Daily Archives: 13/11/2008

સ્કન્દોપનિષદ્

સ્કન્દોપનિષદ્

કૃષ્ણ યજુર્વેદ સાથે સંબદ્ધ આ ઉપનિષદમાં માત્ર 15 મંત્ર છે. એમાં વિષ્ણુ અને શિવ તથા શિવ અને જીવમાં, અભેદ દર્શાવવામાં આવેલ છે. શરીરને શિવ મંદિર કહીને, એની ઉપેક્ષા ન કરતાં, મંદિરની જેમ સ્વચ્છ-સુંદર રાખવાનો સંકેત કરવામાં આવેલ છે. ભેદરહિત દ્રષ્ટિને ‘જ્ઞાન’, મનનું નિર્વિષય થવું ‘ધ્યાન’, મનનો મેલ દુર કરવો ‘સ્નાન’ અને ઇન્દ્રિય નિગ્રહ ‘શૌચ’ કહીને, ઋષિએ અધ્યાત્મ દર્શનને વ્યવહારિક બનાવવાની દિશા આપવામાં આવેલી છે. અંતમાં ઉપનિષદ્ની શિક્ષાને, આત્મસાત્ કરવાનું મહત્વ દર્શાવવામાં આવેલ છે.

શાંતિપાઠઃ
ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ ,
તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

હે પરમાત્મન! આપ આપણા બંનેયની (ગુરૂ-શિષ્ય) એક સાથે રક્ષા કરો. આપણા બંન્નેનું એક સાથે પાલન કરો. આપણે બંનેય એક સાથે શક્તિ અર્જિત કરીએ. આપણા બંનેયની ભણેલી વિદ્યા તેજસ્વી (પ્રખર) બનો. આપણે બંનેય એકબીજા પ્રત્યે ક્યારેય ઇર્ષા-દ્વેષ ન કરીએ. હે શક્તિ-સંપન્ન! (અમારા) ત્રિવિધ (આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક) તાપોનું શમન થાવ, અક્ષય શાંતિની પ્રાપ્તિ થાવ.

અચ્યુતોSસ્મિ મહાદેવ તવ કારુણ્યલેશતઃ.
વિજ્ઞાનઘન એવાસ્મિ શિવોSસ્મિ કિમતઃ પરમ્ ..1..

હે મહાદેવ! આપની લેશમાત્ર કૃપા પ્રાપ્ત હોવાથી હું અચ્યુત (પતિત અથવા વિચલિત ન થનારો) વિશિષ્ટ જ્ઞાન-પુંજ અને શિવ (કલ્યાણકારી) સ્વરૂપ બની ગયેલ છું, એથી વધારે શું જોઇએ? ..1..

ન નિજં નિજવદ્ભાત્યન્તઃકરણજૃમ્ભણાત્
અન્તઃકરણનાશેન સંવિન્માત્રસ્થિતો હરિઃ..2..

જ્યારે સાધક પોતાના પાર્થિવ સ્વરૂપને ભૂલીને, પોતાના અતઃકરણને વિકાસ કરતાં, બધાને પોતાની જેમ પ્રકાશમાન માને છે, ત્યારે તેનું પોતાનું અતઃકરણ (મન,બુદ્ધિ, ચિત્ત, અહંકાર) સમાપ્ત થઇને, ત્યાં એકમાત્ર પરમેશ્વરનું જ અસ્તિત્વ રહે છે. ..2..

સંવિન્માત્રસ્થિતશ્ચાહમજોSસ્મિ કિમતઃ પરમ્
વ્યતિરિક્તં જડં સર્વં સ્વપ્નવચ્ચ વિનશ્યતિ..3..

એથી વધારે શું હોય કે હું આત્મરૂપમાં રહેલ છું અને અજન્મા અનુભવ કરૂ છું. એ સિવાય આ સંપૂર્ણ જડ-જગત્ સ્વપ્નવત્ નાશવાન છે…3..

ચિજ્જડાનાં તુ યો દ્રષ્ટા સોઽચ્યુતો જ્ઞાનવિગ્રહઃ
સ એવ હિ મહાદેવઃ સ એવ હિ મહાહરિઃ..4..

જે જડ-ચેતન (એમ) બધાનો દ્રષ્ટારૂપ છે, એજ અચ્યુત (અટલ) અને જ્ઞાન-સ્વરૂપ છે, એજ મહાદેવ અને એજ મહાહરિ (મહાન્ પાપહારક) છે…4..

સ એવ જ્યોતિષાં જ્યોતિઃ સ એવ પરમેશ્વરઃ
સ એવ હિ પરબ્રહ્મ તદ્બ્રહ્માહં ન સંશયઃ..5..

એજ બધી જ્યોતિઓની મૂળ જ્યોતિ છે, એજ પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, હું પણ એજ છું, એમાં સંશય નથી…5..

જીવઃ શિવઃ શિવો જીવઃ સ જીવઃ કેવલઃ શિવઃ
તુષેણ બદ્ઘો વ્રિહિઃ સ્યાત્તુષાભાવેન તણ્ડુલઃ..6..

જીવજ શિવ છે અને શિવજ જીવ છે. જીવ વિશુદ્ધ શિવજ છે. (જીવ-શિવ) એવી રીતે છે, જેમ ધાનનું છોડું (છિલકુ) જોડાઇ રહેવાથી ડાંગર અને છોડું દૂર કરી દેવાથી – હટાવી દેવાથી એને ચોખા કહેવામાં આવે છે…6..

એવં બદ્ઘસ્તથા જીવઃ કર્મનાશે સદાશિવઃ
પાશબદ્ઘસ્તથા જીવઃ પાશમુક્તઃ સદાશિવઃ..7..

આ રીતે બંધનમાં બંધાએલ (ચૈતન્ય તત્વ) જીવ હોય છે અને એજ (પ્રારબ્ધ) કર્મોના નષ્ટ થયેથી સદાશિવ બની જાય છે અથવા બીજા શબ્દમાં, પાશમાં બંધાએલ જીવ ‘જીવ’ કહેવાય છે અને પાશમુક્ત થઇ ગયેથી, સદાશિવ બની જાય છે…7..

શિવાય વિષ્ણુરુપાય શિવરુપાય વિષ્ણવે
શિવસ્ય હ્રદયં વિષ્ણુર્વિષ્ણોશ્ચ હ્રદયં શિવઃ..8..

ભગવાન શિવજ ભગવાન વિષ્ણુરૂપ છે અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવસ્વરૂપ છે. ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ વિરાજમાન છે…8..

યથા શિવમયો વિષ્ણુરેવં વિષ્ણુમયઃ શિવઃ
યથાન્તરં ન પશ્યામિ તથા મે સ્વતિરાયુષિ
યથાન્તરં ન ભેદાઃ સ્યુઃ શિવકેશવયોસ્તથા..9..

જે રીતે વિષ્ણુદેવ શિવમય છે, એવી રીતે દેવ શિવ વિષ્ણુમય છે. જ્યારે મને એમાં કોઇ અંતર જણાતું નથી તો હું આ શરીરમાંજ, કલ્યાણરૂપ બની જઉ છું. ‘શિવ’ અને ‘કેશવ’ માં પણ કોઇ ભેદ નથી…9..

દેહો દેવાલયઃ પ્રોક્તઃ સ જીવઃ કેવલઃ શિવઃ
ત્યજેદજ્ઞાનનિર્માલ્યં સોSહંભાવેન પૂજયેત્..10..

તત્વદર્શિયો દ્વારા આ દેહનેજ દેવાલય કહેવામાં આવેલ છે અને એમાં જીવ, માત્ર શિવરૂપ છે. જ્યારે મનુષ્ય અજ્ઞાનરૂપ કલ્મષનો પરિત્યાગ કરી દે, ત્યારે એ સોSહં ભાવથી એમનું (શિવનું) પૂજન કરે…10..

અભેદદર્શનં જ્ઞાનં ધ્યાનં નિર્વિષયં મનઃ
સ્નાનં મનોમલત્યાગઃ શૌચમિન્દ્રિયનિગ્રહઃ..11..

બધાં પ્રાણીઓમાં બ્રહ્મનું અભેદરૂપથી દર્શન કરવું યથાર્થ જ્ઞાન છે અને મનના વિષયોથી આસક્તિ રહિત હોવું- આ યથાર્થ ધ્યાન છે. મનના વિકારોનો ત્યાગ કરવો- એ યથાર્થ સ્નાન છે. આને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી- એ યથાર્થ શૌચ (પવિત્ર થવું) છે…11..

બ્રહ્મામૃતં પિબેદ્ભૈક્ષમાચરેદેહરક્ષણે
વસેદેકાન્તિકો ભૂત્વા ચૈકાન્તે દ્વૈતવર્જિતે
ઇત્યેવમાચરેદ્ભીમાન્ત્સ અવં મુક્તિમાપ્નુયાત્..12..

બ્રહ્મજ્ઞાનરૂપી અમૃતનું પાન કરો. માત્ર શરીર રક્ષા માટેજ ઉપાર્જન (ભોજન ગ્રહણ) કરો. એક પરમાત્મામાં લીન બનીને, દ્વૈતભાવ છોડી એકાંત ગ્રહણ કરો. જે ધીરપુરુષ આ રીતનું આચરણ કરે છે, એ મુક્તિને પ્રાપ્ત કરે છે…12..

श्रीपरमधाम्ने स्वस्ति चिरायुष्योन्नम इति।
विरिञ्चिनारायणशंकरात्मकं नृसिंह देवेश तव प्रसादतः।
अचिन्त्यमव्यक्तमनन्तमव्ययं वेदात्मकं ब्रह्म निजं विजानते।।13।।

શ્રીપરમધામવાળા (બ્રહ્મા, વિષ્ણુ, શિવદેવ) ને નમસ્કાર છે. (અમારૂ) કલ્યાણ થાવ. દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાવ. હે વિરંચિ! નારાયણ અને શંકરરૂપ નૃસિંહ દેવ! આપની કૃપાથી એ અચિંત્ય, અવ્યક્ત, અનંત, અવિનાશી, વેદસ્વરૂપ બ્રહ્મને, અમો પોતાના આત્મ સ્વરૂપમાં જાણવા લાગ્યા છીએ…13..

તદ્વિષ્ણોઃ પરમં પદં સદા પશ્યન્તિ સૂરયઃ
દિવીવ ચક્ષુરાતતમ્..14..

આવા બ્રહ્મવેતા, એ ભગવાન વિષ્ણુના પરમપદને હંમેશાં (ધ્યાન મગ્ન થઇને) જોઇએ છીએ, પોતાના ચક્ષુઓમાં, એ દિવ્યતાને સમાવેલી રાખીએ છીએ…14..

तद्विप्रासो विपन्यवो जागृवांस समिन्धते।
विष्णोर्यत्परमं पदमित्येतन्निर्वाणानुशासनमिति वेदानुशासनमिति वेदानुशासनमित्युपनिषत्।।15।।

વિદ્વજ્જન બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે ભગવાન વિષ્ણુનું પરમપદ છે, એમાં લીન થઇ જાય છે. આ નિર્વાણ સંબધી સંપૂર્ણ અનુશાસન છે, આ વેદનું અનુશાસન છે, આ રીતે આ ઉપનિષદ્ (રહસ્ય જ્ઞાન) છે…15..

શાંતિપાઠઃ
ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ , સહ વીર્યં કરવાવહૈ ,
તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

સ્કન્દોપનિષદ્ સમાપ્ત

Categories: ઉપનિષદ | Leave a comment

અર્જુનની ભૂમિકાનો સંબંધ (2)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
પ્રકરણ ૨ – અર્જુનની ભૂમિકાનો સંબંધ

6. કેટલાક લોકોને એવું લાગે છે કે ગીતાનો આરંભ બીજા અધ્યાયથી ગણવો જોઈએ. તો પછી બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી ઉપદેશની સીધી શરૂઆત થાય છે ત્યાંથી જ આરંભ સમજવામાંયે શો વાંધો છે ? એક જણે તો મને એટલે સુધી કહેલું, “ અક્ષરોમાં ખુદ ભગવાને પોતે ઈશ્વરી વિભૂતિ ગણાવી છે. ‘अशोच्यानन्वशोचस्त्वं’ ના આરંભમાં અનાયાસે જ અકાર આવ્યો છે એટલે ત્યાંથી જ આરંભ ગણવો સારો! ” આ શબ્દચમત્કારને બાજુએ રાખીએ તો પણ એ આરંભ ઘણી રીતે યોગ્ય છે એમાં શંકા નથી. આમ છતાં તેની આગળના પ્રાસ્તાવિક ભાગનુંયે મહત્વ છે. અર્જુન કઈ ભૂમિકા પર છે, કઈ વાત કહેવાની એકંદરે ગીતાની પ્રવૃત્તિ છે એ બધું આ પ્રાસ્તાવિક કથાભાગ વગર બરાબર ધ્યાનમાં આવે એવું નથી.

7. અર્જુનની નામરદાઈ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારૂ ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે એવું વળી કેટલાક લોકોનું કહેવું છે. તેમના અભિપ્રાય મુજબ ગીતામાં કર્મયોગનો ઉપદેશ છે એટલું જ નહીં, તેમાં યુદ્ધયોગનો પણ ઉપદેશ છે. થોડો વિચાર કરવાથી આ વાતમાં રહેલી ભૂલ દેખાશે. અઢાર અક્ષૌહિણી સેના લડવાને તૈયાર ઊભી હતી. તો શું આપણે એમ કહીશું કે આખી ગીતા સંભળાવીને શ્રીકૃષ્ણે અર્જુનને તે સેનાની લાયકાતનો બનાવ્યો ? અર્જુન ગભરાઈ ગયો હતો, તે સેનાને ગભરાટ થયો નહોતો. એટલે શું તે સેનાની લાયકાત અર્જુન કરતાં વધારે હતી ? આવો તો વિચાર સરખો થાય એમ નથી. અર્જુન બીકણ હતો તેથી લડાઈથી મોઢું ફેરવીને ઊભો રહ્યો હતો એવું નથી. સેંકડો લડાઈઓ ખેલી ચૂકેલો તે મહાવીર હતો. ઉત્તરગોગ્રહણ એટલે કે વિરાટની ગાયો છોડાવવાને પ્રસંગે તેણે એકલાએ એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેમનું બળ હરી લીધું હતું. હંમેશ વિજય મેળવનારની અને બધા નરમાં એક જ સાચા નર તરીકેની તેની ખ્યાતિ હતી. તેના રોમરોમમાં વીરવૃત્તિ ભરેલી હતી. અર્જુનને ચીડવવા માટે તેને નામરદાઈનો ટોણો તો કૃષ્ણે પણ મારી જોયો હતો. એ બાણ જોકે ફોગટ ગયું ને પછી જુદા જ મુદ્દાઓ પર જ્ઞાન-વિજ્ઞાનનાં કેટલાંયે ભાષણો આપવાં પડ્યાં. તેથી નામરદાઈ કાઢવા જેવું સરળ તાત્પર્ય ગીતાનું નથી એ બીના ચોખ્ખી છે.

8. બીજા કેટલાક કહે છે કે અર્જુનની અહિંસાવૃત્તિ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારૂ ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મારી સમજ પ્રમાણે આમ કહેવું બરાબર નથી. એ કેવી રીતે તે જોવાને આપણે અર્જુનની ભૂમિકા ઝીણવટથી તપાસવી પડશે. એ માટે પહેલો અધ્યાય અને બીજાની શરૂઆતમાં પેઠેલો અખાત જેવો ભાગ ઘણો કામનો છે. અર્જુન રણમેદાન પર લડવાનો પાકો નિશ્ચય કરી કર્તવ્યની ભાવનાથી ઊભો રહ્યો હતો. ક્ષાત્રવૃત્તિ તેના સ્વભાવમાં હતી. યુદ્ધમાંથી ઊગરી જવાની પૂરેપૂરી કોશિશ કરવા છતાં તે ટાળી શકાયું નહોતું. સમજૂતીને માટે કૌરવો ઓછામાં ઓછી માગણી ને શ્રીકૃષ્ણ જેવા મધ્યસ્થી બંને ફોગટ ગયાં હતાં. આ સંજોગોમાં દેશદેશના રાજાઓને એકઠા કરી, કૃષ્ણ પાસે પોતાનું સારથિપણું કરવાને સ્વીકારાવી તે રણમેદાન પર ઊભો રહે છે અને વીરવૃત્તિના ઉત્સાહથી કૃષ્ણને કહે છે, “કોણ કોણ મારી સાથે લડવાને એકઠા મળ્યા છે તે બધાનાં મોઢાં એક વાર હું જોઈ લઉં તેટલા માટે બંને સેનાની વચ્ચોવચ્ચ મારો રથ લઈ જઈ ઊભો રાખો.“ કૃષ્ણ તેના કહેવા મુજબ કરે છે અને અર્જુન ચારેકોર નજર ફેરવે છે ત્યારે તેને શું દેખાય છે ? બંને બાજુ પર પોતાના સ્વજનોનો, સગાંવહાલાંનો પ્રચંડ જમાવ ઊભો છે. ‘બાપ ને બેટા, દાદા, પોતા વળી ઘણા’ એમ આપ્ત સંબંધની ચાર-ચાર પેઢી મારવાને ને મરવાનો છેવટનો નિશ્ચય કરી એકઠી મળી છે એવું તેણે જોયું. આ વાતનો ખ્યાલ તેને નહીં આવ્યો હોય એવું નથી. પણ સ્થિતિ પ્રત્યક્ષ નજરે પડે છે ત્યારે તેની અસર જુદી જ થાય છે. એ આખો સગાંવહાલાંનો સમૂહ જોતાંવેત તેનું દિલ ડહોળાવા માંડે છે. તેને બહુ ખરાબ લાગે છે. અત્યાર સુધીમાં અનેક લડાઈઓમાં તેણે અનેક વીરોનો સંહાર કર્યો હતો ત્યારે કોઈ વખતે તેને ખરાબ લાગ્યું નહોતું, તેનું ગાંડીવ તેના હાથમાંથી સરી પડ્યું નહોતું, તેના શરીરમાં કંપારી આવી નહોતી અને તેની આંખ ભીની થઈ નહોતી. ત્યારે આ વખતે જ આમ કેમ ? તેનામાં શું અશોકની માફક અહિંસાવૃત્તિનો ઉદય થયો હતો ? ના. આ બધી સ્વજનાસક્તિ હતી. એ ઘડીએ પણ સામા ગુરૂ, ભાઈઓ ને સગાંવહાલાં ન હોત તો તેણે રમતમાં દડા ઉછાળે તેમ શત્રુઓનાં માથાં ઉડાવ્યાં હોત. પણ આસક્તિથી જન્મેલો મોહ તેની કર્તવ્યનિષ્ઠાને ગળી ગયો હતો. અને પછી તેને તત્ત્વજ્ઞાન યાદ આવ્યું. કર્તવ્યનિષ્ઠ માણસ મોહમાં પડે તોયે ખુલ્લેખુલ્લી કર્તવ્યચ્યુતિ તેનાથી સહન થઈ શક્તી નથી. તે પોતાની કર્તવ્યચ્યુતિને એકાદ સારા વિચારનો વેશ ઓઢાડે છે. અર્જુનનું પણ એવું જ થયું. યુદ્ધ મૂળમાં જ પાપ છે એવા ઉછીના લીધેલા વિચારોનું તે હવે પ્રતિપાદન કરવા લાગ્યો. યુદ્ધથી કુળનો ક્ષય થશે, સ્વૈર આચાર બેફામ બનશે, વ્યભિચારવાદ ફેલાશે, દુકાળ આવી પડશે, સમાજ પર આફતો ઊતરશે, એવા એવા કેટલાયે મુદ્દા તે ખુદ શ્રીકૃષ્ણને સમજાવવા બેઠો !

9. મને અહીં એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનુષી છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી. માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી. ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેની આંખ પરનાં લોહીનાં પડળ ઊતરી ગયાં પછી પણ ગંભીરતાથી તે માણસને ઊંચકીને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારૂં તેમ જ ડાઘ લગાડનારૂં છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. આ છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશસાહેબ ખાસા ફાંસીની સજાઓ ટીપતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યો. તેનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. ‘આ મારો દીકરો છે’ એવા મમત્વમાંથી નિર્માણ થયેલું એ સાહિત્ય હતું.

10. અર્જુનની ગતિ એ ન્યાયાધીશ જેવી થયેલી. તેણે રજૂ કરેલા મુદ્દા ખોટા કે ભૂલભરેલા નહોતા. ગયા મહાયુદ્ધનાં આવાં અચૂક પરિણામ દુનિયાએ જોયાં છે. પણ વિચારવા જેવી વાત એટલી છે કે અર્જુનની ફિલસૂફી એ નહોતી. એ તેનો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃષ્ણને એની બરાબર ખબર હતી. તેથી એ મુદ્દો જરાયે ધ્યાનમાં ન લેતાં તેમણે સીધો મોહનાશ માટેનો ઈલાજ અખત્યાર કર્યો. અર્જુન ખરેખર અહિંસાવાદી બન્યો હોત તો બીજાં આડ જ્ઞાન-વિજ્ઞાન ગમે તેણે ગમે તેટલાં સમજાવ્યાં હોત તોયે મૂળ મુદ્દાનો જવાબ મળ્યા વગર તેને સમાધાન થયું ન હોત. પણ આખી ગીતામાં ક્યાંયે એ મુદ્દાનો જવાબ નથી. અને છતાં અર્જુનને સમાધાન થયેલું છે. આ બધી વાતનો સાર એટલો કે અર્જુનની લાગણી અહિંસાવૃત્તિની નહોતી, તે યુદ્ધપ્રવૃત્ત જ હતો. તેની દ્રષ્ટિએ યુદ્ધ તેનું સ્વભાવપ્રાપ્ત અને અપરિહાર્ય ઠરેલું કર્તવ્ય હતું. મોહમાં ફસાઇને એ કર્તવ્ય તે હવે ટાળવા માગતો હતો. અને ગીતાનો મુખ્ય હુમલો એ મોહ પર છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

ધીક જીવન સમરણ બીનું (42)

રાગઃ- કૃષ્ણ કરે તે ઠીક કરે છે

ધીક જીવન સમરણ બીનું, રામ રહ્યો બીસરાઇ
ભજન બીહીના જીવના ક્યા, પશુવત જાત જીંદગાઇ –1

ધીક હૈ સોના સેજ તળાઇ, રામ બીનું ક્યોં સોહાઇ
ખર જૈસે જાત જીંદગાની, રાખ મંહી લોટાઇ –2

ધીક હોઇ ભોજન ખટરસવાળા, બીનુ રામ ક્યા સ્વાદ આઇ
સુકર જૈસે સ્વાદ અનેરો, ભાસત ભોગમેં ભાઇ –3

ધીક હૈ હરના ધીક હૈ ફરના, રામ બીન આવ જાઇ
જુઠ ક્રિયા સબ બનત તનકી, ધમે લુહા જ્યું ધમાઇ –4

ધીક આયો વૃથા આ જુગમેં, આકર ક્યા લે જાઇ
ભજનપ્રકાશ જનમ ફલ પાયો, રામ ચરણ ચિત્ત લાઇ –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.