્વીકારવામાં મારૂં કલ્યાણ નથી. સુરજનું અજવાળું મને ગમે છે. પ્રકાશથી પોષાઈને હું વધું છું. સૂર્ય મારે સારૂ વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારૂં પૃથ્વી પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં. એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફીકું લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલે તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે મારો વિકાસ સાધવો જોઈએ. માછલીને કોઈ કહે કે, ‘પાણી કરતાં દૂધ કીમતી છે, દૂધમાં જઈને રહે,’ તો માછલી એ વાત કબૂલ રાખશે કે? માછલી પાણીમાં સલામત રહેશે ને દૂધમાં મરી જશે.

13. અને બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શક્તું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરૂં પણ પડે. તક મળતાં વેંત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે. પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. એમ કરતાં કરતાં ત્યાં તેને સવાયો સંસાર ઊભો કરવાનો વારો આવ્યા વગર પણ નહીં રહે. વૈરાગ્યવૃત્તિ હોય તો સંન્યાસમાં અઘરૂં શું છે? સંન્યાસ સહેલો છે એમ બતાવનારાં સ્મૃતિવચનો પણ ક્યાં નથી? પણ અસલ મુદ્દો વૃત્તિનો છે. જેની જેવી અસલ સાચી વૃત્તિ હશે, તે મુજબ તેનો ધર્મ રહેશે. શ્રેષ્ઠ કે કનિષ્ઠ, સહેલો કે અઘરો એ સવાલ નથી. સાચો વિકાસ થવો જોઈએ. સાચી પરિણતિ જોઈએ.

14. પણ કોઈ કોઈ ભાવિક સવાલ કરે છે, ‘યુદ્ધ કરવાના ધર્મ કરતાં સંન્યાસ કોઈ પણ સંજોગોમાં વધારે ચડિયાતો હોય તો ભગવાને અર્જુનને સાચો સંન્યાસી શા સારૂ ન બનાવ્યો? ભગવાનથી શું એ બને એવું નહોતું?’ તેનાથી ન બની શકે એવું કશું નહોતું. પણ પછી તેમાં અર્જુનનો પુરૂષાર્થ શો રહ્યો હોત? પરમેશ્વર બધી જાતની છૂટ આપનાર છે. મહેનત જેણે તેણે જાતે કરવી રહે છે. એમાં જ ખરી મીઠાશ છે. નાનાં છોકરાંને જાતે ચિત્ર કાઢવામાં મોજ પડે છે. તેમનો હાથ પકડી કોઈ ચિત્ર કઢાવે તે તેમને ગમતું નથી. શિક્ષક છોકરાંઓને ઝપાટાબંધ એક પછી એક દાખલા કરી આપે તો છોકરાંઓની બુદ્ધિ વધે ક્યાંથી? માબારે, ગુરૂએ, સૂચના કરવી. પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે. એથી વધારે બીજું કંઈ તે કરતો નથી. કુંભારની માફક ઈશ્વર ઠોકીને કે ટીપીને અથવા થાપીને હરેકનું માટલું ઘડે તેમાં સાર શો? અને આપણે કંઈ માટીનાં માટલાં નથી, આપણે ચિન્મય છીએ.

15. સ્વધર્મની આડે આવનારો જે મોહ છે, તેના નિવારણને માટે ગીતાનો જન્મ છે એ બીના આ બધા વિવેચન પરથી તમારા સૌના ખ્યાલમાં આવી હશે. અર્જુન ધર્મસંમૂઢ થયો હતો, સ્વધર્મની બાબતમાં તે મોહમાં ફસાયો હતો. શ્રીકૃષ્ણે આપેલા પહેલા ઠપકા પછી આ વાત અર્જુન જાતે કબૂલ કરે છે. એ મોહ, એ આસક્તિ, એ મમત્વ દૂર કરવાં એ જ ગીતાનું મુખ્ય કામ છે. આખી ગીતા સંભળાવી રહ્યા પછી ભગવાન પૂછે છે, “અર્જુન, મોહ ગયો?” અર્જુને જવાબ આપ્યો, “ભગવાન, મોહ મરી ગયો, સ્વધર્મનું ભાન થયું.” આમ ગીતાનો ઉપક્રમ અને ઉપસંહાર બંનેનો મેળ બેસાડીને જોતાં મોહનિરાકરણ એ જ ગીતાનું ફળ દેખાય છે. એકલી ગીતાનો નહીં, ખુદ મહાભારતનો પણ એ જ ઉદ્દેશ છે. વ્યાસે છેક મહાભારતના આરંભમાં કહ્યું છે કે લોકોના હ્રદય પર છવાયેલા મોહના પડદાને હઠાવવાને હું આ ઈતિહાસ-પ્રદીપ ચેતાવું છું.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


અપાર મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે છે.

શિષ્ય ઉવાચ |

દોહા

યહ મિથ્યા પરતીત વ્હૈ, જામૈં જગત અપાર |
સો ભગવન મો કૂં કહો, કો યાકો આધાર || ૫૧ ||

શિષ્ય – આ જગત જેમાં મિથ્યા પ્રતીત થાય છે તે શી વસ્તુ છે; અર્થાત્ આ મિથ્યા જગતનો આધાર કોણ છે, તે મને કહો. (૫૧)

શ્રી ગુરુરુવાચ |

તબ નિજરુપ અજ્ઞાનતૈ, મિથ્યા જગભાન |
અધિષ્ઠાન આધાર તૂં, રજ્જુ ભુજંગ સમાન || ૫૨ ||

ગુરુ કહે છે કે, જે અજ્ઞાનને લીધે તું પોતાના બ્રહ્મ રૂપને જાણતો નથી, એ અજ્ઞાન વડે જ મિથ્યા જગત પ્રતીત થાય છે; માટે મિથ્યા જગતનો આધાર અને અધિષ્ઠાન તું પોતે જ છે. જેમ દોરડીના અજ્ઞાનથી મિથ્યા સર્પ પ્રતીત થાય છે; ત્યાં સર્પનું અધિષ્ઠાન અને આધાર દોરડી જ છે. (૫૨)

તમામ કલ્પિત વસ્તુનું અધિષ્ઠાન એ જ તેનો દ્રષ્ટા છે

શિષ્ય ઉવાચ |

ભગવન્ મિથ્યા જગતકો, દ્રષ્ટા કહિયે કૌન |
અધિષ્ઠાન આધાર જો, દ્રષ્ટા હોય ન તૌન || ૫૩ ||

શિષ્યઃ હે ભગવન્ ! આ મિથ્યા જગતનો જોનારો કોણ હશે? જે જગતનો આધાર અને અધિષ્ઠાન હોય, તે તો દ્રષ્ટા થઈ શકે નહિ; કેમ કે મિથ્યા સર્પનો આધાર અને અધિષ્ઠાન રજ્જુ છે; તે સર્પની દ્રષ્ટા થતી નથી પણ તેનાથી ભિન્ન એવો પુરુષ સર્પનો દ્રષ્ટા થાય છે. (૫૩)

શ્રી ગુરુરુવાચ

ચૌપાઈ

મિથ્યા વસ્તુ જગતમેં જે હૈ, અધિષ્ઠાનમેં કલ્પિત તે હૈં |
અધિષ્ઠાન સો દ્વિવિધ પિછાનહુ, ઈક ચેતન દૂજો જડ જાનહુ || ૫૪ ||
અધિષ્ઠાન જડ વસ્તુ જહાં હૈ, દ્રષ્ટા તાતે ભિન્ન તહાં હૈ |
જહાં હોય ચેતન આધારા, તહાં ન દ્રષ્ટા હોવે ન્યારા || ૫૫ ||

દોહા

ચેતન મિથ્યા સ્વપ્નકો, અધિષ્ઠાન નિર્ધાર |
સોઈ દ્રષ્ટા ભિન્ન નહિ, તૈસે જગત વિચાર || ૫૬ ||

ગુરુ કહે છે કે જગતમાં જેટલી મિથ્યા વસ્તુઓ હોય છે, તે સઘળી અધિષ્ઠાનમાં કલ્પિત હોય છે. અધિષ્ઠાન બે પ્રકારનાં છેઃ (૧) ચેતન અધિષ્ઠાન (૨) જડ અધિષ્ઠાન (૫૪)

(૧) જ્યાં જડ વસ્તુ અધિષ્ઠાન હોય, ત્યાં દ્રષ્ટા અધિષ્ઠાનથી ભિન્ન હોય છે (૨) જ્યાં ચેતન અધિષ્ઠાન હોય, ત્યાં અધિષ્ઠાન જ દ્રષ્ટા હોય છે – અધિષ્ઠાનથી ભિન્ન કોઈ હોતો નથી. જેમ સ્વપ્નનું અધિષ્ઠાન સાક્ષી-ચેતન છે તે જ સ્વપ્નનો દ્રષ્ટા છે, તેમ જગતનું અધિષ્ઠાન આત્મા છે; માટે આત્મા જ જગતનો દ્રષ્ટા છે. (૫૫,૫૬)

મિથ્યા સંસારની નિવૃત્તિની ઈચ્છા સંભવતી નથી

ઈમ મિથ્યા સંસાર દુઃખ વ્હૈ, તોમૈં ભ્રમ ભાન |
તાકી કહાં નિવૃત્તિ તૂ, ચાહે શિષ્ય સુજાન || ૫૭ ||

ગુરુઃ- હે શિષ્ય! આ રીતે તારે વિષે સંસારદુઃખ ભ્રાંતિથી મિથ્યા જ પ્રતીત થાય છે; તે મિથ્યા દુઃખની નિવૃત્તિની ઈચ્છા તું ડાહ્યો છતાં કેમ કરે છે? અર્થાત્ મિથ્યા દુઃખની નિવૃત્તિની ઈચ્છા સંભવતી નથી. જેમ કોઈ બાજીગરે કોઈ માણસને મંત્રબળથી મિથ્યા શત્રુ બનાવ્યો હોય, તો પણ તે મિથ્યા શત્રુને મારવાનો ઉધ્યોગ તે પુરુષ કરતો નથિ, તેમ મિથ્યા સંસારની નિવૃત્તિની ઈચ્છા પણ સંભવે નહિ. (૫૭)

જન્માદિક સંસારની નિવૃત્તિ આત્મજ્ઞાનથી થાય છે

શિષ્ય ઉવાચ |

ચૌપાઈ

જગ યદ્યપિ મિથ્યા ગુરુદેવા, તથાપિ મૈ ચાહૂં તિહિ છેવા |
સ્વપ્ન ભયાનક જાકૂં ભાસૈ, કરિ સાધન જન જિમિ તિહિ નાસૈ || ૫૮ ||
યાતૈં વ્હૈ જાતે જગ હાના, સો ઉપાય ભાખો ભગવાના |
તુમ સમાન સતગુરુ નહિ આના, શ્રવણ ફૂંક દે બંચક નાના || ૪૯ ||

શિષ્ય – હે ભગવન્ ! આપે કહ્યું, કે જગત તારામાં મિથ્યારૂપે ભાસે છે, સત્યરૂપે નથી. એ વાત જો કે સાચી છે, તો પણ હે ભગવન્ ! તે મિથ્યારૂપે કરીને અથવા જે ઉપાય કરીને મરણાદિક સંસાર મારામાં ન જણાય એવો ઉપાય આપ કહો.

શ્રી ગુરુરુવાચ |

સોરટા

સો મૈં કહ્યો બખાનિ, જો સાધન તૈ પૂછિયો |
નિજ હિય નિશ્ચય આનિ, રહૈ ન રંચક ખેદ જગ || ૬૦ ||

ગુરુઃ- જગતરૂપી દુઃખની નિવૃત્તિનો ઉપાય તો અમે તને પ્રથમથી જ (આ પ્રકરણના આરંભમાં જ) કહી દીધો છે. તેનો જ દ્રઢ નિશ્ચય કર, જેથી તારા મનમાં જગતરૂપી દુઃખ રહેશે નહિ. (૬૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

ઉઠને અભાગી પ્રાણિયા (43)

રાગઃ- રામગ્રી

અનેવાલા ઉઠને અભાગી પ્રાણિયા, અંતર આંખ જો ઉઘાડી
કાલ માથે રે તારે કારમો, મુશક માથે માંજારી –ટેક

અને વાલા જાગીને જો તું જીવડા, હેરસે સ્વપ્નું વાત સારી
તનમાં રવિ તારા તેજ કરે, આથમ્યો રાત અંધારી –1

અને વાલા રહ્યા નહીં કોઇ મોટા રાજવી, ફરતા અજબ ચડી સવારી
મૃત્યું રહ્યું માથે સહુ તણે, રહે નહીં નામ રૂપ ધારી –2

અને વાલા કુટુંબકબીલો નહીં કોઇ કામનો, નહીં કોઇ સુતકે ઘરનારી
નજરે જોતો રહેશે નેનથી, વરસે વાત વિસારી –3

અનેવાલા ભજન કરીલે ભગવાનું, હૈયે હેત વધારી
ભજનપ્રકાશનો સ્વામી આવશે, અંતમા લેશે ઉગારી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.