ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય પહેલો – અર્જુનનો વિષાદ
પ્રાસ્તાવિક આખ્યાયિકા
પ્રકરણ ૧ – मध्ये महाभारतम्
પ્રિય બંધુઓ,
(૧.) આજથી હું શ્રીમદભગવદ્ગીતા વિષે વાતો કરવાનો છું. ગીતાનો અને મારો સંબંધ તર્કની પેલી પારનો છે. મારૂં શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથીયે વધુ મારા હ્રદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય છે ત્યાં તર્કને જગ્યા રહેતી નથી. તર્કને છોડી, શ્રદ્ધા ને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું. ઘણુંખરૂં હું ગીતાના વાતાવરણમાં હોઉં છું. ગીતા એટલે મારૂં પ્રાણતત્ત્વ. બીજા કોઈકની સાથે ગીતા વિષે હું કોઈક વાર વાતો કરૂં છું ત્યારે ગીતાના સમુદ્રના તરંગો પર તરતો હોઉં છું અને એકલો હોઉં છું ત્યારે એ અમૃતના સાગરમાં ઊંડે ડૂબકી મારીને બેસું છું. આવી આ ગીતામાઈનું ચરિત્ર દર રવિવારે મારે કહેવું એવું નક્કી થયું છે.
2. ગીતાની ગોઠવણ મહાભારતમાં કરવામાં આવી છે. આખાયે મહાભારત પર પ્રકાશ નાખતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે. એક બાજુ મહાભારતનાં છ અને બીજી બાજુ બાર પર્વ એમ મધ્યભાગે અને તેવી જ રીતે ક તરફ સાત અક્ષૌહિણી અને બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાની વચ્ચે એમ પણ મધ્યભાગે રહીને ગીતાનો ઉપદેશ થયેલો છે.
3. મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે. એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. રામ, સીતા, ધર્મ, દ્રૌપદી, ભીષ્મ, હનુમાન વગેરેનાં ચરિત્રોએ મંત્રની જેમ આખાયે ભારતીય જીવનને હજારો વર્ષોથી વશ કરેલું છે. દુનિયામાં બીજાં મહાકાવ્યોમાંનાં પાત્રો આવી રીતે લોકજીવનમાં ભળી ગયેલાં જોવાનાં મળતાં નથી. આ રીતે જોઈએ તો મહાભારત અને રામાયણ બંને ખરેખર અદ્ભુત ગ્રંથો છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે. એક લાખ શ્લોકો રચીને વ્યાસે અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્ર્યો ઘણી કાબેલિયતથી આબેહૂબ દોર્યાં છે. તદ્દન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી અને તેવી જ રીતે આ જગતમાં કેવળ દોષથી ભરેલું એવું પણ કંઈ નથી એ વાત મહાભારતે ચોખ્ખેચોખ્ખી કહી છે. એમાં ભીષ્મ ને યુધિષ્ઠિર જેવાના દોષો બતાવેલા છે અને તેથી ઊલટું કર્ણ ને દુર્યોધન વગેરેના ગુણો પણ પ્રકટ કરી બતાવ્યા છે. માનવીનું જીવન ધોળા ને કાળા ધાગાનો બનેલ પટ છે એ વાત મહાભારત કહે છે. વિશ્વમાંનું વિરાટ સંસારનું છાયાપ્રકાશમય ચિત્ર ભગવાન વ્યાસ તેનાથી લેપાયા વગર અળગા રહીને બતાવે છે. વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમ જ ઉદાત્ત ગૂંથણીની કુશળતાને લીધે મહાભારતનો ગ્રંથ સોનાની એક ઘણી મોટી ખાણ બન્યો છે. જેને જોઈએ તે એમાંથી શોધન કરીને ભરપટ્ટે સોનું લૂંટી શકે છે.
4. આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરૂં પણ તેમને પોતાને પોતાનું એવું કંઈ કહેવાનું હતું નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંયે આપ્યો છે ખરો ? મહાભારતમાં કયે ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે ? અનેક જાતનાં તત્ત્વજ્ઞાનનાં અને તરેહતરેહના ઉપદેશોનાં વનનાં વન ઠેકઠેકાણે મહાભારતમાં ફેલાયેલાં છે. પણ એ બધાં તત્ત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજુ કર્યું છે કે નથી ? હા, કર્યું છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ગીતામાં આપ્યું છે. ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનનો પૂરેપૂરો સંઘરો છે. એના આધારથી ‘ मुनिओमां हुं छुं व्यास ’ એ વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે. પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે. ગીતા ઉપનિષદનુંયે ઉપનિષદ છે. કેમકે બધાં ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂધ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી જગતને આપ્યું છે. જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એકેએક વિચાર ગીતામાં સમાયેલો છે. એથી જ ગીતા ધર્મજ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરૂષોએ યથાર્થ કહ્યું છે. ગીતા નાનો સરખો તોયે હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે.
5. ગીતા શ્રીકૃષ્ણે કહી છે એ બીના સૌ કોઈ જાણે છે. આ મહાન ઉપદેશ સાંભળનારો અર્જુન એ બોધ સાથે એવો સમરસ થયો કે તેને પણ ‘ કૃષ્ણ ’ સંજ્ઞા મળી, ઈશ્વર અને તેના ભક્તના હ્રદયનું રહસ્ય પ્રગટ કરતાં કરતાં વ્યાસદેવ પીગળીને એટલા સમરસ થઈ ગયા કે તેમનેયે લોકો‘ કૃષ્ણ ’ નામથી ઓળખવા લાગ્યા. કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ અને રચનારો પણ કૃષ્ણ એવું એ ત્રણેમાં જાણે કે અદ્વૈત પેદા થયું. ત્રણેની જાણે કે એકચિત્ત બની સમાધિ થઈ. ગીતાનો અભ્યાસ કરનારે એવી જ એકાગ્રતા રાખવાની છે.
HI IAM FINE IT’S VERY SUBERB & I LIKE & I WILL TRY TO IT’S READ MORE &MORE PEOPLE GOOD BY E